અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

15385353_10153972047011367_1979167902819050663_o

અમારા વૉર્ડન

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ વિચિત્ર, ન સમજાયેલ દુનિયામાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે તેઓ જાણવા માંગતા હોય એ જે તેઓના હૃદયે કદી અનુભવવાનું નહોતું માતૃભૂમિનું દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ કામ કરે છે ચુપકીદીમાં. કેદીઓ છે – તેઓ પણ. પણ શું તેઓ આ સમજી શક્શે? આવતી કાલે? પછીથી? કદી પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે.

પણ આજે આપણે જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફરની વાત કરવાની છે. બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના તેઓ સેક્રેટરી જનરલ હતા અને ઊંચી સરકારી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. ભૂગોળમાં પી.એચ.ડી. કર્યું. જિઓપોલિટિક્સના તેઓ પ્રોફેસર હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવા એમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને બર્લિનના મુઆબિત જિલ્લાની ગેસ્ટાપો જેલમાં બંદી બનાવવામાં આવ્યા. જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટ કાગળ-પેન માંડ મેળવી શક્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.

23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ તો કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! મૃત્યુ નિશ્ચિત થઈ જાય ત્યારે મનુષ્યમાં સમ્યકભાવ આવી જાય છે. કેદીને પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા વૉર્ડન પણ ભલા લાગે છે. ભલા છે કેમકે મૂળે તેઓ ખેડૂત છે અને જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવી જાણે એ કદી નિર્દય કેમ હોઈ શકે? એ લોકો પણ માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈ આવ્યા છે.

યુદ્ધના ખપ્પરમાં એમના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે કદી વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. પણ આવ્યો એટલે તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. પણ આ તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો વિનર્મતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે આ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ હજી પણ જિંદગીની એક નિશાનીની પ્રતીક્ષા છે. કેદીઓની જેમ જ તેઓ પણ ચુપચાપ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? મોડેથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. સામો પ્રશ્ન પૂછીએ કે દાખલો આપો તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત વાત સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજીસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયા છે, થતા રહે છે.

પહેલાં તો ઇમેજીસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંડોના બંઢન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. 1912ની સાલમાં એઝરા પાઉન્ડે અધિકૃતતાપૂર્વક ‘ઇમેજીસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજીસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળ 1917માં તો પૂર્ણ થઈ ગઈ પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

આ કવિતાની રચનાનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં તો ૩૬ પંક્તિની હતી. પણ કવિને બિનજરૂરી લંબાણ ખટક્યું અને એમણે કવિતાની સાઇઝ અડધી કરી દીધી. છત્રીસમાંથી અઢાર પંક્તિ. પાઉન્ડને હજી સંતોષ નહોતો. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ આ છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે !

પાઉન્ડની ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક સૉનેટ સાથે પણ સરખાવે છે. સૉનેટ કાવ્ય ચૌદ પંક્તિનું બનેલું હોય છે જેમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ પણ ગણે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ વાપરવામાં આવ્યું નથી. બંને પંક્તિઓને જોડતું કોઈ પૂરક પદ પણ વપરાયું નથી.

પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે પાઉન્ડ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા અને આખો દિવસ આ દૃશ્યને જોતી વખતે જે લાગણી અનુભવી એને કેવી રીતે વ્યક્ત કરવી એની મથામણમાં રહ્યાં. આ લાગણીને કાગળ પર ઢાળવા માટે એમની પાસે શબ્દો નહીં, રંગો હતા પણ એ રંગો ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્ર…

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન સૂચવે છે. લેટિન Memento Mori અર્થાત્ યાદ રાખો કે તમારે મરવાનું છે એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન હોય, ભીની ડાળ પર ચોંટેલી પાંદડીઓ હોય કે ન હોય પણ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું ! – મહેશ દાવડકર

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું !
કહો કે કેટલું સમજાય છે, સાલું ?

આ હોવું તો છે ચકચકતી છરી જેવું,
એ જ્યારે ત્યારે વાગી જાય છે સાલું !

અચાનક ગાડી ઉતરી જાય પાટેથી,
કે જીવતરમાંયે એવું થાય છે સાલું !

નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !

પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !

નયન અંજાય એવાં બારી ઝળહળથી,
જે છે એવું તો ક્યાં દેખાય છે સાલું !

બળાપો જીંદગીનો ઠાલવું છું, દોસ્ત !
કે આવું એથી તો બોલાય છે, સાલું !

– મહેશ દાવડકર

Global કવિતાઃ જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

15078723_10153937594646367_3759833220121636356_n

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

જેલીફિશ
દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો કે બીજું નીકળે… એક અર્થ કાઢો અને તરત બીજો અર્થ જડી આવે. બીજું પડ ઉખેડો ને અંદરથી ત્રીજું… ત્રીજા પછી ચોથું, પાંચમું… અને એક પછી એક બધા જ પડ ઉખેડી નાંખો… એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવતી હોઈ શકે. કોઈ પણ કળાની ખરી કમાલ જ આ છે. ડુંગળીના બધા જ પડ એક પછી એક ઊખેડી નાંખીએ એ પછી હાથમાં જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને અંતે જે શૂન્યનો સાક્ષાત્કાર થાય છે એ જ એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાર્થક્ય છે, ન કે એનો મતલબ. મરિઆન મૂરની આ કવિતા કવિતાની વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

જેલીફિશ તો બધાએ જોઈ જ હશે. દૂધની પારભાસક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓ સતત વધ-ઘટ થતા રહે છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે.

ચાલો તો, આપણે આ ડુંગળીનું પહેલું પડ ઉખાડીએ. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું અને તમે એને પકડવા નજીક જાવ અને પકડવાનો ઈરાદો ત્યજી દૂર જાવ, વળી નજીક જાવ ત્યારે એના આકારમાં એકધારા થતા પરિવર્તનનું સરળ ભાષામાં વર્ણન કરે છે. આ થયો પ્રાથમિક અર્થ.

બીજું પડ ખોલીએ? ચાલો, કવિતાના આકારની વાત કરીએ. જેમ આપણે ત્યાં સૉનેટ મંદાક્રાંતા, શિખરિણી જેવા સંસ્કૃત વૃત્તોમાં લખાય અને ગઝલ-ગીતના પણ પોતીકા છંદ-લય હોય એમ વિદેશી કવિતાઓ પણ બહુધા છંદમાં લખવામાં આવે છે પણ આ કવિતા જરા ઉફરી ચાલે છે. જેમ જેલીફિશ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો… તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. કવયિત્રી કાવ્યાકાર અને મુક્ત કાવ્યરચનાની મદદ લઈને કેવી સિફતથી જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને મૂર્ત કરે છે ! આ છે કવિતાની બીજી કમાલ.

ડુંગળીનું ત્રીજું પડ? શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? શું કવયિત્રીની ખરી મથામણ જેલીફિશ ચિત્રિત કરવાની જ છે કે એ કોઈ બીજું જ નિશાન તાકવા માંગે છે? હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. કવિતા હોય કે અન્ય કોઈ પણ કળા, તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે. એક શેર મને યાદ આવે છે:

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધોનો સંદર્ભ મૂકી જુઓ, અરે ! સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

તો એમને તકલીફ થઇ ! – ડૉ.મહેશ રાવલ

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

– ડૉ.મહેશ રાવલ

સોળમા વરસે — તુષાર શુક્લ

સોળમા વરસે પ્રેમ થાય કે ના ય થાય, એ બને
પ્રેમ થાય ત્યાં વરસ સોળમું બેઠું લાગે, મને
શું લાગે એવું, તને?

પ્રેમ એટલે ઘડી એકલાં, ઘડી ભીડમાં ભમવુ
પ્રેમ એટલે રૂમાલ સાથે આંગળીઓનું રમવુ
કોઈ ભલે ને હોય ન સામે, એકલાનું મલકાવું
પ્રેમ એટલે વગર કારણે આંખોનું છલકાવું
છાના પગલે આવી મહેકે, અંતરના ઉપવને-

ખુલ્લી આંખો, ખુલ્લું પુસ્તક, પ્રોફેસર પણ સામે
હાજરી પત્રકને ભુલી મન, વહે કોઈ સરનામે
અઘ્યાપકનો એકે અક્ષર પડતો નહીં જ્યાં કાને
લખી ગયૂં કોઈ મનનું ગમતું નામ આ પાને પાને
જોઈ તને જ્યાં હોઠ ખુલ્યાં ને શું કહી દીધું તને?

અલી, કાનમાં કહે ને મને !

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ – કવિ મિત્ર વિવેક ટેલરની ટિપ્પણીઓ સાથે 🙂
—–

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા… – વિવેક મનહર ટેલર

Global કવિતાઃ અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

ગ્લોબલ કવિતા ‘category’ માં આજે માણીએ ખૂબ જ જાણીતા પર્શિયન કવિ ‘રૂમિ'(30 September 1207 – 17 December 1273)ની એક કવિતા!

*******
અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)
May 25, 2013 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, રૂમી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ