Category Archives: કવિઓ

તો પણ છે તો પણ છે તો પણ છે… – – અનિલ ચાવડા

(આપણી વચ્ચે….                                                   …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

******

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

ગ્લૉબલ કવિતા : ૧૧૦ : વહાણવટું -રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

कुछ पाने के लिए कुछ खोना पडता है…

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો

બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.

રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.

કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’

નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.

વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.

નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.

નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)

સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.

તડકો – લાભશંકર ઠાકર

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

– લાભશંકર ઠાકર

ગ્લૉબલ કવિતા : ૧૦૯ : એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

એક વંટોળિયાળ દિવસ

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કણ-કણમાં પ્રાણ પૂરતા પવનનું કવન

ઑફિસના એના એ બિલ્ડિંગમાં રોજ જ જવાનું… એક-બે દિવસ નહીં, વરસોવરસ… કેવું કંટાળાજનક! ઓફિસના દરવાજે સ-રસ મજાનું નક્શીકામ કેમ ન કર્યું હોય અને એમાં હીરા-મોતી-સોના-ચાંદી પણ કેમ ન જડ્યા હો, એકના એક સ્થળે વારંવાર જવામાં મજા તો નહીં જ આવે. આ મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. પણ ઑફિસના મકાનની બહાર નાનો બગીચો હોય કે બે-પાંચ વૃક્ષો રોપ્યાં હોય કે દરવાજાની આજુબાજ ફૂલોના છોડવાળા કૂંડાં મૂક્યાં હોય તો આ કંટાળો જરા ઓછો થઈ જાય. એના એ ફૂલ-છોડ-વૃક્ષોની સામે રોજેરોજ જોવામાં આપણને ભાગ્યે જ કંટાળો આવે છે. એ જ રીતે, જીવનમાં સેંકડો સૂર્યાસ્ત કેમ ન જોયા હોય, પણ સૂર્ય ડૂબવાનો સમય હોય અને આપણે સનસેટ પૉઇન્ટથી દૂર હોઈએ તો આપણાં પગલાં આપોઆપ ઝડપી બની જતાં હોવાનું આપણે અનુભવ્યું જ છે. એનો એ સૂર્ય, એનું એ આકાશ પણ આકર્ષણ હંમેશા નવું. કારણ? કારણ એ જ કે પ્રકૃતિમાં જીવન છે અને જીવન હરહંમેશ પરિવર્તનશીલ જ હોય. પ્રકૃતિમાં કદી એકવિધતા હોઈ શકે જ નહીં. જ્યારે જુઓ, ત્યારે એ નવી ને નવી જ. કોઈ પણ વૃક્ષ કે છોડ કે આકાશ કે નદી-નાળાં-સમુદ્ર એવાને એવા બીજી વાર જોવા મળતા નથી. એના કદ-આકાર-રૂપ-રંગ: કંઈનું કંઈ સતત બદલાતું રહે છે. પ્રકૃતિમાં ફક્ત ‘ચેઇન્જ ઇઝ કોન્સ્ટન્ટ’ (હેરાક્લિટસ). આ જ કારણ છે કે પ્રકૃતિ કદી કંટાળો આપતી નથી. પ્રકૃતિ દરેક વસ્તુમાં જીવ રેડી દે છે, એ વાતને પવનના સાપેક્ષમાં કવિ એન્ડ્રૂ યંગ રજૂ કરે છે.

એન્ડ્રૂ જૉન યંગ. કવિ. લેખક. પાદરી. ૨૯-૦૪-૧૮૮૫ના રોજ એલ્જિન, સ્કૉટલેન્ડમાં સ્ટેશનમાસ્ટરના ઘરે જન્મ. આઠ વર્ષની નાની વયે કવિતા લખતા-વાંચતા થઈ ગયા. પ્રકૃતિ અને ફૂલોમાં ખોવાઈ જવાના શોખના કારણે શાળામાં અવારનવાર ગેરહાજર રહેતા એટલે એમની સ્કૉલરશીપ રદ કરવામાં આવી હતી. તોય ભણ્યા અને આર્ટ્સમાં કવિ બનવાની આશા સાથે અનુસ્નાતક થયા. ૧૯૦૭માં એમનો ભાઈ ડેવિડ રહસ્યમયરીતે ગાયબ થઈ ગયો. આ ઘટનાથી વ્યથિત થઈ વકાલત ભણવાનું છોડીને ન્યૂ કોલેજમાં ધર્મશાસ્ત્ર ભણ્યા. પણ કવિતાના સંસ્કાર એમ પીછો છોડે એવા નહોતા. દીકરાના દિમાગમાંથી કવિતાનો કીડો કાયમ માટે નીકળી જાય એ આશામાં ૧૯૧૦માં એમના પિતાએ પોતાના ખર્ચે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પણ કવિતા તો એમની કાયમી જીવનસંગિની હતી. એ જ અરસામાં શિક્ષિકા જેનેટ ગ્રીનને જીવનસંગિની બનાવી, જેણે બે બાળકોની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈને મૃત્યુપર્યંત પતિ માટે સાહિત્યકાર બનવાનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. અભ્યાસ બાદ યંગ ચર્ચમાં પાદરી તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી અલગ-અલગ ચર્ચોમાં અલગ-અલગ પદ પરથી સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક આરામ-છાવણીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી. એ પછી તેઓ પૂર્વી સસેક્સ, ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. અવારનવાર નર્વસ બ્રેકડાઉનના શિકાર થયા. સ્વભાવે તામસી પણ કવિતા એકદમ સાલસ. ૧૯૬૯માં પત્નીના અવસાનનો આઘાત જીરવી ન શકાતા, મૃત્યુની મનોકામના સેવતા-સેવતા અંતે બે જ વરસમાં ૮૬ વર્ષનું દીર્ઘાયુ ભોગવી ૨૫-૧૧-૧૯૭૧ના રોજ નિધન.

યંગની શરૂઆતની કવિતાઓ પર સ્વાઇનબર્ન અને ડેકડન્ટ્સ કવિઓની અને ત્યાર બાદ જ્યૉર્જિઅન કવિઓની છાયા વર્તાય છે. ત્રીસીના દાયકામાં કવિએ પોતાનો આગવો અવાજ શોધ્યો. એ. જે. યંગ નામથી લખેલા આગળના સંગ્રહોને રદ કરી એન્ડ્રૂ યંગના નામથી લખવાનું શરૂ કર્યું. હાથ આવ્યા એ તમામ સંગ્રહો એમણે નષ્ટ પણ કરી નાખ્યા. એ કવિતાઓ પોતાની નથી એવું સાબિત કરવા માટે ખાસ્સુ મથ્યાય ખરા. જૂની કવિતાઓ નવી શૈલીમાં એમણે ફરીથી પણ લખી. પણ જૂની કવિતાઓમાં પણ એમનો કસબ તો હતો જ અને કવિની ઇચ્છા વિરુદ્ધ સમયે એ રચનાઓ પણ સાચવી લીધી. લાઘવ અને સંગીત એમના પ્રધાન કાકુ. આધિભૌતિકતા (મેટફિઝિકાલિટી), સૂક્ષ્માવલોકન, પ્રકૃતિ, ઈશ્વર અને માનવજીવનમાં નૈતિક મૂલ્યો એમની કવિતાઓના જમા પાસાં ગણી શકાય. પ્રસિદ્ધ શૌકીયા વનસ્પતિશાસ્ત્રી પણ તેઓ હતા અને એમના પુસ્તકોમાં એની ઝાંખી પણ જોવા મળે છે. એમના કામને સ્વીકૃતિ અને પ્રસિદ્ધિ બંને ધીમી ગતિએ પ્રાપ્ત થયાં પણ આજે એમની કવિતાઓ વીસમી સદીની ‘અસ્વસ્થતાની વચ્ચે એક સ્વસ્થ અવાજ’ ગણાય છે.

‘એક વંટોળિયાળ દિવસ’ શીર્ષક આપણે પ્રકૃતિ કાવ્યમાં પ્રવેશી રહ્યા હોવાનો પહેલો ઈશારો આપે છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં વધુ પ્રચલિત પેન્ટામીટરના સ્થાને આયમ્બિક ટેટ્રામીટરમાં લખાઈ હોવાના કારણે આ કવિતા વંટોળિયાની જેમ વધુ ગતિશીલ બની છે. અંગ્રેજી કવિતાની પ્રાસરચના પણ ખાસ્સી અનિયમિત છે: abcc deed fghh ijk ijk. આવી તૂટેલીફૂટેલી પ્રાસયોજના પણ પવન જે રીતે વસ્તુઓને ઊડાડીને સેળભેળ કરી નાંખે છે એના જેવો જ અહેસાસ કરાવે છે. બીજું, અઢાર પંક્તિની આ આખી કવિતા કવિએ સળંગ જ રાખી છે. વચ્ચે-વચ્ચે વિરામચિહ્નો છે પણ પૂર્ણવિરામ છે…ક કાવ્યાંતે જ આવે છે. આમ આખી રચના એક જ વાક્યની બનેલી છે એમ ગણી શકાય. વિરામચિહ્નો ઉપરાંત ‘અને’ તથા ‘અથવા’ જેવા સંયોજકોના મિજાગરાઓ પર પંક્તિઓના દરવાજાઓ એક વાક્યમાં બંધાયેલા રહે છે. પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

‘આ પવન’થી વાત શરૂ થાય છે. ‘ધ વિન્ડ’ કહી દુનિયાના તમામ સ્થળો અને સમયોના પવનોનું સામાન્યીકરણ કરવાના બદલે કવિ ‘ધિસ વિન્ડ’ કહીને જે પવન એમની નજર સામે છે એની જ વાત પોતે કરી રહ્યા છે એમ ભારપૂર્વક જણાવે છે. આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે. કેવું સનાતન સત્ય! ટેબલ પર પુસ્તક પડી રહ્યું હોય અને પવન આવ્યો નથી કે પ્રાણ પૂરાયો ન હોય એમ એનાં પાનાં ફરફર્યાં નથી. પવન એટલે ગતિદાર હવા. હવા તો આપણી ચારેતરફ કણેકણમાં વ્યાપ્ત છે જ પણ એની હાજરીનો અહેસાસ ગતિ કે ગંધ વિના અસંભવ છે. આદિલ તો ત્યાં સુધી કહે છે કે, ‘બીજી તો કોઈ રીતથી જોઈ નહીં શકો, દૃષ્ટિ વિકાસ પામે તો દેખાય છે પવન.’ નિર્જીવ અને ખાસ તો ગેરહાજર ભાસતી હવા ગતિદાર બને છે ત્યારે એ એની અડફેટમાં આવનાર તમામ ચીજવસ્તુઓમાં જીવ રેડી દે છે. ગતિશીલ હવાનો હાથ ફરતાં જ સૃષ્ટિ આખી સજીવન થઈ ઊઠે છે. કવિ માત્ર થોડો સમય માટે વહીને ચાલ્યા જતા પવનની નહીં, પણ દિવસ આખો ફૂંકાયે રાખતો હોય એવા પવનની, એક વંટોળિયાળ દિવસ આખાની વાત માંડે છે અને પવનના સ્પર્શે જેનામાં જીવ ફૂંકાતો હોય એવી વસ્તુઓને એક પછી એક રજૂ કરે છે.

મોટાભાગનું આયખું શહેરમાં વીત્યું હોવા છતાં યંગની કવિતાઓમાં સ્કૉટલેન્ડના ગામડાં અને વન-વગડા સતત ડોકાતાં રહે છે. ડાળીઓ હવામાં પવનના કારણે જે રીતે હાલી રહી છે એ જોઈને કવિને એમ લાગે છે જાણે એ ચાબુક બનીને હવાની પીઠ પર વીંઝાઈ રહી છે. અને ખરીને સૂક્કાં થઈ પડેલાં પાંદડાંઓ ઉતાવળમાં હોય એમ ગડથોલિયાં ખાતાં ઊડાઊડ કરે છે. સૂકાં પર્ણોની વાત પરથી ‘ધ લિફ’ નામની એક કવિતા પણ યાદ આવે. યંગ કહે છે: ‘ક્યારેક પાનખરનું એક પાંદડું/જે જમીન પર ખરી પડે છે,/હૃદયમાં એક જખ્મ દઈ જાય છે,/અને જગાડે છે પુરાણા દુઃખને./પણ હું એટલે નથી રડતો/કે પાનખરમાં તમામ પર્ણો મરી જાય છે,/હું ફક્ત એટલે જ રડું છું કે મારે/એમને ખરતા જોવા જીવવું પડવાનું છે.’ કેવી સંવેદના! આવી જ સંવેદના ‘ઑટમ’ કવિતામાં પણ જોવા મળે છે જ્યાં યંગ ફૂલોને નિસ્તેજ પૃથ્વીની મીઠી આશાઓ અને સ્મૃતિઓથી ભરેલી જાગૃત આંખો કહી ઓળખાવે છે. ‘સ્લિપ’ કવિતામાં દિવસે ખીલેલાં ફૂલ રાત્રે બિડાઈને ફરી કળી બની જાય છે એ સંવેદન યંગ જે રીતે રજૂ કરે છે એના પરથી કવિની દૃષ્ટિ સામાન્યજનથી કઈ રીતે અલગ પડે છે એ સમજી શકાય છે:

ફૂલો ભૂત જેવા સફેદ છે,
ધૂમિલ શેરીની કોરે,
તેઓ સૂઈ જાય છે અને પલટાઈ જાય છે
કૂમળી કળીઓમાં રાતે.

એથી જ, ગીતો અને પાપો જે પ્રજ્વાળે છે
એના તમામ દર્દથી ક્લાન્ત,
હું પણ, સૂઈ જઈશ અને પલટાઈ જઈશ
એક બાળકમાં ફરીથી.

પુનઃ કવિતા પર નજર કરીએ. પવન સસલાંની બખોલમાં પણ ડોકિયાં કરી આવે છે અને ઝાડને એવી રીતે નમાવી દે છે જાણે પાડી દેવા ન માંગતો હોય! અહીં આગળથી વાક્યરચના થોડી અસંદિગ્ધ જણાય છે. સસલાંની બખોલમાં જે ઝાંકે છે એ કર્તા સ્પષ્ટ થતો નથી. એ જ રીતે અહીંથી આગળ જતાં સંયોજકો કાવ્યને ભલે સળંગ વાક્યમાં બાંધી રાખતા કેમ ન હોય, વાક્યને અટપટું અને ક્લિષ્ટ પણ બનાવે છે. જો કે પવનની કવિતા છે અને મજાની છે એટલે થોડી ભાષાકીય અનિયમિતતાને નજરઅંદાજ કરવામાં કશું ખોટુંય નથી. અસ્પષ્ટતા ઘણીવાર કવિતાના સૌંદર્યને અવરોધવાના બદલે વધુ ઉજાગર કરતી હોય છે. અહીં પણ પવનના તોફાન સાથે આ અનિયમિતતાનો તાલમેળ બેસતો નજરે ચડે છે. પવનના જોરથી દરવાજાંઓ ફટાક્ કરતાંકને ઊઘડી જાય છે અને પવનનું ઝાપટું વહી જતાં જ આપોઆપ એજ જોરથી ફરી બિડાઈ પણ જાય છે. ખેતરોમાં ઊગેલો પાક કે મેદાનોમાં ઊગેલું ઘાસ એવી રીતે લહેરાઈ રહ્યાં છે જાણે ખેતરો સાક્ષાત્ લીલો દરિયો બની ગયાં ન હોય અને રખડતાં ઢોર આ હરિતસાગરમાં જહાજ બનીને તરવા માંડે છે. તડકામાં ચમકી રહેલાં સૂકાં-કડક તણખલાંઓ હવાના કારણે ઊંચે ઊઠ્યાં છે અને હવા જાણે મકાનમાંની છાજલી ન હોય એમ એના પર આડાં પડ્યાં હોવાનું મજાનું કલ્પન કવિને સૂઝે છે. આદિલ મન્સૂરી સ-રસ વાત કરી ગયા:

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ,
સાકી બનીને જ્યારે સુરા પાય છે પવન.

તળાવના પાણીમાં પણ વંટોળિયાના પ્રભાવે મોજાં ઊઠી રહ્યાં છે, જે જોઈને એમ લાગે છે કે તળાવ પોતાની જાતનો ત્યાગ કરીને બહાર આવવા કૂદી રહ્યું છે. પોતાની જાતની કેદમાંથી મુક્ત થવું એ કદાચ સૌથી કપરી વસ્તુ છે પણ પ્રકૃતિ આ વરદાનથી સહુને નવાજે છે. પવનના સહારે તળાવ જેવા તળાવને સ્વમાંથી બહાર આવવાની તક મળે છે. કેનોપનિષદમાં વાયુદેવ યક્ષને કહે છે: ‘इदं सर्वम् अपि आददीय यत् इदं पृथिव्याम् इति॥’ (આ બધાને, આ પૃથ્વી પર જે કંઈ છે, એને હું મારામાં લઈ લેવા (ઉપાડી લેવા) સમર્થ છું). સાચી વાત છે, પવનની પાંખ મળે તો બીજી પાંખોની શી જરૂર? તણખલાંની જેમ પીંછાં પણ હવાના જોરથી ઊંચે ઊઠે છે અને ઊડે છે. એવું લાગે છે કે દરેક પીંછું એક પંખીમાં પલટાઈ ગયું છે. ‘ગો નાઉ, માય સૉન્ગ’ નામના નાનકડા ગીતમાં યંગ પોતાના ગીતને નાનકડા પંખીની ઉપમા આપીને એને પાંખ મજબૂત બનાવવા, ઊડવા, ઝપટવા, ડૂબકી મારવા આહ્વાન આપે છે. પાંખ ચીરી નાંખે એવા કાંટાની ફિકર ને લોકોની ઠંડીગાર નજરોથી ડર ન રાખી હિંમત ન હારવાનો સંદેશો આપે છે. પણ અહીં તો પીંછાં જ પંખી બની ગયાં છે.

દોરી પર સૂકવેલ ચાદરો પણ પવનમાં ફડફડે છે. પવન એના હજારો હાથથી આ ચાદરોને જાણે નિચોવી રહ્યો છે. ખેતરમાં ઊભેલા ચાડિયાના શરીર પર સૂર્યના તાપમાં તપી-તપીને લીલો પડી ગયેલો ડગલો છે, જેણે આવા કેટકેટલા પવનો સામે કામ આપ્યું હશે, એ પણ આ વાવંટોળમાં ઊતરુંઊતરું થઈ રહ્યો છે અને પવનમાં ડોલતો ચાડિયો જાણે કે એને ફરી પહેરવા મથી રહ્યો ન હોય એવું અદભૂત કલ્પન કરીને કવિ એકમાત્ર પૂર્ણવિરામ વાપરીને કવિતાને અંજામ આપે છે. આનાથી સાવ વિપરિત સૂર્યની સામે ટકી જ ન શકે એવો એક ડગલો યંગની ‘રેવનન્ટ’માં જોવા મળે છે, જેમાં નાયક જંગલમાં એકલો જ છે અને પચાસેક વર્ષમાં પરત ફરે છે -તેય એકલો જ, ભૂત બનીને જે જંગલ ખૂંદે છે અને જે સૂર્ય સામે ટકી નહીં શકે એવો હિમાચ્છાદિત ડગલો પહેરે છે.

કવિતા અઘરી જ હોય, એને સમજવામાં મહેનત કરવી જ પડે એવું બિલકુલ જરૂરી નથી. મૂલતઃ કવિતા અનુભૂતિનો પદાર્થ છે. યંગની આ કવિતા નિતાંત પ્રકૃતિચિત્ર છે. જયન્ત પાઠકની ‘અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી’ કવિતામાં જે કામ ઈશ્વર કરે છે, એ કામ અહીં પવન કરે છે. એ સૃષ્ટિની નિષ્પ્રાણ રગોમાં પ્રાણ પૂરે છે. કવિતાની દરેક પંક્તિમાં ગતિ છે. દરેક પંક્તિમાં નિર્જીવતા સજીવતામાં પલોટાતી નજરે ચડે છે. એક જ જગ્યાએ કવિ ઢોરનો ઉલ્લેખ સાથે સજીવ કલ્પન કરે છે પણ અહીં એ સજીવને નિર્જીવમાં, ઢોરને જહાજમાં પલટી નાંખે છે પણ ગતિ તો ક્યાંય અટકતી જોવા મળતી નથી. પંક્તિએ પંક્તિએ રજૂ થયે રાખતા નવીન કલ્પનો અને અવારનવાર આવ્યે રાખતા ‘અને’, ‘અથવા’ અને ‘તે-તેઓ’ જેવા સંયોજકો પવનની ગતિને લગરિક મંદ પડવા દેતા નથી. પવનના ઝડપી સુસવાટાની જેમ જ કવિતાના શબ્દો સુસવાટભેર ભાવકની ભીતર પ્રચંડ ગતિ અને શક્તિથી વાય છે અને આપણી અંદર જે કંઈ નિર્જીવ બચી ગયું છે એ તમામને સજીવન કરી દે છે. આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૮ : ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

ગ્લૉબલ કવિતાના મેન્યુમાં હવેથી લોકલ કવિતા પણ ઉમેરાય છે… એકાંતરે અઠવાડિયે ગુજરાતી કાવ્યાસ્વાદ રજૂ કરીશ… આપને આ ફેરફાર કેવો લાગ્યો એ જરૂર કહેજો…

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

કવિતા ક્યાંથી આવે છે? શી રીતે આવે છે? જાણો છો?

            શરીર પર જે સ્થાન ચામડીનું છે, એ જ સ્થાન મનુષ્ય માટે કળાનું છે. મનુષ્ય જ્યારે બોલતા પણ નહોતો શીખ્યો ત્યારે પણ એને કળામાં રસ પડતો. લાખો વર્ષ જૂની ગુફાઓમાંથી મળી આવેલાં ભીંતચિત્રો આ વાતની સાહેદી પૂરાવે છે. દુનિયાભરની અલગ-અલગ સંસ્કૃતિઓમાંથી જે પણ જૂનામાં જૂની હસ્તપ્રતો મળી આવી છે, એમાં કવિતા મોખરાનું સ્થાન ધરાવે છે. કવિતામાં મનુષ્યને રસ પડે જ છે પણ કવિતાની સર્જનપ્રક્રિયામાં તો સવિશેષ રસ પડે છે. કાવ્ય ગોચર છે પણ કાવ્યસર્જન અગોચર છે, ને કદાચ એટલે જ પરાપૂર્વથી સૃજનપ્રક્રિયાનો તાગ મેળવવાની કળાકારોની નેમ રહેતી આવી છે. અંદર કોઈક છે, જે મનોજ ખંડેરિયાની ભાષામાં સર્જકને મજબૂર કરે છે કાગળ પર પોતાને અવતારવા માટે:

             મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’,

            મને કોઈ મનમાંથી આપે છે જાસો.  

            કવિની ભીતર આ કઈ ગંગા ફૂટે છે, જેને સમયસર જટામાં ઝીલી ન લેવાય તો સૃષ્ટિનું ધનોતપનોત નીકળી જાય એની કવિઓને પહેલી કવિતા લખાઈ એ દિવસથી તલાશ છે. પ્રસ્તુત રચનામાં બ.ક.ઠા. સર્જનપ્રક્રિયાનું આવું જ એક પાનું ઉકેલવાની કોશિશ કરે છે.

            પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ ખાતે જન્મ. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને મેટ્રિક મુંબઈથી. જેમ શાળા, એમ કોલેજમાં પણ વારાફરતી ભાવનગર, મુંબઈ અને પૂણેને લાભ આપ્યો. ૧૮૯૩માં એમ.એ. કર્યા વિના જ પૂણેની કોલેજ છોડી દીધી. વારાફરતી કરાંચી, વડોદરા, અજમેર, અને અંતે પૂણેની કોલેજોમાં આધ્યાપક તરીકે સેવા બજાવી. ૧૯૨૪માં નિવૃત્ત થયાના ત્રણ વર્ષ બાદ પૂણે છોડી દસ વર્ષ વડોદરા અને ત્યારબાદ અંત સુધી મુંબઈ રહ્યા. રાજકોટના રાજકુમારના અંગત સહાયક બન્યા. અજમેર નગરપાલિકાના ચેરમેન થયા. શાળા, કોલેજ અને વ્યાવસાયિક પરિભ્રમણ જોઈને ખ્યાલ આવે છે કે ફરે તે ચરે કહેવતનો એમનાથી ઉચિત પ્રયોગ ભાગ્યે જ કોઈકે કર્યો હશે. ૦૨-૦૧-૧૯૫૨ના રોજ નિધન.    

            ઉત્તમ કવિ અને સર્વકાલીન શ્રેષ્ઠ વિવેચક. એ સિવાય નાટ્યકાર, નવલિકાકાર અને અનુવાદક પણ ખરા. ખાસ્સા પ્રયોગખોર. વિશ્વસાહિત્યના ઊંડા અભ્યાસુ પ્રો. ઠાકોર ગુજરાતી સૉનેટના પિતા ગણાય છે. એ આપણે ત્યાં પહેલવારકુ સૉનેટ લાવ્યા પણ અને સ્થિર પણ કર્યું. અંગ્રેજી બ્લેન્ક વર્સ (પ્રાસહીન પદ્ય)ની નજીક જવા માટે ભાગ્યે જ પ્રયોજાતા અગેય પૃથ્વી છંદનો એમણે એ હદે નવોન્મેષ કર્યો કે અનુગામી પેઢીઓનો એ પ્રિય છંદ બની રહ્યો. ગુજરાતી પિંગળને એના નિર્ણાયક તબક્કામાં જે રીતના પ્રભાવી નેતાની આવશ્યકતા હતી, એ ઠાકોરના રૂપમાં સાંપડ્યા. પ્રવાહી પદ્યના એ પ્રબળ હિમાયતી હતા. પ્રવર્તમાન વૃત્તો સાથે એમણે કરેલ સભાન પ્રયોગો ગુજરાતી કવિતાનું બહુમૂલ્યવાન ઘરેણું છે. પંડિતયુગના સાક્ષર કવિ હોવા છતાં એમણે કવિતામાં રસોર્મિ, વિચાર-બુદ્ધિ, અર્થસઘનતા, વિષયબાહુલ્ય વિ.ને પ્રાધાન્ય આપ્યું હતું. વેવલાવેડામાં રમમાણ, પોચટ, આંસુ સારતી, વધુ પડતી શબ્દાળુ ગુજરાતી કવિતાના તેઓ વિરોધી હતા. બ.ક.ઠા.ની કાવ્યરીતિએ અનુગામી પેઢીઓને દીર્ઘકાળ સુધી પ્રભાવિત કરી છે.  

             ભણકારા’ સૉનેટ વિશે વાત કરતાં પહેલાં સૉનેટનો ઇતિહાસ જોઈ લઈએ. નદી એના ઉદગમસ્થાનેથી નીકળે છે ત્યારે નાનકડી ધાર સમી હોય છે, પણ પ્રવાહ જેમ જેમ આગળ વધે તેમ તેમ એમાં અનેક નાળાં-વેકળાંઓ ઉમેરાતાં જાય છે અને પ્રવાહ વિશાળ થતો જાય છે. નદી માર્ગમાં ક્યાંક ઝરણાં જેવી તોફાની, તો ક્યાંક ધોધ જેવી વિકરાળ અને વળી ધીર-ગંભીર થયેલી પણ જોવા મળે છે. અલગ-અલગ પૃષ્ઠભૂ સાથે સમરસ થઈ આગળ વધતી નદી માર્ગમાં સેંકડો વળાંક લઈ આખરે સાગરમાં ભળી જઈ સાગર બની જાય છે. કવિતા વહેતી નદી જેવી છે… કવિતા કવિના ઉરઝરણથી ફૂટીને ભાવકના ઉરસાગરમાં ભળી જાય છે. કાળના પટ પર વહેતી કવિતાના માર્ગમાં હજાર ચડાવ-ઉતાર આવે છે, એમાં સતત કંઈને કંઈ નવું ભળતું રહે છે, એ સતત જૂનું કાંઠે છોડીને આગળ વધે છે અને સમયે સમયે એના રૂપરંગ પણ સતત બદલાયે રાખે છે. મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, નાટ્યકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, અછાંદસ –એમ કાવ્યના પ્રકારો સમયસમયાંતરે નદીના રૂપની જેમ બદલાતા આવ્યા છે.

            સૉનેટ આવો જ એક કાવ્યપ્રકાર છે. ૧૩મી સદીમાં ઇટલીમાં સિસિલિઅન કવિઓ જેમ કે જિઆકોમો ડ લેન્ટિની જેવાના હાથે સૉનેટનો જન્મ થયો, પેટ્રાર્કના હાથે એ શુદ્ધિકરણ પામ્યું અને ૧૬મી સદીમાં સર થોમસ વાયટ તથા હેન્રી હૉવર્ડ, અર્લ ઑફ સરેનો હાથ ઝાલીને એ અંગ્રેજીમાં આવ્યું. શેક્સપિઅર, મિલ્ટનના હાથે એનો નવોન્મેષ થયો અને પ્રસિદ્ધિના ચરમશિખરે એ પહોંચ્યું. ૧૯મી સદીના અંતભાગમાં સૉનેટ ગુજરાતમાં આવ્યું. જમશેદજી નસેરવાનજી પેટિટ નામના પારસી કવિના સંગ્રહ ‘મારી મજેહ અને બીજી કવિતાઓ’માં ચૌદ પંક્તિની રચનાઓ જોવા મળે છે પણ એમાં સૉનેટના મૂળભૂત સૌંદર્યનો અભાવ છે. એમના પછી ૧૮૮૮માં બ. ક. ઠાકોરે ‘ભણકારા’ સૉનેટ આપ્યું, જેને ગુજરાતી ભાષાના સર્વપ્રથમ સૉનેટનું બહુમાન મળ્યું છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે. વીસમી સદીમાં સૉનેટે ગુજરાતમાં એવી લોકચાહના મેળવી કે સૉનેટ લખ્યું ન હોય એને કવિ હોવાનો દરજ્જો મળવો મુશ્કેલ હતો પણ ભાષાની ક્લિષ્ટતા અને અન્ય કેટલાક કારણોસર એ ગીત-ગઝલ-અછાંદસના આક્રમણને ખાળવામાં વિફળ રહ્યું અને વીસમી સદીના અંતભાગથી લઈને આજદિન સુધીમાં સૉનેટની લોકપ્રિયતા સતત ઓસરતી આવી છે.

             ભણકારા’ સૉનેટ અષ્ટક અને ષટક મુજબ ખંડ-વહેંચણીના કારણે પેટ્રાર્કશાઈ સૉનેટ હોવાનો ભાસ કરાવે છે. (શેક્સપિરિઅન સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું હોય છે.) પણ પેટ્રાર્કશાઈ સૉનેટથી વિપરિત ઠાકોરે અ-અ બ-બ ક-ક ડ-ડ પ્રકારે પ્રાસરચના કરી હોવાથી ગઝલના મત્લાઓમાંથી પસાર થતા હોવાના ભણકારા સંભળાય છે. આ નવીન પ્રાસરચનાના કારણે રચના વધુ પ્રવાહી પણ બની છે. કવિતાની મંદ ગતિને અનુરૂપ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે. એ જમાનામાં છંદનું માપ જાળવવા માટે લિપિમાં હૃસ્વ-દીર્ઘની જે છૂટો લેવાનો રિવાજ હતો એ અહીં પણ નજરે ચડે છે. મોટા ભાગની પંક્તિઓમાં પંક્તિ અને વાક્ય કે વાક્યાંશ હાથમાં હાથ મિલાવી ચાલે છે. પંક્તિ પૂરી થાય ત્યાં વાક્ય પણ પૂરું થાય છે. માત્ર પાંચમી, સાતમી અને તેરમી પંક્તિમાં અપૂર્ણાન્વયનો હાથ ઝાલીને વાક્ય એકમાંથી બીજી પંક્તિમાં રેલાય છે. આત્મકથનાત્મક શૈલીના આ સૉનેટમાં અષ્ટક પછી તરત ભાવપલટો (વોલ્ટા) આવે છે અને કાવ્યાંતે ધારી ચોટ પણ.    

            રાત્રિના છેલ્લા પહોરનો સમય છે. થોડી વારમાં જ રાતનું સ્થાન ઉષા લેશે. ભડભાંખળું થવામાં જ છે. આવા સમયે શાંત વહેતી નર્મદા નદીમાં એક નાની અમથી નાવમાં કવિ આડા પડ્યા-પડ્યા પ્રકૃતિપાન કરી રહ્યા છે. નર્મદા જેવી નદીમાં આવા સમયે નાનકડી નાવમાં કોઈ પાગલ જ એકલો નૌકાયાને નીકળે! કવિ જો કે શાણપણ અને ગાંડપણની વચ્ચેની પાતળી ક્ષિતિજ પર વસવાટ કરતું પ્રાણી છે. કવિ જ શા માટે, કળાકારમાત્રને આ વાત લાગુ પડે છે. દુનિયાથી અલગ ચાલવા માટે ગાંડપણ અનિવાર્ય છે. અને ભણકારાના નાયક પાસે એ પૂરતી માત્રામાં હોવું જોઈએ એમ માની શકાય છે. જ્યાં નાવ છે ત્યાં નર્મદાનો પટ ખાસ્સો વિશાળ હોવો ઘટે કેમકે એક તરફ કિનારા પરનું ધુમ્મસ આઘે ઊભું છે અને નદીના શાંત પાણી પણ સુપ્ત છે. દૂર કિનારે ધુમ્મસમાં અદૃશ્ય હોઈ માંડ નજરે ચડતાં વૃક્ષો ઊંઘી રહ્યાં હોવાની મજાની કલ્પના સાથે સૉનેટનો પ્રારંભ થાય છે. અને નર્મદા જાણે કોઈ સુંદરી સૂતી હોય એમ શાંત છે. ઊંઘમાં કોઈ મીઠું સ્વપ્ન આવે અને હોઠ ધીમું-ધીમું મલકે એમ શાંત સૂતી નર્મદાસુંદરી પણ સોહી રહી છે. છાતી ધડકે અને શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે સ્તનયુગ્મ જેમ ઊંચાનીચા થાય એમ નદીના નિદ્રાવશ નીર હળુહળુ ઊંચાંનીચાં થાય છે. સ્તન પરનો તલ જે રીતે સ્તનની સાથે આપોઆપ પડે-ઊપડે એ જ રીતે નાયકની નાવ પાણીમાં આપોઆપ ધીમીધીમી હાલકડોલક થાય છે. (મેળે એટલે આપોઆપ) અહીં કવિતાનું પ્રથમ વાક્ય પૂરું થાય છે અને કવિનો કેમેરા દૂરની સૃષ્ટિ પરનું ઝૂમ સંકોરીને પોતાના પર ક્લૉઝ-અપ સુધી આવ્યો હતો એ હવે વાઇડ-એંગલ લેન્સ વડે ચાંદની અને વાયુ જેવા પ્રકૃતિતત્ત્વો પર ફોકસ કરે છે.  

            માણસને ઊંઘવા માટે અંધારું જોઈએ છે. આંખ પર પ્રકાશનો ધોધ વરસતો હોય તેવામાં ઊંઘવું દોહ્યલું છે. કવિ પ્રભાત પૂર્વેના ચાંદનીજડિત અંધકારમાં કિનારે ધુમ્મસમાં સૂતાં વૃક્ષો અને શાંત સરિતાજળની પેઠે સૃષ્ટિ સમગ્ર હજી નિદ્રાધીન હોવાનું કલ્પે છે. નિજના માથે ઊગેલી શુદ્ધ ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ ચોંકીને સફાળી જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ આ સમયે તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે લપાઈ રહી હોય એમ સુપેરે પ્રગટ થતી નથી. સંધ્યાકાળે સૌંદર્યઘેલો થઈ ભમરો કમળના ફૂલમાં રસપાન કરવા ભરાય છે ત્યારે એને ભાન નથી હોતું કે રાત ચડતાં જ કમળ બીડાઈ જશે અને એ રાતભર માટે કેદ થઈ જશે. રાતભર કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો, રાતભરની કેદની તથા ઊંઘની અસરના કારણે જે રીતે નાજુક પગલે ડોલે, સૂએ એમ આ પવન પણ ધીમો-ધીમો વાઈ રહ્યો છે. ટૂંકમાં, આ એવો સમય છે, જ્યાં જડચેતન સઘળું જાણે હજી ઘેનમાં છે.

            ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદોના લવારા કરે છે. આ છંદ-આ કવિતા સાવ નવી છે અને અધૂરી પણ છે પણ એ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વયંસ્ફુરિત છે એટલે એ અગત્યની છે. નાયકને પ્રશ્ન પણ થાય છે કે શું એ કવિતાના લવારા કરી રહ્યો છે કે પછી નદીના ડોલતા પાણીની ગતિ ઉપર મંદ-મંદ રણકતી વીણાના તાર સજાવી રહ્યો છે. નિતાંત પ્રકૃતિના અસીમ ખોળામાં અર્ધનિદ્રા-અર્ધજાગૃતિના સમાધિસુખનો આનંદ લેતી વખતે આ ભણકારા શેના થાય છે? પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યાં છે. આ ટીપાંઓનું ઉદગમસ્થાન કયું? આ ઝાકળબુંદો જાણે રાતના હૈયામાંથી, નર્મદાના વ્હેણમાંથી, આકાશગંગામાંથી સરી રહેલ ચાંદી જેવી ચાંદનીની રજમાંથી કે પછી ફીણમાંથી બનેલ વાદળીમાંથી બન્યાં છે. પ્રકૃતિના હૈયામાંથી રાત ટપકી રહી હોય, નર્મદાના વ્હેણમાંથી કોઈક અગમ વાણી ફૂટી રહી હોય, આકાશગંગામાંથી ચાંદની નહીં, ચાંદીના કણ વરસી રહ્યાં હોય અને ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે કવિના સુકોમળ પુષ્પ જેવા હૃદયની પાંદડીઓ પર બરફમાંથી બનેલ મોતી ન હોય એવાં પરિશુદ્ધ કાવ્યઝાકળબુંદ ઝમી રહ્યાં છે. કવિના અંતરમાં છાનીછપની ન જાણે શી-શી તરેહની છાની ભીની બાની નીતરી રહી છે, નીંગળી રહી છે…  ‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો ૧૮૯૦ પછીથી એમણે ત્યાગ કર્યો હતો.

            રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, ‘કવિતા ત્યારે થાય છે જ્યારે લાગણીને એનો વિચાર મળી જાય અને વિચારને એના શબ્દો.’ પ્રકૃતિમાં ઊઠી રહેલા ભણકારાઓને કવિ સાંભળે છે અને એની લાગણીઓને વાચા મળે છે. ઝોન કોક્ટો (Jean Cocteau) પણ યાદ આવે: ‘કવિ શોધ નથી કરતો. એ સાંભળે છે.’ ભણકારા એટલે ભ્રાંતિજનક અવાજ. ભણકાર એટલે અવાજ નહીં, અવાજનો આભાસ. અહીં પ્રકૃતિ બિલકુલ નીરવ છે. નદી, વૃક્ષો, વાયુ, ચાંદની, નાવ, નાવમાં સૂતેલો નાયક –બધું જ શાંત છે. ક્યાંય કોઈ અવાજ નથી. પ્રક્તિની આ શાંતતાના ભણકારા કવિહૃદય ઝીલે છે. કુદરતની અવર્ણનીય રમણીયતાના ભણકારા કવિઉરમાં કાવ્યપિંડ બાંધવામાં કેવા સહાયક થાય છે એ કવિએ અજરામર સૉનેટની સહાયથી તાદૃશ કરી આપ્યું છે. સર્જનપ્રક્રિયા શું હોઈ શકે એ વિશેની આ અભૂતપૂર્વ રચના ગુજરાતી વાણીરાણીનું અમૂલ્ય છોગું છે.

ગ્લૉબલ કવિતા: ૧૦૭ : જેલીફિશ – મેરિઆન મૂર

A Jelly-fish

Visible, invisible,
…a fluctuating charm
an amber-tinctured amethyst
…inhabits it, your arm
approaches and it opens
…and it closes; you had meant
to catch it and it quivers;
…you abandon your intent.

– Marianne Moore

જેલીફિશ

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-છાંટ્યો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે અને એ ખૂલે છે

અને એ બીડાય છે; તમે ધાર્યું હતું
એને પકડવાનું અને એ કાંપી ઊઠે છે;
તમે પડતો મૂકો છો તમારો ઈરાદો.


– મેરિઆન મૂર

(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા કેવી હોય? તો કે, જેલીફિશ જેવી…. ખરું?

                 તમે કોઈ દિવસ ડુંગળી છોલવા બેઠા છો? એક પડ દૂર કરો ને અંદરથી બીજું નીકળે. બીજું હટાવો કે ત્રીજું પડ પ્રગટ થાય. ત્રીજાથી છૂટકારો મેળવ્યો નથી કે ચોથું દૃષ્ટિગોચર થાય. ચોથાની નીચે પાંચમું, છઠ્ઠું ને એમ એક પછી એક પડ કાઢતા જાવ તો અંતે શું આવે હાથમાં? શૂન્ય?! આ આખી પ્રક્રિયા દરમિયાન આંખમાંથી આંસુની આડપેદાશ હાથ લાગે એ નફામાં. પણ ડુંગળી, અને ડુંગળી છોલવાની આ ક્રિયાને કવિતા સાથે સરખાવી શકાય ખરું? માત્ર કવિતા સાથે જ શા માટે, માનવમન સાથે કે માનવસંબંધો સાથે પણ સરખાવી શકાય ને? એક પડ ઉખેડો કે બીજું.… બીજું કાઢો કે ત્રીજું… એક અર્થ કાઢો કે તરત બીજો અર્થ જડી આવે. બીજો અર્થ વિચારો ત્યાં તો ત્રીજો જ કોઈ અર્થ જડી આવે. વિચારી વિચારીને મગજનું દહીં કરી નાંખો (ડુંગળીના બધા જ પડ ઉતરડી નાંખો) ત્યારે જે શૂન્યાવકાશ બચી જાય એ? સાચે જ, એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવી શકે છે. કવિતા હોય કે પછી કોઈ પણ કળા- એની ખરી કમાલ જ આ છે. આ બહુપડળત્વ જ ખરી કવિતા છે. અને બધા જ પડ એક પછી એક ઉતરડી નાંખીએ એ પછી હાથમાં અંતે જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને શૂન્યનો સાક્ષાત્કાર એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાફલ્ય છે, ન કે એનો મતલબ. ડુંગળીના નહીં, જેલીફિશના સંદર્ભમાં મેરિઆન મૂરની આ કવિતા કવિતાની આવી વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

                 મેરિઆન ક્રેગ મૂર. જન્મ ૧૫-૧૧-૧૮૮૭ના રોજ અમેરિકાના મિઝોરી ખાતે. પિતા જોન મિલ્ટન મૂર ઇજનેર અને સંશોધક હતા પણ માનસિક સમસ્યાનો શિકાર બનતા મા-બાપ મેરિઆનના જન્મ પહેલાં જ અલગ થઈ ગયા. મેરિઆનના નસીબમાં પિતાને કદી પણ જોવા-મળવાનું લખાયું નહોતું. બંને ભાઈ બહેન માતાની દેખરેખમાં અને દાદાના પ્રભાવમાં મોટા થયા. ઇચ્છા તો ચિત્રકાર બનવાની હતી પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ કોલેજના સામયિક માટે એમણે લખવાનું શરૂ કર્યું અને આમ, અકસ્માતે સાહિત્યકાર બની ગયાં. આખો પરિવાર ખૂબ જ ધાર્મિક. પરસ્પર ધોધમાર પત્રો લખવાની સહુને આદત હતી. ૧૯૧૫માં એમની કવિતાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવી શરૂ થઈ અને ટૂંક સમયમાં જ એઝરા પાઉન્ડ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, એલિયટ, વૉલેસ સ્ટિવન્સ જેવા કવિઓની પ્રસંશા પ્રાપ્ત થઈ. થોડો થોડો સમય ઇન્ડસ્ટ્રિઅલ સ્કૂલમાં વ્યાવસાયિક વિષયો શીખવ્યા, ક્લબમાં, લાઇબ્રેરિઅન તરીકે, સામયિકના સંપાદક તરીકે પણ કામ કર્યું. પુલિત્ઝર જેવા અનેક પારિતોષિકોથી વિભૂષિત થયાં. ત્રિકોણી ટોપી અને કાળો ઝભ્ભો એમની ઓળખ બની રહ્યાં. માતાના અંતિમ શ્વાસ સુધી એની સાથે રહ્યાં. આજીવન કુંવારા રહ્યાં. બોક્સર મહંમદ અલી તથા બેઝબોલના ચાહક. લકવાના નાનામોટા અનેક હુમલા પછી ૦૫-૦૨-૧૯૭૨ના રોજ ૮૪ વર્ષની વયે ન્યૂ યૉર્ક ખાતે દેહાવસાન. અનેક માનદ પદવીઓ તથા અમેરિકન કવિને મળે એ તમામ માનસન્માન એમને પ્રાપ્ત થયાં હતાં. ન્યૂ યૉર્ક ટાઇમ્સે આખું પાનું ભરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી.   

                 મેરિઆનની ગણના વીસમી સદીના મુખ્ય આધુનિક અમેરિકન કવિઓમાં મોખરાના કવિ તરીકે થાય છે. પ્રચલિત આયમ્બ પદ્ધતિના બદલે તેઓ કવિતામાં જૂની સિલેબિક પદ્ધતિ પ્રયોજતાં. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી એમની રચનાઓ હકીકતે તો માનવસ્વભાવ અને વર્તણૂંકને જ ઉભારે છે. પોતાના સમયના સાહિત્યપ્રભાવમાં વિશેષ તણાયા વિના એમણે મૌલિક સર્જન કર્યું. પાઉન્ડ તથા કાર્લોસ સાથેની મિત્રતાના પરિણામે ઇમેજિસ્ટ પોએટ્રીની ઝાંય ક્યાંક જોવા મળે છે ખરી. મુક્ત કાવ્યમાં પણ એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. એલિયટે એમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું હતું: ‘છેલ્લા ૧૪ વર્ષોથી મારો દૃઢ વિશ્વાસ યથાવત્ રહ્યો છે કે કુમારી મૂરની કવિતાઓ આપણા સમયમાં લખાયેલ ટાંકભાર ટકાઉ કવિતાઓનો એક ભાગ છે.’

                 મેરિઆનની કવિતા ‘જેલીફિશ’ વિશેની વાત આપણે ડુંગળીના પડ જેમ એક પછી એક ખોલીએ એમ પડ ઊતારતાં જતાં જ કરીએ તો? ચાલો ત્યારે, પહેલું પડ ખોલીએ. કવિતાના આકારની વાત કરીએ. પણ એ કરતાં પહેલાં ૧૯૦૯માં લખાયેલ આ જ કવિતાના મૂળ સંસ્કરણને જોઈએ:

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-રંગી નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખૂલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખૂલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

                 મેરિઆનને કવિતાઓમાં સુધારા કરવાની પ્રબળ ટેવ હતી. જેમ એઝરા પાઉન્ડે ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’માં કર્યું હતું એ રીતે ‘પોએટ્રી’ શીર્ષકની કવિતા તો એમણે ૨૯માંથી ૩ પંક્તિની કરી નાંખી હતી. પોતાની સમગ્ર કવિતાના પુરાલેખમાં એમણે લખ્યું હતું: ‘બાદબાકી એ અકસ્માત નથી.’ જેલીફિશ કવિતામાં પણ એમણે કાપાકૂપી કરી. ૧૯૬૭ની સાલમાં ઉપરની પંક્તિઓમાંથી આઠ પંક્તિઓ બનાવીને પાછળની આખી પૂંછડી જ કાપી નાખી. જૂની કવિતામાં છંદ અને પ્રાસ પણ સિફતથી હાથ આવતા નથી, જ્યારે આ આઠ પંક્તિની કવિતામાં મેરિઆને એકાંતરે ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજ્યા છે, જે જેલીફિશના વિસ્તરણ અને સંકોચનની ક્રિયાનો ભાસ લય વડે કરાવે છે. પહેલી ચાર પંક્તિઓમાં ૪/૩/૪/૩ પ્રમાણે અને છેલ્લી ચાર પંક્તિઓમાં ૩/૪/૩/૪ મુજબ છંદ પ્રયોજ્યો છે, જે ફરી એકવાર પહેલી ચાર પંક્તિઓમાં સંકોચન અને છેલ્લી ચાર પંક્તિઓમાં વિસ્તરણનો અહેસાસ કરાવે છે. અને બેવડા ક્રમની પંક્તિઓમાં પ્રાસ પણ મળે છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે અથવા જેલીફિશના આકારની મદદ લઈને કવિતાની જ મૂળભૂત પ્રકૃતિ તાદૃશ કરી આપી છે.

                 જેલીફિશ તો લગભગ બધાએ જોઈ જ હશે. જિલેટીન જેવી પોચી, પારભાસક કાયા ધરાવતી જેલીફિશ છત્રી કે પેરાશૂટ આકારનું શરીર અને એની સાથે જોડાયેલા દોરી જેવા અનેક તાંતણાઓ (ટેન્ટકલ્સ)ની બનેલ હોય છે. અમુક જેલીફિશમાં આ તાંતણાઓની લંબાઈ સો ફૂટથીય વધુ હોય છે, અર્થાત્ બ્લુ વ્હેલ કરતાંય લાંબા. એમનું માથું એક મિલીમીટર જેટલું નાનું પણ હોઈ છે અને બે મીટર જેટલું મોટું પણ. નામમાં જ ‘ફિશ’ શબ્દ હોવાથી આપણે સહેજે એને એક પ્રકારની માછલી ગણી લઈએ છીએ પણ હકીકતમાં તેઓ અપૃષ્ઠવંશી કે અકશેરુકી પ્રાણી છે. દૂધની અર્ધપારદર્શક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓના આકાર-લંબાઈ સતત વધ-ઘટ થતા દેખાય છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. એના તાંતણાઓમાં ડંખકોશિકાઓ હોય છે, જેના વડે તે પોતાના શિકારને બેહોશ કે લકવાગ્રસ્ત કરી દે છે અને આરોગી જાય છે. વજન વધી જાય તો તરી ન શકાય એ કારણોસર એમની પાચનક્રિયા અવિશ્વસનીય રીતે ઝડપી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે. મનુષ્યો માટે એમનો ડંખ ખાસ્સો પીડાદાયક અને કોઈક કિસ્સામાં જીવલેણ સુદ્ધાં બની શકે છે. જેલીફિશ કરડી જાય તો અસરગ્રસ્ત ભાગ પર સરકો (વિનેગર) લગાવવો પડે છે અથવા ખારા પાણીમાં જે-તે ભાગ ડૂબાડી રાખવાનો રહે છે. પણ ઘા ઘસવા ગયા કે મીઠા પાણીથી ધોવા ગયા તો મર્યા જ સમજો.    

                 મેરિઆન યુગયુગોથી મનુષ્યજાતિને આકર્ષતી આવનાર જેલીફિશની વાત બહુ ઓછા શબ્દોમાં કરે છે. જેલીફિશની જેમ જ કમનીય દેહયષ્ટિ ધરાવતી આ રચના વાંચતાવેંત આકર્ષી લે છે. વાતની શરૂઆત આપણે ડુંગળીથી કરી. ચાલો, ફરી ડુંગળીનું એક પડ ઉઘાડીએ.. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું, એની પ્રકૃતિનું અને સ્વબચાવ માટેની એની કોશિશનું સરળ ભાષામાં વર્ણન કરે છે. એક્વેરિયમમાં નહીં પણ સમુદ્રજળમાં જેમણે જેલીફિશ જોઈ હશે એમને ખ્યાલ હશે કે ઘણીવાર એ એટલી પારદર્શક હોય છે કે પાણીમાં એની હાજરીની નોંધ લેવી દુષ્કર થઈ પડે. કચ્છમાં માંડવીના દરિયામાં નહાતી વખતે મારા ખોબામાં એકવાર નાનકડી જેલીફિશ અકસ્માત આવી ગઈ હતી ત્યારે મને આ વાતનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હતો. પ્રકાશ અને પાણીના સંયોજનના કારણે એક ઘડી એ નજરે ચડે છે તો બીજી જ ઘડીએ અદૃશ્ય થઈ ગઈ હોવાનો ભાસ થાય છે. જેલીફિશ જોઈને મંત્રમુગ્ધ ન થયો હોય એવો માનવી જડવો દોહ્યલો છે. એનું એકધારું વધઘટ થતું કામણ વશીકરણ કર્યા વિના રહેતું નથી.

                 જેલીફિશ માટે મૂર ‘અંબર-છાંટ્યો નીલમણિ’ વિશેષણ વાપરે છે. મૂળ કવિતામાં એ ‘રંગ’ શબ્દ વાપરે છે જ્યારે નવા સંસ્કરણમાં એનું ‘છાંટ’ કરી નાંખે છે. રંગ ભેળવી દેવા કરતાં છાંટ ઉમેરવાની પ્રક્રિયા વધુ ‘આર્ટિસ્ટિક’ છે. અંબર યાને નારંગીઝાંયવાળા પીળા રંગને ગુજરાતીમાં શું કહીશું? કદાચ અંબર જ કહેવું પડે. ભાષાની વિશિષ્ટતા ગણો કે વિવશતા, દરેક શબ્દ, વસ્તુ, અનુભૂતિનો સર્વાંગ તરજૂમો શક્ય જ નથી. અહીં તો અંબરને અંબર જ કહેવા માટે એક બીજું પણ કારણ છે. ઘણી જેલીફિશમાં છત્રી જેવી કાયા ભૂરાશ પડતી અને અંદર તરફનું મોઢું પીળાશ પડતું હોય છે પણ મૂરનો ઈરાદો જરા અલગ લાગે છે. ઝાડમાંથી જે રાળ ઝરે એ જામી જાય અને લાખો-કરોડો વર્ષ પછી એ અશ્મિનું સ્વરૂપ ધારણ કરે ત્યારે જે સ્ફટિક જેવો પદાર્થ હાથ આવે છે એનો રંગ અંબર રંગ તરીકે ઓળખાય છે. રંગ જેવા અપરિમાણીય તત્ત્વને મૂર અંબર સાથે સરખાવીને લંબાઈ-પહોળાઈ અને ઊંડાઈની સાથે સમયનું પરિમાણ ઉમેરીને ચતુષ્પરિમાણીય બનાવી દે છે. પૃથ્વીના પટ પર, સૉરી, સમુદ્રમાં જેલીફિશ લાખો કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ડાયનૉસોરનો જન્મ પણ નહોતો થયો, એ સમયે પણ જેલીફિશનું અસ્તિત્વ હતું. આમ, અંબર શબ્દ પ્રયોજીને મૂર અંબર અને જેલીફિશ-બંનેના અસ્તિત્વના કરોડો વર્ષના સમયગાળાને અડખેપડખે મૂકવામાં સફળ થાય છે. વળી, જ્યારે એ અંબર-છાંટ્યો નીલમણિ કહે છે ત્યારે રાળને ખનિજ સ્ફટિકનો દરજ્જો આપે છે. જેલીફિશનું પાણીપોચું શરીર હકીકતમાં ૯૫% પાણીથી જ બન્યું છે એટલે એની મૃદુતા સામે આ રૂપક તીવ્ર વિરોધાભાસ ઊભો કરે છે. પણ યાદ રાખવાનું છે કે આ કવિતા છે. અને કવિઓ સંવેદનાને ધાર આપવા માટે ઘણીવાર અભિધા અને ભૌતિક વૈજ્ઞાનિક તથ્યોને અતિક્રમી જતા હોય છે એ આપણે ભૂલવાનું નથી. નિરંકુશ છળની આ દુનિયાને ગ્રીકમાં Poeisis  –એ ગતિવિધિ જેમાં પૂર્વાઅસ્તિત્વ ન હોય એ સર્જવામાં આવે- કહી ઓળખાવે છે. 

                 આ અંબર ઝાંયવાળા નીલમણિમાં દૃશ્ય-વધઘટ થતું અદૃશ્ય કામણ રહે છે. માત્ર ત્રણ પંક્તિ અને નવ-દસ શબ્દોમાં જ કવયિત્રી જેલીફિશનું સચિત્ર સર્જન કરી આપે છે. છે ને કમાલ! કવિતામાં બીજા પુરુષ એક/બહુવચનનો સમાવેશ થાય છે: ‘તમારો હાથ.’ આ હાથ વાચકનો, આપણો હાથ છે. આપણો હાથ જેલીફિશની નજીક પહોંચે છે અને એ ખોલબંધ થાય છે. આપણો હાથ એના તરફ એને પકડવાના ઈરાદાથી લંબાયો છે. સમગ્ર માનવજાતની કુલ પ્રકૃતિ કવયિત્રી ‘તમે ધાર્યું હતું એને પકડવાનું’ કહીને ઊઘાડી પાડી દે છે. આપણો સ્વભાવ છે કે જે વસ્તુ ગમી જાય એને હાથમાં લેવી, એનો કબ્જો મેળવવો. સૌંદર્યને આંખોથી જોઈને મનુષ્ય કદી ધરાયો નથી. ચાંદને પણ જોયો તો એના પર પગ મૂકવાનું સપનું જોયું ને આખરે એને પણ હાથમાં લઈને જ જંપ્યો. ગમતી ચીજને ઝબ્બે કર્યા વિના માણસને ચેન પડતું જ નથી. એમાંને એમાં પ્રકૃતિ સમસ્તની ખો નીકળી ગઈ છે. એમાંય આ તો અલગારી કામણગારી જેલીફિશ. એના તો જાદુ જ નોખા. રંગ જ અલગ. સંકોચન-વિસ્તરણની અદા જ નિરાળી. એને પકડવાનું મન ન થાય તો મનુષ્યએ પોતાના મનુષ્ય હોવા અંગે જ શંકા કરવી રહી.

                 સ્વરક્ષણ પ્રાણીમાત્રનો સ્વ-ભાવ છે. મનુષ્યના હાથને પોતાના તરફ લંબાતો જોઈને એ લજામણી મુરઝાઈ જાય એમ એ કાંપી ઊઠે છે. ‘જેજૂરી’માં ખોલબંધ થઈ અચાનક ગાયબ થઈ જતું અરુણ કોલાટકારનું ‘પતંગિયું’ યાદ આવ્યા વિના નહીં રહે. હાથ લંબાવનારને કદાચ સમજાઈ જાય છે કે સૃષ્ટિમાં સુંદર દેખાતી તમામ ચીજ હાથમાં લેવી યોગ્ય નથી. અથવા ડરની મારી કાંપતી જેલીફિશને જોઈને એ પરાજય સ્વીકારી પોતાનો ઈરાદો પડતો મૂકે છે. નવા સંસ્કરણમાં કવિતા અહીં ખતમ થઈ જાય છે. જૂની આવૃત્તિમાં મનુષ્ય સ્વભાવગત ઈરાદો પડતો મૂકી દેવાનો દેખાવ કરી જેલીફિશને જૂઠા વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરે છે અને વળી એને પકડવા જાય છે. પણ જેલીફિશ ભૂરા રંગનું પ્રવાહી પોતાના રક્ષણ માટે છોડે છે, જેથી પાણી ડહોળાઈ જાય છે અને આ ડહોળાશનો લાભ લઈને, પોતાની જાતને હોંશિયાર ગણતા મનુષ્યને સણસણતો તમાચો ચોડીને દૂર સરી જાય છે. મનુષ્ય-સ્વભાવ અને એક પ્રસંગની દૃષ્ટિએ આ નિરૂપણ વધુ યથાર્થ જણાય છે પણ જેલીફિશની કાયા અને જીવનીની સાથે છંદોલય અને પ્રાસયુક્ત કાવ્યસ્વરૂપની કરામતના કારણે વધુ સુસંગત નૂતન આવૃત્તિ કવિતાની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ જણાય છે.

                 શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? ના. હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ નિસ્બતે તમામ કળાઓની વાત કરે છે. કળામાત્ર કામણગારી હોય છે. કવિતા હોય કે ચિત્ર હોય, સંગીત હોય કે નૃત્ય- કળા મનુષ્યમાત્રને આકર્ષે છે. સમાજ કે સંસ્કૃતિનો વિકાસ સુદ્ધાં થયો નહોતો ત્યારે પણ મનુષ્ય ગુફાઓમાં ચિત્રો દોરતો. કળા ન માત્ર માનવી પર ભૂરકી નાંખે છે, એને હસ્તગત કરી લેવા માટે માનવીને લલચાવે પણ છે. દરેક માનવીને કોઈ ને કોઈ કળામાં પ્રવીણ થવાનું મન થતું હોય છે. જે ઘડીએ કળાકારને એવું લાગ્યું કે કળા હવે એને હસ્તગત થઈ ગઈ છે એ ઘડી એ કળાકારના મૃત્યુની ઘડી છે. એ ઘડીથી આગળ પછી કળાકારનો વિકાસ શક્ય જ નથી. કલા હજી હાથ આવી નથી, હજી હાથ આવી નથી કરીને કળાકાર જ્યાં સુધી એના ભણી હાથ લંબાવતો રહેશે ત્યાં સુધી એનો વિકાસ ચાલુ રહેશે. હકીકત એ છે કે જેલીફિશની જેમ જ કળાઓ, અને ખાસ તો કવિતા જેમ-જેમ એને પામવાની કોશિશ કરીએ એમ-એમ હાથમાંથી છટકી જતી જ અનુભવાય છે. તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. આ થયું ડુંગળીનું ત્રીજું પડ… જેમ જેમ પડ ઉખેડતા જશો, નવું પડ હાથ આવતું જશે. અને છેલ્લું પડ કાઢી નાંખ્યા બાદ જે અવકાશ બચે છે એ છે ડુંગળી છોલવાના પુરુષાર્થની અનુભૂતિ. એ શૂન્યાવકાશ તો અભરે ભરેલો છે. એ જ છે ખરી કવિતા. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે.

                 ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,

                 કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.                    હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ ‘અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે…’ (બાળશંકર કંથારિયા) જેવા નસીબને મૂકી જુઓ… આપણી જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધો વિશે વિચારી જુઓ… આ તમામ કામણગારી મેનકાઓના લટકાં આપણી પહોંચ બહાર છે… છેલ્લે જેલીફિશની જગ્યાએ સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને!!! ઉત્તમ કવિ કવિતા કરવામાં કવિતાના આકારનો કેવો ઉત્તમ ઉપયોગ કરે છે એ મેરિઆનની આ કવિતા પરથી સમજી શકાય છે. કાવ્યાકારની મદદથી કવયિત્રી કેવી સિફતથી નાની અમથી કવિતામાં જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને સાંગોપાંગ મૂર્ત કરી શક્યાં છે!

ગ્લૉબલ કવિતા : ૧૦૬ : ઇચ્છા – સુદીપ સેન

Desire

Under the soft translucent linen,
the ridges around your nipples

harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —

arch yourself deliberately
wanting the warm press of my lips,

it’s wet to coat the skin
that is bristling, burning,

breaking into sweats of desire —
sweet juices of imagination.

But in fact, I haven’t even touched
you. At least, not yet.

– Sudeep Sen

ઇચ્છા

મુલાયમ પારભાસી લિનન તળે,

તારી ડીંટડીઓ ફરતેની કરચલીઓ

સખત થાય છે મારી જીભના વિચારથી.

તું- અંગ્રેજી ‘C’ જેવી ઊલટી સૂતેલી-

ઈરાદાપૂર્વક તારી કાયાની કમાન ખેંચે છે

મારા હોઠોના હૂંફાળા દબાણની ખેવનામાં,

તેઓ ભીના છે એ ત્વચાને આવરવા

જે રોમાંચે છે, સળગી રહી છે,

ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-

મીઠા રસ કલ્પનાઓના.

પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી

તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

– સુદીપ સેન

(અનુ.: વિવેક મનહર ટેલર)

ઇચ્છા – માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી

                     કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,

                     એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

                     માત્ર બે જ પંક્તિમાં ચિનુ મોદી સુખી થવાનો મહામંત્ર આપી ગયા. પણ ઇચ્છાથી કોઈ પર થઈ શક્યું છે ખરું? ઇચ્છાનું ગાજર જ છે જે મનના હરણને જીવનના રણમાં સતત દોડતું રાખે છે. ઇચ્છાની હકીકત તો ‘‘કરી છે પ્રથમ પાળીપોષીને મોટી, પછી ઇચ્છા હવાલાત થઈ છે’’ જેવી છે. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ચાંદ પર જવાની ઇચ્છા જ થઈ હોત તો અવકાશયાનની શોધ જ ન થઈ હોત. માનવજીવનમાંથી ઇચ્છાઓ બાદ કરે નાંખવામાં આવે તો કદાચ કંઈ જ ન બચે. ઇચ્છાઓ અપેક્ષામાંથી જન્મે છે કે અપેક્ષાઓ ઇચ્છાઓમાંથી એ નક્કી કરવું મુશ્કેલ છે અને કદાચ બિનજરૂરી કે નિરર્થક પણ છે પણ ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે એ વાત નકારી શકાય એમ નથી. પ્રેમ પણ ગમે એટલો સાચો કેમ ન હોય, ઇચ્છાઓ કે અપેક્ષાઓથી પર રહી શકતો નથી. પ્રેમમાં ઇચ્છાઓ ક્યારેક તો ખુદ પ્રેમની તીવ્રતાને પણ વળોટી જાય એવી બળવત્તર બની રહેતી હોય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન પ્રસ્તુત રચનામાં શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.             

                     સુદીપ સેન. ૧૯૬૪માં જન્મ. દિલ્હીમાં ભણ્યા, અંગ્રેજીમાં સ્નાતક થયા. એ પછી અમેરિકામાં કૉલમ્બિયા યુનિવર્સિટી, હૉલિન્સ યુનિવર્સિટી તથા ડેવિડસન કૉલેજમાંથી અંગ્રેજીમાં, સર્જનાત્મક સાહિત્યમાં તથા પત્રકારિત્વમાં અનુસ્નાતકની પદવીઓ મેળવી. કવિ. અનુવાદક. સંપાદક. નાટ્યકાર. ફોટોગ્રાફર. ગ્રાફિક આર્ટિસ્ટ. લઘુ ફિલ્મો તથા ડૉક્યુમેન્ટરીઝ પણ બનાવે છે. ભારતીય અંગ્રેજી યુવા કવિઓમાં મોખરાનું સ્થાન. ડઝનથી વધુ કાવ્યસંગ્રહ. બે ડઝનથી વધુ ભાષાઓમાં એમની રચનાઓ અનુવાદિત થઈ છે. ઘણા પારિતોષિકોથી વિભૂષિત થયા છે. ૨૦૧૩માં નોબેલ લૉરેટ સપ્તાહમાં ભાગ લેવા માટે આમંત્રણ પામનાર તેઓ પ્રથમ એશિયન હતા. ‘ફ્લાઇંગ હોમ’ ફિલ્મ તથા કેટલાક નાટકોમાં પણ એમની કવિતાઓ સ્થાન પામી છે.

                     જ્યારે #MeToo આંદોલન પ્રચલિત નહોતું થયું ત્યારે ૨૦૧૬માં સુદીપ સેન પર યૌન ઉત્પીડનનો આરોપ મૂકાયો હતો. એક કવયિત્રીએ જાતીય સતામણીનો આરોપ મૂકતા કહ્યું હતું કે સેને એમને સંબંધ બાંધવા માટે ઓફર કરી હતી, જે કવયિત્રીએ નકારી હતી. એ જ સાંજે એક પાર્ટીમાં સેને એમને જકડીને આલિંગન આપ્યું હતું અને સેને પરવાનગી વગર ફોટોગ્રાફ પણ ફેસબુક પર અપલોડ કર્યો હતો. ફેસબુક પર કવયિત્રીને બહોળું સમર્થન મળ્યું. સુદીપ સેને સ્વાભાવિકપણે આ આક્ષેપો નકાર્યા હતા. ખરું-ખોટું તો રામ જાણે પણ તાજેતરમાં સાહિત્ય અકાદમીએ ‘મૉડર્ન ઇંગ્લિશ પોએટ્રી બાય યંગર ઇન્ડિયન્સ’ નામનું કાવ્યસંકલન કરવાનું કામ એમને સોંપ્યું હતું ત્યારે માર્ચ, ૨૦૧૮માં બાર જેટલા કવિઓએ જાતીય સતામણીના પેલા આક્ષેપના સમર્થનમાં અને સુદીપ સેનના વિરોધમાં એમના આ સંકલનમાં હિસ્સો બનવા સામે અકાદમીમાં લેખિત વિરોધ નોંધાવી પોતાના નામ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કવિ પર આ પૂર્વે કે પશ્ચાત આવા કોઈ આરોપ મૂકાયા નથી એટલે સત્યાસત્યની પંચાતમાં પડ્યા વિના આપણે એમની કવિતાની વાત કરીએ.    

                     સુદીપ સેનની કવિતા આપણને આકારથી માંડીને અનુભૂતિ સુધી પહોંચાડે છે. તેઓ કહે છે, ‘હું એક ટ્રાન્સનેશનલ લેખક છું, નવી દિલ્હી, લંડન અને ન્યૂ યૉર્ક મારા મહત્ત્વના પડાવ છે. મારું લખાણ ભારતીય, યુરોપિયન અને અમેરિકી પરંપરાઓ -બેઉ ક્લાસિકલ તથા આધુનિક-થી પ્રભાવિત છે. મને ખાસ કરીને છંદશાસ્ત્રમાં, નવા સ્વરૂપો રચવામાં અને અભિનવ સંરચનાઓ સાથે પ્રયોગ કરવામાં રુચિ છે.’ તેમના મતે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ન કર્યો હોત તો તેઓ આર્કિટેક્ટ બન્યા હોત. જે રીતે આર્કિટેક્ટને સ્થાપત્યમાં હોય એ જ રીતે એમને કવિતાના સ્વરૂપમાં સવિશેષ રસ છે. એમના મતે કવિતા માત્ર ભાષાકીય દૃષ્ટિએ જ નહીં, આકારની દૃષ્ટિએ પણ પડકારરૂપ હોવી જોઈએ. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ નામના કાવ્યમાં તેઓએ abxba cdxdc પ્રકારની નવી જ પ્રાસવ્યવસ્થા રચી છે, જેમાં વચ્ચેની પંક્તિનો પ્રાસ દરેક અંતરામાં સમાન રહે છે અને દરેક અંતરાની પહેલી પંક્તિ પાંચમી સાથે અને બીજી પંક્તિ ચોથી સાથે તાલમાં તાલ મિલાવે છે. ન્યૂ યૉર્ક શહેર મેનહટ્ટન, ક્વિન્સ, બ્રુકલિન, બ્રોન્ક્સ અને સ્ટેટન આઇલેન્ડ, એમ પાંચ ભાગમાં વહેંચાયેલું હોવાથી કવિએ દરેક અંતરામાં પાંચ પંક્તિઓ રાખી છે. કવિતાને એની કેન્દ્રિય ધરી પર ૯૦ અંશ ફેરવવામાં આવે તો એનો આકાર મેનહટ્ટન ટાપુને મળતો આવે છે એ વાત પણ સમજાય ત્યારે કવિની ખરી કરામત ધ્યાનમાં આવે છે. આ જ રીતે લીલા સેમ્સન પર લખેલ ‘ભરતનાટ્યમ્ ડાન્સર’ કવિતામાં abacca dbdeed પ્રકારની પ્રાસરચના હકીકતમાં શાસ્ત્રીય નૃત્યના લય-તાલ –તા ધીન તા થાયે થાયે તા- ta dhin ta thaye thaye ta સાથે મેળ ખાય છે. અને કવિતામાં એમણે ડાબી તરફ હાંસિયામાં વધઘટ પણ એને અનુરૂપ જ કરી છે.

                     પ્રસ્તુત રચના ‘ઇચ્છા’ને જો કે કવિના આ પ્રકારના આકાર-આર્કિટેક્ચરનો લાભ મળ્યો નથી. પણ માત્ર બાર જ પંક્તિઓમાં લખાયેલ આ ટચુકડા કાવ્યને કવિએ બબ્બે પંક્તિઓના છ વિભાગમાં વહેંચી કાઢ્યું છે. ગઝલના શેર જેવી રચના કરી હોવા છતાં પ્રાસની પળોજણ અને છંદની માયાજાળથી દૂર રહીને કવિએ મુક્તાકાશમાં વિહરવાનું પસંદ કર્યું છે. બબ્બે પંક્તિઓના આ વિભાગ અપૂર્ણાન્વય (enjambment)ને અનુસરતી સળંગ વાક્યરચનાઓના કારણે અલગ હોવા છતાં એક જ લાગે છે. કવિ કવિતાને સળંગ બાર પંક્તિઓમાં લખી શક્યા હોત પણ દર બે પંક્તિ વચ્ચે કવિએ જે અવકાશ આપ્યો છે, એ આ સળંગસૂત્રી કવિતામાંથી જન્મતા સંવેદનને આત્મસાત કરવા માટે ભાવકને જરૂરી સમય પૂરો પાડતો હોય એમ અનુભવાય છે. કવિએ પોતે જ કહ્યું છે, ‘મારા માટે, લેખન એક શાંત પ્રકારની એવી વસ્તુ હોવી જોઈએ, જ્યાં પાઠક વાંચી શકે છે અને એની અસરને સ્લૉ-રિલીઝ ફેશનમાં અનુભવી શકે છે, ટાઇમ-લેપ્સ ફોટોગ્રાફીની જેમ.’ ખેર, કવિતામાં આકાર કે આયોજન કરતાં ભાવ વધુ મહત્ત્વના છે અને આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ આ કવિતામાં તો એ વાત ખાસ પ્રભાવક બને છે. જોઈએ…

                     શીર્ષક ‘ઇચ્છા’ એક શબ્દમાં માનવજાતની આજ સુધીની તમામ પ્રગતિ સમાવી લે એવી વિશાળ અર્થચ્છાયા ધરાવે છે. ઇચ્છા વિનાનો મનુષ્ય જીવંત લાશથી વધુ કંઈ હોઈ જ ન શકે. દેહત્યાગ પૂર્વે ઇચ્છાત્યાગ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. સંન્યાસી પણ મોક્ષની ઇચ્છાથી પર નથી. શું મહાવીર, શું બુદ્ધ, શું એસુ, શું જરથુષ્ટ્ર- કોઈ ઇચ્છાનો ઉંબરો વટી જઈ શક્યા નથી. કંઈ નહોતું તો અંતે માનવજાતના કલ્યાણની પણ ઇચ્છા તો હતી જ હતી એમના હૈયે.

                     પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?

                     ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!         

                     ઇચ્છાનું આ પાત્ર જ એવું છે. ભરો, ભરો પણ ભરાશે જ નહીં… ઇચ્છા કહો કે વાસના, આકાંક્ષા, ઉત્કંઠા કહો, યા તલસાટ, અભિલાષા કહો – મનુષ્યજાતની પ્રગતિ માટે એ પગથીય વધુ અનિવાર્ય અવયવ છે એટલું પહેલાં બરાબર સમજી લઈએ તો પ્રસ્તુત રચનામાં એની તીવ્રતા કઈ કક્ષાએ કવિ લઈ જઈ શક્યા છે એ સમજવું વધુ આસાન બની રહે છે.       

                      ‘ઇચ્છા’નો ઉંબરો વળોટી કવિતાના ઘરમાં પગ મૂકતાં જ આપણું સ્વાગત મુલાયમ પારભાસી લિનન કરે છે. તરત જ શયનકક્ષ, ડબલબેડ, લીસી મુલાયમ લિનનની અર્ધપારદર્શક ચાદર અને એની નીચે બહાર આવું-આવું કરતાં છૂપાયેલ કોઈ કમનીય કાયા આપણા મનોમસ્તિષ્ક સમક્ષ આવી ઊભે છે. કવિ પણ આપણી ઇચ્છાને જરાય ખોટી પડવા દેવામાં માનતા નથી. બીજી જ પંક્તિમાં સાફ થઈ જાય છે કે આ પારભાસી લીસ્સી ચાદર તળે અર્ધનિમીલિત, અર્ધસ્ફુટ નિરાવૃત્તા સૂતી છે. જો કે કવિ ઓછામાં ઓછા શબ્દોમાં વાત કરવાની કવિતાની મૂળભૂત લાક્ષણિકતાને વશવર્તી કવિકર્મમાં માનતા હોય એમ ચાદર તળેની સુંદરીનું વર્ણન કરી આગળ વધવાના બદલે, અર્જુનને માત્ર પક્ષીની આંખ જ નજરે ચડે એ કટિબદ્ધતાથી ચાદરની વાત કરીને સુંદરી નહીં, સ્તન નહીં, સીધા સ્તનની ડીંટડીની જ વાત કરે છે. લીસ્સીલસ ચાદર તળે તમામ વસ્ત્રો ત્યાગીને સૂતી સુંદરીના સ્તનની ડીંટડી ફરતેની કરચલીઓ નાયક થોડી જ વારમાં ત્યાં જીભ ફેરવશે એ વિચારીને સખત થઈ ચૂકી છે. કામક્રીડામાં ઘણીવાર ક્રીડા કરતાંય આ પૂર્વાનુમાન કે પ્રત્યાશા (ઍન્ટિસિપેશન) વધુ રોચક બની રહે છે. નાયિકા પથારીમાં અંગ્રેજી મૂળાક્ષર ‘C’ની જેમ ઊલટી સૂતી છે અને કમનીય કાયાનો આ કાતિલ વળાંક ઓછો હોય એમ ઈરાદાપૂર્વક કાયાની આ કમાન એ વધુ તંગ કરી રહી છે, નાયકના હોઠોના હૂંફાળા દબાણની પ્રત્યાશામાં…

                     હંમમમ… મતલબ નાયક નાયિકાથી દૂર નથી. કદાચ જે અર્ધભાસક સુંવાળી ચાદર તળે નાયિકા નિર્વસ્ત્ર સૂતી છે, એ જ ચાદરમાં અથવા બાજુમાં જ નાયક પણ સૂતો હોવો જોઈએ. બંને વચ્ચે કામકેલિનો પ્રારંભ હજી થયો નથી પણ એ ઘડી હવે દૂર પણ નથી. નાયકના હોઠ થોડા જ સમયમાં પોતાના સ્તનાગ્રના સિંહાસને આરુઢ થશે એ કલ્પનામાં એક મધુરી સિહરન નાયિકાના અંગાંગમાંથી પસાર થઈ રહી છે, જેના પરિણામે એના કુચાગ્ર ફરતેની કરચલીઓ સખત થઈ રહી છે. આ એકવીસમી સદીના કવિની કવિતા છે. નાયિકા તૈયાર થઈને રાહ જોતી હોય એવા સમયે નાયક બનવાજોગ છે કે એના સ્માર્ટફોનમાં વૉટ્સએપ કે ફેસબુક-ટ્વિટર પર આવેલ આખરી નૉટિફિકેશન કોનું છે ને એમાં શું આવ્યું છે એ જોવાનો લોભ ટાળી શક્તો નહીં હોય એટલે અર્ધપારદર્શક ચાદરમાંથી વર્તાતી નગ્ન કાયાના કામણ હજી એને પૂરાં સ્પર્શી શક્યાં નહીં હોય. આકરું લાગે પણ આ આજના સમયની કડવી વાસ્તવિક્તા છે. બાજુમાં જ અનાવૃત્ત આળોટતી ઉર્વશી કરતાં મોબાઇલમાં દેખાતી પૉર્ન-અપ્સરામાં પુરુષોના ઊરમાં વધુ વસી ગઈ છે. વર્ચ્યુઅલની પરાકાષ્ઠાનો જમાનો છે. ‘ફબિંગ’ (Phubbing – PHone snUBBING) યાને પ્રત્યક્ષ હોય એની અવગણના કરીને જે પ્રત્યક્ષ ન હોય એની સાથે ફોન વડે જોડાયેલા રહેતા આજના લોકોને આજે વાસ્તવિક્તા આભાસી અને આભાસ વાસ્તવિક લાગવા માંડ્યા છે.

                     કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,

                     રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

                     – ઝંખનાની આવી પરાકાષ્ઠા માત્ર શેરો-શાયરીમાં જ સીમિત રહી જાય એવા દિવસો બહુ દૂર નથી પણ સુદીપ સેનની આ કવિતાના પાત્રો કદાચ હજીય વાસ્તવદર્શી અને વાસ્તવલક્ષી જ હોવા જોઈએ, કેમકે નાયક બાજુમાં ઘટી રહેલી આ મુલાયમ ઘટનાથી જરાય નાવાકેફ નથી. ઊલટું, જેમ આવનાર વાવાઝોડાની અપેક્ષામાં નાયિકા જે ઉત્તેજના અનુભવી રહી છે, એવી જ ઉત્તેજનામાંથી નાયક પણ પસાર થઈ રહ્યો છે. કેમકે એના હોઠ કે જીભ અથવા બંને ભીનાં છે. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ ‘my lips’ લખ્યા પછી અલ્પવિરામ પ્રયોજ્યું હોવાથી એ પછી આવતું સર્વનામ ‘it’s’ હોઠો માટે જ વપરાયું હોય એમ લાગે. કવિ સાથે આ બાબતમાં વાત કરતાં કવિ પણ એ જ વાતની પુષ્ટિ કરે છે પણ બહુવચન ‘લિપ્સ’ માટે સર્વનામ એકવચનમાં વપરાયું હોવાની વાત જરા કઠે છે. કવિતાની શરૂઆત તરફ નજર કરીએ અને સર્વનામ જેના માટે વપરાયું છે એ ભીનું છે એ આવનારી હકીકત પણ ધ્યાનમાં લઈએ તો એમ લાગે કે કવિતા લખાઈ હોવાની પળે કદાચ આ સર્વનામ ‘જીભ’ માટે વપરાયું હોય. હશે, હાલની તારીખે કવિને હોઠ અભિપ્રેત હોવાથી એમ રાખીએ તોય કવિતાને કોઈ નુકશાન થાય એમ નથી.

                     નાયકના હોઠ પણ ભીનાં છે કેમ કે दोनों तरफ़ लगी है आग बराबर की. ભીના હોઠ જેવી નાયકની ભીની ઇચ્છાઓ તો નાયિકાની કામજ્વરમાં ભડભડ સળગી રહેલી, રોમાંચી રહેલી અને કામેચ્છાના પ્રસ્વેદબુંદોથી ઝળહળી રહેલી ત્વચાને આવરી લેવાની છે. મતલબ, નાયક પણ આ સમરાંગણમાં પૂર્ણતયા હાજર જ છે પણ રતિભાવ બાબતમાં નાયિકાના ગતિભાવનો એ સ્થિતિભાવથી પ્રતિભાવ આપી રહ્યો છે, કેમકે એ જાણે છે કે મદનાસ્થળીના આ મેદાનમાં ક્રિયાનો અભાવ ખુદ એક ક્રિયા છે. સામાન્યતઃ જે ક્રીડા પર પુરુષો આધિપત્ય ભોગવે છે, એ ક્રીડામાં એ ‘લેડિઝ ફર્સ્ટ’નો અભિગમ અપનાવે છે. બે-ચાર ઘડીમાં જ બની જતી આ સાવ ટબૂકડી ઘટનાને કવિએ કેવી મમળાવી છે! ચાદર નીચેની એક કાયા કમાનાકારે ખેંચાય અને બાજુમાં સૂતા પુરુષના હોઠ ભીના થાય એ ઘટનાને આકાર લેવામાં વળી કેટલોક સમય લાગે?! પણ કવિતાનું સૌંદર્ય જ એ છે કે એ ક્ષણને સદીમાં ને સદીને ક્ષણમાં પલોટી દે છે. આમેય આ ઘડી પ્રતીક્ષાની ઘડી છે અને પ્રતીક્ષા તો કાળાતીત જ હોવાની ને? ‘‘પ્રતીક્ષાની ગલીઓમાં ભૂલા પડ્યા છે, સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે?’’ નાયિકાને પ્રતીક્ષા છે કે નાયક આગળ વધશે અને નાયકને પ્રતીક્ષા છે કે નાયિકા પોતાની પ્રતીક્ષામાં હજી કેટલી કમાનાશે? કવિતામાં અને જીવનમાં સૌથી મીઠો રસ કોઈ હોય તો તે કલ્પનાનો. ગણતરીની પળોમાં આકાર લઈ રહેલી આ નાનકડી ઘટનાને કવિ પણ કલ્પનાઓના મીઠા રસ કહીને જ સંબોધે છે.

                     અહીં કવિ કલ્પનાની સીડીને હકીકતની ભીંતે ટેકવે છે. વાસ્તવિકતાની હાજરીમાં જ ‘ઍન્ટિસિપેશન’ની ચરમસીમા અનુભવાય છે. બંને પક્ષે સહિયારાયેલ ઉત્કંઠાને નાયકનો ખુલાસો વધુ ધાર કાઢી આપે છે. ‘પણ’ કહીને આખી ઘટનાની સામે વિરોધમાં ઊભા રહી ગયા બાદ ‘હકીકત’ શબ્દનો ઉલ્લેખ કરી કવિ વાચકને તૈયાર કરે છે. નાયક હકીકતમાં તો હજી અડ્યોય નથી. ‘તને’ સંબોધનને આ વાક્યમાંથી કાપી નાંખીને કવિ પોતે જે કહેવું છે એ વ્યક્તિગત અનુભૂતિને વધુ સાર્વત્રિક અને તીવ્ર બનાવે છે. ‘પણ’ ‘હકીકત’ અને ‘અડ્યો’ ક્રિયાપદને વજનદાર બનાવતો ‘ય’ – કવિતાના આ ઓજાર તરફ યોગ્ય લક્ષ આપવાનું રહી જાય તો એ વાચકના પક્ષે નબળાઈ કહેવાય કેમકે કવિતાની ખરી મજા જ અહીં છે. કવિ કહે છે કે આટલું બધું બની ગયું વાત સાચી જ છે પણ વધુ સાચી વાત તો એ છે કે હું એને હજી અડ્યો સુદ્ધાં નથી. બંને પક્ષે આગ લાગી છે પણ હકીકતમાં તો દિવાસળી હજી માચીસને સ્પર્શીય નથી. કાવ્યાંતે પોતાની વાતની પુનરુક્તિ કરીને કવિ સફળતાપૂર્વક વાચકસંવેદનાને વધુ તીવ્રતર બનાવે છે. કહે છે, કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

                     કામાપેક્ષાની ચોટીએ આરુઢ નાયિકા જે નાવમાં સવાર છે, એ જ નાવમાં સવાર હોવા છતાં નાયક જ્યારે સફાઈપૂર્વક પોતાની હકીકત જણાવે છે કે મેં હજી સુધી કંઈ જ કર્યું નથી અને વળી સફાઈમાં દોહરાવે છે કે હજી સુધી તો નથી જ કર્યું, ત્યારે જે હલ્લો હજી સુધી થયો નથી, પણ થવાની તૈયારીમાં જ છે એ સાફસાફ નજરે ચડે છે. જે ઇચ્છાએ નાયિકા બેવડ વળી રહી છે, રોમાંચી રચી છે, પ્રસ્વેદિત થઈ રહી છે, એ જ ઇચ્છા નાયકને પણ પ્રજાળી રહી છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. નાયક આ જ હકીકતનો દાવ સહિયારી ‘ઇચ્છા’ પર લગાવે છે, પરિણામે કવિતા એક મીઠો અનુભવ આપવામાં સફળ રહે છે.

                     સુદીપ સેને તાજેતરમાં જ બહુચર્ચિત ‘ઇરોટેક્સ્ટ’ જેવું પુસ્તક આપ્યું છે, જેની ‘કેચલાઇન’ છે: Desire, Disease, Delusion, Dream, Downpour (ઇચ્છા, બિમારી, ભ્રમ, સ્વપ્ન, ભારીવર્ષા). ગદ્ય અને પદ્યની સીમાઓને ભૂંસીને જૂની કવિતાઓને નવો આયામ અને નવી કવિતાઓને વધુ નવો આયામ આપતું આ પ્રયોગાત્મક પુસ્તક ભાષાની દુનિયામાં એક નવો ચીલો ચાતરે છે. સુદીપ સેન સિદ્ધ કરે છે કે મોટી-મોટી વાતો કરવા માટે શબ્દોની અંતહીન ધારાની આવશ્યકતા નથી. અહીં પ્રસ્તુત રચનામાં પણ કવિએ બહુ ઓછા શબ્દોમાં, લગભગ નહિવત્ કહી શકાય એટલી જ ગતિવિધિમાં જે ફૉરપ્લે આલેખ્યો છે એ શબ્દાતીત છે. ઇચ્છા શરીર જેવા શરીરને અહીં ટપી જાય છે. શરીર તો અહીં હજી ‘એક્શન’માં જ આવ્યું નથી. હજી તો બંને છેડે માત્ર ઇચ્છાઓના નવરસ જ ફૂટ્યા છે, એવામાં તો આવી કવિતા… ડીંટડીના ઊઘાડા ઉલ્લેખ અને સ્તનચુંબનની અપેક્ષાની વાત કરતી હોવા છતાં કવિતાએ ક્યાંય સુચારુતાની સીમા ઉલ્લંઘી નથી. માત્ર ‘સેક્સ એન્ડ ડિઝાયર્સ’ની વાત કરતી હોવા છતાં કવિતાએ સમ ખાવા પૂરતોય સાહિત્યની લક્ષ્મણરેખા બહાર પગ મૂક્યો નથી એ વાત કવિતાને વધુ ઊંચાઈએ લઈ જાય છે. આખરે તો આ ઇચ્છાઓની વાત છે અને ઇચ્છાઓની હકીકત તો આ જ છે કે –

                     પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?

                     કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.  

ગ્લૉબલ કવિતા : ૧૦૫ : દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

દરવાજામાં આંગળાં

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવો હોય તો પહેલાં તો કલેજામાં હિંમત જોઈએ. કેમકે આ સવાલોના સાચા જવાબ શોધવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈ હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર આપણે ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણી, અનુભૂતિની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ. પણ કવિતા ઢાંકપિછોડો કરવામાં માનતી નથી. મખમલમાં વીંટાળીને જૂતું મારતાં કવિતાને આવડે નહીં. સાચો કવિ જ્યારે પણ કલમ ઉપાડે, વાસ્તવિક્તાના તેજાબમાં ડૂબીને જ ઉપડે. કદાચ સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

ડેવિડ કેનેથ હૉલબ્રુક. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી બ્રિટીશ આર્મીમાં સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. આ જ D-dayની આસપાસ “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) નામની લગભગ આત્મકથનાત્મક નવલક્થા એમણે વણી છે. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન.

સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. પૉર્નોગ્રાફીના મુખર વિરોધી. પણ સૌથી વધીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

‘દરવાજામાં આંગળાં’ શીર્ષક વાંચતા જ નજર સામે આપણામાંથી મોટા ભાગનાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક બની ગયેલ અકસ્માત તરવરી રહે. આપણામાંથી મોટા ભાગનાએ પોતાના કે પોતાની આસપાસના સ્વજનોના આંગળા દરવાજો બંધ થતી વખતે બેદરકારીના કારણે વધતી-ઓછી માત્રામાં કચડાઈ જતાં જોયાં જ હશે. હૉલબ્રુકનું આ કાવ્ય હજારો વર્ષ જૂનાં માનવસંબંધોનો આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. બાર પંક્તિ હોવાના નાતે કવિતા સૉનેટની નજીક ગતિ કરતી હોય એમ પણ અનુભવાય. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીના આકાર જેવું જ આ મુક્તકાવ્ય છે. કવિએ અપૂર્ણાન્વય (Enjambment) રીતિ પ્રયોજીને કવિતાના વાક્યોને એકમાંથી બીજામાં ઢોળાવા દઈને એક જ અંતરામાં રચાયેલી આ કવિતાને એ રીતે સળંગસૂત્રિતા બક્ષી છે કે દરવાજામાં આંગળાં અચાનક દબાઈ ગયાં હોય અને જે વીજગતિએ આપણે આંગળાં બચાવવાની કોશિશ કરીએ એ જ રીતે એક જ શ્વાસમાં આખી રચના વાંચી જવી પડે.

પહેલી પંક્તિમાં જ નાયક કવિતાના પિંડને આખેઆખો રજૂ કરી દે છે. ક્ષણાર્ધની બેદરકારીના કારણે નાયકના હાથે એની જ બાળકીના આંગળાં દરવાજામાં ભચડાઈ જાય છે. બાળકનું લિંગ કવિ અહીં સુધી જાહેર કરતા નથી. પણ વાક્ય પતી ગયું હોવા છતાં પંક્તિ પૂરી કરવાના બદલે કવિ બાળકનું લિંગ કયું છે એની સાથે આપણો પરિચય કરાવી આપે છે. ઓહ! બાળકી છે આ તો. અને આપણી સંવેદના તરત જ વધુ તીવ્રતર બની રહે છે કેમકે સરવાળે બાળકી બાળક કરતાં તો વધુ જ કોમળ હોવાની ને! પહેલી પંક્તિમાં જ એક વાક્ય સાથે બીજું જોડી દઈને કવિ આપણને કવિતામાંથી ઝડપભેર પસાર થવા મજબૂર કરી દે છે. બાપ સાથે ઘડીભર પહેલાં મસ્તીમાં જોતરાયેલી ફૂલ જેવી બાળકી પોતાના કૂમળાં આંગળાંઓ પર વીજળીની જેમ અચાનક ત્રાટકેલી આ આફત કેમ સહી શકે? એનો શ્વાસ અટકી જાય છે. એ આખેઆખી અમળાઈ ઊઠે છે. માના ગર્ભમાં ભ્રુણ જે રીતે ટૂંટિયું વાળીને પડ્યું હોય છે એમ એ આખી બેવડ વળી જાય છે, જાણે કે અસહ્ય અકથ્ય પીડાની બળબળતી હકીકતથી દૂર ભાગી છૂટવા માંગતી ન હોય. પિતાએ તરત દરવાજો ખોલી નાંખ્યો જ હશે પણ કવિએ એ લખવું આવશ્યક નથી સમજ્યું. એ વાત સમજવાની વાત છે.

પોતાના હાથે પોતાના જ સંતાન અચાનક અસહ્ય અકથ્ય વેદનાનો શિકાર બને એ ઘડી મા-બાપને મરવા જેવી લાગે છે. પોતાની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ થયેલ અકસ્માતના કારણે બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી જન્મે છે. મરેલો માણસ આકાશમાં તારો બની જાય છે એવી માન્યતા જેમ આપણે ત્યાં છે એવી જ વિદેશમાં પણ પ્રવર્તે છે. મૃત્યુ જેવા રાતના ગાઢા કાળા અંધારામાં ચળકતા તારાઓ આપણાં જ પૂર્વજો છે જે આકાશમાં રહીને પણ આપણા પર નજર રાખે છે, સધિયારો આપે છે. રડતી-વિલખતી બાળકી આશ્વાસન અને સહાયની આશામાં બાપને વળગી પડે છે એ ઘડીએ એને સત્યનું ભાન થાય છે કે એકમેકને કોઈપણ પ્રકારની સહાય કરવી શક્ય નથી. ચસોચસ આલિંગનમાં બંધાયેલ બંને જણ વચ્ચે સાચા અર્થમાં તો પ્રકાશ-વર્ષો જેવું અનંત અસીમ અંતર છે. કોઈ કોઈના દુઃખમાં શી રીતે સહભાગી બની જ શકે? दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં તમામ પ્રકારના સંબંધો વચ્ચે રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारो रक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) માનવસંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिल के खुश रखने को गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखों में जो भर लोगे तो काँटों से चुभेंगे, ये ख्वाब तो पलकों पे सजाने के लिए है (જાં નિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.” દૂર રહીને ટેકો આપવાથી જ સંબંધોની ઈમારત ઊભી રહી શકે છે એ વાસ્તવિક્તા સામે આંખ આડા કાન કરીને આપણે સહુ જીવી લેતાં હોઈએ છીએ. એટલે જ જીવનની આવી કોઈક ક્ષણે અચાનક મરી જવાનું મન થાય એવા અહેસાસના શિકાર બનવાનો વારો આવે છે.

આલિંગનમાં હિબકતી-તડપતી બાળકીને શાંત કરવા મથતા બાપનું મન અચાનક એ જગ્યાએથી હજારો પ્રકાશવર્ષ દૂર ચાલ્યું ગયું છે. એને સવાલ થાય છે કે શું આ બાળકી મારાં જ બીજની નિષ્પત્તિ છે? આ પ્રેમની ખરી પરાકાષ્ઠા છે. સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલુંય સહિયારી નથી શકાતું એ વાતનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ જ ખરો પ્રેમ છે. સંબંધમાં વાસ્તવિક્તાનો સ્વીકાર જ પ્રેમ છે પણ આપણે સહુ આજીવન આભાસના ઝાંઝવામાં ઘસરડાતા-ઉઝરડાતા જીવ્યે રાખ્યે છીએ. ભલે બાપના શુક્રકોષે જ માના અંડકોષ સાથે મળીને બાળકીનું સર્જન કર્યું હતું પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા અને બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એ પણ પોતાના સંતાનને પોતામાં પુનઃસ્થાપિત નહીં કરી શકે. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

સંભોગની પરાકાષ્ઠાએ પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે. એક જીવ બીજામાં રેડાય છે અને ત્રીજો આકારાય છે. ગર્ભની હૂંફમાં કોષ વિકસતા-દ્વિગુણાતા જાય છે અને શિશુનો પિંડ બંધાય છે. નવ-નવ મહિના પોતાની કૂખમાં ધારણ કર્યા બાદ મા એને આપણી દુનિયામાં અવતારે છે. નવ મહિનાથી બંને વચ્ચે ગર્ભનાળનો સંબંધ છે, જે વિશે બાપને ક્યારેક ઈર્ષ્યા પણ આવી જાય છે. નાળ કપાવાની ઘડીએ માને પોતાના જ અસ્તિત્વનો એક ભાગ કપાઈ જતો અનુભવાય છે. મા માટે આ ઘડી હર્ષ અને શોકની બેવડી ઘડી છે. પણ ગમે એ કરો, પોતાનામાંથી જ જન્મ્યું હોવા છતાં આ નવું અસ્તિત્વ નાળ કપાય છે એ ઘડીએ જ પોતાનાથી પ્રકાશવર્ષો દૂર થઈ ગયું હોય છે. મા-બાપ ભલે બાળકને પોતાનું ગણીને ઉછેરે અને પોતે અને પોતાના સંતાન એક જ છે એમ ગણીને જીવે પણ જેમ તીરથી નીકળેલું બાણ પરત ફરી શકતું નથી એમ આ સંતાન પણ હવે ગર્ભમાં પરત નહીં જ ફરી શકે. શરીરની અલગતાની આ જે વાસ્તવિક્તા છે, એ જ લાગણીઓ-અનુભૂતિઓ માટેની વાસ્તવિક્તા પણ છે. પરંતુ એ તરફ જોવું આપણને ગમતું ન હોવાથી આપણે આંખ મીંચી દઈને દુનિયા ગાયબ થઈ ગઈ હોવાના ભ્રમમાં જીવી કાઢીએ છીએ.

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

દરેક વ્યક્તિ અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ જ છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વિલિયમ ગોલ્ડિંગની લોહી થીજાવી નાંખતી લઘુનવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે. બાળકોને આમ તો આપણે ઈશ્વરનો અંશ ગણતાં હોઈએ છીએ પણ જ્યારે નિર્જન ટાપુ પર અસ્તિત્વની લડાઈ ઊભી થાય છે ત્યારે આ કૂમળાં બાળકો વચ્ચેના માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે. ગળે ઊતારવી ભલે ન ગમે પણ સંબંધોની ખરાઈ તો આ જ છે. બોધિવૃક્ષ શોધવા ગયા જવું જરૂરી છે જ નહીં. ખરું બોધિવૃક્ષ તો આપણું જીવન જ છે. જે ઘડીએ જીવનમાં બની રહેલી ઘટનાઓ પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ ઘડી બુદ્ધત્વની ઘડી છે. પ્રસ્તુત રચનામાં બાપને ઘરના દરવાજામાં બાળકીના અચાનક કચડાઈ ગયેલ આંગળાંઓના નિમિત્તે જન્મેલી પીડાના સંદર્ભે સંબંધોનું બોધિવૃક્ષ હાથ લાગ્યું છે અને એને વાસ્તવિક્તાનું જ્ઞાન સાંપડ્યું છે. પોતે, બાળકો, બાળકોની જનેતા- આખો પરિવાર મૃત ચળકતાં તારાઓની વચ્ચે વિખેરાઈને જીવી રહ્યો છે. એક નાના અમથ ઘરની ચાર દીવાલોની વચ્ચે એકમેકની સતત હૂંફમાં સાથે જીવતાં હોવાની જે અનુભૂતિ છે એ માત્ર આભાસ હોવાનું નાયકને સમજાયું છે. આપણે સહુ એક જીવનમાં અનેક જીવન જીવતાં હોઈએ છીએ. જીવનના અલગ-અલગ રંગમંચ પર આપણે અલગ-અલગ કિરદાર ભજવતાં રહીએ છીએ. વ્યક્તિએ-વ્યક્તિએ અને સંબંધે-સંબંધે આપણો ચહેરો બદલાતો રહે છે. એક જ વ્યક્તિ સામે પણ આપણે એકના એક સ્વરૂપે રજૂ થઈ શકતા નથી, સમય-સમયે બદલાતા રહીએ છીએ. આપણાં આ એકે-હજારા રૂપને કવિ આપણું સેંકડો-હજારોમાં ટુકડાઓમાં વહેંચાઈ જવું ગણાવી આપણી વચ્ચે જે માનસિક અંતર છે એની દૂરીથી આપણને પ્રબુદ્ધ કરે છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા અને વચ્ચે વસતી અસીમ અંધારી વાસ્તવિક્તાની તેજાબી અનુભૂતિ કરાવે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૪ : પરિશૂન્યતા – આહારોન આમીર (હિબ્રૂ)

Nothingness

I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more

– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)

પરિશૂન્યતા

હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં

– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)

ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો?

એક રાત્રે અચાનક ભયાનક સપનું જોઈને તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે તમારા સાથીદારને ઊઠાડવા બૂમ પાડવા જાવ છો અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. વાણીના નામે તમારી પાસે નકરો શૂન્યાવકાશ જ રહી ગયો છે અને ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? કેવી રીતે તમારા સાથીદાર સાથે, પરિવારજનો સાથે, મિત્રો સાથે, સહકર્મીઓ સાથે હવે તમે વાર્તાલાપ કરી શકશો? તમારી જાતને કઈ રીતે અભિવ્યક્ત કરી શકશો? વિચારો… આવી કોઈ અસીમ શૂન્યતાની અનંત ભેખડ પર લટકવાનું થાય તો શું હાલત થાય? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર આજે ગ્લૉબલ કવિતામાં ઉપસ્થિત થયા છે.

આહરોન આમીર. ૦૫-૦૧-૧૯૨૩ના રોજ લિથુઆનિયામાં જન્મ. મૂળે ઇઝરાઈલી. હિબ્રૂ ભાષાના સાહિત્યકાર. ૧૦ વર્ષની વયે એમનો પરિવાર પેલેસ્ટાઇન સ્થળાંતરિત થયો. તેલ અવીવમાં મોટા થયા. અભ્યાસ કરતા હતા એ સમયે આમીર ઇર્ગુન અને લેહી નામની ગુપ્તચર સંસ્થાઓના સભ્ય હતા, જેઓ પેલેસ્ટાઇનમાંથી બ્રિટિશરોને હાંકવા માંગતા હતા. કેનાનાઇટ ચળવળ જેણે પેલેસ્ટાઇનના યહૂદીઓના કળા, સાહિત્ય, આધ્યાત્મિક અને રાજકારણીય વિચારોને નવો દેહ બક્ષ્યો, એના સ્થાપક સભ્ય પણ તેઓ હતા. આ ચળવળે એ સમયની સંસ્કૃતિને ધર્મના સીમાડાઓથી ઊંચા ઊઠતાં શીખવ્યું. ૧૮ વર્ષ સુધી એમણે કેશેટ નામનું સાહિત્યિક સામયિક પણ ચલાવ્યું. જીવનના આખરી શ્વાસ સુધી સક્રિય રહ્યા. ૮૫ વર્ષની વયે કેન્સરના કારણે ૨૮-૦૨-૨૦૦૮ના રોજ નિધન. પોતાનું શરીર તેઓ વિજ્ઞાનને સમર્પિત કરતા ગયા.

કર્મઠ સર્જક આહરોનની ભાષા જેટલી સહજ છે એટલું વાતનું ઊંડાણ સહજ નથી. આહરોનની કવિતાઓ એક ઊંડા કૂવા જેવી છે, એમાં જેમ ઊંડે ઊતરતા જાવ, એમ નવા-નવા પરિમાણ હાથ આવતા જાય છે, નથી હાથ આવતું તો માત્ર તળ. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાંથી વિપુલ સાહિત્ય તેઓ પોતાના હિબ્રૂ લોકો માટે ઊતારી લાવ્યા. ૨૦-૩૦ નહીં, લગભગ ૩૦૦ જેટલા પુસ્તકોનો એમણે હિબ્રૂ ભાષામાં અનુવાદ કર્યો. અને બંધ કોચલા જેવી સંસ્કૃતિના અંધારામાં કેદ ભાષાવાસીઓ માટે તેઓ આ રીતે અજવાળાનું આખું આકાશ લઈ આવ્યા હતા. આ છતાં એમણે આજીવન અનુભવ્યું કે પોતે આ દેશમાં આગંતુક હોવાના નાતે સ્થાનિક લોકો અને સ્થાનિક સાહિત્યે એમનો પૂર્ણપણે સ્વીકાર કર્યો નહોતો.

કવિતાના શીર્ષક નથિંગનેસનો તરજૂમો વ્યાયામ માંગી લે છે. ફરી એકવાર એક ભાષાની લાક્ષણિકતા કઈ રીતે બીજી ભાષાની મર્યાદા બનતી હોય છે એ સમજી શકાય છે. અંગ્રેજીના જાણતલને નથિંગનેસનો અર્થ સમજાવવો પડતો નથી. નથિંગનેસ બોલતાં જ આંખ સામે શૂન્યતાની અસીમ ખીણ નજર સામે આવી ઊભે છે. શીર્ષકનો અનુવાદ શું કરવો? શૂન્યતા? પરિશૂન્યતા? અનસ્તિત્વતા? ખાલીપો? બધા જ વિકલ્પ સાચા પણ છે અને અધૂરા પણ છે. યથાર્થ ભાષાંતર કરવું હોય તો ‘કંઈ નહીં-તા’ જેવો શબ્દ કોઇન કરવો પડે પણ મૂળ રચના અને અંગ્રેજી અનુવાદમાં શીર્ષક માટે કોઈ અરુઢ શબ્દ પ્રયોજાયો ન હોવાથી ગુજરાતીમાં ‘પરિશૂન્યતા’ જેવો નિકટતમ વિકલ્પ નિર્વાહ્ય ગણી લેવો પડે. શીર્ષકના અનુવાદની ગડમથલ જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે પ્રસ્તુત રચના ભાષાની આ ખાસિયત અને મર્યાદાઓ પર જ પ્રકાશ નાંખે છે. ‘પરિશૂન્યતા’ વીસ પંક્તિઓના એક જ બંધમાં લખાયેલ કાવ્ય છે. અહીં ભાષાલોપની વાત મુખ્ય હોવાથી છંદલોપ તથા પ્રાસલોપ પણ સહજ સ્વીકૃત બની રહે છે. મૂળ કવિતા ઉપલબ્ધ ન હોવાથી કવિએ એમાં વિરામચિહ્નોનું પ્રયોજન કઈ રીતે કર્યું છે કે કર્યું છે યા નહીં એ જાણવું શક્ય નથી પણ અબ્રાહમ બિરમને અંગ્રેજી અનુવાદમાં કવિતામાં ચાર જગ્યાએ ડૅશ (લઘુરેખા) વાપરવા ઉપરાંત કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પ્રયોજ્યા નથી જે સૂચક છે. ભાષા-વાણી ખોવાઈ જવાની વાત તમામ પ્રકારના વિરામચિહ્નો ખોઈ નાંખવાના કારણે વધુ ધારદાર બની છે. જો કે એની સામે કવિએ વ્યાકરણમાં ક્યાંય કોઈ ચેડા કર્યા નથી એ પણ એટલું જ નોંધપાત્ર છે.

અડધી રાત્રે સંભાષકની ઊંઘ કોઈક કારણોસર અચાનક ઊડી જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એની ભાષા અચાનક ચાલી ગઈ છે. એની પાસે હવે એની ભાષાનું કોઈ નિશાન, લખાણ, કક્કો કે અન્ય કોઈ પણ ભાષાના શબ્દ કે ચિહ્ન-ઈશારા સુદ્ધાં રહ્યાં નથી. અડધી રાતે અચાનક કોઈકે એની પાસેની આ તમામ મતા સાગમટે ચોરી લીધી છે અને એ આદિમ ભયથી આતંકિત થઈ જાય છે. ફ્રાન્ઝ કાફકાની બહુપ્રસિદ્ધ જર્મન લઘુનવલ (Novella) ‘Die Verwandlung’ (અંગ્રેજીમાં ‘મેટામોર્ફોસિસ’)નો નાયક ગ્રેગોર સામ્સા યાદ આવી જાય. એક સવારે ઊઠીને ગ્રેગોર પોતાની જાતનું એક વિશાળ જંતુમાં રૂપાંતર થઈ ગયેલું જુએ છે. જંતુ બનવાની સાથે એની ભાષા પણ બદલાઈ જાય છે, જે પરિવારજનો માટે અસંબદ્ધ અવાજથી વિશેષ કશું નથી. સ્વરૂપ અને ભાષા બદલાઈ જવાથી ગ્રેગોર અને પરિવારજનો જે સમસ્યાઓનો શિકાર બને છે એ આખી વાત બહુ અદભુત છે અને દુનિયાભરના વિદ્વાનોએ આ લઘુનવલના પોતપોતાની રીતે અર્થઘટનો કર્યાં છે. આમીરની આ રચના કાફકાની લઘુનવલના પદ્યસ્વરૂપ સમી છે.

આખું જીવન અભરે ભરેલું હોવા છતાં મનુષ્યને જીવનમાં જે નથી એનો જ મોહ વધુ હોય છે. ‘છે’નો સિક્કો સમયના હાથે સતત ઘસાતો રહે છે પણ ‘નથી’નો સિક્કો વધુ ને વધુ ચમકદાર બનતો રહે છે. પગ પાસેની રેતીમાં શ્રદ્ધા હોત તો મરીચિકાનો જન્મ જ ન થાત! પણ આપણને હંમેશા પારકે ભાણે જ લાડુ મોટો લાગતો આવ્યો છે. હોવા કરતાં ન હોવાનું ગણિત જ પ્રાધાન્ય ધરાવતું હોવાથી જિંદગીના દાખલામાં સરવાળે હંમેશા ખોટ જ હાથ લાગે છે. ઈ.પૂ. ૫૬૫માં લાઓ ત્સેએ કહ્યું હતું: ‘અજ્ઞાનને જાણવું એ જ્ઞાનનો શ્રેષ્ઠ ભાગ છે.’ અહીં નાયકને અચાનક પોતાની પાસે જે બચ્યું નથી કે છિનવાઈ ગયું છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાન હંમેશા કષ્ટદાયક હોય છે. ડી એચ લૉરેન્સે કહ્યું હતું કે ‘જ્ઞાને સૂર્યને મારી નાંખ્યો છે, ધબ્બાઓવાળો વાયુનો એક ગોળો બનાવી દીધો છે.’ કેવી સાચી વાત! ગુમાવી બેસવાના જ્ઞાને જ નાયકને ભયભીત કરી દીધો છે. કોઈ વસ્તુ આપણે કદી જોઈ-અનુભવી જ ન હોય તો એની અછત બહુ તકલીફદેહ બનતી નથી. મર્સિડિઝ-બીએમડબ્લ્યૂના કદી માલિક થયાં જ ન હોઈએ તો ઈર્ષ્યાથી વધીને કદાચ તકલીફ ન જ થાય પણ આખી જિંદગી એમાં ફર્યા હોઈએ અને અચાનક ગુમાવી બેસીએ એ વધુ પીડાકારક છે. ‘ન હોવું’ એ ‘હોવું’ કરતાં વધુ દર્દ પહોંચાડે છે પણ ‘હોવું’ જ્યારે ‘ન હોવું’ બની જાય ત્યારે તો અસહ્ય જ બની રહે છે.

નાયકની જિંદગીમાંથી રાતોરાત ભાષા એના તમામ આયામો લઈને ચાલી ગઈ છે. ભાષાથી મોટી કોઈ ક્રાંતિ મનુષ્યજાતે કરી-અનુભવી નથી. જ્યારે ભાષા હતી જ નહીં, ત્યારે પણ પ્રત્યાયન તો હતું જ. પણ એ બિલકુલ આદિમ પ્રકારનું હતું. માનવામાં આવે છે કે પાંચ લાખ વર્ષ પહેલાં વાણીનો ઉદગમ થયો હતો. સાંઠ-સિત્તેર હજાર વર્ષ પહેલાં આદિમાનવો અલગ અલગ ભૂખંડમાં ફેલાવા શરૂ થયા અને અલગ-અલગ પ્રકારની વાચાનો જન્મ થવાની શરૂઆત થઈ. ફ્રાન્સમાં શૉવેટ ગુફામાં પ્રત્યાયનમાં મદદરૂપ ગુફાચિત્રો મળી આવ્યા છે, જે ૩૦૦૦૦ વર્ષો પુરાણાં છે. ભાષાની ઉત્ક્રાંતિ અત્યંત ધીમી ગતિએ થઈ. ગુફાચિત્રોથી પેટ્રોગ્લિફ (પહાડમાં કરેલ કોતરકામ) સુધી જવામાં બીજાં વીસેક હજાર વર્ષ નીકળી ગયાં. લેખનની શરૂઆત ઈસુથી ત્રણથી છ હજાર વર્ષો પૂર્વે થઈ હોવાનું મનાય છે પણ વાણીની શરૂઆત વિશે કોઈ આધારભૂત સ્રોત ઉપલબ્ધ નથી કેમકે વાચા કોઈ નિશાન મૂકતી નથી જેને પુરાતત્ત્વવિદ્દ ખોદી કાઢી શકે. જેમ પશુ-પક્ષીઓમાં એમ મનુષ્યોમાં પણ અવાજના નાના-મોટા આરોહ-અવરોહથી વાતચીત કરવાની શરૂઆત થઈ હશે. મનુષ્યો પાસે હાથ-પગ-શરીર વડે સંકેત કરવાની વધારાની સુવિધા પણ હતી. સમય જતાં આ અવાજોના પિંડ બંધાયા અને એમ ભાષાની શરૂઆત થઈ. આજે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ માત્ર ભાષાના પ્રતાપે જ છે. જો આપણા વિકાસના મૂળમાં ભાષાની સિમેન્ટ રેડવામાં આવી જ ન હોય તો અભિવ્યક્તિની ઈમારત બાંધવી જ સંભવ નથી. ફ્રાન્સિસ બેકને કહ્યું હતું એમ, ‘માણસો કલ્પના કરે છે કે તેઓનું મન ભાષા પર આધિપત્ય ધરાવે છે, પણ બહુધા એવું થતું હોય છે કે ભાષા મનોમસ્તિષ્ક પર રાજ્ય કરે છે.’ કોઈકે કહ્યું છે એમ ભાષા સુનિશ્ચિત રેલપટ્ટીઓ જેવી છે, જેના પર જ આપણા વિચારોએ દોડવું પડે છે.

અને આ ભાષાની એકદિવસ અચાનક આગોતરી જાણ વિના જ જીવનમાંથી બાદબાકી થઈ જાય તો કેવી હોનારત સર્જાય?! નખશિખ વસ્ત્રોથી સુશોભિત સભાગૃહની સમક્ષ મંચ પર અચાનક નિર્વસ્ત્ર આવી ઊભા રહેવાનું થાય ત્યારે જે હાલત થાય એ હાલત સંભાષક અનુભવી રહ્યો છે. આકાશને આંબતા વિરાટકાય વૃક્ષની ટોચ પરથી કોઈ માણસ નીચે ફંગોળાય ત્યારે કેવો ડર લાગે! જહાજ તૂટી ગયા પછી કોઈ નાના ટાપુ પર આશરો લેનાર માણસ જ્યારે જુએ કે દરિયાની ભરતી ટાપુને ગળવા માંડી છે તો જીવ કેવો પડીકે બંધાય! વિમાનચાલકે વિમાનમાંથી કૂદવું પડે અને જે પેરાશૂટના આશરે કૂદ્યો હોય એ પેરાશૂટ ખૂલે જ નહીં તો કેવી કફોડી હાલત થાય! પથરો ખાડામાં પડે ને ખાડાનો અંત આવે જ નહીં, આવે જ નહીં ત્યારે ભય અને અનિશ્ચિતતાની જે તીવ્રતમ લાગણી થાય એ લાગણી કથક અહીં અનુભવી રહ્યો છે. પણ આ ભય પણ અવાજ વગરનો, અક્ષર વગરનો, ઉચ્ચારી ન શકાય એવો હતો. કોઈપણ જાતના અવયવ વિનાના શરીર જેવી આ વાત છે. કોઈપણ પ્રકારે સ્ફુટ ન થઈ શકે એવી અસંબદ્ધતા નાયકને ઘેરી વળે છે. ભયની આ અસ્ફુટતાને કવિ ‘અસ્ફુટ’ શબ્દને બેવડાવીને વધુ ધારદાર બનાવે છે.

ભાષા વિનાના અંધારામાં સાવ માણસ એકલો પડી જાય છે. એક એવી કાળી ગાઢી ઉદાસી બધી તરફ વ્યાપી જાય છે, જેમાં ભલભલા ‘હું’ ઓગાળી જાય છે. જીવનમાં જે કોઈ સહારાઓ હતા, એ આ અંધારામાં ગાયબ થઈ જાય છે. આમેય અંધારું નાના-મોટા બધાને બધાને એકસમાન રંગીને એક કક્ષાએ લાવી દે છે. આ અંધારામાં જાતને ટકાવવા માટે હવે નથી કોઈ પકડ બચી કે નથી કોઈ ટેકો, જેને અઢેલી શકાય. જાણે સર્વસ્વને સર્વસ્વમાંથી ઉતરડી ન લેવાયું હોય એમ શૂન્યતામાં શૂન્યતાનો ગુણાકાર થતો રહે છે. પાસે જે ધ્વનિ બચી ગયો હોવાનું અનુભવાય છે એમાં કોઈ વાચા નથી ને કોઈ અવાજ પણ નથી. આ વાચાહીન અને અવાજહીન ધ્વનિનું રૂપક કવિતામાં સૌથી વધુ મજબૂત રૂપક છે, જેની સામે આવીને મજબૂતમાં મજબૂત ભાવક પણ ઘૂંટણિયે પડવા મજબૂર થઈ જાય છે.

ભાષા આપણી શક્તિ છે તો આપણી મર્યાદા પણ છે. કોઈકે અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘કેમકે આપણે માત્ર આપણા અનુભવોને જ ઓળખીએ છીએ, આપણે કેવી રીતે ક્યારેય એમની બહાર આવીને ચકાસી શકીએ, કે ખરેખર વાસ્તવિક્તા શું છે?’ આપણા મનોભાવોને સુપેરે યથાતથ રજૂ કરી શકે એવી કોઈ ભાષા દુનિયામાં શોધી શકાઈ જ નથી. દરેક ભાષા પાસે અભિવ્યક્તિની વધતીઓછી ક્ષમતા હોવાના કારણે એક ભાષા જે લાગણી જે શબ્દમાં વ્યક્ત કરી શકે છે, એ લાગણી એના એ રૂપે વ્યક્ત કરવામાં બીજી ભાષા કદી સક્ષમ બને જ નહીં. રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’નો દુનિયાની બીજી કોઈપણ ભાષામાં તરજૂમો શક્ય જ નથી. ને એ ન્યાયે દુનિયાની કોઈ કવિતા બીજી ભાષામાં મૂળ ભાષાના ભાવોને હૂબહૂ રજૂ કરી શકે જ નહીં. ફ્રોસ્ટે કહ્યું જ હતું કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે એ કવિતા છે. એઝરા પાઉન્ડે બહુ સાચું કહ્યું છે: ‘તમામ માનવ જ્ઞાનનો સરવાળો કોઈ એક ભાષામાં સમાવી શકાય નહીં, અને કોઈ એક ભાષા માનવીય સમજના તમામ સ્વરૂપો તથા પરિમાણો વ્યક્ત કરવાને સક્ષમ નથી.’

જ્યારે હોવામાંથી હોવું નીકળી જાય ત્યારે મનુષ્ય શૂન્ય બની જાય છે, શૂન્યથીય વધુ સીમિત –કંઈ જ નહીં- બની જાય છે. (શૂન્ય પણ આખરે કંઈક તો છે જ ને!) લટકી જવા માટે વધસ્તંભ તો નથી જ, એકાદી ખૂંટીય નથી રહેતી જ્યાં તમે લટકી-અટકી જઈ શકો અને શૂન્યની હદોય ઓગળી જાય એવી પરિશૂન્યતા-કંઈ નહીંતામાં સરી પડવાથી બચી શકો. મહર્ષિ અરવિંદ સમાધિના પ્રથમ પગથિયાં તરીકે પોતાના વિચારોથી અળગા થવાની સલાહ આપે છે. પોતાના વિચારોને કોઈ ત્રાહિત વ્યક્તિની જેમ આવતાં-જતાં જોતાં એ શીખવે છે. સાચા અર્થમાં આ આવડે એ પછી માણસ વિચારોને સંપૂર્ણતયા અવગણી શકીને વિચારહીનતાના શિખરે પહોંચી શકે છે. વિચારહીનતાનું સર્વોત્તમ શિખર એ સમાધિનું પ્રથમ પગથિયું છે. ઓશો પણ અરવિંદના સૂરમાં પોતાનો સૂર પૂરાવી તાટસ્થ્યપૂર્ણતાથી વિચાર સાથે વર્તી સમાધિ સુધી જવાનો રાહ કંડારે છે. કેમકે જ્યારે માણસ સમગ્રતઃ વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે સાચા અર્થમાં એનો ‘હું’ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ભાષા આપણને વિચારતા શીખવે છે. આપણા વિચારને ચાલવા માટે ભાષાની સડક અનિવાર્ય છે. સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલા રેની ડેઇકાર્ટ (René Descartes)નું લેટિન વિધાન છે: હું વિચારું છું, માટે હું છું. (ego cogito, ergo sum) ફિલિપ આદમ્સ આ વાતથી એક પગલું અગળ વધે છે: ‘હું વિચારું છું તેથી મારી પાસે કોઈ સગડ નથી.’

ભાષા બે મનુષ્યો, બે સંસ્કૃતિઓને જોડતો સેતુ છે. ભાષા સમાજનો મૂળભૂત પાયો છે. ભાષા વિચારની જનેતા છે. ભાષા છિનવાઈ જવાનું કાવ્યનાયકનું દુઃસ્વપ્ન એના એકલા પડી જવાના ડરનું જ દ્યોતક છે. આજે આપણે એ બિંદુએ આવી ઊભા છીએ જ્યાં માણસ હજારો માણસોને મળવાની ક્ષમતા તો ધરાવે છે પણ પોતાની જાતને મળવાની હિંમત ગુમાવી બેઠો છે. આજના મનુષ્યની મથરાવટી મુકુલ ચોક્સીએ આબેહૂબ આલેખી છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

જાતથી રૂબરૂ થઈ જવાનો ડર આજે તમામ ડરનો બાપ બની બેઠો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોને તો મોંકાણની પરાકાષ્ઠા માંડી છે. એણે માણસને પોતાની જાતથી તો વેગળો કરી જ નાંખ્યો છે, આસપાસમાંથીય બાદ કરી નાંખ્યો છે. આજનો મનુષ્ય આભાસી દુનિયામાં ગરકી ગયો છે એવામાં અડધી રાતે આવો અહેસાસ થાય કે ભાષા-વિચાર-અવાજ બધું જ છિનવાઈ ગયું છે ત્યારે જે એકલતાની-પરિશૂન્યતાની ચરમસીમા અનુભવાય એ અનુભવવું આજના માનવીના બરની વાત નથી. ભાષા-વાચા-વિચારહીન થઈ જવાની ઘડીએ હું હું રહેતો નથી કેમકે બધી ઉપાધિ વિચાર-વાના કારણે જ છે. વિચારને જ લકવો પડી જાય તો પછી ઉપાધિ જ શી રહે? કબીર યથાર્થ જ કહી ગયા છે કે, ‘जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही|’ જ્યાં સુધી માણસ પાસે એનો ‘હું’ હોય છે ત્યાં સુધી ઈશ્વર પણ એની નજીક ફરકવાની હિંમત કરી શકતો નથી પણ જે ઘડીએ માણસનો ‘હું’ ખરી પડે છે ત્યારે ઈશ્વર સિવાય કંઈ બચતું નથી કેમકે ‘હું’વિહોણો મનુષ્ય સાક્ષાત્ ઈશ્વર જ છે! એકવાર કોઈપણ પ્રકારના વિચારોથી પરિશૂન્ય થઈ જવાય તો હું કોણ છું કે હું શું છુંનો કોઈ અર્થ બચતો નથી, કેમકે હુંનું અસ્તિત્વ જ મટી જાય છે. અનસ્તિત્વતાનો આ સાક્ષાત્કાર જ આ કવિતાની સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૧૦૩ : ક્લિઓપેટ્રા – આન્ના આખ્માતોવા

Cleopatra

I am air and fire.
Shakespeare

Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin

[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.

And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)

– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)

ક્લિઓપેટ્રા
હું હવા અને અગ્નિ છું.
– શેક્સપિઅર

એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન

(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.

અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.

અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.

– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લિઓપેટ્રા – રાણીના લિબાસમાં છૂપાયેલું કવયિત્રીનું સ્વાન-સૉંગ

કવિતા કવિની આત્મકથા છે એમ કહીએ તો એ કેટલા અંશે સાચું ગણાય? કદાચ ઘણાખરા સર્જકો આ વાત સ્વીકારવા તૈયાર ન થાય. હું જે લખું છું એ મારી આત્મકથા છે એમ જો સર્જક કહી દે તો કદાચ ઘણાં ઘર ભાંગી જાય. પણ હકીકત એ છે કે સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. તમામ પ્રકારનું સર્જન સર્જકના નિજના અનુભૂતિના પિંડમાંથી જ રચાતું હોવાથી એક રીતે એ સર્જકની જ કોઈને કોઈ સંવેદનાની આત્મકથા જ ગણી શકાય.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

સર્જક શબ્દોને શ્વસીને જીવે છે એટલે એના સર્જનમાં એના શ્વાસ જ સામેલ હોવાના એ હકીકત શી રીતે જૂઠલાવી શકાય? રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવા પ્રસ્તુત રચનામાં મહાન ઐતિહાસિક પાત્રના વર્ણનના સ્વાંગમાં પોતાની આત્મકથા જ આલેખે છે.

આન્ના એન્ડ્રિયેવ્ના ગોરેન્કો. ૨૩-૦૬-૧૮૮૯ના રોજ રશિયામાં, પણ હાલ યુક્રેઇનના ઓડેસા ખાતે જન્મ. યુદ્ધ, ક્રાંતિ અને સરમુખત્યારશાહીના પ્રતાપે એમના વિશેની ઘણી માહિતી અને એમનું ઘણું સર્જન મિટાવી દેવામાં આવ્યું હતું. એમના દાદાના કાકી રશિયાના પ્રથમ કવયિત્રી હતાં એમ આન્નાએ લખ્યું છે. ૧૧ વર્ષની વયે આન્નાએ કવિતા લખવું આદર્યું અને ટૂંકાગાળામાં એમની રચનાઓ છપાવા પણ માંડી. કવિતાને ‘ઉતરતી’ ગણતા પિતાનું નામ બદનામ ન થાય એ માટે એમણે આન્ના આખ્માતોવા (ઉચ્ચાર મુજબ આક્માટોવ, પણ આપણે ત્યાં આખ્માતોવા પ્રચલિત થઈ ચૂક્યું હોવાથી એ જ રાખીએ) ઉપનામ રાખ્યું. નિકોલાઈ ગુમિલ્યોવ સાથેનું પ્રથમ લગ્નજીવન (૧૯૧૦-૧૯૧૮) અને વ્લાદિમિર સાથેનું બીજું લગ્નજીવન (૧૯૧૮-૧૯૨૬)–બંને આઠેક વર્ષ જ ટક્યાં. પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા એ પછી પણ સૉવિયેટ ખાનગી પૉલિસે એમની જાન લીધી અને બે નિષ્ફળ લગ્નજીવન બાદ જે નિકોલાઈ પુનિન સાથે તેઓ આજે લિવ-ઇન કહીએ છીએ એ પ્રકારના સંબંધથી જોડાયાં, એ પુનિનને પણ લેબર કૅમ્પમાં મૃત્યુ પામ્યો ત્યાં સુધી રહેવાની ફરજ પડાઈ. આ ઉપરાંત ઓસિપ મેન્ડલસ્ટામ, બૉરિસ અન્રેપ, મિખાઇલ ઝિમરમેન, આર્થર લૉરી જેવા ઘણા લોકો સાથે એ અવારનવાર પ્રેમસંબંધે જોડાતાં રહ્યાં. પહેલા હનીમૂન વખતે પેરિસમાં એમેડિયો મોડિગ્લિઆની સાથે મૈત્રી થઈ, ફરી પેરિસ એને મળવાં એ ગયાં ત્યાં સુધીમાં એમેડિયોએ એમના (નગ્ન સહિતના) વીસેક ચિત્રો બનાવ્યાં હતાં.

રશિયાના ઉત્તમ કવિઓમાં મોખરાનું સ્થાન. પ્રમુખતઃ કવિતાઓ પણ નિબંધો, આત્મકથાનક અંશો, અને અનુવાદો પણ આપ્યા. પરવીન શાકિરની જેમ જ આન્નાની કવિતાઓમાંથી એક સ્ત્રીનો સ્પષ્ટ અને બુલંદ સ્વર ઊઠતો સંભળાય છે. મર્યાદિત શબ્દોમાં રજૂ થતી સંયમિત લાગણીસભર રચનાઓ એમની મૌલિકતાના કારણે સમકાલીનોથી અલગ તરી આવે છે. ‘નેવાની રાણી’ અને રશિયન ‘રજતયુગનો આત્મા’ જેવી પદવી એમને અપાઈ હતી. સતત બે વરસ સુધી નોબલ પારિતોષિક માટે એમનું નામ વિચારાયું હતું. હજારો સ્ત્રીઓએ ‘આખ્માતોવાના માનમાં’ કવિતાઓ રચવી શરૂ કરી, જે બાબતમાં આન્નાએ કહેવું પડ્યું હતું કે, ‘મેં આપણી સ્ત્રીઓને કેવી રીતે બોલવું એ તો શીખવી દીધું, મને ખબર નથી કે એમને ચુપ કઈ રીતે કરવી.’ પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણે રશિયન રજતયુગનો અંત આણ્યો. ફ્રેબ્રુઆરી ૧૯૧૭માં પિટર્સબર્ગમાં ક્રાંતિના પાગરણ થયાં અને સિપાહીઓએ વિરોધ કરનારાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવો આદર્યો. વીજળી, ગટર, ખાધા-ખોરાકી અને પાણીના અભાવે સેંકડો લોકો માર્યા ગયા. આન્નાના ઘણા મિત્રો મરાયા, ઘણા યુરોપ વગેરે દેશોમાં ભાગી છૂટ્યા. આન્નાને પણ ભાગી છૂટવાની તક હતી પણ એમણે વતન ન ત્યજવાનો નિર્ણય લીધો અને આજીવન આ વાતનું એમને અભિમાન પણ રહ્યું. ૧૯૨૫થી ૧૯૪૦ દરમિયાન આન્નાની કવિતાઓ પર ‘બિનસત્તાવાર’ પ્રતિબંધ મૂકાયો. લોકોએ એવું પણ માની લીધું કે આન્ના હવે હયાત નથી. આન્નાની ધરપકડ થતાં-થતાં રહી ગઈ પણ એમના ઇતિહાસકાર પુત્ર લેવની વારંવાર ધરપકડ કરવામાં આવી. આત્યંતિક ગરીબીના શિકાર આન્નાને દીકરાને ખાવાનું આપવા અને એને છોડી દેવાની આજીજી કરવા માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું. ૧૯૩૯માં સ્ટાલિને એમને એક કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની છૂટ આપી, જે થોડા જ સમયમાં બજારમાંથી ફરી ખેંચી લઈ નાશ કરાયો. આન્ના લગભગ નજરકેદી જેવું જીવન જીવ્યાં. એમના ફોન ટેપ કરાતા, મુલાકાતીઓની જડતી લેવાતી, લખાણો જપ્ત કરાતાં. કવિતાઓ લખીને, મોઢામોઢ ફરતી કરીને જાતે જ બાળી દેવી પડતી, જેના પરિણામે મનાય છે કે વિપુલ સાહિત્ય કાયમ માટે લુપ્ત થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટાલિનના હુકમથી એમને થોડો સમય તાશ્કંદ મોકલી દેવાયાં. ૧૯૪૬માં એ જ સ્ટાલિનના કહેવાથી એમની વિરુદ્ધ જાહેર ચળવળ ચલાવાઈ અને આન્નાને ‘અર્ધવેશ્યા, અર્ધસાધ્વી’ જાહેર કરાયાં. દીકરાને છોડાવવા માટે આન્નાએ સ્ટાલિન માટે કસીદા પણ કસવા પડ્યા. સ્ટાલિનના મૃત્યુ (૧૯૫૬) પછી આન્નાનો કવિ તરીકે પુનઃ સૂર્યોદય થયો પણ વજનદાર સેન્સરશીપ ચાલુ જ રહી. થોડા પ્રતિબંધ-થોડી આઝાદીની વચ્ચેની જગ્યામાં રહીને તેઓ આખરે મૃત્યુના દોઢ-બે દાયકા બાદ ખરા અર્થમાં પ્રસિદ્ધિની ચરમસીમાઓને આંબ્યાં. ૧૯૬૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. ૦૫-૦૩-૧૯૬૬ના રોજ ૭૬ વર્ષની વયે હૃદયરોગના હુમલા બાદ હૃદયનો પંપ નિષ્ફળ જવાથી એમનું નિધન થયું.

ક્લિઓપેટ્રા’ શીર્ષક વાંચતાં જ એક અવનવું સંવેદન લખલખું બનીને આપણને આલિંગી લે છે. ટૉલેમિક રાજવંશની આખરી શાસક ક્લિઓપેટ્રા (સાતમી)નું નામ કોણે નહીં સાંભળ્યું હોય? ઈસુના જન્મથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે એનો જન્મ. ૧૮ વર્ષની કુમળી વયે તો એના હાથમાં ૧૦ વર્ષના ભાઈ સાથે ભાગીદારીમાં રાજગાદી આવી ગઈ. પણ સલાહકારોથી દોરવાઈને ભાઈ ટૉલેમીએ એને ઇજિપ્ત છોડી સિરિઆ ભાગી જવા મજબૂર કરી. બીજા જ વર્ષે ક્લિઓપેટ્રા પોતાની સેના ઊભી કરીને પાછી ફરી. કહે છે કે સિઝરના દરબારમાં શેતરંજીમાં વીંટળાઈને એ પ્રવેશી હતી. શેતરંજી ખોલવામાં આવતાં અંદરથી નીકળેલી રૂપયૌવનાએ દરબારમાં આમ પ્રવેશીને સિઝરને આશ્ચર્યચકિત કરી લીધો અને મોહપાશમાં જકડી લીધો. જુલિયસ સિઝરની મદદથી ભાઈને ભગાડીને એણે ફરી ગાદી હાંસલ કરી. સિઝરની હત્યા બાદ રોમમાં માર્ક એન્ટની, ઑક્ટાવિયસ અને લેપિડસની ત્રિપુટી વિરુદ્ધ સિઝરના હત્યારા બ્રુટસ અને કેસિયસ સામસામા થયા. બંને ટોળીએ ઇજિપ્તની મદદ માંગી. ક્લિઓપેટ્રાએ ત્રિપુટીને મદદ કરી. એમાંથી એન્ટનીએ જીત્યા બાદ એને મળવા બોલાવી. ક્લિઓપેટ્રાના જાદુથી એન્ટની પણ બચી ન શક્યો. ક્લિઓપેટ્રા માટે એન્ટની પોતાની પત્ની અને વતનની સામે થાય છે. બદલામાં એન્ટનીની પત્ની ઓક્ટાવિયાનો ભાઈ ઑગસ્ટસ ઓક્ટાવિયન યુદ્ધ છેડે છે, જેમાં ક્લિઓપેટ્રા અને એન્ટનીની હાર થાય છે. બંને વારાફરતી ભાગી છૂટે છે. ક્લિઓપેટ્રાએ આત્મહત્યા કરી લીધી હોવાની અફવા સાંભળી એન્ટની તલવાર પેટમાં મારીને જીવ આપવાની કોશિશ કરે છે. ઘાયલ એન્ટનીને ક્લિઓપેટ્રા પાસે લવાય છે, જ્યાં ક્લિઓપેટ્રા પોતાના કપડાં ફાડીને, છાતી પીટીને, એના લોહીથી પોતાનો ચહેરો ખરડીને માતમ મનાવે છે. એન્ટની મૃત્યુ પામે છે. ક્લિઓપેટ્રા પોતાના રૂપની માયાજાળમાં ઓક્ટાવિયનને ફસાવવાની નિષ્ફળ કોશિશ કરે છે પણ ઓક્ટાવિયન યુદ્ધના વિજયચિહ્ન તરીકે પોતાને રોમમાં લઈ જઈ નગર વચ્ચે પરેડ કરાવશે એ વાતની ખાતરી થતાં ૩૯ વર્ષની વયે ૧૨ ઑગસ્ટ, ઈ.પૂ. ૩૦ના રોજ ક્લિઓપેટ્રા બે સેવિકાઓ સાથે જાતને ઓરડામાં બંધ કરી દે છે અને કહેવાય છે કે ઝેરી સાપના ડંશ વડે આત્મહત્યા કરે છે. ઑગસ્ટસ ઑક્ટાવિઅન એન્ટની અને ક્લિઓપેટ્રા ઉપરનો વિજય યાદગાર બનાવવા જેમ જુલિયસે જુલાઈ મહિનાનું નામકરણ કર્યું હતું, એમ એ મહિનાનું નામ ઑગસ્ટ નક્કી કરે છે.

ઇજિપ્તની આખરી ફૅરો તથા ઇજિપ્ત, સાયપ્રસ, લિબિયાની રાણી ક્લિઓપેટ્રાનું રૂપ આજે દંતકથા બની ગયું છે. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓએ એના સૌંદર્યને અભૂતપૂર્વતા બક્ષી છે. પણ કહેવાય છે કે એ એટલી સ્વરૂપવાન નહોતી, જેટલી કલ્પવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે એ કાળી હતી. રૂપ-રંગની હકીકત જે હોય એ પણ એ સાચા અર્થમાં પ્રખર મેધાવિની હતી. તીવ્ર બુદ્ધિમતા, ડઝન જેટલી ભાષાઓ પર પ્રભુત્વ; ગણિત, ફિલસૂફી, વાક્છટા, ખગોળશાસ્ત્ર વિ.માં અપ્રતીમ પ્રાવીણ્ય, તથા અવાજના માર્દવ અને વ્યક્તિત્વના અનૂઠા આકર્ષણથી એ સૌને વશ કરી લેતી. પોતાની જાતને જીવંત દેવી માનતી અને એ જ આભાથી જીવતી અને એ જ આભામાં આવનારને ખેંચી લેતી. સેંકડો રાજા-રાણીઓ ઇજિપ્તની ગાદી પર આવ્યાં અને ગયાં પણ ક્લિઓપેટ્રા જેટલી પ્રસિદ્ધિ સમયે કોઈને અપાવી નથી. પ્લુટાર્કની ‘પેરેલલ લાઇવ્સ’ પરથી પ્રેરિત થઈ શેક્સપિઅરે ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ નાટક લખ્યું એ પહેલાં અને એ પછી પણ સેંકડો સર્જકોએ ક્લિઓપેટ્રા વિશે લખ્યું અને લખશે પણ શેક્સપિઅરે વિશ્વ સમક્ષ રજૂ કરેલી એની છબી જનમાનસમાં સદાકાળ માટે જડાઈ ચૂકી છે. એ જ રીતે ફિલ્મોમાં આજદિન પર્યંતની મોંઘામાં મોંઘી ફિલ્મ ‘ક્લિઓપેટ્રા’માં એલિઝાબેથ ટેલરને કોઈ અતિક્રમી શક્યું નથી.

આન્નાની આ કવિતાના સેંકડો અનુવાદ થયા છે, જેમાંથી એની ફ્લિન્ચ, જ્યૉર્જ ક્લાઇન, એ. જેડ. ફોરમેનના અનુવાદો વધુ ધ્યાનાર્હ છે પણ મૂળ રશિયન કવિતાને સામે રાખીએ તો જ્યુડિથ હેમ્શેમેયરે કરેલો અંગ્રેજી અનુવાદ સૌથી વધુ પ્રમાણિક અનુવાદ હોવાનું જણાય છે. ૦૭-૦૨-૧૯૪૦ના રોજ લખાયેલ આન્નાની આ કવિતાની શરૂઆત શેક્સપિઅર અને પુશ્કિનના વિધાનોથી થાય છે. શેક્સપિઅર ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૨, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રાના વખાણ અને ટીકા બંને એક જ વાક્યમાં કરે છે: ‘એ(નું સૌંદર્ય) ભૂલને પણ પરિપૂર્ણ બનાવે છે, અને (પોતે) હાંફતી હોવા છતાં શ્વાસ પૂરો પાડે છે.’ ક્લિઓપેટ્રાના સૌંદર્યને એ અદભુત ન્યાય પણ કરે છે: ‘ન ઉમર એને મુરઝાવી શકે છે, ન રિવાજો એના અનંત વૈવિધ્યને વાસી કરી શકે છે. અન્ય સ્ત્રીઓ જે ભૂખ જગાડે છે, એનાથી (સમય જતાં) તમે ઓચાઈ જાવ છો. પણ એ તમને સંતોષતી હોવા છતાં તમે કદી ધરાતાં નથી.’ સામા પક્ષે રશિયામાં ક્લિઓપેટ્રોમેનિયા(ઘેલછા)ની પુશ્કિનના સાહિત્યથી શરૂઆત થઈ હતી. એક સમય રશિયામાં એવો પણ આવ્યો કે કવિ હોય એણે ક્લિઓપેટ્રા વિશે લખવું જ રહ્યું. પણ આન્નાએ આ જુવાળ ઓસરી ગયા બાદ અને કમ્યૂનિસ્ટ વિચારોએ ક્લિઓપેટ્રાને લગભગ પ્રતિબંધિત કરી દીધી એ પછી જ એના વિશે લખ્યું.

શેક્સપિઅરના ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૫, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રા આત્મહત્યા કરતાં પહેલાં રાણીની જેમ તૈયાર થતી વખતે કહે છે, ‘હું આગ અને હવા છું; મારા અન્ય તત્ત્વો હું મૂળભૂત (નાશવંત) જીવનને આપું છું.’ આગ અને હવા અનુક્રમે પ્રાણ અને શ્વાસ સાથે સંકળાયેલા છે, અન્ય તત્ત્વો પૃથ્વી અને પાણી નાશવંત શરીર સાથે. જીવનના કોઈપણ ઉતારચડાવમાં ક્લિઓપેટ્રાએ મનથી કદી હાર માની નહોતી. એનો આત્મા કદી કોઈનો ગુલામ થયો નહોતો. આન્ના આમાંથી વાક્યાંશ કાવ્યારંભે પ્રયોજે છે. એ પછી આન્ના પુશ્કિનની ‘ઇજિપ્શ્યન નાઇટ્સ’માંથી અભિલેખ વાપરે છે: ‘એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.’ એલેક્ઝાન્ડ્રિયા ખાતે ખેલાયેલી લડાઈમાં ઓક્ટાવિઅને એન્ટનીને હરાવ્યો હતો. એન્ટનીની ખરી પ્રતિભા ક્લિઓપેટ્રાની મોહજાળ હેઠળ ઢંકાઈ ચૂકી છે એ બાબતનો ઈશારો અહીં જોવા મળે છે. ક્લિઓપેટ્રાની આત્મહત્યા રજૂ કરતી આ કવિતા સાથે આ અભિલેખને આમ કશું લાગે વળગતું નથી પણ એકતરફ અભિલેખમાંનો આ છાંયડો કવિતામાં ઊતરી રહેલા સાંજના ઓળા સાથે સુસંગત છે અને બીજી તરફ એ ક્લિઓપેટ્રા અને એલેક્ઝાન્ડ્રીયા શહેરના અંત તરફ ઈંગિત પણ કરે છે. ત્રીજી રીતે જોઈએ તો આ અભિલેખ શેક્સપિઅરના અભિલેખ સાથે મળીને કવિતાનો ‘પ્લૉટ’ ઘડે છે અને ચોથી વસ્તુ એ છે કે સતત સેન્સરશીપની તલવાર નીચે જીવતી આન્ના ભાવકનું અને ખાસ તો સત્તાધીશોનું આ કવિતા આત્મકથનાત્મક હોવા સામેથી ધ્યાન વિચલિત કરે છે. એ કાળમાં સ્ટેલિનિઝમના દાબ તળે સર્જકોમાં સૉવિયેટ ઇશપિઅન ભાષા વ્યાપ્ત બની હતી, જેમાં ઈશપની વાર્તાઓની જેમ અભિધાની નીચે છૂપાયેલી વ્યંજના ઇપ્સિત રહેતી હતી. આન્ના આ જ ભાષા વાપરીને લખે છે કંઈક પણ કહે છે કંઈક.

આમ, ક્લિઓપેટ્રા બાબતમાં સૌથી વધુ સત્તાધિકાર પ્રાપ્ત કરનાર શેક્સપિઅર તથા પુશ્કિન અને રશિયન રજતયુગ સાથે પોતાના વર્તમાનના તાર જોડીને ઇતિહાસના છોગામાં વીંટાળીને આન્ના પોતાની આત્મકથા આપણી સમક્ષ મૂકે છે. એ કહે છે, ક્લિઓપેટ્રાએ એન્ટનીના મૃત હોઠોને ક્યારના ચૂમી લીધા છે અને શહેર જીતનાર ઑગસ્ટસ ઓક્ટાવિઅન સામે આંસુઓ પણ ક્યારના વહાવી દીધાં છે. મતલબ જે કરવાનું હતું એ બધું ક્યારનું થઈ ચૂક્યું છે. યુદ્ધમાં હંમેશા બને છે, એ રીતે સેવકોએ વિજેતાના તાપથી પોતાને બચાવવા રાણીને દગો દઈ દીધો છે. શેક્સપિઅરના નાટકમાં ક્લિઓપેટ્રાનો ખજાનચી સેક્યુલસ ઓક્ટાવિઅસની હાજરીમાં રાણીના શબ્દોને સાથ આપવાના બદલે ફરી જાય છે. રોમન ગરુડ આકાશમાં મંડરાઈ રહ્યું છે. આન્ના શિકારી પક્ષી ગરુડનું પ્રતીક પ્રયોજે છે અને કાવ્યાંતે રાણી આપઘાત કરવા માટે ગરુડના પ્રિય ખોરાક સાપની વાત કરે છે એ પણ સૂચક છે. વિજયના રણશિંગાઓના અવાજોથી આકાશ ભરાઈ ગયું છે. સાંજના ઓળા ઊતરી રહ્યા છે. શહેર, શહેરીજનો અને રાણી – બધાના જીવનનો સૂર્ય હવે આથમી ચૂક્યો છે. બધાએ વિજેતાના ખોફમાંથી પસાર થવાનું છે હવે.

શેક્સપિઅરના નાટકમાં ઑક્ટાવિયસનો સેવક ડોલાબેલા રાણીની શંકાને સમર્થન આપે છે એ જ વાત આન્ના કવિતામાં રજૂ કરે છે. કહે છે, દેખાવે ઊંચો અને ઉદાત્ત વ્યક્તિત્વવાળો, એના સૌંદર્યનો આખરી ગુલામ એની સામે આવે છે અને મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરતો હોય એમ રાણીના શકની પુષ્ટિ કરતાં કહે છે કે ઑક્ટાવિયસ પોતાના વિજયની ટ્રોફીના સ્વરૂપમાં ક્લિઓપેટ્રાને રોમમાં જાહેર પરેડ કરાવશે. પોતાની જાતને નગરજનોની વચ્ચે કેવી રીતે મજબૂર કરીને ચલાવાશે તથા નગરજનો દ્વારા કેવી રીતે ઠઠ્ઠા-મશ્કરી અને અપમાનવર્ષા કરાશે એ દૃશ્ય ક્ષણાર્ધમાં એની આંખ આગળથી પસાર થઈ જાય છે પણ ક્લિઓપેટ્રા સાધારણ સ્ત્રી નથી, એ સાધારણ રાણી પણ નથી, ઇતિહાસે એને ‘રાજાઓની રાણી’નો સરપાવ અમસ્તો નથી આપ્યો. હંસની ડોક જેવી એની સુંદર ગ્રીવા એક તરફ ઢળે છે પણ એમાં ભયની કોઈ કંપન-ધ્રુજારી નથી. એ નમેલી છે પણ સ્થિર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ‘સ્વાન-સૉંગ’ (હંસગીત) રૂપક પ્રચલિત છે. પાશ્ચાત્ય પુરાકથાઓમાં પ્રતીકાત્મકરૂપે હંસ-ગીતનો ઉલ્લેખ અવારનવાર થતો રહ્યો છે. મૃત્યુ અથવા નિવૃત્તિ પૂર્વે કોઈ કળાકાર પોતાની આખરી કૃતિ રજૂ કરે એને સ્વાન-સૉંગ કહે છે. ક્લિઓપેટ્રા માટે પણ આ સમાચાર મૃત્યુ પહેલાંના આખરી સમાચાર છે એટલે આન્ના રાણીની સહેજ ઢળેલી પણ શાંત-સ્થિર ડોકને હંસની ડોક સાથે સરખાવે છે.

એને ખાતરી છે કે આવતીકાલની સવાર કત્લેઆમની સવાર છે. રોમન ગરુડ શિકાર માટે મંડરાઈ રહ્યું છે. પોતાના બાળકોને પણ બક્ષવામાં નહીં આવે એ એને ખબર છે. આ પૃથ્વી પર કરવા માટે હવે ભાગ્યે જ કંઈ બચ્યું છે. વધુમાં વધુ એ આ સમાચાર લાવનાર વિદૂષક સાથે હંસી-મજાક કરી શકશે. અને વિદાય કરતીવેળાએ દુનિયા તરફ કરુણા-અનુકંપાભર્યો એક ઈશારો કરવો ન હોય એમ કાળા ઝેરી સાપને શામળા સ્તન પર બેપરવા હાથ વડે મૂકી દેવાનો છે. ક્લિઓપેટ્રા ગોરી નહીં પણ કાળી હતી એમ કેટલાક ઇતિહાસકારો માનતા હતા એ બાબત સાથે આન્ના કદમ મિલાવે છે. કદાચ ક્લિઓપેટ્રાને શામળી કહીને એ આ કવિતા પોતાની ઓળખ છે એ બાબતને અંધારામાં રાખવાની પણ આન્નની નેમ હોઈ શકે. કાળો રંગ અંધકારનો, મૃત્યુનો રંગ પણ છે એટલે જ કદાચ કવિ ડંસનાર અને ડંસનો ભોગ બનનાર બંનેને ગાઢા રંગે ચીતરે છે.

ક્લિઓપેટ્રાની સાથોસાથ જ કવિતાનો પણ અંત થાય છે. પણ આ કવિતા આન્નાની આત્મકથા છે. આન્નાની ક્લિઓપેટ્રા આન્ના પોતે જ છે. આન્ના પોતાને શ્રેષ્ઠ રશિયન કવયિત્રી, તાજ વિનાના સામ્રાજ્ઞી ગણતાં. એના ચાહકો એને ‘સેફો’ અથવા ‘મ્યુઝ’ કહેતાં. મારિના સ્વેતાએવા એને ‘તમામ રશિયનોની આન્ના’ કહેતી. એટલે આન્ના પોતાને ઇજિપ્તની રાણી સાથે સરખાવે એમાં કંઈ નવાઈ નથી. આન્નાના પતિઓ અને પ્રેમીઓ કાવ્યારંભે નજરે ચડે છે. આન્નાના કારણે એના બે પતિઓએ સ્ટાલિનના દમનનો ભોગ બની જીવથી હાથ ધોવા પડ્યા હતા. આન્નાએ છૂટાછેડા આપી દીધેલા પતિના મૃત્યુ પર પણ કવિતા લખીને શોક અને વિરોધ પ્રગટ કર્યા હતા, એને મૃત પતિના હોઠ પરનું ચુંબન ગણી શકાય. પોતાના પુત્રને દીર્ઘકાલીન કારાવાસમાંથી છોડાવવા નાછૂટકે આન્નાએ સ્ટાલિનની પ્રસંશામાં કાવ્યો લખ્યા હતા, અધિકારીઓના ઉંબરા ઘસ્યા હતા જેને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને આંસુઓ વહાવતી ક્લિઓપેટ્રા સાથે સરખાવી શકાય. રોમન ગરુડનું આકાશમાં મંડરાવું એ રશિયા પર જર્મનીના હુમલા અને મિત્રો-સંબંધીઓનું તક ઝડપી રશિયા છોડી ભાગી જવું એ સેવકોના દગા સાથે મેળ ખાય છે. આન્નાને પણ ભાગવાની તક મળી હતી પણ વતનપરસ્તીની ચરમસીમાએ આન્નાએ વતનમાં પડતી તકલીફો છતાં વતન ત્યજવાનું વિચાર્યું નહોતું. સ્ટાલિનના અંત બાદ આન્નાની અપાર લોકચાહનાનું એક કારણ કટોકટીના સમયે પણ બરકરાર આન્નાનો દેશપ્રેમ પણ હતું. એક કવિતામાં આન્ના લખે છે, ‘હું એમાંની નથી જેઓ આપણી ભૂમિને આપણા શત્રુઓના હાથે ટુકડાઓમાં ચીરાઈ જવા દેવા છોડી ગયા’ સાંજના અંધારા ઓળા આન્નાની અંધારી એકલતાના દ્યોતક છે. ૧૯૩૮માં પુનિન સાથે રહેતાં હોવાં છતાં આન્ના વ્લાદિમિર ગાર્સિન સાથે પ્રેમસંબંધે જોડાયાં હતાં. ગાર્સિને ૧૯૩૯ની સાલમાં ક્લિઓપેટ્રાના મસ્તકાંકિત બ્રૉચ આપ્યો હતો, જે કદાચ આ કવિતા લખવાનું કારણ બન્યું હોઈ શકે. ગાર્સિન પણ ઊંચો અને ઉદાત્ત દેખાવવાળો હતો. ગાર્સિન કદાચ એના સૌંદર્યનો ‘આખરી ગુલામ’ પણ હતો. ‘પોએમ વિધાઉટ અ હીરો’માં આન્ના એના વિશે લખે છે: ‘તું મારો ઉત્કૃષ્ટ અને મારો આખરી (વ્યક્તિ) છે, મારી ઘેરી અસંબદ્ધતાનો એકમાત્ર આકંઠ શ્રોતા.’ સ્ટાલિન કે જર્મન વિજેતાઓની સામે પરાજિતભાવે ઊભા રહેવાનું નસીબે લખાઈ ચૂક્યું હોવા છતાં ક્લિઓપેટ્રાની હંસ જેવી ઝૂકેલી પણ સ્થિર ડોકની જેમ પોતાનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિ અંત સુધી અખંડિત રહેનાર છે એમ આન્ના આ પ્રતીક વડે કહે છે. મોડિગ્લિઆનીના નગ્ન ચિત્રમાં પણ આન્નાનું ચિત્રાંકન એક તરફ ઢળેલી ડોકવાળું છે. કવિનો એક ઈશારો એ તરફ પણ હોઈ શકે. એના લખાણો પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં, એના લખાણો અખબારોએ છાપવા બંધ કરી દીધા હોવા છતાં એણે લખવાનું બંધ કર્યું નહોતું. કાવ્યાંતે ક્લિઓપેટ્રાનો આપઘાત એ રશિયાના સત્તાધીશોને આન્નાની ‘તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં’ની ચીમકી જ છે.

કવિતાનો મુખ્ય મજમૂન મૃત્યુનો શાંતિપૂર્ણ અને ગૌરવાન્વિત સ્વીકાર છે, જે ભાગ્ય પરનો વિજય સૂચવે છે. આન્નાએ ક્લિઓપેટ્રાની જેમ જ પોતાનો અંત થશે એવું આ કવિતા વડે ૧૯૪૦માં ભાખ્યું હતું પણ અસંખ્ય તકલીફો છતાંય આન્નાની લોકપ્રિયતા એવી હતીકે સ્ટાલિનની સરકાર એની આસપાસના લોકોને તો ઝબ્બે કરી શકી પણ આન્નાને કદી હાથ પણ લગાવી ન શકી. ન માત્ર સ્ટાલિન, આન્ના બબ્બે વિશ્વયુદ્ધ અને બાદમાં રશિયામાં ફાટી નીકળેલ શીતયુદ્ધથી પણ બચી ગયા. આખ્માતોવા કહેતાં કે ‘મારી પાસે આ સાધન છે: હું મારા પોતના વિચારો એક માણસ આગળ મૂકી દઉં છું, પણ જરાય હસ્તક્ષેપ કર્યા વિના. અને થોડી જ વારમાં એ માણસ સાચે જ એવું માનવા માંડે છે કે વિચાર એનો પોતાનો જ છે.’ આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ અને આન્નાના સગર્વ વિરોધ અને કુરબાનીમાં એના ભાગીદાર થવા તૈયાર થઈ જઈએ છીએ.