Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

ગ્લૉબલ કવિતા : ૨૩૫ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh


ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી જરા,
ને જીરવી લે દ્રાક્ષ પણ હિમપાતને વરસોવરસ;
હરિયાળી ફૂલે-ફાલે, ને પાકેય નિષ્ફળ જાય ના,
ક્યારેક પાસાં સૌ પડે પોબાર, છો ઊંચું હો લક્ષ.

ક્યારેક લોકો પાછી પાની પણ કરી દે યુદ્ધથી;
ઈમાનદારોને ચૂંટે, ને રાખે એ દરકાર કે
કોઈ અજાણ્યો પણ ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જન્મનો જે હેતુ હો એ સર કરે.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે ધાર્યું હો કરવા, એ પૂરું કરવા મળે;
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)


મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

કયા મા-બાપને પોતાનું બાળક પોતાના પેંગડામાં પગ નાંખે એ ન ગમે? સંતાનની પ્રગતિ તો સહુને ગમે, ખરું ને? સંતાન પોતાને ઓવરેટક કરી જાય તો મા-બાપની છાતી ફાટફાટ થાય. પણ આ જ વાત કળાના ક્ષેત્રમાં અલગ પરિણામ આણે છે. સર્જક જન્મદાતા હોવા છતાં ક્યારેક એને પોતાનું જ સંતાન- પોતાનું જ સર્જન પોતાને અતિક્રમી જાય એ ન ગમે એવું બનતું હોય છે. રચનાની આભા સામે સર્જક તો ઠીક, સર્જકનું અન્ય તમામ સર્જન સુદ્ધાં વામણું બનીને રહી જાય ત્યારે આવો અણગમો ખાસ જોવામાં આવે છે. જો કે સર્જન સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે એ કાળાતીત-અમર થઈ જાય છે. ચાલો, આજે આપણે આવી જ એક કવિતાની વાત કરીએ.

શીનાઘ પ્યુ. કવયિત્રી, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. ૨૦-૧૨-૧૯૫૦ના રોજ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે જન્મ. હાલ પતિ સાથે શેટલેન્ડ રહે છે. નિવૃત્તિ સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે,’ હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું.’ શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેના ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એમની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે, જરાક ઉત્ખનન કરતાં જ કંઈક અણધાર્યું જ હાથમાં આવી ચડે એવી. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ તેઓ એંગ્લો-વેલ્શ કવિ કહેવાય પણ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લેતી એમની રચનાઓને જોતાં એમને વિશ્વનાગરિક ગણવા વધુ ઉચિત કહેવાય.

પ્રસ્તુત કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. અસંખ્ય લોકો માટે આ કવિતા આશાનું કિરણ બની છે. ડગલે ને પગલે લોકોએ એને ટાંકી છે. શાળાઓના અભ્યાસક્રમ, પરીક્ષાઓ, શોકસભાઓમાં -આ કવિતા ક્યાં નથી વપરાઈ અને ક્યાં નથી વપરાઈ રહી એ સવાલ મોટો થઈ પડે એમ છે. ‘न भूतो न भविष्यति’ લોકપ્રિયતા પામેલી આ કવિતાને એના સર્જક જો કે બેહદ નફરત કરે છે. તેઓ બ્લૉગ પર લખે છે કે, ‘આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં.’ કવિતા નીચે નામ લખવાનું રહી જાય તો કવિ હોબાળો મચાવી દે એવા જમાનામાં શીનાઘ પોતાનું નામ આ કવિતા નીચે ન લખવા ભારપૂર્વક કહે છે. તેમના મતે આ તેમનું પ્રતિનિધિ કાવ્ય નથી. એ એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. લોકોએ કવિને ઝાટ્ક્યા પણ છે કે, ‘તમારે જ કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી તમારી પાસે. લખો એવી કવિતા જે આને ટપી જાય.’ – કહો તો, કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે? સાચે, લોકોથી મોટો વિવેચક કોઈ નથી. શીનાઘ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!!!

આ જ રીતે આર્થર કોનન ડોયલ શેરલોક હૉમ્સથી વાજ આવી ગયા હતા. એમને મન એમની ઐતિહાસિક નવલકથાઓનું સાહિત્યિક મૂલ્ય વધુ હતું. હૉમ્સની લોકપ્રિયતાથી હારી-કંટાળી-થાકીને લેખકે એક વાર્તામાં આખરે શેરલોકને મારી નાખ્યો. પણ વિરોધનો એવો તો પ્રચંડ જુવાળ ઊઠ્યો કે લેખકે મજબૂર થઈ એને પુનર્જીવિત કરવાની ફરજ પડી. અગાથા ક્રિસ્ટી પણ ‘હરક્યુલ પોઇરો’થી આવી જ રીતે હેરાન-પરેશાન હતાં, કેમકે પ્રકાશકો એ સિવાય કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત રહેતા. ફ્રાન્ઝ કાફ્કાને પણ સળગાવવાના રહી ગયેલ અધૂરાં લખાણ- ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. હવે સમજાયું ને કે શીનાઘને પણ આ રચના સાથે શા માટે લવ-હેટનો સંબંધ છે!

એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડીને કોકેનના વ્યસનથી મુક્તિ અપાવવાની આશાએ એમણે આ કવિતા લખી હતી, એટલે સ્વાભાવિકપણે તેઓ સર્જનકાળે પૂરતા ગંભીર નહોતાં. ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ આખરી બંધને બાદ કરતાં કવયિત્રીએ ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલ રશિયન અનુવાદ શીનાઘને પોતાની મૂળ રચના કરતાં વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અને અપૂર્ણાન્વય (enjambment) ને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

‘ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે આ વાત રોજમરોજની કે કાયમની નથી પણ કદીમદીની છે. કવિતા આમ તો વિધેયાત્મક્તા અને આશાની કવિતા છે, પણ એ ‘હંમેશા’ નહીં, ‘ક્યારેક’ જ પરિપૂર્ણતામાં પરિણમે છે. એટલે પહેલી નજરે હકારાત્મક લાગતી રચના આમ તો નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ ઇશારો કરે છે, પરંતુ લોકોને તો પહેલી નજરે દેખાતી ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત જ વધુ સ્પર્શી છે. જીવનમાં Roses roses all the way ભાગ્યે જ હોય છે, પણ ક્યારેક એવુંય બને કે ચીજો બદમાંથી બદતર નથી બનતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને હિમપાતનું જોખમ કવિતામાં સ્થાન મેળવે છે. કવિએ ગ્રેપ્સના બદલે મસ્કાડેલ શબ્દ પ્રયોજ્યો છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. બીજો અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ કરાયો છે, જોકે વિકીપીડિયાને એનો વિરોધ છે. કવિ કહે છે, ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને જીરવી જાય એવુંય બને. હવામાન સામેની લડાઈમાં ક્યારેક વરસોવરસ દ્રાક્ષ વિજયી નીવડે, ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે, પાક પણ નિષ્ફળ ન જાય, માણસ ઊંચુ નિશાન તાકે અને સફળ થાય. બધું થઈ શકે પણ ક્યારેક, કાયમ નહીં! જીવનમાં સૌ પાસાં પોબારા પડે એવુંય બને, પણ ‘ક્યારેક’, હં કે!

કવિનો આશાવાદ આટલેથી અટકતો નથી. વ્યક્તિગત સફળતાઓથી આગળ વધીને તેઓ સમાજ અને સમસ્ત દુનિયાને પણ સાંકળી લે છે. ઇતિહાસમાં કદાચ એકેય પાનું એવું નહીં હોય, જેના પર યુદ્ધના લોહિયાળ છાંટા ઊડ્યા ન હોય! પણ કવિને તો એવો દિવસ નજરે ચડે છે, જ્યારે માણસજાત યુદ્ધથી પાછી પાની કરે. ક્યારેક આમ થશે એવી કવિને આશા છે. ક્યારેક લોકો ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે એવીય આશા છે. વાસ્તવિક્તા તો એ છે કે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓમાં પ્રામાણિક માણસને શોધવો એ રાતના અંધારામાં ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર કે ખકુસુમવત્ કાર્ય છે. પણ શીનાઘને તો લોકો સામે ચાલીને પ્રામાણિક માણસોને મત આપીને ચૂંટી કાઢતા હોય એવું રામરાજ્ય દૃષ્ટિગોચર થાય છે. વળી કવિ આપણને એ યુટોપિયામાં લઈ જાય છે, જ્યાં લોકો કોઈ અજાણ્યો માણસ પણ ભૂલથીય ગરીબીમાં સબડે નહીં એની દરકાર કરતા હોય. સગાં ભાઈ-બહેન મિલકત માટે કાપાકાપી પર ઉતરી આવતા હોય એવા ઘોર કળિયુગમાં લોકો સાવ અજાણ્યા માણસો અજાણતાંય નિર્ધન ન રહી જાય એની કાળજી લેતાં હોય એવો સોનાનો સૂરજ કવિને ક્યારેક તો ક્યારેક પણ ઊગતો દેખાય છે. વળી, કવિનો આશાવાદ તો માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને ત્યાં સુધી લંબાય છે. આપણી ચોપાસ એવા સેંકડો માણસ નજરે ચડશે, જેઓ બનવા કંઈ માંગતા હોય અને બની કંઈ ગયા હોય. જિંદગી કોને કયા રસ્તે ઢસડી જશે એ કોઈ કહી શકતું નથી. પણ કવિ એ કલ્પદ્વીપ દેખી રહ્યાં છે, જ્યાં દરેક માણસ પોતાની મનોકામનાઓ પૂરી કરી પોતે જે બનવા સર્જાયા હોય, એ જ બને છે.

આગળની પંક્તિઓમાં પણ આ આઠ પંક્તિઓની પુનરોક્તિ જ સંભળાય છે. ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા અને બરફાચ્છાદિત કાયમી દુઃખના મેદાનને ક્યારેક સમયનો સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ હોય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ આ કવિતા ટાઇપ કરતી વખતે કવિથી ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. ટાઇપ કરી દેવાયા પછી કવિને મૂળ વિચાર કરતાં આ ભૂલ વધુ ગમી ગઈ એટલે એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર મારા કી-બૉર્ડને આ રીતે સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કવિતામાં જે સુખની વાતો કરાઈ છે એ હકીકતે કોની પર લગાડેલા ગોળ જેવી છે. વાસ્તવમાં તો જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ જ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની શક્યા નથી, મોટાભાગની કોશિશો વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને ધાર્યું થયું હોવાના સુખ-સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ અર્ધપંક્તિ કવિતાની સફળતાની ગુરુચાવી બની ગઈ. કવિ કહે છે, જીવનમાં જે બધી જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને ફળે! સામી વ્યક્તિ માટે મહત્તમ સુકામનાઓ વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે સફળતાપૂર્વક કંડારાઈ ગઈ.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહેશે. જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળેબેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

સર્જકની સર્જન પરની માલિકી આમેય અલ્પજીવી જ ગણાય. કેવળ સર્જનની પળે જ સર્જક સર્જનનો સ્વામી ગણાય. એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા નથી કે એ પરાયા થઈ ગયા નથી. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું ને! શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠાં પડી જાત છે અને આપણે આ કવિતાને આશ્લેષમાં લેવા દોડતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગામ છેડે ની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : અમીષ ઓઝા
અનુવાદ : પિનાકીન ત્રિવેદી
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

ગામ છેડેની પેલી કેડી લાલમ લાલ
હાં રે હાં, મારું મન મોહાય રે
કોને કાજે મનડું કરી ઊંચા હાથ
રજમાં રગદોળાય રે
મારું મન મોહાય રે

એ તો કાઢે ઘરની બહાર મને રે
પકડી પગલે પગલે ઘેરે
હાય હાય રે

એ તો ખેંચી મુજને લેતી જાય રે
ક્યાંક જહન્નમ માંય રે
મારું મન મોહાય રે

એ શો કોક વળાંકે દલ્લો દેખાડે
ક્યાંક વળી શું ખાડે પછાડે
એનો ક્યાં ને ક્યારે અંત? અરે રે
કેમે ના સમાય રે
મારું મન મોહાય રે
– રવિન્દ્રનાથ ટાગોર ( અનુવાદ : પિનાકીન ત્રિવેદી )

મન મારું મેઘની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

મન મારું મેઘની સંગે
ઉડી ઉડી જાય દિગદીશાઓ વ્યોમે
શુન્યાકાશે ઝરમર શ્રાવણ સંગીતે
રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ

મન મારું હંસ ની પાંખે બેસી જાય ઉડે
ક્વચિત ક્વચિત ચમકે વીજ પ્રકાશે
ઝણઝણ મંજીરા બાજે ઝંઝા રુદ્ર આનંદે
કલ કલ કલ કલ નાદે ઝરણા
હાક દે, પ્રલય ને આહવાને

વાયુ વહે પૂર્વ સમુદ્ર થાકી
છળ છળ ઉછળે તરંગ તટે
મન મારું દોડે એના મસ્ત પ્રવાહે
અરણ્ય પર્ણના તાલે
શબ્દ શાખાના આંદોલને

-રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા )

હવામાં આજ વહે છે – નાથાલાલ દવે

સ્વર : નેહા પાઠક, મીનૂ પુરી
રવિન્દ્ર છાયા ગીત
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
મોડી રાતે મેઘ વિજાયો ભાર હૈયાનો કીધો ખાલી

તૃણે તૃણે પાને પાને ઝાકળ બિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતી ખોળે વરસી ચાલી

રમતાં વાદળ ગિરી શિખરે મધુર નાની સરિતા સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા
વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણજાળી

મન તો જાણે જૂઈની લતા ડોલે બોલે સુખની કથા
આજ ઉમંગે નવ સુગંધે ઝૂલે એ તો ફુલીફાલી

– નાથાલાલ દવે

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

અગન નો પારસમણી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : પિનાકિન ત્રિવેદી
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

અગન નો પારસમણી, લાગજો પ્રાણે
આ જીવન કરો પાવન દહન દાને

મારી આ દેહાદીવીને ઉંચે રાખી
દેવાલયે દીવો કરો, વિનંતી મારી
નિશદિન જ્યોતિ શિખા ઝગે ગાને

તિમિરને અંગેઅંગે સ્પર્શે તારે
આખી રાત ખીલો તારા નવા નવા રે
નયનની નજરની આ ટળે કાલિમા
પડે જ્યાં ત્યાં જણાજો તેજ લાલિમા
વ્યથા મુજ જ્વલંત હો નભ વિતાને

-રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : પિનાકિન ત્રિવેદી)

ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

જો કોઈ નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્તિમ
રાતી ચંદ્રની કિનાર જો

કોઈ નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને એ જ મુખત્રિકોણ પર
પરત ફરતી હોય જો કોઈ

નદી હોય
આનાથીય વધુ બહાદુર
જેમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે
દર્દના ઉછાળા, આવેશ સાથે જો કોઈ નદી

હોય
વધુ પુરાતન
આ ઈવની પુત્રી
કેઇન અને એબલની માતા કરતાં જો કોઈ નદી હોય

આવી બ્રહ્માંડમાં જો
ક્યાંય પણ આ ઉદ્દામ જળ કરતાં
વધુ શક્તિશાળી
જળ હોય, તો
પ્રાર્થના કરો કે તે
સુંદર અને વફાદાર અને પુરાતન
અને માદા અને બહાદુર
પ્રાણીઓમાં થઈને પણ વહે

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્રાવ ની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ્સ. કેલેન્ડર સાથે લગ્ન ન કરી લીધાં હોય એમ પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી જીવનના લગભગ ત્રણ-સાડાત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર પાંચેક દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી પણ અનિયત અને અનિવાર્ય રક્તસ્રાવ નો શિકાર બને છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી ફરજિયાત પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ પ્રાકૃતિક એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ આ કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર. મા ધોબણ હતી પણ કવિતા લખતી. ઓછું ભણેલ મા-બાપે પણ બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતાં રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. લૂસીલને બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરના રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને તેઓ સરળ ભાષામાં લાઘવ સાથે ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’

કવિતાનું શીર્ષક ‘ઋતુસ્રાવ ની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યતઃ કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્રાવવિશે છે અને ત્રીજું એ ઋતુસ્રાવ નું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી? પણ સાફ વાત છે કે કવયિત્રીએ હાથમાં લીધેલ વિષય હજારો વર્ષોથી સાફ દેખાતો હોવા છતાં દુનિયા સતત આંખ આડા કાન જ કરતી આવી છે. કદાચ એટલે જ લૂસીલ આ ‘અસ્પૃશ્ય’ ડાયરામાં પગ મૂકતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિકના પાંચ દિવસની પ્રતિમા કંડારી ન હોય એમ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. મુક્ત માસિકસ્રાવ ની જેમ જ કવિતા છંદ મુક્ત વહે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી અહીં પ્રાસની કેદ પણ નથી. લગભગ દરેક અંતરો ‘જો કોઈ નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્રાવ(Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્રાવસ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થાય તો ફલીકરણ થઈ ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલિનીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયાનો પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પૅડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત એ વાતની સાબિતી છે કે હજી આપણા લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારી નથી. એકવીસમી સદીમાં આ વસમી હાલત હોય તો પ્રાચીન કાળની તો કલ્પના જ કેમ કરવી? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવાયા. ઇતિહાસકારો બહુધા પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી પણ જૂજ જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ઋતુસ્રાવ નું લોહી કેટલીક દવાઓમાં વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સે ઓછું કે વધુ માસિક આવવાને બિમારી ગણી છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ- થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્રાવ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો સમાજ હજીય એટલો પછાત અને ધર્મ એટલો બિમાર-બિસ્માર છે કે મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં હજુ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

એ માહિતી પણ ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પૅડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો, તો ગ્રીક સ્ત્રીઓ ઊનનો પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્રાવપહેરેલાં કપડાંમાં જ થવા દેતી હતી. માસિકસ્રાવકપડાંમાં થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. માસિક માટેના દુઃખદાયક તંગ પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પૅડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટૅમ્પૂન બજારમાં મૂક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે ખરી ક્રાંતિ થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટૅમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ વળીએ. કવિતાની શરૂઆત ‘જો’થી થાય છે. ‘જો’ ભાવકને શરત સાથે જોડે છે. કવયિત્રીએ માસિકને નદી, માફ કરજો, સુંદર નદી કહી છે. સંસારમાં આ નદી અનન્ય છે; એની કોઈ જોડ નથી. કવયિત્રીએ પોતાની ખાતરીની વિશ્વસનીય પ્રતીતિ કરાવવા શરતી ‘જો’ વાપર્યો છે. નદી જે રીતે વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે, એ જ રીતે માસિકની નદી સાથે પણ ગર્ભધારણની ફળદ્રુપતા જોડાયેલી છે. લોહીની નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં એને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. એ લોહીની બની છે અને સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. માસિકની નદીની પ્રસંશા કરતાં લૂસીલ પડકાર ફેંકે છે કે દુનિયામાં આના કરતાં વધુ સુંદર અને ચંદ્રની રક્તિમ રાતી કિનાર કરતાં વધુ તેજસ્વી હોય તો બતાવો. ચંદ્રનો ઉલ્લેખ યાદ અપાવે કે માસિક પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સંકળાયું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે. અંતના આરંભની નિશાની ગણાતો ‘બ્લડ મૂન’ એક નવો જ વિષય છે પણ કવિએ કેવળ ચંદ્રની રાતી કિનારની જ વાત કરી હોવાથી આપણે એને જતો કરીએ.

બીજી કોઈપણ નદી એકવાર છોડી દીધેલા સ્થળે પાછી આવતી નથી, પણ માસિકની નદી દર મહિને નિયત સ્થાને પરત ફરે છે. કેવી વફાદારી! કહો, છે કોઈ બીજી નદી આવી વફાદાર, જે માહોમાહ એના મુખત્રિકોણ પર પરત ફરતી હોય? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી લઈને અસહ્ય સુધીના દુઃખાવામાંથી પસાર થાય છે, પણ સ્ત્રીઓ એને ચુપચાપ સહેતી રહે છે.
માસિક દરમિયાન જે રીતે લોહીના ગઠ્ઠા અને/અથવા સ્રાવઆવતા રહે છે, એ જ રીતે અસહ્ય દુઃખાવો પણ ઊછાળા સાથે આવતો જ રહે છે. બહાદુર વિશેષણ નદી માટે વપરાયું હોવા છતાં સમજાય છે કે એ સ્ત્રીઓ માટે જ વપરાયું છે. વળી, માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતાં કેમકે તેઓ માનતાં કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને ઉદ્દામ પાણી અન્યત્ર ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. શીર્ષકથી લઈને આખી કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યાં, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે. આ નદી એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે, એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે સમુચી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ અને દુનિયાના તમામ પુરુષોએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા છે, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું છે; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્રાવ નો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

ગ્લૉબલ કવિતા : ૨૨૭ : રાત્રિને… – જોસેફ બ્લેન્કો વાઇટ

To Night

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White


રાત્રિને…
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું નામ તારું,
દેવો દ્વારા થઈ ખબર તારા વિશે પેલવેલી;
દેખીને એ થરથર નહીં કાંપી ઊઠ્યો હશે શું-
– તેજસ્વી આ છતર ઊજમાળું અને આસમાની?

ને તોયે લ્યો! હિમ-યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહાજ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
જુઓ, સૃષ્ટિ મનુજ-નજરે કેવી તો વિસ્તરી ત્યાં!

છૂપાયું છે તુજ કિરણમાં આવડું અંધિયારૂં,
વિચારી શું શકત કદી, હે સૂર્ય! કોઈ શું આવું?
જંતુ-માખી-પરણ સઘળું દૃષ્ટ કિંતુ અમોને
કીધા છે તેં અગણિત ગ્રહો-રત્નથી અંધ કેવા!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)


મૃત્યુ – જીવનના અજવાળામાં છૂપાઈ રહેલું અંધારૂં?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જ્ઞાન હોય એ વસ્તુ આપણને ડરાવી શકતી નથી પણ અપૂરતી અથવા શૂન્ય જાણકારી ડર જન્માવે છે. ઈશ્વર, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે આપણે કંઈ જાણતા ન હોવાથી આપણે બીએ છીએ. મનમાંથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. ગુનો આચરવાની એક ક્ષણ પૂરતો માણસ તમામ ડરોથી મુક્ત હોય છે. ડર પરત ફરતાં જ એ પરિણામ કે પ્રાયશ્ચિતનું વિચારે છે. અંધારાનું પણ આવું જ છે. કાળમીંઢ અંધારામાં કોની છાતીના પાટિયા ન બેસે, કહો તો?! ટીપુંભર પ્રકાશેય પહોંચી ન શકે એવા, સગો હાથેય કળી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી બીધા વિના પસાર થવાય ખરું? મૃત્યુ પણ આવો જ ડર છે. અફર અને નિશ્ચિત હોવા છતાં બિલકુલ અકળ હોવાના કારણે જ મૃત્યુ સહુને બીવડાવે છે. મૃત્યુનો અનુભવ કહેવા-વહેંચવા કોઈ પરત ફરી શકતું નથી. મૃત્યુ વિષયક આપણું તમામ જ્ઞાન કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ અંધારામાં લપેટીને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પૅનિશ પણ કર્મે સ્પૅનિશ-અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પૅનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પૅન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પૅનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગતાં કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે ચડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા, જે એમની રચનાઓમાં પ્રતિબિંબાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી લખેલા ‘લેટર્સ ફ્રોમ સ્પૅન’ પુસ્તકમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો એમણે પર્દાફાશ કર્યો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવતા. સરળ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બની છે.

પ્રસ્તુત રચના કોઈ કળાકારની એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ ગઈ હોવાનંિ ઉત્તમ ઉદાહરણ છે. સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે પણ આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

‘નાઇટ એન્ડ ડેથ’ તરીકે પણ જાણીતું આ સૉનેટ પ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાયેલ પેટ્રાર્કશાઈ સૉનેટ છે. કવિના પોતાના હસ્તાક્ષરમાં એનું શીર્ષક ‘ટુ નાઇટ’ જોવા મળે છે. અષ્ટકમાં a-b-b-a/ a-b-b-a પ્રમાણે ચુસ્ત પેટ્રાર્કશાઈ પ્રાસવ્યવસ્થા છે, પણ ષટકમાં c-d-c-d-e-e મુજબ અંગ્રેજી ભાષામાં પાછળથી દાખલ થયેલ પેટ્રાર્કશાઈ પ્રાસગુંથણી છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. શીર્ષક અગોચર તરફની કાવ્યગતિ માટે આપણને તૈયાર કરે છે. રાત્રિને સંબોધીને કવિ મૃત્યુ વિશે વાત કરે છે. રાતનું અને મોતનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. અંધારા અને અટકળની બાબતમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

યુરોપમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં કળાના ક્ષેત્રમાં ‘રોમેન્ટિસિઝમ’ ચરમસીમાએ હતું. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા-ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ આ રચનામાં એની ઝાંય સાફ વર્તાય છે. રૉમેન્ટિસિઝમના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ વળી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા ડરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જેના પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હીમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ યાદ આવે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. આજ પૂર્વે આદમે કદી રાત જોઈ નથી. સ્વર્ગમાંથી નિકાસિત થઈ પૃથ્વી પર આવ્યા બાદની સર્વપ્રથમ રાત્રિ સાથેના આદમના અક્ષુણ્ણ સાક્ષાત્કારથી કાવ્યારંભ થાય છે. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર દિવ્ય અહેવાલો દ્વારા, દેવો મારફત રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે. રાત સાથે કોઈ જ પૂર્વપરિચય ન હોવાથી એ સ્વાભાવિકપણે ડર અનુભવે છે કે દુનિયાને ક્રમશઃ ગળી રહેલું અંધારું એને પણ ગળી જશે. પ્રથમ રાત્રિએ જ આદમને અંતનો અહેસાસ થયો છે. એટલે જ ઉજાસ અને આસમાની રંગથી ભરેલી ભવ્યાતિભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે જાણે કે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યાસ્તની સાથે જ અંધારી રાત રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અગણ્ય તારામંડળ લઈને પધારે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને આદમને સર્જનની વિશાળતાનો પહેલવારુકો અહેસાસ થાય છે. દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં સૃષ્ટિ મનુષ્યની દૃષ્ટિ ઊઘાડે છે અને વિકસાવે પણ છે. કુદરતની આ જ તો કરામત છે અને કુદરતની કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘હે સૂર્ય!’ કહીને સીધું જ પૂછે છે કે, ‘તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે.’ જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાનામાં નાની વસ્તુઓ પણ સૂર્યના અજવાળામાં છૂપી રહી શકતી નથી. દિવસના અજવાળામાં દૃષ્ટિનો વ્યાપ સમષ્ટિને આવરી લે છે. પણ આકાશમાં જુઓ તો કશું નજરે ચડતું નથી. ચંદ્ર-ગ્રહો-તારાઓ-નક્ષત્રો-આકાશગંગા –આ તમામ આકાશની ભૂરી તેજસ્વી છતમાં હાજર હોવા છતાં સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આંખોથી એ રીતે ઓઝલ રહે છે, જાણે અજવાળાંએ એમના અસ્તિત્વને ભૂંસી ન નાંખ્યું હોય! રાતના તમામ રત્નો યથાતથ જ છે. માત્ર અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ ગયાં છે. આમ, અજવાળાંની અંધારી બાજુ અને અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ‘ખરા’ અંધાપાને કવિ ચાક્ષુષ કરે છે. કેવું અદભુત! કવિતા અહીં પૂર્ણ થઈ હોત તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકી હોત. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ તો અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને બીજું જ નિશાન તાકવા ઇચ્છે છે.

ચૌદમાંથી બાર પંક્તિ રાત્રિના નામે છે અને બે જ પંક્તિ મૃત્યુના નામે છે પણ કાવ્યાંતે સમજાય છે કે ચૌદેચૌદ પંક્તિઓ કેવળ મૃત્યુના જ સંદર્ભે છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો ખબર નથી જ પણ એ જ્યાં લઈ જાય છે ત્યાંથી પરત પણ આવી શકાતું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. મૃત્યુની તરફેણમાં દલીલ કરતાં કવિ કહે છે કે જો સૂર્યપ્રકાશ આપણને છેતરીને નભછતરમાં હાજર અલૌકિક રત્નમંડળોથી નાવાકિફ રાખી શકે તો જીવનનો પ્રકાશ મૃત્યુરૂપી અંધકારને છતો ન થવા દે એમાં નારાજગી શા માટે? પ્રકાશ ખુદ ઊઠીને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે ન છેતરે? દિવસના ભરઅજવાળામાં જેમ તારાઓનું અસ્તિત્વ છે જ, એ જ રીતે જીવનઅજવાસમાં પણ મૃત્યુ સદૈવ હાજર જ છે. જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ શકતા નથી. તો આવામાં જિંદગી સાથે ઝઘડો શીદ કરવો? કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

મનુષ્ય સ્વભાવગત આપણે દેખાય એ જોવામાં મશગુલ થઈ જતી વખતે ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની આપણને દેખાતી બાજુને જ એકમાત્ર બાજુ ગણી લેવી એ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એને નકારતા રહેવું એ આપણી પ્રકૃતિ છે. જાણે આવવાનું જ ન હોય એમ મૃત્યુને આપણે અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજના આદમીને આવરી લે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।