Category Archives: કવિઓ

આ તે માણસ છે કે સપનું – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે:લિંક

પઠન: નંદિતા ઠાકોર

.

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંધારામાં જીવે મબલક,અજવાળામાં જંપે,
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંદર અંદર લાગણીઓ ને ઈચ્છાઓને મારે,
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું ?

બંધ આંખથી સપનાઓને સૌની સાથે વહેંચે,
ને ખુલ્લી આંખે લૂંટે આ તે માણસ છે કે સપનું ?

સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું ?
– નંદિતા ઠાકોર

માણસ થઈને જીવતા જીવતા – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે: લિંક

પઠન : નંદિતા ઠાકોર

.

માણસ થઈને જીવતા જીવતા માણસ જેવું મન ઘડવાનું
માણસ જેવા માણસ થઈને માણસ સાથે શું લડવાનું?

ફાટ ફાટ છાતીની અંદર ધરબાયેલા સપનાઓને
પોતાને હાથે સળગાવીને પોતે પાછું શું રડવાનું?

જનમકુંડળીના એ અક્ષર જીવન આખું કેમ ચલાવે?
ભૂલી ગયા કે આપણને તો માણસ હોવું એ નડવાનું?

ઈશ્વર નામે એક જણે માણસને સૌથી ઉંચે મુક્યો
માણસાઈની ટોચેથી શું આમ જ બસ હેઠે પડવાનું?

અજવાળે તરબોળ થવાનો અવસર છે કેવો અણમૂલો
ખુલ્લમ ખુલ્લા માણસ જેવું માણસને આખર જડવાનું
– નંદિતા ઠાકોર

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

બંધ આંખે જાગવાની વાત કર – જયંત ઓઝા

સ્વર : ભાવના નયન ,વડોદરા
સ્વરાંકન : ડો. પ્રભાતદેવ ભોજક (વડોદરા)

.

બંધ આંખે જાગવાની વાત કર,
સ્વપ્ન પાછાં માંગવાની વાત કર.

કંટકો તો કોઇ સાચવતું નથી,
ફૂલને તું ત્યાગવાની વાત ક૨.

શબ્દનાં પુષ્પો તો સૌ વેરી શકે,
મૌનથી શણગારવાની વાત કર.

હાથને પણ જે હલેસાં માનતો,
કોઇ એવા ખારવાની વાત કર.

ચંદ્રની ઠંડક તો જગજાહેર છે,
સૂર્યને તું ઠારવાની વાત કર.
– જયંત ઓઝા

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

આંખોમાં છલકતો કૈફ હશે,હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું,પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે,પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે,પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે,પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને,એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’,હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો,આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
~ અમર પાલનપુરી

કલમને કરતાલે – દેવિકા ધ્રુવ

સ્વરકાર અને સ્વર : ભાવના દેસાઈ

.

લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…!

રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે-તારે,
લો, અમે તો ચાલ્યાં પાછાં શબ્દને સથવારે…..!

મબલક અઢળક ઘેરી- ઘેરી, વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે,
તટના ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે-પાંખે,
લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે….!

હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે,
જુઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
સચરાચરનો પાર પમાડે, શબ્દ-બ્રહ્મની પાળે….
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે….!
– દેવિકા ધ્રુવ

મોજમાં રેવું, મોજમાં રેવું – ‘દાન અલગારી’

ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સાહિત્યના કવિઓ અને કલાકારોએ માત્ર લોકોને મનોરંજન આપવા માટે કામ નથી કર્યુ, પરંતુ કાયમ સમાજને પોતાના સર્જનથી એક સંદેશ આપ્યો છે. ચારણી સાહિત્યના ઉપાસક અને લોક સાહિત્યના એક ખૂબ જ વિદ્વાન કવિ એટલે કવિશ્રી તખદાન ‘અલગારી’. લોકોના હૃદયને સ્પર્શે એવી અનેક રચનાઓ આપી અને ઘણી રચનાઓ ખૂબ જ લોકપ્રિય બની જેમાની એક રચના એટલે કે, “મોજમા રે’વુ”. જાણેકે જીવન જીવવાનો સરળ ભાષામાં એક મંત્ર આપી દિધો હોય એવું ગીત. આ રચના છેલ્લા અનેક દાયકાઓથી ડાયરાના મંચ ઉપર ગવાય છે અને પરમ પુજ્ય મોરારી બાપુ પણ આ રચનાને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી પોતાની કથામા ગાય છે.

પણ, આવી અમુલ્ય રચનાઓ જો માત્ર જુની પેઢી સુધી જ રહેશે અને નવી પઢીને આવા જીવન જીવવાના મંત્ર જેવી અને લોક સંગીતના હીરા જેવી રચનાઓ નહીં મળે તો આ નવી પઢીને અને આપણા ગુજરાતના સંગીત, સાહિત્ય અને સંસ્કૃતીને ખૂબ મોટુ નુકસાન પહોંચશે. અને એટલા જ માટે હું આદિત્ય ગઢવી આ ગીતને નવી પેઢીના મારા યુવાનો સાંભળી, સમજી અને માણી શકે એટલે એને એક નવા અંદાજમા લઇને આવ્યો છું.

માત્ર ઓડીયો જ નહીં પણ વીડીયોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોએ. જીવનમાં માણસને એવી વિકટ પરસ્થિતીઓમાં ઈશ્વર મુકે છે કે જ્યારે તે પોતાના જીવનનો અંત કરવાનો વિચાર કરે છે. જીવનની કોઇ પણ પરિસ્થિતી માણસના મનમાં આ વિચાર ન લાવવી જોઇએ અને એ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. જેમ ખૂબ દબાણથી કોલસામાંથી હીરો બને, સોનામાંથી દાગીના બનાવવા જેમ એને ખૂબ તપાવવું પડે અને જેમ એક બીજમાંથી એક મોટું વટ્ટવૃક્ષ જન્મે છે એમ જ માણસ પણ સંઘર્ષ અને દુ:ખ સહન કરીને જ મહાન બને છે અને સાચું જીવન જીવ્યો ગણાય છે.
– આદિત્ય ગઢવી

સ્વર: આદિત્ય ગઢવી

.

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે…
મોજમાં રેવું…

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે…
મોજમાં રેવું…

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે…
મોજમાં રેવું…

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે…
મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું…
મોજમાં રેવું…

રામ કૃપા અને રોજ દીવાળી રંગના ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે…
મોજમાં રેવું…

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

-તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

‘આપણું આંગણું’ આયોજિત ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર (Online) – ૧૮-૧૯-૨૦ જૂન, ૨૦૨૧

Tahuko Foundation team supports the exceptional literary activities by ‘આપણું આંગણું’ blog team. Thank for your passion and dedication towards Gujarati Language & Literature, Jayshree Merchant and Hiten Aanandpara.

Please join this 3 day shibir on Lalit Nibandh. See details below:

“આપણું આંગણું” બ્લોગ આયોજિત

ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર (Online) – ૧૮-૧૯-૨૦ જૂન, ૨૦૨૧.

ફેકલ્ટી: ડૉ. મણિલાલ હ. પટેલ
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક

શિબિરમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન જરૂરી. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: ૧૭ જૂન

આ ગુગલ ફોર્મ ભરી આપ રજિસ્ટ્રેશન કરી શકો છો.
https://forms.gle/yNUUTFc5KnBP4kQG8

પ્રવેશ ફી ભરવા માટેની વિગત :
1. GPay | Paytm | Whatsapp
Payment No:
+91 9869439539
In the name of :
Hiten M Anandpara

2. for Payment via
Credit card / Debit Card /
Net Banking
Click this Payment Link:
https://imjo.in/6Xph7S

તરછોડ્યો જયારે આપે – અમર પાલનપુરી

સ્વર : આલાપ દેસાઈ

.

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

તરછોડ્યો જયારે આપે, હસવાનું મન થયું
બોલાવ્યો જયારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જયારે આપના, માથું મૂકી દીધું
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું

ડૂબ્યો નથી અમરને, ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું
– અમર પાલનપુરી

પરમ પ્રેમ પરબ્રહ્મ – ન્હાનાલાલ કવિ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

પરમ પ્રેમ પરબ્રહ્મ

માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
– ન્હાનાલાલ કવિ