Category Archives: વિનોદ જોષી

માધવ ! તુ બેઠો દેવા તો -સુન્દરમ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

માધવ ! તુ બેઠો દેવા તો
અમને લેવામાં શી આણ?
તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન

કં‘ઇ અઢળક જયોત ગગનની,
આ તમતુલના કંઇ ખગની,
કંઇ ગુપ્ત પ્રજળતી લગની,
તવ રાસ ચગે રળિયાત..માધવ

આ જમુના જળને ઘાટે,
આ વૃંદાવનની વાટે,
શું નિર્મિત હશે લલાટે
તારી મધુર અધરની આણ..માધવ
-સુન્દરમ

વાંકી રે કેડી ને વાંકી મોજડી – વિનોદ જોશી

કવિ : વિનોદ જોશી
સ્વરકાર : અમર ભટ્ટ
ગાયક : હિમાલી વ્યાસ-નાયક

.

વાંકી રે કેડી ને વાંકી મોજડી…
વાંકી રે પગલાંની આ વણઝાર હો, પિયુજી …

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વિંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા,
કાંઠે રે એકલડી હું ભેંકાર હો, પિયુજી …

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરુ પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં,
સૂના રે કાંઈ જીત્યાના ભણકાર હો, પિયુજી …

અટકળનાં ઝળઝિળયાં ઝિલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઑરતા,
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો પિયુજી …
– વિનોદ જોશી

ડાળ તૂટીને – વિનોદ જોશી

મારાં ઘરે ગુજરાતી સુગમ સંગીતની કેસેટ હતી જેમાં મેં આ ગીત સાંભળેલું છે,મને યાદ છે ત્યાં સુધી આરતી મુન્શી નો અવાજ છે અને શ્યામલ સૌમિલનું સ્વરાંકન છે.મને આ ગીત ખુબ ગમે છે,એમાં કેટલી સુંદર સંવેદના ઝીલાઈ છે.એ સ્વરાંકન તો જયારે મળશે ત્યારે મૂકીશ પણ કવિના અવાજમાં એનું પઠન પણ એટલું જ સુંદર લાગે છે,જે અહીં મુકું છું.

પઠન:વિનોદ જોશી

.

ડાળ તૂટી ને ઝાડ એક રોયું
પછી કૂંપળ ફૂટી ને પછી પાંદડું થયું ને પછી
પાંદડે હસીને એને જોયું…

જોત રે જોતામાં ઝીણો છાંયડો ખર્યો ને
એણે માંડી કલરવની ભીની વાતું,
પરબારું પાલખીમાં હોંકારા દઈને આભ
અડખેપડખેથી સરી જાતું,

ઘડી તડકાને ઓઢી ઘડી પડછાયે પોઢી પછી
ખળખળતું ભાન એણે ખોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…

એકલી હવા ને જરા ઊભી રાખીને એનું
સરનામું ખાનગીમાં પૂછ્યું,
શરમાતું એક પાંદ પડખું ફર્યું ને એણે
ઝાકળનાં ઝૂમખાંને લૂછ્યું.

જરી ભણકારા વીંટયા જરી પગરવને લીંપ્યા પછી
ટહુકે ટહુકેથી એને ટોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…
-વિનોદ જોશી

ગ્લૉબલ કવિતા : ૧૩૧ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૨

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’નો આપણે ગતાંકમાં પરિચય મેળવ્યો. હવે આગળ… )

સૈરન્ધ્રી તો નિમિત્ત છે. એ તો દેખીતી વાર્તાનું દેખીતું સ્તર છે. એ બહાને કવિ પરકાયાપ્રવેશ કરીને સ્ત્રીઓના મનોજગતનો તાગ મેળવવા મથે છે અને એ મથામણ આપણા સહુ સુધી પહોંચાડે છે. કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદી યુગસ્ત્રી હતી. એના વિના મહાભારત શક્ય જ નહોતું. જો કે દ્રૌપદી કવિનો હેતુ નથી. એમને તો એના ભાતીગળ જીવનમાંથી એક વરસ જેટલી નાનકડી સ્લાઇસ –સૈરન્ધ્રી- જ આપણને ચખાડવામાં જ રસ છે. એના બહાને એક સ્તર તેઓ નારીગત સંવેદનોથી આપણને અવગત કરાવે છે તો બીજી તરફ આપણી લુપ્ત થઈ ગયેલી ઓળખની પીડા અને એ પરત પામવા માટેની આપણા સહુના આજીવન મહાભારત સાથે એ આપણી ઓળખાણ કરાવે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ. સહુ પોતપોતાની ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આપણી જાતના ખોવાઈ જવાના કારણો અને નિવારણોના પૃથક્કરણની મહાગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતમાં જે નથી એ આ ‘સૈરન્ધ્રી’માં છે. સ્વયંવર ટાણે આ સ્ત્રી કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. કર્ણનો દેખાવ જ એવો છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી!’ એના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ પણ ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવે છે અને કુંતી દરવાજા ખોલ્યા વિના જ ‘વહેંચી લો સમભાગ’ કહી દે છે. પાંડવો માટે આ સ્ત્રી એક ‘વસ્તુ’ જ હતી, મનુષ્ય નહીં. જો દ્રૌપદીને પાંડવોએ મનુષ્ય ગણી હોત તો દુર્યોધન કે દુઃશાસન એને સભામધ્યે ખેંચી લાવી શક્યા જ ન હોત અને કીચક એને લૂંટવાની ચેષ્ટા જ ન કરી શક્યો હોત. પાંડવોએ તો દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ આ વસ્તુને તો રોજની આ ચિંતા છે કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ એ એના મનમાં સ્પષ્ટ છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા હતા, વિનોદ જોશી ત્યાંથી આપણને આગળ લઈ જાય છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે.

દ્રૌપદી પણ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને સહુની ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો હતો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂત રમીને વિના વિચાર્યે બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે એણે પતિઓનો નિર્ણય માથે લીધો અને પટરાણી હોવા છતાં તેર વરસથી એ તકલીફોના જંગલમાં ભટકી રહી છે, પણ સ્ત્રીભાવે એ ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડી આપનાર તરીકે ક્ષમા આપી શકે એમ નથી. જે પતિઓ પોતાને દાસીરૂપે જુએ છે અને લજ્જાતા પણ નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવી રહી છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરી રહ્યો છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’.

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

સૈરન્ધ્રી’ વિનોદ જોશીની ગીતા છે. વાર્તાની વચ્ચેના ખાલીપામાં એ જે કહી રહી છે, એ સરવા કાને સાંભળી શકીએ તો નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને જે ઘડીએ માણસ પોતાના નિજત્વને સાચા અર્થમાં પામી લે છે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને છે. પણ કમળપત્ર પરથી પાણી, એમ દુનિયા પાસેથી લીધેલા તમામ લેબલ ખેરવવા અનિવાર્ય છે. સૈરન્ધ્રી જે ઘડી મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ ઘડીએ એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બને છે અને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ કીચકના મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો એવો ઘા કરે છે કે કીચક નામના ‘પડછાયાનો અંત’ આવે છે, અને એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બહારની તમામ ગણતરીઓ ભૂંસી દઈને માણસ એની ભીતરના અજવાળાંને જ્યારે ધારણે કરે છે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ એકાધિક રૂપોનો બોજ લઈને જીવતો જ હોય છે અને આ બધાં રૂપ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં હોય છે. પણ સીધીસાદી વાત એ છે કે બધા પરસ્પર સંવાદમાં હોય જ છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખ્યે છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ પોતપોતાના મંતવ્યોમાં જ રત રહે છે.

કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને બેડી બાંધી કેદ કરવામાં આવે છે. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજી ગઈ છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો.’ એ જાણી ગઈ છે કે, ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ પાથરી દીધો હતો. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ડુંગળીના પડળની જેમ જિંદગીના એક પછી એક પડ ઉવેખતા જઈ ભીતરના અર્ક સાથે આપણને સતત મુખોમુખ કરતા રહે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જોઈ રહ્યા છે. પાંડવો તો હજી પણ દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય. પત્નીના રક્ષણની ચિંતા થવાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. માણસ પોતાની ઓળખ જતી કરીને સ્વાંગ ધારે છે ત્યારે એ ‘નરવી નિજતા ખોઈ’ બેસે છે. દ્રૌપદીને સામે આવેલ અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડી બેસે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાને આગ લગાડવામાં આવે છે પણ જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘હતી જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

સૂર્ય પૂર્ણ કળાએ એમ તપી રહ્યો હતો, જાણે ચારે દિશાઓમાં આગ લાગી હોય. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ હતી અને આકાશ નિરાધાર હતું એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું છે. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી છે કે સૂર્ય કદી આથમી જ નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને તાગવાનો છે. એક પુરુષે પાંચેક હજાર વર્ષ પહેલાંની ઘટનાઓને સામેથી જોઈને આલેખી હતી, અને એક બીજો પુરુષ પાંચેક હજાર વર્ષ બાદ એ ઘટનાઓમાંની એકાદની ભીતર જઈને ઘટના કરતાંય પાત્રોના મનોભાવને આલેખવાનો પુરુષાર્થ કરે છે. બંનેમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ નખશીખ આસ્વાદ્ય છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૦ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૧

ગઈકાલ અને આજ. બંને જાણે આકાશ અને ધરતી. એક-મેક સાથે કદી ભેટો થાય જ નહીં. વીતી ગયેલી ક્ષણ અને અત્યારની ક્ષણ કદી એકમેકને રૂબરૂ થઈ ન શકે. વિગત અને અનાગતની વચ્ચેની પળમાં આપણે સૌ શ્વસતાં હોવા છતાં વિગત કે અનાગત-બંનેથી આપણે કેડો છોડાવી શકતાં નથી. ભૂતકાળના રોમાંચથી વર્તમાનની ભીંતો કોણ નથી ઘોળતું, કહો તો! અનિલ ચાવડા ભલે એમ કહે કે, ‘ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં, કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું,’ પણ આપણું મન હંમેશા ગઈકાલના ઓરડામાં ઘૂસ મારવા આતુર જ હોય છે. ભૂતકાળનો વર્તમાન ગમે એટલો રક્તરંજિત કે શરમજનક કેમ ન હોય, વર્તમાન એના ભૂતકાળને હંમેશા સોનેરી પાને મઢવા મથે છે. ઇતિહાસ તો સારું-માઠું બંનેને આલેખે જ છે, પણ માનવમન હંમેશા સારું જોવા ને યાદ રાખવા ચહે છે. વીતી ગયેલી પળોનું વર્તમાન સાથેનું અનુસંધાન સાહિત્યકારો પરાપૂર્વથી કરતા આવ્યા છે. લગભગ પાંચેક હજાર વર્ષ પૂર્વે વેદ વ્યાસે રચેલ મહાભારત નામનું મહાકાવ્ય પણ જેમ સુહાગરાતે નવોઢા પતિને એમ સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યું છે. વિનોદ જોશીનું ‘સૈરન્ધ્રી’ પણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.

વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ અમરેલી જિલાના ભોરીંગડા ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ પંચાયતમંત્રી અને સંસ્કૃતના ખાં હતા. વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષા એમની દેન. પણ લોકગીતોની તળ ભાષાના સંસ્કાર માતા લીલાવતીબેનના કારણે લોહીમાં ભળ્યા. ગામડાની શાળાના પાંચમા-છઠ્ઠા ધોરણના આ વિદ્યાર્થીને બાળપણથી જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું: ‘પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.’ તળપદા ગીતોમાં પ્રયોજાતા ‘રે’ની હાજરી ધ્યાનાર્હ છે. દસમા-અગિયારમા ધોરણમાં તો સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ કરવું પણ આદરી દીધું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. ગ્રામ્યજીવનમાંથી એમના જ શબ્દોમાં તેઓ ‘લોક અને શિષ્ટ બેઉના પાર વગરના પરચા’ પામ્યા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતી ભાષાના બીજી વારના કન્વીનર. વિમલ જોશી સાથેના લગ્નથી આદિત્ય નામે સંતાન. મોરારિબાપુની નિશ્રામાં શરૂ થયેલ અને વિશ્વભરના ગુજરાતીઓમાં અદકેરું અને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર અસ્મિતા પર્વના સર્વેસર્વાઓમાંના એક. હાલ, ભાવનગર ખાતે રહે છે.

કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના અલગ-અલગ પ્રકારોમાં કામ કરવાની એમને ફાવટ છે. ગીત એમનો પ્રધાન કાકુ. ખુદ કવિ પોતાને ‘બહુ ગવાયેલા તરીકે પંકાયો’ કહી ઓળખાવે છે. પણ સૉનેટમાંય કવિ આગવો અવાજ જાળવીને પાણીમાં હંસ વિચરે એમ વિહરી શકે છે. ગુજરાતી સાહિત્યના અમર વારસાને આજની પેઢી સાથે જોડવાનું જે ભગીરથ કાર્ય તેઓ પોતાની જવાબદારી સમજીને કરે છે, એ ભાગ્યે જ કોઈ આધુનિક કવિએ કર્યું કે કરી રહ્યા હશે. ‘તુણ્ડિલતુણ્ડિકા’માં એ મધ્યયુગીન પદ્યવાર્તાનો નવોન્મેષ સાધે છે, તો ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં તેઓ પ્રબંધકાવ્યને આપણી વચ્ચે લઈ આવે છે. ‘મોરપિચ્છ’ નામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે. ગામઠી બોલીમાં સ્ત્રીઓના નાજુકતમ મનોભાવોને ખૂબ હળવે હાથે ઉઘાડવાની એમને હથોટી છે. તેઓ બહુધા સ્ત્રૈણ સંવેદનાના કવિ છે. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં પણ તેઓ મોખરાનું નામ છે. એમની કવિતાઓમાં સૌરાષ્ટ્રના ગામડાંઓ, રિવાજો, લોકો અને લોકબોલી સતત ધબકતાં જોવાં મળે છે. સુ.દ. એમની કવિતા વિશે કહે છે: ‘અહીં આપણને તળપદાં ગીતોનું એક નાનકડું તળાવ મળે છે. આ તળાવ “નિજમાં પરિતૃપ્ત” છે.’ મણિલાલ હ. પટેલ લખે છે: ‘લયની બાબતમાં વિનોદ એકાદ માત્રાની પણ ભાગ્યે જ છૂટ લે છે. કાવ્ય કરતી વેળા એ સહજ રીતે જ શબ્દના નાદધ્વનિને ભાવસંવેદનના સંદર્ભે ચકાસી લેતા લાગે છે. રાગીયતા અને લય, વર્ણયોજના અને પ્રાસાનુપ્રાસ તરફ પણ કવિ પૂરા સભાન રહે છે.’

સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. ‘પ્ર’ એટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને ‘બંધ’ એટલે બાંધણી. આમ, પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ એમ ગણી શકાય. ઐતિહાસિક વિષયવસ્તુ એના કેન્દ્રમાં છે. પ્રબંધમાં ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી કરીને કાવ્યસર્જન કરવામાં આવે છે. સંસ્કૃત મહાકાવ્યની નાની નકલ પણ એને ગણી શકાય. વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસો પણ પૂરતા સીંચાયેલા જોવા મળે છે. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં ‘રાસ’ અને ‘પ્રબંધ’ વચ્ચે પણ ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્ય સમય સૂરિ ‘વિમલ પ્રબંધ’માં પ્રારંભે ‘કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિ’ લખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને ‘રાસ’ કહે છે. પદ્મનાભના વિખ્યાત ‘કાન્હડદે પ્રબંધ’ (ઈ.સ. ૧૪૫૬) માટે ‘કાન્હડચરિત્ર’, ‘કાન્હડદેની ચુપઈ’, ‘કાન્હડદેનું પવાડઉ’ ‘શ્રી રાઉલ કાન્હડદે પાવડુ રાસ’ નામ પણ મળી આવે છે. પ્રબંધ જો કે ગદ્યમાં પણ મળી આવે છે, જેમ કે મેરૂતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણિ’ અને રાજશેખર સૂરિ રચિત ‘ચતુર્વિશતિ પ્રબંધ.’ ઈ.સ. ૧૧૮૫માં લખાયેલ શલીભદ્રસૂરિ લિખિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ને પ્રથમ પ્રબંધ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ઈ. સ. ૧૩૧૫માં અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ને પ્રથમ પ્રબંધ ગણાય છે.

શિખંડી’ની જેમ ‘સૈરન્ધ્રી’ને પણ મધ્યકાળ અને આજના ગુજરાતી સાહિત્ય વચ્ચે સેતુ બાંધવાનો ભગીરથ પ્રયાસ ગણી શકાય. શિખંડીમાં છંદવૈવિધ્ય શરૂથી જ ધ્યાન ખેંચે છે, જ્યારે ‘સૈરન્ધ્રી’માં વર્ષોથી અસ્મિતાપર્વના સમાપન પછીની સવારે તલગાજરડામાં થતા સુંદરકાંડના સમૂહપાઠના પ્રતાપે કવિચિત્તમાં વમળાયા કરતા ચોપાઈ અને દોહરા સામગ્રી બન્યા છે. કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના છે. એ પછી મુખ્ય કાવ્ય સાત સર્ગમાં વહેંચાયેલું છે. દરેક સર્ગમાં સાત ખંડ અને દરેક ખંડમાં આઠ ચોપાઈ અને બે દોહરા છે. આમ કુલ્લે પ્રાર્થનાની વીસ પંક્તિઓ સાથે કુલ ૧૭૮૪ પંક્તિઓનું આ દીર્ઘકાવ્ય છે. સમગ્ર કાવ્યમાં અ-અ-બ-બ, ક-ક-ડ-ડ પ્રમાણે ચુસ્ત પ્રાસ પ્રયોજાયા છે, સિવાયકે સર્ગ પ્રથમ, ખંડ પ્રથમ, જેમાં બીજી-ચોથી પંક્તિ વચ્ચે જ પ્રાસ મેળવાયા છે. બની શકે કે કવિતા લખવાની શરૂઆત કર્યા બાદ અચાનક કવિને ગઝલના મત્લાની જેમ બે પ્રાસ વચ્ચે અંતર રાખવાના બદલે વધુ ચુસ્ત અભિગમ વધુ માફક આવ્યો હોય. જે હોય તે, પણ આ પ્રકારની ચુસ્ત પ્રાસાવલીના કારણે કાવ્યસંગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. પંક્તિએ પંક્તિએ પાણીના રેલાની જેમ આવ્યા કરતી વર્ણસગાઈ આ સંગીતને ઓર અનુરણનાત્મક બનાવે છે: ‘અણજાણ, અકલ્પિત… અવગુંઠિત ઓળખ’, ‘વિસંગત વેશ’, ‘અજંપ અંતરના અંધારે અકળ (છુપાયા) અંત’, ‘મઘમઘ મંજુલ સ્વેદ સવાયા, નેત્ર નિમીલિત ઘેન ગભીરાં’, ‘ચંચળ ચપળા ચારુ ચકોરી’ વિ. આ સિવાય અવારનવાર જોવા મળતો અંતર્પ્રાસ સોનામાં સુગંધ જેવો અનુભવાય છે: ક્ષતવિક્ષત, નિજતા-નિજને, છાક-છલકશે, અનંગ-સંગ-અંગ-રંગ, સુભગ-સુવક્ષા વિ. ઝડપભેર ભૂંસાતા જતા સુચારુ સંસ્કૃત શબ્દો અને શબ્દાવલીઓ પંક્તિએ-પંક્તિએ વિપુલમાત્રામાં અને અત્યંત સાહજીકતાથી પ્રયોજીને કવિએ ગુજરાતી ભાષાને જે રીતે કામે લગાડી છે એ આજની તારીખે દુર્લભ છે. શબ્દકોશ સાક્ષાત કવિતાનો અવતાર લે ત્યારે ‘સૈરન્ધ્રી’ જન્મે છે. દોઢ દાયકા સુધી સૈરન્ધ્રીનું પાત્ર કવિની ભીતર ઘૂંટાતું રહ્યું પણ કોઈક કારણોસર મે-જુન, ૨૦૧૭થી ફેબ્રુઆરી, ૨૦૧૮ વચ્ચે એનું અવતરણ ભારતમાં નહીં, બે તબક્કામાં દીકરાને ત્યાં ઓસ્ટ્રેલિયામાં થયું. અલગ-અલગ સંસ્થાઓએ સિડનીથી લઈને ગુજરાતમાં આ રચનાને સંગીત-નૃત્યનાટિકા તરીકે ભજવ્યું પણ છે. કવિના નિવાસે સામેથી જઈ આ કાવ્યના પ્રથમ શ્રોતા બન્યા મોરારિબાપુ. તે પછી, અસંખ્ય શ્રોતાઓ સમક્ષ કવિમુખે આ કાવ્યના સળંગ સવા બે કલાકના પઠનના અત્યાર સુધીમાં બાવીસ જેટલા કાર્યક્રમ મુંબઈ અને ગુજરાતમાં થયા છે.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને અજ્ઞાતવાસ. કોઈ ઓળખી ન લે એ માટે પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદી ભીમના શરણે ગઈ. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં કીચકને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દ્રૌપદીને બચાવી લીધી. આ મૂળ કથા વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં જરા અલગ પ્રકારે આવે છે. કવિ ખુલાસો દેતા કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો’ના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે.

કાવ્યારંભે કવિ સરસ્વતીને પ્રાર્થના કરી કહે છે કે વીજળીઓ કાપીને કલમ બનાવી છે ને ગુમાનની પાઘડીઓ પડખે મૂકી દીધી છે. કવિને આખા કાગળનોય અભરખો નથી, એક ખાલી ખૂણાની અને વૈખરીએ બાઝેલ લૂણો દૂર થાય એટલી જ સ્પૃહા છે. પ્રાર્થના તો લાંબી છે પણ આટલી સભાન તૈયારી હોય તો જ સર્જન ઉમદા થઈ શકે. કવિએ પોતે ક્યાંક લખ્યું છે: ‘કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાના કારણે તે હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.’ આ કાવ્ય ‘સ્ત્રીને’ અર્પણ કરાયું છે પણ તે પાછળ ‘કોઈ સભાન નારીવાદી અભિગમ નથી’ એ કવિએ સ્પષ્ટ કર્યું હોવા છતાં કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે કવિની સૈરન્ધ્રી એ મહાભારતની દ્રૌપદી નથી, એક સ્ત્રી છે, જેના એકવિધ મનોભાવો પર કવિનો કેમેરા ઇતિહાસ કરતાં વધુ ફૉકસ થયો છે. શરૂઆત થાય છે:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. (૦૧-૦૧:૦૧)

શીર્ષક સાથે પરિચય હોવાથી ભાવક સમજી શકે છે કે આ યૌવના એટલે સૈરન્ધ્રી. ઓળખ ખોવાનું દુઃખ સૌથી મોટું હોય છે. માણસ આજીવન પોતાને શોધવા મથતો હોય છે, જ્યારે અહીં તો બળજબરી પોતાનો પરિચય લુપ્ત કરવાનો છે. એટલે સાંજ વિવશ છે. પાંખમાં રાતનું અંધારું લઈ આવતો સાંજનો સમય પોતે જ ઉદાસીનો દ્યોતક છે. આકાશ પણ આધાર વિનાનું છે. પવન ન માત્ર સ્પંદરહિત છે, એ પાંડવોની જેમ જ અજ્ઞાતવાસમાં છૂપાયેલ પણ છે. મૂઢ થઈ ગયેલ વ્યગ્ર ચિત્તે યૌવના મુખ નીચું કરીને ઊભી છે. માત્ર ચાર પંક્તિઓના લસરકાથી જ કવિ પાંડવોના અજ્ઞાતવાસને કેવો તાદૃશ કરે છે! કવિના જ શબ્દોમાં, ‘સહુ કોઈ નિજતાથી વિખૂટા પડેલા છે. આંતરબાહ્ય બંને વ્યક્તિત્વનો મેળ પાડી ન શકાય અને સમાધાન કરવા છતાં બંને પીડતાં જ રહે તેવી દયનીય વિભીષિકાથી સહુ કોઈ ગ્રસ્ત છે તેવા અકાટ્ય વાસ્તવની ભોંય પર આ કાવ્યનાં મંડાણ છે.’ ઓળખ ન હોવા કરતાં હોય એ ગુમાવીને જીવવું વધું કપરું છે. સૈરન્ધ્રી સમજે છે જે પોતે ‘હસ્તિનાપુરની મહારાણી, એ તો કેવળ ભાસ’ છે. એને સ્ત્રીસહજ પ્રશ્ન પણ થાય છે કે ‘મહારાણીપદની અધિકારી તો પણ અનુચર કેમ?’ હોવા કરતાં ન હોવાનું દુઃખ વધુ સનાતન હોય છે.

કવિ વિનોદ જોશી ગુજરાતી ભાષાના કાલિદાસ છે. પ્રકૃતિની સાથોસાથ સંભોગશૃંગાર એમની રસાળ કલમેથી સતત ગિરા ગુર્જરીને ભીંજવતો રહ્યો છે. અહીં પણ એ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી છતો થયો છે. સુદેષ્ણા અને વિરાટ રાજાની કામકેલિ એનું પ્રથમ દૃષ્ટાંત છે. રાણીનું અંતઃપુર અને અંતર બંને અલબેલા સોહી રહ્યાં છે. ‘સાંધ્ય સમય’ અંગે ઓઢીને કામ સુદેષ્ણા સાથે ક્રીડે છે. એ ‘રસસભર વિલાસી’ વિરાટ ‘પ્રતિપળ કરશે સંગ સુહાસી’ વિચારીને સૈરન્ધ્રીને પોતાને મિલનરાત્રિ માટે શૃંગાર કરવા આદેશ દે છે. સુદેષ્ણા ‘પુલકિત ગાત્ર થકી મન મોહે’ છે. એના ‘કુસુમિત અંગ’માં ‘સકંપ સલૂણા’ જાગે છે અને ‘કિસલયકૂણાં’ સ્પંદનો ધબકે છે ત્યારે વરણાગી સાંજ વિલીન થઈ જાય છે ને ‘મુદિત રાત મલકીને જાગી’ જાય છે. સંભોગવેળાએ સુદેષ્ણાએ ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું, ભાર્યારૂપ વિદારી નાંખ્યું’ છે. એણે સમજીને પોતાની રાણી તરીકેની ‘ઓળખ સકળ ફગાવી દીધી’ છે અને ‘માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ છે એટલે જ –

મલયજ મુકુરિત ઉષ્ણ પયોધર,
અધર કસુંબલ છીપ સહોદર;
અંગે અંગ લયાન્વિત ઝરણું,
સઘળું લાગ્યું સોનલવરણું. (૦૩-૦૩:૦૩)

રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ. (૦૩-૦૩:૦૪)

છાક છલકતા ઉત્સવવંતી’ સૈરન્ધ્રીનું ‘ચિત્ત વિચિત્રે વિચારે ચડતું’ દેખાય છે. સ્ત્રીસહજ એ પણ અનુભવે છે કે ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર, હું પણ પામું પુરુષ નિરંતર’. ‘સંગે પતિ પણ સંગ ન પામું’ અને ‘પાંચ પાંચ પતિ પણ એકાકી’થી વિકટ વેદના અવર કઈ હોઈ શકે? આભાસી પરિચય પહેરેલ આ ‘કેવળ દાસી’ પોતાને ‘પુરુષમાત્રની હું અધિકારી’ સમજતાં વિચારે છે:

ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી. (૦૧-૦૩:૦૬)

આવો અદભુત અને વિવેકપૂર્ણ સંભોગશૃંગાર આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે. સૈરન્ધ્રીના અપ્રતીમ સૌંદર્યને પણ કવિની કલમ અક્ષરોના ટાંચણાથી આકાર આપે છે. મણિલાલ પટેલે નોંધ્યું છે: ‘વિનોદ જોશીના ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી.’

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. કવિ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કીચકની શી વિસાત! તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’ એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે. એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને સૈરન્ધ્રીને થાય છે કે ‘સ્વતઃ કરી ભાર્યાથી છલના’ બૃહન્નલા બનેલ અર્જુન ‘મોહ્યો કંથ વિલોકી લલના.’ અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે.

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ વિશે વિગતવાર માહિતી આવતા અંકે…)

ગ્લૉબલ કવિતા : ૧૨૬ : ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

પઠન : વિનોદ જોષી
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિતાની ઓજસ્વિતાનું શિરમોર ચિત્ર

પ્રકૃતિ હરસ્વરૂપે ને હરસ્થળે જીવમાત્રને આકર્ષતી આવી છે. પણ દરિયાનું આકર્ષણ કદાચ સૌથી વધારે છે. ફરવા જવાના સ્થળોને ક્રમાંક આપીએ તો કદાચ વિશ્વભરમાં સમુદ્રકિનારાનો ક્રમ પહેલો આવે. દરિયાની રેતી, દરિયાના મોજાં, દરિયા પર લળુંબતું આકાશ અને ઊગતો કે આથમતો સૂર્ય –આ બધું વધતા-ઓછા અંશે એકસમાન હોવા છતાંય દરિયામાં કંઈક એવું તત્ત્વ છે જે સદી-સદીઓથી મનુષ્યજાતને સતત ખેંચતું આવ્યું છે. કદાચ દરિયાકિનારે રેતી, પાણી અને આકાશની ત્રિવિધ સ્તરે અનુભવાતી અનંતતા પ્રમુખ કારણ હોય. ‘દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું’ (અનિલ જોશી) કહી-કહીને પણ કવિઓ આદિકાળથી દરિયાનાં ગીત ગાતાં આવ્યાં છે. પ્રસ્તુત રચનામાં શ્રીધરાણીની કલમે ગુજરાતી કવિતાએ આ પહેલાં અને કદાચ બાદમાં પણ કદી ન જોયેલું દરિયાનું સૌંદર્ય આપણે માણવાનું છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૬-૯-૧૯૧૧ના રોજ ભાવનગરના ઉમરાળા ખાતે જન્મ. પિતા જેઠાલાલ નાગજીભાઈ. માતા લહેરીબેન. નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં જૂનાગઢ ખાતે મોસાળમાં ભણવા ગયા. નાની ઉંમરે જ ‘ટ્રેડિશનલ’ શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા. જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીથી જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું. બાળપણમાં ચિત્રકાર બનવાની મહેચ્છા હતી. પંદરેક વર્ષની વયે એમની કવિતા એમના શિક્ષક ગિરીશભાઈએ એમની જાણ બહાર બચુભાઈ રાવતને પૉસ્ટ કરી દીધી અને ‘કુમાર’માં એ છપાઈ ગઈ એ પછીથી એમને કવિ બનવાની ચાનક ચડી. ૧૯૨૯માં ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) ભણ્યા. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો. કરાડી જતાં ધરપકડ થઈ અને વારાફરતી સાબરમતી અને નાસિકમાં જેલવાસ પણ ભોગવ્યો. એમની ‘ઇન્સાન મિટા દૂંગા’ લઘુનવલ, ‘ઝબક જ્યોત’ નાટક છપાયેલ માસિક અને ‘સર્જકશ્રેષ્ઠ આંગળાં’ કાવ્ય અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં હતાં. ૧૯૩૧માં ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા. એમના જ શબ્દોમાં: ‘એ તો કવિસમ્રાટની રાજધાની અને પરીઓનો પ્રદેશ. વ્યવહારીઓ પણ બહેકી ઊઠે તો પછી કવિનું તો પૂછવું જ શું? કવિતાનો ધોધ ધસ્યો.’ ત્યાંથી ટાગોરની અને એક એમરિકન શિક્ષકની સલાહ માનીને ન્યૂયૉર્ક ભણવા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ., અને ત્યાંથી જ સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૬માં દિલ્હી, ભારત પરત ફર્યા અને પત્રકારિત્વ અપનાવ્યું. ૧૯૫૦માં સુંદરી (પદ્મશ્રી ૧૯૯૨) સાથે લગ્ન કર્યા, જેમણે દિલ્હીમાં પંડિત નહેરુએ ભેટ આપેલ અડધો એકર જમીનમાં ત્રિવેણી કલા સંગમની સ્થાપના કરી હતી. કવિતા અને અમર એમના સંતાન. ૨૩-૭-૧૯૬૦ના રોજ દિલ્હી ખાતે માત્ર ૪૯ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી નિધન.

કવિ, નાટ્યકાર, પત્રકાર શ્રીધરાણીની કાવ્યયાત્રા વિશિષ્ટ છે. આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડેલા જોઈ શકાય છે. પરદેશ જતા પહેલાના ‘પૂર્વ શ્રીધરાણી’ અને દોઢ દાયકાનો નખશિખ દેશવટો, ભાષાવટો અને કાવ્યવટો ભોગવી પરત ફરેલા ‘ઉત્તર શ્રીધરાણી’- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે. પૂર્વ શ્રીધરાણીની કવિતામાં પ્રકૃતિ, સૂક્ષ્મ માનવ સંવેદનો, પ્રણયોર્મિનો ઉદ્રેક, આઝાદી-ગાંધીજી-સામાજીક ચેતના વધુ જોવા મળે છે. ગાંધીજી ઉપરાંત ટાગોરની પણ એમની રચનાઓ પર ઊંડી છાપ જોવા મળે છે. ક્યાંક ન્હાનાલાલ અને કાન્ત પણ ડોકિયાં કરતાં દેખાય છે. આ બધું છતાં, શ્રીધરાણીની કવિતા મૌલિકતાની અને કાવ્યતત્ત્વની એરણ પર ઘણી ઊંચે સુધી પહોંચે છે. સમકાલીનો કરતાં વધુ શક્તિમંત, વધુ પ્રતિભાશાળી અને બધી રીતે નિઃશંકપણે બે ડગલાં આગળ હોવા છતાં કદાચ ગુજરાતના તખ્તેથી બાર વર્ષના વનવાસના કારણે એ યોગ્ય પોંખાયા જ નહીં. બાળકાવ્યો, નાટકો, કથાવાર્તાઓ ઉપરાંત ડઝનેક અંગ્રેજી પુસ્તકો એમણે આપ્યાં છે.

ખૂબ નાની વયથી એમની છંદોલય પરની હથોટી આશ્ચર્ય જન્માવે એવી સહજ અને સજ્જડ હતી. ચોપાઈ-સવૈયો એમના પ્રિય પણ છંદવૈવિધ્ય અને પ્રયોગો પણ ખાસ્સા નોંધપાત્ર છે. પરદેશથી પરત આવ્યા બાદ કવિતા સાથે એમનું જે પુનઃસંધાન થયું એ વિશે કવિ કહે છે: ‘કવિતાનાં એ અબોલડાં વરસ ચાલ્યાં. એ તૂટ્યા એટલે કવિતાદેવી ક્યારેક ક્યારેક આવે છે. પણ પહેલાંની જેમ ઓચિંતી ઊંઘમાંથી ઊઠાડી મૂકવા, બેબાકળો કરી મૂકવા; નવો થનગનાટ પેદા કરવા માટે નહીં. હવે આવે છે ત્યારે મોંઘેરા મહેમાન તરીકે, સોનાના અક્ષરે આમંત્રણપત્રિકા મેળવ્યા પછી.’ આ કવિતાઓમાં સ્વાભાવિકપણે પીઢ અને પરિપક્વ છે. એમાં વચ્ચેના વર્ષોના અનુભવો, ચિંતન, ગાંભીર્ય, અને કટાક્ષવૃત્તિ, પ્રગલ્ભ પ્રયોગશીલતા જોવા મળે છે. આ વર્ષોમાં એમના સમકાલીન કવિઓ ઘણા આગળ નીકળી ગયા હતા, એનો અહેસાસ એમની કવિતામાં પણ જોવા મળે છે:

ઊખડેલા નવ આંબા ઊગે!
ઘરે ઊગેલા આભે પૂગે!

માત્ર ત્રણ અક્ષર અને એક શબ્દનું ‘ભરતી’ શીર્ષક જ ભાવકની આંખ સામે ફૂલી રહેલી છાતીવાળા મહેરામણનું ચિત્ર ખડું કરી દે છે. આ સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની સંરચનાવાળું શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, પણ પ્રાસવ્યવસ્થા કવિએ AABB CCDD પ્રમાણે પોતાની અનુકૂળતા મુજબ કરી છે. બ. ક. ઠાકોરે શોધેલ પૃથ્વી છંદ કવિએ પ્રયોજ્યો છે પણ એ ખુદ ઠાકોરને પણ પાછળ મૂકી દે એટલો પ્રવાહી થયો છે. આ છંદમાં લઘુનું ગુરુત્વ –સત્તર અક્ષરોમાંથી દસ લઘુ- જોવા મળે છે, જેમાં બે વાર એક જ હરોળમાં ત્રણ લઘુ એકસાથે આવે છે. આ લઘુઓમાં કવિએ જે રીતે શબ્દવિન્યાસ કર્યો છે એ સાગરનાં મોજાંની આવ-જા અને ઘોડાંઓની ચાલના અવાજને ચાક્ષુષ કરે છે. દુરારાધ્ય દેવ ગણાતાં આકરા વિવેચક પ્રા. ઠાકોરે જાતે કહ્યું હતું: ‘શ્રીધરાણીની ઉત્તમ કૃતિઓની ભાષા અને કલા આપણને કોઈક રીતે સુંદરમ્ કે ઉમાશંકર કરતાં જુદી અને ચડિયાતી લાગે છે પણ તે શી રીતે, કયા ગુણે, તેનું નામ આપણે પાડી શકતા નથી.’ ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સૉનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સૉનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. માત્ર વીસ જ વર્ષની મુગ્ધ વયે ૧૦-૦૮-૧૯૩૧ના રોજ લખાયું હોવા છતાં આ સૉનેટ પાકટ વયના કવિઓના સમગ્ર સર્જન પર ભારે પડી શકે એવું આકર્ષણ ધરાવે છે. ‘શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ શેમાં રહેલું છે’ એનો જવાબ આપતાં ઉમાશંકર જોશી ત્રણ લક્ષણો જણાવે છે: ‘એક તો કમનીય રસોજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિય-ગ્રાહ્યતા (sensuousness), બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ.’ આ ત્રણેય ગુણ અહીં શબ્દશઃ ચરિતાર્થ થયેલ અનુભવી શકાય છે.

શીર્ષક વાંચીને સમુદ્રની ભરતીમાં ભીંજાવા તૈયાર થયેલો ભાવક કવિતા ખોલે છે તો પહેલી પંક્તિમાં દરિયાના મોજાંની જગ્યાએ એનો ભેટો ઘોડાઓ સાથે થાય છે ને તે પણ એક-બે નહીં, શત સહસ્ત્ર યાને એક લાખ ઘોડાઓ સાથે. હજારો-લાખો ઘોડા એકસાથે નીકળ્યા હોય ત્યારે કેવું અનનુભૂત દૃશ્ય રચાય! આ ઘોડા વળી અગમ્ય પ્રાંતમાંથી આવ્યા છે એવું કવિ જાહેર કરે છે એટલે સ્વાભાવિક જ આપણું કૌતુક બેવડાય છે. પણ બીજી જ પંક્તિમાં કવિ અફાટ સાગરને ચિત્રમાં સમાવી લઈને આપણા કૌતુકનું શીર્ષક સાથે અનુસંધાન કરી શામે છે. અફાટ સમુદ્રના અનંત મોજાંને કવિ અગમલોકમાંથી આવતા ઘોડાઓના ધાડાં કહે છે. અને ઘોડાઓ માટે પાણીપન્થાં સંજ્ઞા પ્રયોજે છે. પાણીપંથો એટલે પાણીના રેલાની જેમ ઉતાવળે ચાલનારો ઘોડો. ભરતીના સમયે દરિયાના પાણી ઊંચેને ઊંચે ઊછળીને જે રીતે કાંઠાને ધમરોળવા આગળ ધમમસી રહ્યાં હોય એને ઘોડાની અદમ્ય ચાલ સાથે સાંકળવા માટે અદમ પાણીપંથાથી વધુ ઉચિત શબ્દ બીજા કયા હોઈ શકે? બે જ પંક્તિમાં કવિ સમુદ્રના પાણીની અનંતતા, અગમ્યતા અને અદમ્યતા હૂબહૂ ચીતરી આપે છે. કવિ ઉપરાંત અચ્છા ચિત્રકાર હોવાનો આ ફાયદો. મોજાંનું ગર્જન જાણે ઘોડાઓની હણહણાટી છે, જે આકાશના ચંદરવાને, સમસ્ત જગતને અને સર્વ દિશાઓને જાણે કે ધ્રુજાવે છે. મોજાંની એકધારી ઊછળપડના કારણે દરિયામાં જે સફેદ ફીણ ઊડી રહ્યું છે એ જાણે કે ધરણી ધમરોળવા નીકળેલા તેજીલા તોખારોની હવામાં વિખરાતી-વિખરાતી કેશવાળી છે.

પ્રથમ ચતુષ્કમાં કવિએ જે ચિત્ર દોર્યું છે એમાં જ વધુ રંગો ભરીને કવિ એને હવે વધુ સભર બનાવે છે. તોફાને ચડેલ ઘોડો જે રીતે છાતીમાં ઊંડા શ્વાસ ભરીને, તૂટી જાય એ હદે ડોક પાછળની બાજુએ ખેંચીને આખું શરીર હવામાં ઊછાળી-ઊછાળીને વેગે ધમધમે છે એ જ રીતે ભરતીએ ચડેલ સમુદ્રના મોજાં આગળ આવી રહ્યા છે. ત્રિભંગ શબ્દપ્રયોગ સાથે પાર્શ્વભૂમાં ક્યાંક શ્રીકૃષ્ણની વાંસળી પણ આપણા કાનોને સંભળાય તો એ વિશેષ ઉપલબ્ધિ કેમકે શરીરને કમર, પેટ, ગરદન એમ ત્રણ જગ્યાએથી મરોડ આપીને એ વાંસળી વગાડતા, તેથી જ તેમનું નામ ત્રિભંગ-ત્રિભંગી પણ પડ્યું છે. પાણીદાર અશ્વો સમાન સાગરનાં મોજાં ક્ષિતિજને હાથતાળી દઈને, બધી દિશાઓ ખૂંદી વળીને કિનારે આવી રહ્યાં છે ત્યારે આ અશ્વોના ડાબલા થકી જે મહાઘોષ સર્જાય છે, એનો પ્રતિઘોષ આખા વિશ્વમાં થઈ રહ્યો છે. દરિયો ભરતીએ ચડે ત્યારે એનું સંગીત સૃષ્ટિ સમસ્તને એ રીતે તર કરી દે છે, કે બીજા કશાનો લેશ અવકાશેય રહેતો નથી.

વિકરાળ સ્થિર ભેખડો અને જગતના કારમા કાંઠાઓ પર આ અશ્વરૂપી મોજાં માથાં પછાડી રહ્યાં છે, પરિણામે જે ફીણ અને પાણીનાં છાંટાઓ ઊડે છે, એમાં કદાચ મેઘધનુષ્ય જન્મતું દેખાય છે અને મેઘધનુમાં દેખાતો લાલ રંગ જાણે કે ઘોડા માથું ખડકો પર જોરથી પછાડે ત્યારે ઊડતી લોહીની શીકરો જેવો લાગે છે. જાણે પોતાના માથાનું શ્રીફળ વધેરીને દરિયો કાંઠા અને કાંઠા પરના પથ્થરોના ઓવારણાં લે છે. આ અદભુત દૃશ્ય જોઈને સહજ પ્રશ્ન થાય છે કે હવે શું? શું આ અશ્વો જગત આખાને ત્સુનામી બનીને ખૂંદી વળશે? આભ અને ધરતી ભેગાં થઈ જાય એવો પ્રલય સર્જાશે? કે આકાશના પહોંચ બહારના અણસ્પર્શ્યા ગુંબજો ધડોધડ ખરીને નીચે પડશે? આ પ્રશ્નો અનુત્તર રહેવાને સર્જાયા છે. એ અનુત્તર રહે એમાં જ ખરી કવિતા છે. આ પ્રશ્નો એ અનુભૂતિના પ્રશ્નો છે. એ આપણા અનુભવને સઘન બનાવે છે. સાચું જ કહ્યું છે, આંખ એ જોઈ શકતી નથી, જે મન જાણતું નથી. (The eye cannot see what mind does not know.) કવિ આપણા મનને જે જોવાનું છે એનાથી માહિતગાર કરે છે, પરિણામે જે દૃશ્ય આપણે સેંકડોવાર જોઈ ચૂક્યાં છે, એ જ દૃશ્ય આજે આપણને આટલું powerful લાગે છે. આ કવિતા વાંચ્યા પછી જો ભરતીએ ચડેલા દરિયે જવાનું થાય તો એ દરિયો આજ સુધી જોયેલા તમામ દરિયાઓથી બિલકુલ અલગ જ લાગશે એટલું તો નક્કી જ છે.

આમ જોઈએ તો ત્રણેય ચતુષ્કમાં કવિ એક જ ચિત્ર અલગ-અલગ રંગોથી ભરી રહ્યા છે. પણ જે રીતે બાળક પાટી પર એકડો ઘૂંટી-ઘૂંટીને એને અવગણી ન શકાય એ રીતે વધુ ભરાવદાર અને ઘાટીલો બનાવે છે, બરાબર એ જ રીતે કવિ એક જ વાતને અલગ-અલગ રીતે રજૂ કરે છે. એક લીટીની કવિતા એ છે કે ભરતીના સમયે વેગ સાથે ઊછળતાં દરિયાનાં મોજાં ધસમસી આવતા ઘોડાઓના ટોળા જેવા લાગે છે. પણ આ એક લીટીની વાર્તાને કવિએ જે રીતે મલાવી-મલાવીને રજૂ કરી છે એ ભાગ્યે જ કોઈ બીજો કવિ કરી શક્યો હોત. પ્રથમ બાર પંક્તિમાં એક જ પ્રકૃતિચિત્રનું નિતાંત સૌંદર્ય રજૂ કર્યું છે પણ કવિતાની ખરી મજા એના અંદાજે-બયાંમાં છે. માત્ર કવિના સમગ્ર સર્જનની જ નહીં, ગુજરાતી ભાષાની સમસ્ત કવિતાઓમાં આ રચના શિરમોર થયેલી ગણવી જ પડે એમ છે એનું એકમત્ર કારણ સબળ અને અભૂતપૂર્વ કવિકર્મ છે. ઉત્તમ કવિ બનવાની અભિલાષા ધરાવતા તમામ કવિઓએ આ રચનાનો ઊંડો અભ્યાસ કરવો જ રહ્યો.

આખરી બે પંક્તિમાં સૉનેટ અણધાર્યો વળાંક લે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સૉનેટ અચાનક દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપે છે. કવિનો કેમેરા અચાનક ભરતીએ ચડેલા દરિયાના ઘોડાપૂર જેવા મોજાંઓ તરફથી તત્કાલીન ભારતની આઝાદીના જંગ તરફ ફરે છે. અને પ્રથમ બાર પંક્તિઓમાં જે દૃષ્ય આપણા મનોમસ્તિષ્ક પર દૃઢતાપૂર્વ અંકિત થઈ ચૂક્યું છે એની છાપ યથાવત્ રાખીને એના જ પરિપ્રેક્ષ્યમાં આપણે એક નવા જ ચિત્રના સાક્ષી બનીએ છીએ અને આ પરિવર્તન પણ પેલા અદમ ઘોડાઓ અને અનંત મોજાંઓના તીવ્ર વેગે જ થાય છે, પરિણામે કવિતામાં જે ગતિ અને ઉછાળ છે એ અક્ષત જળવાઈ રહે છે, બલકે વધુ બળવત્તર અનુભવાય છે. આને કવિની ખરી કમાલ પણ કહી શકાય. ગુલામ પણ આઝાદ થવા તલપાપડ ભારતીયોના ઉરમાં પણ આજે આવી જ વિરાટકાય ભરતી ચડી છે, દમન ન કરી શકાય એવો એમનો આત્મા પ્રબળતાથી કૂદી રહ્યો છે, અને દિશાઓ જીતી લેવા માટે જે કદમો આજે કૂચે ઊપડ્યાં છે એ રોકી શકવાનું કે પાછાં વાળી શકવાનું અંગ્રેજ સરકાર તો શું, કોઈ માઈબાપનું ગજું નથી. ભારતનો આઝાદીનો જંગ હવે અંગ્રેજસરકારના કાબૂ બહાર નીકળી ચૂક્યો છે એનું આ બુલંદ એલાન છે. ભરતીએ ચડેલાં દરિયાનાં મોજાંને નાથવા જેમ અશક્ય છે, એમ જ જુવાળે ચડેલ આઝાદીની લડત હવે અદમ્ય બની ચૂકી છે.

ઉમાશંકરે ‘કોડિયાં’ની પ્રસ્તાવનામાં આ સૉનેટ વિશે જે લખ્યું છે, એ એકપણ શબ્દફેર વિના માણવા જેવું છે. સમર્થ કવિ આ સમર્થ કવિતા વિશે લખે છે: ‘ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતાથી વારંવાર યોજાઈ નથી. પૃથ્વીના યતિસ્થાન પછી ‘ધીંક’ આગળ અટકવામાં અવાજ દ્વારા આખીય ઘટના પ્રતીત થાય છે અને ‘શિર રક્તનાં વારણાં’માં ‘શિર’ના ‘ર’ પછી ‘રક્તનો’ ‘ર’ આવતાં પછડાઈને પાછાં વળેલાં પાણીનો ખ્યાલ આવે છે. ‘વારણાં’માં ફરી આવતો ‘ર’ અને આગળનાં ‘નાં’ સાથે સંવાદમાં આવતો ‘ણાં’ પાછી આવેલી છાલકનું ચિત્ર પૂરું કરી આપે છે. લોહીનાં છાંટણાંનો રંગ પણ એ શીકરોમાં પ્રગટતાં રંગધનુને લીધે અસંભાવ્ય રહેતો નથી. ઊંચી સર્જકતાને ભાષા અને ભાવપ્રતીકો કેવા વશ વર્તે છે તે ભરતીનાં ચઢતાં પાણીને એક વાર ઘોડાની ઉપમા આપી પછી એને ‘પાણીપન્થા’ તરીકે ઓળખાવવામાં રહેલી ચમત્કૃતિથી પ્રતીત થાય છે. અંતભાગમાં, સર્જક આવેગનાં પણ પાણી જાણે પાછાં વળ્યાં હોય એવું લાગે, પણ ભરતી પોતે કાવ્યવિષય નથી, પણ વિશિષ્ટ ભાવનાસ્થિતિનું પ્રતીક છે એવો અણસારો છેલ્લી બે પંક્તિમાં મળતાં આખી કૃતિ ‘અગમ પ્રાન્તની’ (mystic) બની જાય છે.’

શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

કાચી સોપારીનો કટ્ટકો – વિનોદ જોશી

આજે આ કવિતા, કવિ શ્રી ના કાવ્યગાન સાથે ફરી એકવાર….

********

કાચી સોપારી…. Picture: http://ecofrenbeauty.wordpress.com

સંગીત અને સ્વર: રિશીત ઝવેરી

સંગીત અને સ્વર: સુરેશ જોશી

એક કાચી સોપારીનો કટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી (૧૯-૯-૮૩)

સખી! મારો સાહ્યબો સૂતો – વિનોદ જોષી

મારા સાહ્યબાનું આ ખૂબ જ ગમતું ગીત –

ત્રણ વર્ષ પહેલા – નવેમ્બર ૧૭, ૨૦૧૦ ના દિવસે ટહુકો પર પહેલીવાર પ્રસ્તુત કરેલું અમરભાઇનું સ્વરાંકન ગાર્ગી વોરાના અવાજમાં..!! આજે એ જ ગીત – કવિ શ્રી વિનોદ જોષીના સ્વર અને એમના જ સ્વરાંકન સાથે ટહુકો પર ફરી એકવાર… !!!

*********************************

Posted on November 17, 2010 :

સ્વર : ગાર્ગી વ્હોરા
સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……

એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં……

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં…..

– વિનોદ જોષી

સાંભળ્યું…… – વિનોદ જોશી

સ્વરાંકન : આશિત દેસાઇ
સ્વર : આશિત – હેમા દેસાઇ

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

– વિનોદ જોશી

(શબ્દો માટે આભાર – taramaitrak)