Category Archives: કવિઓ

પિતાને નિહાળતાં… – વેન્ડી શૂ (અંગ્રેજી)

Looking at My Father

It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.

– Wendy Xu

પિતાને નિહાળતાં…

એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.

– વેન્ડી શૂ (અંગ્રેજી)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

પરિવાર – પ્રેમ અને સ્વાર્પણની સાચી કવિતા…

વૃક્ષ ગમે એટલું ઊંચે કેમ ન જાય, મૂળ સાથેનો સંબંધ તોડી શકતું નથી. નદી પર્વતમાંથી નીકળીને સેંકડો કિલોમીટર દૂર સમુદ્રમાં જઈ ભળે તોય પહાડ સાથેનું જોડાણ તો યથાવત્ જ રહેવાનું. આપણા સહુમાં પણ ક્યાંક ને ક્યાંક એક વૃક્ષ અને એક નદી જીવતાં જ હોવાં જોઈએ, કારણ કે આપણે પણ વતન ત્યાગીને સાત સમંદર પાર સ્થાયી થઈ જવા છતાં જીવનના અંતિમ શ્વાસ સુધી વતન, વતનની સ્મૃતિઓ અને સંસ્કારો સાથેનું આપણું સગપણ સમૂચું તોડી શકતાં નથી. આપણા હૃદયના કોઈને કોઈ ખૂણામાં આપણાં મૂળિયાં આજીવન જીવંત રહે છે. આજે જે કવિતા વિશે વાત કરવી છે, એ કવિતાનો પ્રમુખ સૂર પણ કંઈક આવો જ છે.

વેન્ડી શૂ. ચીની અમેરિકન કવયિત્રી. ૧૯૮૭માં શેન્ડોંગ, ચીનમાં જન્મ. ઉછેર અમેરિકાના આયોવા અને ન્યૂયૉર્કમાં. આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી. હાલ ન્યૂયૉર્કમાં પ્રોફેસર તરીકે સેવા. એમના ત્રણ કાવ્યસંગ્રહો, બે ગ્રાફિક નોવલ અને કેટલીક ચેપબુક પ્રગટ થયાં છે. એમની કવિતાઓમાં સામાન્યરીતે વર્તમાન અને ભૂતકાળની વચ્ચે તેમજ નિવાસીદેશ અમેરિકા અને મૂળ વતન ચીન વચ્ચેના સેતુઓ પર આવાગમન કરતી નજરે ચડે છે. ઘણીવાર તૂટકતૂટક વાક્યરચના સાથે અરુઢ પ્રતીકો અને રૂપકોના સંમિશ્રણથી તેઓ અલગ પ્રકારનું ભાવવિશ્વ સર્જે છે, જેને પ્રથમ વાંચને સમજવું કપરું થઈ પડે. સમસાંપ્રત કવિતાની વચ્ચે વચ્ચે જોન ડનની અધિભૌતિક કવિતાની છાંટ પણ વર્તાય છે. સરવાળે એક વિશિષ્ટ લાગણી જન્માવવામાં તેઓ સફળ થાય છે.

‘પિતાને નિહાળતાં’ એક જ પરિચ્છેદમાં લખાયેલ અછાંદસ કાવ્ય છે. કવિતાને વિધવિધ ટુકડામાં વહેંચી દેવાના બદલે એમણે ફકરાબંધ કાવ્ય કર્યું છે. એમની ઘણી કવિતાઓમાં આ વિધા નજરે ચડે છે. વળી, એક જ વાક્ય એક પંક્તિમાં સંપૂર્ણ થઈ જવાને બદલે બીજી અને ક્યારેક ત્રીજી કે ચોથી પંક્તિ સુધી લંબાય છે, તો ક્યાંક એ બે-ત્રણ શબ્દ જેટલું ટૂંકું છે, તો કદીક કેવળ છૂટકમૂટક શબ્દોથી જ બનેલું છે. એક જ ફકરામાં અપૂર્ણાન્વય અલંકારની મદદથી સંકળાયેલ લાંબા-ટૂંકા વાક્યોના કારણ કવિતા અલગ-અલગ વિચારોના ટુકડા બની રહેવાના બદલે એક ગતિશીલ વિચાર બની રહે છે. ગતિ ખરી, પણ એકધારી નહીં, ઉબડખાબડ રસ્તાઓ પર સડેડાટ દોડતી ગાડી જેવી- દ્રુતવિલંબિત. વાક્યો પંક્તિના અંતે ખતમ થતા ન હોવાથી અને કવિતાને કવિએ નાના નાના ટુકડાઓમાં વિભાજિત પણ ન કરી હોવાથી ભાવકને શ્વાસ ખાવાનો કે વિરામ લેવાનો મોકો મળતો નથી. પરિણામે સુગ્રથિત પણ આરોહ-અવરોહયુક્ત એક જ ભાવાનુભૂતિ જન્માવવામાં કવિ સફળ રહે છે.

કારણ અભ્યાસકીય હોય કે આર્થિક, સામાજિક હોય કે પછી રાજકીય- પણ પોતાના વતનથી વિખૂટા પડી પરદેશમાં હંગામી અથવા કાયમી ધોરણે સ્થાપિત થવાનું ચલણ મનુષ્યોમાં શરૂથી જ જોવા મળે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં વતનવિચ્છેદ શારીરિક સ્તરે વધુ અને માનસિક સ્તરે ઓછો જ જોવા મળે છે. વિદેશમાં સ્થાયી થયેલ કાયામાં હૃદય તો બહુધા વતનનું જ ધબકતું હોય છે. પ્રસ્તુત રચનામાં પણ વતનના ધબકારા શબ્દે શબ્દે સંભળાય છે. ચીનમાં જન્મી બાળપણમાં જ અમેરિકામાં સ્થાયી થયેલ સર્જકના વર્તમાનના સ્વીકારની સમાંતરે ભૂતકાળ સાથેના અનુસંધાનને જાળવી રાખતી ક્ષણોનું થોડું અજવાળું એટલે આ કવિતા. ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું બગીચાના મધ્યપશ્ચિમી ખૂણાની લૉનને ખંતપૂર્વક કાપી રહેલ પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. જોવાની ક્રિયા માટે કવયિત્રીએ ‘કૉન્ટમ્પ્લેટ’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જેનો અર્થ છે ચિંતન કે ધ્યાન ધરવું. પિતા જે લગનથી તડકામાં પુરુષાર્થ કરી રહ્યા છે, એને એ જ લગનથી દીકરી નિહાળી રહી હોય ત્યારે જોવું કરતાં વિચારવું કે ધ્યાન ધરવું ક્રિયાપદ જ વધુ ઉપયુક્ત જણાય ને! વળી, આ ક્રિયાપદ વાક્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચેના અર્થના દરવાજા સુવ્યવસ્થિતપણે ઉઘાડી આપતા મિજાગરાનું કામ પણ બજાવે છે. એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે આ અર્થગર્ભિત વાતને નિહાળવા માટે ચર્મચક્ષુ વધુ ખપનાં કે મનઃચક્ષુ?

ઘરનો વડો ઘરઆંગણની લૉન સરખી કરે એ દૃશ્ય અમેરિકામાં રોજનું છે. અમેરિકામાં દરેક ઘરની આગળ વૉકવે સાથે અને ક્યારેક પાછળ પણ લૉન હોય જ, અને એને નિયમિતપણે જાતે જ કાપતા પણ રહેવું પડે. આળસ કરો કે કચાશ રહી જાય તો મસમોટો દંડ ભરવો પડે. કવયિત્રીએ મધ્યપશ્ચિમી લૉન એવો શબ્દ વાપર્યો છે, પણ આ શબ્દ કેવળ દિશાનિર્દેશના નથી કરતો. અમેરિકાના મધ્યપશ્ચિમી પ્રદેશમાં વિશાળ લૉન, ખેતરો વગેરે જોવા મળે છે એ હકીકત છે, પણ એ તો ભૂગોળનો પાઠ કહેવાય. કવિતાની તો ભાષા જ નોખી. અહીં ‘મધ્યપશ્ચિમી’ શબ્દ મોકળાશ અને સાદગીભર્યા શાંત મધ્યમવર્ગીય ઘરેલુતાની છબી તો ઉજાગર કરે છે, અમેરિકાના લાક્ષણિક રોજિંદા જીવનનું પ્રતીક પણ છે, તથા ‘દેશ તેવો વેશ’ના ન્યાયે એક આપ્રવાસીના સ્થાનિક સંસ્કૃતિના આત્મસાતકરણની પ્રતીતિ પણ છે. પારકા દેશમાં પોતાના પરિવારની જગ્યા અને ભવિષ્ય બનાવવા માટે એક બાપ જે પરિશ્રમ કરે છે એય અહીં વ્યક્ત થાય છે.

કવયિત્રી પિતાના ઉદ્યમને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યાં છે. જમીનમાંથી નિંદામણ મૂળ સાથે બહાર આવે એ જ રીતે કવયિત્રીને પોતાનું અંતર બહાર ઉલેચાતું અનુભવાય છે. જે ભીતર છે એ બહાર આવે છે. જે ભીતર હોય એ જ બહાર આવી શકે. એ જ આવી રહ્યું છે. કારણ આ પ્રકારનું ચિંતન-મનન જ એમનો જન્મગત સ્વભાવ છે. આ સ્થળે એક ઇન્ટરવ્યૂમાં કવયિત્રીએ જે કહ્યું હતું, એ યાદ આવે છે: “મને લાગે છે કે ભાષા હંમેશા ધીરજપૂર્વક આપણી પ્રતીક્ષા કરે છે કે ક્યારે આપણે એની સાથે જોડાઈએ, ક્યારે એની સાથે ક્રીડા કરીએ, એના અવયવોને નવેસરથી ગોઠવીએ, અને કંઈક અલગ-વિચિત્રનું સર્જન કરીએ. કવિતા સાથે ‘વાટાઘાટો’ કરવામાં કશું ખોટું નથી- એ કંઈક કહેશે, તમે કંઈક કહેશો, તમે કહેશો હા! અથવા કહેશો ઓહ ના, પણ આપ બંને ભેગા મળીને એક સંપૂર્ણ અનુભૂતિ સર્જો છો.” શબ્દોની સાથે ક્રીડા કરી નવી જ ભાષા, નવું વ્યાકરણ સર્જી શકે એ સર્જક જ કહી શકે કે ચિંતન મારું જન્મજાત માધ્યમ છે. કવિતામાં આગળ જતાં આ ‘અલગ’ તરી આવતી ભાષાક્રીડા જોવા મળશે.

એમની પાસે સિલકમાં કેવળ કેટલીક નોંધ જ બચી છે. અને રાઇટર્સ બ્લૉકનું શિંગુ ફૂંકતી વસૂકાઈ ગયેલી ગાય કેવી અર્થહીન કલમ બચી છે અને ક્યારેક બારીમાંથી આવતી ડુંગળીના ફૂલોની સુવાસ. ડુંગળી નામ કાને પડતાં જ આપણી ઘ્રાણેન્દ્રિય આંખમાં આંસુ આણી દે એવી તીવ્ર વાસથી તરબતર થઈ જાય, પણ અહીં ડુંગળીની વાસની નહીં, ડુંગળીનાં ફૂલોની સુ-વાસની વાત છે. એ મંદ અને મીઠી હોય, સ્મરણ જેવી.

કવયિત્રી કહે છે કે, હું ક્યારેય પહોંચતી નથી. પિતામાં જે સ્થિરતા અને સાતત્ય નજરે ચડે છે, એથી વિપરીત દીકરી જીવનના માર્ગ પર નિત્ય બદલાઈ રહી છે. સ્વયંની ઓળખ હોય કે જાત વિશેની સમજણ- બધું જ અસ્થાયી છે, અનિત્ય છે. ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. સ્વયં અને અન્ય વચ્ચેની ભૌતિકતા બાબત સાધવા પૂરતો ક્ષણિક સંવાદ સાધી લઈ કથક ભીતરને પિછાનવાની મથામણમાં જ પુનઃ રત થઈ જાય છે. જે દેશ એ પાછળ છોડી આવ્યાં છે, એ દેશ કાળાન્તરે એમને ઇચ્છાની જેમ જકડી રહ્યો છે, પ્રતિરક્ષિત કરી રહ્યો છે. નવા દેશની સભ્યતા વચ્ચે નિજની સભ્યતા લુપ્ત ન થઈ જાય એ માટેનું યથાયુક્ત રસીકરણ વતનપ્રેમમાંથી સાંપડે છે. વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. પૂછવામાં આવે તો પોતે ખરેખર શું છે એ બતાવવા સર્જક તૈયાર છે,

પણ અહીં જે નજરે ચડે છે એ તો કેવળ બાપ-દીકરી છે, જેમની વચ્ચે ક્યારેય કોઈ વિરોધ કે ઝઘડા નથી. ‘Here we are, my father and I, never hostile, a small offering’ –વ્યાકરણની દૃષ્ટિએ ચાર ટુકડામાં વહેંચાયેલ આ વાક્ય સહેજ અટપટું લાગે છે, પણ સવિશેષ અટપટો પ્રયોગ છે ‘નેવેર હોસ્ટાઇલ.’ કવિતામાં આગળ ‘faithless’ શબ્દ વપરાયો છે. આ બંને શબ્દ કવિતાના સળંગ માળખાબહારના –આગંતુક હોવાનું અનુભવાય છે. જે કામઢા પિતાને ધ્યાનપૂર્વક નિહાળતાં સર્જક માટે આત્મનિરીક્ષણનો દરવાજો ખૂલે છે, એમની સાથેના સંબંધમાં આ શબ્દોનો ઉપયોગ આશ્ચર્યજનક તો લાગે, પણ સર્જકે સહેતુક કર્યો જણાય છે. બે જણ વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો જ ન હોય તો એ વાત ઉલ્લેખવાની આવશ્યક્તા પણ ઊભી થતી નથી. પણ બાપ-દીકરીને પરસ્પર ક્યારેય કોઈ વાંધાવચકા પડતા ન હોવાની વાતનો આયાસપૂર્વક કરાયેલ ઉલ્લેખ બે જણ વચ્ચેના અંતરને તો સ્થાપિત કરે જ છે. ગામડાથી વિરુદ્ધ શહેરોમાં અને ચીન જેવા દેશોથી વિરુદ્ધ અમેરિકા જેવા ભૌતિકતમ દેશમાં માનવીય સંબંધોની ઉષ્માનો શૂન્યાવકાશ બહુ મોટી સમસ્યા છે. બંને ઉભયને ચાહે છે, પણ વિસ્થાપન અને અમેરિકી સંસ્કારના પ્રતાપે સહેજ અંતર પણ અનુભવે છે. પરિવારમાં બાપ-દીકરી સિવાય કોઈ છે કે કેમ એ વિશે કવયિત્રીએ કોઈ ચોખવટ કરી નથી, પણ એ આવશ્યક પણ નથી. વતનથી વિખૂટા પડેલ બંને જાણે છે કે તેઓ જ એકમેકનો ખરો અને એકમેવ સધિયારો છે. રસોડાના મેજ પર સુશોભનાર્થે થોડાં ફૂલ કાપીને સજાવાયાં છે. કવયિત્રી મુખર થઈને કહે છે કે મધ્યમવર્ગીય કુટુંબમાં જરૂરિયાત કરતાં થોડી વધારાની આવક થવા માંડે ત્યારે આ પ્રકારની ‘લક્ઝરી’ પોષાય.

સર્જક કહે છે કે હજીય સંભવ છે. આપણને સવાલ થાય કે શું સંભવ છે? કવયિત્રી જવાબ આપવાના બદલે સામો સવાલ મૂકે છે: શું હું જીવી રહી છું? શું હું પુનરીક્ષણ-રિવિઝનને મારો દૈવ ગણું છું? ઉપર આપણે ‘અલગ’ તરી આવતી ભાષાક્રીડાનો ઉલ્લેખ કર્યો હતો એ અહીં પ્રત્યક્ષ જોઈ શકાય છે. અરુઢ વાક્યપ્રયોગોની સાથે સાથે પિતાજીને બાગમાં કામ કરતાં જોઈને ધ્યાનમાં સરી પડેલ કવયિત્રીનું ભીતર બહાર આવી રહ્યું છે એ વાત પણ ધ્યાનમાં રાખીને આપણે આખી કવિતાને આસ્વાદવાની છે. થોડી વાર પહેલાં પોતાના અસ્થાયીપણાના સ્વીકાર સાથે પોતે ક્યાંય પહોંચતી ન હોવાનો સ્વીકાર કરનાર સર્જક એ વાત પણ સ્વીકારે છે કે હા, પોતે પુનર્સુધારણા-પુનરાવલોકનનો જીવનના સૂત્રધાર તરીકે સ્વીકાર પણ કરે છે અને સાથોસાથ પોતાના જીવંત અસ્તિત્ત્વનો પણ!

આજ પૂરતું કામ પતાવી પિતા ઓજારો ઘસડીને ઘર ભીતર લાવી રહ્યા છે. એમનું માથું મહેનતના પસીનાથી ચળકી રહ્યું છે, પણ હોઠો પર સ્મિત છે. વળી આ સ્મિત કાયમી છે. જીવનની ગમેતેવી હાડમારીમાંય પિતાના ચહેરા પરનું આ સ્મિત અણનમ રહ્યું છે. કવિ પિતાને શ્રદ્ધાહીન કહે છે. પિતા માટે વપરાયેલ પ્રથમ નકારાત્મક શબ્દ! કદાચ આ શ્રદ્ધાહીનતા ઈશ્વરના સંદર્ભમાં હોઈ શકે. અમેરિકન સભ્યતા બાબતે પણ હોઈ શકે, કે વિદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા અંગેય હોઈ શકે, પણ અગત્યની વાત એ છે કે વિદેશની ભૂમિ પર પણ પોતાની દીકરી બાકી બચેલા સમયમાં જે કંઈ પણ બની શકે એની જાળવણી બાબતે તેઓ સતર્ક છે. શ્રદ્ધાહીન વિશેષણના કારણે દીકરીના ભવિષ્ય બાબતની પિતાની શ્રદ્ધા અને જાગરુકતા વચ્ચેનો વિરોધાભાસ વધુ તીવ્ર બને છે. પોતાના આ ચીની પિતાના નામ પર કવયિત્રી આમીન કહે છે, પરિણામે શ્રદ્ધાહીનતા અને શ્રદ્ધા વચ્ચેનું એક વર્તુળ પણ સંપૂર્ણ થાય છે અને કાવ્ય પણ.

પિતાજીનો ધર્મ, ઈશ્વર અને આસ્થા બધું એનો પરિવાર જ છે. વતનમાં કદાચ માથે હાડમારીઓના ડુંગરાઓ તૂટી પડ્યા હશે કે વતનમાં વિકાસની તકો ધૂંધળી દેખાઈ હોય એય બનવાજોગ છે. એય સંભવ છે કે વતનમાં કદાચ તકલીફ નહીં હોય, પરંતુ જે રીતે આખી દુનિયાને અમેરિકામાં પોતાનું ભવિષ્ય વધારે ઉજળું દેખાય છે, એ રીતે કુટુંબનું ઉજ્જ્વળ ભાવિ ભાખીને તેઓએ નિર્વાસિત જીવન અપનાવ્યું હોય. કારણ ગમે તે હોય, પરિવાર માટેની એમની નિષ્ઠા બાબતે રતીભાર પણ શ્રદ્ધાહીન થઈ શકાય એમ નથી. અમેરિકા આવીને તેઓ ચીવટાઈથી નિંદામણ તો મૂળિયાસોત ઉખાડી રહ્યા છે, પણ સંતાનોના મૂળ વતન સાથેનાં મૂળ ઉખડી ન જાય એની સતર્કતા પણ સેવે છે.

વિદેશમાં નાયિકાને વર્તમાન અને ભાવિ બંને વિશે અવઢવ છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. રહી રહીને એને પોતાના અસ્તિત્વ અંગે પણ શંકા જન્મે છે, પરંતુ પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે. નિજ વિરાસતના દાયરામાં રહી સ્વયંની ખોજ તથા ભૂતકાળનું સન્માન કરવા સાથે વર્તમાન પરિસ્થિતિને સુસંગત પરિવર્તન અને પુનરાવર્તનને વિકાસનો ભાગ માનવાની સમજણ સુધીનો ચેતોવિસ્તાર એ આ કવિતાનો અર્ક છે. પ્રથમદર્શી સામાન્ય લાગતા સંબંધ સ્નેહના પવિત્ર અર્ઘ્યમાં પરિણમે એનું નામ જ પરિવાર. પરિવાર એટલે વસૂકાઈ ગયેલી કલમ પર ખીલતી પ્રેમ અને સ્વાર્પણની સાચી કવિતા…

હરિનો મારગ છે શૂરાનો ~ કવિ: પ્રીતમદાસ ~ સ્વરાંકન: દિવીજ નાયક, મુંબઈ ~ સ્વર: શાન

  1. ક્લાસિક કવિતાને આધુનિક અવતારમાં રજૂ કરવાનો એક પ્રયાસ એટલે દિવીજ નાયકનું “અલખ” આલબમ, જે ૨૦૧૮માં રજૂ થયેલું. એનો એક કાર્યક્રમ અંધેરી ભવન્સમાં થયો એમાં નિમિત્ત બનવાનો અલખ સંતોષ પ્રાપ્ત થયેલો. ભાઈ દિવીજ નાયક યુવાન, તરવરતો, સુસજ્જ, કર્મઠ, નિષ્ઠાવાન, સંવેદનશીલ અને કવિતાની સમજ ધરાવતો સ્વરકાર-ગાયક છે. પોતે સંગીત શિક્ષક પણ છે. `કોશેટો’ નાટકમાં એના સ્વરમાં રજૂ થયેલા ગીતો નાટકનો એક મહત્ત્વનો હિસ્સો બન્યા છે.

અત્યારે “અલખ” આલબમમાંથી એક ગીત માણીએ. પ્રાચીન કવિતાને અર્વાચીન અભિગમથી રજૂ કરવાનો સુંદર પ્રયોગ આ આલબમના સ્વરાંકનોમાં થયો છે.

~ કવિ: પ્રીતમદાસ
~ સ્વરાંકન: દિવીજ નાયક
~ સ્વર: શાન

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

(કવિપરિચય અને શબ્દાર્થ સાભાર)
https://layastaro.com/?p=327

~~~

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

https://tahuko.com/?p=19448

કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા  – ઉદયન ઠક્કર

ખમીસમાં ચટાપટા પપ્પા, હું તો વાઘ
જીવ હોય વહાલો તો અહીંયાંથી ભાગ !

ત્રણ મારા ખાસ દોસ્તઃ રામ, નટુ, રિંગો
તમારે થવું છે મારા ભાઈબંધ ? ડિંગો !

મમ્મી પૂછે, જોઈએ કે તાજો તાજો નાસ્તો ?
હરખાઈને હું બોલું, હાજી, હાજી, હાસ્તો !

ચારેબાજુ ચપોચપ ચોપડાનો થપ્પો
કાં તો હશે છાપાંવાળો, કાં તો મારો પપ્પો !

કોઈ શાક ભલાં-ભોળાં, કોઈ શાક લુચ્ચાં…
કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા !

– ઉદયન ઠક્કર

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત

‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.

શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.

‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.

મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં મોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.

શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.

સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.

પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.

કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.

જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.

એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.

શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-

શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,

અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.

પગલાં (દરિયાને તીર એક રેતીની ઓટલી) – સુંદરમ

એક મઝાની રચના, કવિ શ્રી સુન્દરમ ના પોતાના અવાજમાં …

—————–

Originally published on Oct 24, 2009

આજનું આ ગીત આખેઆખું ધવલભાઇ પાસેથી… એમના શબ્દો, એમણે પાડેલો ફોટો, અને ટાઇપ કરવાની મહેનત પણ એમની..!! 🙂
——-
ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.
– ધવલ શાહ

(દરિયાને તીર…  Photo by : Dhaval Shah)

* * * * *

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે. ‘

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

(આભાર : લયસ્તરો)

તમને મળે! – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

એમ મને થાય – સુન્દરમ્

આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું બની જાઉં,
છાનુંમાનું આવી તારું દૂધ પી જાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
રાતુડું નાનકડું કુરકુરિયું થાઉં,
હાઉ હાઉ કરી કરડવા ધાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
ખિલ ખિલ મોગરાનું ફૂલ બની જાઉં,
તારે અંબોડલે આવી સંતાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં,
સરી સરી હાથમાંથી ખીજવું પજવું!

આજ મને બા, આજ એમ મને થાય,
તારો ઝગમગતો અરીસો થાઉં,
એરિયાં પાડું ને તારી આંખ ઝંખવાઉં!

સાત રંગના સરનામે – ​રમેશ પારેખ

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો

કેવા દુખિયારા ગર્વ વડે ખરબચડી ઉંમર પંપાળી?
શું કામ હતું બીજું આમે? ના તું આવી, ના હું આવ્યો

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની
એક મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.