ગ્લૉબલ કવિતા: ૬૬: સમગ્ર – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન

Hours

Evenings of beatitude,
even the book forgotten,
because the soul dissolves
lapped in quietude.

Evenings when every
sound lies sleeping.

Evenings when the least
seem anaesthetised,
all the garden flowers,
shadow more shadowy
and the old manor more deserted.

Evenings when the least
creak of furniture
were a profanation
of absurd cacophony
and impious intrusion.

Evenings when the house’s
door is fast closed
and the soul’s open.

Evenings when the quiet
vane on the steeple
turns, numbed, no more,
and, entire like perfume,
silence is inbreathed.

– Francisco González de León
Eng Translation: Samuel Beckett


સમગ્ર

સંધ્યાઓ દિવ્યાનંદની,
પુસ્તક પણ વિસ્મૃત,
કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો
આત્મા પણ ઓગળી જાય છે

સંધ્યાઓ, જ્યારે તમામ
અવાજો નિદ્રાધીન છે.

સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ
પણ બેહોશ લાગે છે,
બાગના તમામ ફૂલો,
છાંયો વધુ છાંયેદાર ,
અને ખંડેર મકાન વધુ વેરાન.

સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો
અત્યલ્પ કિચૂડાટ પણ
પ્રદૂષણ લાગે છે
બેતુકી કર્કશતા
અને અપવિત્ર અતિક્રમણનું.

સંધ્યાઓ, જ્યારે ઘરનો
દરવાજો ચસોચસ બંધ છે
અને આત્માનો ખુલ્લો.

સંધ્યાઓ, જ્યારે દેવળના મિનારા પરની
નીરવ પવનચક્કીની પાંખ
ફરતી નથી, નિઃસ્તબ્ધ, જરાયે,
અને, અત્તરની જેમ, સમગ્ર
ચુપકી શ્વસાય છે.

– ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન
(અંગ્રેજી અનુવાદ: સેમ્યુઅલ બ્રેકેટ)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

આત્માનો દરવાજો ઊઘાડી આપતી ભોગળ એટલે સાંજ

સમય પ્રતિપળ બદલાતા રહેતા ચહેરાઓનું બીજું નામ છે. નદીના જે પાણીમાં તમે એકવાર હાથ બોળ્યો, એમાં બીજીવાર કદી બોળી શકાય નહીં એ જ રીતે સમયની એની એ ક્ષણ બીજીવાર કદી શ્વાસમાં ભરી શકાય નહીં. દિવસ આથમે અને રાત ઊગે એ વચ્ચેના સંધિકાળ-સંધ્યા- માટે મનુષ્યમનને કાયમ અદમ્ય ખેંચાણ રહ્યું છે. સાંજના રંગો માત્ર આકાશમાં જ નથી ભરાતા, આપણી અંદર પણ ભરાતા હોય છે ને એટલે જ આથમતી સાંજના ઓળાની કાલિમા પણ આપણા લોહીમાં આત્મસાત થતી રહે છે. માર્ગારેટ એટવૂડ કહે છે, ‘…અને સાંજ એટલી સુંદર હતી, કે એણે મારા હૃદયમાં દર્દ જન્માવ્યું.’ પણ આ જ સાંજ લૌકિકમાંથી અલૌકિક તરફ જવાનો સમય પણ છે. કહે છે કે પૃથ્વી પરનો સૂર્યાસ્ત જ અગોચર સૃષ્ટિ માટેનો સૂર્યોદય છે. આ સમયે જ માનવમન મહત્તમ અને ગહનતમ શાંતિ અનુભવી શકે છે. સાંજ મનુષ્યને પ્રકૃતિ અને એ રીતે થઈને ઈશ્વરની વધુ નજીક લઈ આવે છે. સાંજનો સમય જાતની જાતરા કરવાનો અને સ્વયંથી પરિપૂર્ણ થવાનો સમય છે. ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ એની ‘સમગ્ર’ કવિતામાં સાંજના આવા રંગો જ ઉજાગર કરે છે.

ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન. ૧૦-૦૯-૧૮૬રના રોજ મેક્સિકોમાં જાલિસ્કોના લાગોસ ડિ મોરેનો ખાતે જન્મ. ૧૯૪૫માં નિધન. મેક્સિકોના ઉત્તમ કવિઓમાંના એક. સાહિત્ય, સ્પેનિશ અને ફ્રેન્ચના પ્રોફેસર પણ. ગિટાર પણ વગાડતા. ફાર્માસિસ્ટ હતા. એમની ફાર્મસી સાહિત્યગોષ્ઠીઓનો અખાડો હતી. ધંધાના સમયે દુકાનના દરવાજા બંધ થઈ જતા અને કવિતાના ખુલી જતા. સરસ્વતી સાથેના લગાવના કારણે લક્ષ્મી કાયમ રિસાયેલાં રહ્યાં. આજીવન અજાતશત્રુ. સ્ત્રીઓના ખાસ મિત્ર. દેશભરમાંથી અત્તરભર્યા કાગળ આવતા. એ કહેતા કે સ્ત્રીઓ સિવાય મને કોઈ પૂરું સમજી શક્યું નથી. એમની કવિતાઓમાં શાંત વાતાવરણની ભીતરી અનુભૂતિનો મૌન પડઘો સંભળાય છે. અધ્યાત્મ અને રહસ્યાનુભૂતિ એમની કવિતામાં અવારનવાર તરંગાય છે. સહજ સરળતા, પુનરાવર્તન અને પુનરોક્તિ, સંવેદનની મૌલિકતા, લયાન્વિત ગતિ અને સમષ્ટિ તરફનો પ્રેમ એમની કવિતાઓને અલગ તારે છે.

મૂળ સ્પેનિશ કવિતાનું શીર્ષક Íntegro છે જેનો અર્થ પૂર્ણ થાય છે જ્યારે બેકેટે અંગ્રેજી અનુવાદનું શીર્ષક Hours અર્થાત્ કલાકો આપ્યું છે. કવિતાનો કેન્દ્રસ્થ વિચાર સાંજ, સંપૂર્ણ શાંતિ અને શ્વસાતી સમગ્ર ચુપકી સાથે વધુ સુસંગત હોવાથી ગુજરાતી અનુવાદનું શીર્ષક ‘સમગ્ર’ જ રાખ્યું છે. મૂળ કવિતામાં પ્રાસવ્યવસ્થા પણ છે પરંતુ છએ છ અંતરાની પંક્તિસંખ્યાની જેમ જ પ્રાસ અનિયમિત છે. કદાચ એકથી વધુ સાંજોની અહીં વાત છે અને કોઈ બે સાંજ એકસરખી હોતી નથી એટલે કવિ બધા અંતરાની પંક્તિસંખ્યા અને પ્રાસ અનિયમિત રાખીને ચાલ્યા હોય એવું પણ બને. ફ્રાન્સિસ્કો કવિતાની શરૂઆતમાં ‘બિએટિટ્યુડ’ શબ્દ વાપરે છે. ખ્રિસ્તી લોકો આ શબ્દથી વાકેફ હોવાના. ઈસુ ખ્રિસ્ત પર્વત પર જે ધર્મોપદેશ (સર્મન) આપે છે, જે દરેકની શરૂઆત ‘blessed are…’ (ધન્ય છે…)થી થાય છે એને માટે બિએટિટ્યુડ શબ્દ વપરાય છે જેનો શાબ્દિક અર્થ દિવ્યાનંદ કે પરમ સુખ થાય છે. લેટિન beatitudinem (આશીર્વાદની અવસ્થા) પરથી ૧૫મી સદીના પ્રારંભમાં ફ્રેન્ચ ભાષામાં અને એમાંથી અંગ્રેજી ભાષામાં આ શબ્દ ઊતરી આવ્યો છે. એની સાથે જ કવિ ‘ક્વાયેટ્યુડ’નો પ્રાસ મેળવે છે જે પણ લેટિન quietudoમાંથી ફ્રેન્ચ ભાષામાં થઈને અંગ્રેજીમાં ઊતરી આવ્યો છે.

કવિતાના છએ છ અંતરા ‘સંધ્યાઓ’ શબ્દથી શરૂ થાય છે. સાંજ કદાચ દિવસનો સૌથી રૂપાળો હિસ્સો છે. આમ તો સૂર્યોદય પણ સોહામણો હોય છે પણ મનુષ્યનું સૂર્યોદય સાથેનું જોડાણ કવચિત્ જ હોય છે. દુનિયાના કોઈપણ હિલ સ્ટેશન પર જાવ, સૂર્યોદય કરતાં સૂર્યાસ્ત જોવા જ લોકો ટોળેબંધ ભેગા થાય છે. દિવસભર તાપ વરસાવીને સૂરજ જ્યારે અસ્તાચળે જાય છે, પશ્ચિમનું આકાશ પીળા-કેસરી-લાલ રંગની આભાથી રળિયામણું બની જાય છે. ગમે એટલી મનમોહક કેમ ન હોય, સાંજ હંમેશા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં આથમી જાય છે. સાંજ એના રંગ જેમ જેમ ઊતારતી જાય છે, અંધકારની કાલિમા પથરાતી જાય છે. સાંજ રાતનું અંધારું આંગળીએ પકડીને લાવે છે ને એટલે જ ઢળતી સાંજ આપણા મનને એક અકથ્ય ગ્લાનિથી ભરી દે છે. સાંજ ઢળે ત્યારે મન અકારણ ઉદાસ થઈ જતું આપણે અનુભવીએ છીએ. જગતભરના કવિઓએ સાંજની ઉદાસીની વાતો કરી છે. ફ્રાન્સિસ્કો પોતે એક કવિતામાં કહે છે: ‘અંધારું! એ સુંદર છે કેમકે એ ઉદાસ છે.’ તો બીજી કવિતામાં એ સાંજના ગુણ આ રીતે ગાય છે: ‘ભલે સવાર ચમકીલી છે, એનામાં પરિત્યક્ત જેલ જેવું કંઈક છે.’

અહીં કવિ સાંજને બહુવચનમાં સંબોધે છે અર્થાત્ આ વાત કોઈ એક દિવસ કે કેટલાક દિવસોની નહીં રહેતા, રોજેરોજની, હંમેશની બની રહે છે. શબ્દની પાસે કેવી કમાલ છે, નહીં!? સાંજ અને સાંજો – એકવચનનું બહુવચન કરતાંકમાં તો આખી કવિતાનો સંદર્ભ જ બદલાઈ જાય છે. આ સાંજો દિવ્યાનંદની સાંજો છે. કવિને ‘બિએટિટ્યુડ’નો બીજો અર્થ ઈસુના ગિરિપ્રવચનો પણ કદાચ અભિપ્રેત છે જ. એટલે આ સાંજો ધર્મોપદેશની, અર્થાત્ આત્મા અને પરમાત્મા વચ્ચે સાયુજ્ય સ્થાપવા માટેની મથામણની સાંજો છે ને એટલે જ એ દિવ્યાનંદની પણ છે. અંતર આનંદથી ઊભરાતું હોય ત્યારે બાહ્ય બંધનો ક્યારે છૂટી-તૂટી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. પુસ્તકો પણ ભૂલી જવાયાં છે કેમકે ગાઢ પ્રશાંતિમાં વીંટળાયેલો આત્મા પરમાત્મામાં ઓગળી રહ્યો છે. ઝેન પંથની વિચારધારા Void in to void અને nothingness યાદ આવે. ફ્રેડરિક નિત્શેએ કહ્યું હતું, ‘એ સાંજ જ છે જે મને આ રીતે અંદરથી સવાલ પૂછે છે.’ સાંજ બધું છોડતા જવાનો સમય છે. દિવસભર ઘર છોડીને દાણો શોધવા ગયેલાં પંખીઓ પણ સાંજે ઘરે પાછાં ફરે છે. સાંજનો સમય જાતની જાતરાનો સમય છે. સાંજ તમને કહે છે કે બહુ થયું, આખો દિવસ તમે દુનિયામાં બહુ ભટ્ક્યા, હવે સ્વયં ભણી પાછા વળો. છવ્વીસસો વર્ષ પહેલાં સેફો પણ આજ રીતે સાંજના ગુણગાન ગાઈ ગઈ: ‘એ બધી વસ્તુઓ, જે સવાર એની સોનેરી આંગળીઓથી વિખેરી નાંખે છે, એ બધી જ વસ્તુઓ, હે સાંજ! તું આખરે પાછી લઈ આવે છે.’

વર્ડ્સવર્થ શાંત અને મુક્ત સૌંદર્યાન્વિત સાંજના પવિત્ર સમયને પ્રશંસામાં શ્વાસહીન થઈ ગયેલી સાધ્વી (નન) જેટલો નીરવ ગણાવે છે. અહીં પણ શાંતિની ચરમસીમાની વાત છે. દિવસ અને રાતના આ સંધિકાળે બધા જ પ્રકારના અવાજો પણ સૂઈ ગયા છે. નાનામાં નાની વસ્તુ પણ એનેસ્થેશિયા આપીને બેહોશ કરવામાં આવી હોય એવી સમાધિઅવસ્થાની આ વાત છે. બાગના ફૂલો પણ ખુશબૂ રેલાવવું ભૂલી ગયાં હોય એમ મૂર્છિત છે. જ્યારે આપણી તમામ સંવેદનાઓ બેહોશ થઈ જાય છે ત્યારે જ ચેતના જાગે છે. ઈસુના ૨૦૦ વર્ષ પહેલાં અને ઈસુ પછીના સો વર્ષ સુધી રહસ્યવાદી સિદ્ધાંત અને સંન્યસ્ત જીવનમાં વિશ્વાસ રાખનાર યહૂદીઓના એક સંપ્રદાય એસેન (Essene) દુનિયાનો કદાચ એકમાત્ર સંપ્રદાય છે જે કહે છે, ઈશ્વર એટલે પૂર્ણતયા અંધકાર. ઓશો એસેનપંથીઓ સાથે સહમત થતા કહે છે, ‘પ્રકાશ આવે અને જાય છે, અંધારું કાયમ રહે છે. અંધારા માટે કશું ઊગતું નથી – એ છે જ.’ જો કે કુરાન, બાઇબલ, ઉપનિષદ વગેરેમાં ઈશ્વરને પ્રકાશ ગણવામાં આવ્યો છે. ઈશ્વરને આપણે પ્રકાશ સાથે અને મૃત્યુને અંધકાર સાથે સાંકળી લીધું છે કેમકે આપણે અંધકાર અને મૃત્યુ-બંનેથી ડરીએ છીએ. હકીકત એ છે કે પ્રકાશ મર્યાદિત છે, અંધારું અમર્યાદિત છે, અનંત છે. અજવાળું બધાને અલગ કરી નાંખે છે જ્યારે અંધારામાં બધા જ ભેદભાવ ઓગળી જાય છે. અંધારું એકત્વનો રંગ છે. બધા જ રંગ ભેગા થઈ જાય ત્યારે કાળો રંગ બને છે. જ્યારે બધા જ અવાજો, બધી જ ગતિવિધિ સાંજના ઓળામાં ખોવાઈ જાય અને સંપૂર્ણ નિઃસ્તબ્ધતા અને નીરવતાનું સામ્રાજ્ય જ પ્રવર્તી રહે છે ત્યારે જ મનુષ્યના આંતર્ચક્ષુ ઊઘડી શકે છે અને આપણે આપણી ભીતર જોઈ-જઈ શકીએ છીએ. સાંજ આપણને આ રીતે આપણી નજીક લાવે છે, માટે સાંજની ઉદાસી આપણને પોતીકી લાગે છે.

સમીસાંજે છાંયો વધુ ઘેરો લાગે છે અને વેરાન મકાન વધુ વેરાન લાગે છે. એક હાઇલાઇટર ફેરવીને સાંજ બધી જાતની નિષ્ક્રિયતાને વધુ સક્રિય બનાવે છે. સ્થિતિ જ ગતિ બની રહે છે. ઘરના ફર્નિચરનો જરા અમથો કિચૂડાટ પણ બેતુકી કર્કશતા અને અવાજની અપવિત્રતાના અતિક્રમણથી અક્ષુણ્ણ નીરવતાને પ્રદૂષિત કરતો લાગે છે. એક સંગીતકારે મને કહ્યું હતું કે એને ત્યાંના સાઉન્ડપ્રુફ કમરામાં મોટા ભાગના લોકો લાંબો સમય બેસી શકતાં નથી. કારણ? નીરવતા. જ્યારે માણસ બધા જ અવાજથી વેગળો પડી જાય છે ત્યારે એને એના શ્વાસનો, એના હૃદયનો અને એના વિચારનો અવાજ પણ સંભળાય છે. કેમકે આ અવાજથી માણસ કદી પરિચિત થયો જ નથી, એ છળી મરે છે. આદિલ મન્સૂરી કહે છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

– અહીં આપણે એકાંતના સ્થાને અંધારું અને નીરવતા –બંનેને મૂકી શકીએ. જે અવાજની ગેરહાજરીમાં પોતાની જાતને સાંભળી-સંભાળી શકે છે એ ઈશ્વરની સૌથી નજીક પહોંચી શકે છે.

ફ્રાન્સિસ્કો કહે છે, આ એવો સમય છે જ્યારે મકાનનો દરવાજો ચસોચસ ભીડાયેલો છે પણ આત્માનો ઊઘડી ગયેલો જણાય છે. દુન્યવી વ્યસ્તતાને ભોગળ ન દઈ દઈએ ત્યાં સુધી જાત સાથે ‘કનેક્ટ’ થવાતું નથી. અંધારું ન થાય ત્યાં સુધી તારા ચમકતા દેખાતા નથી. શેક્સપિઅર ‘મેક્બેથ’માં કહે છે: ‘અંધારાનાં સાધનો આપણને સત્ય કહે છે.’ અને ‘કીંગ લિઅર’માં કહે છે: ‘અંધારાનો રાજકુમાર સદગૃહસ્થ છે.’ એડિથ પિઆફ મજાની વાત કરે છે: ‘જ્યારે સાંજ આથમે છે, મારો સૂર્ય મારી સાથે બળી જાય છે. આ બિંદુએથી જ હું સાફ જોવું શરૂ કરું છું.’ દિવસના અજવાળામાં જે વસ્તુઓ આપણને પોતાની ચમકથી આંધળા બનાવી દે છે, એનું સત્ય સાંજના ઓછાયાઓના ચશ્માં પહેરીએ ત્યારે જ સાફ નજરે ચડે છે. એટલે જ કવિઓ અંધારાના ગુણગાન ગાતાં આવ્યાં છે.

દેવળના મિનારા પરના પવનદિશાસૂચક યંત્રની સ્થિર પાંખ પણ સ્તબ્ધ થઈ ગઈ હોય એમ હવાના અભાવમાં બિલકુલ ફરતી નથી. અત્તરની સુગંધ ઘ્રાણેન્દ્રિયને સરાબોળ તરબતર કરી દે એવી જ રીતે સંપૂર્ણ ચુપકીદી શ્વાસમાં થઈને ઠે…ઠ ભીતર ઊતરી જાય છે… ‘અ થાઉઝન્ડ્સ ફ્લેમિંગોઝ’માં સનોબર ખાન લખે છે: ‘તારો મારા માટેનો પ્રેમ શાંત બારીમાં થઈને વહી આવતી સાંજના સમુદ્રની ખુશબૂ જેવો બની રહો, જેથી મારે ન દોડવું પડે, ન પીછો કરવો પડે… તને અનુભવવા માટે. મારે ફક્ત શ્વાસ લેવાનો જ રહેશે.’ તમારી ચારેતરફ કશું જ ગતિમાન ન હોય, કશું જ પ્રકાશિત ન હોય, કશું જ શોરબકોર મચાવતું ન હોય એવી સંપૂર્ણ શાંતિને જ્યારે આપણે શ્વસતાં આવડી જાય ત્યારે જેમ હવામાંથી પ્રાણવાયુ એમ આ ચુપકીદીમાંથી સમાધિ આપણા રક્તકણોમાં ભળે છે. પ્રકાશ, અવાજ અને હોવાપણાની સદંતર ગેરહાજરીમાં જ ઈશ્વરની હાજરી છે. સાંજ, શાંતિ અને સમાધિનું આ ચિત્ર જીવનની સમગ્રતાનું સંપૂર્ણ ચિત્ર છે એટલે જ કવિએ કવિતાને ‘સમગ્ર’ શીર્ષક આપ્યું છે.

4 replies on “ગ્લૉબલ કવિતા: ૬૬: સમગ્ર – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન”

  1. Khub saras….. Sanjni udasi gheri bani dardna padchhaya vadhare ghera bane.. Chhe…..kya bat hai….. સાંજે એ કદાચ suryana patanni udasi chhe….. એટલે અંધારનું બીજ shashvat chhe… Surya એ ugavu pade chhe… Pan અંધાકાર to shashvat chhe.. વાહ.. Vivekbhai… Khub sarad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *