Category Archives: કવિઓ

સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

આજે કવિ શ્રી સ્નેહરશિમની પુષ્યતિથિ. એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ભક્તિરચના – નયન પંચોલી ના સ્વર – સંગીત સાથે..!!

કવિ પરિચય : (ગુજરાતી સાહિત્ય પરિષદ)

ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા.

પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષે ઊર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.

સ્વર – સંગીત : નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘સ્નેહરશ્મિ’

.

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

(આભારઃ શેઠ સી.એન. વિદ્યા વિહાર – પ્રાર્થનામંદિર)

એક – વિપિન પરીખ

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.

બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.

એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.

ચોકી પર સંકોચાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો –
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક

– વિપિન પરીખ

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહનું નિધન

ગાંધી યુગ પછીની કવિ પેઢીને નેતૃત્વ પૂરું પાડનારા સર્વોત્તમ કવિ રાજેન્દ્ર શાહે શનિવાર (જાન્યુઆરી ૨, ૨૦૧૦) ની રાતના સ્વસ્થતા સાથે ‘ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા’ કહેતાં ચિરવિદાય લીધી.

લયસ્તરો પર થોડા દિવસ પહેલા જ પ્રસ્તુત એમનું ગીત ‘નિરુદ્દેશે’ સાથે ધવલભાઇએ કરેલી વાત અહીં સીધી જ ટાંકુ છું:

(Photo: Gujarati Sahitya Parishad)

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)
– ધવલ શાહ (લયસ્તરો.કોમ)

કવિ શ્રીના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના સાથે, અને એમને અંત:કરણપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમના કેટલાક યાદગાર ગીતો..

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

.

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;

.

ગુજરાત તને અભિનંદન -ભાગ્‍યેશ જહા

સૌને ૨૦૧૦ ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. નવુ વર્ષ સૌને માટે (અને આ અમેરિકાની ઇકોનોમી માટે) ખુશીઓ અને સમૃધ્ધિ લાવે એવી પ્રભુપ્રાર્થના… 🙂

અને નવા વર્ષની શરૂઆત કરીએ મેહુલ સુરતીના આ મઝાના ગુજરાતગીત સાથે…!!

સંગીત : મેહુલ સુરતી

સ્વર : પાર્થિવ ગોહિલ

ગુજરાત તને અભિનંદન
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્‍યારા,

તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્‍કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
સરળ-સહજ થઇ સંતાડયું તેં આંસુભીનું ક્રંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

કોમ્‍પ્‍યુટરમાં કૃષ્‍ણ નિહાળે,
ગરબે અંબા રમતી
દેશવિદેશ વેબસાઇટમાં
વિસ્‍તરતી ગુજરાતી / ગુજરાતી વિસ્‍તરતી

સમૂહજીવનમાં સૌની સાથે, વ્‍હેંચે કેવાં સ્‍પંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.’
સ્‍વર્ણિમ સંકલ્‍પો જાગ્‍યા છે,
જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય
બોલે હર ગુજરાતી. દેશ અને દુનિયાને ખૂણે
કરીએ મળીને વંદન

-ભાગ્‍યેશ જહા

ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગઇકાલે ઘણીવાર સુધી એક એવું ગીત શોધતી રહી, જે આજે તમારી સાથે વહેંચી શકું. આજે ૨૦૦૯ નો છેલ્લો દિવસ, હોં ને? આખી દુનિયા જુદી જુદી રીતે ૨૦૦૯નું સરવૈયુ કાઢશે, અને સાથે ૨૦૧૦ને આવકારવાની તૈયારી..!! તો એ રીતે દિવસ થોડો ખાસ તો ખરો ને? પણ ખાસ ગીત જાણે ખોવાઇ ગયું હોય એમ ઘણીવાર શોઘવું પડ્યું.. અને આખરે મળ્યું, ખોવાઇ ગયેલા ગીતનું ગીત..!!

આ પહેલા ગાર્ગી વોરાના સ્વર સાથે માણેલું આ ગીત, આજે પ્રકાશ નાયકના સ્વરાંકનમાં – નીચે કોમેંટમાં કેતનભાઇએ જે ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમની વાત કરી છે, એવા જ એક ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ વખતે રજુ થયેલા ગીતનું લાઇવ રેકોર્ડિંગ.

sunrise

સ્વરાંકન – પ્રકાશ નાયક
સ્વર – રવિન નાયક, પ્રકાશ નાયક અને વૃંદ

.

———-
Posted on October 8th, 2007

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

હવે – જગદીશ જોષી

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

તારા સ્મરણોને કેમ કરી ખાળું ? – વિવેક મનહર ટેલર

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને ચાર વર્ષ પૂરા થયા..! ચાર વર્ષમાં વિવેકે ઘણું આપ્યું છે આ વેબસાઇટ થકી, અને હા, મને ખાત્રી છે એણે એટલું જ મેળવ્યું પણ છે..!!

તો આજના દિવસની વિવેકને – ‘શબ્દો છે શ્વાસ મારા’ વેબસાઇટને ખૂબ ખૂબ.. ખોબલે ખોબલે, અમિત શુભેચ્છાઓ સાથે.. માણીએ વિવેકનું એક તાજ્જુ.. અપ્રકાશિત (હા જી, એમની વેબસાઇટ પર પણ નહીં મળે આ 🙂 ) ગીત…! અને એ પણ એમના જ કેમેરામાં એમની આંગળીઓએ કેદ કરેલી ક્ષણની સાક્ષીએ…

(આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું?     …   ખાવડા ગામ, કચ્છ, ઓક્ટોબર-2009)

* * * * *

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

– વિવેક મનહર ટેલર
(૨૫/૨૬-૧૧-૨૦૦૯)

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત, અમરભાઇના સ્વરાંકન અને ઐશ્વર્યા મજુમદારના મઘમીઠા સ્વરમાં..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

Happy Birthday Aunty..!! 🙂

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીત : અમર ભટ્ટ

.

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

સોનલને ચાહવાની ઋતુઓ – રમેશ પારેખ

સોનલને ચાહવાની ઋતુઓ કેટલી?
એમ પૂછે કોઇ તો જવાબ એનો : સાઠ !
કેમકે આંગળીઓના કુલ વેઢા સાઠ,
દોરી જેવા સીધાસાદા મનની આ ગાંઠ !

એક જ દિવસની માલીપા ઉન્મુખ
સાઠેસાઠ રીતે એને ચાહવાનું સુખ…

સાઠ રીતમાંથી એકે ગમે નહિ એને
એની બાત બોલો, જઇ જઇ કરું કેને?

એને સાઠે રીત ના ગમે તે મને ગમે
એને ગમે રૂઠી જવું તે ય મને ગમે
એના હોઠે ઝીણુંઝીણું જૂઠાણું યે ગમે
એના હોઠે ઝીણુંઝીણું ઉખાણું યે ગમે

એના સાઠેસાઠ વેઢે મારો અસ્વીકાર
એનો મારા સાઠેસાઠ વેઢે અંગીકાર !

ક્યારેક તો પડશે એને મારામાં રસ
એ જ ભરોસાથી એને ચાહ્યા કરું, બસ
ચાહતો રહીશ એને વરસોવરસ,
વરસોનાં ય વરસ, વરસોવરસ…

– રમેશ પારેખ

શિકારીને – કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

– કલાપી