Category Archives: અછાંદસ

કાળચક્રનો નિયમ – જયશ્રી મર્ચન્ટ

ગ્રીષ્મ, શરદ અને હેમંતમાં
લાંબા-ટૂંકા થતાં આ દિવસો..

સતત બદલાતી ઋતુઓની છડી પોકારતા,
કાળચક્રની ધરી પર સતત ફર્યા કરે છે,
થાક્યા વિના

તારા ગયા પછી સ્થગિત થયેલી મારી રાતો
ને મારા દિવસો પણ
ઋતુઓના આ નિયમને
ક્યારેય અનુસરશે ?
-જયશ્રી મર્ચન્ટ

મારું એકાંત – પન્ના નાયક

Radhanagar beach, Andaman… Photo: Vivek Tailor

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૧૮૨ : એક મત – એમી નેઝૂકૂમાતાટીલ

One Vote

After reading a letter from his mother, Harry T. Burn cast the deciding vote to ratify the 19th amendment of the U.S. Constitution

My parents are from countries
where mangoes grow wild and bold
and eagles cry the sky in arcs and dips.
America loved this bird too and made

it clutch olives and arrows. Some think
if an eaglet falls, the mother will swoop
down to catch it. It won’t. The eagle must fly
on its own accord by first testing the air-slide

over each pinfeather. Even in a letter of wind,
a mother holds so much power. After the pipping
of the egg, after the branching—an eagle is on
its own. Must make the choice on its own

no matter what its been taught. Some forget
that pound for pound, eagle feathers are stronger
than an airplane wing. And even one letter, one
vote can make the difference for every bright thing.

– Aimee Nezhukumatathil


એક મત

પોતાની માનો પત્ર વાંચ્યા પછી, હેરી ટી. બર્ને ૧૯મા અમેરિકી સંવિધાનના ૧૯મા સુધારાને બહાલી આપતો નિર્ણાયક મત આપ્યો.

મારા મા-બાપ એ દેશોમાંથી છે
જ્યાં પુષ્કળ અને રસદાર કેરીઓ થાય છે
અને ગરુડો આકાશને કમાનો અને ડૂબકીઓથી ચીરે છે.
અમેરિકાને પણ આ પક્ષી ગમી ગયું અને

એણે એના પંજામાં જેતૂન અને તીરો પકડાવ્યા.
કેટલાક લોકો વિચારે છે કે ગરુડનું બચ્ચું પડી જાય, તો
એની મા ઝપટ મારતીકને એને ઝાલી લે છે. એવું હોતું નથી.
ગરુડે આપમેળે જ ઊડવાનું હોય છે, દરેક વિકાસ પામતા

પીછાં પર હવાનો પહેલવહેલો માર અનુભવીને.
પવનના એક પત્ર સુદ્ધામાં પણ એક મા કેટલી શક્તિશાળી હોય છે.
કોચલું ફૂટે, અને ડાળ પરનો અભ્યાસ પતે એ પછી ગરુડ
પોતાના દમ પર છે. આપમેળે જ પસંદગી કરવાની રહે છે,

કોઈ ફરક નથી પડતો કે શું શિખવાડાયું છે. લોકો ભૂલી જાય છે કે
ગ્રામ પ્રતિ ગ્રામના હિસાબે, ગરુડના પીંછા હવાઈજહાજની પાંખ કરતાં
વધુ મજબૂત હોય છે, અને ત્યાં સુધી કે એક પત્ર, એક મત પણ
હરએક તેજસ્વી વસ્તુ માટે તફાવત આણી શકે છે.

– એમી નેઝૂકૂમાતાટીલ
(અનુ.: વિવેક મનહર ટેલર)


‘એક’ની તાકાત…

ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવાનું નક્કી કરાયું. ભિક્ષુઓ ગામેગામ ફરીને સોનું-ચાંદી ઊઘરાવવા નીકળ્યા. સહુએ હર્ષોલ્લાસથી ખૂબ દાન કર્યું. ઝોળીઓ સોના-ચાંદીથી છલકાઈ ગઈ. કિંમતી ધાતુઓને ગાળીને વિશાળ બુદ્ધપ્રતિમાનું નિર્માણ કરાયું પણ પ્રતિમાનો ચહેરો? એ તો સા…વ નિસ્તેજ! આમ કેમ થયું હશે? ચાર-પાંચવાર પ્રતિમાને ફરી-ફરીને ગાળીને પુનર્નિર્માણ કરાવાયું. પણ બુદ્ધના ચહેરા પર છલકવા જોઈતા સંપૂર્ણ શાંતિ-આનંદ-સંતોષના ભાવ ન આવ્યા તે ન જ આવ્યા. લાંબી પૃચ્છાના અંતે જણાયું કે એક ગરીબ છોકરી પાસે તાંબાનો એકમાત્ર ઘસાયેલો સિક્કો હતો, જેણે એણે મહામૂલી જણસ પેઠે લાંબા સમયથી સાચવી રાખ્યો હતો. પોતાની આ એકમેવ મૂડી ભારે શરમસંકોચ સાથે એણે ભેટ ધરવા ચાહી હતી. પણ ચાંદીસોનાથી છલકાતી ઝોળીવાળા ભિક્ષુને મન એવી તુચ્છ ભેટની શી કિંમત? એણે એ ભેટનો અસ્વીકાર કર્યો હતો. બાળકીને શોધી કાઢીને આદરપૂર્વક એ સિક્કો ફરી મંગાયો. બાળકી તો ખુશખુશાલ! અન્ય ધાતુની સાથે એ સિક્કો મેળવીને પ્રતિમા બનાવાઈ ત્યારે કરુણામૂર્તિ બુદ્ધનો કાંતિવંત ચહેરો ખીલી ઊઠ્યો. દિલથી કરાયેલા દાનના મહત્ત્વની સાથોસાથ આ વાર્તા નાનામાં નાની વસ્તુની મોટામાં મોટી કિંમતનો પદાર્થપાઠ પણ ભણાવે છે. સિંધુસર્જનમાં બિંદુનો મહિમા શીખવે છે. લોકશાહીમાં પણ મતને ‘પવિત્ર’કરાર આપીને ‘એક મત’નું મહત્ત્વ આપણને નાનપણથી જ શીખવાડાય છે, પણ સમજણ આવે અને મતાધિકાર મળે ત્યારે પહેલો વિચાર એ આવે કે લાખો-કરોડો લોકો મતદાન કરતાં હોય એ સમયે કોઈ એક મતનું શું મહત્ત્વ? આપણો એક મત દેશની રાજનીતિમાં કોઈ ફરક સર્જે ખરો? ભારતીય મૂળના કવયિત્રી એમીની આ રચના ‘એક મત’નું ગૌરવગાન છે.

એમી નેઝૂકૂમાતાટીલ (neh-ZOO / KOO-mah / tah-TILL). ૧૯૭૪માં શિકાગો, અમેરિકા ખાતે જન્મ. માતા ફિલિપિનો અને પિતા દક્ષિણ ભારતીય. શિકાગો, આયોવા, એરિઝોના, કન્સાસ, ન્યૂયૉર્ક અને ઓહાયો -નાની વયે ઘણાં શહેરો અને શાળાઓ બદલવાનું થયું એટલે નવા શહેરોની સાથે નિતનવા મિત્રો અને લોકો સાથે ભળવાનું થયું. મા-બાપનો અપૂર્વ બાગકામ અને પ્રકૃતિપ્રેમ એમીના જીવન-કવનમાં પણ ઊતર્યો. મુસાફરી કરવાનો શોખ અને મુસાફરી દરમિયાન પંચેન્દ્રિયો ઊઘાડી રાખી નોંધપોથીમાં તમામ અવલોકનો, અનુભૂતિઓ આકારતા જવાની આદત આ નાની વયના કવયિત્રીની કવિતામાં વર્તાતી પાકટતાનું એક કારણ હોઈ શકે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી. અનેક ઇનામ-અકરામોથી નવાજાઈ ચૂક્યાં છે. લેખક પતિ ડસ્ટિન પાર્સન અને બે પુત્રો સાથે મિસિસીપી રહે છે અને ત્યાંની જ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં અંગ્રેજી અને સર્જનાત્મક લેખનના પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. કવિતાના ચાર પુસ્તકો ઉપરાંત એક પ્રકૃતિ નિબંધનું પુસ્તક તથા એક સ્વતંત્ર અને એક સહિયારી ચેપબુક એમના નામે છે. એમની કવિતાઓમાં જિંદગીના રોજિંદા તથ્યો અલગ જ ધાર સાથે રજૂ થતા અનુભવાય છે. આ ધાર આપણી થીજી ગયેલી સંવેદનાઓને ચીરીને ફરી નીંગળતી કરી મૂકે એવી છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ લખે છે: ‘એની અજબ, રસીલી કવિતાઓના ડીએનએમાં સંસ્કૃતિની સેરો વણાયેલી છે.’

પ્રસ્તુત કવિતાનું શીર્ષક ‘એક મત’ સ્વયં-સ્પષ્ટ છે. કાવ્યારંભે નાનકડો અભિલેખ અને એ પછી ચાર-ચાર અનિયત પંક્તિઓના ચાર બંધ. જો કે એકેય બંધ કવિતાને બાંધતો દેખાતો નથી. એક પાત્રમાંથી બીજામાં પાણી જે સહજતાથી રેલાય, એ જ રીતે વાક્યો એકમાંથી બીજા બંધમાં અટક્યા વિના પ્રસરે છે. આ અપૂર્ણાન્વય રીતિના કારણે છંદ કે પ્રાસની દોરીથી બંધાઈ ન હોવા છતાં કવિતાની સળંગસૂત્રિતા જળવાયેલી લાગે છે.

‘એક મત’ કવિતા વિશે મત બાંધતા પહેલાં મતદાનનો ઇતિહાસ પણ જોઈ લઈએ. મતદાનની પ્રથા કંઈ આજકાલની નથી. ઇતિહાસના પાનાં પલટાવીએ તો ખ્યાલ આવે કે ઈસુથી પાંચસો વર્ષ પૂર્વે ગ્રીસમાં લોકશાહી અને મતદાનપ્રથા અસ્તિત્વમાં હતી. રસપ્રદ વાત એ હતી કે એ સમયનું મતદાન નકારાત્મક હતું. મતલબ, જે ઉમેદવારને છ હજાર કે એથી વધુ મત મળે, એને રાજવટો મળતો. ઘડાના તૂટેલા ટુકડા (ostraka) પર નામ લખીને મતદાન થતું. આ ઓસ્ટ્રાકા પરથી આજનો શબ્દ ‘ઓસ્ટ્રસાઇઝ’ (ostracize) અર્થાત્ ‘સમાજ કે નાતબહાર કરવું’ અસ્તિત્વમાં આવ્યો. આજે જે પ્રકારની મતદાનપ્રથા છે, એ કદાચ પહેલવહેલીવાર તેરમી સદીના વેનિસમાં અમલી થઈ હતી. સત્તરમી સદીમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં લોકશાહી ઢબે મતદાનથી સરકાર રચાવાની શરૂઆત થઈ.

જો કે, આ કવિતામાંથી પસાર થતાં પહેલાં કેટલીક પૂર્વભૂમિકા અનિવાર્ય બની રહે છે. કવિતાની શરૂઆત એક અભિલેખથી થાય છે, જેમાં આપણી મુલાકાત થાય છે હેરી ટી. બર્ન તથા અમેરિકી સંવિધાનના ૧૯મા સુધારા સાથે. અમેરિકામાં ૧૭૭૬થી મતદાનપ્રથા ચલણમાં આવી. એ સમયે જો કે ૨૧ વર્ષથી વધુ વયના ગોરા અમેરિકનોને જ મતાધિકાર હતો. આજે કદાચ નવાઈ લાગે પણ સો વરસ પહેલાના અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર ન્હોતો. ૧૮૯૩માં ન્યૂઝીલેન્ડ વિશ્વનો પ્રથમ સ્વતંત્ર દેશ બન્યો જ્યાં ‘તમામ’ સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો. નવાઈ લાગે પણ સઉદી અરેબિયામાં ૨૦૧૭ સુધી સ્ત્રીઓને મતાધિકાર નહોતો. અફઘાનિસ્તાન, યુગાન્ડા, કેન્યા અને પાકિસ્તાન જેવા દેશોમાં હજીય સ્ત્રીઓને ‘સહજ અને સ્વીકૃત’ મતાધિકાર મળ્યો નથી. અને સૌથી વધુ ચોંકાવનારી હકીકત એ છે કે જે વેનિસમાં તેરમી સદીમાં મતદાનપ્રથા અસ્તિત્ત્વમાં આવી હતી એના વેટિકન સિટીમાં પૉપની ચૂંટણીમાં આજની તારીખે પણ સ્ત્રીઓને મતાધિકારનો હક નથી. અમેરિકામાં ઓગણીસમી સદીના મધ્યમાં સ્ત્રી મતાધિકાર (suffrage) પ્રાપ્તિ માટેની ચળવળો શરૂ થઈ. સિત્તેરેક વર્ષ લાંબી લડાઈ, ચળવળો અને કૉર્ટ-કેસોના અંતે ૧૮ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ અમેરિકામાં સંવિધાનના ૧૯મા સુધારા સ્વરૂપે પહેલવહેલીવાર સૂરજ સ્ત્રીઓની તરફેણમાં ઊગ્યો. સંવિધાનના ૧૯મા સુધારા બાબતનું મતદાન કંઈક એ રીતે થયું હતું કે માત્ર ૨૪ વર્ષના યુવાન હેરી ટી. બર્નના હાથમાં એ સમયની એકસો સિત્તેર લાખ સ્ત્રીઓનું ભવિષ્ય લખાયું. મતદાન માટે આવ્યા ત્યારે હેરીના ખિસ્સામાં એની માતા ફેબ ઈ. બર્નનો પત્ર હતો, જેમાં હેરીને ‘ગુડ બોય’ બનવાની સૂચનાની સાથે સ્ત્રી મતાધિકાર તરફેણમાં મત આપવાની હિમાયત પણ કરાઈ હતી. આ એક મતથી સાત દાયકાઓ લાંબી ચળવળ અને સ્ત્રી-પુરુષ અસમાનતાનો અંત આવ્યો. કવિતાનું શીર્ષક ‘એક મત’ બર્નના આ નિર્ણાયક મતને ધ્યાનમાં રાખીને નિર્ધારાયું છે એ શરૂમાં જ સમજાઈ જાય છે.

અભિલેખ પછીની કવિતા આત્મકથનાત્મક અથવા સ્વગતોક્તિ સ્વરૂપે છે. કવયિત્રી પોતાના માતા-પિતાની જન્મભૂમિઓ ભારત તથા ફિલિપાઇન્સને યાદ કરે છે. આ બંને ઉષ્ણકટિબંધીય દેશોમાં કેરીનો મબલખ પાક ઊતરે છે. કેરીનો કાવ્યપ્રવેશ અહીં માત્ર ગરુડના આવણું ગાવા પૂરતો જ છે. અહીંથી અંત સુધી ગરુડ જ કાવ્યનાયક છે. કવયિત્રીના પૂર્વજોન દેશોમાં ગરુડો આકાશ ચીરતી કલાકારીઓ કરે છે. ગગનચુંબી ગગનચીરી ઉડાનો ભરતું આ પક્ષી અમેરિકાની પસંદ બન્યું અને અમેરિકાએ એના પંજામાં જેતૂન અને તેર પકડાવ્યાં. થોડું અટકીને સમજવા માટે આપણા માટે આ બીજો નવો સંદર્ભ છે. ૨૦ જુન, ૧૭૮૨ના રોજ અમેરિકી કોંગ્રેસે ટાલિયા ગરુડને અમેરિકાના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર્યું. ટાલિયા ગરુડ માત્ર ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. તેઓ વધુ ખડતલ, સ્વતંત્ર, હિંમતવાળા અને વિશ્વાસુ હોય છે. વધુ ઊંચાઈથી વધુ દૂરનું જોઈ શકે છે. ઊંચી ઊડ્ડયનના કારણે એ સર્જનહારની વધુ નજીક મનાય છે. આમ તો આ રાષ્ટ્રીય ચિહ્નમાં તમામ રંગ-રેખાઓ સાથે કોઈને કોઈ સંદર્ભ જોડાયેલ છે પણ કવિતામાં જેતૂન (ઓલિવ) અને તીર (arrows)ની વાત આવે છે, એટલે આપણે એટલું જ જોઈએ. જેતૂન અને તીરગુચ્છ – બંને સંયુક્તપણે સૂચવે છે કે અમેરિકાની શાંતિ માટે તીવ્રપણે ઇચ્છુક છે, પણ યુદ્ધ માટે પણ હંમેશા તૈયાર છે. ગરુડની ડોક જેતૂનશાખા તરફ છે, જે મૂલતઃ શાંતિ પરત્વેનો અમેરિકાનો સવિશેષ પક્ષપાત ઇંગિત કરે છે. આ પ્રતીકમાં તીર પણ તેર છે, અને જેતૂન તથા જેતૂનના પાંદડાઓ પણ તેર-તેર જ છે. તેરનો આ આંકડો તત્કાલિન અમેરિકાના મૂળ તેર રાજ્યોની સંખ્યા સૂચવે છે.

અભિલેખમાં અમેરિકાના બંધારણીય સુધારા માટેના નિર્ણાયક મતનો ઉલ્લેખ કર્યા બાદ કવયિત્રી આપણને એમના પૂર્વજોની ભૂમિથી શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રીય ચિહ્ન સુધી લઈ આવે છે. અહીં સુધી કવિતા સામાન્યસ્તર પર જ રહે છે. અહીંથી ગરુડની જન્મજાત લાક્ષણિકતાઓની વાત શરૂ થાય છે અને કવિતા એક નિશ્ચિત ધ્યેય તરફ નિર્ધારિત ગતિ કરતી અનુભવાય છે.

ગરુડ વિશેની જનમાનસમાંની ગેરસમજ કવયિત્રી દૂર કરે છે. ઘણા લોકો એમ માનતાં હોય છે કે ગરુડનું નવજાત બચ્ચું માળામાંથી નીચે પડે તો એની મા પલક ઝપકતાંમાં જ ઝપટ મારીને એને ઝાલી લે છે, પડતું બચાવી લે છે. પણ હકીકત આ નથી. હકીકતમાં વિકાસ પામતાં દરેક પીંછા પર હવાનો પહેલવારુકો વાર અનુભવીને ગરુડે આપમેળે ને આપબળે જ ઊડવાનું હોય છે. જન્મદાત્રી મા સુદ્ધાં એની સહાયક બનતી નથી. મત અને માતાની વાતથી કવિતા શરૂ કર્યા બાદના આટલા ગરુડપુરાણ પછી ફરીવાર મા અને એનો પત્ર કવિતામાં ડોકિયું કરે છે, ત્યારે સમજાય છે કે અમેરિકા જેવા સશક્ય દેશનું પ્રતીક ગરુડ હેરી બર્નનું પણ પ્રતીક છે. માતાએ તો પત્ર લખીને સૂચના આપી દીધી. કૉંગ્રેસના વિશાળ આકાશમાં હેરીએ સ્વમતે જ ઊડવાનું છે. નિર્ણાયક મત આપવામાં કોઈ ભૂલ થાય તો માતા બચાવવા આવનાર નથી. ગરુડની બાળપાંખ પર પવનના અક્ષરોથી જીવનનો વિકાસપત્ર લખતી માતા કેટલી શક્તિશાળી હોય છે, નહીં! કોચલું ફૂટે અને બાળગરુડનો ડાળ પરનો અભ્યાસક્રમ પૂર્ણ થાય એટલી જ વાર મા એનું ધ્યાન રાખે છે. ઇંડાની અંદર રહેલ બાળગરુડની ચાંચ પર સહેજ ઉપસેલો એક વિશેષ ભાગ હોય છે, જેને એગ-ટૂથ કહે છે. આ દાંત વડે બચ્ચું ઈંડાનું કોચલું તોડી બહાર આવે છે. પ્રથમ તડને પિપ અને આ ક્રિયાને પિપિંગ કહે છે, જેના માટે આપણી ભાષામાં કદાચ કોઈ શબ્દ નથી. બચ્ચું ઊડવા યોગ્ય બને એ પહેલાં એ પહેલાં એ માળામાંથી નીકળીને ડાળ પર પહોંચે છે, પાંખો ફડફડાવે છે અને ડાળ પરથી કૂદકા મારે છે, જેનાથી એમની પાંખોના ઊડ્ડયન માટેની માંસપેશીઓ મજબૂત થાય છે અને માળાબહારના જીવનને અનુરૂપ થવાની સમજ કેળવાય છે. આ ક્રિયાને બ્રાન્ચિંગ કહે છે, પણ એના માટે પણ આપણી પાસે કોઈ યોગ્ય શબ્દ નથી.

માતાના નિરીક્ષણ હેઠળ બચ્ચું આટલી તાલિમમાં સફળ થઈ જાય એ પછી એ બહારની દુનિયામાં માત્ર પોતાના દમ પર જ છે. અને બહારની દુનિયામાં માળામાં શું-શું શિખવાડાયું છે એના કારણે કોઈ ફરક પડતો નથી. ત્યાં તો come what may જ છે. ત્યાં અસ્તિત્ત્વ માટેનો સંઘર્ષ માત્ર સ્વકીય છે. આકાશની અનંતતામાં માત્ર પોતાના બળ-બુટ્ટે જ ટકી રહેવાનું છે. કવયિત્રી પુનઃ માન્યતાથી વિરુદ્ધ વાસ્તવિક્તા સાથે આપણને અવગત કરાવે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ગ્રામ પ્રતિ ગ્રામ ગરુડનું પીંછું વિમાનની પાંખ કરતાં વધુ મજબૂત હોય છે. વિમાનના વિશાળ કદ સાથે ગરુડના અલ્પ કદની સરખામણી કરતી વખતે આ વાત ધ્યાનમાં હોવી જોઈએ. વિમાન ભલે ખૂબ મોટું કેમ ન હોય, કદ અને શક્તિની સરખામણી થાય તો ગરુડ ચાર ચાસણી ચડિયાતું છે. માતા ફેબ ઈ. બર્નએ હેરીને પત્રમાં શું લખ્યું હશે એની તો આપણને જાણ નથી પણ અસીમ આભના મહાસાગરમાં નજીવી બુંદ સમ ભાસતા ગરુડને વિમાનની તુલનાએ વધુ મજબૂત હોવાની વાસ્તવિક્તા રજૂ કરીને કવયિત્રી મા-દીકરાના પત્રમાંના અર્કની આપણને જાણ કરે છે. કૉંગ્રેસ ગમે એવડી મોટી સત્તા કેમ ન હોય, દીકરા! તારો એક જ મત આમૂલ પરિવર્તન આણવા, ઇતિહાસ સર્જવા શક્તિશાળી છે… કોઈ એક પત્ર, કોઈ એક મત કે એવી કોઈ પણ એક વસ્તુ દુનિયા આખીના સમીકરણો બદલી નાંખવા સમર્થ છે. ગાંધી આંધી બની શકે છે ને હિટલર જગકસાઈ બની શકે છે, આત્મશ્રદ્ધા હોવી ઘટે બસ. કોઈ એક મત, કોઈ એક વિચાર, કોઈ એક પુસ્તક કે કોઈ એક વ્યક્તિએ જગત સમસ્તમાં ક્રાંતિ આણી હોવાના સેંકડો દાખલા આપણી સામે છે જ…

એક ટીપું આંસુનું – જયશ્રી મર્ચન્ટ

આંખથી અનાયાસે
ખરી પડેલાં આંસુને
ચાંચમાં ઝીલવા,
કોઈક ચાતક
ક્યાંક તો વાટ જોતું હશે,
બસ, એ એક ભ્રમમાં
હું તો વરસાવતી રહી,
આંસુનો વરસાદ સતત…

પણ ત્યારે ચાતક ક્યાંય ન હતું
હવે ચાતક
મારા આંગણામાંના
ઝાડની ડાળ પર બેઠું છે
પણ, મારી આંખે
નથી તો શ્રાવણ
કે નથી ભાદરવો
છે કેવળ સૂનકાર…
-જયશ્રી મર્ચન્ટ

ગ્લૉબલ કવિતા : ૧૬૭ : બેબલ પછીથી…- જેસિકા ડિ કોનિન્ક

After Babel

There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand

– Jessica de Koninck

બેબલ પછીથી…

એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.

– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રકૃતિ એક ભાષા છે… શું તમે વાંચી શકો છો ?

માણસ ભાષા શીખ્યો એ પહેલાં શું પરસ્પર વાતચીત નહોતો કરતો? સભ્યતા અને વાણીના વિકાસથી ઘણું પહેલાંથી માણસ ઈશારાઓ અને અવાજોના સહારે કહેવાનું કહેતો પણ હતો, અને સમજવાનું સમજતો પણ હતો. દૃષ્ટિ ન હોય તો જે રીતે ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય વધુ સચેત બની જાય એમ વાણી અને ભાષાના અભાવમાં મનુષ્ય હાવભાવ અને અવાજોને વધુ સારી રીતે સમજી શકતો હતો. ભાષાની શોધ સાથે જ આ વિશેષ ઉપલબ્ધિ લુપ્ત થઈ ગઈ. જેસિકાની પ્રસ્તુત લઘુરચના આ વાત બહુ મજાની રીતે કહે છે.

જેસિકા ડિ કોનિન્ક. બ્રૂકલિન, ન્યૂયૉર્કમાં જન્મ. હાલ, ન્યૂજર્સીના મોન્ટક્લેરમાં રહે છે. માસાચ્યુસેટ્સ ખાતે વકાલતનું ભણ્યાં, પણ કવિતા માટે વકાલતનો ત્યાગ કર્યો. તેઓ કવિતાને સત્યની વધુ નજીક રહેવા માટે કાયદાથી વધુ સારો માર્ગ ગણે છે. કવિતા લખવાનું શરૂ કર્યું એના દાયકાઓ બાદ, અને પચાસની ઉંમર વટાવ્યા બાદ ફરી ભણ્યાં અને આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ખૂબ જ સક્રિય સમાજસેવિકા. ટાઉન કાઉન્સિલ, એજ્યુકેશન બૉર્ડ તથા અનેક કમિટીઓમાં સેવા આપી ચૂક્યાં છે. પતિના અવસાન બાદ બે સંતાન અને એમના બે સંતાનો સાથે રહે છે. એક કાવ્યસંગ્રહ ‘કટિંગ રૂમ’ અને એક ચેપબુક ‘રિપેર્સ’ના લેખિકા. ઘણા સામયિકો, સંપાદનોમાં એમની રચનાઓ સ્થાન પામી ચૂકી છે. ટૂંકું લખાણ, સરળ ભાષા અને સીધી વાત એમની કવિતાના પ્રમુખ લક્ષણ છે. વાત સીધી દિલમાંથી નીકળીને આવતી હોવાથી સીધી દિલને સ્પર્શી જાય છે.

ભાષાના ગૂંચવાડા વિશે વાત કરતી આ રચનામાં છંદ-કે પ્રાસ શોધવા પણ કેમ બેસાય? સોળ પંક્તિનું આ નાનકડું અછાંદસ કાવ્ય છે. જેમને બાઇબલનો અભ્યાસ ન હોય એ લોકોને કવિતાનું શીર્ષક ‘બેબલ પછી’ બે’ક ઘડી અટકાવશે. બાઇબલ (જિનેસિસ ૧૧:૧-૯)માં એક અગત્યની વાર્તામાં શિનાર (બેબિલોન)ના લોકો સ્વર્ગ સુધી પહોંચે એવો ઊંચો ટાવર બનાવવા વિચારે છે. ટાવર બનાવવા પાછળનો હેતુ પોતાનું નામ અમર કરવાનો હતો પણ દેખીતો હેતુ લોકોને એકત્ર રાખવાનો હતો. પણ ઈશ્વરને ખ્યાલ આવી ગયો કે આ ટાવર માત્ર નામનાની કામના છે અને એ બની જશે તો લોકો ઈશ્વરની નજીક આવવાના બદલે દૂર થઈ જશે. ટાવર બને તો મનુષ્ય પોતાને ઈશ્વરનો સમોવડિયો ગણવા માંડે. સ્વર્ગમાં પહોંચવા માટે પહેલાં મનુષ્યને ઈશ્વરકૃપાની ગરજ હતી પણ ટાવર બની જાય તો ભગવાનને બાયપાસ કરીને મનુષ્ય જાતે જ સ્વર્ગમાં પહોંચી જાય. વળી, ટાવર બાંધવા માટે ઈશ્વરે આપેલા પથ્થરો કે માટી-ગારા વાપરવાના બદલે મનુષ્ય પોતે બનાવેલી ઈંટો અને ડામરનો ઉપયોગ કરવાનું વિચારતો હતો. ઈશ્વરનો આદેશ તો ‘ફળદાયી થઈ, સંખ્યા વધારી, પૃથ્વી આખી પર ફેલાઈ જવા’ (જિનેસિસ ૯:૧) બાબતનો હતો. ઈશ્વર સુધી પહોંચવા માટેનો ટાવર સાક્ષાત ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન હતો. અત્યાર સુધી દુનિયામાં એક જ ભાષા હતી અને મનુષ્યો એકમેકને બરાબર સમજી શકતા હતા. પરિણામે મનુષ્યોમાં એકતા હતી પણ એકતાની તાકાતનો ઉપયોગ આમ ઈશ્વરવિરોધી થાય એ અનિચ્છનીય હતું એટલે ઈશ્વરે ટાવર બનાવનાર મજૂરોને અલગ-અલગ ભાષાઓ આપી, જેથી તેઓ એકબીજાને સમજી જ ન શકે. પરિણામે ટાવર કે શહેર બની જ ના શક્યું અને લોકો દુનિયાભરમાં વિખેરાઈ ગયા. આમ ઈશ્વરે ગૂંચવાડો ઊભો કરી ટાવર બનાવવાના વિચારને મૂર્તિમંત થતાં પહેલાં જ તહસનહસ કરી નાંખ્યો.

હિબ્રૂ ભાષામાં બેબિલોન માટે બેબલ શબ્દ છે. ‘બેબલ ’ શબ્દની ઉત્પત્તિ તત્કાલિન અક્કાડિઅન ભાષાના bab-ilu (ઈશ્વરનો દરવાજો) પરથી થઈ હોવાનું મનાય છે. (‘બાબ’: દરવાજો + ઇલુ: ઈશ્વર) બાઇબલના સૂત્રો મુજબ બેબલ સુમેરિઅન Ka-dingir નું ભાષાંતર છે, જેનો અર્થ ‘અવાજોની મૂંઝવણભરી ભેળસેળ’ થાય છે. આમ બેબલ નો એક અર્થ ‘ગૂંચવવું’ પણ થાય છે. જ્યૉર્જ સ્ટેઇનરે ‘આફ્ટર બેબલ ’ નામે ભાષાના અંગો તથા અનુવાદ વિષયક મજાનું પુસ્તક પણ લખ્યું છે. શીર્ષક વિશે કવયિત્રી સાથે ચર્ચા કરતાં આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો ત્યારે એમણે જણાવ્યું કે પ્રસ્તુત શીર્ષકનો આધાર આમ તો બાઇબલની કથા જ છે, અને પ્રગટપણે તો એમના મનમાં આ પુસ્તક રમતું નહોતું જ પણ ક્યાંક અવચેતનાવસ્થામાં શીર્ષક લખતી વખતે આ પુસ્તક મનમાં આંટા મારતું હોય તો નવાઈ પણ નહીં. બેબલ નો ટાવર બનાવવો શરૂ થયો એ પછી જ ભાષાનો ગૂંચવાડો ઊભો થયો અને સમય સાથે આ ગૂંચ ઉકેલાવાના બદલે વધુને વધુ જટિલ બનતી ગઈ. નવી-નવી ભાષાઓ અમલમાં આવતી ગઈ અને સાથોસાથ જૂની ભાષાઓ ભૂંસાતી પણ ગઈ. કવયિત્રી આ કવિતાના માધ્યમથી આપણું ધ્યાન ભાષાના ગૂંચવાડા અને આદિમ બોલી સમજવા-સહિયારવા અંગેની આપણી અક્ષમતા તરફ દોરવા માંગતાં હોવાથી ‘બેબલ પછીથી’ કરતાં વધુ ઉપયુક્ત શીર્ષક કદાચ જ બીજું કોઈ હોઈ શકે. હકીકતમાં આવી કવિતા કરવાનો વિચાર આવે અને એના માટે આવું અદભુત શીર્ષક સૂઝી આવે એ ઘટના પોતે કોઈ કવિતાથી કમ નથી.

દુનિયામાં એક સર્વસામાન્ય ભાષા હોવાના સ્વીકાર સાથે કવિતાનો પ્રારંભ થાય છે, સાથે જ નિખાલસ એકરાર પણ છે કે એ ભાષા પોતાની પહેલવહેલી ભાષા હોવા છતાં પોતે એના પર હથોટી મેળવી શકતી નથી. જે ભાષા આપણે જીવનમાં સૌથી પહેલી શીખીએ એનાથી વધુ ‘માસ્ટરી’ બીજી કઈ ભાષામાં હોઈ શકે? પણ અહીં સમસ્યા એ છે કે પહેલી શીખી હોવા છતાં નાયિકા એ ભાષામાં પ્રવીણ નથી. એ કહે છે કે એની માતૃભાષા તો એના જીવનમાં પાછળથી પ્રવેશી. મન્ડેલાએ કહ્યું હતું કે તમે કોઈ વ્યક્તિ સાથે એને સમજ પડે એ ભાષામાં વાત કરશો તો એ એના મગજ સુધી પહોંચશે પણ જો તમે કોઈની સાથે એની ભાષામાં વાત કરશો તો તમારી વાત સીધી એના દિલ સુધી પહોંચશે. મન્ડેલા માતૃભાષાનું મહત્ત્વ આંકી રહ્યા છે, પણ કવયિત્રી તો માતૃભાષા શીખ્યા પહેલાંની ભાષાની વાત કરે છે. કઈ છે આ ભાષા, જેની સંજ્ઞાઓ કે ક્રિયાપદો કે વાક્યરચનાઓ –નાયિકાને કંઈ જ ખબર નથી. અહીં સુધી કવિતામાં વપરાયેલા ચારમાંથી ત્રણ વાક્યો કાવ્યપંક્તિની મધ્યમાં પૂરાં થાય છે, પણ જે ભાષાની જેસિકાને વાત કરવી છે, એ ભાષાની વાત શરૂ કર્યા બાદ એકપણ વાક્ય પંક્તિમાં અધવચ્ચે પૂરું થતું નથી. હા, અપૂર્ણાન્વય (enjambment)નો પ્રયોગ તો ચાલુ જ છે, પણ વાક્ય આગળ જતાં વચ્ચે અટકી પડતાં નથી.

માતૃભાષા કરતાંય પહેલાંની, પોતાની પહેલવહેલી ભાષા કે એનું વ્યાકરણ પોતાને આવડતાં નથી પણ નદીઓને આ ભાષા આવડે છે એમ કહીને કથક મૂળ મુદ્દા પર આવે છે. ધ સ્મિથ્સ નામના સંગીતકારોએ ૧૯૮૬માં ‘આસ્ક’ ગીતમાં ઊઠાવેલો પ્રશ્ન યાદ આવે: ‘Nature is a language, Can’t you read?’ (કુદરત એક ભાષા છે, તમે વાંચી નથી શકતા?) એન વિસ્ટન સ્પર્ન પણ આવી જ વાત કરી ગયાં: ‘પરિદૃશ્યની ભાષા આપણી મૂળ ભાષા છે. ભૂદૃશ્ય આપણું મૂળ નિવાસસ્થાન હતું; મનુષ્ય છોડવાંઓ અને પ્રાણીઓની વચ્ચે, આકાશ તળે, ધરતી ઉપર, પાણીની નજીક વિકાસ પામ્યો છે. હરકોઈ તન-મનમાં એ વિરાસતનું વહન કરે છે.’

કવયિત્રી પ્રકૃતિની ભાષાની વાત કરી રહ્યાં છે. કવિતાનો મુખ્ય ભાગ આ ભાષા પ્રકૃતિના કયા-કયા સજીવ કે નિર્જીવ તત્ત્વોને હસ્તગત છે એની યાદી રોકી લે છે. રાલ્ફ ઑસ્ટિને કહ્યું હતું: ‘માત્ર તર્કસંગત અને અતાર્કિક જ નહીં, પરંતુ નિર્જીવ વસ્તુઓનો પણ એક અવાજ હોય છે, અને મનુષ્યો સાથે તેઓ સ્પષ્ટ વાતો કરે છે, અને એ આપણું કર્તવ્ય છે કે તેમની ભાષા શીખીએ, અને તેમને સાંભળીએ.’ કવયિત્રી આકાશ તળેની નાની-મોટી, સજીવ-નિર્જીવ કેટલીક વસ્તુઓની કવયિત્રી રસપ્રદ પણ યાદૃચ્છિક યાદી આપણને આપે છે: ‘નદીઓ, હાડકાં, રિસાઇકલિંગ માટે રખાયેલી બૉટલો, તળાવમાંના હંસો, કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ, એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ.’ બાલમુકુન્દ દવેની ‘જૂનું ઘર ખાલી કરતાં’ કવિતામાં આવતી યાદીની યાદી આવ્યા વિના રહેતી નથી. અર્થગહન વસ્તુઓની સાથે સાવ જ નિરર્થક વસ્તુઓની ભેળસેળ કરીને કવયિત્રી બાલમુકુન્દ દવેની જેમ જ ભાવકને નગણ્યતા, તુચ્છતાના ઊંડામાં ઊંડા તળ સુધી લઈ જાય છે, જેથી પોતે જે કહેવું છે એ વાત વધુ પ્રભાવક બને. ખીણના તળિયેથી અચાનક પર્વતની ટોચે પહોંચાય તો જ સાચો તફાવત આત્મસાત્ કરી શકાય ને! તર્કહીન સૂચિ જ તર્કને ધાર બક્ષે છે. કોઈકે બહુ સાચું કહ્યું છે: ‘એ મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રકૃતિની પોતાની ભાષા છે. એ પ્રાણીઓ, વૃક્ષો, અને ઉનાળાની શીતળ લહેરખીઓના માધ્યમથી બોલે છે. તે ગુસપુસ કરે છે, ‘મને ગળે લગાવો’. અને હું લગાવું છું.’ હરમાન હેસ પણ યાદ આવે: ‘વૃક્ષો અભયારણ્ય છે. જે કોઈ પણ એમની સાથે વાત કરવાનું જાણે છે, એમને સાંભળવાનું જાણે છે, એ સત્ય શીખી શકે છે.’ ભાષાની સાચી કળ અહીં છે. આપણે પ્રકૃતિને સાંભળતા શીખવાનું છે. પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. અહીં વિલિઅમ બ્લેકને પણ ટાંકવાનું મન થાય છે: ‘એ વૃક્ષ જે કોઈકની આંખોને ખુશીના આંસુઓથી તર કરી દે છે, એ બીજાઓની આંખોમાં કેવળ એક લીલા રંગનો પદાર્થ છે, જે માર્ગમાં ઊભો છે.’ સાચી વાત છે, આંખ હોવી જોઈએ જે જોઈ શકે, કાન હોવા જોઈએ જે સાંભળી શકે અને હાથ હોવા જોઈએ જે અનુભવી શકે. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી.

કવયિત્રી કહે છે કે આ આદિમ ભાષા તારાઓના સંગીતમાં પણ છે, પણ હું ગૂંગી જ બની રહું છું. ભૂલથી શેક્સપિઅરના નામે ચડી ગયેલી એક અદભુત સૂક્તિ છે: ‘જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે.’ આ સંગીત જડબાંની પાછળની તરફે આવેલા કાનથી સાંભળી શકાતું નથી, એ આત્માના કર્ણ જ સાંભળી શકે. એના માટે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તૈયારી હોવી ઘટે. રેઇનર મારિયા રિલ્કેએ કેવી અદભુત વાત કરી: ‘જો આપણે પૃથ્વીની બુદ્ધિમતા સામે આત્મસમર્પણ કરી દઈશું તો વૃક્ષોની જેમ મૂળિયાં પ્રસારીને આપણે ઊંચા ઊઠી શકીશું.’ આપણે આપણી બુદ્ધિના નશામાં રત થઈ ગયાં છીએ એટલે પ્રકૃતિને આપણે સાધ્ય નહીં, સાધન તરીકે જોવા-ઉપભોગવા માંડ્યાં છીએ. અને એટલે જ આપણે આપણાં મૂળિયાં ખોઈ બેઠાં છીએ. કવયિત્રી કહે છે એમ આપણે આપણી પહેલી ભાષા જ ભૂલી ગયાં છીએ, જે આપણાં મૂળ હતી. અને મૂળ વિના કોઈ વૃક્ષ ધરતીમાં પગદંડો જમાવી, આકાશ તરફ વધી શકે નહીં.

‘વેન આઇ એમ અમોન્ગ ધ ટ્રીઝ’ કવિતામાં મેરી ઓલિવર કહે છે કે જ્યારે હું ઝાડો વચ્ચે હોઉં છું, ભલેને ગમે તે પ્રકારનાં ઝાડ કેમ ન હોય, એ લોકો ખુશીના એવા સંકેતો આપે છે, કે હું કહી શકું કે તેઓ જ મને બચાવે છે, અને દરરોજ બચાવે છે. આ જ કવિતામાં આગળ એ કહે છે-

મારી આસપાસ વૃક્ષો તેમના પાંદડાંઓમાં હલચલ કરે છે
અને આહ્વાન કરે છે. “થોભ જરાવાર.”
એમની શાખાઓમાંથી પ્રકાશ રેલાઈ રહે છે.

અને તેઓ ફરી પોકારે છે, “સરળ છે,” તેઓ કહે છે,
“અને તું પણ આ વિશ્વમાં આવી છે
આ જ કરવા માટે, આસાન થવા માટે, પ્રકાશથી
ભરીભાદરી થવા માટે, અને ચમકવા માટે.”

પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે? અહીં સુધીની પૂર્વભૂમિકા બાંધ્યા બાદ જેસિકા હવે મૂળ વાત તરફ વળે છે. પ્રકૃતિના દરેક ઘટક તત્ત્વો પાસે અવાજ અને સંગીત હોવાનું જાણતી હોવા છતાં પોતે કેમ ગૂંગી જ રહે છે એ વિશે એ હવે ફોડ પાડે છે. એ કહે છે કે જો પોતે આ ભાષા બોલી શકતી હોત, જો પોતાની પાસે એનો શબ્દભંડોળ હોત કે જો પોતાને એની ધૂન આવડતી હોત તો એ આપણને જરૂર કહેત અને તો આપણે પણ એની વાત સમજી શકત. આ ભાષા આવડવી કેમ અનિવાર્ય છે એનો ઈશારો રાલ્ફ વાલ્ડો ઇમર્સનની એક વાતમાંથી મળે છે: ‘પ્રકૃતિ એક ભાષા છે અને પ્રત્યેક નવી હકીકત જે આપણે શીખીએ છીએ, એ એક નવો શબ્દ છે. એ ટુકડાઓમાં વિભાજિત કરીને શબ્દકોશોમાં સંગ્રહાયેલી મૃત ભાષા નથી, પણ સૌથી મહત્ત્વપૂર્ણ અને સાર્વત્રિક અર્થમાં સંપૂર્ણતઃ સંપૃક્ત થયેલી ભાષા છે. હું આ ભાષા શીખવા ચાહું છું- એટલા માટે નહીં કે હું એક નવું વ્યાકરણ શીખી શકું, પણ એટલા માટે કે હું એ મહાન પુસ્તક વાંચી શકું જે આ ભાષામાં લખાયું છે.’

જેસિકા પોતાની અસમર્થતાથી વાકેફ છે. એ સમજે છે કે પોતે જે સમજી શકી છે એ સમજાવવાની ઇચ્છા હોવા છતાં કોઈને સમજાવી શકવાની નથી. ‘આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,/કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,/ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક’ (અખો) જેવી આ વાત છે. જ્યાં સુધી પોતાને પૂરી સમજ પડી નથી, ત્યાં સુધી અન્ય કોઈને સમજાવી શકાવાના નથી. પ્રકૃતિની ભાષા એવી ભાષા છે જે અન્યને શીખવતાં પહેલાં ખુદ શીખવી અનિવાર્ય છે. અને કદાચ એટલે જ સેંકડો-હજારો પ્રકૃતિકાવ્યો લખાતાં રહ્યાં હોવા છતાં, પ્રકૃતિની જાળવણી માટે ઢગલોક આંદોલનો-ચળવળો થતાં આવ્યાં હોવા છતાંય આપણે દિનબદિન પ્રકૃતિથી પરાઙ઼મુખ થઈ રહ્યાં છીએ. અંતે, ઇઆન સૉમરહેલ્ડર નામના યુવા કલાકારની એક નાની-શી વાત લઈને કુદરત તરફ વળવા કટિબદ્ધ થઈએ-

પર્યાવરણ આપણી ભીતર છે,
આપણી બહાર નહીં.
વૃક્ષો આપણાં ફેફસાં છે,
નદીઓ આપણી રક્તધારા,
અને તમે પર્યાવરણ સાથે જે કરો છો,
એ જ આખરે, તમે તમારી જાત સાથે કરો છો.

ગુલમહોરનામા – તુષાર શુક્લ

આર.જે.ઘ્વનિત અમદાવાદમાં ટ્રી-ઇડિયટ કેમ્પઇન ચલાવે છે,અને વૃક્ષને લગતી ઘણી વાતો અને વૃક્ષ અને પ્રકૃતિ સાથે કામ કરતા ઘણા લોકોના ઇન્ટરવ્યૂ કરે છે,એમાં તુષાર શુક્લના પ્રકૃતિ પ્રેમ વિશેની વાત થઇ જેમાં કવિ તુષાર શુક્લએ એમની અછાન્દસ ‘ગુલમહોરનામા” રજુ કરી..અને કવિએ જાણે એ વૃક્ષને જીવંત કર્યું. ચાલો એમનાં જ અવાજમાં સાંભળીએ.

પઠન : તુષાર શુક્લ

.

એને કોણે વાવ્યો, ક્યારે વાવ્યો એ યાદ નથી
કારણકે
એ પણ મોટો થયો ‘તો મારી સાથે
એણે મને જોયો છે
શાળાએ જતા ,
કોલેજ જતા.
એણે મને જોયો છે
વસંતે ખીલતા
પાનખરમાં ખરતા
વર્ષામાં ભીંજાતા.
એણે મને જોયો છે ગુલમહોર થતા.
એણે જોઇ છે મારી મમ્મીને
દિવસને અંતે બંને હાથમાં
શાક કરિયાણાની થેલી સાથે ઘેર વળતાં
ને અમને જોયાં છે એની રાહ જોતાં,
સામે દોડતાં .
એ પછી એક દિવસ
એણે જોઇ મમ્મીને
એના છાંયેથી છેલ્લી વાર પસાર થતાં
તે દિવસે
હળવેકથી ખરી હતી એની પાંદડીઓ
મમ્મી પર .
જીવન આખું દોડેલી મમ્મીને
તે દિવસે એણે પહેલી વાર જોઇ સૂતેલી
ફરી કદી ન ઉઠવા.
એ સ્હેજ ઝૂક્યો,
જાણે કહેતો ન હોય ,
હું ધ્યાન રાખીશ ઘરનું !
એ વરસે ફૂલ ઓછાં આવેલાં એને.
પછી તો એણે જોઇ
ઘરમાં આવતી ગૃહલક્ષ્મીને
ને પરણીને જતી દીકરીને
ઘરમાં રમતાં સંતાનોને
ક્યારેક વેકેશનમાં વિદેશથી આવતા
આંગણે રમતા ભાણુભાને
સમય જતાં
ગ્રાઉન્ડફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી
મકાન પણ પ્હોંચ્યું ને એ પણ.
ને પછી એ પણ આવ્યો સાથે સાથે
બીજા માળની અગાશી સુધી.
મમ્મીને કહ્યું હશે ને
છોકરાંવનું ધ્યાન રાખીશ.
પપ્પા કવિ.
એમને ગમે તો ખરો એ
પણ
મકાનના હપ્તા ભરતા પપ્પાને ચિંતા રહે,
વૃક્ષના મૂળ ઊંડા જાય
તો મકાનના પાયાને નુકસાન થાય.
એકવાર વંટોળમાં
એક મોટી ડાળ તૂટેલી પણ ખરી.
ત્યારે
મ્યુનિ.વાળા એને લઇ જતા હતા તે જોઇને
પપ્પાની આંખ પણ ભીની થયેલી.
તે સમયે એ જ એક હતો
આંગણાની શોભા
પછી તો એને છાંયે ઊભાં રહ્યાં
મોટર સાયકલ , મોટરકાર
ને બદલાતાં રહ્યાં મોડલ
પણ એ તો એનો એ જ.
અને એક દિવસ જતા જોયા એણે
પપ્પાને.
પક્ષઘાત પછી જાતે ચાલીને
આંગણમાં ન આવી શકતા પપ્પાને
અમારા ખભે સૂતા સૂતા.
તે વરસે ગુલમહોર પર ફૂલ વધારે આવ્યાં.
જાણે એની જવાબદારી વધી !
શ્રાધ્ધમાં મોટાભાઇ બારીમાં મુકે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી
ખીર
ત્યારે
ગુલમહોરની ડાળ
ઝૂકે પહેલા માળની બારીએ.
નાની દીકરી સાદ કરે
પપ્પા, જૂઓ .. આવ્યો !
આજે તો અમે વેચી દીધું છે એ મકાન
સાથે લેતાં આવ્યાં છીએ સામાન
ગુલમહોર હજી ત્યાં જ છે.
ઊભો છે, અડીખમ
એના છાંયડે છે ઘર.
ગુલમહોરે મૂળ તો ઊંડા નાખ્યા છે, પપ્પા
પણ ઘરને નુકસાન નથી થવા દીધું , હોં !
અમારા આ ચાર માળના નવા મકાનનાં
આંગણામાં રોપ્યાં છે આસોપાલવ
દસ દસ ફૂટના ,
લઇ આવ્યા છીએ તૈયાર .
આ મકાન કે આસોપાલવ
ઉછર્યા નથી અમારી સાથે .
હું હજી ક્યારેક નીકળું છું
જૂના ઘર પાસેથી
ઘડીક ઊભો રહું છું ગુલમહોરને છાંયે
જાણે બેઠો હોઉં
મમ્મીની ખાદીની સાડીના પાલવ તળે
પાસે જઇને સ્પર્શું છું એની રુક્ષ ત્વચાને
જાણે પસવારું છું વૃધ્ધ પપ્પાના કૃષ હાથ
અમારા નવા ઘરની સામે તો
લટકે છે ચેનલના વાયર
એના પર કોઇ નથી બેસતું
મોટાભાઇ હજીય મુકે છે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી ખીર
આ નવા મકાનમાં
ને પૌત્ર
રાહ જૂવે છે એની
પણ એ આવતો નથી ખીર ખાવા.
કદાચ એ
હજીય જઇને બેસે છે
પેલા ગુલમહોરની ડાળે.
અમે તો પળવારમાં એને છોડીને
ગોઠવાઇ પણ ગયા
આ વધુ સગવડ ભર્યા મકાનમાં
પણ
પિતૃઓ એમ નહીં છોડી શકતા હોય
જૂના ઘરની મમતા ?
જૂના ઘરના નવા મકાન માલિક
શ્રાધ્ધ નિમિત્તે કદાચ
અગાશીની પાળીએ મુકશે ખીર
ને ગુલમહોરની ડાળી તરફ જોઇને
એનું બાળક પણ
કહેશે એના ડેડીને
Dad, look .. he is here !
એને કોણ સમજાવે કે એ તારા નહીં, અમારા…
ગુલમહોર ઓળખે છે એને
કારણકે
એના મૂળ બહુ ઊંડા છે એ આંગણમાં
અને
ગુલમહોરે ઘર નથી બદલ્યું
અમારી જેમ.
-તુષાર શુક્લ

ગ્લૉબલ કવિતા : ૧૬૪ : સોશ્યલ ડિસ્ટન્સિંગ

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ કંઈ જ જાણતું નથી
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી જડી? ’લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોરોના – લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની કવિતા

પહેલા બે વિશ્વયુદ્ધની અકલ્પનીય ખુવારી અને ખાસ તો હિટલરના ‘હૉલોકાસ્ટ’ અને હિરોશીમા-નાગાસાકી પરના અણુતાંડવને જોયા પછી દુનિયા સતત ત્રીજા વિશ્વયુદ્ધથી ડરતી આવી છે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે કેમ એ તો સમય જ કહેશે પણ હાલ કોરોના મહામારી ત્રીજા વિશ્વયુદ્ધને અતિક્રમી જઈ રહી હોય એમ અનુભવાય છે. કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. વધુ આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આવી મહામારીની કલ્પનાઓ ભૂતકાળમાં થઈ ચૂકી હોય. લગભગ ૪૦ વર્ષ પહેલાં ૧૯૮૧માં ડિન કુન્ટ્ઝે ‘ધ આય્ઝ ઑફ ડાર્કનેસ’ નવલકથામાં લેબોરેટરીમાં બનાવાયેલ વુહાન-૪૦૦ નામના વાઇરસના જૈવિક-હથિયાર તરીકેના પ્રયોગ અને વૈશ્વિક જોખમની વાત કરી દુનિયાને ડરાવી દીધી હતી. આ પૂર્વે આવો ડર આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઑર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓએ જન્માવ્યો હતો. ૨૦૦૮માં પ્રગટ થયેલ વિશ્વના અંત વિષયક ભવિષ્યવાણીઓના પુસ્તક ‘એન્ડ ઑફ ડેઝ’માં સિલ્વિયા બ્રાઉને નિશ્ચિત સાલ સાથે લખ્યું છે કે, ‘૨૦૨૦ની આસપાસમાં ફેફસાં અને શ્વસનનલિકાઓ પર હુમલો કરનારી ન્યૂમૉનિયા જેવી ગંભીર બિમારી, જે ઉપલબ્ધ તમામ સારવારનો પ્રતિકાર કરશે, આખી દુનિયામાં ફેલાઈ વળશે.’ ૨૦૧૧માં રજૂ થયેલી ‘કન્ટેજન’ (Contagion) ફિલ્મ જોતી વખતે ૨૦૨૦ની કોરોના મહામારીને જ જોતાં હોવાનું અનુભવાશે. ૨૦૧૯ના પૂર્વાર્ધમાં જ અમેરિકામાં આરોગ્ય અને માનવ સેવા વિભાગે ચીનમાં ઉદભવ પામેલ ઇન્ફ્લુએન્ઝાની મહામારી અમેરિકા પહોંચે તો શી અસર થાય એ જાણવા ‘ક્રિમ્સન કન્ટેજન’ નામનો એક સિમ્યુલેશન સ્ટડી કર્યો હતો, જેમાં એક કરોડ અમેરિકન આવી બિમારીથી સંક્રમિત થશે અને પાંચેક લાખ જીવ ગુમાવશે એવું તારણ કઢાયું હતું. એ વખતે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગણતરીના મહિનાઓમાં જ કાગળિયાં પર કરેલી આ કસરત વાસ્તવમાં કરવી પડશે, અને વાઇરસ પણ ચીનથી જ અમેરિકા આવશે.

કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી પ્રસ્તુત રચના વ્હાન ફેલિપે હરેરાના ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ કાવ્ય પરથી પ્રેરિત છે. આ સોલર સર્કલ પોએમની ડિઝાઇન એન્થની કોડીએ તૈયાર કરી છે. મૂળ કાવ્યનું શીર્ષક, કેન્દ્ર-કડી -Healing begins- તથા સૌર વર્તુળ કાવ્યની બાર પંક્તિઓની ડિઝાઇન યથાતથ જાળવીને બાકીનું કાવ્ય ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૌલિક રચના છે. વ્હાન અમેરિકા રહે છે. કવિ, લેખક, કાર્ટૂનિસ્ટ, શિક્ષક, કલાકાર, તથા આંદોલનકારી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ કેલિફૉર્નિયા ખાતે રસ્તાની બાજુમાં ટ્રેક્ટર, ટ્રેલર કે તંબૂમાં જીવન ગુજારનાર હિજરતી ખેડૂતના ઘરે એમનો જન્મ. સાચા અર્થમાં ધૂલ કા ફૂલ કહી શકાય એવા વ્હાનની સફર રસ્તાના પથરાંથી લઈને છેક અમેરિકાના રાજકવિ (૨૦૧૫-૧૭) બનવા સુધી વિસ્તરી છે. પ્રસ્તુત રચનાનું કાવ્યબીજ અને આકાર માત્ર એમના હોવાથી કવિ વિશે વિગતે વાત કરવાના બદલે આપણે કવિતા તરફ વળીએ.

કવિતાનું શીર્ષક ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ આજે સૌથી વધુ વપરાતો શબ્દ છે. આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. આકાર-કાવ્યમાં આકાર કાવ્યનો વિષય બને છે, પણ દૃશ્ય-કાવ્યમાં નિશ્ચિત આકારનું હોવું અનિવાર્ય નથી. બંનેમાં જો કે શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. આ કોઈ નવીન કાવ્યપ્રકાર નથી. ગ્રીક એલેક્ઝાન્ડ્રિયામાં આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં આવી કવિતાઓ લખાતી. સોળમી સદીમાં જર્મનીના ચર્ચમાં એનો નવોન્મેષ થયો. ત્યારબાદ સમયાંતરે આ કાવ્યપ્રકાર અલગ-અલગ દેશોમાં પોતપોતાની રીતે ખેડાતો રહ્યો. ધાર્મિક કાવ્યો અને બાળકાવ્યોના સંવાહક તરીકે એનો ઉપયોગ વિશેષ થયો. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે. આખી કવિતામાં બે પ્રશ્નાર્થચિહ્નને બાદ કરતાં એકપણ વિરામચિહ્ન વપરાયા નથી, જે કદાચ મહામારી અને કવિતાના વેરવિખેર વાક્યો વચ્ચેની સળંગસૂત્રિતા સૂચવે છે.

આ પહેલાં કદી જોવા ન મળેલી પરિસ્થિતિમાં દુનિયાભરનાં ઘર મૂકાયાં છે. ઘર બહાર આખી દુનિયામાં અત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગનું માહાત્મ્ય છે, જેના પરિણામે બહાર નીકળેલી બે વ્યક્તિઓ એકમેકની નજીક આવી શકતી નથી. બિમારી ફેલાય નહીં એ માટે બે વ્યક્તિ વચ્ચે સુરક્ષિત અંતર રાખવું આવશ્યક નહીં, અનિવાર્ય થઈ પડ્યું છે. પણ ઘરની અંદરની દુનિયા બિલકુલ વિપરીત છે. ઘરે આ પહેલાં કુટુંબીજનો તરીકે ઓળખાતા લોકોને દિવસો સુધી ચોવીસે કલાક ઘરમાંને ઘરમાં રહેતાં કદી જોયાં નથી, એટલે એ વિમાસણમાં પડ્યું છે કે આ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે કે ઝીરો ડિસ્ટન્સ? ઘરના બે માણસ વચ્ચે એકધારું આટલું ઓછું અંતર તો એણે આ પૂર્વે કદી જોયું જ નથી.

દુનિયામાં કોઈ માણસ અછૂતો ન રહી જાય એની હોડમાં હોય એમ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં આ વાઇરસે દેખા દીધી. પ્રથમ ૪૧ કેસના અભ્યાસ પરથી મેડિકલ જર્નલ ‘લેન્સેટ’એ તારણ કાઢ્યું કે પહેલી ડિસેમ્બરે આ બિમારીના પહેલાં લક્ષણ દેખાયાં હતાં. ૩૧ ડિસેમ્બરે ‘હુ’ સંસ્થાને પહેલો કેસ રિપૉર્ટ કરાયો અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તો ‘હુ’એ આંતર્રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. હાલ, દુનિયાના લગભગ તમામ દેશ આ વાઇરસના સંક્રમણના શિકાર છે. કોઈ માણસ ‘કોરો ના’ રહી જાય એ ફિરાકમાં હોય એમ કોરોના છીંકી રહ્યો છે. પણ નોવેલ કોરોના વાઇરસ અથવા કોવિડ ૧૯ તરીકે ઓળખાતી આ મહામારી કંઈ દુનિયાએ જોયેલ પહેલવહેલી મહામારી નથી. ઈસુના જન્મથી સવા ચારસો વર્ષ પૂર્વે એથેન્સમાં ફેલાયેલા પ્લેગે ચોથા ભાગના સૈન્ય તથા પ્રજાનો ખાતમો બોલાવી દીધો હતો. છેક ૨૦૦૬માં એક મૃતદેહના દાંતના પૃથક્કરણ પરથી નક્કી થયું કે એ પ્લેગ નહીં, ટાઇફોઇડ હતો. પ્લેગની મહામારી પછી તો અવારનવાર ફેલાતી રહી. ચૌદમી સદીના મધ્યભાગમાં યુરોપથી એશિયા સુધી ફેલાયેલા બ્લેક ડેથ નામે જાણીતા પ્લેગે સાતથી વીસ કરોડ લોકોનો જાન લીધો હતો. ત્યારબાદના ચારસોએક વર્ષમાં ઇંગ્લેન્ડમાં સોએકવાર પ્લેગ ફાટી નીકળ્યો. ૧૮૫૫માં ચીનથી ભારત સુધી ફેલાયેલા પ્લેગે એક કરોડ લોકોનો ભોગ લીધો હતો. એ સમયની પાંખી વસ્તીના હિસાબે આ જાનહાનિનો આંકડો કદાચ આજે લાગે છે એના કરતાં અનેકગણો મોટો ગણાય. ૧૯૧૮થી ૨૦ સુધી ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ખપ્પરમાં પાંચથી દસ કરોડ માણસો હોમાઈ ગયા હતા. આ આંકડો પ્રથમ વિશ્વયુદ્ધની કુલ જાનહાનિ કરતાંય ખાસ્સો મોટો હતો. ૨૦૦૯-૧૦ના સ્વાઇન ફ્લુએ પણ પાંચેક લાખ લોકોના ડેથ સર્ટિફિકેટ પર સહી કરી હતી. આ સિવાય સ્મોલપોક્સ, કૉલેરા, સાર્સ, ઇબોલા, ઝીકા વાઇરસ, એઇડ્સ જેવી બીજી અનેક મહામારીઓ આ દુનિયાને અવારનવાર પોતાની ચપેટમાં લેતી આવી છે. એ જમાનામાં મુસાફરીના સાધનો મર્યાદિત હતાં અને સમયગાળો લાંબો હતો, જ્યારે આજે અત્યાધુનિક વાહનવ્યવહારના કારણે કોઈ બિમારી સ્થાનિક રહેતી નથી. પૃથ્વી એક મોટું ગામડું બની ગઈ છે અને એક ખૂણેથી બીજા ખૂણે, ખબર હોય કે બિમારી, ફેલાતાં વાર લાગતી નથી. લાખો લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક પણ લાખની ઉપર પહોંચી ગયો છે. આ આંક ક્યાં જઈ અટકશે એ તો સમય જ કહેશે.

ભારત દેશ દુનિયાનો પહેલો દેશ હતો જેણે દેશભરમાં લૉક-ડાઉન જાહેર કર્યું પણ ૧૩૦ કરોડની વસ્તીને તાળું મારવું કંઈ આસાન છે? લૉક-ડાઉનના કારણે કદાચ ભારતમાં પરિસ્થિતિ એટલી વણસી નથી, જેટલી નાનું ક્ષેત્રફળ ધરાવતા સ્પેન, ઇટલી જેવા દેશોમાં વકરી છે. ચોવીસ કલાકમાં દેશ આખો ગણપતિને દૂધ પીવડાવવા માંડે એવી પ્રજાને રાતોરાત શિક્ષિત કરવી શક્ય નથી. લૉક-ડાઉનનો સાચો મતલબ સમજવામાં નિષ્ફળ ગયેલી પ્રજા ગ્રોસરી સ્ટોર, શાક માર્કેટ, દૂધવાળાંઓને ત્યાં ટોળાબંધ ઉમટી પડે છે. મોટાભાગના લોકો મોઢે માસ્ક પણ પહેરતાં નથી. અડોઅડ દબાઈને ઊભા રહેવાનું થાય ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ વળી કેવું? ખડેપગે ફરજ બજાવતાં પોલિસકર્મીઓ પણ કેટલાંને કાબૂમાં રાખે? આખરે તો આપણે સહુએ જાતે જ સમજવાનું છે કે લૉક-ડાઉન બિમારીનું સંક્રમણ ખાળવા માટે છે, કોઈને ભૂખ્યા મારવા માટે નથી. મહામારી છે, દુષ્કાળ નથી કે ચીજવસ્તુઓ લેવા પડાપડી કરવી પડે.

પણ આ દેશ તો વિચિત્રતાઓનો શંભુમેળો છે. કામ વિના બહાર નીકળવું, ટોળે વળવું વગેરેને ગુના ગણીને સરકાર કર્ફ્યૂ જેવો અમલ કરાવવા માંગે છે પણ લોકોને સૂમસાન રસ્તાઓ કેવા લાગે છે એ તમાશો જોવામાં રસ છે. પોતે બિમાર થઈ શકે અથવા બિમારી ફેલાવવામાં નિમિત્ત બની શકે એવી સમજણ અને નાગરિક ભાવનાના અભાવથી ગ્રસિત આ દેશ છે. પોલિસ દંડા મારે છે, ઊઠ-બેસ કરાવે છે, દંડ કરે છે, વાહન જપ્ત કરી લે છે એવા સમાચાર રોજ અખબારમાં વાંચવા છતાં, આ બાબતના કાર્ટૂન્સ- જોક્સથી સોશ્યલ મીડિયા સળગતું હોવા છતાં માત્ર ‘હું તો બહાર જઈ આવ્યો’ના મદમાં રાચતા બહાદુરોનો આ દેશ છે.

આખી દુનિયા મોબાઇલ પર બેસી ગઈ છે જાણે. આ સમય આવ્યો એ પહેલાં આપણે એવા લોકોને જોયાં છે જેઓ સતત કહેતાં ફરતાં હોય કે સમય જ નથી મળતો, બાકી આ પુસ્તક વાંચવું છે, પેલું વાંચવું છે; આ કામ કરવું છે, પેલું કરવું છે પણ ફુરસદ જ ક્યાં છે? અચાનક સહુના હાથમાં ચોવીસ કલાકની કોરીકટ નોટબુક આવી ગઈ છે. જરા પૂછો તો એ મહાશયોને કે આ લૉક-ડાઉનમાં પેલા પુસ્તકો વાંચી નાંખ્યાં કે નહીં? પેલાં કામો પતાવ્યાં કે નહીં? ના… એ બધું મોટાભાગનાઓ માટે માત્ર ફેશનમાં રહેવાની કળા માત્ર હતી. મોટાભાગના લોકોનો સ્માર્ટફોનનો વપરાશ ત્રણ-ચારગણો થઈ ગયો છે. દિવસમાં એકવાર ચાર્જ કરવો પડતો મોબાઇલ હવે બે-ત્રણવાર ચાર્જ કરવો પડે છે. સ્માર્ટફોને માણસની સ્માર્ટનેસનો શિકાર કર્યો છે. આપણે ‘ઢ’ બની બેઠાં છીએ. સાધારણ ગણતરીથી લઈને કંઈપણ હોય–બધું જ કામ ફોન જ કરે. સોશ્યલ મીડિયા દરેક ફાલતુ વસ્તુને વાઇરલ કરવા ટાંપીને બેઠું છે. વાતનું વતેસર થતાં વાર લાગતી નથી. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી મીડિયા પર એના વિશેની ‘એ ટુ ઝેડ’ માહિતીઓ સતત ઠલવાઈ રહી છે. સોશ્યલ મીડિયાના અકલ્પનીય બહોળા વ્યાપના પ્રતાપે આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કોરોના વાઇરસ વિશે અનભિજ્ઞ હોય. દરેક માણસ આ મહામારી વિશે બધું જ જાણે છે. કોરોના કઈ રીતે ફેલાય છે, કોને થઈ શકે, લક્ષણો શું છે અને બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ એનું અણીથી પણી સુધીનું જ્ઞાન દરેકે દરેક જણ ધરાવે છે. પણ આ જ જ્ઞાનીઓ માસ્ક પહેર્યા વિના દુકાને, ચોરાહે ટોળામાં, ચીપકીને ઊભેલાં અને ગપ્પાં મારતાં નજરે ચડે છે. અતિજ્ઞાનની બિમારીથી માનવજાત એ રીતે પીડાઈ રહી છે કે જ્ઞાન માત્ર ફોરવર્ડ કરવાની ‘વસ્તુ’ બની ગઈ છે. वॉट्सएपेषु हि या विद्या, फेसबुकेषु यत् ज्ञानम् જેવી આ વાત છે. બધાં જ સર્વજ્ઞ છે અને બધાં જ અજ્ઞ પણ. उत्पन्नेषु च कार्येषु न सा विद्या, न तत् ज्ञानम्।

સંક્રમણના ડરથી મોટાભાગના ઘરોમાં કામવાળાંઓને રજા આપી દેવાતાં ઘરકામ એક અભિયાન બની ગયું. અને ઘણાખરા ઘરોમાં, ખાસ કરીને વિભક્ત કુટુંબોમાં પુરુષો ઘરકામમાં હાથ આપતા થઈ ગયા છે. કોરોનાએ બધાંને ધંધે લગાડી દીધાં. સંતાન ઊઠે એ પહેલાં કામે ચાલ્યો જતો અને સૂએ એ પછી ઘરે આવતો બાપ સંતાનો માટે જાણે કોઈ બહારની વ્યક્તિ હતી. અતિશયોક્તિ પડતી મૂકીએ તોય ઘણાં ઘરોમાં મા-બાપ પાસે સંતાનો માટે સમય જ નથી હોતો. બાળકોને ભણાવવાની પ્રવૃત્તિમાંથી તો મા-બાપ આમેય નિવૃત્ત થવા માંડ્યા છે. ઉચ્ચતર શિક્ષણ માટે ટ્યુશન ક્લાસની વાત આઉટ-ડેટેડ થઈ ગઈ, હવે તો બાળકો માટે પ્લેગ્રુપ અને નર્સરીના ટ્યુશન પણ શરૂ થઈ ગયાં છે. કોરોનાનું લૉક-ડાઉન લૉક-અપ બન્યું અને એક જ છત નીચે અજાણ્યાં લોકો ફરી એકત્ર થયાં. કબાટમાં ધરબાઈ ગયેલી રમતો બહાર આવી અને પરિવાર નવરાશની પળો ફરી સાથે માણતો થયો. સંબંધોની ખરી ઓળખાણ થઈ. કટાઈ ગયેલા તાળા જેવા સંબંધો પણ સહવાસની ચાવી ફરતા અવાજ કરતા-કરતા, લડતા-ઝઘડતા પણ ખૂલ્યા ખરા. ચોવીસ કલાક સાથેને સાથે રહેવાનું થાય એટલે પારિવારિક તકરાર પણ વધે તો ખરી જ. ઢબૂરાઈ રહેલા અહમના અંગારા પણ ભભૂકે. પણ આ બધું થવા છતાં મોટાભાગના કુટુંબોમાં સરવાળે સહવાસની ઉષ્માનો હાથ જ ઉપર રહેવાનો. અને કદાચ એટલે જ ઘરોમાં બેડરૂમ પહેલાં કદી નહોતા એટલા વ્યસ્ત થઈ ગયા છે. લૉક-ડાઉન એ સમાજ પર મરાયેલું મસમોટું તાળું છે પણ આ બંધનમાં યુગલો ખરી આઝાદીનો અનુભવી રહ્યાં છે. હા, પરિવારજનોની સતત ઉપસ્થિતિના કારણે બધાં ઘરોમાં આત્મીય સહવાસની ફ્રિક્વન્સી કદાચ નહીં વધે, પણ જ્યાં જ્યાં મોકળાશ છે ત્યાં ‘રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર’ની પરિસ્થિતિ નિર્માણ થઈ જ છે. વિશ્વભરમાં કૉન્ડમ્સની માંગ અચાનક આકાશને આંબી ગઈ એને કોરોનાની આડઅસર કહીશું કે છૂપું વરદાન?

શહેરોની સડકો લગભગ ખાલી થઈ ગઈ છે. મોટાભાગના રસ્તાઓ પર અવરોધો ગોઠવાયા છે. ચારેતરફ પોલિસ અને અર્ધલશ્કરી દળોનું પેટ્રોલિંગ અમલી છે. પેટ્રોલનો વપરાશ ૧૦-૧૫ નહીં, નેવું ટકા જેટલો ઘટી ગયો છે. વાહનો પાર્કિંગમાં પડ્યાં-પડ્યાં આળસ ખાઈ રહ્યાં છે. રીક્ષા-બસ-ટ્રેન-પ્લેન બધું જ લૉક-ડાઉનમાં છે. પરિણામે પ્રતિદિન ૪૦૦ના સ્થાને ભારતમાં વાહન અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યા નહિવત થઈ ગઈ છે. ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે ભારતમાં ૩૬૦ મૃત્યુ થયાં. કોરોના ન આવ્યો હોત તો રોડ-અકસ્માતમાં આટલા સમયમાં બાર હજારથી વધુ લોકો મરણને શરણ થયાં હોત. ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનાના આંકડા જોઈએ તો પણ પ્રતિદિન વિશ્વભરમાં વાહન-અકસ્માતના કારણે થતાં મૃત્યુના દર સામે કોરોનાનો મૃત્યુદર લગભગ ચોથા ભાગનો છે. આ સિવાય, હોટલ-રેસ્ટોરન્ટ, પાર્ટી-લગ્ન-જાહેર સમારંભ બધું જ બંધ થઈ જવાના કારણે, પ્રદૂષણ ઘટવાના કારણે અને લોકો ઘર-કેદ રહેવાનાં કારણે ચેપી રોગો અને એના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ પણ નગણ્ય કહી શકાય એટલું ઘટી ગયું છે. બીજું, અઠવાડિયામાં સાત અને મહિનામાં ત્રીસ રવિવાર થઈ જવાથી જીવનમાંથી તણાવ ઓછો થઈ ગયો છે. સવારે ઊઠવાનું, કામ પર જવાનું, ટ્રેન પકડવાનું, ટાર્ગેટ હાંસિલ કરવાનું, બૉસને રિપૉર્ટ આપવાનું, જુનિયર્સ પાસેથી ધાર્યું કામ લેવાનું- આ બધું જ અત્યારે લૉક-ડાઉન છે. પરિણામે હૃદયરોગ અને લકવાથી થતા મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. મોટાભાગની હૉસ્પિટલ ખાલી છે અને તોય જીવન ચાલે છે. સાક્ષાત્ યમરાજ પણ કોરોનાથી ડરતા હોય એવો આ ઘાટ છે. કોરોના બ્રહ્માસ્ત્ર છે કે સંજીવની? (જો કે ઘટેલા મૃત્યુદરની સામે દેશ અને દુનિયાનું અર્થતંત્ર પણ ખાડે ગયું છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.)

દુનિયાભરમાં વાહનસંચાર અને ઉદ્યોગો બંધ થઈ ગયા હોવાથી પ્રદૂષણની માત્રા નોંધપાત્ર ઘટી ગઈ છે. ઓઝોનનું ગાબડું પૂરાઈ રહ્યું હોવાના અહેવાલ છે. ગંગા નદીનું પ્રદૂષણ અડધું થઈ ગયું છે અને જલંધર જેવાં શહેરોને દાયકાઓ બાદ હિમાલય પુનઃ દેખાતો થયો. આકાશમાં રાત્રે અચાનક તારાઓ વધી ગયેલા અને સાફ દેખાય છે. શહેરોની આબોહવા હિલસ્ટેશન જેવી થઈ ગઈ છે. સતત સાથે રહેવાથી, પરસ્પર વાતચીતનો સેતુ પુનઃસ્થપિત થવાથી સંબંધોમાં વર્ષોથી જામેલી લીલ પણ સાફ થઈ ગઈ છે. પરિવારના માણસો એકમેકને સાચા અર્થમાં ઓળખી-મળી રહ્યાં છે. કોરોનાએ દુનિયામાં ભલેને હાહાકાર કેમ ન મચાવી દીધો હોય, વયષ્ટિ અને સમષ્ટિ –ઉભય રિબૂટ થઈ રહ્યાં છે. જન અને જગત- બંનેનું નવીનીકરણ થઈ રહ્યું છે. દુનિયા સરીખા ઘાવમાં સાચે જ રૂઝ આવી રહી છે. આ વાઇરસ જલ્દીથી વિદાય લે એ તો ઇચ્છીએ જ, પણ જે રૂઝ આવવી શરૂ થઈ છે, એ પાછળ મૂકીને જાય એ જ પ્રાર્થના.

હવે રાત પડશે -મકરન્દ દવે

સ્વર અને પ્રસ્તાવના : અમર ભટ્ટ

.

આધુનિક ગુજરાતી કવિતાનો સશક્ત અવાજ ને ભગવો મિજાજ એટલે સાંઈ મકરન્દ દવે.
એમની કાવ્યસૃષ્ટિના કૅનવાસમાં આજે પ્રવેશવું છે.
એમનું એક કાવ્ય પઠન સ્વરૂપે સંભળાવવું છે-
‘હવે રાત પડશે‘
રાત પૂરી થાય પછી નવો દિવસ શરૂ થાય. જન્મ પછી મૃત્યુ પછી પુનર્જન્મ! કેટલી રહસ્યગર્ભિતા છે આ કાવ્યમાં !

હવે રાત પડશે,
હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને,
લપાતા છુપાતા અવાજો હણીને,
અને છાયી દયી પૃથ્વીની છાવણીને ,
મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફળશે,
હવે રાત પડશે.

હવે બારણાં બારી વેગેથી વાસો,
નકુચાને સાંકળ બરાબર તપાસો,
જુઓ નાખશો નહિ જરીકે નિઃશાસો,
તમારી જ મેડી ઉપર કોઈ ઓળો ચુપા ચુપ ચઢશે, 
હવે રાત પડશે.

ગલીને ખૂણે પેલો ખંડેરી ખાંચો, 
જુઓ તો સરે છે શું કંકાલી ઢાંચો,
કહે છે ઉઠો, પહેરો ઝાંઝર ને નાચો, 
અને એમ વાયુ થઈને વિચરતી આ જમાતો જડશે,  
હવે રાત પડશે.

સૂના મંદિરે કોઈ સપનામાં મોતી,
અને વાવને કાંઠડે વાટ જોતી, 
હશે ઝુરતી રાત સુમસામ રોતી, 
તમે શું જશો એની પાસે જઈ,
હાય જોશે તે રડશે,
હવે રાત પડશે.
 
મસાણે અઘોરીની આ મૂરત આ મૂંગી,
જુઓ કેવી દમ લેતી ચેતાવે ચૂંગી, 
અને સાથ ભરડો હટાવી ભુજંગી, 
તીખારે તીખારે ગહન તારકોના દ્વારો ઉઘડશે,
હવે રાત પડશે.

હવે રાત પડશે ને ભૈરવ ને થાનક, 
પતાકાઓ કાળી ફરકશે ભયાનક,
અને ત્યાં તો પૂરવને કાંઠે અચાનક,
નવી પીડ તાણી જતી કોઈ કન્યાના વાજા વગડશે,
હવે રાત પડશે.
-મકરન્દ દવે

ગ્લૉબલ કવિતા : ૧૫૪ : અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડન

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was a saint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of his generation.
And our teachers report that he never interfered with their education.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden
અજાણ્યો નાગરિક

(પ્રતિ જે.એસ./07M378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે આંકડાશાસ્ત્રના ખાતા દ્વારા તપાસ કરતાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો એ વાતે સહમત છે
કે, એક જુનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં, એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, બૃહદ સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એણે એક જ ફેક્ટરીમાં કામ કર્યું અને એને કદી પાણીચું અપાયું નહોતું;
ઊલટું, એણે સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ છતાંય ન તો એ હડતાળ-વિરોધી ગદ્દાર હતો કે ન તો એના વિચારો વિચિત્ર હતા,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ બરાબર જ હતું)
અને અમારા સમાજ-માનસશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને પીવું પસંદ હતું.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એની પ્રતિક્રિયાઓ દરેક રીતે સામાન્ય હતી.
એના નામ પર લેવાયેલી પોલિસીઓ સાબિત કરે છે કે એણે પૂરેપૂરો વીમો ઉતરાવ્યો હતો,
અને એના આરોગ્ય-પત્રક મુજબ એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને ગયો હતો.
બંને પ્રોડ્યુસર્સ રિસર્ચ તથા હાઇ-ગ્રેડ લિવિંગ સંસ્થાનોએ જાહેર કર્યું છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓ બાબત સંપૂર્ણપણે સમજદાર હતો
અને આધુનિક માનવીને જરૂરી તમામ ઉપકરણો એની પાસે હતાં,
મોબાઇલ, સ્માર્ટ ટીવી, કાર અને રેફ્રિજરેટર.
અમારા જનમત સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
શાંતિ હતી ત્યારે એ શાંતિના પક્ષમાં હતો; યુદ્ધ થયું ત્યારે એ માટે ગયેલો.
એ વિવાહિત હતો અને વસ્તીમાં એણે પાંચ બાળકોનો ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજાજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? આ પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈ પણ ખોટું થયું હોત, તો અમને તો ખબર જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડન
(અનુ.: વિવેક મનહર ટેલર)
નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

આધાર કાર્ડ વિના નિરાધાર હોવાની લાગણી જન્માવે એ રીતે અમેરિકાના સોશ્યલ સિક્યુરિટી નંબરની જેમ આપણા દેશમાં આધાર કાર્ડનું વાવાઝોડું ફરી વળ્યું છે. બૅન્ક એકાઉન્ટ હોય કે ઇન્કમટેક્સ રિટર્ન હોય, મોબાઇલ નંબર હોય કે ઓનલાઇન ખરીદી, લોન લેવી હોય કે સરકારી ખાતામાં નોકરી- આપણે ત્યાં પણ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આપણા દેશનો સરેરાશ નાગરિક હજી અભણ હોવાથી હજી આપણા વ્યવહારમાં થોડીઘણી વ્યક્તિગતતા બચી ગઈ છે પણ સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય. ઑડનની અજાણ્યો નાગરિક કવિતા આજના યુગના આઇડેન્ટિટી લૉસની ચોંકાવનારી વાસ્તવિક્તાથી આપણને અવગત કરે છે.

ડબ્લ્યુ. એચ. ઑડન. વિસ્ટન હ્યુ ઑડન. ૨૧-૦૨-૧૯૦૭ના રોજ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે મધ્યમવર્ગીય કુટુંબમાં ફિઝિશ્યનને ત્યાં જન્મ. દાદા-પરદાદાઓ ચર્ચમાં પાદરી રહ્યા હોવાના નાતે બાળપણમાં ચર્ચ એમની નજીક રહ્યું અને કૂમળી વયે એમના સંગીત તથા ભાષાપ્રેમને આકાર આપવામાં નિમિત્ત પણ બન્યું. એ જ રીતે પિતાજીનો તબીબી વ્યવસાય એમની આજીવન મનોવિશ્લેષણાત્મક રુચિનંા ઉદગમસ્થાન બન્યો. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. ૧૩ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે સાહિત્યકાર બનવા સર્જાયા છે. ૧૯૩૦માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. ઓક્સફર્ડ ખાતે અંગ્રેજી ભાષા-સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી. લૉર્ડ ઑફ રિંગ્સના સર્જક ટોલ્કિન ત્યાં એમના શિક્ષક હતા. પહેલાં બ્રિટનમાં અને પછી અમેરિકામાં લેક્ચરર-પ્રોફેસર તરીકે સેવા પણ બજાવી. ૧૯૨૭થી ૩૯ સુધી ક્રિસ્ટોફર ઇશરવુડ તથા અન્ય કેટલાક સાથે સજાતીય શારીરિક સંબંધો રહ્યા. ૧૯૩૫માં એરિકા માન નામની જર્મન લેખિકા-અભિનેત્રીને નાઝીઓથી બચવા બ્રિટિશ પાસપૉર્ટ અપાવવાના એકમાત્ર હેતુસર કહેવાતા લગ્ન કર્યા. ૧૯૩૯માં અમેરિકા સ્થળાંતર કર્યું. અને ૧૯૪૬માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. લાંબાટૂંકા ગાળાના જાતિય સંબંધો અનેક વ્યક્તિઓ સાથે રાખ્યા. ૧૯૩૯માં ચેસ્ટર કોલમેનના પ્રેમમાં પડ્યા. ઑડનના મતે એ એમની પત્ની હતી પણ ચેસ્ટરને એ દરજ્જો મંજૂર નહોતો એટલે બે વર્ષમાં લગ્નજીવનનો દાવો પડી ભાંગ્યો. દોસ્તી ટકી રહી અને ૧૯૪૭થી કવિના મૃત્યુ સુધી બંને જણ એક જ ઘરમાં શારીરિક સંબંધ રાખ્યા સિવાય સાથે રહ્યા. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા, અને જીવનનો ઉત્તરાર્ધ બહુધા ન્યૂયૉર્ક અને ઓસ્ટ્રિયાની વચ્ચે વહેંચી નાંખ્યો. પુલિત્ઝર પારિતોષિકથી સન્માનિત થયા. ૨૯-૦૯-૧૯૭૩ના રોજ વિએના ખાતે નિધન.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડન સાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ. એમના જીવનનો અજંપો એમના કાવ્યોના સ્વરૂપ, કદ તથા વિષયોના અસીમ વૈવિધ્યમાં પ્રતિબિંબાય છે. પ્રાચીનતમથી લઈને આધુનિકતમ તમામ કાવ્યપ્રકારોમાં એમણે ખેડાણ કર્યું છે. ઑપેરા માટેના લેબ્રેટો (libretto) (દીર્ઘ સંગીતનાટિકા) પણ એમણે લખ્યાં છે. પદ્યની જેમ જ ગદ્યમાં પણ નાનાવિધ પ્રકારોમાં એમનું ખેડાણ ખાસ્સું બહોળું અને નોંધપાત્ર છે. એમની કલમમાંથી એમનું જીવન છલકાય છે. સમસામયિક પ્રવાહો, અમેરિકા અને ઇન્ગ્લેન્ડના તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાઓનું સંમિશ્રણ ઑડનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનિકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિ ગણાય છે. ઑડનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. વલેરીની કહેતી કે, ‘કવિતા ક્યારેય પૂરી થતી નથી, એને માત્ર ત્યજી દેવામાં આવે છે’ સાથે સહમત હોય એમ તેઓ પોતાની રચનાઓમાં સતત સુધારા કર્યે રાખતા. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. કવિતામાં આધુનિકવાદની અસર એમની કલમમાં સતત વર્તાય છે. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ પણ દેખાય છે. બીજા વિશ્વયુદ્ધ અને રાજકારણનો પણ એમના પર ખાસ્સો પ્રભાવ રહ્યો. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

‘અજાણ્યો નાગરિક’ કવિની જાણીતી રચના છે. ૧૯૩૯માં ઇન્ગ્લેન્ડથી ન્યૂયૉર્ક સ્થળાંતરિત થયા બાદ એ જ વર્ષે લખાયેલી આ કવિતા અમેરિકન શૈલીની વિશૃંખલતા તથા ઉપભોક્તાવાદથી ઑડન કેટલી હદે દિગ્મૂઢ થઈ ગયા હશે એની પ્રતીતિ કરાવે છે. કોઈ મજેદાર ટૂચકો વાંચતા હોઈએ એવી જણાતી આ કવિતા અંતે આપણા બીબાંઢાળ અહેસાસને ચીરીફાડી નાંખે છે. ઉમદા કવિતા ઉત્તમ કથાવસ્તુઓથી બનતી નથી આ એનો પણ પુરાવો છે. સામાન્યરીતે ઑડનની કવિતાઓ રોજિંદી બોલચાલના કાકુઓથી એટલી રસીબસી હોય છે કે અનુવાદ કરવું દોહ્યલું થઈ પડે. જો કે પ્રસ્તુત રચના એમાં અપવાદ છે. શીર્ષક અને કવિતા વચ્ચેના સમાધિલેખને બાદ કરતાં આખી રચના એક જ ફકરામાં લખાયેલ ૨૯ પંક્તિઓનું સળંગ કાવ્ય છે. પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય હકીકતમાં મુક્તપદ્ય (Free verse) અને રિક્તપદ્ય (blank verse)ની વચ્ચે ક્યાંક ગતિ કરે છે, જેમાં રિક્તપદ્યની જેમ પ્રાસ અને છંદ તો છે પણ અનિયત અને અનિશ્ચિત છે. પ્રચલિત આયમ્બના સ્થાને મોટાભાગે (બધે જ નહીં!) એનાપેસ્ટ (લઘુ-લઘુ-ગુરુ શબ્દાંશ) મીટર પ્રયોજાયું છે, અને શબ્દાંશ સંખ્યા પંક્તિએ પંક્તિએ મુક્તપદ્યની જેમ બદલાતી રહે છે. ચુસ્ત પ્રાસ છે પણ પ્રાસરચના અંધાધૂંધીભરી છે. કવિતાની શરૂઆત અબઅબ પ્રાસયોજનાથી થાય છે અને અચાનક અઅ-બબ પ્રકારના યુગ્મકપ્રાસથી લઈને કોઈ એક પંક્તિનો પ્રાસ છેક દૂરની કોઈ પંક્તિ સાથે (૮-૧૩, ૧૮-૨૧-૨૩) મળતો હોય એ પ્રકારના આંચકાવાળી ઉબડખાબડ છે. સરવાળે, કવિતાનાં કદ, આકાર, છંદ અને પ્રાસની અરાજકતામાં આજના સરકારી વહીવટમાં પ્રવર્તમાન વિશૃંખલતા દૃષ્ટિગોચર થાય છે.

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે એની આ વાત છે. ઊંચી પૉસ્ટ પર બેઠેલો કોઈ સરકારી અધિકારી એના ટેબલ પર પડેલી કોઈ ફાઇલ વિશે વાત કરતો હોય, બિલકુલ એ જ નિઃસ્પૃહતાપૂર્વક કોઈપણ જાતની લાગણી અનુભવ્યા કે વ્યક્ત થવા દીધા વિના મરી ગયેલા બેનામ નાગરિક વિશે આપણને કહી રહ્યો છે. એના અવાજમાં કોઈ જ કંપ નથી એ હકીકત આપણા શરીરમાં કંપકપી લાવી દે છે. કાવ્યારંભે આવતા ઉત્કીર્ણલેખ (epigraph) પરથી આપણને સમજાય છે કે મરનાર ગુમનામ હતો એટલે રાજ્યસરકારે એને દફન કરીને એની કબર ઉપર આરસનું સ્થાપત્ય બનાવી તકતી લગાવી છે. તકતી પર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર આ અજાણ્યા નાગરિકની એકમાત્ર ઓળખ બનીને રહી ગયાં છે. અજાણ્યો નાગરિક શીર્ષક યુદ્ધમાં શહીદ થયા બાદ ઓળખી ન શકાયેલા સૈનિકોની વિશ્વભરમાં ઠેકઠેકાણે ઊભી કરાયેલ અજાણ્યા સૈનિકોની કબરોની ઠેકડી ઊડાવે છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી નફ્ફટ પણ નગ્ન ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા લંબાયે જ રાખે છે અને આપણા અહેસાસના અ-ક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે ૧૯૩૧માં લખાયેલ ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને વૈજ્ઞાનિકો તથા ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ આબેહૂબ થયું છે. નવ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથાએ એ જમાનામાં ભયનું લખલખું ફેલાવી દીધું હતું. બીજી બાજુ, ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. સમસ્ત મનુષ્યજાતિ પર ચાંપતી નજર રાખતો બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરના કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો न भूतो, न भविष्यति છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠીંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ સમયના વહેણમાં ગુમરાહ થાઉં-થાઉં કરતા સમાજને સાચી દિશા દેખાડે છે. ઑડનની આ કવિતા પણ આવી જ એક દીવાદાંડી છે અને એંસી વરસ વીતવા છતાંય એની રોશની મંદ પડી નથી.

આ અજાણ્યો નાગરિક આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. કોઈપણ સરકાર માટે એના નાગરિકની શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ આંકડાશાસ્ત્રથી થાય છે, એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હસ્તી જ નથી. અલગ-અલગ સરકારી બિનસરકારી ખાતાંઓ તરફથી પ્રાપ્ત કરાયેલ માહિતીના આધારે મરનારનું જીવન સરકાર નક્કી કરે છે. અંકખાતું કહે છે કે એની વિરુદ્ધ કોઈ અધિકૃત ફરિયાદ નહોતી. પ્રાપ્ત તમામ અહેવાલો પરથી એવું જણાય છે કે મૃતકની જિંદગી જૂના જમાનામાં જેને આપણે સંત કહેતા હતા એ કિસ્મના મનુષ્યના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને એનું કોઈ અસ્તિત્વ નથી. પણ મરનારના લક્ષણો એના જેવા જ હતા. કેમકે એણે નિવૃત્ત થયો ત્યાં સુધીમાં એક યુદ્ધને બાદ કરતાં માત્ર સમાજનું કલ્યાણ થાય એવાં જ કામ કર્યાં હતાં.

આજના માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે. આજીવન એક જ જગ્યાએ નોકરી કરવી, માલિકો દ્વારા કદી હકાલપટ્ટી ન કરાવી એ જ કામદારનો ધર્મ. વળી યુનિયન હડતાળ પાડે ત્યારે હડતાળભંગ કરી કામે ચડવું એ પણ સમાજવિરોધી કૃત્ય જ ગણાય છે. સંજોગ કોઈ પણ હોય, પ્રવર્તમાન ટોળાશાહીથી અલગ ચીલો ન ચાતરવો એ જ આદર્શ નાગરિકનો ધર્મ છે. અધિકારી વળી એ યુનિયન પણ સરકારી નિયમો મુજબ યોગ્ય જ હતું એમ જણાવે છે ત્યારે આપણે સતત ‘બીગબ્રધર’ના કેમેરાની નજરમાં જ હોવાનું અનુભવાય છે. આ વાત અહીં એટલા માટે વધુ મહત્ત્વ ધરાવે છે કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના એ ગાળામાં મોટાભાગના યુનિયનો સમાજવાદી કે કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે ગુપ્તરીતે સંકળાયેલા હતા અને એ રીતે સરકારવિરોધી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતાં. આવા સમયે સરકાર મૃતકના યુનિયનને પણ ‘ક્લિન ચીટ’ આપે એ સરમુખત્યારશાહી પાછળનો કટાક્ષ લોહી થીજવી દે એવો તીવ્ર છે.

સમાજમાનસશાસ્ત્રીઓના મંતવ્યાનુસાર એ મળતાવડો હતો, સાથીઓમાં અપ્રિય નહોતો અને ડ્રિન્ક પણ લેતો હતો. પાશ્ચાત્ય સમાજમાં ડ્રિન્ક એ શિષ્ટાચારનો પર્યાય છે. અખબારનવેશોને ખાતરી છે કે આ માણસ રોજ એક અખબાર ખરીદતો હતો અને જે ઢંગઢડા વિનાની જાહેરાતોના દમ પર અખબારો ચાલે છે, એ જાહેરખબરો વિશેની એની પ્રતિક્રિયાઓ સમાજમાં દરેક માનવીની જે રીતની હોવી ઘટે, એવી જ હતી. એના નામ પર લેવાયેલી વીમાપૉલિસીઓ પરથી એવું સિદ્ધ થયું છે કે એ પૂર્ણપણે વીમિત હતો. બહુ બિમાર પડીને એ સરકાર પર વધારાનો બોજ બન્યો નહોતો. એક જ વાત એ હૉસ્પિટલમાં દાખલ થયો હતો ને ત્યાંથીય સાજા થઈ રજા લઈ એણે સરકાર પર ઉપકાર કર્યો હતો. માણસની ઉચ્ચ જીવનશૈલીના ‘ગોડફાધર્સ’ના મતે મધ્યમવર્ગના માનવીની જેમ એ હપ્તા પદ્ધતિના લાભાલાભથી વાકેફ હતો અને એની પાસે તમામ અત્યાધુનિક ઉપકરણો હતા, યાને કે એ નિયમિત હપ્તા ભરતો હતો. અર્થાત્, દેવુ કરીને પણ ઘી પીવાની ચાર્વાકપદ્ધતિથી એ અસહમત નહોતો. જરૂર ન હોય એવી વસ્તુઓ પણ હપ્તેથી ખરીદવાની મનોવૃત્તિ જન્માવતા આધુનિક ઉપભોક્તાવાદનો એક હિસ્સો હોવું મતલબ સમાજની અર્થવ્યવસ્થા બરાબર ચાલતી રહે, વૃકોદર ધનિકોની ધનભૂખ સંતોષાતી રહે એ બાબતને અનુમોદન આપવું. મૃતક કોઈપણ વિરોધ વિના આ વ્યવસ્થાનો એક નિરુપદ્રવી પુરજો બન્યો હતો એટલે સરકાર માટે એ સર્વથા આદર્શ નાગરિક હતો.

જનમત સંગ્રાહકોના મતે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો. મતલબ, એના અવાજમાંથી કદી કોઈ પણ વિરોધનો સૂર ઊઠતો સંભળાયો નહોતો. યુદ્ધ થાય ત્યારે એ ચૂપચાપ એમાં પણ જોતરાતો. લગ્ન કરીને એણે સમાજની વસ્તીમાં પાંચ બાળકોનું અમૂલ્ય પદાર્પણ કર્યું હતું. સુપ્રજાજનનશાસ્ત્રી (Eugenist)ના મતે આજે બહુ વધારે લાગતો આંકડો એ સમય માટે યોગ્ય જ હતો. સુપ્રજાજનનશાસ્ત્ર (Eugenics)નો અર્થ છે ‘સારું સર્જન.’ પ્લેટોએ પહેલવહેલીવાર આ વિચાર રજૂ કર્યો હતો. ચુનંદા ગુણધર્મો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે શારીરિક સંબંધ બંધાવીને ઉમદા નસલની માનવજાતિ ઉત્પન્ન કરવી એટલે યુજેનિક્સ. ઓગણીસમી સદીના અંતભાગે ગાલ્ટન અને એના પિતરાઈ ચાર્લ્સ ડાર્વિને એનો ઝંડો ઉપાડ્યો. વિશ્વભરમાં સંસ્થાઓ સ્થપાઈ અને હજારો શારીરિક-માનસિક ખોડખાંપણ કે બિમારીઓ ધરાવતા લોકોનું વંધ્યકરણ કરી નાંખવામાં આવ્યું. હિટલરને જ્યારે આ શસ્ત્ર હાથમાં લઈ ઉત્તમ આર્યપ્રજાતિ સર્જવાનું ગાંડપણ ચડ્યું અને યુજેનિક્સના નામે લાખો લોકોનો બલિ લેવામાં આવ્યો ત્યારે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. જિનેટિક એન્જિનિઅરિંગના નામે આ કામ આજે પણ ચાલી રહ્યું છે.

અજાણ્યા નાગરિકના સંતાનોના શિક્ષકો પણ એનાથી એ વાતે સંતુષ્ટ હતા કે એમની શિક્ષણ પદ્ધતિની આડે એ ક્યારેય આવ્યો નહોતો. સરકારી અધિકારી આખી રચનામાં તમામ ખાતાધિકારીઓને ‘અમારા’ કહીને સંબોધે છે, પણ જ્યારે એ શિક્ષકોને પણ ‘અમારા’ કહે છે, ત્યારે ખતરાની ઘંટીઓ સંભળાય છે. શિક્ષણ વ્યવસ્થા સરકારના કાબૂમાં હોવી મતલબ નાગરિક અભિવ્યક્તિ પર સમગ્રતયા કાબૂ હોવો. તમામ સરકારમાન્ય સંસ્થાઓ-અધિકારીઓ તમારા વિશે ‘ઓકે’ રિપૉર્ટ આપે તો જ તમે ‘ઓકે’ કહેવાવ. તમારા દ્વારા અપાતા તમામ અભિપ્રાય સરકારને સુસંગત જ હોવા જોઈએ. નોકરી, બાળક, શિક્ષણ કે શ્વાસ- તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલાં આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ ઘોડાવાળાએ નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા તો ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર પણ આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને એની મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

છેલ્લી બે પંક્તિ તો ચપ્પુની અણીથી કોતરી હોય એવી છે. શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? બે પ્રશ્નો કહ્યા બાદ પણ સરકારી અધિકારી પ્રશ્ન માટે એકવચન વાપરે છે, જાણે કે આવા પ્રશ્નો એક હોય, બે હોય કે હજાર- એને મન બધા એક જ, અને એકેયથી એને રતીભારેય ફરક પડતો નથી. એના માટે તો આ પ્રશ્ન જ બેતૂકો છે, કેમકે એને અને સરકારને દૃઢપણે ખાતરી છે કે કંઈપણ થયું હોત તો એમને તો ખબર હોત જ, કેમકે એમની જાણકારી (અને મરજી) બહાર તો પાંદડુંય ફરકી શકનાર નથી. જય હો બીગ બ્રધર! આઝાદી, ખુશી, પ્રેમ જેવી વ્યક્તિગત અને અભિવ્યક્તિગત સંવેદનાઓનું સરકારને મન કોઈ મૂલ્ય નથી. બળદ પોતાના ગળે ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. દરેકેદરેક માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં દરેકેદરેક માણસ અ-જાણ્યો જ છે એ વિરોધાભાસ, એ કારમો કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે અને એ જ આ કવિતાનો પ્રાણ છે.

ગ્લૉબલ કવિતા : ૧૫૩ : આપણે બધા – એરિકા એલ. સાંચેઝ

All of Us

Every day I am born like this—
No chingues. Nothing happens
for the first time. Not the neon
sign that says vacant, not the men
nor the jackals who resemble them.
I take my bones inscribed by those
who came before, and learn
to court myself under a violence
of stars. I prefer to become demon,
what their eyes cannot. Half of me
is beautiful, half of me is a promise
filled with the quietest places.
Every day I pray like a dog
in the mirror and relish the crux
of my hurt. We know Lilith ate
the bones of her enemies. We know
a bitch learns to love her own ghost.

– Erika L. Sánchez

આપણે બધા

દરરોજ હું આ જ રીતે જન્મું છું-
પત્તર ના ઠોકશો. કંઈ પણ થતું નથી
પહેલી વાર. ‘ખાલી છે’ કહેતી
નિયૉન સાઇન નહીં, માણસો નહીં
કે શિયાળ પણ નહીં જે એમના જેવા જ લાગે છે.
હું ઊઠાવું છું પહેલાં આવી જનારાઓ દ્વારા
અક્ષરાંક્તિ થયેલા મારા હાડકાંઓ, અને શીખી લઉં છું
મારી જાતને સોંપી દેતા સિતારાઓની
હિંસા તળે. હું રાક્ષસ બનવાનું પસંદ કરું છું,
જે એમની આંખો નથી બની શકતી. મારામાંની અડધી સ્ત્રી
સુંદર છે, અડધી એક વચન છે
જે ભર્યું પડ્યું છે શાંતતમ જગ્યાઓથી.
દરરોજ હું પ્રાર્થું છું એક કૂતરાની જેમ
અરીસામાં અને ઉપભોગું છું મારી પીડાઓના
અર્કને. આપણે જાણીએ છીએ કે લિલિથ ખાઈ ગઈ હતી
એના શત્રુઓનાં હાડકાં. આપણે જાણીએ છીએ
કૂતરી શીખી લે છે ચાહવાનું પોતાના જ ભૂતને.

– એરિકા એલ. સાંચેઝ

આ સદીની સૌથી મોટી ઘટના : હેશ ટેગ મી ટુ (#MeToo)

શું તમે એક સ્ત્રી છો? તો આ વાતનો જવાબ આપો: બાળપણના સાવ કાચા-કૂમળા વરસોથી લઈને આજ સુધીમાં તમારા ખભા પર વડીલનું વહાલ, સગાંવહાલાંની આત્મીયતા, મિત્રતાનું સર્ટિફીકેટ, શિક્ષકની શાબાશી કે બૉસની કદરદાની બતાવવા માટે મૂકાયેલો હાથ તમારી બ્રાની પટ્ટી પર માત્ર થોડી જ ક્ષણો માટે પણ ખાસ ઈરાદાપૂર્વક ફરતો તમે કદી અનુભવ્યો છે? એક સ્ત્રી તરીકે આનો જવાબ જો ‘હા’માં આપવો પડે તો સમજી લેજો કે યૌનશોષણનો વિશ્વવ્યાપી વાઇરસ તમને પણ ચેપ લગાડી ચૂક્યો છે.

શું તમે એક પુરુષ છો? તો આ વાતનો જવાબ આપો: શરીરમાં હૉર્મોન્સનો પહેલવહેલો હણહણાટ થયો ત્યાંથી માંડીને આજદિનપર્યંત શું તમે કોઈપણ સ્ત્રીના શરીરને માત્ર થોડી તો થોડી જ ક્ષણો, પણ એ રીતે સ્પર્શ કર્યો છે જે સ્પર્શમાં હાથ લગાડવા પાછળના મૂળ ઈરાદાની જગ્યાએ એક પુરુષ શ્વસતો હોય? માત્ર સ્પર્શ શા માટે, નજરથી તમે કોઈ સ્ત્રીને એને ખબર પડે એ રીતે ગંદો સ્પર્શ કર્યો છે? સ્ત્રી સાંભળી તો શકે પણ તમને દોષી સાબિત ન કરી શકે એવી સિફતાઈથી તમારા બે પગ વચ્ચે ગલગલિયા થાય એવી કૉમેન્ટ તમે કદી કરી છે? જો આનો પ્રામાણિક જવાબ ‘હા’ હોય તો એ વાઇરસ તમે જ છો.

અમેરિકન કવયિત્રી એરિકા એની કવિતામાં વિશ્વ સનાતન કાળથી વ્યાપ્ત આ જ રોગચાળાની વાત કરે છે. એરિકા. એલ. સાંચેઝ. હાલ શિકાગોમાં રહે છે પણ જ્યાં એ જન્મ્યા હતા એ ઇલિનોઇસના સિસરો ખાતેનું ઘર શિકાગોની સરહદને એ રીતે અડીને હતું કે જૂતું ફેંકે તો શિકાગોમાં જઈ પડે. મા-બાપ મેક્સિકોથી અમેરિકા આવેલા ગેરકાયદેસર નિર્વસિતોમાંના એક હતા એટલે એમના સર્જનમાં અને જીવનમાં સતત સરહદો ભૂંસવા માટેની સજાગ મથામણ નજરે ચડે છે. બાર વર્ષની વયે મોટા ડાબલા જેવા ચશ્માં સાથે કિતાબી કીડો જ લાગનારી એરિકાને એ વયે પણ વિશ્વાસ હતો કે એ મોટી લેખિકા બનશે. તેઓ કવિતામાં અનુસ્નાતક થયાં છે. ત્રણેકવર્ષ અખબારમાં સેક્સ અને લવગુરુ તરીકે કોલમ પણ લખી.

એરિકાની રચનાઓમાં સરહદની બંને બાજુએ રહેવાના અનુભવો તાદૃશ વર્ણવાયા છે: આ સરહદ બે દેશ વચ્ચેની છે, બે ભાષા વચ્ચેની છે, જીવન-મૃત્યુ વચ્ચેની છે, તથા તકલીફો અને શક્યતાઓની વચ્ચેની પણ છે. આ કવિતાઓમાં સેક્સ, જાતીય શોષણ, શરમ, ભૂખમરો, હિંસા, અપમાન, રંગભેદ, ડ્રગ્સ, બેનામી નાગરિકત્વ ખૂલીને સામે આવે છે. એરિકાની કવિતા આજના કચડાયેલા અમેરિકાનો બુલંદ અવાજ છે. સરવાળે, આ કવિતાઓ વિષમતાઓની વચ્ચે પણ જીવી જવાની –સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સની કવિતાઓ છે.

એરિકાની આ રચનાનું શીર્ષક ‘આપણે બધા’ છે. અર્થાત્ કવયિત્રી અહીં જે વાત કરનાર છે એ આપણા બધાની છે. એરિકા આજની હવાના કવયિત્રી છે. વરસ પહેલાં ૨૦૧૭માં જ એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘લેસન્સ ઑફ એક્સપલ્ઝન’ અને પહેલી વયસ્ક નવલકથા ‘આઇ એમ નૉટ યૉર પરફેક્ટ મેક્સિકન ડૉટર’ પ્રગટ થયાં. એટલે એમની કવિતા પણ આજની કવિતા છે. આજની આઝાદ પેઢીની જેમ એ પણ છંદ અને પ્રાસના બંધનો ફગાવીને ચાલે છે. ‘આપણે બધા’માં પ્રવેશતાં જ સમજાઈ જાય છે કે આ સ્ત્રીઓના શોષણ સામેનું આક્રંદ છે, આક્રોશ છે. શીર્ષકમાં ‘સર્વ’ તરફ ફૉકસ કરાયેલ કેમેરા કવિતાની પ્રથમ પંક્તિમાં જ એરિકા ‘સ્વ’ તરફ ફેરવે છે. શરૂઆત ‘દરરોજ’થી થાય છે. મતલબ આ કોઈ એક-બે દિવસની કે આજ-કાલની વાત નથી, આ સનાતનકાળની હકીકત છે. એ કહે છે કે એ દરરોજ આ જ રીતે જન્મે છે. વાક્યાંતે પૂર્ણવિરામના સ્થાને એ ડૅશ મૂકે છે જે આપણી આરપાર કશુંક ચીરી નાંખતો હોવાનું અનુભવાય છે. માણસ આમ તો એક જ વાર જન્મે છે પણ અહીં દરરોજ જન્મવાની અને દરરોજ આ એક જ રીતે જન્મતા હોવાની વાત છે. આ કયા પ્રકારના ‘पुनरपि जननं’ની વાત છે એ સાંભળવાને ભાવકના કાન તરત સરવા થઈ જાય છે. અધૂરું રહી ગયેલું વાક્ય એરિકા ‘પત્તર ના ઠોકશો’ કહીને પૂરું કરે છે એટલે તરત જ ખ્યાલ આવે છે કે આગળ કવિતામાં જે કંઈપણ ‘આપણે બધા’ને સ્પર્શતી વાત આવનાર છે એ ખુશનુમા મિજાજની તો નથી જ હોવાની. મૂળ રચનામાં કવયિત્રી સ્પેનિશ ભાષાનો ‘No chingues’ મહાવરો પ્રયોગ કરે છે, જેનો સીધો અર્થ અભદ્ર અંગ્રેજી ભાષામાં don’t fuck થાય છે. પત્તર ઠોકવી ક્રિયાપદ અર્થ અને ક્રિયા-એમ બંને રીતે આની સૌથી નજીક પહોંચે છે. આવી ભાષા વાપરવા પાછળનું કારણ આગળની પંક્તિઓમાં ક્રમશઃ સ્પષ્ટ થાય છે.

એ કહે છે અહીં કશું પણ પહેલીવાર થતું જ નથી. જે કંઈ આજે બને છે એ અગાઉ પણ બની જ ચૂક્યું છે. વસ્તુતઃ એ દરરોજ જ બનતું આવ્યું છે. ‘વેકેન્ટ-ખાલી’ લખેલી નિયૉન સાઇનનો સંદર્ભ આગળ જતાં સમજી શકાય છે પણ કવિતા હવે ઊઘડવા માંડે છે. પુરુષો કે પુરુષના વેશમાં આવેલા શિયાળ પણ કંઈ પહેલીવારની વારતા નથી. શિયાળનો સંદર્ભ એક જ શબ્દમાં પુરુષનું પોત પ્રકાશી આપે છે. શિયાળ અને પુરુષની પ્રકૃતિ એક જ – બંને કાયમના ભૂખ્યાડાંસ, બંને હલકટ, બંને મફતનો શિકાર છોડે નહીં. હવે દરરોજ અને આપણે બધાનો અર્થ નિયૉન સાઇનની જેમ એકદમ સાફ થાય છે. પુરુષો તક મળતાં જ શિયાળની જેમ સ્ત્રીઓને ચૂંથી નાંખે છે અને સ્ત્રીઓના અસ્તિત્વ ઉપર પોતાના પૌરુષી પરાક્રમો અક્ષરાંકિત કરે છે. અંકિત થયેલાં હાડકાં એ સ્ત્રીની ઠે..ઠ ભીતર સુધી આજીવન ભૂંસી જ ન શકાય એ હદે કોતરાઈ ગયેલી વેદના ઈંગિત કરે છે. સ્ત્રી પોતાની આ વેદનાસિક્ત જાતને ઊપાડીને પુરુષોને પોતાનો ભોગ ધરાવતા ક્રમશઃ શીખી ગઈ છે. સિતારાઓની હિંસા શબ્દ કાસ્ટિંગ કાઉચ તરફ ઈશારો કરે છે.

૨૦૧૭ની સાલમાં દુનિયાએ એક એવી વસ્તુ જોઈ જેનો આ પહેલાં કદી સામનો કરવાનો થયો જ નહોતો. એ વસ્તુ કોઈ નવી વસ્તુ તો હતી જ નહીં. જે દિવસે સ્ત્રી અને પુરુષનું સર્જન થયું એ દિવસથી જ કદાચ આની શરૂઆત થઈ હતી પણ હજારો વર્ષોથી માનવજાત આ હકીકતની સામે એમ આંખમીંચામણાં કરીને જીવતી આવી છે, જાણે આ વસ્તુનું પૃથ્વીના પટ પર અસ્તિત્વ જ નથી. આમ તો ૨૦૦૬માં તરાના બર્ક પાસે આવીને એક તેર વર્ષની છોકરીએ પોતાની સાથે કરવામાં આવેલી જાતીય સતામણીની કબૂલાત કરી હતી ત્યારે તરાનાએ માયસ્પેસ નામના સોશ્યલ નેટવર્ક પર આ શબ્દપ્રયોગ કર્યો હતો પણ જ્યારે ૧૫ ઓક્ટૉબર, ૨૦૧૭ના રોજ એલિસા મિલાનોએ ‘હેશ ટેગ મી ટુ’ (#MeToo) કહીને દુનિયાભરની સ્ત્રીઓને પોતાની સાથે થયેલી જાતીય સતામણીનો એકરાર કરીને આ બિમારી કેટલી હદે સાર્વત્રિક છે અને સમાજના દરેકે-દરેક સ્તર પણ કેવા ઊંડા મૂળિયાં ઘાલી ચૂકી છે એનો દુનિયાનો અહેસાસ કરાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જાણે ચમત્કાર થયો. હોલીવૂડ ફિલ્મજગતમાં નવોદિત અને જાણીતી અભિનેત્રીઓના થતા શારીરિક શોષણ -‘કાસ્ટિંગ કાઉચ’-ના જાહેર એકરારનામાએ રાતોરાત આખી દુનિયાની સ્ત્રીઓને એકજૂથ કરી દીધી અને હજારો વર્ષોથી આંખે પાટા બાંધીને જીવતી દુનિયા પાટા ઊતરી જતાં સામે આવી પડેલા પ્રકાશના ઝળાંહળાં ધોધથી હક્કીબક્કી થઈ ગઈ. શાબ્દિક છેડતીથી માંડીને સંપૂર્ણપણે કરાતું છડેચોક જાતીય શોષણ ઘરેઘરે છે એ વાત સિદ્ધ થઈ ગઈ. દુનિયાની અડધાથી વધુ સ્ત્રીઓ જીવનના કોઈના કોઈ તબક્કે ઘર કે બહાર આ પ્રકારની સતામણીનો શિકાર બનતી જ આવી છે અને સોમાંથી પંચાણુ કેસોમાં પુરુષો તરફ કોઈ આંગળી પણ ચીંધતું નથી. છેલ્લા વીસ વર્ષોમાં પોણા બે કરોડ જેટલી સ્ત્રીઓએ જાતીય હુમલાની ફરિયાદ નોંધાવી છે. પણ ‘હેશ ટેગ મી ટુ’એ દુનિયાની સરકારોને સ્ત્રીશોષણ વિરુદ્ધના કાયદાઓ બદલવાની અને ઘડવાની ફરજ પાડી છે. મિલાનોની પહેલવહેલી ‘હેશ ટેગ મી ટુ’ની ટ્વિટ ૨૪ જ કલાકમાં બે લાખ લોકોએ અને ૪૮ કલાકમાં પાંચ લાખ લોકોએ રિટ્વિટ કરી હતી, જે પોતે એક વિક્રમ છે. ફેસબુક પર તો એક જ દિવસમાં સુડતાળીસ લાખ લોકોએ સવા કરોડ પૉસ્ટ્સમાં ‘હેશ ટેગ મી ટુ’નો ઉપયોગ કર્યો હતો.

સિતારા (S-t-a-r) પરથી અલાસ્કામાં ચારેક દાયકાથી કાર્યરત્ ‘સ્ટેન્ડિંગ ટુગેધર અગેઇન્સ્ટ રૅપ’ સંસ્થા પણ યાદ આવે. જો કે અહીં સિતારાઓનો સીધો અર્થ ફિલ્મજગતના સિતારાઓની જેમ પોતપોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી બનેલા પુરુષો સાથે સંકળાયેલો છે, જેઓ પોતાના હાથ નીચે એક યા બીજા કારણોસર આવનારી સ્ત્રીનો આંશિક કે પૂર્ણતયા શારીરિક કે માનસિક ગેરલાભ ઊઠાવવાનું છોડતા નથી. સ્ત્રીને પુરુષોની કામલોલુપ આંખ પણ જે દાનવ નથી બની શકતી એવા શક્તિશાળી દાનવ બનવાની ઇચ્છા છે જેથી એ કમસેકમ પોતાને સંરક્ષી તો શકે. ‘મારામાંની અડધી સ્ત્રી સુંદર છે’ એ વાક્યપ્રયોગ ઇટાલિઅન કવિ પ્રાઇમો લેવીની કવિતા ‘લિલિથ’ના કવયિત્રી રુથ ફેલ્ડમેને કરેલા અંગ્રેજી અનુવાદ ‘Half of me is beautiful/but you were never sure which half’માંથી એરિકા અહીં સીધું જ આણે છે, કેમકે કવિતા આગળ જતાં લિલિથ સાથે સંધાન પણ સાધે છે.

જીવનમાં આગળ આવવાની ઇચ્છા કોને નથી હોતી? પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી હંમેશા સેકન્ડ સેક્સ બનીને જ રહી ગઈ છે. સ્ત્રીસમાનતાની ચળવળ પોતે જ એ વાતની દ્યોતક છે કે હજારો વર્ષ વીતી ગયાં પણ સ્ત્રીઓને કદી પણ પુરુષસમોવડી ગણવામાં આવી જ નથી કેમકે લડાઈ હંમેશા જે નથી પ્રાપ્ત થયું એ મેળવવા માટેની જ હોઈ શકે. સમાન જ હોઈએ તો તો સમાનતાની ચળવળ જ ન હોય પણ ચળવળો છે મતલબ સમાનતા નથી જ. વિશ્વના દરેક ધર્મના શાસ્ત્રો પુરુષોએ લખ્યા, બધા નિયમો પુરુષોએ જ લખ્યા, બધા ઇતિહાસ પણ એમણે જ લખ્યા અને એટલે જ ‘વુમન ઑન ટૉપ’ એ માત્ર સેક્સ દરમિયાન એકવિધતા ટાળવા માટેનું કામાસન બનીને જ રહી ગયું છે. અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓનું સ્થાન સમાજમાં હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યું છે. પુરુષોએ કાયમ એમનો હાથ ઉપર જ રાખ્યો છે ને પરિણામે દુનિયાના કોઈપણ દેશમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સ્ત્રી આગળ આવવા ઇચ્છતી હોય તો એણે એની ઉપરનું સ્થાન પચાવી પાડનાર પુરુષની જોહુકમીનો વધતાઓછા અંશે ભોગ બન્યા સિવાય આરો જ નથી. ક્યાંક ગાજર લટકાવીને તો ક્યાંક માત્ર દાદાગીરીના જોર પર પુરુષો સ્ત્રીઓનો શિકાર કરતા આવ્યા છે, કરતા રહેશે. એટલે જ એરિકા કહે છે કે એનામાં અડધી સ્ત્રી સુંદર છે અને બાકીની અડધી ભરી પડી છે શાંતતમ જગ્યાઓના વચનોથી, એવા વચન જે કદી પૂરાં થનાર જ નથી, કેમકે શિયળ ચૂંથનાર શિયાળ એના શિકારને કદી શાંતિ બક્ષનાર જ નથી.

ફરી એકવાર એરિકા યાદ કરાવે છે કે આ શોષણની વાર્તા ‘દરરોજ’ની છે, સનાતન છે. ઘાયલ કૂતરો જેમ પોતાના જ હાડકાંઓને ચાટીને પીડાયુક્ત આનંદ મેળવે છે એમ જ એ દરરોજ અરીસા સામે કૂતરાની જેમ આ યાતનાઓમાંથી બચવા માટે પ્રાર્થના કરે છે અને પોતાની જ પીડાઓના અર્કને ઉપભોગે પણ છે. કૂતરો અરીસામાં જુએ ત્યારે શું પોતાની જાતને ઓળખી શકે છે? વૈજ્ઞાનિક સંશોધનો પરથી એવું સિદ્ધ થયું છે કે હાથી, ડોલ્ફિન અને ચિમ્પાન્જી જેવા કેટલાક પ્રાણીઓ જાત વિશે સભાન હોય છે અને તેઓ અરીસાની કસોટીમાં પાર ઉતરે છે પણ કૂતરો અરીસામાં પોતાની જાતને ઓળખવાની કસોટીમાં કદી ઉત્તીર્ણ થતો નથી. અર્થાત્ કૂતરો ભલે અરીસામાં દેખાતા પ્રાણી સાથે ઝઘડે કે રમે પણ પોતાની જાતને ઓળખી શક્તો નથી. મતલબ નાયિકા અરીસામાં પોતાને કદાચ ઓળખી પણ નથી શકતી. એ કોને પ્રાર્થી રહી છે એ કદાચ એ પોતે પણ જાણતી નથી.

આખરી ત્રણ પંક્તિઓમાં કવયિત્રી પોતાની વાત પડતી મૂકીને ‘આપણે’ને લઈ આવે છે અને એ રીતે શીર્ષક સાથે અનુસંધાન કરે છે. પોતાના શત્રુઓના હાડકાં ખાઈ જનાર લિલિથની વાત સાથે ‘આપણે જાણીએ છીએ’નો જે ઉલ્લેખ થયો છે એ યાદ રાખવા જેવો છે. એ કહેવા માંગે છે કે આપણે જાણીએ જ છીએ કે લિલિથ ઉર્ફે સ્ત્રીઓની ખરી તાકાત શું છે. લિલિથ ચારેક હજાર વર્ષ જૂનું યહૂદી પુરાણકથાઓનું પાત્ર છે. લિલિથ એટલે એક રાતની ખતરનાક રાક્ષસી, કામાતુર સ્ત્રી, જે અંધારામાં અન્યોના બાળકો ચોરી લે છે. લિલિથનો અર્થ રાત્રિ થાય છે અને એ રીતે તે ડર, ઉપભોગ અને નિરંકુશ સ્વાતંત્ર્ય જેવી અંધારી પરિભાષાઓ પણ નિર્દેશે છે. સિરિયામાં મળી આવેલ ઈ.પૂ. ૭૦૦ના એક પથ્થર પરનું કોતરકામ કહે છે: ‘હે અંધારા કક્ષમાં ઊડનાર, તાબડતોબ રવાના થા, ઓ લિલી.’ કહેવાય છે કે લિલિથ આદમની પહેલી પત્ની હતી, ઈવ નહીં, જે આદમના પૌરુષી ‘મેન ઓન ટોપ’ આદેશને તાબે થવાના બદલે ‘તું મારી નીચે સૂઈ જા, આપણે બંને સરખાં જ છીએ કેમકે આપણે બંને એક જ પૃથ્વીમાંથી જન્મ્યાં છીએ’ કહીને ભાગી નીકળી હતી. આજના સમયમાં લિલિથ ‘સારી છોકરી’ નહીં બની રહેવા માંગતી નારીવાદી સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. માઇકલ એન્જેલો તથા દાન્તેના ચિત્ર, દાન્તેની કવિતા અને જેમ્સ જોઇસની નવલકથાઓમાં એ અમર થઈ ગઈ એ પછી તો ઢગલાબંધ સર્જકોએ સ્ત્રીસ્વાતંત્ર્ય આલેખવા લિલિથના રૂપકનો આશરો લીધો છે.

એરિકા ‘બીચ’ વિશેષણ વાપરે છે જેનો એક સીધો અર્થ તો કૂતરી થાય છે પણ ગર્ભિત અર્થ કૂતરી જેવી સ્ત્રી અર્થાત્ સ્ત્રીઓને આપવામાં આવતી ગાળ થાય છે. કૂતરી પોતાના ભૂતને પણ આખરે ચાહતા શીખી લે છે એ આપણે જાણીએ જ છીએ ને એ કારણોસર જ આપણે સ્ત્રીઓને કૂતરી જેવી બનાવીને રાખી છે. બળાત્કારીને પણ એ માફ કરી શકે છે અને એટલે જ એના પર થતા બળાત્કારોનો અંત આવતો નથી. એરિકા સમસ્યા તરફ અંગૂલિનિર્દેશ માત્ર કરે છે, કોઈ ઈલાજ સૂચવતી નથી. કવિતાનું એ કામ પણ નથી. કવિતા માત્ર આપણી મૂર્છિત થઈ ગયેલી સંવેદનાઓને સંજીવની સૂંઘાડીને હોંશમાં લાવવાનું કામ કરે છે અને એ કામ આ કવિતા બખૂબી કરી શકી છે. આ કવિતા વિશે એરિકા પોતે કહે છે કે આ કવિતા ગુસ્સામાંથી જન્મી છે અને જેમ જેમ મેં ફરી-ફરીને સુધારવાનું ચાલુ રાખ્યું તેમ-તેમ મને ખ્યાલ આવતો ગયો કે હું પણ હેશ-ટેગ મી ટુ ચળવળ વિશે લખી રહી છું અને આ સભ્યતામાં સ્ત્રી હોવાનો મતલબ શો છે. વારસામાં મળતી હિંસાનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ?