Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૭૧ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. આ કળાની તાકાત છે કેમકે સર્જક માત્ર સર્જન કરતી વખતે જ પોતાના સર્જનનો માલિક હોઈ શકે, એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા કે એ પરાયા થઈ ગયા. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું! આવી જ એક કવિતા બ્રિટિશ કવયિત્રી શીનાઘ પ્યુ લઈને આવ્યા છે.

શીનાઘ પ્યુ. કવિ, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે ૨૦-૧૨-૧૯૫૦ના રોજ જન્મ. હાલ શેટલેન્ડ ખાતે પતિ સાથે રહે છે. નિવૃત્ત થયા ત્યાં સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં હતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે, હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું. શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેની ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે. સરળતાનું પડ જરા ઊંચકતા જ અંદરથી કંઈક અણધાર્યું જ આપણા હાથમાં આવી પડે છે. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને તરત સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ એમને એંગ્લો-વેલ્શ કવિ ગણી શકાય પણ જે રીતે એમની કવિતાઓના વિષયવસ્તુ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લે છે એ જોતાં એમને વિશ્વનાગરિક ગણવું વધુ ઉચિત થઈ પડે છે.

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. લંડન, હેલસિંકી, પિટ્સબર્ગ જેવા શહેરની ટ્રામ, મેટ્રો અને સ્ટેશનમાં આ કવિતા રોજ સેંકડો મુસાફરો વાંચે છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. એ એના બ્લૉગ પર લખે છે કે આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં. આજે જ્યારે કવિતા નીચે કવિનું નામ લખવાનું રહી ગયું હોય તો કવિ હોબાળો મચાવી દે એવા સંજોગોમાં શીનાઘ પોતાનું નામ કવિતા નીચે ન લખવા આગ્રહ કરે છે. શીનાઘ કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. એ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘ ભલે આ કવિતાથી ધરાઈ ગયાં છે પણ સેંકડો લોકો માટે આ કવિતા આશાનું કિરણ બનીને આવી છે. દુનિયાભરના લોકોએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની મદદ કરવા માટે આ કવિતાનો સહારો લીધો છે. કવિની કવિતા માટેની નફરતનો લોકોએ જાયજો પણ લીધો છે ને કવિને એમ કહીને ઝાટ્ક્યા પણ છે કે તમારે જાતે જ તમારી કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી બધી તમારી પાસે. લોકોથી મોટો વિવેચક કોઈ નથી. લખો એવી કવિતા જે આ કવિતાને ટપી જાય. – કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે?

આર્થર કોનન ડોયલને એમની ઐતિહાસિક નવલકથાઓ વધુ વહાલી હતી, પણ લોકોને શેરલોક હોમ્સ જ એટલો ગમ્યો કે જેનાથી છૂટકારો મેળવવા લેખકે મારી નાખ્યો હતો, એ જ શેરલોક હોમ્સને એણે ફરી જીવતો કરવો પડ્યો હતો. અગાથા ક્રિસ્ટી પણ એના અમર પાત્ર ‘હરક્યુલ પોઇરો’થી પરેશાન હતાં કેમકે પ્રકાશકો એ સિવાય બીજું કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત હતા. ફ્રાન્ઝ કાફ્કાએ તો પોતાનું ઘણુંખરું લખાણ સળગાવી દીધું હતું અને જે અધૂરા લખાણ મૃત્યુપર્યંત સળગાવી દેવા કહ્યું હતું એ જ ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ એને અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને પણ વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. શીનાઘને પણ આ રચના સાથે આવો જ લવ-હેટનો સંબંધ છે.

રચનાની દૃષ્ટિએ ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ કવયિત્રી પોતે આ રચના લખતી વખતે ગંભીર નહોતા એટલે એમણે ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી એટલે આખરી અંતરાને બાદ કરતાં રચનામાં પ્રાસ શિથિલ જોવા મળે છે. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલો રશિયન અનુવાદ શીનાઘને પોતાની રચના કરતાંય વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચના અ-બ-અ-બ પ્રકારની પ્રમાણમાં નિયમિત કરી છે અને અંગ્રેજીમાં જે અપૂર્ણાન્વય (enjambment) છે એને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે અહીં જે વાત છે એ રોજમરોજની નથી, કાયમની નથી પણ કદીમદીની છે. કવિતામાં જે વિધેયાત્મક્તા અને આશા છે એ હંમેશા પરિપૂર્ણતામાં પરિણમતા નથી. એટલે પહેલી નજરે ભલે કવિતા હકારાત્મક્તાની કેમ ન લાગે, હકીકતમાં એ નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ વધુ ઈશારો કરે છે. જો કે લોકોને ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત વધુ સ્પર્શી ગઈ છે. શીનાઘ કહે છે ક્યારેક ચીજો ખરાબમાંથી વધુ ખરાબ તરફ ગતિ નથી કરતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને બરફના કારણે થતું નુકશાન આગળ આવે છે. કવિ મસ્કાડેલ શબ્દ પ્રયોજે છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. એક અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ થાય છે જોકે વિકીપીડિયા એનો વિરોધ કરે છે. હિમવર્ષા દ્રાક્ષનો પાક વેડફી નાંખતી હોય છે પણ કવિ કહે છે ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને પણ હંફાવીને વિજયી નીવડે છે. ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે છે, પાક નિષ્ફળ જતો નથી. માણસ ઊંચુ નિશાન તાકે છે અને સફળ થાય છે. કવિનો આશાવાદ વધુ આગળ વધે છે. માણસજાત યુદ્ધથી પાછી ફરે છે, ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે છે, અજાણ્યા ગરીબોની દરકાર કરે છે. કેટલાક માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને છે.

ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે છે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ છીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા બરફાચ્છાદિત દુઃખના મેદાનને ક્યારેક સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ દૃષ્ટિગોચર થાય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ ટાઇપ કરતી વખતે ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. કવિને મૂળ વિચાર કરતાં ભૂલ વધુ ગમી ગઈ અને એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર કી-બૉર્ડને સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની જ શક્યા નથી, બધી કોશિશ વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો જ નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ પંક્તિ કવિતાની સફળતાની ચાવી બની ગઈ છે. કવિ કહે છે, જીવનમાં જે બધું જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને પણ ફળે! સામી વ્યક્તિ માટેની મહત્તમ સુકામના વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે કંડારાઈ જવામાં સફળ નિવડી છે.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહી શકશે. માણસના જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળે બેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય જ છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠા પડી જતા અને આપણે દોડીને આ કવિતાને આશ્લેષમાં લેવા જતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ



I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope


કવિની અનિશ્ચિતતા

હું એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા તમાચાનો જવાબ તમાચાથી આપે?

ગાંધીજી તો કહી ગયા કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ ગાંધીપગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા. સમાજની રક્તવાહિનીમાં આજે ભ્રષ્ટ-આચારના રક્તકણો જ વહે છે, માટે ગાંધીના પગલે ચાલવાનું નક્કી કરે એની તો આખી માત્ર ચાલવા પર ધ્યાન આપવામાં જ વ્યતીત થઈ જાય, માર્ગ કે મંઝિલ-બેમાંથી કશાયનો આનંદ લેવું એના માટે શક્ય જ ન બને. તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

વેન્ડી કોપ. યુનાઇટેડ કિંગ્ડમમાં એરિથ, કેન્ટ ખાતે ૨૧-૦૭-૧૯૪૫ના રોજ જન્મ.માતા-પિતા એમને નાનપણથી કવિતાઓ સંભળાવતા એટલે કવિતા ગળથૂથીમાં જ મળી હતી એમ કહીએ તો ખોટું નથી. ૧૯૮૬થી માત્ર કલમના ખોળે માથું મૂકીને જીવવું આદરતા પૂર્વે ઓક્સફર્ડ અને લંડન ખાતે શિક્ષક હતાં. એમના પહેલા જ પુસ્તકની આશરે બે લાખ જેટલી પ્રતો વેચાઈ ચૂકી છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા ૨૦૧૧માં એમની હસ્તપ્રતો, રિપૉર્ટ્સ અને ૪૦૦૦૦ જેટલા ઇ-મેલ્સની કરવામાં આવેલી ખરીદી આજદિન પર્યંત કરવામાં આવેલ મોટામાં મોટી ખરીદી છે. ૧૯ વર્ષના સહવાસ બાદ ૨૦૧૩માં કવિ લોકલન મેકિનન સાથે લગ્ન કર્યા અને હાલ ઈલિ, કેમ્બ્રિજશાયર ખાતે રહે છે.

વ્યંગ એ એમનો પ્રમુખ કાકુ. અન્યોના વિષયવસ્તુનું વ્યંગ્યાત્મક અનુકરણ કરીને તેઓ મખમલમાં વીંટાળીને જૂતાં મારવામાં પ્રવીણ છે. ગંભીરતમ વિષયને હળવી રમૂજ સાથે રજૂ કરવામાં એક્કો. સમાજ અને સાહિત્યમાંના છીંડા તરફ એ તરોતાજા અને ખાસ તો, સ્ત્રીસહજ નમણા અભિગમથી જુએ છે, માટે એમની રચનાઓ વિવેચકોને અતિક્રમીને ભાવકો સુધી પહોંચી છે. કાવ્યસ્વરૂપ ઉપરની એમની સચોટ હથોટી અને ત્રુટિહીન ચોક્સાઈ એમને સમકાલીન પુરુષ કવિઓની બરાબરીમાં મોખરે બેસાડે છે. કવિતામાં એ સતત નવીનીકરણ રજૂ કરતાં રહ્યાં છે. સૉનેટ, લિરિક અને ક્રમશઃ ગદ્યકાવ્ય એમ એમની પરિવર્તનશીલ ગતિ નજરે પડતી રહે છે. લંડન રિવ્યૂ ઑફ બુક્સે એમને ‘જેટ-યુગના ટેનિસન’ કહી નવાજ્યાં છે.
કવિતા પર નજર કરતાં પહેલાં શીર્ષકને સમજવું જરૂરી બની રહે છે. ‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. જૉર્જો ચિત્રોમાં અધિભૌતિકી કળા (Metaphysical art)ના પ્રણેતા હતા, જેણે પરાવાસ્ત્વવાદીઓ(Surrealists)ને એ હદે આકર્ષ્યા કે લોકો એમને પરાવાસ્તવવાદના પિતાઓમાંના એક પણ કહે છે. પણ જેમ એઝરા પાઉન્ડની ઇમેજિસ્ટ ચળવળ ૧૯૧૨માં શરૂ થઈ એના જ હાથે ૧૯૧૭માં અંત પામી એ જ રીતે જૉર્જો પણ ૧૯૧૧માં અધિભૌતિકતા પ્રશસ્ત કરીને ૧૯૧૯માં પારંપારિક ચિત્રકળાના મૂલ્યો સ્વીકારીને અનુઆધુનિકતા તરફ વળી ગયા. કહે છે કે એમના અધિભૌતિક ચિત્રો પરિત્યક્તવ્યતા અને ખાલીપાની છબીઓ છે જે તાકાત અને આઝાદીનું નિરૂપણ કરે છે. એમનું ‘કવિની અનિશ્ચિતતા’ ચિત્ર પણ બહુચર્ચિત છે. આ ચિત્રની કિંમત આજે સાડા નવ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. જમણી તરફ દીવાલની પેલે તરફ એક હોડીના સઢ જેવો આકાર નજરે પડે છે. ધડ અને કેળાંની લૂમના પડછાયા યથાતથ પડવાના બદલે તીક્ષ્ણ ધાર અને ગાઢા રંગથી ચિત્રમાં અલગ તરી આવે છે.

કહે છે કે, આ ચિત્રમાં વિશ્વની દેખાવે કામુક, ઊલટીસૂલટી અકારણની દુનિયાને ખૂબ બારીકાઈથી ઉપસાવવામાં આવી છે. સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે. આ ચિત્ર જેવું જે એક બીજું ચિત્ર ‘ધ ટ્રાન્સફૉર્મ્ડ ડ્રીમ’ છે. જૉર્જોના બીજા ચિત્રોના પણ શીર્ષકમાં પણ કવિનો સમાવેશ થયો છે, જેમ કે ‘ધ ડિપાર્ચર ઓફ ધ પોએટ’, ‘ધ ડ્રીમ ઓફ ધ પોએટ’ વિ. આ ચિત્રમાં જે અનિશ્ચિતતતા કેન્દ્રસ્થાને છે એને કવિ સાથે શા માટે સાંકળવામાં આવી હશે એ એક કોયડો છે પણ આ ચિત્ર બકવાસ છે એમ કહેનારો વર્ગ પણ છે. એ લોકો માને છે કે ચિત્ર નકરી અસંદિગ્ધતાથી ભર્યું પડ્યું છે અને ગમે એટલું ગણિત કેમ ન માંડો, દાખલાની રકમ જ મૂળે ખોટી મંડાઈ છે. અને ચિત્રને ‘કવિની અનિશ્ચિતતા’ નામ આપીને જૉર્જોએ કવિતાની ઠેકડી ઊડાડી હોય એમ લાગે છે.

વેન્ડી કોપ વરસો પછી ૧૯૯૨માં પ્રકાશિત ‘સિરીયસ કન્સર્ન્સ’માં જાણે tit for tat (જેવા સાથે તેવા) કરતાં હોય એમ એ જ શીર્ષક સાથે આ કવિતા લઈને આવે છે. વાત અનિશ્ચિતતાની છે એટલે વેન્ડી છંદોની નિયમિતતાનો ત્યાગ કરે છે, પ્રાસની પળોજણમાં પૂળો મૂકે છે અને બબ્બે પંક્તિઓના કુલ આઠ અંતરા આપણને આપે છે. સોળ પંક્તિની કવિતામાં કુલ મળીને માત્ર આઠ જ શબ્દો વપરાયા છે. માત્ર આ આઠ જ શબ્દોનો વાક્યવિન્યાસ ઊલટાવી-સૂલટાવીને આખી કવિતા લખવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે કથકનું લિંગ દર્શાવવાની ફરજ પડી છે. અંગ્રેજીમાં પ્રથમપુરુષ એકવચન ‘આઇ’ વાપરતી વખતે લિંગને અધ્યાહાર રાખવાની સગવડ છે, જે ગુજરાતીમાં નથી. ‘પોએટ’નો પ્રથમદર્શી તરજૂમો તો કવિ જ થાય પણ અંગ્રેજીમાં નારીવાદી કવિઓ પોતાને કવયિત્રી કહેવડાવવામાં ‘સેકન્ડ જેન્ડર’ હોવાનો સ્વીકાર અનુભવતાં હોવાથી પોતાને કવયિત્રીના બદલે કવિ જ કહેવડાવે છે. બીજું, આ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી કવિતા છે. મૂળ અંગ્રેજી રચના લખનાર સ્ત્રી હોવાથી અનુવાદ કરતી વખતે કથકને સ્ત્રીજાતિ તરીકે જ દર્શાવવું ઉચિત જણાય છે.

‘આર્સ પોએટિકા’ કવિતામાં આર્ચીબાલ્ડ મેકલીશ કહે છે: ‘A poem should be palpable and mute.A poem should be wordless. A poem should be motionless in time. A poem should not meanbut be.’ (કવિતા ઇંદ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમયમાં ગતિહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, બસ હોવી જોઈએ)કવિતામાં ઘણીવાર જે સમજાય છે તે કવિતા નથી હોતી પણ જે અનુભવાય છે એ કવિતા હોય છે. કવિતામાં કવિએ લખેલા શબ્દોનીવચ્ચેનો શૂન્યાવકાશ વાંચવાનો હોય છે. કવિતાના શબ્દો તો ચિનુ મોદીના શબ્દોમાં ‘લુચ્ચાના સરદાર’ છે, એ બોલે છે કંઈ અને કહે છે કંઈ. શબ્દ નહીં, શબ્દનો પડઘો ખરી કવિતા છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડી જાય ત્યારે ખરી કવિતા સમજાય.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

કવિતામાં વપરાયેલા આઠ શબ્દોમાંથી એકેયનો અર્થ સામાન્યજનથીય અજાણ્યો ન હોવા છતાં આ કવિતા જ્ઞાનથી નહીં, પણ કાનથી અને ધ્યાનથી સમજાય છે.એલિયટે પણ કહ્યું હતું:‘વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે, સમજી શકાય એ પહેલાં.’વેન્ડીની આ કવિતા પણ અર્થ આપણી સમજમાં ઊતરે એ પહેલાં તો આપણી સાથે વાતચીત કરી લે છે ને આપણા ચહેરા પર એક અકળ અકથ સ્મિત ભેટ ધરી દેછે. આ સમજી ન શકાય, કહી ન શકાય પણ કવિતામાંથી પસાર થતી વખતે બળજબરીથી આપણા ચહેરા પર ઊમડતું સ્મિત જ સાચી કવિતા છે.

પહેલી નજરે એમ લાગે કે શબ્દોની આ કેવી છોકરમત છે! આવું લખવું એ ડાબા હાથનો ખેલ પણ લાગે. પણ ધ્યાનથી જોતાં જ સમજાય કે વેન્ડીએ શબ્દોને આગળ-પાછળ ગોઠવીને, વાક્યવિન્યાસને તોડીમરોડીને નવા જ વાક્યવિન્યાસોનું, નવા જ અર્થોનું સર્જન કર્યું છે.ચિત્રમાં કેળાંઓની લૂમ પડી છે એ ધ્યાનમાં રાખીને વેન્ડી વાત માંડે છે. શીર્ષકમાં ‘કવિની અનિશ્ચિતતા’ પ્રસ્થાપિત કર્યા પછી પહેલું જ વાક્ય એ લખે છે કે ‘હું એક કવિ છું.’ મતલબ, હું અનિશ્ચિતતાથી ઘેરાયેલી છું અથવા હું પોતે જ એક અનિશ્ચિતતતા છું. અને પછી તરત જ શબ્દોની હેરફેર કરીને વાક્યોને પહેલી નજરે અર્થહીન બનાવીને રમૂજી લાગે એમ એકની એક વાત ગોળગોળ ફેરવીને એ કવિની અનિશ્ચિતતા નિશ્ચિત કરે છે. જૉર્જોના ચિત્રમાં જેમ કેળાંઓ એક પ્રતીક છે, એમ અહીં પણ કેળાંઓ પ્રતીકમાત્ર છે. શેનાં પ્રતીક છે એ કવિ કહેતાં નથી. કવિનું કામ બાંધી મુઠ્ઠી ખોલવાનું છે પણ નહીં. એ તો મુઠ્ઠી ધરે, મુઠ્ઠીમાં શું છે એ આપણે ધારી લેવાનું. કવિની મુઠ્ઠીમાંનો શૂન્યાવકાશ પણ પકડતાં આવડી જાય ત્યારે ખરી કવિતા તો હાથ લાગે છે, એ પહેલાંનું તો શબ્દોની રમત માત્ર.

ફકરે ફકરે સમીકરણ બદલાય છે. શરૂઆતમાં કવિને ખબર છે કે એ એક કવિ છે અને એ કેળાંની ખૂબ શોખીન છે. બીજામાં પોતે કેળાં જ છે ને કવિની શોખીન, સૉરી ખૂબ શોખીન છે એમ લાગે છે. ત્રીજામાં પોતે કેળાંની કવિ કે કેળાંની બનેલી કવિ હોય અને ખૂબ શોખીન છે એમ લાગે છે. અહીં શોખીન શેની એ અધ્યાહાર છે. આગળ એબ્સર્ડિટી વધે છે. ‘હું છું, હું છું’ની શોખીન એક કવિની વાત છે. આગળ હું કેળાં છું કે નહીંનો પ્રશ્ન હું છું?ના સનાતન હેમ્લેટિયા પ્રશ્ન સુધી લંબાય છે. ‘કેળાં એક કવિના’ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું વેન્ડી સાચે જ કેળાંની વાત કરે છે કે કેળાં શબ્દોનું પ્રતીક છે? શું અહીં કેળાંનો અર્થ કવિના શબ્દો તરીકે લેવાનો છે? જો એમ હોય તો આખી કવિતામાં હવે ‘કેળાં’ના સ્થાને ‘શબ્દો’ મૂકીને વાંચીએ તો? કવિતાની તરત જ કેવી કાયાપલટ થાય છે, નહીં?! આને જ આપણે મેટામૉર્ફોસિસ કહેતાં હોઈશું ને? હવે ‘કેળાં’ને એના કઠબોલી (Slang) અર્થમાં જોઈએ તો? કેળાનો આકાર શિશ્નને મળતો આવે છે એટલે અશિષ્ટ ભાષામાં આપણે ‘કેળાં’ શબ્દને એ અર્થમાં અને ક્યારેક અપશબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. ત્રીસીના દાયકામાં અંગ્રેજીમાં પણ ‘કેળાં’નો એક સંદર્ભ સેક્સ, યૌન વિકૃતિ સાથે સંકળાયેલો હતો. ‘કેળાંનો કવિ!’ એમ આપણે કહીએ એટલે આખી વાત એક સ્તરેથી ઊતરીને બીજા સ્તરે જઈ પહોંચે છે. Going Bananasનો સંદર્ભ પાગલપન, મૂર્ખતા સાથે જોડાયેલો પણ જોવા મળે છે. ૧૯૦૧માં ઓ હેનરીએ રાજકીય અને આર્થિક રીતે અસ્થાયી દેશ માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ ‘કોઇન’ કર્યો હતો. પી. જી. વૂડહાઉસ ૧૯૨૭માં ‘કેરી ઓન જિવ્સ’માં લખે છે: ‘This is pure banana oil.’ અહીં પણ કેળાંનો મતલબ મૂર્ખતા અને પાગલપન સાથે સંકળાયેલો જોઈ શકાય છે. જંગલીપન કે ગુસ્સા સાથે પણ ‘બનાના’ના અર્થના છેડા જઈ મળે છે. Going Apes પરથી આ શબ્દપ્રયોગ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ૧૯૮૭માં તો ‘ગોઇંગ બનાનાસ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ બની હતી. એટલે કવિતાને હવે આ બધા અર્થોના પ્રકાશમાં જોઈએ તો ફરીથી આખી વાત જ બદલાઈ જાય છે. અને વેન્ડી, ચિત્રકાર, એના ચિત્ર અને એ બંને વસ્તુને ભૂલી જઈએ તો પણ કવિ ઉપર, કવિની અનિશ્ચિતતા ઉપર અને એથીય આગળ વધીને જીવન અને જીવનની અનિશ્ચિતતા, જીવનના પાગલપન ઉપર ગાળસરીખો વ્યંગ કરે છે.

શબ્દોની અદલાબદલી અને વાક્યોના અર્થફેરની આ રમત અંતે ‘હું એક કવિ છું’થી શરૂ થઈને ‘શું હું કવિ છું?’ના પ્રશ્નની અનિશ્ચિતતામાં પરિણમે છે ત્યારે આખી કવિતામાં શબ્દોની માયાજાળ જોઈને મલકાયા કરતો ભાવક ઘડીભર માટે સૂન્ન થઈ જાય છે. વેન્ડી પણ આ જ કહેવા માંગે છે કદાચ… મસ્તી મસ્તીમાં એ અસ્તિત્વના શાશ્વત પ્રાણપ્રશ્નને છેડી દે છે. આખી વાત અનિશ્ચિતતતાની છે પણ આખી ગતિ નિશ્ચિતતા તરફની છે એ હવે સમજી શકાય છે. એ પણ સમજી શકાય છે કે ચિત્રકારના ચિત્રમાંનો કવિ તરફનો વ્યંગ કદાચ કવયિત્રીને પસંદ આવ્યો નહીં હોય એ કદાચ કવિતા લખવા માટેનું નિમિત્ત બન્યો હોય પણ કવિતા કદી બદલાની ભાવનાથી લખાતી નથી હોતી. આક્રોશ એક ઉદ્દીપક બને એ ખરું પણ અંતિમ રાસાયણિક પ્રક્રિયા તો કવિના આત્મા સાથે જ થાય અને કવિનો આત્મા કદી હલકટ હોય નહીં જે તમાચાનો જવાબ તમાચાથી આપે.

ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

ગ્લૉબલ કવિતા: ૬૭: એની લજ્જાળુ પ્રેયસીને – એન્ડ્રુ માર્વેલ

આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.

પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.

તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.

– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સમયથી વધુ ગતિશીલ અને વધુ સાપેક્ષ સૃષ્ટિમાં બીજું કંઈ ખરું? ઘડિયાળના કાંટા ભલે અટકી જાય, સમય અટકતો નથી. એ કોઈનાય માટે નથી થોભ્યો, નથી થોભવાનો. સમયની કરવત આપણને સહુને એકધારા વેતરતી જ રહે છે. સમયની આ ચંચળતા કોઈ માટે અલગ નથી. ગુજરાતીમાં આપણે ‘કાલ કોણે દીઠી છે?’ કહીએ છીએ ને અંગ્રેજી ભાષા એ જ વાત ‘ટુમોરો નેવેર કમ્સ’ કહીને કરે છે. નર્મદ કહી ગયો:

કાલ કરીશું, આજ કરીશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડા રે.
ડગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે

એન્ડ્રુ માર્વેલની કવિતા આ જ વાત કરે છે. એ પ્રેયસીને જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપે છે.

એન્ડ્રુ માર્વેલ. જન્મ ૩૧-૦૩-૧૬૨૧ના રોજ વાઇનસ્ટેડ, ઇંગ્લેન્ડ ખાતે. પિતાનું નામ પણ એન્ડ્રુ જ હતું. તેઓ હોલી ટ્રિનિટી ચર્ચમાં પાદરી અને પ્રવચનકાર હતા. કેમ્બ્રિજથી બી.એ. કર્યું. પિતાના આકસ્મિક મૃત્યુ અને ૧૬૪૨માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અનુસ્નાતક થવાની ઇચ્છા અધૂરી રહી. ચાર વર્ષ સુધી સતત યુરોપપ્રવાસ કર્યો જેના ફળસ્વરૂપે એમની કવિતાઓમાં ફ્રેન્ચ, ડચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓ ડોકિયાં કરતી નજરે ચડે છે. પ્રવર્તમાન અંગ્રેજી પ્રથા મુજબ તેઓ પણ ખાનગી ટ્યુશન આપતા. લશ્કરી વડા ઓલિવર ક્રોમ્વેલથી પ્રભાવિત. ક્રોમ્વેલ પર કવિતાઓ પણ લખી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને પછી પણ સરકારી નોકરી ચાલુ રાખી. જોન મિલ્ટનના મિત્ર. રિસ્ટોરેશન દરમિયાન જેલમાં ગયેલા મિલ્ટનને છોડાવવામાં એમણે પોતાના પદ અને સત્તા વાપર્યાં હતા. સરકાર વિશેના એમના કટાક્ષકાવ્યો એવા ઉગ્ર હતાં કે નનામા છપાવવાં પડતાં. અંગત જીવન મોટાભાગે અજાણ્યું. આજીવન કુંવારા રહ્યા પણ એમની મકાનદાર મેરી પામરના દાવા મુજબ બંનેએ ૧૬૬૭માં ખાનગી લગ્ન કર્યા હતા. ૧૬-૦૮-૧૬૭૮ના રોજ ૫૭ વર્ષની નાની વયે તાવ પછી અણધાર્યું નિધન. મૃત્યુનું કારણ પણ અજાણ્યું. કહેવાય છે કે જેઝ્યુઇટ સંપ્રદાયીઓએ ઝેર આપીને એમની હત્યા કરી હતી. મૃત્યુપર્યંત તેઓ ઉગ્ર પણ વફાદાર દેશભક્ત તરીકે જાણીતા થયા. મોટાભાગની કવિતાઓ એમના નિધનના ત્રણ વર્ષ બાદ પ્રગટ થઈ.

સત્તરમી સદીના સૌથી નોંધપાત્ર કવિઓમાંના એક. જોન ડનની જેમ એ પણ આધિભૌતિક (મેટાફિઝિકલ) કવિ હતા. સાથોસાથ એમની રચનાઓ એમને ‘કેવેલિઅર’ કવિઓના વર્ગમાં પણ મૂકે છે. કેવેલિઅર કવિઓ પારંપરિક કવિતાઓની જેમ ધર્મ, કળા, ફિલસૂફીની વાતો કરવાના બદલે જીવનના આનંદ પર વધુ ભાર મૂકે છે. મેટાફિઝિકલ પોએટ્રીની ચતુરાઈ અને સંકુલતાની સાથોસાથ કેવેલિઅર કવિતાનું લાવણ્ય પણ ઉજાગર કરતી એન્ડ્રુની કવિતાઓ આ બે પરંપરાની વચ્ચેના સેતુ સમી છે. એમના ગીતોમાં લાગણીની અદભુત તીવ્રતા અને અલૌકિક સૌંદર્ય નજરે ચડે છે. પાછળથી એમના પદ્ય અને ગદ્ય બંને ધર્મ વિવાદ અને કડવા આકરા કટાક્ષપ્રચુર બન્યા એ જોતાં એમ લાગે જાણે રંગીન નાજુક પતંગિયું ઉત્ક્રાંતિમાં ઊલટા પગલે ચાલીને ઈયળ બની ગયું. ઇલિયટે એમના વિશે જે નિબંધ લખ્યો એ પછી સમયથી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયેલ આ કવિ પુનઃ લોકનજરે ચડ્યા. એ પછીથી એમની પ્રસિદ્ધ્રિ આજદિન સુધી સતત વધતી રહી છે. વિશાળ કાર્યક્ષેત્ર અને ગર્ભિત સંદિગ્ધતાના કારણે માર્વેલની લોકપ્રિયતા સતત નવી ઊંચાઈઓ આંબી રહી છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ ૪૬ પંક્તિઓનું પ્રમાણમાં લાંબુ ઊર્મિગીત (Lyric) છે. ત્રણ અંતરા પાડીને કવિ પોતાની વાતને ત્રણ ભાગમાં વહેંચે છે. છંદ આયમ્બિક ટેટ્રામીટર છે, અર્થાત્ દરેક પંક્તિમાં ડ-ડમ, ડ-ડમ એમ લઘુ-ગુરુના લયમાં ચાર શબ્દાંશ (Syllables) હોય છે. એલેક્ઝાન્ડર પોપે જેમાં પ્રચંડ નામના મેળવી એ યુગ્મક (couplet) અહીં પ્રયોજાય છે, જેમાં દર બબ્બે પંક્તિ પ્રાસમાં લખાયેલી હોય છે. આપણે ત્યાં ગઝલના મત્લામાં આ પ્રકારની ગોઠવણ વધુ સહજ અને આપણે લોકો માટે વધુ પરિચિત હોવાથી ગઝલનો રમલ છંદ અને મૂળ કૃતિની જેમ જ બબ્બે પંક્તિની સ્વતંત્ર પ્રાસરચના જાળવીને કામ કરવું વધુ યોગ્ય લાગ્યું છે. કવિતાના શીર્ષક પરથી સમજી શકાય છે કે પ્રેમી અને શરમાળ પ્રિયતમા વચ્ચેની આ વાત છે. પણ શીર્ષકમાંના ‘Mistress’ શબ્દ પર જરા અટકીએ.

કવિ એની પ્રેમિકા માટે ‘Mistress’ શબ્દ પ્રયોજે છે. ચૌદમી સદીમાં આ શબ્દનો અર્થ પ્રભાવ ધરાવનાર સ્ત્રી કે શિક્ષિકા કે આયા થતો હતો. આ કવિતા લખવામાં આવી એ સમયે મિસ્ટ્રેસનો અર્થ (પુરુષના હૃદય પર આધિપત્ય ધરાવનાર) પ્રેયસીના અર્થમાં વપરાતો હતો. આજે જે અર્થ આપણને અભિપ્રેત છે એ ‘રખાત’ અર્થ તો પાછળથી આવ્યો. એ જ રીતે હાલના તબક્કે ‘Quaint’નો મતલબ જુનવાણી થાય છે. ફ્રેન્ચ Cointe અર્થાત્ જ્ઞાની પરથી ૧૨મી સદીમાં આ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ હોંશિયાર, લુચ્ચું કે ગર્વિષ્ઠ થતો હતો. કવિતા લખાઈ એ અરસામાં એનો અર્થ ‘વિલક્ષણ’ કે ‘લાવણ્યસભર’ થતો હતો. આજે એ ‘જુનવાણી’ના અર્થમાં વપરાય છે. આમ, અનુવાદ કરતી વખતે ન માત્ર શબ્દો પર, શબ્દોના ઇતિહાસ પર પણ અનુવાદકની આંખ હોવી ઘટે. જે તે શબ્દનો અર્થ જે તે સમયે આજના અર્થ કરતાં અલગ હોવાની સંભાવના ચકાસ્યા વિના કરેલો અનુવાદ કે આસ્વાદ અનર્થ સર્જી શકે છે.

પ્રિયતમા સંભોગ કરવાની મના કરી રહી છે, સંકોચ અનુભવી રહી છે, ‘આજ નહીં, કલ’ના બહાનાં આગળ ધરી રહી છે પણ નાયકની અંદર પ્રેમોર્મિઓ સંભોગસાગરમાં ઊંડી ડૂબકી મારવા તલપાપડ થઈ રહી છે. એટલે શીર્ષક ભલે ‘એની લજ્જાળુ પ્રેયસીને’ કેમ ન હોય, ગીત યેનકેન પ્રકારે પ્રેયસીને પટાવવા-મનાવવા મથી રહેલા પ્રિયતમનું છે. એ કહે છે, જો આપણી પાસે પૂરતી દુનિયા અને જરૂરી સમય હોત તો આ શરમ કોઈ ગુનો નથી. જો એમ હોત તો આપણે શાંતિથી બેસીને દિવસ વિતાવત. તું પૂર્વમાં ગંગાકિનારે માણેક વીણજે ને હું ધરતીના બીજા છેડે યુરોપના પૂર્વી કિનારે હમ્બરની ભરતીની બજુમાં ઊભો ઊભો આ ફરિયાદ કરીશ. પ્રલયના દસ વરસ પહેલાંથી હું તને પ્રેમ કરત. પૃથ્વી અને મનુષ્યજાતિની ઉત્પત્તિની વાત કરતા ખ્રિસ્તીઓના ગ્રંથ ‘જિનેસીસ’ મુજબ ભગવાને નોઆહને સૂચના આપીને મોટું જહાજ બનાવડાવ્યું, જે નોઆહ’સ અર્ક તરીકે ઓળખાયું, જેમાં નોઆહે પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા તમામ જાતના સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાવી લીધા અને આ વહાણ પ્રલયના દોઢસો દિવસ સુધી સમુદ્ર પર તરતું રહ્યું અને એમ પૃથ્વી પર જીવનનો વંશવેલો આગળ વધ્યો. હોલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’ની યાદ અપાવે એવી આ વાત છે. કુરાનમાં પણ આ પ્રલયની અને જહાજ ‘સફીના નુહ’ની વાત છે. આપણે ત્યાં પણ મત્સ્યાવતારમાં રાજા સત્યવ્રત મનુ સજીવસૃષ્ટિને લઈને જહાજમાં બેસી જાય છે, જે જહાજને વાસુકી નાગ વડે બાંધીને મત્સ્યસ્વરૂપે વિષ્ણુ સુમેરુપર્વત પર સહીસલામત લઈ આવે છે. ૪૫૦૦ વર્ષ જૂના મેસોપોટેમિયાના ‘એપિક ઑફ ગિલામેશ’માં આ પ્રલયની વાર્તા સૌપ્રથમવાર જોવા મળે છે. નાયક પ્રલયના દસકા પહેલેથી નાયિકાને ચાહવા તૈયાર છે અને દુનિયાભરના યહૂદીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે ત્યાં સુધી નાયિકાની ના સાંભળવા તૈયાર છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે જગતભરના યહૂદીઓ સૃષ્ટિના અંત ટાણે આ ધર્મપરિવર્તન સ્વીકારશે. ‘The conversion of the Jews’ નામની ફિલિપ રોથે ૧૯૫૯માં લખેલી લઘુનવલ ખૂબ જાણીતી બની. જો કે આ કવિતામાં વપરાયેલ શબ્દપ્રયોગો કેટલીય નવલકથાઓ અને વાર્તાઓના મથાળાં બન્યાં છે.

‘હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે’ જેવી વાત કરીને કવિ આગળ વધે છે. પોતાના નિષ્ક્રિય પ્રેમ માટે એ vegetable love શબ્દ કોઇન કરે છે. મગજને નુકશાન થવાના કારણે કોઈ સજીવ સામાન્ય શારીરિક અને માનસિક ક્રિયાઓ માટે બિલકુલ અશક્ત થઈ જાય એવી નિશ્ચેતન અવસ્થાને ‘વેજીટેબલ’ કહે છે. નાયક કહે છે કે જો પૂરતો સમય હશે તો મારો ભાજીમૂળા જેવો નિષ્ક્રિય પ્રેમ કૂર્મગતિએ મોટાં રાજ્યો કરતાં પણ વધુ વિશાળ બનશે. પ્રેયસીના સંકોચ પરની કટાક્ષગાથા આગળ લંબાવતા નાયક વળી અતિશયોક્તિ અલંકાર વાપરીને કહે છે કે તારા શરીરના અંગોપાંગની પ્રસંશા કરવા માટે વરસો, સૈકાઓ નહીં, યુગો પણ નાનાં ને ઓછાં પડશે કેમકે પ્રેયસીનું સૌંદર્ય ઓછામાં ઓછા આટલા વખાણનું અધિકારી તો છે જ ને નાયકનો પ્રેમ પણ ખચીત ઊતરતી કક્ષાનો નથી, એ આનાથી ઓછો પ્રેમ કરી શકે એમ જ નથી.

નાયિકાના ઇનકાર સાથે જાણે પોતે સહમત હોય એમ એને પૂરતી ફોસલાવી-વખાણી લીધા બાદ નાયક બીજા બંધમાં પેંતરો બદલે છે. કહે છે, પોતાની પૂંઠે એ એકધારો કાળના પાંખે ઊડીને, અર્થાત્ મારમાર ઝડપે ખૂબ નજીક આવી રહેલા રથના અવાજને સાંભળી રહ્યો છે ને પોતાની નજર સામે શાશ્વતતાના અફાટ રણને વિસ્તરેલું જોઈ રહ્યો છે. શાશ્વતી વિશાળ નિર્જીવ રણથી વિશેષ શું હોઈ શકે? એ કહે છે કે તારું આ સૌંદર્ય કે મારાં આ પ્રેમગીતો આરસપહાણની કબરની અંદર દટાઈ જવા નથી સર્જાયાં. કબરની અંદર તો જે અક્ષુણ્ણતા, જે કૌમાર્ય તું આટલા લાંબા સમયથી સાચવવાની ફિરાકમાં પડી છે એને કીડાંઓ ફોલી ખાશે. તારું આ અનોખું માન-ગર્વ અને મારી તમામ વાસનાઓ રાખમાં પરિણમશે. બંધના અંતે નાયક કટાક્ષની ધાર કાઢતાં વળી પૂછે છે, કે હા, કબર સુંદર અને એકદમ ખાનગી જગ્યા છે પણ શું કોઈ ત્યાં એકબીજાને ભેટવા માટે જાય છે ખરા? સત્તરમી સદીની અર્થચ્છાયાઓ વિશે વિચારીએ તો કૌમાર્ય, માન અને વાસનાનો અર્થ સીધો જાતીય અંગો તરફ નિર્દેશ કરે છે.

જે વાત કહેવા માટે આટલી લાંબી પૂર્વભૂમિકા નાયકે બાંધી છે એ વાત યાને કવિતાનો કેન્દ્રવર્તી વિચાર -Carpe Diem (આજને ચૂંટી લો, આજમાં જીવો)- ત્રીજા અને આખરી બંધમાં આવે છે. માર્વેલ રાજકારણી હતા. પ્રખર કટાક્ષકાર પણ હતા એટલે વક્રોક્તિ સાથેની દાવા-દલીલની આ પદ્ધતિ એમને હસ્તગત હતી. કહે છે, સવારે પુષ્પ પર પડેલ ઝાકળ જેમ થોડી વારમાં ઊડી જાય છે એમ આપણું યૌવન પણ બાષ્પીભૂત થઈ જાય એ પહેલાં અને તારા રોમ-રોમમાંથી કામાગ્નિ પ્રગટી રહ્યો છે ત્યાં સુધીમાં ચાલ, આ જુવાનીનો ભરપૂર આનંદ ઊઠાવી લઈએ. શેક્સપિઅરના ‘ટ્વેલ્ફ્થ નાઇટ’નો સંવાદ યાદ આવે: ‘જે આવનાર છે એ હજી નિશ્ચિત નથી. વિલંબમાં કોઈ પ્રાચુર્ય નથી. તો આવ અને મને ચુંબન કર, જ્યાં સુધી તું વીસની છે, યુવાની કંઈ કાયમ રહેવાની નથી.’

સમય એના ધીમા જડબાંમાં આપણને ધીરે ધીરે ચાવીને ક્ષીર્ણ કરી દે એ પહેલાં આપણે જ કામુક શિકારી પક્ષી જેમ શિકાર પર ઝપટે એમ આપણે જ સમયનો કોળિયો કરી લઈએ. જે પ્રેમને કવિ પહેલાં ભાજીમૂળા જેવો લૂલો અને ધીમો ગણાવતા હતા એ હવે ઉગ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ કોઈ Lovey-Doveyનો સુષ્ઠુ સુષ્ઠુ પ્રેમ નથી, આ પ્રેમ જંગલિયતથી ભરપૂર છે. રતિક્રીડાની પરાકાષ્ઠાએ એકમેકને જ નહીં, સમયને પણ ઝાપટી જનારો આ શિકારી પ્રેમ છે. સંબંધની મીઠાશ અને યૌવનની શક્તિ જ્યાં સુધી લુપ્ત નથી થયા ત્યાં સુધી પૂરજોશમાં સમ-ભોગમાં રત થઈ જઈએ, બેમાંથી એક બની જઈએ. જિંદગીના લોખંડી દરવાજાઓમાં થઈને કરકરા સંઘર્ષની છરી વડે આપણે આપણા આનંદને ચીરી કાઢીને પ્રાપ્ત કરી લઈએ. જિંદગીના લોહદ્વારનો ઉલ્લેખ થોડો સંદિગ્ધ છે. લાયોનેલ ટ્રિલિંગ ના મત મુજબ એન્ડ્રુને વર્જિલના ‘ઇનિયડ’માં આવતા હેડ્સ (Hades)ના શિંગડા અને હાથીદાંતના દરવાજા જેમાં થઈને અનુક્રમે સાચા અને છેતરામણા સપનાંઓ આવે છે એ અભિપ્રેત હોઈ શકે છે. જો કે આ બે દરવાજાઓની વાત પહેલવહેલી હોમરના ‘ઑડિસી’માં અને ત્યારબાદ પ્લેટોના ‘કાર્મિડિઝ-ડાયલોગ્સ’માં જોવા મળે છે. સૂર્યના રથને થોભાવવો કે અમર થવું તો આપણા માટે શક્ય નથી… સમય તો વહેતો જ રહેવાનો છે, તો શા માટે આપણે યૌવનનો એવો ઉત્સવ ન ઊજવીએ કે એ ઈર્ષ્યાનો માર્યો દોડતો થઈ જાય? એક તરફ કાળના પાંખાળા રથના અવાજથી જન્મતો ભય અને બીજી તરફ સૂર્યને દોડાવીને સમયના બાપ થઈ જવાની ખુમારીના કારણે આ કવિતા સાધારણમાંથી અદભુતની કક્ષાએ પહોંચે છે.

એની ફિંચ નામની કવયિત્રી ‘કોય મિસ્ટ્રેસ’ કવિતામાં માર્વેલને જવાબ આપતાં કહે છે કે, હું કોઈ શિકારી પક્ષી નથી. સમય આપણને વૃદ્ધ બનાવી જ દેશે અને કબર માત્ર શરીરનો શાપ નથી. ભલે તમે મારી આંખ, કપાળ અને સ્તનના વખાણ કરો છો, શા માટે આપણે કવિતા લખીને સમયને મધમીઠો ન બનાવીએ? બદલામાં સમય આપના પ્રેમને મીઠો બનાવશે અને પ્રેમ સાબિત કરવાને સમય પણ આપશે. અન્ય એક કવિ એ.ડી. હૉપ ‘હિઝ કોય મિસ્ટ્રેસ ટુ મિ. માર્વેલ’ કવિતામાં લજ્જાળુ નાયિકા એન્ડ્રુના શબ્દપ્રપંચ સામે ખુલ્લો પડકાર ફેંકે છે.

ગ્લૉબલ કવિતા: ૬૬: સમગ્ર – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન

Hours

Evenings of beatitude,
even the book forgotten,
because the soul dissolves
lapped in quietude.

Evenings when every
sound lies sleeping.

Evenings when the least
seem anaesthetised,
all the garden flowers,
shadow more shadowy
and the old manor more deserted.

Evenings when the least
creak of furniture
were a profanation
of absurd cacophony
and impious intrusion.

Evenings when the house’s
door is fast closed
and the soul’s open.

Evenings when the quiet
vane on the steeple
turns, numbed, no more,
and, entire like perfume,
silence is inbreathed.

– Francisco González de León
Eng Translation: Samuel Beckett


સમગ્ર

સંધ્યાઓ દિવ્યાનંદની,
પુસ્તક પણ વિસ્મૃત,
કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો
આત્મા પણ ઓગળી જાય છે

સંધ્યાઓ, જ્યારે તમામ
અવાજો નિદ્રાધીન છે.

સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ
પણ બેહોશ લાગે છે,
બાગના તમામ ફૂલો,
છાંયો વધુ છાંયેદાર ,
અને ખંડેર મકાન વધુ વેરાન.

સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો
અત્યલ્પ કિચૂડાટ પણ
પ્રદૂષણ લાગે છે
બેતુકી કર્કશતા
અને અપવિત્ર અતિક્રમણનું.

સંધ્યાઓ, જ્યારે ઘરનો
દરવાજો ચસોચસ બંધ છે
અને આત્માનો ખુલ્લો.

સંધ્યાઓ, જ્યારે દેવળના મિનારા પરની
નીરવ પવનચક્કીની પાંખ
ફરતી નથી, નિઃસ્તબ્ધ, જરાયે,
અને, અત્તરની જેમ, સમગ્ર
ચુપકી શ્વસાય છે.

– ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન
(અંગ્રેજી અનુવાદ: સેમ્યુઅલ બ્રેકેટ)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

આત્માનો દરવાજો ઊઘાડી આપતી ભોગળ એટલે સાંજ

સમય પ્રતિપળ બદલાતા રહેતા ચહેરાઓનું બીજું નામ છે. નદીના જે પાણીમાં તમે એકવાર હાથ બોળ્યો, એમાં બીજીવાર કદી બોળી શકાય નહીં એ જ રીતે સમયની એની એ ક્ષણ બીજીવાર કદી શ્વાસમાં ભરી શકાય નહીં. દિવસ આથમે અને રાત ઊગે એ વચ્ચેના સંધિકાળ-સંધ્યા- માટે મનુષ્યમનને કાયમ અદમ્ય ખેંચાણ રહ્યું છે. સાંજના રંગો માત્ર આકાશમાં જ નથી ભરાતા, આપણી અંદર પણ ભરાતા હોય છે ને એટલે જ આથમતી સાંજના ઓળાની કાલિમા પણ આપણા લોહીમાં આત્મસાત થતી રહે છે. માર્ગારેટ એટવૂડ કહે છે, ‘…અને સાંજ એટલી સુંદર હતી, કે એણે મારા હૃદયમાં દર્દ જન્માવ્યું.’ પણ આ જ સાંજ લૌકિકમાંથી અલૌકિક તરફ જવાનો સમય પણ છે. કહે છે કે પૃથ્વી પરનો સૂર્યાસ્ત જ અગોચર સૃષ્ટિ માટેનો સૂર્યોદય છે. આ સમયે જ માનવમન મહત્તમ અને ગહનતમ શાંતિ અનુભવી શકે છે. સાંજ મનુષ્યને પ્રકૃતિ અને એ રીતે થઈને ઈશ્વરની વધુ નજીક લઈ આવે છે. સાંજનો સમય જાતની જાતરા કરવાનો અને સ્વયંથી પરિપૂર્ણ થવાનો સમય છે. ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ એની ‘સમગ્ર’ કવિતામાં સાંજના આવા રંગો જ ઉજાગર કરે છે.

ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન. ૧૦-૦૯-૧૮૬રના રોજ મેક્સિકોમાં જાલિસ્કોના લાગોસ ડિ મોરેનો ખાતે જન્મ. ૧૯૪૫માં નિધન. મેક્સિકોના ઉત્તમ કવિઓમાંના એક. સાહિત્ય, સ્પેનિશ અને ફ્રેન્ચના પ્રોફેસર પણ. ગિટાર પણ વગાડતા. ફાર્માસિસ્ટ હતા. એમની ફાર્મસી સાહિત્યગોષ્ઠીઓનો અખાડો હતી. ધંધાના સમયે દુકાનના દરવાજા બંધ થઈ જતા અને કવિતાના ખુલી જતા. સરસ્વતી સાથેના લગાવના કારણે લક્ષ્મી કાયમ રિસાયેલાં રહ્યાં. આજીવન અજાતશત્રુ. સ્ત્રીઓના ખાસ મિત્ર. દેશભરમાંથી અત્તરભર્યા કાગળ આવતા. એ કહેતા કે સ્ત્રીઓ સિવાય મને કોઈ પૂરું સમજી શક્યું નથી. એમની કવિતાઓમાં શાંત વાતાવરણની ભીતરી અનુભૂતિનો મૌન પડઘો સંભળાય છે. અધ્યાત્મ અને રહસ્યાનુભૂતિ એમની કવિતામાં અવારનવાર તરંગાય છે. સહજ સરળતા, પુનરાવર્તન અને પુનરોક્તિ, સંવેદનની મૌલિકતા, લયાન્વિત ગતિ અને સમષ્ટિ તરફનો પ્રેમ એમની કવિતાઓને અલગ તારે છે.

મૂળ સ્પેનિશ કવિતાનું શીર્ષક Íntegro છે જેનો અર્થ પૂર્ણ થાય છે જ્યારે બેકેટે અંગ્રેજી અનુવાદનું શીર્ષક Hours અર્થાત્ કલાકો આપ્યું છે. કવિતાનો કેન્દ્રસ્થ વિચાર સાંજ, સંપૂર્ણ શાંતિ અને શ્વસાતી સમગ્ર ચુપકી સાથે વધુ સુસંગત હોવાથી ગુજરાતી અનુવાદનું શીર્ષક ‘સમગ્ર’ જ રાખ્યું છે. મૂળ કવિતામાં પ્રાસવ્યવસ્થા પણ છે પરંતુ છએ છ અંતરાની પંક્તિસંખ્યાની જેમ જ પ્રાસ અનિયમિત છે. કદાચ એકથી વધુ સાંજોની અહીં વાત છે અને કોઈ બે સાંજ એકસરખી હોતી નથી એટલે કવિ બધા અંતરાની પંક્તિસંખ્યા અને પ્રાસ અનિયમિત રાખીને ચાલ્યા હોય એવું પણ બને. ફ્રાન્સિસ્કો કવિતાની શરૂઆતમાં ‘બિએટિટ્યુડ’ શબ્દ વાપરે છે. ખ્રિસ્તી લોકો આ શબ્દથી વાકેફ હોવાના. ઈસુ ખ્રિસ્ત પર્વત પર જે ધર્મોપદેશ (સર્મન) આપે છે, જે દરેકની શરૂઆત ‘blessed are…’ (ધન્ય છે…)થી થાય છે એને માટે બિએટિટ્યુડ શબ્દ વપરાય છે જેનો શાબ્દિક અર્થ દિવ્યાનંદ કે પરમ સુખ થાય છે. લેટિન beatitudinem (આશીર્વાદની અવસ્થા) પરથી ૧૫મી સદીના પ્રારંભમાં ફ્રેન્ચ ભાષામાં અને એમાંથી અંગ્રેજી ભાષામાં આ શબ્દ ઊતરી આવ્યો છે. એની સાથે જ કવિ ‘ક્વાયેટ્યુડ’નો પ્રાસ મેળવે છે જે પણ લેટિન quietudoમાંથી ફ્રેન્ચ ભાષામાં થઈને અંગ્રેજીમાં ઊતરી આવ્યો છે.

કવિતાના છએ છ અંતરા ‘સંધ્યાઓ’ શબ્દથી શરૂ થાય છે. સાંજ કદાચ દિવસનો સૌથી રૂપાળો હિસ્સો છે. આમ તો સૂર્યોદય પણ સોહામણો હોય છે પણ મનુષ્યનું સૂર્યોદય સાથેનું જોડાણ કવચિત્ જ હોય છે. દુનિયાના કોઈપણ હિલ સ્ટેશન પર જાવ, સૂર્યોદય કરતાં સૂર્યાસ્ત જોવા જ લોકો ટોળેબંધ ભેગા થાય છે. દિવસભર તાપ વરસાવીને સૂરજ જ્યારે અસ્તાચળે જાય છે, પશ્ચિમનું આકાશ પીળા-કેસરી-લાલ રંગની આભાથી રળિયામણું બની જાય છે. ગમે એટલી મનમોહક કેમ ન હોય, સાંજ હંમેશા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં આથમી જાય છે. સાંજ એના રંગ જેમ જેમ ઊતારતી જાય છે, અંધકારની કાલિમા પથરાતી જાય છે. સાંજ રાતનું અંધારું આંગળીએ પકડીને લાવે છે ને એટલે જ ઢળતી સાંજ આપણા મનને એક અકથ્ય ગ્લાનિથી ભરી દે છે. સાંજ ઢળે ત્યારે મન અકારણ ઉદાસ થઈ જતું આપણે અનુભવીએ છીએ. જગતભરના કવિઓએ સાંજની ઉદાસીની વાતો કરી છે. ફ્રાન્સિસ્કો પોતે એક કવિતામાં કહે છે: ‘અંધારું! એ સુંદર છે કેમકે એ ઉદાસ છે.’ તો બીજી કવિતામાં એ સાંજના ગુણ આ રીતે ગાય છે: ‘ભલે સવાર ચમકીલી છે, એનામાં પરિત્યક્ત જેલ જેવું કંઈક છે.’

અહીં કવિ સાંજને બહુવચનમાં સંબોધે છે અર્થાત્ આ વાત કોઈ એક દિવસ કે કેટલાક દિવસોની નહીં રહેતા, રોજેરોજની, હંમેશની બની રહે છે. શબ્દની પાસે કેવી કમાલ છે, નહીં!? સાંજ અને સાંજો – એકવચનનું બહુવચન કરતાંકમાં તો આખી કવિતાનો સંદર્ભ જ બદલાઈ જાય છે. આ સાંજો દિવ્યાનંદની સાંજો છે. કવિને ‘બિએટિટ્યુડ’નો બીજો અર્થ ઈસુના ગિરિપ્રવચનો પણ કદાચ અભિપ્રેત છે જ. એટલે આ સાંજો ધર્મોપદેશની, અર્થાત્ આત્મા અને પરમાત્મા વચ્ચે સાયુજ્ય સ્થાપવા માટેની મથામણની સાંજો છે ને એટલે જ એ દિવ્યાનંદની પણ છે. અંતર આનંદથી ઊભરાતું હોય ત્યારે બાહ્ય બંધનો ક્યારે છૂટી-તૂટી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. પુસ્તકો પણ ભૂલી જવાયાં છે કેમકે ગાઢ પ્રશાંતિમાં વીંટળાયેલો આત્મા પરમાત્મામાં ઓગળી રહ્યો છે. ઝેન પંથની વિચારધારા Void in to void અને nothingness યાદ આવે. ફ્રેડરિક નિત્શેએ કહ્યું હતું, ‘એ સાંજ જ છે જે મને આ રીતે અંદરથી સવાલ પૂછે છે.’ સાંજ બધું છોડતા જવાનો સમય છે. દિવસભર ઘર છોડીને દાણો શોધવા ગયેલાં પંખીઓ પણ સાંજે ઘરે પાછાં ફરે છે. સાંજનો સમય જાતની જાતરાનો સમય છે. સાંજ તમને કહે છે કે બહુ થયું, આખો દિવસ તમે દુનિયામાં બહુ ભટ્ક્યા, હવે સ્વયં ભણી પાછા વળો. છવ્વીસસો વર્ષ પહેલાં સેફો પણ આજ રીતે સાંજના ગુણગાન ગાઈ ગઈ: ‘એ બધી વસ્તુઓ, જે સવાર એની સોનેરી આંગળીઓથી વિખેરી નાંખે છે, એ બધી જ વસ્તુઓ, હે સાંજ! તું આખરે પાછી લઈ આવે છે.’

વર્ડ્સવર્થ શાંત અને મુક્ત સૌંદર્યાન્વિત સાંજના પવિત્ર સમયને પ્રશંસામાં શ્વાસહીન થઈ ગયેલી સાધ્વી (નન) જેટલો નીરવ ગણાવે છે. અહીં પણ શાંતિની ચરમસીમાની વાત છે. દિવસ અને રાતના આ સંધિકાળે બધા જ પ્રકારના અવાજો પણ સૂઈ ગયા છે. નાનામાં નાની વસ્તુ પણ એનેસ્થેશિયા આપીને બેહોશ કરવામાં આવી હોય એવી સમાધિઅવસ્થાની આ વાત છે. બાગના ફૂલો પણ ખુશબૂ રેલાવવું ભૂલી ગયાં હોય એમ મૂર્છિત છે. જ્યારે આપણી તમામ સંવેદનાઓ બેહોશ થઈ જાય છે ત્યારે જ ચેતના જાગે છે. ઈસુના ૨૦૦ વર્ષ પહેલાં અને ઈસુ પછીના સો વર્ષ સુધી રહસ્યવાદી સિદ્ધાંત અને સંન્યસ્ત જીવનમાં વિશ્વાસ રાખનાર યહૂદીઓના એક સંપ્રદાય એસેન (Essene) દુનિયાનો કદાચ એકમાત્ર સંપ્રદાય છે જે કહે છે, ઈશ્વર એટલે પૂર્ણતયા અંધકાર. ઓશો એસેનપંથીઓ સાથે સહમત થતા કહે છે, ‘પ્રકાશ આવે અને જાય છે, અંધારું કાયમ રહે છે. અંધારા માટે કશું ઊગતું નથી – એ છે જ.’ જો કે કુરાન, બાઇબલ, ઉપનિષદ વગેરેમાં ઈશ્વરને પ્રકાશ ગણવામાં આવ્યો છે. ઈશ્વરને આપણે પ્રકાશ સાથે અને મૃત્યુને અંધકાર સાથે સાંકળી લીધું છે કેમકે આપણે અંધકાર અને મૃત્યુ-બંનેથી ડરીએ છીએ. હકીકત એ છે કે પ્રકાશ મર્યાદિત છે, અંધારું અમર્યાદિત છે, અનંત છે. અજવાળું બધાને અલગ કરી નાંખે છે જ્યારે અંધારામાં બધા જ ભેદભાવ ઓગળી જાય છે. અંધારું એકત્વનો રંગ છે. બધા જ રંગ ભેગા થઈ જાય ત્યારે કાળો રંગ બને છે. જ્યારે બધા જ અવાજો, બધી જ ગતિવિધિ સાંજના ઓળામાં ખોવાઈ જાય અને સંપૂર્ણ નિઃસ્તબ્ધતા અને નીરવતાનું સામ્રાજ્ય જ પ્રવર્તી રહે છે ત્યારે જ મનુષ્યના આંતર્ચક્ષુ ઊઘડી શકે છે અને આપણે આપણી ભીતર જોઈ-જઈ શકીએ છીએ. સાંજ આપણને આ રીતે આપણી નજીક લાવે છે, માટે સાંજની ઉદાસી આપણને પોતીકી લાગે છે.

સમીસાંજે છાંયો વધુ ઘેરો લાગે છે અને વેરાન મકાન વધુ વેરાન લાગે છે. એક હાઇલાઇટર ફેરવીને સાંજ બધી જાતની નિષ્ક્રિયતાને વધુ સક્રિય બનાવે છે. સ્થિતિ જ ગતિ બની રહે છે. ઘરના ફર્નિચરનો જરા અમથો કિચૂડાટ પણ બેતુકી કર્કશતા અને અવાજની અપવિત્રતાના અતિક્રમણથી અક્ષુણ્ણ નીરવતાને પ્રદૂષિત કરતો લાગે છે. એક સંગીતકારે મને કહ્યું હતું કે એને ત્યાંના સાઉન્ડપ્રુફ કમરામાં મોટા ભાગના લોકો લાંબો સમય બેસી શકતાં નથી. કારણ? નીરવતા. જ્યારે માણસ બધા જ અવાજથી વેગળો પડી જાય છે ત્યારે એને એના શ્વાસનો, એના હૃદયનો અને એના વિચારનો અવાજ પણ સંભળાય છે. કેમકે આ અવાજથી માણસ કદી પરિચિત થયો જ નથી, એ છળી મરે છે. આદિલ મન્સૂરી કહે છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

– અહીં આપણે એકાંતના સ્થાને અંધારું અને નીરવતા –બંનેને મૂકી શકીએ. જે અવાજની ગેરહાજરીમાં પોતાની જાતને સાંભળી-સંભાળી શકે છે એ ઈશ્વરની સૌથી નજીક પહોંચી શકે છે.

ફ્રાન્સિસ્કો કહે છે, આ એવો સમય છે જ્યારે મકાનનો દરવાજો ચસોચસ ભીડાયેલો છે પણ આત્માનો ઊઘડી ગયેલો જણાય છે. દુન્યવી વ્યસ્તતાને ભોગળ ન દઈ દઈએ ત્યાં સુધી જાત સાથે ‘કનેક્ટ’ થવાતું નથી. અંધારું ન થાય ત્યાં સુધી તારા ચમકતા દેખાતા નથી. શેક્સપિઅર ‘મેક્બેથ’માં કહે છે: ‘અંધારાનાં સાધનો આપણને સત્ય કહે છે.’ અને ‘કીંગ લિઅર’માં કહે છે: ‘અંધારાનો રાજકુમાર સદગૃહસ્થ છે.’ એડિથ પિઆફ મજાની વાત કરે છે: ‘જ્યારે સાંજ આથમે છે, મારો સૂર્ય મારી સાથે બળી જાય છે. આ બિંદુએથી જ હું સાફ જોવું શરૂ કરું છું.’ દિવસના અજવાળામાં જે વસ્તુઓ આપણને પોતાની ચમકથી આંધળા બનાવી દે છે, એનું સત્ય સાંજના ઓછાયાઓના ચશ્માં પહેરીએ ત્યારે જ સાફ નજરે ચડે છે. એટલે જ કવિઓ અંધારાના ગુણગાન ગાતાં આવ્યાં છે.

દેવળના મિનારા પરના પવનદિશાસૂચક યંત્રની સ્થિર પાંખ પણ સ્તબ્ધ થઈ ગઈ હોય એમ હવાના અભાવમાં બિલકુલ ફરતી નથી. અત્તરની સુગંધ ઘ્રાણેન્દ્રિયને સરાબોળ તરબતર કરી દે એવી જ રીતે સંપૂર્ણ ચુપકીદી શ્વાસમાં થઈને ઠે…ઠ ભીતર ઊતરી જાય છે… ‘અ થાઉઝન્ડ્સ ફ્લેમિંગોઝ’માં સનોબર ખાન લખે છે: ‘તારો મારા માટેનો પ્રેમ શાંત બારીમાં થઈને વહી આવતી સાંજના સમુદ્રની ખુશબૂ જેવો બની રહો, જેથી મારે ન દોડવું પડે, ન પીછો કરવો પડે… તને અનુભવવા માટે. મારે ફક્ત શ્વાસ લેવાનો જ રહેશે.’ તમારી ચારેતરફ કશું જ ગતિમાન ન હોય, કશું જ પ્રકાશિત ન હોય, કશું જ શોરબકોર મચાવતું ન હોય એવી સંપૂર્ણ શાંતિને જ્યારે આપણે શ્વસતાં આવડી જાય ત્યારે જેમ હવામાંથી પ્રાણવાયુ એમ આ ચુપકીદીમાંથી સમાધિ આપણા રક્તકણોમાં ભળે છે. પ્રકાશ, અવાજ અને હોવાપણાની સદંતર ગેરહાજરીમાં જ ઈશ્વરની હાજરી છે. સાંજ, શાંતિ અને સમાધિનું આ ચિત્ર જીવનની સમગ્રતાનું સંપૂર્ણ ચિત્ર છે એટલે જ કવિએ કવિતાને ‘સમગ્ર’ શીર્ષક આપ્યું છે.

ગ્લૉબલ કવિતા : ૬૫: કેટકેટલીવાર – મેરી હૉવે

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

કેટકેટલીવાર

ખબર નથી કેટકેટલીવાર હું કોશિશ કરું છું તોય હું કેમે કરીને મારા પિતાને
અટકાવી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને હું કંઈ ખાસ જોઈ શકતી નથી, અહીંથી વાંકી વળીને એમની આંખોમાં
જોવા માટે. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ ભૂતકાળ છે
જ્યાં બધું ક્યારનું પરિપૂર્ણ જ છે અને કશું જ બદલાતું નથી

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ભોંય પર પડે છે
અને એકવાર ઊછળે છે ફૂટતા પહેલાં.

કંઈ જ નહીં. મારી બહેન કાઢે છે એ નાનો અવાજ પણ નહીં, પાસું
બદલતા, કૂતરાની પૂંછડીનો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એને ફરી ઠોકર ખાતા
વધુ પીવા માટે, થોડા ગભરાયેલા.

આ બરાબર એમ જ છે જેમ હું જાણતી હતી કે થશે.
અને હું જો તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

હું એ વરસોથી કરી રહી છું, અને હજીય કૂતરો
ચોંકી જાય છે અને ઘુરકે છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ અમારા પિતા છે,અને હજીય દરવાજો ખુલે છે, અને તેણી
કરે છે એ નાનો ઊંહકારો પાસું બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

વાડ ઊઠીને ચીભડાં ગળે ત્યારે…

સંબંધને શરીર ગણીએ તો વિશ્વાસ એનો આત્મા છે અને આત્મા વિનાનું શરીર શરીર નથી, લાશ છે. જાતથીય વધુ ભરોસો રાખીને તમે જેને તમારું સર્વસ્વ સોંપો છો એ જ તમને લૂંટી લે તો? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જઈ રડવું? વાડ ખુદ ઊઠીને ચીભડાં ગળે તો કોને કહેવા જવું? માળી ફૂલ પર નજર બગડે તો બાગનું ભવિષ્ય શું? –આ બધા પ્રશ્નો અનાદિકાળથી પૂછાતા આવ્યા છે ને અનંતકાળ સુધી અનુત્તરિત જ રહેવાના છે. પ્રસ્તુત કવિતામાં મેરી હૉ જો કે રક્ષક ભક્ષક બને એ વરવી વાસ્તવિક્તાથી એક કદમ વધુ આગળ જાય છે, બળાત્કારી બાપ અને લાચાર દીકરી વચ્ચેના અનૌરસ સંબંધની વાત કરે છે અને આપણને રીતસરના હચમચાવી નાંખે છે.

મેરી હૉવે. ૧૯૫૦ની સાલમાં ન્યૂયૉર્ક ખાતે જન્મ અને હાલ પણ ત્યાં જ વસે છે. નવ સંતાનોમાં સૌથી મોટાં. અખબારપત્રીથી કારકિર્દી શરૂ કરી અને યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા બન્યાં. હાલ એ એકેડમી ઑફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર છે. ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન એ ન્યૂયૉર્ક શહેરના રાજકવિ હતાં. મેરીની કવિતાઓ સમસ્યાના અંધારા મૂળ સુધી લઈ જતી કવિતાઓ છે. એની રચનાઓ સ્ત્રીસહજ સંવેદનોથી સમૃદ્ધ છે પણ આ સ્ત્રી પ્રવર્તમાન સમયની સમસ્યાઓથી પીડાતી અને અવાજ ઊંચો કરતી નજરે ચડે છે. બ્રેન્ડા શૉનેસી કહે છે, ‘હૉવેની કવિતા આધિભૌતિકને ભૌતિક અને ભૌતિકને આધિભૌતિક બનાવે છે.’

કવિતાનું શીર્ષક ‘કેટકેટલીવાર’ આપણે જે વાંચવા જઈ રહ્યાં છીએ એ ઘટનાના અસંખ્ય પુનરાવર્તનની નગ્ન વાસ્તવિક્તા સાથે આપણો સાક્ષાત્કાર કરાવે છે. જિંદગીનો છંદ જ તહસનહસ થઈ ગયો છે એટલે કવયિત્રી પોતાને અભિવ્યક્ત કરવા માટે અછાંદસ કાવ્યપ્રકાર પસંદ કરે છે. નાની-મોટી બબ્બે પંક્તિઓનું જૂથ બે વ્યક્તિ વચ્ચે બની રહેલી ઘટના કે પછી નાના-મોટા હોવાના કારણે બરાબર બંધ ન થઈ શકનારા દરવાજાઓ ઈંગિત કરે છે. કવિતા આત્મકથનાત્મકરીતિથી લખાયેલી હોવાથી આપણે સહેજે એમ કલ્પી લઈએ છીએ કે કવિતાનો સંભાષક કવયિત્રી ખુદ અથવા એક સ્ત્રી છે. અંગ્રેજી ભાષામાં ‘I’ (હું) પરથી બોલનારની જાતિ નક્કી થઈ શકતી નથી એટલે સંભાષક પુરુષ હોવાની શક્યતા પણ નકારી ન શકાય. બીજું, કવિતામાં એક બહેન ઉપર કરવામાં આવેલા અત્યાચારની વાત છે એટલે એવો પણ વિચાર આવે કે સંભાષક પણ સ્ત્રી જ હોય તો એ શા માટે વરસોથી ચાલી આવતા આ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી ગઈ છે? એક વાત એવી સમજી શકાય છે કે બે બહેનો (સંભાષક જો બહેન હોય તો) વચ્ચે ઉંમરનો તફાવત બહુ વધારે હોવો જોઈએ અને ઘણા વરસો પછી પણ આજે સંભાષકની ઉંમર એટલી વધુ નથી કે એ એજ અત્યાચારનો ભોગ બને જેનો ભોગ મોટી બહેન બની રહી છે અથવા અત્યાચારીને એનામાં રસ જ નથી.

વાત incest ની છે. ઇન્સેસ્ટ (incest) અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. લેટિન શબ્દ incestus પરથી આ શબ્દ ઊતરી આવ્યો છે, જેનો અર્થ એ જમાનામાં ‘ચારિત્ર્યહીન’ જેવો વ્યાપક હતો, આજની જેમ માત્ર ગૌત્રગમન પૂરતો સીમિત નહોતો. Incestus શબ્દ cestonના વિરોધી શબ્દ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ વિનસનો કમરબંધ થાય છે જે મર્ત્યલોકોને લગ્નમાં બાંધી રાખે છે. વ્યભિચાર એટલે કે આ કમરબંધ ખોલી નાંખવો. બાપ-દીકરી-, મા-દીકરો, ભાઈ-બહેન કે નજીકના સગાંઓ શારીરિક સંભોગની ક્રિયામાં જોડાય એ ઘટનાને મોટાભાગના સમાજમાં શરૂથી હીણપતભર્યું ગણવામાં આવ્યું છે. કેટલાક સમાજમાં નજીકના સગાંઓમાં લગ્ન પણ માન્ય ગણાય છે પણ મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને તો કોઈ જ બહાલી આપતું નથી. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે. પણ ગ્રીસમાં અલગ-અલગ માથી જન્મેલા એક જ બાપના સંતાનો કે કાકા-ભત્રીજીઓ વચ્ચે લગ્ન શક્ય હતા. પ્રાચીન ઇજિપ્તમાં પણ રાજવંશને જીવતો રાખવા માટે પરિવારમાં જ શારીરિક સંબંધો બાંધવામાં છોછ નહોતો. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસ એની નાટકત્રયીમાં ઇડિપસ અને એની માતા વચ્ચે અજાણતાં બંધાતા શારીરિક સંબંધ અને એમાંથી જન્મતી કરુણાંતિકા વર્ણવે છે. મા અને દીકરા વચ્ચેના આકર્ષણને મનોવૈજ્ઞાનિકો ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ તરીકે ઓળખે છે. એનાથી વિપરીત ‘ઇલેક્ટ્રા કોમ્પલેક્સ’ છે જેમાં છોકરી બાપનો પ્રેમ પામવા માટે માની સાથે હરીફાઈ કરે છે. દીકરાનું માની સાથેનું અને દીકરીનું બાપની સાથેનું ખેંચાણ જાણીતું જ છે પણ જ્યારે ઉપરછલ્લું છાનું ખેંચાણ યેનકેન પ્રકારે શરીરસંબંધ સુધી ઊંડુ ઊતરે છે ત્યારે પરિવારમાં ભૂકંપ થાય છે.

લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ‘રિપબ્લિક’માં સૉક્રેટિસ કહે છે, ‘સ્વપ્નમાં મનુષ્યની પાશવી વૃત્તિઓ મુક્ત થાય છે; આ પાશવી પાસું ખ્યાલોમાં મા સાથે કે અન્ય કોઈપણ સાથે સૂવાની કોશિશથી મુક્ત નથી.’ તો સાડી છસો વર્ષ પહેલાં ‘કેન્ટરબરી ટેલ્સ’માં ચૌસર કહે છે, ‘આ એવું ઘૃણાપાત્ર પાપ છે જેના વિશે ભાગ્યે જ બોલાવું કે લખાવું જોઈએ. આ પાપ કરનારા કૂતરા સમાન છે, જેઓ ભાઈભાંડુ તરફ ધ્યાન આપતા નથી.’

સગો બાપ ઊઠીને સગી દીકરી પર નજર બગાડે છે અને ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય એ વખતે
દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. એક યા બીજા કારણોસર દીકરી મોં ખોલી શકી નથી એટલે જમ ઘર ભાળી ગયો અને એકવારનો બળાત્કાર રોજની ઘટના અને વરસોવરસની ઘટના બની ગઈ. પોતાના વીર્યમાંથી જેનો પિંડ રચાયો છે એના જ ગર્ભાશયમાં પોતાનું વીર્ય ખાલી કરતા બાપની બર્બરતા કોઈરીતે માફ કરી શકાય એમ નથી પણ આ ઘરેલુ હિંસા છે, યુગયુગોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી છે જ નહીં, એક વાસણ બનીને રહી જાય છે, જેમાં રોજ રાત્રે એ પોતાની ગંદકી ખાલવી શકે છે.

નાયિકા ખબર નથી કે કંઈ કેટકેટલીવાર કોશિશ કરી રહી છે પોતાના પિતાને પોતાની મોટી બહેનના ઓરડામાં જતા અટકાવવા માટે પણ એ આજ સુધી કદી સફળ થઈ નથી. એ છુપાઈને આખી ઘટના જોતી આવી છે. જ્યાં છે ત્યાંથી વાંકી વળીને એ પોતાના પિતાની આંખોમાં જોવા ઇચ્છે છે પણ કશું જોઈ શકતી નથી. કેમકે રાત ઢળી ચૂકી છે, બધા સૂઈ ગયા છે અને હૉલમાં માત્ર અંધારું છે. નાયિકા વર્તમાનને ભૂત સાથે સાંકળે છે. કહે છે, ભૂતકાળના ગર્ભમાં બધું જ પરફેક્ટ છે અને કશું જ બદલાતું નથી. પાણીનો ગ્લાસ બાથરૂમમાં પડે છે અને તૂટતાં પહેલાં એકવાર ઊછળે છે. બરાબર એ જ રીતે, જે રીતે બહેન તૂટતાં પહેલાં ઊછળી હશે? તૂટતા પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ કદાચ એ વાતનું પણ પ્રતીક છે કે એકવાર દીકરી બાપને ઓરડામાં આવતા રોકે છે પણ બાપ ફરીથી ઢીંચીને આવે છે અને દીકરીનું શિયળ ભાંગે છે. હવે કશું જ બચ્યું નથી. કંઈ જ નહીં. બાપના શરીર અને અત્યાચાર-બંનેની નીચે કચડાયેલી-દબાયેલી બહેનના મોંમાંથી ખૂબ નાનો અવાજ પણ પાસું બદલતી વખતે માંડ નીકળી શકે છે. કૂતરો પણ પોતાની પૂંછડી જમીન સાથે ઠોકીને અવાજ કરતો નથી જ્યારે એ એક આંખ ઊઘાડીને દારૂડિયા ઘરમાલિકને ઠોકર ખાતો જુએ છે. મૂંગુ પ્રાણી પણ સહમી ગયું છે. એ એકસાથે બે આંખ પણ ઊઘાડી શકતો નથી. નાની બહેન જેમ વાંકી વળીને અંધારામાં ડોકિયાં કરવાથી વધુ કંઈ કરી શકતી નથી એજ રીતે કૂતરો પણ ચુપ રહેતાં શીખી ગયો છે. નાયિકા જાણે છે કે આખો ઘટનાક્રમ પોતે જે રીતે જાણે છે અને વિચારે છે એ જ રીતે ઘટી રહ્યો છે. એ બહેનને ચેતવણી આપવા માંગે છે પણ એના હોઠોમાંથી બહેનનું નામ અને ચેતવણીનો ફુત્કાર એક ફુસફુસાહટ બનીને જ રહી જાય છે, જે વરસોથી બીજું કોઈ સાંભળી શક્યું નથી, એની બહેન સુદ્ધાં નહીં. કૂતરો રોજ ચોંકે છે અને ઘુરકેય છે પણ પછી માલિકને જોઈને શાંત થઈ જાય છે. આ જુલમ હજી પૂરો થયો નથી. હજી પણ રોજ દરવાજો ખુલે છે, બાપ દીકરીના ઓરડામાં ઘુસે છે, દીકરી પાસું બદલતાં ઊંહકારો કરે છે જે રાતના અંધારામાં ઓગળી જાય છે…. નાયિકા બહેનને મદદ ન કરી શકવાના જે અપરાધભાવથી પીડાય છે એ એની ફુસફુસાહટથી ઉપર ન વધી શકતી ચેતવણીથી ઈંગિત થાય છે.

કવયિત્રી આપણી શ્રાવણેન્દ્રિયને હાથમાં ઝાલીને પોતાનો હેતુ સિદ્ધ કરે છે. દૃશ્ય ક્યાંય છે તો નહીં બરાબર છે. પિતાનું દીકરીના રૂમમાં જવું, ખંડમાં અંધારું હોવું કે કૂતરાનું એક આંખ ખોલી જોવું- આથી વિશેષ કવયિત્રી આપણને બતાવતા નથી. જે બને છે એ અંધારામાં દરવાજાની પાછળ બને છે જેને નાયિકા અને એ રૂએ આપણે જોઈ શકતા નથી. કવિતાનો ખરો નાયક અવાજ છે. અવાજના રસ્તે ચાલીને કવિતા આપણા અંતરમાં પ્રવેશે છે. અવાજ પણ સાવ નહીંવત્ છે. બાથરૂમમાં ગ્લાસના ફૂટવાનો અવાજ, દીકરીનો અવાજ, કૂતરાની પૂંછડીના અવાજની ગેરહાજરી, નાયિકાની ફુસફુસનો અવાજ- બધું જ દબાયેલું છે પણ આ અવાજ જેટલો નીચો છે, કવિતામાંથી ઊઠતો આર્તસ્વર એટલો જ તીવ્ર અને ઊંચો છે. ડાયન ચેમ્બર્લિન કહે છે, ‘ઇન્સેસ્ટ એક મૂંગો રોગચાળો છે. દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ આનો ભોગ બને છે, જેમાંથી ચર્ચ પણ બાકાત નથી.’ આપણે પણ જાણીએ જ છીએ કે સમાજમાં આવા નરાધમો આપણી અડખેપડખે ક્યાંક અસ્તિત્વ ધરાવે જ છે. આંકડા તો જેટલી ઘટનાઓ છાપાંના પાને ચડે છે એ જ બોલશે પણ મોટાભાગનાઓના અસ્તિત્વથી આપણે અપરિચિત જ રહીએ છીએ. સાચા આંકડા તો અનેકગણા મોટા જ હોવાના કેમકે કૌટુંબિક બળાત્કાર એટલો બધો અંગત વ્યભિચાર છે કે મોટાભાગના લોકો પોતાની જાંઘ ઊઘાડી કરી શકતા નથી. છાપાંના સમાચાર તરીકે નહીં પણ પણ એક કવિતાના સ્વરૂપે આ ઘટના જ્યારે આપણી સામે આવી ઊભે છે ત્યારે આપણે આનખશિખ સળગી ઊઠીએ છીએ. પણ કંઈ કરી શકતાં નથી. કવયિત્રી પણ સમસ્યા આપણી સામે મૂકે છે, કોઈ ઉકેલ નથી મૂકતાં. જો કે કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ ભાવકનો સમસ્યા સાથે સાક્ષાત્કાર કરાવવાનું. ભાવકની સંવેદના જાગે અને ભાવક પછી શું કરે એ કવિતાએ જોવાનું છે જ નહીં…

વિશ્વાસ કોઈપણ સંબંધનું ચાલકબળ છે અને કુટુંબનો તો એ પ્રાણ છે. જે મા-બાપે જન્મ આપ્યો અને ઊછેર્યા એ મા-બાપ પર કયા સંતાન અવિશ્વાસ કરશે? મા-બાપ અને સંતાન વચ્ચેનો ભરોસો એ સૃષ્ટિનો સૌથી મજબૂત તાંતણો છે એટલે જ આજના લેખક ઇ. સ્યુ બ્લુમ કહે છે: ‘ઇન્સેસ્ટ જબરદસ્તીથી વસૂલાયેલો બળાત્કાર છે. બાળકનું બાળપણ જ એને કાબૂમાં રાખવા માટેનું હથિયાર બની રહે છે.’ પ્રેમને તો સરહદ છે પણ વાસના દરેક અંતિમોથી ફરી શરૂ થાય છે. વાઘ લોહી ચાખી જવા જેવી કે જમ ઘર ભાળી જવા જેવી આ વાત છે. શોષિત વ્યક્તિ જે ઘડીએ હોઠ ખોલીને ફરિયાદ કરી શકતી નથી એ ઘડીએ જ એના શોષણની વણથંભી અંતહીન હારમાળા પ્રારંભાય છે. એલન જાન્કોવ્સ્કીની કટાક્ષપ્રચુર કવિતા ‘ઇન્સેસ્ટ ઇઝ બેસ્ટ’માં બાપ દીકરીને કહે છે કે ઇન્સેસ્ટ એ સારો રસ્તો છે, આ એવી રમત છે જે આખો પરિવાર રમી શકે છે. અંતે એલિઝા ટોરિસની કવિતા ‘Daddy’s bed girl’ જોઈએ, જેના શીર્ષકમાં વપરાયેલ bed શબ્દ ‘પથારી’ અને ‘ગંદી’ –બંને અર્થચ્છાયા ધરાવે છે:

‘તું કેટલી ડાહી દીકરી છે!”
ખાટી વ્હિસ્કીવાળો શ્વાસ મારા ગાલ સાથે અથડાય છે.
“તને આ જોઈએ છે ને?”
હું માથું ધુણાવું છું, શ્વાસ લેવા, બૂમ પાડવા મથતી ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બની રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

ગ્લૉબલ કવિતા: ૬૪ : પુરાતન ખલાસીની કવિતા- સેમ્યુઅલ ટેઇલર કોલરિજ

The Rime of the Ancient Mariner

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– Samuel Taylor Coleridge

પુરાતન ખલાસીની કવિતા

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

પીંછીના બદલે કલમથી દોરાયેલા અમર ચિત્રો…

શેક્સપિઅરનો હેમ્લેટ કહે છે: ‘નાટકનો હેતુ પહેલાં પણ અને આજે પણ પ્રકૃતિ સામે અરીસો ધરવાનો (“Hold mirror up to the nature”) જ હતો અને છે-સારાને સારો અને ખરાબને ખરાબ બતાવવાનો.’ કવિતા સમાજનો અરીસો છે. એ સમાજને એનો ચહેરો જેવો છે એવો જ દેખાડવાનું કામ કરે છે. મનુષ્યજીવનની મર્યાદાઓ, ક્ષતિઓ, દુર્ગુણો પર પ્રકાશ ફેંકીને કવિઓ સમાજને સાચા જીવનનો રાહ દેખાડવાનું કામ કરે છે. અભિમાન પણ આવો જ એક દુર્ગુણ છે. અભિમાનના અરીસામાં સર્વનાશ સિવાય કંઈ જ નજરે ચડતું નથી. રાવણ તરફ જુઓ કે કંસ તરફ, દુર્યોધન તરફ જુઓ કે હિરણ્યકશ્યપ તરફ –અભિમાનના નશામાં જે જે ચૂર થયા છે એ વયષ્ટિ અને સમષ્ટિ માટે વિનાશ જ લાવ્યા છે. કોલરિજ એની વિશ્વપ્રસિદ્ધ કવિતામાં આ વાત આગવા અંદાજ થી કરે છે.

સેમ્યુઅલ ટેઇલર કોલરિજ. લગભગ સાડી ત્રણસો વર્ષ પૂર્વે ૨૧-૧૦-૧૭૭૨ના રોજ ડેવોનશાયર ખાતે એક પાદરી અને શાળાશિક્ષકને ત્યાં તેરમા સંતાન તરીકે જન્મ. દસ વર્ષની ઊંમરે પિતાનું અવસાન. દસ વર્ષની ઊંમરે લંડન ભણવા ગયા ને દસ વર્ષ ત્યાં રહ્યા. ઊંમરના પ્રમાણમાં ખૂબ પ્રતિભાશાળી. મા-બાપ અને મિત્રોના અભાવમાં ભયંકર એકલતામાં જીવ્યા. પણ આનો ફાયદો એ થયો કે એ પારંપારિક શાસ્ત્રીય સાહિત્યના ઊંડા અભ્યાસુ અને તત્ત્વ તથા ધર્મના પ્રખર મીમાંસુ બન્યા. એ પછી કેમ્બ્રિજ ગયા પણ આઝાદી અને પ્રજાસત્તાકનું ભૂત માથે સવાર થયું એટલે સેનામાં જોડાયા પણ કંઈ ખાસ ઊકાળ્યા વિના જ કેમ્બ્રિજ પાછા ફર્યા પણ ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી. ‘લેક પોએટ’ રૉબર્ટ સાઉથીની સાળી સારાહ ફ્રિકર સાથે જલ્દબાજીમાં પરણી ગયા ને પછી કલ્પદ્વીપ (યુટોપિઆ)ના સર્જનમાં મચી પડ્યા. બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી એમણે ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી. ટૂંકસમયમાં જ વાસ્તવિક્તાની કાલિમાથી સુપેરે અવગત થયા. કલ્પનાનું રામરાજ્ય પડી ભાંગ્યું, લગ્નજીવનની ઉતાવળ માથે વાગી અને ગરીબીનો ભોગ બન્યા તે નફામાં. ૧૭૯૭માં વર્ડ્સવર્થ ભાઈ-બહેન સાથેની એમની જગપ્રસિદ્ધ મૈત્રી પ્રારંભાઈ. બંને માટે આ મૈત્રી વરદાનરૂપ બની. બંને એ ભેગા થઈને ‘લિરિકલ બેલડ્સ’ પુસ્તક પ્રગટ કર્યું જેની લોકપ્રિયતા આજે પણ ચરમસીમાએ છે. આ સીમાચિહ્ન પુસ્તકથી ઉત્કૃષ્ટ અહંકારી કવિતાનો યુગ શરૂ થયો. ‘રોમેન્ટિક યુગ’ના અગ્રણી પ્રણેતા. ‘લેક પોસ્ટ્સ’માંના એક. બિનશરતી વર્ષાસન મળતાં નાણાંભીડ પૂરી થઈ. વર્ડ્સવર્થની સાળી સારાહ હચિન્સનના પ્રેમમાં પડ્યા. નાનપણથી એકલતા અને માનસિક બિમારીના શિકાર હતા જે અફીણની આજીવન લતમાં પરિણમી. શારીરિક બિમારીઓ પણ ઘેરી વળી. વર્ડ્સવર્થ સાથેની દોસ્તી જેટલી ગાઢ હતી એવી જ બે વર્ષ જેટલી ટૂંકી દુશ્મની પણ થઈ, જે જો કે પૂર્વવત્ મૈત્રીમાં કદી પરિણમી ન શકી. ૨૫-૦૭-૧૮૩૪ના રોજ અફીણ સાથે સંલગ્ન ફેફસાંની બિમારી અને હાર્ટ ફેઇલ્યરના કારણે નિધન.

તીવ્ર કલ્પના શક્તિ એમની કવિતાનો પ્રધાન રંગ છે. કવિતાના એવા કુશળ કસબી કે એમના સર્જનમાંથી ભૂલ શોધવી અઘરી થઈ પડે. ‘ક્રિસ્ટાબેલ’માં એમણે જે છંદ પ્રયોજ્યો તે આજે ‘ક્રિસ્ટાબેલ મીટર’ તરીકે ઓળખય છે, આના પરથી એમની કાવ્યકુશળતા સમજી શકાય છે. અલૌકિક જગત, ખાસ કરીને પ્રેતાત્માઓ અને દુનિયાની અસ્પષ્ટતાઓ એમની રચનાઓમાં સતત દૃષ્ટિગોચર થાય છે. અવિશ્વાસનો સ્વૈચ્છિક અનાદર (The willing suspension of disbelief)માં તેઓ માનતા અને એમની રચનાઓ વાચકને બે પળ માટે એ વાત ભૂલાવી દેવામાં સફળ પણ થાય છે કે વાસ્તવજગતમાં આ શક્ય જ નથી. કાવ્યકળામાં એ એટલા પાવરધા હતા કે કાવ્યસૌંદર્ય અર્થ-સમજણની ઉપરવટ ક્યારે પહોંચી ગયું એ ભાવક કળીય નથી શકતો. અને આ બધા સાથે ભાષાની સહજતા પણ એમને સાધ્ય હતી. એમના પ્રવચનો, કવિતાઓ, શેક્સપિઅરનું વિશ્લેષણ, જર્મન ફિલસૂફ કેન્ટના અનુવાદો –આ તમામ સર્વકાલીન ઉત્તમોત્તમ સાહિત્યમાં મોખરાનું સ્થાન પામ્યા છે. નાજુક તનદુરસ્તી, માનસિક બિમારીઓ, અફીણની ઊંડી લત, તત્ત્વમીમાંસા અને આધ્યાત્મનો ચસકો, પ્રેમમાં સતત નિષ્ફળતા, એકલતા –આ બધાની વચ્ચે થઈને પણ જે ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા તથા કવિતાના સ્વરૂપ અને અભિવ્યક્તિ પરની હથોટી તરી આવે છે એ અભૂતપૂર્વ છે.

‘ધ રાઇમ ઑફ એન્શન્ટ મરિનર’નો જન્મ વર્ડ્સવર્થ સાથેની દોસ્તીમાંથી થયો. બંનેએ બે જાતની કવિતાઓ રચવી નક્કી કર્યું. વર્ડ્સવર્થ રોજબરોજની જિંદગી અને વાસ્તવિક્તાને વિષયવસ્તુ બનાવીને રચનાઓ કરે અને કોલરિજ અતિપ્રાકૃત-અલૌકિકને વિષયવસ્તુ બનાવીને તીવ્ર કલ્પનાશક્તિથી અગોચર વિશ્વની ઘટનાઓને વાસ્તવિક લાગે એ રીતે રજૂ કરે અને બંને મિત્રો સંયુક્તરીતે ‘લિરિકલ બેલડ્સ’ બહાર પાડે એમ નિર્ધારાયું, જેની એક ફળશ્રુતિ એટલે કોલરિજની આ કવિતા. કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાં વહેંચાયેલ આ દીર્ઘ કાવ્યના બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. અંગ્રેજી ‘બેલડ’(લોકગીત-કથાકાવ્ય)નું સ્વરૂપ કોલરિજે અપનાવ્યું છે પણ સભાન આઝાદી સાથે કામ કર્યું છે. કથાકાવ્યની લાક્ષણિકતાઓ જેમકે, લાઘવ, સીધી મોઢા પર થતી વાત, નાટ્યાત્મક વળાંક અને પુનરોક્તિ ને પુનરાવર્તન કોલરિજ બખૂબી પ્રયોજે છે. થોડા અપવાદ બાદ કરતાં કાવ્યરચના ચતુષ્ક પ્રકારે જેમાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવાયા છે. અંગ્રેજી કવિતામાં સૌથી વધુ વપરાતા ‘આયંબ’ (લઘુ-ગુરુ શબ્દાંશ)ને કુશળતાપૂર્વક કોલરિજ પહેલી અને ત્રીજી પંક્તિમાં આઠ અને બીજી-ચોથીમાં છ શબ્દાંશ (સિલેબલ્સ) વાપરીને પ્રયોજે છે. આ દીર્ઘકાવ્ય કોલરિજની ઉત્કૃષ્ટ કવ્યકળાનો બેનમૂન દાખલો છે પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે એના ચાહકો કરતાં ટીકાખોરો વધુ હતા. આ કવિતા એક ઘરડા ખલાસીની વાર્તા છે પણ કોલરિજ એના માટે વૃદ્ધના બદલે પૌરાણિક (Ancient) વિશેષણ વાપરીને જૂની અંગ્રેજી ભાષાના ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો તૈયાર કરે છે. પૌરાણિક શબ્દપ્રયોગ કોઈક ખૂબ પ્રાચીન પણ અમૂલ્ય સંપદા તરફ પણ ઈશારો કરે છે. બીજું, Rhyme એટલે કે પ્રાસપ્રધાન કવિતાના બદલે એ Rime શબ્દ પ્રયોજે છે, જે એક તરફ તો જૂની અંગ્રેજી ઈંગિત કરે જ છે પણ એનો બીજો અર્થ ફ્રોસ્ટ (હિમાચ્છાદન) થાય છે. કવિતાનો મુખ્યાંશ એન્ટાર્ક્ટિક સમુદ્રમાં છે જ્યાં બરફ જ બરફ જોવા મળે છે. ખલાસીનો ખુદનો દેખાવ અને વ્યક્તિત્વ પોતે પણ હિમાચ્છાદિત હોય એવા રહસ્યમયી ભાસે છે. કવિતાની પ્રથમ આવૃત્તિ જૂની ઢબની જોડણીના કારણે ખૂબ વગોવાઈ હતી, જેને કોલરિજે બીજા પ્રકાશન વખતે સુધારી હતી અને જરૂરી ટૂંકનોંધો પણ ઉમેરી હતી.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

પહેલા ભાગના અંતે ખલાસી આલ્બાટ્રોસનો શિકાર કરે છે. એ પછીના બીજા ભાગના કેટલાક ચતુષ્ક કોલરિજની અફલાતૂન કથાક્ષમતાના બદલે દૃશ્યચિત્ર દોરવાની બેનમૂન આવડત રજૂ કરવાની નેમ સાથે અહીં લીધા છે. પહેલા ચતુષ્કમાં જે દરિયામાં આ અગાઉ કોઈ કાળા માથાનો મનુષ્ય પહોંચ્યો જ નથી એ દરિયામાં આ વૃદ્ધ ખલાસીનું જહાજ પહોંચે છે એ વાત છે. સાનુકૂળ હવા વીંઝાઈ રહી છે અને વહાણ ચાલવાથી ફીણ ઊછળે છે. જહાજની પાછળ પાણીમાં પડતો ચીલો મુક્તમને પડે છે એમ કહીને કોલરિજ નિરવરોધ ગતિ દોરી આપે છે. પણ બીજા ચતુષ્કમાં અચાનક જ પવન પડી જાય છે, સઢ ઢળી પડે છે અને દુઃખ પોતે જેનાથી વધુ દુઃખી ન થઈ શકે એવી ગ્લાનિ અનુભવાય છે. કોઈપણ પૂર્વચેતવણી વગર આવતો ૧૮૦ ડિગ્રીનો આવો વળાંક ‘પારંપારિક કથાકાવ્ય’ની લાક્ષણિકતા છે, જે કોલરિજ કુશળતાપૂર્વક પ્રયોજે છે. દરિયાનું મૌન ખલાસીઓની વાચા ગળી ગયું હોય એમ કોઈ કામ વગર બોલતું નથી. દિવસો પસાર થાય છે પણ હવાનું નામોનિશાન ન હોવાથી નિઃસ્તબ્ધ સમુદ્રમાં જહાજ એ હદે ગતિહીન ઊભું છે કે આ થીજી ગયેલું દૃશ્ય ચિત્ર જેવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લાકડાના પાટિયાં તો પાણી પર તરે પણ કોલરિજ પાટિયાં સિક્કે ડૂબી રહ્યાં છે એમ કહે છે, જાણે જેમ પીવાના પાણી વિના ગળું એમ લાકડું સૂકાઈને ડૂબવા ન માંડ્યું હોય! ‘બેલડ’ની એક લાક્ષણિકતા મુજબ ચારે બાજુ પાણી જ પાણીની વાત દોહરાવીને એ વળી તરસની પરાકાષ્ઠા નિર્દેશે છે. આ કલ્પનો આજે કદાચ ચવાઈને ચુથ્થો થઈ ગયાં છે પણ સાડી ત્રણસો વર્ષ પહેલાં આ કલ્પનો પહેલવહેલાં વપરાયાં હશે ત્યારે કેવા ચમત્કારી લાગ્યાં હશે! દુષ્કાળના પરિણામે સૌની જીભ છેક મૂળથી જાણે ચીમળાઈ ગઈ હતી. તરસના કારણે ગળાં એવાં સૂકાઈ ગયાં હતાં કે બધાના મોંમાં કોઈએ મેંશ ભરી ન દીધી હોઈ એમ કોઈ બોલી શકવા શક્તિમાન નહોતા. ખલાસી વિચારે છે કે કેવો ખરાબ દિવસ ઊગ્યો કે જહાજ પરના નાના-મોટા દરેક એની સામે ગંદી નજરે જુએ છે અને સૌની આ દુર્દશા માટે એને જ જવાબદાર ગણાવે છે. ખ્રિસ્તીઓ ગળામાં ક્રોસ લટકાવે એના સ્થાને એના સાથીઓએ એના ગળામાં એણે જેનો વધ કર્યો હતો એ આલ્બાટ્રોસ જ વીંટાળી દીધું.

પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશને મોક્ષની કથા પણ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ રચના પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે. કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે, ભૂંસાતી આવી છે, ભૂંસાતી રહેશે પણ કેટલીક કવિતાઓ હૉમરના ‘ઇલિયાડ’-‘ઑડિસી’, દાન્તેની ‘ડિવાઇન કોમેડી’, મિલ્ટનની ‘પેરેડાઇઝ લૉસ્ટ’, વાલ્મીકીના ‘રામાયણ’ કે વ્યાસના ‘મહાભારત’ની જેમ અમરપટો લખાઈને આવી હોય છે. કોલરિજની આ કવિતા એમાંની એક છે.

ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન

Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

નેક્સ્ટ, પ્લીઝ

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,

આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

મનુષ્યજીવનની એકમાત્ર નિશ્ચિત વસ્તુ કઈ?

આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભક્તિભાવપૂર્વક આપણે સહુ ઊજળી આવતીકાલની રાહ જોઈએ છીએ અને દૃઢતાપૂર્વક માનીએ છીએ કે કેમકે આપણી ઈંતેજારી, આપણી આવતીકાલ માટેની શ્રદ્ધા સો ટકા પ્રામાણિક છે અને સર્વાંગસંપૂર્ણ છે, એ ફળવી જ રહી. હકીકત એ છે કે આવતીકાલના ગર્ભમાં આપણા સહુના માટે એક અને માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત છે અને તે છે મૃત્યુ. મૃત્યુ સિવાય જિંદગીમાં બીજું કશું જ ગેરેંટેડ નથી એ વાતને ખૂબ જ અદભુત રીતે ફિલિપ લાર્કિન આપણી સમક્ષ લઈ આવે છે.

ફિલિપ આર્થર લાર્કિન. કવિ. નવલકથાકાર. નિબંધકાર. ૦૯-૦૮-૧૯૨૨ના રોજ કોવેન્ટ્રી, યુ.કે. ખાતે સિડની અને ઇવા લાર્કિનને ત્યાં જન્મ. પિતા શહેરના ખજાનચી હતા. શાળાના સામયિકમાં લાર્કિનની રચનાઓ નિયમિતપણે આવતી એ ઉપરાંત એ સામયિકના સંપાદનમાં પણ મદદગાર બનતા. બાળપણ એકલવાયું. તોતડાતા પણ ખરા. નબળી આંખોના કારણે આર્મીમાં ન જઈ શક્યા. ઓક્સફર્ડમાં અંગ્રેજી ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે ભણ્યા. આજીવન લાઇબ્રેરિઅન. જાઝ સંગીતના શોખીન. કોલેજમાં ‘સેવન’ નામનું ગ્રુપ પણ બનાવ્યું. લાંબા સમય સુધી એક જ સમયગાળામાં એકાધિક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ. વિકીપીડિયા એમના જાહેર વ્યક્તિત્વને ‘નો-નોનસેન્સ’ કહીને સંબોધે છે. જાહેરજીવનથી બહુધા દૂર. માન-સમ્માનની દૃષ્ટિએ અલગારી જીવ. ૧૯૮૪માં ઇંગ્લેન્ડના રાજકવિ તરીકેનું બહુમાન જવાબદારીનો બોજો સ્વીકારવો ન હોવાના કારણોસર નકાર્યું. નવલકથાકાર થોમસ હાર્ડી એમના માટે મોટો પ્રેરણાસ્ત્રોત પણ અને હાર્ડીને કવિ તરીકેનું બહુમાન અપાવવામાં એમનો ફાળો પણ નોંધપાત્ર. ૦૨-૧૨-૧૯૮૫ના રોજ અન્નનળીના કેન્સરથી અવસાન.

ઉદાસી એમની કવિતાઓનો પ્રધાન સૂર હતો. લાર્કિને પોતે કહ્યું હતું કે વર્ડ્સવર્થ માટે જે સ્થાન ડેફોડિલ્સનું હતું, એ એમના માટે વંચિતતા-વિપદાનું છે. મૃત્યુ અને માનવજીવનની ‘ડાર્ક’ રમૂજ સાથે વળગણ. માર્મિક અલ્પોક્તિ એમની કવિતાને ધારદાર બનાવે છે. એમના ગીતો રચનાની દૃષ્ટિએ સંપૂર્ણ પણ પૂરતાં લવચિક છે. પ્રાસ, છંદ, અંતરા જેવા પારંપારિક સાધનો જ એ પ્રયોજે છે પણ ધ્વનિ સાવ નોખો જ તરી આવે છે. ૧૯૫૪ની સાલમાં ઇંગ્લેન્ડમાં ‘ધ મૂવમેન્ટ’ નામે ચળવળ થઈ જેનો પ્રધાન કાકુ આધુનિકતાવાદ, રોમેન્ટિસિઝમ, પ્રયોગખોરી જેવા કવિતાના કૃત્રિમ સાધનોનો વિરોધ કરી પરંપરાગત, સરળ, સહજ કવિતા તરફનો હતો. વિશ્વયુદ્ધ પછીના સમયમાં જિંદગીને યથાતથ સ્વીકારીને કવિતાને કૃત્રિમ ઘરેણાંઓથી શણગારવાના બદલે રોજબરોજના અનુભવો અને ‘કોમનસેન્સ’ વડે અંગ્રેજી કવિતાની મૂળભૂત સંયમી પ્રકૃતિ અને સ્વભાવગત તાકાત બહાર લાવવી એ આ કવિઓનો હેતુ હતો. લાર્કિન ‘મૂવમેન્ટ’ના નવ કવિઓમાંના એક હતા. જોકે એમની કવિતાઓ આધુનિકતાની નહીં પણ યાંત્રિકતાની વિરોધી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના બ્રિટનના સૌથી ચહીતા કવિ ગણાયા. ‘ધ ટાઇમ્સ’ પણ એમને યુદ્ધ પછીના બ્રિટનના શ્રેષ્ઠતમ કવિ ગણાવે છે.

અવશ્યંભાવી મૃત્યુ લાર્કિનની કવિતાનો અવિનાભાવી રંગ છે. લાર્કિનની કવિતાઓમાં મૃત્યુ એટલું બધું જીવંત છે કે ‘રોમન કેથલિક ઑફિસ ફોર ધ ડેડ’માંનું લેટિન વાક્ય યાદ આવે- ‘Timor mortis conturbat me’ – મૃત્યુનો ડર મને પરેશાન કરે છે. ‘ઑબેડ’(Aubade)ની થોડી પંક્તિઓ જોઈએ. કહે છે કે આ એક જ કવિતા કવિને અમરત્વ બક્ષવા પૂરતી હતી: ‘નિશ્ચિત વિનાશ તરફ આપણે મુસાફરી કરીએ છીએ અને એમાં જ ખોવાઈ જઈએ છીએ કાયમ. અહીં હોવા માટે નહીં, ક્યાંય હોવા માટે નહીં, અને જલ્દી જ; કંઈ જ વધુ ભયાનક નથી, કંઈ જ વધુ સાચું નથી.’ આજ કવિતામાં એ મૃત્યુને આ રીતે વર્ણવે છે: ‘ન દેખાવ, ન અવાજ, ન સ્પર્શ કે સ્વાદ કે ગંધ, કંઈ જ નહીં જેની સાથે વિચરી શકાય, કંઈ જ નહીં જેને ચાહી કે સાંકળી શકાય, એક એનેસ્થેટિક જેમાંથી કોઈ બહાર નથી આવતું.’ આ જ રચનામાં એ આજે કહેવત બની ગયેલ વાત કહે છે: ‘Death is no different whined at than withstood.’ (બૂમો પાડો કે પ્રતિકાર કરો, મૃત્યુ માટે સરખું જ છે.) ‘ધ લાઇફ વીથ અ હૉલ ઇન ઇટ’માં એ મૃત્યુને ‘અપરાજેય ધીમું યંત્ર’ કહે છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ રચનામાં ચાર-ચાર પંક્તિના છ અંતરા છે. દરેક બંધમાં AABB પ્રકારની સ્વતંત્ર પ્રાસરચના છે. દરેક બંધની પ્રથમ ત્રણ પંક્તિઓ થોડા અપવાદ સાથે આયંબિક પેન્ટામીટરમાં જ્યારે ચોથી પંક્તિ નોંધપાત્ર રીતે ટૂંકી છે અને એમાં અન્ય પંક્તિઓની જેમ દસના બદલે ચાર અથવા છ શબ્દાંશ પ્રયોજાયા છે. કવિતાનું શીર્ષક ‘નેક્સ્ટ, પ્લીઝ’ આપણને અટકાવી દે છે. લોકો કતારમાં ઊભા હોય અને અધિકારી ‘નેક્સ્ટ’ નેક્સ્ટ’ કરીને એક પછી એક લોકોને શબ્દોથી ધક્કો મારતો હોવાનો અહેસાસ થાય પણ ‘નેક્સ્ટ’ પછી વિરામચિહ્ન મૂકીને કવિ ‘પ્લીઝ’ કહે છે એ વિનમ્રતા પહેલા શબ્દ સાથે ઊભા થયેલા ચિત્રને સમૂળગું બદલી નાખે છે. ભાવકના મનમાં કવિતાના વિષયવસ્તુ બાબતમાં એક અપેક્ષામિશ્રિત જિજ્ઞાસા જન્મે છે. અનુવાદમાં અષ્ટકલ લય વડે ગીતનો છંદ, પ્રાસ અને ચોથી પંક્તિઓનું ટૂંકાણ જાળવી શકાયું છે પણ શીર્ષકનું ગુજરાતીકરણ કરવા જતાં કવિતાનો આત્મા જ મરી પરવારે એમ લાગતાં અને ‘નેક્સ્ટ’ અને’ પ્લીઝ’ -બંને શબ્દ પૂરતા ગુજરાતી બની ગયા હોવાથી એ યથાવત્ રાખવાનું જોખમ ગણતરીપૂર્વક લેવાયું છે.

કવિતાની શરૂઆત જ આપણી ભવિષ્ય માટેની વધુ પડતી અધીરતાને લક્ષ્ય બનાવીને થાય છે. સતત અપેક્ષા રાખ્યા કરવાની ગંદી આદતના આપણે સહુ શિકાર છીએ. સતત એમ જ લાગે કે કંઈક આપણી સાવ નજીક આવી જ રહ્યું છે. આ સાવ શું છે એની વાત બીજા અંતરામાં ખુલે છે પણ પહેલા અંતરામાં તો કવિતા અપેક્ષાની વાત કરીને વાત અધૂરી છોડી દે છે એમ કહીને કે ત્યાં લગ દરરોજ આપણે એમ જ કહ્યા કરીએ છીએ કે… આખી કવિતામાં માત્ર ‘ત્યાં લગ’ (till then) આ બે જ શબ્દોને ત્રાંસા-ઇટાલિક્સમાં લખીને કવિ પોતે જે કહેવું છે એ ગૂઢાર્થને ઘાટો કરે છે. બીજા બંધમાં બંધ મુઠ્ઠી ઊઘડે છે કે નાયક અથવા કવિ અથવા આપણે- સમુદ્રકિનારાની એક ઊંચી ભૂશિર પર ઊભા છીએ અને દૂરથી આપણી તરફ આવી રહેલા જહાજોને જોઈ રહ્યા છીએ. આ જહાજો દૂર છે માટે નાનાં નજરે ચડે છે પણ સ્પષ્ટ દેખાય છે એટલે એટલા દૂર પણ નથી. આ જહાજો વચનોના ચમકીલા યુદ્ધજહાજોનો કાફલો છે. સોળમી સદીમાં સ્પેનિશ યુદ્ધજહાજોનો કાફલો અંગ્રેજી કાંઠા પર ધસી આવ્યો હતો અને અંગ્રેજી સૈન્યના હાથે નેસ્તનાબૂદ થઈ ગયો હતો એ હારનું દૃશ્ય અહીં તાદૃશ થાય છે. અહીં આ બેડા સરસામાન નહીં, વાયદાઓ લઈને આવે છે. અને વર્તમાન ગમે એટલો ભેંકાર કેમ ન હોય, ભવિષ્યને તો આપણે હંમેશા ઝળહળતું જ કલ્પીએ છીએ એટલે ઠાલાં વચનો ભરીને આવતા યુદ્ધજહાજોના બેડા આપણને ચમકીલા-ઝળહળતા નજરે ચડે છે. કવિને સ્પેન-ઇંગ્લેન્ડનું યુદ્ધ અભિપ્રેત છે એટલે સમજી શકાય છે કે આ વાયદાના જહાજો પણ કાંઠે આવતા સુધીમાં ધ્વસ્ત થનાર છે. વળી, આ કાફલો કાચબાગતિએ આગળ ધપે છે. બે પંક્તિમાં ત્રણવાર કાફલાની અકળાવી નાંખે એવી ધીમી અને કહેવા છતાંય જરાય જલ્દબાજી કરવા તૈયાર જ ન હોય એવી નફ્ફટ ગતિનો ઉલ્લેખ કરીને કવિ વચનો હંમેશા તૂટવા માટે જ હોવાની નિરાશાનો રંગ ઓર ગાઢો કરે છે.

આ જહાજો આપણા હાથમાં નકરી નિરાશાની ફૂલદાંડીઓ પકડાવી જાય છે જેના પર ફૂલ કદી ઊગનાર જ નથી એવી મનહૂસ છે. મોટા-મોટા જહાજોની પધરામણીઓ થતી રહે છે પણ કોઈ કશું પાછળ આપણા માટે મૂકીને જતું નથી. જહાજો પર મજાનું પિત્તળકામ કરાયું છે, એક-એક દોરડાં પણ સ્પષ્ટ નજરે ચડે છે-ભવિષ્યના ખિસ્સામાં આપણા માટે શું છે સાફ દેખાય છે! માથે ધજા શોભી રહી છે અને મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા શોભાયમાન છે. વળાંક લઈને વહાણ આપણી નજીક તો આવે છે પણ લાંગરતું કદી નથી. આપણને જે જહાજ ‘આજ’માં નજરે ચડે છે એ ક્ષણમાં ‘ગઈકાલ’માં ભુસકો મારી દેશે. કેલેન્ડરનાં પાનાં ફરતાં વાર શી? આપણી અધીરપ અને અપેક્ષાને ક્રમશઃ આપણે મોહભંગ થતાં અને કડવાશમાં પલટાતાં અનુભવીએ છીએ. એકતરફ કવિ જહાજોના જાજવલ્યમાન કાફલાનું ભવ્ય વર્ણન કરે છે અને બીજી બજુ એકદમ સરળ, તદ્દન અનલંકૃત ભાષામાં ત્રણ જ શબ્દોમાં ‘કદી ન લાંગરે’ કહીને આપણી વધુને વધુ જાજવલ્યમાન અને ભવ્ય બનતી જતી અપેક્ષાઓના મૂળમાં કુઠારાઘાત કરે છે. છેક અંત સુધી આપણે એમ જ વિચાર્યે રાખીએ છીએ કે બધા જ જહાજ આપણા કાંઠે લાંગરશે અને આપણા જીવનમાં કંઈક ‘સારું’ ઊતારશે. લાર્કિન Good શબ્દ પ્રયોજે છે. દેખીતો અર્થ તો ‘સારું’ જ છે પણ જહાજની અને સરસામાનની વાત હોવાથી ‘S’ લખ્યો ન હોવા છતાં આપણું મન good (સારું)ને goods (સામાન) તરીકે વાંચી જ લે છે. કવિને મન કદાચ બંને જ અર્થ અભિપ્રેત છે પણ કવિની આ કમાલ અનુવાદની ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. અનુવાદની આટલી મર્યાદા જ સ્તો.

આપણે એવું માની બેઠાં છીએ કે સોનેરી ભવિષ્યની આશા રાખીને આપણે આટલા ભક્તિભાવથી અને આટલા લાંબા સમયથી પ્રતીક્ષારત છીએ એટલે ઉજ્જવળ ભવિષ્ય, સોનેરી પ્રારબ્ધ આપણાં દેવાદાર છે અને માત્ર પ્રતીક્ષામાત્રથી આપણાં સપનાં સાચા કરી આપવા એ એમની ફરજ અને આપણો અધિકાર છે. આખી કવિતામાં શીર્ષક સિવાય ક્યાંય કવિ ‘નેક્સ્ટ, પ્લીઝ’ કહેતા નથી પણ એક પછી કે જહાજના આવવા અને ચાલી જવા વચ્ચે ભૂશિર પરથી નજર તાણીને રાહ જોતા આપણે સતત ‘નેક્સ્ટ, પ્લીઝ’ બોલી રહ્યા હોવાનું આપણને સંભળાતું રહે છે. પણ આપણે ખોટા છીએ કેમકે બીજા કોઈ નહીં પણ એક જ જહાજ છે જે ખરેખર આપણા માટે આવનાર છે. જહાજ અજાણ્યું છે, એના પર કાળો શઢ છે, અને એની પાછળ-પાછળ એક વિરાટ પક્ષીહીન મૌન છે- વિશાળ અને નિર્જીવ. આવો મૌન ખાલીપો પાછળ લઈને એ જહાજ ચાલે છે ને એની પાછળ પાણીમાં કોઈ હલચલ પણ નથી. જહાજ ચાલતાં પાણી નથી કપાતું કે નથી ઊછાળા મારતું. બધું જ જીવહીન અને નિઃસ્તબ્ધ. Wake-water અને breed-breakની વર્ણસગાઈ (alliteration) અને wake-breakના ચુસ્ત પ્રાસયુક્ત સાવ ટૂંકી દોઢ પંક્તિ ચાબુકની જેમ આપણી સંવેદના પર વિંઝાય છે. સમજી શકાય છે કે કવિ મૃત્યુની વાત કરે છે. મૃત્યુનું જહાજ ન માત્ર ભવિષ્ય અંગેની તમામ આશાઓનો, બલકે ભવિષ્ય સુદ્ધાંનો કાયમી અંત આણશે. જીવનમાં બીજું કશું જ નિશ્ચિત છે જ નહીં, સિવાય કે મૃત્યુ.

ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાની દાંડીઓ.’ આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ! લાર્કિન પણ जातस्य हि ध्रुवो मृत्युःની ગીતાને આલબેલ જ આ કવિતામાં પોકારે છે. આ કવિતા આપણને એકીસાથે ઉદાસીનતાની ખીણમાં ડૂબાડે પણ છે ને ઉત્તેજીત પણ કરે છે. લાર્કિનની આ કળા છે. સિક્કાની બંને બાજુ એ આપણને એકસાથે હાથમાં આપી શકે છે.

ગ્લૉબલ કવિતા : ૬૨ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

નવી મહાપ્રતિમા

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

ગંજાવર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અને નાની અમથી કવિતાની તાકાત…

ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

એમા લેઝારસ. ૨૨-૦૭-૧૮૪૯ના રોજ ન્યૂયૉર્કમાં સુગર-રિફાઇનરી ચલાવતા મોઝિઝ અને ઇસ્ટર લેઝારસના ધનાઢ્ય પરિવારમાં સાત બાળકોમાં ચોથા ક્રમે જન્મ. અમેરિકાના ક્રાંતિગાળામાં એમનો યહૂદી પરિવાર પોર્ટુગલથી અમેરિકા આવ્યો હતો. ઘરે જ ખાનગી અધ્યાપકો પાસે અભ્યાસ. પૌરાણિક ક્લાસિકલ અને સમસામયિક સાહિત્યનો ઊંડો અભ્યાસ. નાનપણમાં જ એમણે કાવ્યાનુવાદો કરવા શરૂ કર્યા. ૧૧ વર્ષની વયે પ્રથમ કવિતા. ૧૮ વર્ષની વયે તો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થઈ ગયો. કાચી વયના આ પાકટ સંગ્રહે સિદ્ધહસ્ત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવાનું પણ ધ્યાન ખેંચ્યું. નવલકથા અને પદ્યનાટક પણ લખ્યાં. આજીવન કુંવારા રહ્યાં. માત્ર ૩૮ વર્ષની કૂમળી વયે ન્યૂયૉર્કમાં જ ૧૯-૧૧-૧૮૮૭ના એક રોજ મોટાભાગે હોજકિન્ઝ લિમ્ફોમાના કારણે દેહાવસાન.

પ્રથમ સફળ અમેરિકન યહૂદી સાહિત્યકાર. યહૂદી હોવાના નાતે અમેરિકન યહૂદીઓની પીડાને એમણે વાચા પણ આપી. યહૂદીવાદી (ઝાયોનિસ્ટ) ચળવળ શરૂ થઈ એના તેર વર્ષ પહેલાં જ એમાએ યહૂદીઓના હક માટેની લડાઈ શરૂ કરી દીધી હતી. અમેરિકાની પોતાની સ્વ-છબીને આકાર આપવામાં અને અમેરિકા અન્ય દેશોથી આવતા નિર્વાસિતોની જરૂરિયાત શી રીતે સમજે છે એ વૈશ્વિક છબી ઊભી કરવામાં એમાનો ફાળો નાનોસૂનો નહોતો. લાંબા સમય સુધી જો કે ‘ધ ન્યૂ કૉલોસસ’ કવિતાની પ્રસિદ્ધિના ગ્રહણે એમાના જીવન અને સર્જનને અંધારામાં રાખ્યાં. એની પોતાની બહેને ૧૯૨૬માં પ્રગટ થયેલ એમા લેઝારસની સમગ્ર કવિતાઓના સંગ્રહને એમાની યહૂદી વિચારધારા સાથે પોતે અસહમત હોવાના કારણે દબાવી રાખ્યો હતો. કાળાંતરે જો કે આ ગ્રહણ હટ્યું અને લોકો એમાની પ્રતિભાથી પરિચિત થયાં.

૪ જુલાઈ, ૧૭૭૬માં અમેરિકાને આઝાદી મળી. પણ આઝાદી માટેની લડત એ પહેલેથી ચાલુ હતી. ફ્રાન્સના ગુલામી-વિરોધી સમાજના તત્કાલિન પ્રમુખ એડ્વા રેને ડિ લેબુલેએ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક અગસ્ટે બાર્થોલ્ડી સાથેના ડિનર પછી કહ્યું હતું કે અમેરિકાની આઝાદી માટેનું સ્મારક બંને દેશોની ભાગીદારીમાં બનવું જોઈએ. બાર્થોલ્ડીની બે-ત્રણવારની અમેરિકાયાત્રાના ફળસ્વરૂપ આ સ્મારક માટેનું સ્થાન અને અમેરિકન સરકારની મંજૂરી- બંને મળ્યા. બાર્થોલ્ડીની ડિઝાઈનને એફિલ ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે શિલ્પાકાર આપ્યો. અમેરિકામાં બેડલો’ઝ ટાપુ (હાલના લિબર્ટી ટાપુ) પર મૂર્તિ માટે કુંભીનિર્માણ કરવાનું હતું પણ પૈસાની સમસ્યા હતી. ફાળો ઊભો કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એમાને આ હેતુસર લિલામી માટે એક મૌલિક કૃતિ આપવા જણાવાયું પણ શરૂમાં એણે ના કહી. એ પોતે ધનાઢ્ય હોવાથી નિર્વાસિતોની તકલીફોથી માહિતગાર નહોતાં પણ રેફ્યુજીઓની મદદના કાર્યક્રમમાં એમને એ લોકોની પીડાનો અહેસાસ થયો અને છેવટે ૦૨-૧૧-૧૮૮૩ના રોજ આ સૉનેટ લખાયું. પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર શોભાયમાન અને નિલામી દરમિયાન વંચાયેલું આ સૉનેટ ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે અને એ પછી સાવ ભૂલાઈ ગયું. એમાની સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી મળેલી ચોપડીમાં આ સૉનેટ હતું અને એના જ પ્રયત્નોથી મૃત્યુના ૧૭ વર્ષ બાદ ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં આ સૉનેટ મૂકવામાં આવ્યું. આજે પણ ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના મુલાકાતીઓ આ સૉનેટ ત્યાં વાંચી-માણી શકે છે.

આ સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું મૂળ ઇટાલિઅન પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે જેની પ્રાસ રચના ABBA ABBA CDCDCD છે. અષ્ટક અને ષટક એમ બે ભાગમાં ચૌદ પંક્તિઓની પારંપારિક વહેંચણી કરવામાં આવી છે. અમેરિકાની મહાનતાની વાત કરવી અને એ પણ ઇટાલીથી નીકળીને ઇંગ્લેન્ડ જનાર પ્રવાસી સૉનેટના સ્વરૂપમાં એ પોતે જ એક વક્રોક્તિ પણ ગણી શકાય. અમેરિકાની મહાનતાની હાંસી ઊડાવવા માટે ઘણા અમેરિકી કવિઓએ સૉનેટનો સહારો લઈને ગુલામીપ્રથા અને રંગભેદનીતિ પર કટાક્ષ કર્યા છે. ઇટાલિયન સૉનેટસ્વરૂપનો પ્રયોગ પણ આ દિશામાં સૂચક ગણી શકાય. ગુજરાતી અનુવાદ હરિગીત છંદમાં છે પણ ભાષા અને ભાવની સંકીર્ણતાના કારણે પ્રાસરચના નિભાવાઈ નથી. રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. સાયપ્રસ ઉપરના રહોડ્સના વિજયની ઉજવણી નિમિત્તે એનું નિર્માણ થયું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એ એક હતી. એ જમાનાની એ સૌથી મોટી પ્રતિમા હતી પણ થોડા જ વર્ષોમાં ઈ.પૂ. ૨૨૬માં ધરતીકંપના કારણે એ નાશ પામી. કુંભીને બાદ કરીએ તો ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ની કુલ ઊંચાઈ પણ આટલી જ છે.

હેલિઓઝની પ્રતિમા બંદરના મુખ પર બન્ને કાંઠે એક-એક પગ મૂકેલી હતી એવી એક માન્યતા છે. ‘જુલિયસ સિઝર’માં શેક્સપિઅર આ જ માન્યતાની તુષ્ટિ કરતાં કહે છે, ‘શા માટે સિઝર આ સાંકડી દુનિયા પર રાક્ષસની જેમ પગ પલાણીને ઊભો છે અને આપણે ક્ષુદ્ર લોકોએ એના વિશાળ પગોની નીચે થઈને ચાલવાનું?’ (અંક ૧, દૃશ્ય ૨) ‘હેનરી ૪’માં પણ શેક્સપિઅર આ ઉલ્લેખ કરે છે: ‘ફોલસ્ટાફ: તું મને યુદ્ધમાં પડેલો જુએ અને આ રીતે મારા પર ઊભો રહી જશે, તો એ મિત્રતાની નિશાની છે. પ્રિન્સ હેનરી: બીજું કોઈ નહીં પણ એક રાક્ષસ (કોલોસસ) જ તારી સાથે આવી દોસ્તી કરી શકે.’ (અંક ૫, દૃશ્ય ૧) દરિયાઈ ખાડીના બે કાંઠા પર પગ મૂકેલ હેલિઓઝની પ્રતિમાની કલ્પના જ પ્રસ્તુત સૉનેટમાં પણ નજરે ચડે છે. એમા કહે છે, ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ એક કાંઠેથી બીજા કાંઠે વિજયી પગ મૂકીને ઊભેલા ગ્રીક પૌરાણિક કથાના રાક્ષસની જેમ નથી ઊભું રહ્યું. એ આ મહાકાય પ્રતિમા માટે Brazen giant શબ્દપ્રયોગ કરે છે. ‘બ્રેઝન’ એટલે ઉદ્ધત કે નિર્લજ્જ પણ થાય અને પિત્તળનું પણ થાય. એમા એક જ શબ્દમાં મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ –બંને તરફ ધ્યાન દોરે છે. આ ભાષાની ખૂબી છે પણ કવિનો ચમત્કાર છે જે આ ખૂબી ક્યાં અને શી રીતે પ્રયોજવી એ જાણે છે. ગુજરાતી અનુવાદમાં આ માટે ‘પિત્તળ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પિત્તળ’ પણ પ્રકૃતિ અને ધાતુ, અને એ રીતે મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ -બંને અર્થ સમાવિષ્ટ કરી લે છે.

એમા કહે છે કે અમેરિકાના પશ્ચિમી દરવાજે, જેને સાગર સતત પખાળે છે, એક શક્તિશાળી સ્ત્રી ઊભી છે. આ સ્ત્રી ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના હેલિઓઝના વિજયી હુંકાર કરતા નિર્લજ્જ પૂતળાની જેમ નથી ઊભી જેના બે પગ વચ્ચે થઈને હીણપત અનુભવ્યા વિના જહાજો બંદરમાં પ્રવેશી નહોતા શકતા. આ સ્ત્રી હાથમાં એક મશાલ લઈને ઊભી છે, જેમાં જ્યોતિસ્વરૂપે વીજળી કેદ છે. આજની પેઢીને વીજળીના કેદ હોવાનું પ્રતીક હાસ્યાસ્પદ લાગે પણ ઓગણીસમી સદીના અંત ભાગમાં મશાલનો દીવો વીજળીથી પેટે એ હજી કૌતુકની વાત હતી. એમા આ સ્ત્રીને ‘નિર્વાસિતોની મા’નું નામ આપે છે. સંસ્કૃતિ કે સમય કોઈ પણ હોય, માનો દરજ્જો હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતો, છે ને રહેશે. આ એક જ શબ્દપ્રયોગના કારણે એમા લેઝારસ અમેરિકી ઇતિહાસમાં અજરામર થઈ ગયાં. ત્રીસ માળ ઊંચી આ માતાના હાથમાંની મશાલ દીવાદાંડીની જેમ પથ પ્રદર્શિત કરે છે અને વિશ્વવ્યાપી આવકાર આપે છે. એની આંખો નમ્ર છે, પણ એ માની આંખ છે એટલે પોતાના સંતાનના ભલા માટે માટે ન્યૂયૉર્કના બારાંને હુકમ કરતાં અચકાતી નથી. ન્યૂયૉર્કનું બારું ન્યૂયૉર્ક સિટી અને બ્રુકલિન –એમ બે શહેરોની વચ્ચે આવ્યું છે, જે બે જોડિયાં શહેરો જેમને જોડવા હવા સિવાય કોઈ પુલ નહોતો એ આ કવિતા લખાઈ એના પંદર વર્ષ બાદ એક થયાં.

ન્યૂયૉર્ક બંદર ઓગણીસમી સદી અને પ્રારંભિક વીસમી સદી સુધી જળમાર્ગે વેપાર અને લોકોના આવાગમન માટેનું ધીકતું ધોરી બંદર હતું. આ સમય મધ્ય-પૂર્વના દેશોમાં તથા યુરોપિયન દેશોમાં યુદ્ધનો પણ સમય હતો. યુદ્ધનો ભોગ બનનારાઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ આરો નહોતો. તબાહી, પીડા અને અભાવોથી બચવા આ સમયે લગભગ સવા કરોડ નિર્વાસિતો લિબર્ટીની પ્રતિમા પાસેના એલિઝ ટાપુ પર થઈને અમેરિકામાં આવ્યા. કદાચ અમેરિકાની આજની ચાળીસ ટકા વસ્તીના પૂર્વજો આ જ ‘મનહૂસ કચરો’ (Wretched refuse) હતા. લિબર્ટીમાતા હુકમ કરે છે આ જોડિયા શહેરો, આ બંદરને કે, ‘હે પુરાતન નગરો! તમારી ભવ્ય ગાથાઓ તમારી પાસે જ રાખો.’ (સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે કવિતા મૂકાઈ છે એમાં ‘રાખો’ પછીનું અલ્પવિરામ મૂકવાનું વિસરાઈ ગયું છે પરિણામે વાક્યનો અર્થ થોડો બદલાઈ જાય છે એ અલગ વાત છે.) એ દુનિયા પાસેથી ગરીબો, હાર્યા-થાક્યા માણસો, મુક્તિનો શ્વાસ ઝંખતી અનિયંત્રિત ભીડ અને દુનિયાના કાંઠાઓ જેનાથી છલકાઈ રહ્યા છે એ મનહૂસ કચરો માંગે છે. જે લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે, જે લોકો તોફાનો-આપત્તિઓના માર્યા છે એ બધાયને નિર્વાસિતોની મા આવકારી રહી છે. કહે છે, તમારા સોનેરી ભવિષ્યના બારણાંઓની બાજુમાં હું દીવાનો પ્રકાશ પાથરતી ઊભી છું… આવો, મારી પાસે આવો અને તમારા સોનેરી ભવિષ્યના દ્વાર ઊઘાડો.

એમાનું આ સૉનેટ ઈસુના એ વચન, ‘તંદુરસ્તને તબીબની જરૂર નથી, બિમારને છે. હું સાચાઓ માટે નહીં, પણ પાપીઓ માટે આવ્યો છું’ની યાદ અપાવે છે. પ્રભુપુત્ર મુક્તિદાતા ઈસુએ જે રીતે ગરીબ-ગુરબાંને પ્રેમ કર્યો હતો એ જ પ્રેમની યાદ ‘ધ ન્યૂ કોલોસસ’ની ‘નિર્વાસિતોની મા’ અપાવે છે. માતાના દીવાના પ્રકાશમાં ઝળહળતા સુવર્ણ દ્વારોમાં થઈને દુનિયાના કાંઠાઓ પર ખદબદતા આ ‘મનહૂસ કચરા’ને ન માત્ર સારી જિંદગી મળવાની આશા છે, પણ ઈશ્વરના સંતાન હોવાના નાતે તેઓ એક સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરશે એવી આશાનો જે સૂર આ કવિતામાંથી સંભળાય છે એ અભૂતપૂર્વ છે. સૉનેટની પંક્તિઓ કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે અને વધુને વધુ લોકો વધુને વધુ વાર આ પંક્તિઓ ટાંકતા આવ્યા છે. આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.