Category Archives: આદિલ મન્સૂરી

સંબંધોય… – આદિલ મન્સૂરી

(કોઈની ઢળેલી નજર………  Photo: http://unpresentable.wordpress.com)

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી

આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!

ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.

સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.

.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

————————————-

અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!

સ્વર : ચિનુ મોદી

.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.

– આદિલ મન્સૂરી

————————————

અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ

.

————————————

તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂

બિછાવું છું ને ઓઢું છું આ ગઝલની પછેડીને – આદિલ મન્સૂરી

આદિલ સાહેબની છેલ્લી ગઝલોમાંની એક ગઝલ – એમના પોતાના અવાજમાં..

(Live program recording હોવાથી વચ્ચે થોડો અવાજ આવે છે – ચલાવી લેશો ને? 🙂 )

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

આ ધોરી માર્ગથી બીજી તરફ ફંટાતી કેડીને
ફરું છું હું સદા સાથે લઇ ત્યાંથી ઉખેડીને

નિરાંતે ચાલવા માટેનો હું રસ્તો કરી લઉ છું
આ નકશાના શહેરોને જરા આઘા ખસેડીને

આ મારા બિનનિવાસી દિવસોમાં હૂંફ છે એની
બિછાવું છું ને ઓઢું છું ગઝલની આ પછેડીને

દિવસ વીતે છે દિવાલોની સાથે વાત કરવામાં
ને આખ્ખી રાત ખખડાવ્યા કરું છું પગની બેડીને

હું વર્ષો બાદ પાછો પાદરે આવીને આ ઊભો
તમે સૌ ખૂશ હતા કેવા મને ઘરથી તગેડીને

બધાયે સ્નેહીઓ આવ્યા છે ઊંડે દાટવા ‘આદિલ’
હવે તો આંખ ખોલો, જોઇ લો ચાદર ખસેડીને

પણ હું – આદિલ મન્સૂરી

(હું પ્રવાહી અને કઠણ પણ હું…. Stanyan Beach, CA – Apr 09 )

* * * * * * *

સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું

હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું

હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું

હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું

લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું

મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું

હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું

– આદિલ મન્સૂરી

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

સામે – આદિલ મન્સૂરી

આગ પાણી અને હવા સામે
માનવી એકલો બધા સામે

સૂર્ય ઝાંખો પડી ગયો પાછો
કોણ ઊભું છે આયના સામે?

કોઇ પૂછે આ કોણ લોકો છે
કોડિયાં લૈ ઊભા હવા સામે

મૌન પાસેય ક્યાં જવાબ કોઇ?
શબ્દ પ્રશ્નો બની ઊભા સામે

મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો
ઊભા રહેવાનું છે ખુદા સામે

બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે

– આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ – આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે –

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર –

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.



માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! – આદિલ મન્સૂરી

 rainy

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે  બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !

કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

સ્વર : મનહર ઉધાસ

14989320_1868528cfe_m.jpg

.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.