Category Archives: કાવ્યપ્રકાર

બસ એટલું નક્કી કરો – વિવેક કાણે ‘સહજ’

ડૂબવું છે? દિન-પ્રહર, બસ એટલું નક્કી કરો,
મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો.

કાં જતા કરવા પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ
ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો.

ધ્યેયસિધ્ધિ થઈ કે નહીં, એ પ્રશ્ન તદ્દન ગૌણ છે
કેટલી કાપી સફર, બસ એટલું નક્કી કરો.

જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં,
કઈ રીતે કોના ઉપર, બસ એટલું નક્કી કરો.

મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ,
શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો.

ભરવસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો,
કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો.

– વિવેક કાણે ‘સહજ’

આભમાં ઝીણી ઝબૂકે વીજળી…

સ્વર – ઉષા મંગેશકર
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – સુરઠિયા ની સોન ?

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !

આભમાં ઝીણી….

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઠા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

આપણે માનવી, મનના રે મેલા

પરમેશ્વરે પિંડ ધડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્રેસ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે. ખુબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે.

નરેશન : આપણે માનવી by મેહુલ

સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
ગુજરાતી આલબ્મ : ભવતારણમ “Bhav Taranam”

બુરા, જો દેખન મેં ચલીયો, હો…
બુરા, જો દેખન મેં ચલીયો, બુરા ન મિલયો કોઇ
જો તન ઢુંઢ્યો આપનો હો…
જો તન ઢુંઢ્યો આપનો, મુઝસે બુરો ન કોઇ

મનના રે મેલા હો…મનના રે મેલા
આપણે માનવી…હો..મનના રે મેલા…

મુક મીઠેરી, ભો માં તો યે
મુળ તો કડવા મેલા હો…
આપણે માનવી હો…

કઇ ધાતુ થી, ધડનારા યે
આપણા ધાટ ધડેલા હો…

ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
રોજ ના કાટ ચઢેલા…
મનના રે મેલા હો…

વણનારા એ, વણતી વેળા
તાર કેવા વણેલા હો…

ઉજળા એવા…હો…રંગ ચઢાવો
તો યે સદા ફટકેલા…
મનના રે મેલા હો…

અંધ કહે, કદરૂપ જીવ ને
વાહ સા રૂપ તમારા હો…

આપણે અરે રે…હો..હો…મુરખ કેવા
આપણા પર થયા ઘેલા…
મનના રે મેલા હો…

पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..


(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)

સ્વર – લતા મંગેશકર

સ્વર – આશિત દેસાઇ ?

पायोजी मैंने राम-रतन धन पायो.

वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने

जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने

खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने

सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने

मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने

– मीरांबाई

કંકુવર્ણુ આભ ખુલ્યું ને – વિહાર મજમુદાર

પ્રસ્તુત રચના ગરબાના ઢાળમા સ્વરબદ્ધ કરવાની શરુઆત કરી હતી અને અનાયાસ જે સ્વરાંકન થયું તે મરાઠી ભાવગીત જેવું બન્યું, તેથી ભાવગીતની અસર ઊભી કરવા શહેરના જાણીતા સંગીતજ્ઞ અને મિત્ર શ્રી ઉદય દડપેના કંઠમા રેકોર્ડ કર્યું. શ્રી માતાજીનો ગરબો – એક અલગ અંદાજમાં પ્રસ્તુત છે.

– વિહાર મજમુદાર

સ્વર: શ્રી ઉદય દડપે
શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર

કંકુવર્ણુ આભ ખુલ્યું ને
ઝગમગ પગલીના ઝાંઝરથી
ઠમકી, ધીમુ અવનિ ઉપર ઉતરી જગદમ્બા

સહસ્ત્ર નજરો જ્યાં પથરાઇ, એ ઝળહળતી કેડી
સૂર્યમુખીએ પાંદડીઓને આમ જ રમતી મેલી

કંકુવર્ણા નભથી નીસરી,તેજભર્યા કિરણો પ્રસરાવી
સૂર્ય નીરખતો, અવનિ ઉપર નીસરી જગદમ્બા

ઉમંગ ને ઉલ્લાસના આસોપાલવ ઝૂમે દ્વારે
શ્રદ્ધાના ટમટમતા દીવા કેડીને અજવાળે

કંકુવર્ણી પગલી પાડી, ચૌદ ભુવનની અંબા માડી
મલકી આછું, અવનિ ઉપર ઉતરી જગદમ્બા

– વિહાર મજમુદાર

સુખ – કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

બધુંયે એમ ને એમ રહે છે
આ પડદા – આ બારી – આ કૂંડાં
જરાય બદલાતાં જ નથી.
પણ કોણ જાણે શું થાય છે,
ક્યારેક ક્યારેક
ફૂલોમાં રંગ ભરાઈ આવે છે,
ટેબલક્લૉથ પર – તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણ હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે – શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આ જ છે?
બદલાતું તો કંઈ જ નથી…
આ પડદા – આ બારી – આ કૂંડાં …

– કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર / સંગીત – આશિત દેસાઇ

મને આપો આંખ મુરારી
પ્રભુ એક જ આશા મારી

રંગભરેલી રચના તારી
મારે કાળી કાળી
મને આપો આંખ…

જીવન કલ્પના જગત કલ્પના
કાળી આભ અટારી
કાજળ છાયા ડગલે ડગલે
જિંદગી જ્યાં અંધારી
મને આપો આંખ…

પ્રભાત કાળા સંધ્યા કાળી
કાળી સૃષ્ટિ સારી
હર અંધારે રોજ ભટકતો
દુનિયા લાગે ખારી
મને આપો આંખ…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ