નવરાત્રી Special: ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ – મિલિન્દ ગઢવી

આ સમગ્ર સૃષ્ટિ માતાજીનું એક અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં રમાઈ રહ્યો છે એક મહારાસ
કે જ્યાં અણુથી લઈને આકાશગંગા સુધી બધાં જ ઘૂમી રહ્યાં છે ગરબે…

“Garbe Ghoome”
A StudioGarage Entertainment work
(Atmiya Thakkar)

Music : Kedar Upadhyay & Bhargav Purohit
Vocals : Vrattini Ghadge, Ishani Dave, Aditya Gadhvi, Jigardan Gadhavi & Shri Praful Dave
Lyrics : Milind Gadhavi

*
જૂના જમાનાના એકના એક ગરબાઓની ભીડથી અલગ તરી આવે એવો એક તરોતાજા અક્ષુણ્ણ ગરબો, આજની પેઢીના કવિની કસાયેલી કલમે અને આજના કલાકારોએ કરેલી અફલાતૂન જમાવટ…

.

( આ ગરબાનું વિડિયો version તમને youtube પર મળશે – અને એની એક નાનકડી ઝલક – આ રહી)
https://youtu.be/oqIxq4Vwt9Y

અજવાળાં ઉર અવતરે, (અને) રંજાડે નય રાત
આશિષ એવા આપજે, (મારી) માયાળુ અંબે માત

ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ
માતાજી તારા મંદિરમાં
નમે નમે ચૌદે ભરમાંડ
માતાજી તારા મંદિરમાં

દખ્ખણ દેશેથી વાયરાઓ વાશે
તારલીયા તારી આરતી ગાશે
વાગે વાગે અખંડ ઝાલર આજ
માતાજી તારા મંદિરમાં

તારા ચરણે વસે છે ત્રીલોકા
આભલાંમાં અનંત અવલોકા
પગલે પગલે ઉગે રે પરભાત
માતાજી તારા મંદિરમાં

ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)

Lament

Cheek by cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

વિલાપ

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું
જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી મૃગશીર્ષ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમના આંસુથી દિલના કાગળ પર લખેલી બેવફાઈની કવિતા

પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમની રેખા ખેંચો કે ઉત્તરથી દક્ષિણની, ગઈકાલથી આજની રેખા ખેંચો કે આજથી આવતીકાલની, આ ભાષાથી તે ભાષાનો છેદગણ કાઢો કે આ સંસ્કૃતિથી તે સંસ્કૃતિનો – લાગણીઓ એકસરખી જ જોવા મળવાની. એ છતાંય પ્રેમથી વધુ સનાતન, સર્વવ્યાપી અને સેલિબ્રેટેડ લાગણી બીજી કોઈ જોવા નહીં મળે. તડકા વિનાનું અસ્તિત્વ શક્ય જ ન હોવા છતાં જેમ મનુષ્યમન હંમેશા છાંયડા માટે જ તરસવાનું તેમ, નફરત-ગુસ્સો-અદેખાઈ વગેરે દુઃખદાયક લાગણીઓ વિનાનું હૃદય શક્ય જ ન હોવા છતાં હરએક દિલ પ્રેમ માટે તો તલસવાનું જ. જિંદગીના અફાટ બળબળતા રણની વચ્ચે પ્રેમ રણદ્વીપની ટાઢક લઈને આવે છે. પણ સમસ્યા એ છે કે પ્રેમ હંમેશા એના ગજવામાં ક્યાં જુદાઈ, ક્યાં બેવફાઈ લઈને જ આવે છે. અને આ બેવફાઈ અને જુદાઈ દુનિયાની દરેક ભાષામાં દરેક સમયે ઉત્તમ સાહિત્ય અને કળાના પ્રાણતત્ત્વ બન્યાં છે. પ્રસ્તુત કવિતા પણ પ્રણય અને બેવફાઈની જ વાત કરે છે. આ રચના કોણે લખી છે એની તો માહિતી નથી પણ ચીનમાં તાંગવંશના શાસનકાળ દરમિયાન એ લખવામાં આવી છે.

ઇ.સ. ૬૧૮થી ૯૦૭ સુધી ચીનમાં તાંગ વંશનું શાસન રહ્યું. આ સમયગાળો કોસ્મોપોલિટન કલ્ચર માટે સર્વોત્તમ બની રહ્યો. ચાઇનીઝ કવિતા અને કળાનો એ સુવર્ણકાળ હતો. એ સમયના લગભગ ૨૨૦૦થી વધુ સર્જકોની લગભગ ૪૯૦૦૦ જેટલી રચનાઓ કાળની થપાટો સહન કરીને પણ આજદિનપર્યંત સલામત રહી છે. કવિતા રાજદરબારમાં સ્થાન પામવા માટેનું અનિવાર્ય સાધન બની ગઈ હતી એટલે ગળાકાપ સ્પર્ધાઓ પણ યોજાતી. ચાઇનિઝ ભાષામાં ‘શી’ (Shi/Shih) એટલે કવિતા. એ સમયમાં ‘ગુશી’ એટલે કે પ્રાચીન કવિતા જે પારંપારિક કાવ્યસ્વરૂપને વફાદાર હતી અને ‘જિંટિશી’ એટલે કે અર્વાચીન કવિતા જેમાં પંક્તિની લંબાઈ, પ્રાસરચના બધામાં ફરક હતો – એમ બે મુખ્ય પ્રવાહ હતા જેમાંથી જિંટિશી એ સંપૂર્ણપણે તાંગ વંશની ભેટ હતી.

લગભગ બારસો- ચૌદસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોકગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો જ ચિત્કાર આપણી ભીતર જગાડે છે. વાલ્મિકીના હૃદયમાં અબોલ પક્ષી માટેની સંવેદના જાગી હતી, અહીં નિજ પ્રેમસંબંધના હૈયામાં જુદાઈનું અને બેવફાઈનું તીર ભોંકાવાની વેદના જન્મે છે. સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ વચનો આપે છે અને કોઈક કારણોસર છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની એ ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

રચનાની શરૂઆત નજાકતથી થાય છે. ગાલ સાથે ગાલ અને તકિયો – નકરી સુંવાળપ અને મૃદુતા. કદાચ આ નાજુકાઈ જ એ વાતનો ઇશારો છે કે જીવનની સુનિશ્ચિત દુર્દમ્યતા આ ઋજુ સંબંધ કેમે કરી ઝીલી શકનાર નથી. અને આશંકાની આ હળવી કંપારી બીજી જ પંક્તિમાં વાસ્તવિક્તામાં ફેરવાય પણ છે, જ્યારે ‘વચન આપ્યું હતું’ એમ કહીને કવિ ભૂતકાળ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે પ્રેમીઓના શરીરના સાયુજ્યની વાતની વચ્ચે આ વિલન જેવા ‘હતું’ની હાજરી આપણને સમજાવી દે છે કે આ વચન પળાયું નથી. પ્રેમની ધરતી પર તો કદી વચનોનો દુકાળ પડતો જ નથી. શેક્સપિઅરના નામે ચડી ગયેલ બિડવિન (Bedouin) ગીતમાં બેયર્ડ ટેલર કહે છે, ‘હું તને ચાહું છું, એવો પ્રેમ કે જે સૂર્ય ઠંડો પડી જાય કે તારાઓ ઘરડા થઈ જાય ત્યાં સુધી મરે નહીં.’ આવું જ એક બહુ જાણીતું અંગ્રેજી વાક્ય પ્રેમીઓએ એકબીજાને કહી કહીને ઘસી નાંખ્યું છે: ‘Rivers can dry. Mountains can fly. You can forget me, but never can I.’

અતિશયોક્તિ તો પ્રેમનો સનાતન અલંકાર છે. ચાંદ-તારા તોડી લાવવાથી સમયની પેલે પાર સુધી જવાની વાતો પ્રેમમાં સહજ ને વળી બેઉ પક્ષે સ્વીકાર્ય પણ છે. શેક્સપિઅર સત્તરમા સૉનેટમાં કહે છે, ‘હું જો તારી આંખની સુંદરતા આલેખી શકતો હોત, અને તાજા આંકડાઓમાં તારી તમામ મોહક અદાઓને ગણી શક્યો હોત, તો આવનાર યુગ કહેત, ‘આ કવિ જૂઠાડો છે; આવા દિવ્ય સ્પર્શ કદી પાર્થિવ ચહેરાઓને સ્પર્શ્યા જ નથી.’ નાયક પણ પ્રેમમાં ગરકાવ છે. પ્રેમની પરાકાષ્ઠાએ બંને પ્રેમીઓ એકમેકને વચન આપે છે કે આપણો પ્રેમ કદી નાશ નહીં પામે. શેક્સપિઅર જ અઢારમા સૉનેટમાં કહે છે, ‘જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લઈ શકશે, અથવા આંખ જોઈ શકશે ત્યાં સુધી આ (કવિતા) જીવશે, અને એ તને જીવન આપતી રહેશે.’ પ્રસ્તુત કાવ્યમાં પણ જ્યાં સુધી લીલા અર્થાત્ ભર્યાભાદર્યા પર્વતોનું પતન ન થાય કે ભારીખમ લોઢું નદી પર તરવા ન માંડે કે ગંગા (ચીનની યેલો રીવર) જેવી બારેમાસ છલકાતી-ઉભરાતી નદી સ્વયંભૂ સૂકાઈ ન જાય, મૃગશીર્ષનો તારો ધોળા દિવસે ન ઊગે કે ધ્રુવનો તારો ઉત્તરને બદલે દક્ષિણમાં ન ઊગે અને ભર રાત્રિએ સૂર્ય ઊગી આવીને આકાશને ઝળાંહળાં ન કરી દે ત્યાં સુધી, અર્થાત્ यावत्चंद्रोदिवाकरौ સુધી એકમેકને અમર પ્રેમ કરવાના કોલ બંનેએ એકબીજાને આપ્યા હતા.

પ્રેમમાં હોય ત્યારે દુનિયાના દરેક પ્રેમીને એમ જ લાગતું હોય છે કે એમનો પ્રેમ રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા જેવો જ અથવા એથીય અદકેરો અને અમર અવિનાશી છે. પ્રેમમાં અભિવ્યક્તિ બધાથી ઉદાર હોય છે. એક શબ્દમાં પતતું કામ પ્રેમ દસ વાક્યોમાં પતાવે છે. શેક્સપિઅરે કહ્યું કે પ્રેમ આંધળો છે ને હકીકત પણ એજ છે કે પ્રેમના ચશ્માંમાંથી પ્રેમિકા સામે વિશ્વસુંદરીનીય કોઈ વિસાત નજરે ચડતી નથી. છવ્વીસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો કહે છે, ‘જે રીતે હવાનું ઝોકું વૃક્ષને નમાવે છે એમ જ પ્રેમ મને ઝુલાવે છે, પ્રેમ મને ફરીથી બંદી બનાવી લે છે અને હું કડવીમીઠી એષણાથી કંપી ઊઠું છું.’ ખલિલ જિબ્રાન કહે છે તેમ, ‘સદાકાળથી એમ જ છે કે અળગા થવાની ક્ષણ આવી ઊભતી નથી ત્યાં સુધી પ્રેમને એનું પોતાનું ઊંડાણ ખબર પડતી નથી.’ તરસ લાગી હોય તોજ પાણીની મહત્તા સમજાય.

પણ મોટાભાગના ‘અમર’ પ્રેમ ફટકિયા મોતી જ સાબિત થતા હોય છે. અહીં જે બે પ્રેમીની વાત છે એ કદાચ બેવફાઈના કારણે છૂટા પડ્યા છે. કવિએ કોઈ ખુલાસો કર્યો નથી. ગાલિબ લખે છે:

तुझ से क़िस्मत में मिरी सूरत-ए-क़ुफ़्ल-ए-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना

(હે આંકડાના મેળથી ખુલનારા તાળા ! મારી કિસ્મતમાં કદાચ વાત બનતા જ અલગ થઈ જવાનું લખાયું હતું.) તાળું બંધ હોય ત્યારે દાંડી કાયાની અંદર હોય છે પણ જેવી ચાવી ફેરવો કે આંકડાવાળા તાળામાં નિશ્ચિત આંકડા મેળવો કે દાંડી અને કાયા જુદા થઈ જશે. વાત બને, બે પ્રેમીઓ લગ્નગ્રંથિથી જોડાય, સંસારક્રમ આગળ વધે એ પહેલાં જ બંનેના નસીબમાં જુદા પડવાનું લખાયું. જેણે બેવફાઈ કરી હશે એની જિંદગી તો નદીના પ્રવાહ પેઠે સમયના કિનારાઓ વચ્ચે આગળ વહેવા માંડી હશે. પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો-

दिल से मिटना तिरी अंगुश्त-ए-हिनाई का ख़याल
हो गया गोश्त से नाख़ुन का जुदा हो जाना | (ગાલિબ)

(દિલથી તારી મહેંદીવાળી આંગળીનો ખ્યાલ મટી જવો અર્થાત, મારા માંસથી નખ જુદો થઈ જવો)

લગભગ બેહજાર વર્ષ જૂની ‘ગાથાસપ્તશતી’માં સાતવાહન હાલ પ્રાકૃત ભાષામાં કહે છે:

परित्र्प्रोस-सुन्दराइं सुरएसु लहन्ति जाईँ सोक्खाइं।
ताइं च्चित्र्प्र उण विरहे खाउग्गिण्णाईँ कीरन्ति॥

અર્થાત્, પ્રેમીઓ જુદા પડે છે ત્યારે એક સમયે જે આનંદ આપતું હતું એ ઊલટી જેવું લાગે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે: ‘હે હૃદય ! શાંત થા. શા માટે આટલું સહન કરે છે? જેને તું પ્રેમ કરે છે એ તને ચાહતું નથી.’ પણ હૃદય શાંત થતું નથી. જૂની બધી વાતો યાદ આવે છે. પ્રસ્તુત રચનામાં ‘આપણે વચન આપ્યું હતું’ની દ્વિરુક્તિ પ્રેમીના જીવનમાં પ્રેમ અને પ્રિયપાત્રનું શું મહત્ત્વ હતું એ વાતને અંડરલાઇન કરી આપે છે. રોજર ડિ બસી-રબુટિને કહ્યું હતું, ‘હવા જે આગ માટે છે, એ જ અનુપસ્થિતિ પ્રેમ માટે છે; એ નાનાને હોલવી નાંખે છે, મોટાને ભડકાવે છે.’ રુમીએ પણ કહ્યું હતું, ‘…જ્યારે હું તારાથી દૂર હતો, આ દુનિયાનું કોઈ અસ્તિત્ત્વ નહોતું, બીજી કોઈનું પણ નહીં.’ સાચો પ્રેમ પ્રેમીને ઓગાળી દે છે અને પ્રિયપાત્રને પોતામાં ઓગળી-ભળી ગયેલ અનુભવે છે. પોતાની નાડીમાં સામાના ધબકારા સંભળાય એ પ્રેમ. ‘હું’ અને ‘તું’ પીગળી જઈને ‘અમે’ બને એ રાસાયણિક પ્રક્રિયાનું નામ જ પ્રેમ છે.

પાબ્લો નેરુદા કહે છે, ‘આવજે, પણ તું મારી સાથે જ હશે, તું જશે મારા લોહીના એક બુંદમાં જે દોડતું હશે મારી નસોમાં અથવા બહાર, એક ચુંબનમાં જે મારા ચહેરાને બાળતું હશે, અથવા એક આગના પટ્ટામાં જે મારી કમર ફરતો હશે.’ જેફ હૂડે કહ્યું હતું, ‘અંતર લોકોને અલગ નથી કરતું, મૌન કરી દે છે.’ અહીં પણ નાયક બંને વચ્ચે આવી ગયેલા અંતરને અવગણીને ચિત્કારે છે. નાયિકા સામે છે કે નહીં એનો કવિતામાં ઉલ્લેખ નથી, આ ચિત્કાર એ સાંભળે છે કે નહીં એ આપણે કદી જાણી શકવાના નથી પણ દિલમાં ખૂંપી ગયેલું તીર જ્યાં સુધી ખેંચીને કાઢી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી એ નાયકને ચેનના શ્વાસ લેવા દે એમ નથી એટલે નાયક તારસ્વરે સાથે લીધેલા પણ પળાય એ પહેલાં જ તૂટી ગયેલા વચનો અને છૂટી ગયેલા સાથને એ વચનોની દુહાઈ આપીને ખોવાયેલ પ્રેમ પરત મેળવવાની આખરી કોશિશ કરે છે.

કવિ કોણ છે એ ખબર નથી. વિલાપ કરનાર નાયક છે કે નાયિકા એ ખબર નથી. બંને છૂટાં થયાં છે પણ કેમ એ ખબર નથી. વિલાપ સામા વ્યક્તિની હાજરીમાં થાય છે કે નહીં એય ખબર નથી. વિલાપનું કોઈ પરિણામ આવે છે જે નહીં એય ખબર નથી પણ આઠ જ પંક્તિની આ અનિશ્ચિત કવિતામાં પ્રેમની સચ્ચાઈ અને પ્રેમીહૈયાનું કલ્પાંત સુનિશ્ચિત છે અને જિંદગીમાં જેણે પ્રેમમાં જુદાઈ કે બેવફાઈનો જરા પણ સ્વાદ ચાખ્યો હશે એને દોઢ હજાર વર્ષ પહેલાંની આ રચના પોતાના જ દિલના કાગળ પર પ્રેમના આંસુઓથી હજી ગઈકાલે જ લખાયેલી કેમ ન હોય એવી તરોતાજા જ લાગશે.

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

ગ્લૉબલ કવિતા: ૪૧: બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ વિવેક મનહર ટેલર)

Stopping by woods on a snowy evening

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sounds the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

– Robert Frost

બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના અશ્વને મારા લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં

– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

And miles to go before I sleep

जीवन चलनेका नाम, चलते रहो सुबहो-शाम। ગતિ જ જીવન છે. ગતિ વિના પ્ર-ગતિ પણ શક્ય નથી. દુનિયા ગમે એટલી સોહામણી કેમ ન હોય, અકબર ઈલાહાબાદી કહે છે એમ, दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ; बाज़ार से ग़ुज़रा हूँ ख़रीदार नहीं हूँના ન્યાયે થોડું થોભીને, થોડું માણીને એમાંથી માત્ર પસાર થઈ જવા શું આપ તૈયાર છો? મૃત્યુ જિંદગીનું ગળું દબોચવા ટાંપીને જ બેઠું છે એ જાણતા હોવાથી નિતનવા જોખમો ખેડવાનું શું આપને મન થાય છે? ટી.વી., સ્માર્ટફોન, ફેસબુક, વોટ્સ-એપ, sms, ઇમેલ- આ બધી જંજાળ ફગાવી દઈને ક્યાંક ભાગી નીકળવાનું આપને મન થાય છે કદી? જો હા, તો રૉબર્ટ ફ્રૉસ્ટની આ કવિતા તમારા માટે છે.

રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. ૨૬-૦૩-૧૮૭૪ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મ. મા-બાપ બંને શિક્ષક પણ ૧૧ વર્ષની વયે ટીબીના કારણે પિતા ગુમાવ્યા. ૧૮૯૪માં પહેલી કવિતા ‘માય બટરફ્લાય: એન એલિજી’ લખી. આ કવિતા ધ ઇન્ડિપેન્ડન્ટમાં છપાઈ અને એ જમાનામાં ૧૫ ડોલર મળ્યા એથી પોરસાઈને ફ્રોસ્ટે જે સહપાઠી –એલિનોર વ્હાઇટ- સાથે ગ્રેજ્યુએટ થયા એને પ્રપોઝ કર્યું પણ અભ્યાસ બાકી હોવાથી એલિનોરે પ્રસ્તાવ નકાર્યો. એની કોલેજ પત્યા બાદ ફ્રોસ્ટે ફરીથી પ્રસ્તાવ મૂક્યો જે સ્વીકરાયો અને બંને લગ્નગ્રંથિથી જોડાયા અને છ સંતાનોના મા-બાપ બન્યા. એક પુત્ર કોલેરામાં મૃત્યુ પામ્યો, એકે આત્મહત્યા કરી, એક પાગલ થઈ ગયો, એક પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી અને એક જન્મના થોડા જ અઠવાડિયામાં બાય-બાય કહી ગઈ. સંતાનોનું આવું કારમું દુઃખ ઓછું હોય એમ ખેતી-મરઘાંપાલન – બધા જ વ્યવસાયોમાં પણ ફ્રોસ્ટને નિષ્ફળતા જ મળી. બધું વેચી-સાટીને ફ્રોસ્ટ પરિવારભેગા ૧૯૧૨માં ઇંગ્લેન્ડ પહોંચ્યા જ્યાં એઝરા પાઉન્ડ અને એડવર્ડ થોમસ સાથેનો પરિચય બહુ મોટો ભાગ ભજવનાર બન્યો. જિંદગીના પહેલા ચાળીસ વર્ષ સુધી કોઈ એમનું નામ પણ જાણતું નહોતું. અમેરિકાના કવિની કવિતાઓ ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વખતે ૧૯૧૫માં ઇંગ્લેન્ડથી અમેરિકા પરત ફર્યા ત્યારે પ્રસિદ્ધિના આકાશમાં એમના નામનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. એમના પહેલાં એમની કીર્તિ અમેરિકા પહોંચી ચૂકી હતી. ખેતરો અને ગામડાંનું નિષ્ફળ જીવન એમની કવિતાને ફળ્યાં અને કવિતા એમને ફળી. કવિતા અને ભાષાશિક્ષક બન્યા અને નાનાવિધ યુનિવર્સિટીઝમાં સેવા આપી. પણ દુઃખ કેડો છોડતું નહોતું. ૧૯૩૮માં કેન્સરના કારણે એલિનોર અવસાન પામી. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીના ઉદઘટન સમારોહમાં કાવ્યપાઠ માટે એમને ખાસ આમંત્રિત કરાયા હતા. કેનેડીએ એમના માટે કહ્યું હતું, ‘એણે એન દેશને અવિનાશી કવિતાનો એવો વારસો આપ્યો છે જેમાંથી અમેરિકનો હરહંમેશ આનંદ અને સમજણ મેળવતા રહેશે.’ અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયાના કોમ્પ્લિકેશન્સના કારણે ૨૯-૦૧-૧૯૬૩ના રોજ ૮૮ વર્ષની જૈફ વયે બોસ્ટન ખાતે એમનું નિધન થયું.

ફ્રોસ્ટ એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. ફ્રોસ્ટ એમની બહુખ્યાત રચના ‘ધ રોડ નોટ ટેકન’માં કહે છે, ‘મેં જેના પર બહુ લોકો નહોતા જતા એ માર્ગ મેં લીધો અને આ બધો તફાવત એન જ કારણે છે.’ એમની કવિતમાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. સામાન્ય જનજીવન અને ગ્રામ્યજીવન વિશે એમના જેવું અને જેટલું ભાગ્યે જ કોઈ કવિએ લખ્યું હશે. ફ્રોસ્ટની કવિતા ઓગણીસમી સદીની અમેરિકન કવિતા અને આધુનિકતાના દોરાહા પર ઊભેલી છે. પારંપરિક છંદો અને કાવ્યસ્વરૂપો સાથે તોડફોડ કરવાના બદલે એમણે કાવ્યત્ત્ત્વ પર જ વધુ ધ્યાન આપ્યું. એકલતા, કશાકની શોધ, જીવનની અંધારી બાજુ અને માનવમનની સંકુલતાઓ એમણે વાતચીતની ભાષામાં જે રીતે રજૂ કરી છે એ અમેરિકાના ઇતિહાસમાં न भूतो, न भविष्यति ગણાય છે. ફ્રોસ્ટ કહે છે, ‘મને મોટાભાગના વિચારો પદ્યમાં જ આવે છે. કવિતાની તાજગી સંપૂર્ણપણે પહેલાં વિચારીને, પછી પદ્યમાં ગોઠવીને ને પછી પદ્યને સંગીતમાં ઢાળવામાં નથી. કવિતાનો ‘મૂડ’ જ નક્કી કરે છે કે કવિએ કયો છંદ અને પંક્તિલંબાઈ વાપરવા.’ એક જગ્યાએ એ કહે છે, ‘સંપૂર્ણ કાવ્ય એ છે જ્યાં એક લાગણીને વિચાર મળે અને વિચારને શબ્દો.’

પ્રસ્તુત રચના પણ પારંપારિક છંદને જ પકડીને ચાલે છે. આયમ્બિક ટેટ્રામીટર અહીં પ્રયોજાયેલ છે. પણ પ્રાસ-રચના ધ્યાનાર્હ બની રહે છે. ચાર-ચાર પંક્તિના ચારેય અંતરામાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવ્યા છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી, બીજી અને ચોથી પંક્તિનો પ્રાસ બને છે. બીજી રીતે કહીએ તો પર્શિયન ‘રૂબાઈ’ના છંદ અને રૂપ-રચના ફ્રોસ્ટે અપનાવ્યા છે.

તેરમી સદીમાં થઈ ગયેલા ઇટાલીના દાન્તેની ‘ઇન્ફર્નો’ની પણ થોડી અસર અહીં નજરે ચડે છે. એ સિવાય ત્રણેક જગ્યાએ અન્ય કવિઓની પંક્તિની અસર સાફ નજરે ચડે છે: સ્કોટની ‘ધ રોવર’: ‘He gave the bridle-reins a shake’ ~ ‘He gives his harness bells a shake’; થોમસ લવેલ બેડોસની ‘ધ ફેન્ટમ વુઅર’: ‘Our bed is lovely, dark, and sweet’~ ‘The woods are lovely, dark and deep’ અને કીટ્સની ‘કીન ફિટફુલ ગસ્ટ્સ’: ‘And I have many miles on foot to fare’ ~ ‘And miles to go before I sleep.’ જો કે એય હકીકત છે કે દુનિયાના કોઈપણ વિવેચકે આને ઊઠાંતરી કહી નથી. ફ્રોસ્ટનું આ કાવ્ય ઉત્તમોત્તમ મૌલિક કવિતા ગણાયું છે.

આ કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે. કવિતા પણ કવિતામાંના પ્યારાં પણ ગાઢ અને ઊંડા જંગલોની જેમ જ ગહન છે. પહેલી નજરે તો અહીં ખૂબ સરળ ભાસતી વાર્તા સિવાય કંઈ નથી પણ આખી કવિતામાં એકમાત્ર પંદરમી પંક્તિ જ્યારે આખીને આખી જ પુનરાવર્તિત થાય છે ત્યારે સરળ ભાસતી કવિતામાંથી ગહનતાના પડઘા ઊઠતા સંભળાય છે.

વર્ષ આખાની સૌથી અંધારી અને ભયાનક શિયાળુ -ડિસેમ્બરના અંતભાગની- સાંજે નાયક એના નાનકા ઘોડા પર સવાર થઈ જંગલોમાંથી પસાર થઈ રહ્યો છે અને કોઈકના વાડી-જંગલ પાસે આવી ઊભો રહે છે. જ્યાં નજીકમાં કોઈનું ઘર પણ નથી એવી અવાવરૂ જગ્યા પર એક તરફ વન, બીજી તરફ થીજી ગયેલું તળાવ, માથે ઊતરી રહેલાં વર્ષની સૌથી અંધારી અમાસની રાતના ડરામણા ઓળા, ગાત્રો ગાળી નાંખે એવી ઠંડી શ્યામલ રાત્રે બરફનો વરસાદની વચ્ચે નરી એકલતા ઓઢીને નાયક ઊભો ઊભો બરફચ્છાદિત થતા વનોનું સૌંદર્યપાન કરી રહ્યો છે. જેના આ વાડી-જંગલ છે એ પણ આવા સમયે અહીં રહેવાનું જોખમ જાણતો હોવાથી જંગલ છોડીને ગામમાં રહે છે. વન એ સમાજની પેલે પારનું વિશ્વ છે. વન જોખમ, અસામાજિકતા, તર્કશૂન્યતા, જંગલીપણું, પાગલપન – શું શું નથી સૂચવતું?! વન તરફનું નાયકનું ખેંચાણ પણ એ જ રીતે એકાંતપ્રિયતા, સાહસિકતા, જવાબદારીઓમાંથી આઝાદી અને જોખમ તરફનું દુર્દમ્ય આકર્ષણ- શું શું નથી સૂચવતું?! જો કે કવિતામાં જે વનની વાત છે એ કોઈકની માલિકીનું હોવાથી એટલું ખરાબ તો નહીં જ હોય. જે હોય તે, પણ વન સમાજની લક્ષ્મણરેખાની પેલે પારનો જ વિસ્તાર છે. ઘોડો કદાચ સભ્ય સમાજનું પ્રતીક છે. એને કદાચ આવા સમયે આવામાં એકલપંથીનું આમ થોભવું વિચિત્ર લાગે છે અને એ ધુરા પર બાંધેલી ઘંટડી હલાવીને કોઈ ભૂલ તો નથી થઈને એમ પૂછે છે અથવા સંભવ છે કે નાયકને ઘોડો આમ પૂછી રહ્યાનો ભાસ માત્ર પણ થતો હોય!

આછી હવાની મર્મર અને હિમવર્ષાની ફર્ફર સિવાય અન્ય કોઈ અવાજ પણ નથી એવી નિઃશબ્દતામાં ઘંટડીનો રણકાર નાયકને પુનર્જાગૃત કરે છે. ભલેને આ જંગલો ગાઢ, ઊંડા ને પ્યારાં કેમ ન હોય, જીવનની જવાબદારીઓ પૂરી કરવાની છે, દીધેલાં કોલ નિભાવવાના છે અને ઊંઘ આવી જાય એ પૂર્વે દૂર-સુદૂર પહોંચવાનું છે. પંદરમી પંક્તિ પહેલી નજરે મુસાફરીની અનિવાર્યતા નિર્દેશિત કરે છે પણ જ્યારે એનું પુનરાવર્તન થાય છે ત્યારે ઊઠતો પડઘો વધુ ગાઢ અને ઊંડો લાગે છે. નિશ્ચિત મૃત્યુ આવે ચડે એ પહેલાં જિંદગી જીવી લેવાની છે, અટકવાનું નથી, અટવાવાનું નથી પણ સતત આગળ ને આગળ વધતા રહેવાનું છે. આ memento mori (યાદ રાખો, મૃત્યુ નિશ્ચિત છે.) આ ભયાવહ અને લલચામણાં વનમાં અટકવાની વાતને, સૌંદર્યને માણી લેવાના ઈરાદાની પુષ્ટિ કરે છે. જીવન ક્ષણભંગુર છે એટલે જોખમ ઊઠાવવા અને કરી શકાય તો સત્યની શોધ કરવી એવો ધ્વનિ સરવાળે ઊઠે છે. મરીઝ યાદ આવે:

‘જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’

ફ્રોસ્ટ કહે છે, ‘મારા શોખ (avocation) અને વ્યવસાય (vocation)ને એક કરવા એ મારો જીવવાનો હેતુ છે.’ એ એમ પણ કહે છે, ‘જિંદગી વિશે હું જે કંઈ પણ શીખ્યો છું એ ત્રણ જ શબ્દમાં કહી શકું છું – ઇટ ગોઝ ઓન.’ કાવ્યારંભે જેમ નાયક ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે વિ. ગોપિત રખાયું છે, એમ જ કાવ્યાંતે નાયક આગળ વધવું શરૂ કરે છે કે કેમ એ વાત પણ કવિએ કરી નથી. નાયકની જેમ જ ભાવક પણ આ કવિતાના ગાઢ, ઊંડા, પ્યારા વનની શાંત પણ જોખમી એકલતા પાસે આવી ઊભો રહી સૌંદર્યનું આકંઠ પાન પણ કરી શકે છે અથવા આગળ પણ વધી જઈ શકે છે…

ગ્લૉબલ કવિતા: ૪૦ : તિરુક્કુરલ – તિરુવલ્લુવર (તમિલ) ( અનુ. વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥૧૫॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥૧૦૮૪॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥૧૦૯૦॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ, હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥૧૧૧૦॥

-તિરુવલ્લુવર
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બબ્બે મિલેનિયમથી સળગતી રહેલી અગરબત્તી…

બાવીસસો વર્ષ પહેલાં આપણા જ દેશની ધરતીના કોઈ એક ખૂણેથી એક અવાજ ઊઠ્યો હોય અને એ અવાજ આજદિન સુધી વિશ્વભરના દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં એકધારો પડઘાઈ રહ્યો હોય, અભ્યાસુઓને સતત ચકિત કરી રહ્યો હોય એવી આપણને જાણ થાય તો આપણને કેવી અનુભૂતિ થાય! ભારતવર્ષ તો રત્નોનો ખજાનો છે. વ્યાસ, વાલ્મિકી, કબીર, મીરાં, નરસિંહ, તુલસી, ધ્યાનેશ્વર, તુકારામ, લલ્લેશ્વરી, વિદ્યાપતિ, બુલ્લેશાહ, શંકરાચાર્ય, અમીર ખુશરો, જયદેવ – કયા ખૂણેથી ને કઈ ભાષાથી આદરીને ક્યાં જવું એ કોયડો થઈ પડે એવા ને એટલા સંતકવિઓ આ દેશના ખૂણેખૂણેથી પાક્યા છે. તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવર આવા જ એક રત્ન છે. ૨૨૦૦ વર્ષ પહેલાં તામિલનાડુના એક ખૂણામાં પ્રગટેલી અગરબત્તી આજે પણ વિશ્વ આખાના ખૂણે-ખૂણામાં અવિરત ખુશબૂ ફેલાવી રહી છે…આપણા આ અમર અને અકલ્પનીય સાંસ્કૃતિક વારસામાંથી કેટલાક મૌક્તિક આપણે માણીએ

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે કહે છે કે એ વણકર હતા અને એમના કહેવાતા ઘરને આજે મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પત્નીનું નામ વાસુકિ. સંતકવિ હોવા ઉપરાંત તિરુવલ્લુવર ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ પણ હતા. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક પર જનાર તિરુવલ્લુવરના પૂતળાથી અભિભૂત થયા વિના રહેતો નથી. તિરુક્કુરલમાં ૧૩૩ કુરલ છે એટલે એમની પ્રતિમા ૧૩૩ ફૂટ ઊંચી છે અને ત્રણ વિભાગ છે એટલે પ્રતિમામાં સંતને ત્રણ આંગળી બતાવતા નિર્દેશાયા છે. પોંગલના તહેવારમાં ૧૫ જાન્યુઆરીના દિવસે કવિના નામથી તહેવાર પણ ઉજવાય છે. ભાગ્યે જ કોઈ કવિને સરકાર અને નાગરિકો દ્વારા આવું બહુમાન મળ્યું હશે.

મહાભારતની જેમ જ ‘તિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘તિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. તિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. તિરુક્કુરલ એ તિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.બાવીસસો વર્ષ પહેલાં કવિતાને ત્રણ ભાગ અને ૧૩૩ પેટાભાગમાં વહેંચીને દરેક પર દસ-દસ કુરલની રચના કરવા જેટલું પદ્ધતિસરનું કામ કરવું એ પોતે જ કવિની વિચક્ષણતાનું દ્યોતક છે. પ્રાચીન તામિલ કવિ અવ્વલ્યરે કહ્યું હતું, ‘તિરુવલ્લુવરે અણુમાં છિદ્ર કરીને એમાં સાત સમુદ્ર ભરી દઈને એને સંકોચી દીધા છે ને પરિણામે આપણને જે મળ્યું એ છે કુરલ.’

તિરુક્કુરલ એ સમાજના ઊંચ-નીચ, ધનિક-ગરીબ તમામ વર્ગના તમામ મનુષ્યોની રોજબરોજની જિંદગીની સમસ્યાઓ અને એના વાસ્તવિક ઉકેલ સાથે સંકળાયેલ મહાકાવ્ય છે. મનુષ્યજીવનના દરેક પાસાંઓનો પદ્ધતિસર અભ્યાસ અને વિવરણ અહીં જોવા મળે છે. ખેડૂતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો તિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન અનુવાદ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી. મુનશીએ આ ગ્રંથને જીવન જીવવાની કળા શીખવતો ઉત્તમોત્તમ મહાગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો.

અનુવાદ કદી મૂળ કૃતિને સંપૂર્ણ ન્યાય આપી શકે નહીં. કદાચ એટલે જ અંગ્રેજી જેવી એક જ ભાષામાં પણ તિરુક્કુરલના નવા નવા અનુવાદો હજી પણ થયા જ કરે છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

(૦૧) કોઈપણ કક્કાની શરૂઆત ‘અ’થી જ થવાની. એ જ રીતે ઈશ્વર જ સૃષ્ટિનું પ્રારંભબિંદુ છે. એ જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એનાથી જ સૃષ્ટિની શરૂઆત પણ થાય છે.

(૧૫) વરસાદ સર્વસ્વ છે, સર્વેસર્વા છે. એ વધુ માત્રામાં પડે તો બધું જ બરબાદ કરી નાંખે છે. પણ પછી એ જ વરસાદ ધરતીને સીંચીને નવજીવન નવપલ્લવિત કરે છે. ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’(કલાપી)

(૬૯) પુત્રનો જન્મ થાય ત્યારે મા હર્ષથી ફૂલી સમાતી નથી. પોતાના શરીરમાંથી એક બીજા સજીવને જન્મ આપવાથી મોટી ઘટના મનુષ્યના જીવનમાં બીજી કઈ હોઈ શકે? પણ જ્યારે એ જ દીકરાનું નામ દુનિયા સન્માનભેર લે, એ જ દીકરો સિદ્ધિ હાંસિલ કરે ત્યારે પુત્રજન્મની ખુશીથીય અનેક ગણી ખુશી માને થતી હોય છે.

(૭૧) પ્યાર છૂપાવ્યો છૂપતો નથી. છાપરે ચડીને પોકારે છે. એવું કોઈ તાળું જ નથી બન્યું જે પ્રેમને ભીતર સંતાડી દઈને બહાર મારી દઈ શકાય? સાચા પ્રેમીની આંખમાંથી એક નાનુ સરખુ આંસુ ટપક્યું નથી કે પ્રેમના તમામ પર્દાફાશ થયા નથી.

(૧૦૮) કોઈએ કરેલા સારા કામને કદી ભૂલવું જોઈએ નહીં. સત્કાર્યને ભૂલવાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે પણ કોઈ કંઈ ખરાબ કરે અને આપણે એને તાત્ક્ષણિક ભૂલી જઈ શકીએ એનાથી મોટું સત્કર્મ તો બીજું કોઈ જ નથી.

(૩૦૨) તમારો ગુસ્સો ગમે એટલો વ્યાજબી કેમ ન હોય પણ તમારાથી વધુ શક્તિશાળી કે સત્તાસંપન્ન માણસની આગળ એ વાંઝિયો જ પુરવાર થશે. એનો કંઈ જ અર્થ નહીં સરે. એ જ રીતે તમારાથી નબળા માણસ પર ગુસ્સો કરવાથી શો ફાયદો? ટૂંકમાં, કોઈપણ સ્વરૂપે ને કોઈની પણ આગળ ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. ગુસ્સા પર કાબૂ મેળવવો એ જ મોટો ગુણ છે.

(૩૯૬) જમીન ભલે રેતાળ કેમ ન હોય, ઊંડે સુધી ખોદવાથી પાણી જરૂર હાથ લાગે છે અને જેમ વધુને વધુ ઊંડુ ખોદાણ કરીએ તેમ વધુ ને વધુ પાણી જડે છે, એ જ રીતે કોઈપણ વસ્તુનો જેમ વધુ ને વધુ ઊંડો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ વધુને વધુ ડહાપણ પ્રાપ્ત થાય છે.

(૪૮૧) ઘુવડ જેવું શક્તિશાળી પક્ષી પણ દિવસના અજવાળામાં લાચાર છે. કાગડા જેવો કાગડો પણ દિવસે તો એને હંફાવી દઈ શકે. એ જ રીતે સમય વર્તીને શત્રુ પર હુમલો કરે એ માણસ જ યુદ્ધ જીતીને રાજા બની શકે છે. समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वो ही बाण।

(૬૨૩) દુઃખ કોના માથે નથી પડતું? પણ જે માણસ લાખ દુઃખ પડવા છતાં દુઃખી થવાના બદલે એનો સામનો કરે છે, દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા મથે છે એ માણસના ઘરે આવીને તો દુઃખ પોતે દુઃખી થઈ જાય છે અને સત્વરે ચાલતી પકડે છે. જીવનનો જંગ જે હારવામાં માનતો નથી એ જ જીતતો હોય છે.

(૭૯૬) જીવનમાં સમસ્યા કોને નથી આવતી?અને સમસ્યા આવે તો કોને ગમે ? પણ તિરુવલ્લુવર સમસ્યાઓ-તકલીફો-દુઃખોની પોઝિટીવ બાજુથી અવગત કરે છે. દુઃખોના થર્મોમીટરનો ફાયદો જ એ છે કે એનાથી મિત્રો-સ્વજનોનું સાચું તાપમાન ખબર પડી જાય છે. કવિ પણ દુઃખની ફૂટપટ્ટીથી મિત્રોને માપવાનું કહે છે. મરીઝ યાદ આવે: ‘મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.’ ઘણાબધા સુભાષિતોમાંથી પણ આ વાત મળી આવે છે: ‘વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.’

(૧૦૮૪) એની આંખોની કાતિલતા અને રૂપની શાલિનતાનો મેળ પડે એમ નથી. દેખાવે તો એ એકદમ સુંદર અને સૌમ્ય લાગે છે પણ એની આંખ સામે જે આંખ માંડે છે એનું તો એ જીવન જ પી લે છે. બિચારો પ્રેમમાં ગિરફ્તાર અને શમા પર પરવાના પેઠે ફના થઈ જાય છે. ‘કસુંબલ આંખડીના એ કસબનીવાત શી કરવી! કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.’ (ઘાયલ)

(૧૦૯૦) દારૂ ગમે એટલો આનંદ કેમ ન આપતો હોય પણ એના આનંદની અનુભૂતિ કરવા માટે એને ચાખવો ફરજિયાત બને છે પણ પ્રેમનો નશો એનાથીય અદકેરો છે. પ્રેમને હોઠોથી ચાખવાનીય જરૂર પડતી નથી. આંખ આંખથી મળે એટલામાં જ બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.

(૧૧૦૨) ઝેર અને ઝેરનું મારણ કદી એક ન હોઈ શકે. દુઃખ અને દુઃખ મટાડવા માટેની દવા –બંને અલગ જ હોવાના. પણ સૌંદર્ય, ઈશ્કનો કાનૂન અજબ છે. અહીં જે દર્દ જન્માવે છે એ જ એનો ઈલાજ પણ કરે છે. બે’ક શેર જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે. (ઘાયલ)

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે ! (મુકુલ ચોક્સી)

(૧૧૧૦) પુનરાભ્યાસ વિના સાચું જ્ઞાન શક્ય નથી. પુનરાવર્તન જેમ જેમ કરતાં જઈએ તેમ તેમ એક જ વસ્તુમાંથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે અને આપણને અહેસાસ થાય છે કે અરે! આ તો આપણને આગલી વખતે સમજાયું જ નહોતું. એ જ રીતે સમાગમ પણ ફરી ફરીને કરવાથી પરમાનંદના નિતનવા અને ઉત્તુંગ શિખરો સર થતા હોવાનો સાક્ષાત્કાર થાય છે.

બે મિલેનિયમથીય પુરાણો આ જ્ઞાનનો ખજાનો હજી આજેય એવોને એવો જ તાજો છે ને મિલેનિયમના મિલેનિયમ સુધીય તાજો જ રહેશે…

ગ્લૉબલ કવિતા:૩૯: ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

Home-thoughts, from abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાંમારાંફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીનેત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારેમેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

રોબર્ટ બ્રાઉનિંગ. ૦૭-૦૫-૧૮૧૨ના રોજ કેમ્બરવેલ, લંડનમાં જન્મ. પિતાના અંગત પુસ્તકાલયમાં એ જમાનામાં ૬૦૦૦થી વધુ પુસ્તકો હતા. એટલે સાહિત્યની ગલીઓમાં જ મોટા થવાનું થયું. વિપુલ સર્જનશક્તિના માલિક. કહે છે કે પાંચ વર્ષની વયે તો બ્રાઉનિંગ સડસડાટ લખતા-વાંચતા શીખી ગયા હતા. ૧૨ વર્ષની ઉંમર તો કવિતાનું પુસ્તક લખી નાખ્યું પણ કોઈ છાપનાર મળ્યું નહીં. અડધું સ્કૂલે, અડધું ઘરે એમ ભણ્યા ને અડધું ઇંગ્લેન્ડમાં, અડધું ફ્રાંસ-ઇટાલીમાં એમ જીવ્યા. કવિતા સિવાયની કોઈ આજીવિકા સ્વીકારવી ફાવી નહીં. શેલીથી ખાસ્સા પ્રભાવિત-એમની જેમ જ નાસ્તિક અને શાકાહારી બન્યા. ઉંમરમાં છ વર્ષ મોટાં કવયિત્રી એલિઝાબેથ બેરેટ સાથેની એમની પ્રણયથી પરિણય સુધીની કથા –ખાનગી લગ્ન કરીને ભાગી જવું વિ.- એ અંગ્રેજી સાહિત્યના યાદગાર ‘રિઅલ લાઇફ રોમાન્સિસ’માંની એક છે. એમની કવિતાઓનું આખરી પુસ્તક પ્રગટ થયું એ જ દિવસે ૧૨-૧૨-૧૮૮૯ના રોજ વેનિસ, ઇટાલીમાં નિધન.

વિક્ટોરિયન યુગ (૧૮૩૦-૯૦) એ ભૌતિકવાદની ચરમસીમા હતી. ગામડાંઓનો વિધ્વંસ, શહેરીકરણ અને બાળમજૂરી આ યુગના સૌથી મોટા નાસૂર બની રહ્યા. વાંચન શોખ બન્યું. પુસ્તકો અને લેખકોની વાત કરવી એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. ‘અતિ’ કહી શકાય એ માત્રામાં સાહિત્ય લખાવા-છપાવા-વંચાવા માંડ્યું. સ્ત્રી સાઇકલ ચલાવે તોય હાહાકાર મચી જતો. ‘વિક્ટોરિયન’ યુગ એ ઇંગ્લેન્ડનો કદાચ સૌથી વધુ દંભપ્રચુર ગાળો હોવાથી એ ગાળાના સર્જકોને વીસમી સદીના અર્ધભાગ સુધી અવગણવામાં આવ્યા હતા. બ્રાઉનિંગ પણ એમાંથી બચ્યા નહોતા પણ કાળક્રમે એમની કાવ્યશક્તિ અને મૌલિકતા વધુને વધુ પ્રસંશા પામતા ગયા અને આજે એ નિઃશંકપણે મહાન સર્જકોમાંના એક ગણાય છે. નાટ્યાત્મક એકોક્તિ (Dramatic monologue) યુક્ત કથનશૈલીના એ ખાં હતા. રોમાન્ટિસિઝમ કાવ્યશૈલીના એ હિમાયતી હતા.એમના સમયની શૃંગારુ-કાવ્યશૈલીની સામે સરળતા અને લયાત્મક્તાને એમણે પ્રાધાન્ય આપ્યું. પ્રેમ, ફિલસૂફી, રમૂજ-કાળો કટાક્ષ, સામાજિક નિસ્બત અને ઇતિહાસ એમની કવિતાઓમાં વેરાયેલા જોવા મળે છે. પ્રેમકાવ્યોમાં ટૉ બ્રાઉનિંગની કાવ્યશક્તિ શીર્ષસ્થ છે. જિંદગીમાં પહોંચબહારનું કંઈક ‘ઉચ્ચ’ હાંસિલ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએની એમની માન્યતા એમના સર્જનમાં સતત દેખાય છે. એ કહે છે, ‘આપણી મહત્ત્વકાંક્ષાઓ જ આપણી શક્યતાઓ છે.’ છંદોલયની રમતના એ બેતાજ બાદશાહ હતા. એમના શબ્દભંડોળ અને ભાષકર્મની નજીક ભાગ્યે જ કોઈ પહોંચી શકે. એ કહેતા, ‘ધ્યેય, હાંસિલ થાય કે ન થાય, જિંદગીને મહાન બનાવે છે: શેક્સપિઅર બનવા મથો, બાકીનું કિસ્મત પર છોડી દો.’

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો ૮ પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, ૩-૩-૪-૪-૫-૫-૫-૩ મુજબ પ્રયોજાયા છે. બીજો લાંબો અંતરો ૧૨ પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે. પ્રાસરચના બંને અંતરામાં અલગ-અલગ અને અટપટી લાગે છે પણ કવિતાને ૮-૧૨ના બદલે ૧૦-૧૦ના બે ભાગમાં વહેંચી નાંખીએ તો વિચિત્ર લાગતી પ્રાસરચના સરળ ભાસવા માંડે છે: અ-બ-અ-બ/ક-ક/ખ-ખ/ગ-ગ. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના ગુજરાતી અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ અહીં કર્યો છે.

‘હોમ-થોટ્સ ફ્રોમ અબ્રોડ’ લખનાર બ્રાઉનિંગે જ સાત જ પંક્તિની એક કવિતા ‘હોમ-થોટ્સ ફ્રોમ ધ સી’ પણ લખી છે, જેનો ધ્વન્યાર્થ જોકે અલગ જ છે. જો કે એમાં પણ “Here and here did England help me: how can I help England?” (અત્રે-તત્રે બધે ઇંગ્લેન્ડ મને મદદરૂપ થયું હતું, હું શી રીતે ઇંગ્લેન્ડને મદદ કરી શકું?)–એમ વતન માટેની પ્રેમભરી ચીસ તો નીકળે જ છે. જો કે અડધી જિંદગી ઇટાલીમાં વિતાવનાર બ્રાઉનિંગ અન્ય એક કવિતા -De Gustibus- માં આમ પણ લખે છે: ‘મારું હૃદય ઊઘાડો અને તમે જોઈ શકશો કે અંદર કોતર્યું છે, ‘ઇટાલી’. અમે એટલા જૂના પ્રેમી છીએ: એ પહેલાં પણ કાયમ જ (કોતરેલું) હતું, અને કાયમ જ (કોતરેલું) રહેશે.’

શીર્ષક ન આપ્યું હોય તોય કવિતા શેની છે એ તરત સમજી શકાય છે એટલે શીર્ષક અહીં કવિતામાં પ્રવેશવાનો ઉંબરો બનવાના બદલે ઘર કોનું છે એ નિર્દેશતી નેઇમ્પ્લેટ માત્ર બનીને રહી જાય છે. આપણામાંથી બહુ ઓછા એવા હશે જે ઇચ્છતા હોય કે એમની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ હોય. પણ અભ્યાસ, આજીવિકા કે અન્ય કોઈપણ કારણોસર ઘણાં લોકોને ટૂંકા-લાંબા ગાળા કે કાયમી ધોરણે પણ ઘર યા વતનવિચ્છેદ ભોગવવાનું નસીબ થતું હોય છે. બ્રાઉનિંગ કહે છે, ‘જેટલા આઝાદ આપણે દેખાઈએ છીએ, એટલા જ વધુ સાંકળથી બંધાયેલા છીએ!’ ખલિલ જિબ્રાન કહે છે, ‘અને એકલા અને માળા વગર જ ગરુડે સૂર્ય તરફ ઊડવાનું છે.’

માળો ત્યજી ગયેલા આવા કોઈક પંખીને માળો ફરી યાદ આવ્યો છે. કેલેન્ડરનું પાનું ફર્યું છે અને એપ્રિલ દૃષ્ટિગોચર થયો નથી કે નાયક વતનની યાદોમાં ખોવાઈ જાય છે. એપ્રિલ એટલે વસંતની શરૂઆત અને ઇંગ્લેન્ડની આબોહવાની વિષમતા જેણે વેઠી હોય એ જ સમજી શકે છે કે ઇંગ્લેન્ડમાં વસંત એટલે શું અને એવામાં ઇંગ્લેન્ડમાં હોવું એટલે શું ! ‘ઍઝ યુ લાઇક ઇટ’માં ‘આહ, હવે જ્યારે હું આર્ડનમાં છું, હું વધુ પાગલ છું; જ્યારે હું ઘરે હતો, હું વધુ સારા સ્થળે હતો; પણ મુસાફરોએ સંતોષી હોવું જોઈએ’ કહેતો શેક્સપિઅર ‘કિંગ હેનરી પાંચ’માં ‘…તો પછી ઇંગ્લેન્ડ તરફ’ જ કહે છે. વસંત એવો સમય છે જ્યારે વિશાળકાય એલ્મ વૃક્ષની નીચામાં નીચી ડાળીઓ કે એની છાંયમાં ઊગી આવેલ ઝાડી-ઝાંખરાં પણ નાનીનાની પાંદડીઓથી નવપલ્લવિત થઈ રહ્યાં છે. કોકિલ પંચમસૂર આલાપી રહ્યા છે. પણ આ બધું જે કોઈ પાસે નાયક જેવી પારખુ નજર હોય કે બ્રાઉનિંગ જેવા રોમાન્ટિસિઝમના આરાધકને જ નજરે ચડે છે.

મે મહિનામાં તો વસંત પરાકાષ્ઠાએ પહોંચશે. નાના-મોટા પંખીઓ સૂરાવલિઓ રેલાવશે. ‘સાંભળ’ કહીને કવિ ભાવકને કાન સરવા કરવા ઇજન આપે છે. ફળોથી લચી પડેલું નાસપતિનું ઝાડ નીચે ફૂલ અને ઝાકળ પાથરીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવામાં ખેતરમાં દવા છાંટવાના પંપની વાંકી નળી પર બેઠેલી ચકલી હર્ષવિભોર થઈ ગીત ગાય છે અને ક્યાંક તમે એમ ન માની બેસો કે એ વસંતના વૈભવથી અને આનંદથી બેફિકર છે એટલે એ ગીત ફરીથી દોહરાવે પણ છે. ઝાકળ સૂકાઈ રહ્યું હોય કે થીજી રહ્યું હોય તો બપોર સુધીમાં તો વાસી લાગવા માંડે છે પણ બપોર થતાં જ બટરકપના નાનાં-નાનાં પીળાં ફૂલો –જે ભેગાં કરવાં બાળકોની પ્રિય રમત છે- ખીલી ઊઠીને ખેતરનું વાતાવરણ જ આખું બદલી દે છે. ઇંગ્લેન્ડથી દૂ…ર કવિ જ્યાં છે, ત્યાં પણ તડબૂચના પીળાં ફૂલ ખીલ્યાં જ છે પણ વતનના ફૂલ અને વતનની ધૂળ… ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.’ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?!

જિબ્રાન કહે છે, ‘તમારું ઘર લંગર નહીં, કૂવાથંભ હોવું જોઈએ; ઘાને ઢાંકી દેતું ચળકતું પડ નહીં પણ આંખનું રક્ષણ કરતું પોપચું હોવું જોઈએ.’ જી.કે. ચેસ્ટરટને ખૂબ સરસ વાત કરી હતી, ‘હવે એ એનું ઘર હતું. પણ એ એનું ઘર નહીં બની શકે જ્યાં સુધી એ ત્યાંથી ગયો નથી અને પરત ફર્યો નથી.’ ઘર છૂટે ત્યારે જ એની કિંમત સમજાય. જિબ્રાનના કહેવા મુજબ ‘પ્રેમ એની ઊંડાઈ જાણતો જ નથી, જ્યાં સુધી જુદાઈની ઘડી આવતી નથી.’ વતનથી દૂર થવાનું થાય ત્યારે જ વતન શું હતું એની સમજણ પડે છે.

ગીત લખાયું એ અરસો ઇંગ્લેન્ડના ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો તબક્કો હતો અને સેંકડો-હજારો લોકોએ પેટિયું રળવા ઘરબાર છોડ્યા હતા અને આ બધા પોતાની કલ્પનાના એ જ ‘ગામઠી’ અને વધુ ‘પ્રાકૃતિક’ ઇંગ્લેન્ડની યાદોમાં જ જીવતા હતા, જીવવા માંગતા હતા. બ્રાઉનિંગ જો કે આ ગાડરિયા પ્રવાહનો હિસ્સો નહોતા અને એમની રચના અને વતનપ્રેમ વધુ નૈસર્ગિક હોવાનું પણ અનુભવાય છે. આ વતનપ્રેમ જોકે એટલો પ્રબળ પણ નથી કે સાંકળ તોડીને વતન પરત ફરી શકાય. ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત, કહે છે, જ્યારે વિદેશી થિએટરમાં ભારતીયો જોતાં ત્યારે આખું થિએટર ધ્રુસકે ચડતું, લોકો પૈસા ફેંકતા, પણ કેટલા લોકો વિદેશ છોડીને સ્વદેશ પરત ફર્યા હશે?

ગ્લૉબલ કવિતા: ૩૮: આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

આખરી દેવતાઓ

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસમાંની એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ કડક થયો છે
દૈવી પ્રવાહીથી નહીં પણ લોહીથી.
તેણી એને પકડે છે અને ચૂસીને
વધુ કડક બનાવે છે. પેલો ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહી હતી,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને કંપકંપી ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયાં હતાં એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સંભોગથી સમાધિ તરફ લઈ જતું નિર્વસનતાનું મહાગાન

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રોએ જે ઘડીએ તન ઢાંકવાનું શરૂ કર્યું, આપણાં મન પર પણ પરદા પડી ગયા. માણસ અને પ્રકૃતિ વચ્ચે ભેદ સર્જાયો. માણસ માણસથી પણ દૂર થઈ ગયો. દુનિયામાં ઘણી જગ્યાએ મનુષ્યો ન્યુડિસ્ટ કૉલોની કે ન્યુડ બીચ ઊભાં કરીને ફરીથી પ્રકૃતિની નજીક જવાની કોશિશ પણ કરે છે પણ કોઈ સાંધો કે રેણ આ ભેદ દૂર કરી શકવા સમર્થ નથી. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. વસ્ત્રોની સરહદની પેલે પારના કોઈક કલ્પપ્રદેશની કવિતા અમેરિકાના ‘સોશ્યલ વૉઇસ’ બની ગયેલા કવિ ગાલવે કિન્નલ લઈને આવ્યા છે.

ગાલવે કિન્નલ. અમેરિકામાં રહોડ આઇલેન્ડ પર જન્મ(૦૧-૦૨-૧૯૨૭).બાળપણથી જ એડગર એલન પૉ અને એમિલિ ડિકિન્સનથી પ્રભાવિત અને એમની જેમ જ એકાંતપ્રિય અને ખાસ્સા અંતર્મુખી. એમ.એ. સુધીનો અભ્યાસ. બાર્બરા બ્રિસ્ટોલ સાથે લગ્ન. વિશ્વપ્રવાસી. યુરોપ અને મધ્યપૂર્વમાં વર્ષો ગાળ્યાં. બે વર્ષ અમેરિકન નૌકાદળમાં સેવા પણ બજાવી. ઇરાનમાં પત્રકારિત્વ પણ કર્યું. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનના પ્રોફેસર અને અમેરિકન અકાદમી ઓફ પોએટ્સના ચાન્સેલર. વિશ્વભરની યુનિવર્સિટીઓમાં કવિતા શીખવતા. કોંગ્રેસ ઓફ રેસિયલ એક્વલિટી (CORE)-વંશીય સમાનતાના સક્રિય કાર્યકર, એ માટે એકવાર જેલવાસ પણ ભોગવ્યો. વિયેટનામ યુદ્ધ વખતે સરકારનો ભારે વિરોધ કરી યુદ્ધ-કર ન ભરવાની ચળવળના પ્રણેતાઓમાંના એક. પુલિત્ઝર પ્રાઇઝ, નેશનલ બુક એવૉર્ડ જેવા અનેકાનેક ખિતાબ-અકરામોથી નવાજિત. ૮૭ વર્ષની ઊંમરે લ્યુકેમિયાના કારણે ૨૮-૧૦-૨૦૧૪ના રોજ એક યુગ અંત પામ્યો.

યુ-ટ્યુબ પર એમના પ્રભાવશાળી કાવ્યપઠનની ક્લિપ્સ સાંભળવા જેવી છે. એ કહેતા કે, ‘કોઈ કવિતા નહીં લખે, જો આ વિશ્વ સંપૂર્ણ હોય.’એમના મિત્ર સી.કે.વિલિયમ્સના મત મુજબ,‘કિન્નલની કવિતા તમારી ભીતર એક માંદગી –સિન્ડ્રોમ ઑફ ધ સિંકિંગ હાર્ટ – જન્માવે છે. તમે કવિતાની મૌલિકતા, ઊંડાઈ-પહોળાઈ, કાબેલિયત, ચાતુર્યથી ઘાયલ થઈ જાવ છો. આવી કવિતા એણે કેવી રીતે લખી? હું તો આવું કદી લખી નહીં શકુંની ઈર્ષ્યા ઘેરી વળે છે. પણ પછી તમે એના ગાઢ પ્રેમમાં ગિરફ્તાર થઈ જાવ છો.’ બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકાના સહુથી વધુ વખણાયેલા-વંચાયેલા-ચર્ચાયેલા કવિઓમાંના એ એક છે. રોજિંદી જિંદગીના અનુભવોને એ બૃહદ ફલક પર કાવ્યાત્મક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બળો સાથે સાંકળે છે. મુક્ત પદ્યશૈલીમાં એ આપણા મનોજગતના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને યથાર્થ આલેખી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને મનુષ્યજીવનના સમતુલનને એ હળવે હાથે સ્પર્શે છે.

‘આખરી દેવતાઓ’ પણ મુક્ત કવિતા છે. આ નિર્વસનતાનું, પારદર્શિતાનુંગાન છે. કપડાંના નિયમો ફગાવીને જ પ્રારંભાતી આ કવિતા છંદ-પ્રાસ કે અંતરાની કાખઘોડી વિના જ ઊભી રહી શકે છે.કવિતાનું શીર્ષક ‘આખરી દેવતાઓ’ વિચાર માંગે છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓએ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે. ઓશો રજનીશે તો સંભોગથી સમાધિ સુધી જવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો હતો.

નગ્નતાને સ્વીકારવા માટે હિંમત કરતાં પણ વધુ તો બાળસહજ નિર્દોષતા જોઈએ. નાનો બાળક જ ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી શકે. આપણે ત્યાં ‘અંજળપાણી’ની જેમ જ ‘નગ્ન સત્ય’ ખોટો શબ્દપ્રયોગ રુઢ થયો છે. સત્ય તો નગ્ન જ હોય ને? આડંબરથી પર જ હોય ને? અને સત્યનો પ્રકાશ લાધે ત્યારે માણસ વસ્ત્રોથી પર અને પાર થઈ જાય છે. ‘યુરેકા’ કહીને આર્કિમિડિઝ શહેરની ગલીઓમાં નિર્વસ્ત્ર દોડી નીકળ્યો એ એનું ગાંડપણ નહોતું, સત્યના પ્રકાશથી એ ચકાચૌંધ થઈ ગયો હતો.જૈનોમાં એક સંપ્રદાય દિગંબર છે, જેને વેદોમાં ‘વાતરશના’ કહે છે. ‘દિશાઓ છે વસ્ત્રો જેનાં તે’ એમ દિગંબરનો બહુવ્રીહિ સમાસ શાળામાં ભણતાં ત્યારે આ શબ્દના ઊંડાણનો અહેસાસ સુદ્ધાં નહોતો. જે માણસ બધું જ ત્યાગી દે છે એને વસ્ત્ર પણ બોજ લાગે છે. બધું ત્યાગી દેનાર જ ઈશ્વરની નજીક જઈ શકે છે. એ વાત અલગ છે કે લોકો વસ્ત્રો પહેરીને દિગંબર મહારાજસાહેબના આશીર્વાદ લેવા જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જે નીતિને માત્ર સારામાં સારા વસ્ત્ર તરીકે જ પહેરે છે એ દિગંબર રહે તો સારું.’ કુંભમેળામાં પણ નાગા બાવાઓનો એક વિશાળ સમુદાય છે. નાગા બાવાઓનો એક પંથ ભરૂચ નજીકના અવાખલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. કહે છે કે લાવ લુશી નામના શૈવપંથીએ વીરશૈવ નાગાઓની પરંપરા ત્યાંથી આદરી હતી. વસ્ત્રોથી આઝાદી એ અપરિગ્રહનું પ્રથમ પગથિયું છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પેટની ભૂખ એ પ્રાથમિક ભૂખ છે. નિર્વસ્ત્રતા અહીં સાહજિક અને એટલી બધી નૈસર્ગિક છે કે એ આદિમ ભાવોને પણ સીધી ઉજાગર નથી કરતી. ટૂંકા વાક્યમાં ગતિપૂર્વક કવિ કહે છે, ‘પેલી બોલાવે છે. આ ફરે છે.’ નગ્નતા આડંબરનો અવકાશ જ શૂન્ય કરી દે છે. सीधी बात। नो बकवास। આદિમભાવથી પ્રેરિત નાયિકા નાયકને બોલાવે છે. બેરીઝથી વધુ ચડિયાતું કંઈક છે એ હવે નાયકને સમજાય છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. જ્યારે બલિ આવકાર આપે છે ત્યારે એક-એક પગલાંમાં એક-એક લોકને સમાવી લેતા વામનના પગલાંને નાના અમથા માથા પર અટકી જવું પડે છે.

ઘૂંટીભેર પાણીમાં દેખાતા નાયિકાના પ્રતિબિંબને ટુકડા-ટુકડા કરતો નાયક લીલ-પાંદડાં અને કીચડ ફેંદતો આગળ વધે છે ત્યારે દૃશ્યમાન જગત વચ્ચેની આત્મીયતા છતી થાય છે. પ્રતિબિંબ ગમે એટલું સુંદર કેમ ન હોય, એનો નાશ કરીએ તો જ વાસ્તવ હાથમાં આવે. યોનિમાર્ગ ખોલીને સસ્મિત આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં નાયક પેલીની ભૂખનું પહેલાં વિચારે છે. નાયક-નાયિકા તો સાવ નિર્વસ્ત્ર છે પણ નાયિકાના મોંમાં જે બેરી નાયક મૂકે છે એ બેરીએ ધુમ્મસનું ખમીસ પહેર્યું છે. કેવું અદભુત કલ્પન! બેરી પર ચોંટેલું ધુમ્મસ હજી સૂકાયું નથી એના પરથી કલ્પી શકાય છે કે વહેલી પરોઢનો આ સમય હશે. નાયિકાને પણ ઉતાવળ નથી. પેલો વારફરતી બેરીઝ ખવડાવે છે, પેલી ખાય છે. ગ્રીક દેવતા ઇરોઝ પ્રેમનો દેવતા કહેવાય છે અને એ પ્રેમ બાબતમાં કદી ઉતાવળ કરતો દેખાતો નથી. અહીં પણ આ બે મનુષ્યોનું મિલન એ કક્ષાનું છે એ બતાવવા કવિ ઉતાવળ કરતા નથી. સંભોજ અને સંભોગ –આમેય બે પ્રવેશક અને પ્રવેશ સમાવતી સમાન ક્રિયા નથી?

આકાશમાં ચકરાવા લેતાં, મસ્તી કરતાં બે અબાબિલ આ જ બંનેનો સ્નેહ પ્રતિબિંબિત ન કરતાં હોય એમ એકની ઝપટમાં જીવડું આવી જતાં બંને આનંદવિભોર થતાં નજરે ચડે છે. મૂળ કવિતામાં Swallow શબ્દ એકીસાથે ત્રણ પંક્તિઓમાં બીજા ક્રમે આવીને મજાનું ભાવવિશ્વ રચે છે જેમાં પહેલી બે વાર Swallows ક્રિયાપદ તરીકે બેરી ગળવાની પ્રક્રિયા અને ત્રીજીવાર Swallows સંજ્ઞા તરીકે, પક્ષીના નામનિર્દેશન માટે વપરાયું છે. અનુવાદ કરીએ ત્યારે ઘણીવાર આવી નાની-મોટી ચમત્કૃતિઓ કમને પણ ગુમાવવી પડતી હોય છે. પુરુષ ઉત્તેજિત થયો છે. ગ્રીક દેવતાઓની નસોમાં ichor-ઇકરનામનું દૈવી પ્રવાહી દોડતું પણ નાયક મનુષ્ય છે. એનું લિંગ લોહીના ભરાવાથી ઉત્તેજીત થયું છે અને નાયિકા એને ઝાલીને-ચૂસીને વધુ ઉત્તેજીત કરે છે.

સેક્સનો સમાજમાં ફેલાવો જેટલો આજે છે એટલો આ પૂર્વે ક્યારેય નહોતો. પૉર્નોગ્રાફીથી મોટો કોઈ ધંધો નથી પણ એની સામે એ પણ હકીકત છે કે સેક્સની બાબતમાં આજનો સમાજ જેટલો પછાત, સંકીર્ણ અને રુગ્ણ વિચારધારાથી પીડાય છે એટલો પણ આ પૂર્વે કદી નહોતો. સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. આમેય, વસ્તુ જેટલી વધુ વેચાય એટલું એનું મૂલ્ય ઓછું. સેક્સનું વેચાણ આકાશે ગયું છે ને મૂલ્ય પાતાળે. જુઓ તો, આ નાયક શું કરે છે! પહેલાં એણે બેરી ખવડાવી હવે ઓરલ સેક્સ પામ્યા પછી એ ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. સૃષ્ટિમાં સૌનું આગમન યોનિમાર્ગેથી જ થતું હોવા છતાં, મંદિરોમાં જઈને આપણે યોનિની પૂજા કરતાં હોવા છતાં સ્ત્રીને અને સ્ત્રીના જનનાંગોને બજારકક્ષાનું જે નિમ્નસ્થાન આપણા કહેવાતા અતિમુક્ત સમાજે આપ્યું છે એ કલ્પનાતીત છે.

નાયક પણ મુખમૈથુનનો પ્રતિસાદ એનાથી આપે છે. દ્વૈત અદ્વૈતાય છે. બંનેના આ દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. દેડકો, કાગડો, અબાબિલ – બધા જ ખુશ છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યની સર્વાનુભૂતિ અને અસ્તિત્વનો એકમાત્ર અર્ક છે. પ્રણયમાં કે જીવનમાં સુખ અને દુઃખની પરાકાષ્ઠાએ અનુભૂતિની તીવ્રતા એકસમાન જ હોવાની. પ્રણયમાં દુઃખની ચરમસીમાએ ‘મરીઝ’ પણ ‘મને મારી પ્રેમાળ મા યાદ આવી’ જ કહે છે અને એ જ રીતે માત્ર પ્રેમની ક્ષણોએ જ મનુષ્ય ઈશ્વરની લગોલગ હોય છે એમ ‘બધું જ સમજાવી દેતી’માતૃતુલ્ય આંતર્દૃષ્ટિ પણ પ્રેમની ચરમસ્થિતિએ જ ખૂલે-ખીલે છે.

Last Gods

She sits naked on a rock
a few yards out in the water.
He stands on the shore,
also naked, picking blueberries.
She calls. He turns. She opens
her legs showing him her great beauty,
and smiles, a bow of lips
seeming to tie together
the ends of the earth.
Splashing her image
to pieces, he wades out
and stands before her, sunk
to the anklebones in leaf-mush
and bottom-slime—the intimacy
of the visible world. He puts
a berry in its shirt
of mist into her mouth
She swallows it. He puts in another.
She swallows it. Over the lake
two swallows whim, juke, jink,
and when one snatches
an insect they both whirl up
and exult. He is swollen
not with ichor but with blood.
She takes him and sucks him
more swollen. He kneels, opens
the dark, vertical smile
linking heaven with the underearth
and licks her smoothest flesh more smooth.
On top of the rock they join.
Somewhere a frog moans, a crow screams.
The hair of their bodies
startles up. They cry
in the tongue of the last gods,
who refused to go,
chose death, and shuddered
in joy and shattered in pieces,
bequeathing their cries
into the human mouth. Now in the lake
two faces float, looking up
at a great maternal pine whose branches
open out in all directions
explaining everything.

– Galway Kinnel

મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર