Category Archives: અછાંદસ

ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

ગ્લૉબલ કવિતા: ૬૧: એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર

An Old Woman

An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls
with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

એક ઘરડી સ્ત્રી

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

ચીંથરેહાલ કપડાં, ઊઘાડા પગ, દિવસોથી ધોયા-ઓળ્યા વિનાના વાળ લઈને દારૂણ ગરીબીથી નીતરતો એક ચહેરો તમારી સમક્ષ હાથ લાંબો કરીને અપેક્ષાભરી નજરે આવી ઊભે અને જવાનું નામ જ ન લે ત્યારે તમે શું કરો છો? ભીખ આપો છો? હડધૂત કરો છો? નજર ફેરવી લો છો? ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી. દુનિયાના દરેક દેશમાં, અમેરિકા જેવા દેશમાં પણ ભિખારી સાથે તમારો ભેટો જરૂર થશે. ભીખ આપવી કે ન આપવીના ‘ટુ બી ઓર નોટ ટુ બી’ પ્રશ્નમાં અટવાતા જનમાનસને હચમચાવીને ભીખ મેળવી લેવાની ભિખારીઓની મૉડસ-ઑપેરન્ડી ક્યારેક આપણને વિચારતાં કરી દે છે. પણ ક્યારેક ભિખારી વેંત ઊંચેરો પણ સાબિત થઈ શકે છે. આવી જ કંઈ વાત લઈને આવી છે અરુણ કોલાટકરની આ કવિતા.

અરુણ બાલકૃષ્ણ કોલાટકર. ૦૧-૧૧-૧૯૩૨ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં જન્મ. ભોંયતળિયે પાંચ ઓરડા, પહેલા માળે ત્રણ અને એની ઉપર એક એમ નવ કમરાનું મકાન, જેને કવિ પત્તાના મહેલ સાથે સરખાવતા. મુંબઈની જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સમાં ભણ્યા. પિતા શિક્ષણખાતામાં અફસર. પિતાનો કળાવારસો લોહીમાં ઊતર્યો. પાશ્ચાત્ય ચિત્રકારોએ એમને આકર્ષ્યા પણ પાશ્ચાત્ય સ્ત્રી-પુરુષોએ નહીં. ચિત્રકાર તરીકે હજી એકેય ચિત્ર વેચાયા ન હોવાથી બંને પરિવારોએ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. દારૂની લત લાગી જવાના કારણોસર પ્રથમ પત્ની દર્શન છાબડાથી પારસ્પારિક સમજૂતીથી છૂટા પડી સૂનુ સાથે લગ્ન કર્યા. મુંબઈના શરૂના દિવસો દારુણ ગરીબીમાં વીત્યા. ‘ધ ટર્નઅરાઉન્ડ’ કવિતામાં એ લખે છે: ‘બોમ્બેએ મને ભિખારી બનાવી દીધો./મારા ધાબળાએ એક ખરીદાર શોધી કાઢ્યો/અને મેં સાદા પાણીની મિજબાની કરી.’ પણ પછી ગ્રાફિક ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન અને માર્કેટિંગના ક્ષેત્રમાં સ્થાપિત થયા. આંતરડાના કેન્સરથી ૨૫-૦૯-૨૦૦૪ના રોજ નિધન.

આઝાદીપશ્ચાતના પ્રમુખ દ્વિભાષી કવિ. મરાઠી અને ભારતીય અંગ્રેજી – એમ બંને ભાષામાં અગ્રણી. એમની મરાઠી કવિતા ૫૦ ને ૬૦ના દાયકાની ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ને અનુસરીને આધુનિકતાવાદના અર્ક સમ હતી. એમની કવિતાઓ ભારોભાર કટાક્ષ અને તિર્યક દૃષ્ટિના કારણે અળગી તરી આવે છે. રોજબરોજના પ્રસંગોમાંથી એ રમૂજ શોધી કાઢે છે. અચ્છા ચિત્રકાર હોવાના નાતે એમની રચનાઓમાં પણ મજાનાં ચિત્રો રજૂ કરે છે. શબ્દોની કરકસર અને કલમથી આબેહૂબ દૃશ્ય ઊભું કરી શકવાની સમર્થતાના નાતે એમની કવિતાઓ એઝરા પાઉન્ડની ‘ઇમેજીસ્ટ’ કવિતાઓની શ્રેણીમાં સ્વતંત્ર મૌલિક અવાજ સાથે બંધ બેસે છે. જાતીયતા અને કામુકતા પણ એમની કવિતામાં બિન્દાસ આવે છે. એક-એકથી ચડિયાતી મરાઠી-અંગ્રેજી કવિતા આપનાર આ કવિ મરાઠી કવિતાની વચ્ચે શુદ્ધ હિંદીમાં ‘दिखता नहीं मादरचोद दिखता नहीं’ લખીને ભાવકના સંવેદનતંત્રને ધરમૂળથી ઝંઝોડે પણ છે.

પ્રસ્તુત રચના કવિના સંગ્રહ ‘જેજુરી’માંથી છે. ‘જેજુરી’ ૩૧ કવિતાઓનો ગુચ્છ છે. અરવિંદ કૃષ્ણ મેહરોત્રા ‘જેજુરી’ વિશે કહે છે, ‘છેલ્લા ચાળીસ વર્ષમાં ભારતમાં લખાયેલી આ એકમાત્ર ઉત્તમોત્તમ કવિતા છે. આ ૩૧ કવિતા સડક જેમ સીધી દેખાતી હોવા છતાં એક જાદુઈ વર્તુળ રચે છે, જેમાંથી વાચક ઇચ્છે તોય છટકી શકતો નથી.’ આ સંગ્રહના બધાં શબ્દચિત્રો મહારાષ્ટ્રમાં પૂણે નજીકના ગામ જેજુરીમાં ખેંચવામાં આવ્યા છે. જેજુરી ગામ શિવનું સ્વરૂપ ગણાતા ખંડોબાનું ધામ છે. આજે તો એ મોટું તીર્થધામ બની ગયું છે. મહારાષ્ટ્રમાં ખંડોબા યાને મલ્લારી કે મલ્હારીનું સ્થાન ખૂબ અગત્યનું. અશ્વારુઢ ખંડોબાની આસપાસ મણિ અને મલ્લના વધની પરાક્રમગાથાઓ અને ચમત્કારો વણાયેલા છે. ખંડોબાની પ્રથમ બે પત્નીઓમાં મ્હાલસા સંસ્કૃતિનું તો બનઈ પ્રકૃતિનું પ્રતીક છે. બનઈને મેળવવા માટે ખંડોબા જુગારમાં મ્હાલસા સામે હારીને બાર વર્ષનો વનવાસ સ્વીકારે છે પણ વનવાસ બાદ મ્હાલસા બીજી પત્નીને સ્વીકારતી નથી એટલે જેજુરીમાં મહાભારત સર્જાય છે જેનાથી બચવા માટે ખંડોબાએ ટેકરીનું ઉપરનું અડધિયું મ્હાલસા અને નીચેનું બનઈને વહેંચી આપ્યું. આ પછી પણ ખંડોબાની બીજી ત્રણ પત્નીઓ થઈ. ‘જેજુરી’ને વિવેચકો ખંડોબા અને જેજુરી ગામની સાથે સાંકળી દે છે પણ આ કવિતાઓ હકીકતમાં શ્રદ્ધાના એક ગામ અને એક નામને પ્રતીક બનાવીને ભાવકને આગળ લઈ જતી કવિતાઓ છે. આ કવિતાઓમાં ઈશ્વર અને ધર્મ કરતાં વિશેષ માનવમનની ઊંડી અકળ દુવિધાઓ વધુ છતાં થાય છે. ‘જેજુરી’ હકીકતમાં માનવજીવન અને સંવેદનાઓના હૃદયંગમ ચિત્રો છે. એ ઇનકાર અને અવિશ્વાસ તરફનો સીધો અને બેબાક રવૈયો રજૂ કરે છે. કોલાટકર પોતે કહે છે કે, ‘હું નથી માનતો કે મારે એક યા બીજી રીતે ઈશ્વર વિષયક અભિગમ સ્પષ્ટ કરવાની જરૂર હોય.’

ફ્રેન્ચ નવલકથાકાર પ્રાઉસ્ટ કહે છે, ‘વસ્તુઓ ભગવાન છે.’ કોલાટકર પણ ‘અ સ્ક્રેચ’ કવિતામાં કહે છે: ‘શું ભગવાન છે/અને શું પથ્થર છે/વિભાજન રેખા/જો હોય તો/બહુ પાતળી છે/જેજુરીમાં/અને દર બીજો પથ્થર/ભગવાન છે કે એનો પિતરાઈ.’ એ કહે છે, ‘પથ્થરને કોતરો/અને એક દંતકથા ફૂટી નીકળશે.’ સાચી વાત છે. આપણો આખો દેશ આવા જેજુરીઓથી ભર્યો પડ્યો છે. જેજુરી તો પ્રતીક છે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની નો-મેન્સ લેન્ડ પર ફૂટી નીકળતાં યુદ્ધોનું. ઈશ્વર મૂળે તો આપણા ડર અને/અથવા શ્રદ્ધામાંથી જન્મેલું તત્ત્વ છે. એનું અસ્તિત્વ પોતે મહાપ્રશ્ન છે. પણ કોલાટકરને ઈશ્વરની વાત નથી કરવી. એને તો ઈશ્વરના નામનું તરણું પકડીને સંવેદનાનો મહાસાગર પાર કરવો છે.

કવિતાનું જે શીર્ષક છે એનાથી જ કવિતાની શરૂઆત પણ થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ રચના અછાંદસ છે, ત્રણ-ત્રણ પંક્તિઓ-ત્રિપદીના ફકરાઓમાં વહેંચાયેલું. અંગ્રેજીમાં મોટાભાગના શબ્દો એકપદીય (મોનોસિલેબિક) છે જેના લીધે કવિતા વધુ ઝડપી અને મર્મવેધી બને છે. કથન ત્રીજા વ્યક્તિની દૃષ્ટિએ છે. જેજુરી ગામની એક પહાડી પર એક વૃદ્ધ ભિખારણ નાયકની બાંય પકડી લે છે ને વણનોતરી સાથે ચાલવા માંડે છે. નાયકને એ ગમતું નથી. કોઈ તમારા અહમને ઝાલી લે એ તમને ગમશે? વૃદ્ધાને પચાસ જ પૈસાની જરૂર છે. બદલામાં એ નાયકને અશ્વનાળ મંદિર બતાવવા લઈ જશે. અશ્વનાળ મંદિર (હૉર્સશૂ શ્રાઇન) જેજુરીની ટેકરીઓ પર આવેલી એ જગ્યા છે જ્યાંથી એવું માનવામાં આવે છે કે ખંડોબા ઘોડા પર એકબાજુ થઈને બેઠેલી એની પત્નીને લઈને ટેકરી કૂદી ગયા હતા. કૂદતી વખતે ઘોડાએ પર્વત પરના જે પથ્થરનો સહારો કૂદવા માટે લીધો હતો ત્યાં એની ખરીનું નિશાન રહી ગયું છે, પરિણામે ભક્તો એને અશ્વનાળ મંદિર તરીકે પૂજે છે. કવિએ ‘The Horseshoe Shrine’નામથી જ રચનારીતિના સંદર્ભે મજાની એક અન્ય કવિતા પણ લખી છે: ‘પથ્થરમાંની એ ખાંચ/હકીકતમાં લાત છે ટેકરીની બાજુમાં./ત્યાં જ ખરી/અથડાઈ હતી/વીજળીની જેમ/જ્યારે ખંડોબાએ/ભૂરા ઘોડા પર/પાછળ એકબાજુ થઈ બેઠેલી પત્ની સાથે/ખીણ પર થઈને કૂદકો માર્યો હતો/અને ત્રણેય/એક થઈને/તણખાની માફક/ચકમકના પથ્થર પરથી કૂદી ગયા હતા./એ ઘરે જે રાહ જોતું હતું/પહાડીની બીજી બાજુએ ઘાસની/ગંજીની જેમ.’

આ અશ્વનાળ મંદિર નાયક અગાઉ જોઈ ચૂક્યો છે એટલે એ આગળ ધપે છે પણ વૃદ્ધા લંગડાતી ચાલે, શર્ટનો કેડો મૂક્યા વિના એને વળગી રહે છે. નાયક જાણે છે કે આ ભિખારણથી છૂટકારો આસાનીથી નહીં જ થાય એટલે એ એને અવગણીને આગળ વધવાનો પેંતરો પડતો મૂકીને સમસ્યાનો મુકાબલો કરવા કટિબદ્ધ થાય છે અને ફરીને એની સામો જ થાય છે. નાયકની આંખમાંનો પથ્થરિયો નકાર વાંચી ન લીધો હોય એમ વૃદ્ધા પોતે ભીખ માંગવા સિવાય અને પર્યટન કે તીર્થસ્થળો બતાવવા સિવાય બીજું તો શું કરી શકનાર છે એમ કહીને કદાચ નિઃસાસો નાંખે છે.

નાયક આકાશ તરફ જુએ છે. કદાચ ભગવાન સામે આ બિખારણની ફરિયાદ કરવા માટે જ. ભિખારણની આંખ ભાવશૂન્ય છે. સમય અને ગરીબીની થપાટો ખાઈને આ આંખો એટલી તો ઊંડી ઊતરી ગઈ છે કે નાયકને લાગે છે કે જાણે એની આંખોના બદલે ગોળીઓથી કોઈએ કાણાં પાડ્યાં છે ને પોતે એમાંથી સાફ આરપાર જોઈ શકે છે. ‘ખાલી’ હવાથી ‘ભરેલા’ બે કાણાં જાણે કે. વૃદ્ધાવસ્થાના કારણે એની આંખોની આસપાસ પડેલી કરચલીઓ નાયકને ગોળી ચાલતાં કાણાં ફરતે જન્મેલી તડ જેવી લાગે છે અને આ તડ જોતજોતામાં તો વયષ્ટિથી સમષ્ટિમાં ફેલાઈ જાય છે. આ તડ એની ત્વચાથી આગળ વધે છે અને ટેકરીઓમાં તડ પડે છે, મંદિરોમાં તડ પડે છે. આ તડ હકીકતે તો દયાહીન હૈયાના પથ્થરિયા ઈરાદાઓ અને નિરર્થક શ્રદ્ધામાં પડી રહી છે. વૃદ્ધાની નિઃસહાયતા, એકલતા અને ભીખ માંગીને આજીવિકા રળવાની મજબૂરી સમજાતાં જ નાયકને પોતાના નકારનું આકાશ પડી ભાંગતું અનુભવાય છે. સૃષ્ટિ આખી રસાતળે જતી હોય એવી તિરાડ પોતાના અસ્તિત્વમાં પડતી એ જોઈ શકે છે. વિશાળ કાચ ભાંગી પડે એમ આખું આકાશ જાણે ખણકાર સાથે ભાંગી પડે છે પણ વૃદ્ધા કોઈપણ કંપન વિના, અટૂલી પણ અતૂટ અને અખંડ ઊભી છે. કાચ પડે અને તૂટે એ જ રીતે નાયકની ચેતનાનો ચૂરેચૂરો થઈ જાય છે. પચાસ પૈસા જેવી નજીવી મદદના બદલે મંદિર બતાવવા લઈ જવાની મદદની ઓફર કરનાર વૃદ્ધા સમક્ષ નાયકને લાગે છે કે પોતે એના હાથમાંના પરચૂરણના નાના મૂલ્યના સિક્કાથીય વધુ નાનો થઈને રહી ગયો છે.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે… આપણી નજરે એ આપણા સમય અને ધ્યાન –બંનેને લાયક નથી પણ એ તો આ પહાડીઓ વચ્ચે પહાડી થઈને જ જીવે છે. એ આ જગ્યા જેટલી જ પુરાતન છે. એ આ જગ્યા જેટલી જ અચલ છે. સામા પક્ષે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને વળગી રહી શક્યા નથી. આપણે આપણા મૂળ, આપણી જમીન, આપણા વારસા સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યાં છીએ.

ગ્લૉબલ કવિતા : ૫૭ : જંગલીને – – એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)

To the Barbarian

I cover your face
With my body and soul at night.

I plant cedars and almond trees
On the steppe of your body.

Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.

But your lips are heavy,
My miracles cannot redeem them.

Why won’t you lift your snowy skies
From my soul –

Your diamond dreams
Are cutting my veins.

I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.

You are delighted by my sea shell’s
Frightened sound.

But your heart no longer
Lets the sea come in.

– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)

જંગલીને

હું તારો ચહેરો ઢાંકી દઉં છું
રાત્રે મારા શરીર અને આત્માથી.

હું દેવદાર અને બદામના વૃક્ષો રોપું છું
તારા શરીરના મેદાન પર.

થાક્યા વિના હું તારા વક્ષસ્થળને ફંફોસું છું
ફેરોના સુવર્ણ ખજાનાઓ માટે.

પણ તારા હોઠ ભારી છે,
મારા ચમત્કારો તેમને છોડાવી શકતા નથી.

શા માટે તું તારાં હિમાચ્છાદિત આકાશો ઊઠાવી નથી લેતો
મારા આત્મા પરથી-

તારા હીરક સ્વપ્નો
મારી રગોને કાપી રહ્યાં છે.

હું જોસેફ છું. હું મીઠો પટ્ટો પહેરું છું
મારી ભભકદાર ત્વચા ફરતો.

તું ખુશ થાય છે
મારા દરિયાઈ શંખના ગભરુ અવાજથી

પણ તારું હૃદય હવે
સમુદ્રોને ભીતર આવવા દેતું નથી.
ઓહ તું!

– એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)
(અંગ્રેજી અનુ.: જોહેનિસ બૈલહાર્ઝ)
(અનુ. વિવેક મનહર ટેલર)

‘નો એન્ટ્રી’ના દરવાજે ટકોરા મારતી સ્ત્રીની કવિતા…

પ્રેમમાં સમર્પણ ભાગ્યે જ અપેક્ષાથી પર હોય છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ સંબંધમાં આશાનો પુલ બંધાઈ જ જતો હોય છે. એક હાથ આપવા માટે લંબાવીએ ત્યારે બીજી હથેળી જાણ્યે-અજાણ્યે લેવા માટે ખુલી જતી હોય છે. નિઃસ્વાર્થ પ્રેમનો યુટોપિયા માત્ર નવલકથા અને ફિલ્મોમાં જ જોવા મળે છે. વાસ્તવિક જિંદગીમાં સમર્પણના કોઈ ચરણ સમીકરણથી પર હોતા નથી. સંબંધે સંબંધે અને સમયે સમયે દાખલા જુદા અને દાખલે દાખલે જવાબ પણ નોખા. પ્રેમ, સમર્પણ અને અપેક્ષાનો આવો જ એક દાખલો લાવ્યાં છે જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર.

એલિઝાબેથ (એલ્ઝ) લાસ્કર-શુલર. જન્મ ૧૧-૦૨-૧૮૬૯ના રોજ જર્મનીના એલ્બરફેલ્ડ (હાલના વુપતાલ)ના યહૂદી બેન્કર પરિવારમાં. પણ કવયિત્રી માટે એનું દુન્યવી અને માનસિક જન્મસ્થળ અલગ છે. એ કહે છે, ‘મારો જન્મ ઇજિપ્તના થીબ્સમાં થયો, જો કે દુનિયામાં હું એલ્ગરફેલ્ડમાં થઈને આવી.’ આ રીતે એ પોતાના અહેસાસમાં જીવતી કલ્પન અને વાસ્તવ, કળાત્મક અને મધ્યમવર્ગીય અસ્તિત્વ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે. ઓગણીસમી સદીના જર્મનીમાં યહૂદીઓના ચડતા સૂરજ સાથે એના પારિવારીક ઇતિહાસે તાલમેલ રાખ્યો હતો. સંપન્ન પરિવાર. છ સંતાનમાં સૌથી નાનાં. માના લાડકા અને માનો પ્રખર વાંચનશોખ લોહીમાં ઊતર્યો. એલ્ઝ કહેતાં કે મારી મા જ સાચી કવિ હતી, હું તો માત્ર એની કવિતાઓ જ કહું છું. ટીનએજમાં જ શાળા છોડી દીધી. ઘરે અભ્યાસ કર્યો. ૧૮૯૪માં બર્થોલ્ડ લાસ્કર સાથે લગ્ન. એ કહેતાં કે એના પ્રથમ સંતાન પૉલના પિતા એક ગ્રીક રાજકુમાર હતા પણ એ રાજકુમાર કદી જડ્યો જ નહીં. ૧૯૦૩માં વૉલ્ડન સાથે બીજાં લગ્ન. ૧૯૧૨માં ફરી છૂટાછેડા. બર્લિનના એક કેફેમાં એ પછીના ઘણા વરસો વીત્યાં. પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચ્યા પછી એમણે ૧૯૩૩માં નાઝી સરકાર આવતા બર્લિન છોડી સ્વીટ્ઝર્લેન્ડ ભાગવું પડ્યું. ૧૯૩૯માં ઇઝરાઈલની ત્રીજી મુલાકાત દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં સ્વીસ સરકારે એમને પરત ફરવા ન દીધાં અને એ ત્યાં જ રોકાયાં. ૨૨-૦૧-૧૯૪૫ના રોજ જેરુસલેમ ખાતે આર્થિક મુશ્કેલીઓ અને લાંબા સમયની નાદુરસ્ત તબિયતે અંતે હાર્ટએટેકના રૂપે એમનો ભોગ લીધો. બહુ જૂજ લોકોને નસીબ એવા માઉન્ટ ઓલિવ્સ પર દફનાવીને એમનું બહુમાન કરાયું.

એલ્ઝ અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. અભિવ્યક્તિવાદના જુવાળમાં એ પહેલેથી અગ્રેસર હતાં અને કદાચ સૌથી વધુ નોંધપાત્ર પણ. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. એકલતા, ગરીબી અને મા-ભાઈ-દીકરાના ઉપરાછાપરી મૃત્યુએ એમને વધુ ને વધુ અંતર્મુખી બનાવ્યાં. દીકરાને એ જમાનામાં અસાધ્ય ગણાતો ટીબી હતો અને એને બચાવવાના વૃથા યત્નોમાં એમણે વરસો વીતાવ્યાં. આ મુશ્કેલ વરસોમાં એની ચિત્રકળા અને કાવ્યકળા જ એમની આજીવિકા હતાં. એમના કાવ્યસંગ્રહની બસો પ્રતમાં તો એમણે હાથે રંગ ભર્યા હતા. પુસ્તકોના કવર પણ એ જ તૈયાર કરતાં. એમના ગદ્ય અને પદ્યની જેમ એના ચિત્રો પણ નિહાયત મૌલિક હતા. એમના લેખન કે ચિત્રણની કોઈની સાથે સરખામણી શક્ય નથી. એમનો ચિત્કાર પણ એ માટેનો જ હતો ને એની જિંદગી પણ સંપૂર્ણ સ્વતંત્ર પુરુષસમોવડી સ્ત્રીની જ હતી.

‘જંગલીને’ એક મજાનું પ્રેમકાવ્ય છે. એલ્ઝ આમેય પ્રેમકાવ્યો માટે જ સવિશેષ જાણીતાં છે. શીર્ષકનો દરવાજો જોતાં જ સમજી શકાય કે મકાન અંદરથી કેવું હશે! આ જ શીર્ષકથી કવયિત્રીએ એક બીજું કાવ્ય પણ લખ્યું છે એના પરથી સમજી શકાય છે કે પ્રેમ અને પુરુષોની બાબતમાં એમનો અનુભવ કેવો રહ્યો હશે! એલ્ઝની ઘણીબધી કવિતાઓ ગઝલના શેરની જેમ બબ્બે પંક્તિના ફકરા પાડીને લખાયેલી જોવા મળે છે. આમ કરવા પાછળ કદાચ કોઈ નક્કર કારણ નથી. એવું બની શકે કે પ્રેમ કરવા માટે બે જ જણની જરૂર છે એ વાત કદાચ આ પંક્તિઓની જોડ દ્વારા એ કહેવા માંગતા હોય. કારણ ગમે એ હોય પણ બબ્બે પંક્તિમાં ભાવક સામે આવતાં આ નાનાં-નાનાં વાક્યો સળંગ કવિતા કરતાં થોડી અલગ અને અણધારી ચોટ કરવામાં વધુ સફળ રહે છે એટલું ચોક્કસ છે.

કવિતામાંથી પસાર થતાં જ સમજાય છે કે પ્રેમની આવી અનુભૂતિ એક સ્ત્રીની જ હોઈ શકે. પુરુષ પ્રેમમાં ગમે એટલો ઊંડો કેમ ન ઊતર્યો હોય, સંવેદનાની ઋજુતાની બાબતમાં એ કદી સ્ત્રી જેટલો ઊંડે ઊતરી શકતો જ નથી, કેમકે એનું ગંતવ્ય પ્રેમથી શરીર તરફનું તો સ્ત્રીનું શરીરથી પ્રેમ તરફનું હોય છે. સ્ત્રી હંમેશા પ્રેમ મેળવવા માટે સમર્પિત થતી હોય છે એટલે જ એ રાતના અંધારામાં પુરુષના ચહેરાને પોતાના શરીર અને આત્માથી ઢાંકી દે છે. મૂળ જર્મન કવિતાની પંક્તિનો શબ્દશઃ અનુવાદ ‘હું સૂઈ જાઉં છું રાત્રે/તારા ચહેરા પર’ છે. જોહેનિસે અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે ‘આત્મા’નું ઉમેરણ કર્યું છે. અનુવાદ આમેય એક પ્રકારનું અનુસર્જન છે. ૧૪મી સદીમાં પેટ્રાર્કે કહ્યું હતું કે, ‘અનુવાદ (મૂળને) સમકક્ષ હોવો જોઈએ પણ અદ્દલોદ્દલ નહીં. એ ચિત્ર કે પૂતળાં જેવો આબેહૂબ હોવાના બદલે સંતાન જેવો હોવો જોઈએ જેને જોતાવેંત પિતા નજર સામે આવી ચડે.’ આત્મા શબ્દ ઉમેરવાથી કવિતાની ફ્લેવર વધુ આસ્વાદ્ય બની છે. એ જ પ્રમાણે કાવ્યાંતે આવતા ‘ઓહ તું!’નો જોહેનિસે અંગ્રેજી અનુવાદ કરતી વખતે બિનજરૂરી ગણી છેદ ઊડાવી દીધો છે, પણ ગુજરાતી અનુવાદમાં મૂળ કાવ્યને અનુસરીને ‘ઓહ તું!’ રહેવા દીધું છે. મૂળ કવિતામાં સમુદ્રો બહુવચનમાં વપરાયું છે, જ્યારે અંગ્રેજી અનુવાદમાં એ એકવચન થઈ ગયું છે. ગુજરાતી અનુવાદ અહીં પણ એલ્ઝના મૂળ જર્મન કાવ્યને વફાદાર રાખ્યો છે.

કવિતા ‘હું’થી શરૂ થાય છે ને ‘તું’ પર સમાપ્ત. આ સ્ત્રીના પ્રેમની ગતિ છે. પુરુષનો પ્રેમ ‘હું’થી શરૂ થઈ ‘હું’ સુધી જ જઈ શકે છે. સ્ત્રી નૈસર્ગિકરીતે પાણી જેવી છે, એક જગ્યાએથી બીજી તરફ વહે એવી જ્યારે પુરુષ ફુગ્ગામાં કેદ હવા જેવો, ફૂટી ન જાય ત્યાં સુધી પોતામાં જ ઘુમરાયા કરે. એક જગ્યાએ એલ્ઝ કહે છે, ‘મારા હાથ તને વીંટળાઈ વળે છે/નાજુક તાંતણાંઓની જેમ.’ તો પ્રસ્તુત કવિતાના શીર્ષકવાળી અન્ય એક કવિતામાં એ કહે છે, ‘હું તને એ રીતે ચાહું છું જાણે હું મરી ન ગઈ હોઉં/અને મારો આત્મા તને વીંટળાઈ વળ્યો હોય’ – આ સ્ત્રી છે! એ मैं तो मरकर भी मेरी जान, तुम्हें चाहूँगा નથી કહેતી, એ મર્યા પછી માત્ર પ્રેમ નહીં પણ ચોકોરથી વીંટળાઈને માની જેમ હૂંફ અને રક્ષણ બંને આપવા ઝંખે છે.

કવયિત્રીએ વાત કરવા માટે રાતનો સમય પસંદ કર્યો છે. દિવસે તો પુરુષ પોતાનામાં જ મગ્ન હોવાનો. દિવસે દુનિયાદારી અને કામધંધામાંથી કયા પુરુષને ફુરસદ મળતી હશે? રાત જ એક એવો સમય છે જ્યારે પુરુષને સ્ત્રી યાદ આવે. રાતના અંધારામાં જ પુરુષ પ્રકાશે છે. આ સમય સ્ત્રી-પુરુષની નિકટતમતાનો સમય છે એટલે કવયિત્રી રાતની વાત ખોલીને બેઠાં છે. નાયિકા પોતાના તન-મનથી નાયકના ચહેરાને ઢાંકી દે છે. એક કવિતામાં એલ્ઝ કહે છે: ‘રાત્રે હું ચોરી લેતી હતી/તારા મુખનું ગુલાબ,/રખે કોઈ બીજી સ્ત્રી ત્યાં પ્યાસ છિપાવવા આવે.’ શરીર શરીરમાં ઓગળવાની શરૂઆત થઈ છે. રાત જીવનમાં આવતાં દુઃખ-દર્દ, મુસીબતોની કાલિમાને પણ ઈંગિત કરે છે અને નાયિકાના આચ્છાદનને પુરુષને આ સૌ સામે રક્ષણ આપવા માટેના કમિટમેન્ટ તરીકે પણ જોઈ શકાય. પુરુષના અસ્તિત્વમાં એ પોતાની આશાઓ રોપે છે. એ પ્રેમ આપે છે ને બદલામાં પ્રેમ ઝંખે છે. પુરુષ તો મેદાન જેવો સપાટ અને સાફ છે. એની પાસેથી કંઈક પામવું હોય તો પહેલાં વાવવું પડશે. શરીર-આત્મા-અપેક્ષા –બધું જ સમર્પી દીધા બાદ સ્ત્રી પોતાની શક્યતાઓ ફંફોસે છે. કહે છે, હું તારા વક્ષસ્થળને ફંફોસું છું-કદાચ ત્યાંથી કોઈક જૂનો ખજાનો હાથ જડી આવે. કવિની કમાલ આ ફંફોસવામાં નથી પણ ‘થાક્યા વિના’ ફંફોસવામાં છે, કેમકે એ જાણે છે કે અથાક ધીરજનું ઘરેણું સ્ત્રી જ પહેરી શકે.

આટલું કર્યા પછી પણ પુરુષ તો ચુપ જ છે. સ્ત્રીના તન-મનની ભેટ સ્વીકારીને કદાચ એ સ્ખલન-સંતૃપ્ત થઈ પડ્યો છે ને સ્ત્રીની લાખ કોશિશ છતાં એણે જે સાંભળવાની ઇચ્છા છે, એ કહેતો નથી. સ્ત્રી તો પોતે જ એક ચમત્કાર છે. એનું અસ્તિત્વ કોઈ જાદુથી કમ નથી. પુરુષની અંદર ઓગળી જવાના એના જાદુ પાછળ એક ‘આઇ લવ યુ’ કે ‘આઇ કેર ફૉર યુ’થી વિશેષ એ ભાગ્યે જ ઝંખતી હોય છે પણ પુરુષના ભારી હોઠ સામે એના આ ચમત્કારો વિફળ છે. એક બીજી કવિતામાં આવા જ જાદુની વાત એલ્ઝા હકારાત્મક્તાથી કરે છે: ‘આપણે જ્યારે એકમેક સામે જોઈએ છીએ/આપણી આંખો ખીલી ઊઠે છે./અને આપણે ચકિત થઈ જઈએ છીએ/એ જાદુઓથી જે આપણે સર્જીએ છે./અને બધું જ નકરી મીઠાશ છે.’ પ્રસ્તુત કવિતામાં જાદુ એકપક્ષી છે એટલે મીઠાશ જન્મતી નથી.

સંભોગ સમાપ્ત થઈ ગયો છે. પુરુષની ઉત્તેજના સ્ખલન સુધી જ સીમિત હોવાની. એ બાદ તો ‘ગરજ સરી ને વૈદ વેરી’ જેવો જ ઘાટ હોય છે. સંભોગની બીજી જ ક્ષણે પુરુષ નસકોરાં બોલાવતો હોઈ શકે છે પણ સ્ત્રી સામાન્યરીતે આ મધમીઠી ક્ષણોને, આ સાયુજ્યને મમળાવ્યા વિના આંખ મીંચતી નથી. આપવાનું આપી દીધા બાદ હવે એ પોતાના અસ્તિત્વ, પોતાના સ્થાન વિશેના જવાબ ઝંખે છે. એ સવાલ કરે છે કે શા માટે તારો પ્રતિભાવ આવો ઠંડો છે? પોતાના આત્મા પર એ આ બરફ જેવા ઠંડા પ્રતિસાદના આકાશોનો બોજ અનુભવી રહી છે. પુરુષ તો એના સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગયો છે કેમકે એના માટે એના સ્વપ્નો જ હીરા જેવા મૂલ્યવાન છે. પણ આ હીરાની ધાર સ્ત્રીના હોવાપણાંની રગોને ચીરી રહી હોવાનો એને કોઈ અહેસાસ જ નથી. એક કવિતામાં એલ્ઝ આવો જ ધારદાર પ્રશ પૂછે છે: ‘હું વિકસું છું તારી સાથે એક થવા માટે./તું શા માટે મને ચીરી નાંખે છે?’ પણ આ સવાલો રાતની ગુફામાં નિરુત્તર પડઘાતા રહેવાને જ જન્મ્યા છે.

નાયિકા કહે છે કે હું જોસેફ છું. પોતાના ઑલ્ટર ઇગો(આભ્યંતર અહમ્)ને સંતોષવા એલ્ઝે ઇજિપ્શ્યન જુસુફ, થીબ્સના રાજકુંવરનું સર્જન કર્યું હતું જે એમના લખાણ અને ચિત્રોમાં સતત ડોકા દે છે. પોતાના પત્રો નીચે પણ ક્યારેક એ એના નામથી સહી કરતાં. આ જુસુફ બાઇબલનો સ્વપ્નદૃષ્ટા કવિ જોસેફ જ છે જેને ઈર્ષ્યાળુ ભાઈઓએ ગુલામ તરીકે વેચી દીધો હતો ને આપબળે ફેરોનો વજીર બન્યો હતો. પોતાને જોસેફ કહીને કવયિત્રી કદાચ આટલું અવમાન થયા બાદ પણ જોસેફની જેમ રાખમાંથી ઊભા થયા હોવાની ખુમારી બતાવવા માંગે છે. પણ તરત જ સ્વીકારે છે કે હું મારી રંગબિરંગી ત્વચા ઉપર એક મીઠો પટ્ટો પહેરું છું. ગમે એટલા રંગ બદલે, ગમે એ સ્વરૂપે એ પુરુષ પાસે આવે, પુરુષ એના તરફ દુર્લક્ષ જ સેવે છે. શરીરે બાંધેલો પટ્ટો ભલે મીઠો કેમ ન હોય, સોનાનો કેમ ન હોય, બંધન તો બંધન જ છે ને નાયિકા એનાથી બચી નથી શકતી. સ્ત્રીના ગભરુપણાથી પુરુષ ખુશ છે. પણ એ સ્ત્રીના ભીતરનો શંખનાદ સાંભળવા તૈયાર નથી. કહે છે કે શંખને કાન પર માંડીએ તો ભીતરથી દરિયાના ઘુઘવાટા સંભળાય છે. પુરુષ સ્ત્રીની લાચારીથી ખુશ છે પણ શંખની ભીતરથી આવતી સ્ત્રીના ભૂતકાળની ચીસો તરફ દુર્લક્ષ સેવે છે. એનું હૃદય ‘નો એન્ટ્રી’નો દરવાજો છે જેના પર સ્ત્રીના અસ્તિત્વના ટકોરાનો કોઈ પ્રતિસાદ નથી મળ્યો, નથી મળવાનો. એનું હૃદય સ્ત્રીની સંવેદનાના સાગરોને પોતાની ભીતર કદી આવવા દેતું નથી એ વાસ્તવિક્તા છે. ‘ઓહ તું!’ના આર્તસ્વર સાથે કવિતા પૂરી થાય છે ને આપણી ભીતર કંઈક ચીરાવું પ્રારંભાય છે…

આમ, આ રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. પ્રેમી ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે; પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.

ગ્લૉબલ કવિતા : ૫૬ : સ્ત્રીઓને શું જોઈએ છે? -કિમ એડોનિઝિયો

“What Do Women Want?”

I want a red dress.
I want it flimsy and cheap,
I want it too tight, I want to wear it
until someone tears it off me.
I want it sleeveless and backless,
this dress, so no one has to guess
what’s underneath. I want to walk down
the street past Thrifty’s and the hardware store
with all those keys glittering in the window,
past Mr. and Mrs. Wong selling day-old
donuts in their café, past the Guerra brothers
slinging pigs from the truck and onto the dolly,
hoisting the slick snouts over their shoulders.
I want to walk like I’m the only
woman on earth and I can have my pick.
I want that red dress bad.
I want it to confirm
your worst fears about me,
to show you how little I care about you
or anything except what
I want. When I find it, I’ll pull that garment
from its hanger like I’m choosing a body
to carry me into this world, through
the birth-cries and the love-cries too,
and I’ll wear it like bones, like skin,
it’ll be the goddamned
dress they bury me in.

– Kim Addonizio


સ્ત્રીઓને શું જોઈએ છે?
હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ.
હું ઇચ્છું છું કે એ પાતળો અને સસ્તો હોય,
હું ઇચ્છું છું એ ખૂબ તંગ હોય, હું ઇચ્છું છું એ પહેરવા
જ્યાં સુધી કોઈ એને મારા પરથી ચીરી ન કાઢે.
હું ઇચ્છું છું કે એ સ્લીવલેસ અને બેકલેસ હોય,
આ ડ્રેસ, જેથી કોઈએ અનુમાન ન કરવું પડે
કે અંદર શું છે. હું ઇચ્છું છું ચાલવા
શેરીમાં કલામંદિર અને હાર્ડવેરની દુકાનની
ચમકતી ચાવીઓ ભરી બારી પાસે થઈને,
મિ. અને મિસિસ વૉંગ પાસે થઈને જેઓ એક દિવસ જૂના ડૉનટ્સ
એમના કાફેમાં વેચી રહ્યા છે, કાસિમ બ્રધર્સ પાસે થઈને
જેઓ ટ્રકમાંથી અને લારી પર બકરાં લટકાવે છે,
ચીકણાં મુખાગ્ર ખભા પર ઊંચે ચઢાવે છે.
હું ઇચ્છું છું એ રીતે ચાલવા જાણે હું એકલી જ
સ્ત્રી આ પૃથ્વી પર હોઉં અને હું મારી પસંદગી કરી શકું છું.
મને એ લાલ ડ્રેસ કોઈપણ રીતે જોઈએ જ છે.
હું ઇચ્છું છું કે એ મારા માટેના
તમારા ખરાબમાં ખરાબ ડરોને દૃઢીભૂત કરે,
તમને બતાવી આપે કે મને તમારી કંઈ પડી નથી
અથવા કંઈ પણ સિવાય કે
હું શું ઇચ્છું છું. મને જ્યારે એ મળી જશે, હું એ વસ્ત્રને એમ ખેંચી કાઢીશ
એના હેંગરમાંથી જેમ હું શરીર પસંદ ન કરતી હોઉં
મને આ દુનિયામાં લઈ આવવા માટે,
જન્મના રુદન અને સંભોગના ચિત્કારોમાં થઈને પણ,
અને હું એને પહેરીશ હાડકાંની જેમ, ચામડીની જેમ,
એ એજ કમબખ્ત ડ્રેસ હશે,
જેમાં તેઓ મને દફનાવશે.

– કિમ એડોનિઝિયો
(અનુ.: વિવેક મનહર ટેલર)
હાંસિયામાંથી બહાર આવતી સ્ત્રીનો લાલ ડ્રેસ

ઇડનગાર્ડનનું સફરજન હોય કે પંચવટીનું સુવર્ણમૃગ – સ્ત્રી હંમેશા એક કોયડો બની રહી છે. સ્ત્રી એટલે એક એવું તાળું જેની પહેલાં તો ચાવી જ જડે નહીં, ને ચાવી જડી જાય તો જે ચાવીથી આજે ખુલે એ જ ચાવીથી કાલે ખુલે નહીં, ને આજે એક ચાવીથી તો કાલે વળી બીજી ચાવીથી ખુલે ને ક્યારેક એકાધિક ચાવીથી તો ક્યારેક એકેયથી નહીં ખુલે. સ્ત્રીનું રસાયણ શાસ્ત્રથી પર છે. એની ફિઝિયોલોજી પુસ્તકોના પાનાંમાં સમાઈ શકે એમ નથી. કલાપીએ કહ્યું હતું:

સ્ત્રી – જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની,
ઉષ્મા વિશ્વવિહારની, રસિકતા સાક્ષાત જે ઈશ્વરી;
જેની સુન્દરતા, કૃપા, જગતને આહ્લાશદ પાઈ વહે –
તેને આ મુજ બીન સોંપી શરણું, તેને જ ગાતું રહે.
પુરુષ લાગણીઓનો સરવાળો હોય તો સ્ત્રી ગુણાકાર છે ને એટલે જ સ્ત્રીનો પરિઘ પુરુષના વર્તુળની ક્યાંય બહાર વિસ્તરેલો છે. अच्छा है दिल के पास रहे पासबान-ए-अक्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे -આ શેર ઈકબાલ જ લખી શકે, કોઈ સ્ત્રી નહીં કેમકે સ્ત્રી એના દિલ પર અક્કલનો પહેરેદાર બેસાડતી નથી. એ દિલથી જ વિચારે છે. બાલમુકુન્દ દવે યાદ આવે:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

પણ આ પુરુષોનો નજરિયો છે અને પુરુષના દૂરબીનમાં તો એ કાચ જ નથી જેમાંથી સ્ત્રીને જોઈ શકાય. સાચી સ્ત્રીને જોવી હોય તો ચશ્માં પણ સ્ત્રીના જ હોવા ઘટે. કિમ એડોઝોનિયો આજની સ્ત્રીનું તાળું ખોલવામાં મદદરૂપ થાય એવી ચાવી લઈને આવ્યાં છે.

કિમ એડોનિઝિયો. ૩૧-૦૭-૧૯૫૪ના રોજ વૉશિંગ્ટન ડીસી, અમેરિકા ખાતે જન્મ. ટેનિસ ચેમ્પિઅન પૌલિન બેટ્ઝ અને રમત લેખક બૉબ એડિનું સંતાન. બે યુનિવર્સિટીમાં ગયાં. બંને છોડી દીધી. છેવટે સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં મેળ પડ્યો અને BA ને MA થયાં. હાલ તેઓ ઑકલેન્ડ, કેલિફૉર્નિયા ખાતે રહે છે અને શિક્ષણ, વર્કશોપ અને સર્જનમાં પ્રવૃત્ત રહે છે. ઢગલાબંધ પારિતોષિકો પણ મેળવ્યાં. કવિતાના સાત પુસ્તકો ઉપરાંત બે નવલકથા, બે નવલિકાસંગ્રહ અને કાવ્યકળા વિષયક બે પુસ્તકો. સંગીતની જાણકારી પણ મજાની. બે મ્યુઝિક સીડી બહાર પડી છે જેમાં એમણે લયાત્મક પઠન ઉપરાંત હાર્મોનિકા પણ વગાડ્યું છે.

કિમની કવિતા ચાતુર્યયુક્ત વક્રોક્તિ, નીડર આલેખન, અને શેરી-મહોલ્લાની ભાષાના કાકુના કારણે ઉફરી તરી આવે છે. એમની કવિતા સાર્વત્રિકરૂપે સહાનુભૂતિ અને સમ-વેદના જન્માવે છે. શૃંગારિક પ્રેમથી લઈને મૃત્યુ સુધી એ બેહિચક લખે છે અને એટલે જ એ નોંધપાત્ર બન્યાં છે. જે લોકો હજી જન્મ્યા નથી એમની સાથે સંવાદ કરવાનો વૉલ્ટ વ્હિટમેનનો વિચાર એમને પ્રભાવિત કરે છે. કિમ કહે છે, ‘લેખન એક અનવરત આકર્ષણ અને પડકાર છે, તદુપરાંત આધ્યાત્મિકતાનો એકમાત્ર પ્રકાર છે જેનો હું લગાતાર અભ્યાસ કરી શકું છું. મેં શરૂઆત એક કવિ તરીકે કરી અને હંમેશા કવિતા તરફ જ પાછી વળીશ – એ ઊંડી ખોજ અને બિરાદરીની ભાવના માટે જે મને એમાંથી મળે છે.’

કિમની આ કવિતા “સ્ત્રીઓને શું જોઈએ છે?”નું શીર્ષક તો કદાચ આદમના પતનના દિવસથી પૂછાઈ રહેલો સનાતન પ્રશ્ન છે. રચનાની દૃષ્ટિએ આ અંગ્રેજી મુક્તપદ્ય છે, જેને ગુજરાતીમાં કટાવ છંદમાં લખાતા મુક્તપદ્ય સાથે સરખાવી શકાય. અહીં કોઈ દેખીતી પ્રાસરચના નથી પણ આંતર્પ્રાસ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ ઉપરાંત કવયિત્રીએ સ્ત્રીના વિચારો જેમ એકમાંથી બીજામાં ઢોળાય એમ વાક્યોને પણ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવા દીધાં છે અને એ રીતે પ્રવાહ વહેતો રાખ્યો છે. ક્યાંક અધવચ્ચે જ અટકી જતી સ્ત્રીની જેમ વાક્ય પણ પંક્તિની અધવચ્ચે જ પૂરું થઈ જાય છે.(આમ જો કે સ્ત્રી ક્યાંક અટકે નહીં એટલે કદાચ આખી રચનામાં આવું બે જ વાર બન્યું છે!) શીર્ષકનો પ્રશ્ન ‘સ્ત્રીઓને શું જોઈએ છે?’ અને પહેલી પંક્તિના જવાબ ‘હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ’ની વચ્ચે જ કવિતા આમ તો સમાપ્ત થઈ જાય છે, પણ મજા જવાબના વિસ્તરણમાં છે. કવિતા આઇ-હુંથી આરંભાય છે અને સત્તાવીસ પંક્તિના કાવ્યમાં સત્તર વાર આ આઇ-હું ડોકિયું કરે છે અને દસ વાર ‘હું ઇચ્છું છું’નો સાદ સંભળાય છે એટલે નાયિકાના મનમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત અને મહત્ત્વ દૃઢીભૂત છે એ સમજી શકાય છે.

મીરાંબાઈ ભલેને ગાઈ ગયાં કે, ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે’, આજની નારીની મોટી મિરાત એનો શામળો નહીં, પણ એનો પોતીકો, એનો વહાલેરો ‘આઇ-હું’ છે. દુનિયાના વર્તુળમાં આજની નારી પોતાની જાતને કેન્દ્રમાં મૂકે છે ને એ સાચું પણ છે. સંસારનું કેન્દ્રબિંદુ હકીકતમાં તો સ્ત્રી જ હોઈ શકે પણ પુરુષે આદિકાળથી સ્ત્રીને ‘સેકન્ડ સેક્સ’ની કક્ષામાં ગોઠવી દઈને આધિપત્ય પચાવી રાખ્યું છે. સ્ત્રીને માટે ‘પુરુષ-સમોવડી’થી મોટી કોઈ ગાળ જ ન હોઈ શકે. મેં તો મારી દીકરીને દીકરાની જેમ જ મોટી કરી છે કહેનાર મા-બાપ જાણ્યે-અજાણ્યે સ્ત્રીનું હાંસિયામાં ધકેલાઈ ગયેલું અસ્તિત્વ સ્વીકારે છે અને વરસમાં એકવાર ભીખમાં મળેલા ‘વીમેન્સ ડે’ પર પોરસાતી સ્ત્રીઓ પણ હાંસિયા સિવાયના આખા પાના પર પુરુષના અધિકાર પર સહી-સિક્કા કરી આપતી હોય છે. બહાદુરીના પર્યાયવાચી વિશેષણ કયાં તો કે ‘પુરુષાતન’ અને ‘મર્દાનગી’! આ કારણોસર જ સદીઓથી સ્ત્રીઓએ સ્ત્રીસમાનતાના આંદોલન કરતાં રહેવું પડ્યું છે. ને એટલે જ આવી કિમ જેવી કોઈ સ્ત્રી ઊભી થાય અને માયા એંજલુની ભાષામાં ‘હું એ જોવા ઇચ્છું છું કે યુવતી બહાર જાય અને દુનિયાને કોલરથી ઝાલે. જિંદગી ચુડેલ છે. જરૂરી છે કે તમે બહાર આવો અને કુલા પર લાત મારો’ આર્તસ્વરે પોકારે ત્યારે સહજ આનંદ થાય. જી.ડી.એન્ડરસન કહે છે: ‘નારીવાદ સ્ત્રીઓને મજબૂત બનાવવાની વાત જ નથી. સ્ત્રીઓ તો પહેલેથી જ મજબૂત છે. એ તો વિશ્વ એ તાકાતને જે નજરિયાથી જુએ છે એ બદલવાની વાત છે.’

ભર્તૃહરિ ‘શૃંગારશતક’માં કહે છે:

नूनं हि ते कविवरा विपरीतवाचो
ये नित्यमाहुरबला इति कामिनीस्ता:।
याभिर्विलोलतरतारकदृष्टिपातै:
शक्रादयोऽ पि विजितास्त्वबला: कथं ता:॥

(નિત્ય સ્ત્રીને અબળા કહેનાર તે કવિવરો ખરેખર ખોટી વાત કરનારા છે; જેઓએ પોતાના ચપળ નેણકટાક્ષથી ઇંદ્રાદિને પણ જીતી લીધા હોય તેઓ અબળા શી રીતે ગણાય?) અહીં પણ છાશ લેવા જવું ને દોણી સંતાડવાની વિસંગતિથી જ્ઞાત સબળા એક જ પંક્તિમાં પોતાના મનની વાત જાહેર કરે છે કે મારે લાલ ડ્રેસ જોઈએ છે. લાલ રંગ ભડકીલો-તેજસ્વી રંગ છે. લાલ રંગની તરંગલંબાઈ બધા રંગોમાં સૌથી વધુ હોય છે એટલે ખૂબ દૂરથી જોવામાં આવે તો પણ હવાના કણો એને બીજા રંગોની ઝાંખો કરી શકતા નથી. આ જ કારણોસર ટ્રાફિક સિગ્નલમાં ‘સ્ટૉપ’ની સંજ્ઞા માટે લાલ રંગ વપરાય છે. લાલ રંગ જોખમ પણ ઇંગિત કરે છે. લાલ રંગ લોહીનો પણ રંગ છે અને તીવ્ર પ્રેમ, વાસના, ક્રોધ, હિંસા, તાકાતનો પણ. લાલ રંગ ઉત્તેજનાનો રંગ છે. લાલ રંગ ક્રાંતિનો રંગ છે. માંસાહારનું સૂચન પણ લાલ રંગ જ કરે છે. ખાસ વ્યક્તિઓનું સ્વાગત પણ લાલ જાજમ બિછાવીને કરાય છે. એટલે નાયિકા બીજા કોઈ નહીં પણ માત્ર લાલ રંગનો ડ્રેસ જ માંગે છે એમાં ઘણું બધું આવી જાય છે.

પણ આ ઇચ્છાની સાથે બીજી ઘણી બધી વાતોનો અંકોડા ભેરવાયેલા છે. નાયિકા જાણે છે કે પુરુષો સ્ત્રીને જુએ છે ત્યારે હંમેશા વસ્ત્રોની આરપાર જ જુએ છે અને એની ઇચ્છા કપડાં ફાડીને સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાની જ હોવાની. એટલે જ નાયિકા ઇચ્છે છે કે આ ડ્રેસ પાતળા કાપડનો, સસ્તો અને તંગ હોવો જોઈએ, જેથી એક તો નયનસુખિયાઓએ કલ્પના કરવાની તકલીફ ન લેવી પડે અને ચીરી નાંખવામાં આવે તો પોષાય. બીજું પોષાક સસ્તો હોય તો કદાચ લોકો પોષાકને બદલે પોષાકની અંદરની વ્યક્તિ પર વધુ ધ્યાન આપે. એને રાજમાર્ગ પર કેટવૉક નથી કરવું. એને વાસ્તવિક જિંદગીની તમા વધુ છે. આ ડ્રેસ પહેરીને એ એ શેરીઓમાં ચાલવા ઇચ્છે છે જ્યાં મોટી-મોટી દુકાનો હોય, કાફેટેરિયા હોય. હાર્ડવેરની દુકાનની બારીમાં લટકતી ચમકતી ચાવીઓ ધ્યાન ખેંચે છે. શું આ લાલચટ્ટાક ડ્રેસની ચમકતી ચાવીથી એ કોઈ તાળું કે તાળાં ખોલવા ઇચ્છે છે? કે પછી ભલે ચળકતી હોય, તે છતાં કોઈપણ ચાવી એના અસ્તિત્વનું તાળું ખોલી નહીં શકે એ વાતનો અહીં ઈશારો છે? વાસી ડૉનટ જૂની તકિયાનુસી પ્રથાઓમાં કેદ લોકો તરફની એની બેદરકારીનાં દ્યોતક છે. કસાયેલા શરીરવાળા કસાઈ ભાઈઓની દુકાન પણ શેનો ઈશારો કરે છે? જેના પર મરેલા પ્રાણીઓના મુખાગ્ર લટકાવ્યા હોય એ ખભા ઊંચા અને માંસલ જ હોવાનાને? જોનારાની મનોવાસના પરિપૂર્ણ થાય એમ કહેનારી નાયિકા પણ પોતાની મનોવાસના સંતોષવા નીકળી હોય એમ લાગે છે કેમકે એ એ રીતે ચાલવા ઇચ્છે છે જાણે સમગ્ર પૃથ્વી પર એ એકલી જ હોય જેથી સૌનું ધ્યાન માત્ર એના તરફ જ હોય અને એને પોતાના શિકારનું ચયન કરવાનો –સ્વયંવર કરવાનો- નિર્બાધ અધિકાર હોય! ને એટલે જ તો યેનકેન પ્રકારે પણ એને આ લાલ ડ્રેસ જોઈએ જ છે.

કામશાસ્ત્ર કહે છે: ‘कामश्चाष्ठगणो स्मृतः’ (સ્ત્રીમાં પુરુષ કરતાં આઠગણી વધારે કામવૃત્તિ હોય છે.) ગાયક મેડોના કહે છે, ‘હું મજબૂત છું, હું મહત્ત્વાકાંક્ષી છું, અને હું બરાબર જાણું છું કે મારે શું જોઈએ છે. ભલે એ મને હલકટ બનાવે, વાંધો નહીં.’ મેરી ક્યુરી આજ વાત શિષ્ટ ભાષામાં કહી ગયાં: ‘આપણે માનવું જ જોઈએ કે આપણને કશાક માટેની બક્ષિસ મળી છે, અને એ પણ કે આ કશુંક, કોઈ પણ કિંમતે મેળવવું જ જોઈએ.’ દુનિયાના સર્ટિફિકેટની રાહ કે પરવાહ કરવા બેસીશું તો બેઠાં જ રહી જઈશું. નાયિકા પ્રગલ્ભ છે, એ સ્ત્રીઓ તરફ કરવામાં આવેલી અસમાનતાને જ હથિયાર બનાવીને પુરુષોના જગત આખાને ઝબ્બે કરવા નીકળેલી રણચંડી છે. એ તો ઇચ્છે પણ એ જ છે કે આવા લાલ ડ્રેસમાં એને આમ ચાલતી જોઈને લોકો એના વિશે ખરાબમાં ખરાબ વિચારે અને વિચારતા હોય (વિચારે જ છે!) તો એમના આ વિચારોનું ખંડન કરવાને બદલે દૃઢીભૂત કરવામાં એને મજા આવે છે. ‘હા! હું તો આવી જ છું, થાય એ કરી લ્યો’નો તમાચો પુરુષોના ગાલ પર ફટકારવામાં એને મજા આવે છે. એને કોઈની તમા નથી. હા, એ હકીકતમાં શું ઇચ્છે છે એ બતાવવા જોકે નથી માંગતી. અહીં એનું ચારિત્ર સાચા અર્થમાં પ્રકાશે છે. પોતે કેવી ‘બીચ’ છે એ બતાવવામાં એને કોઈ છોછ નથી પણ પોતાનું ભીતર તો એ ભીતર જ સંગોપી રાખવા માંગે છે.

કાવ્યાંતે એ કહે છે કે જો આવો ડ્રેસ મળી આવશે તો એ જન્મ લેવા માટે શરીરની પસંદગી ન કરતી હોય એમ હેંગરમાંથી એને ખેંચી કાઢશે. જન્મ લેતી વખતના રુદન કે સંભોગની પરાકાષ્ઠાના ચિત્કારોમાં પસાર થઈને પણ એ આ ડ્રેસ મેળવશે અને એને પોતાનાં હાડકાંની જેમ, ચામડીની જેમ ધારણ કરશે. અને આ એ જ કમબખ્ત વસ્ત્ર હશે જેમાં લોકો એને અંતસમયે દફન પણ કરશે. લલ ડ્રેસનો ખરો રંગ છેક છેલ્લે અહીં આવીને ઊઘડે છે. આ લાલ ડ્રેસ એના ચારિત્ર સિવાય કંઈ નથી. આ ડ્રેસ એની ઇચ્છાઓ, એના ચારિત્ર્ય, એના અસ્તિત્વનું જ પ્રતિક છે, કેમકે લોકો એને આ કપડાંઓમાં જ જોવાના છે. લોકો એનું મૂલ્યાંકન એની ઇચ્છાઓ, એનો સ્વભાવ, એનું ચારિત્ર્ય જોઈને જ નક્કી કરવાના છે ને એટલે જ એ ઇચ્છે છે કે આ ડ્રેસ બને એટલો પાતળો હોય, બને એટલો તંગ હોય, સ્લીવલેસ હોય અને વળી બેકલેસ પણ હોય જેથી એ ખરેખર જેવી છે, લોકો એને એ જ સ્વરૂપે જુએ. એ ઇચ્છે છે કે લોકો એ પોતે પોતાની જાતને જેવી દેખાડવા ઇચ્છે છે એમજ જુએ, નહીં કે પોતપોતાનાં જજમેન્ટના ચશ્માંમાંથી.

ગ્લૉબલ કવિતા : ૫૫ : પાણીની કૂંચી -ઓક્ટાવિયો પાઝ

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
. Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

પાણીની કૂંચી

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
. ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઓક્ટાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

મન ચંગા તો કથરોટ મેં ગંગા

પ્રેમ. અનુભૂતિ તો એક જ છે પણ પ્રેમને નિરખવા માટે દરેકેની પાસે અલગ ચશ્માં છે અને દરેકના ચશ્માંમાંથી એ અલગ દેખાય છે અને વળી એક જ ચશ્માંમાંથી પણ અલગ અલગ સમયે એ અલગ અલગ નજર આવે છે. કેલિડોસ્કૉપ જ જોઈ લ્યો. જેટલીવાર જુઓ, નવી જ ભાત જોવા મળે. સ્ત્રી અને પુરુષને પોતપોતાની જાતીયતાની સમજણ આવી હશે એ પહેલાં આદિમાનવયુગમાં પણ પ્રેમનું અસ્તિત્વ હશે જ. લાગણી, ગમો, પ્રેમ, સમ્-ભોગ –આ બધું એક જ સમયરેખા પરના અલગ-અલગ બિંદુઓ જ છે માત્ર. ઑક્તાવિયો પાઝ એક નાનીઅમથી કવિતામાં એના ચશ્માંમાંથી એની નજરે આપણને એની પ્રેમની વિભાવના અહીં બતાવે છે.

ઑક્તાવિયો પાઝ લોસાનો. ૩૧-૦૩-૧૯૧૪ના રોજ મેક્સિકોમાં લેખક પરિવારમાં જન્મ. પિતા અને દાદા બંને રાજકીય પત્રકાર. દાદાની અંગત લાઇબ્રેરી લોહીમાં ઉતરી. ઑક્તાવિયોએ પારિવારીક પરંપરાનો નિર્વાહ કર્યો. ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. ૨૦ની ઉંમરે ‘બરાન્ડલ’ નામનું સાહિત્યિક સમીક્ષાનું સામયિક મિત્રો સાથે મળીને આદર્યું. ૨૪ની વયે ‘ટોલર’ નામનું સામયિક શરૂ કર્યું. કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. રાજદ્વારી સેવામાં જોડાયા. ૧૯૬૨થી છ વર્ષ એ ભારતમાં મેક્સિકોના એલચી બનીને રહ્યા પણ ભારત સાથેનો એમનો સંબંધ છેક ૧૯૫૧થી હતો. ભારતની સંસ્કૃતિ, સભ્યતા, તત્ત્વચિંતન, કળા અને લોકાચાર સાથે પાઝ જે રીતે ભળી શક્યા છે એ અદભુત છે. એલિયટ વાઇનબર્ગરે કહ્યું, ‘બીજો કોઈ પાશ્ચાત્ય કવિ ભારતમાં એટલો ઓગળી ગયો નથી, જેટલો પાઝ. ચાળીસ વર્ષ સુધી ઓક્ટાવિયો પાઝની જિંદગી અને કામમાં ભારત મેક્સિકોનું જોડિયું બનીને રહ્યું.’ ઓલિમ્પિક રમતોની સાંજે, ૦૨-૧૦-૧૯૬૮ના રોજ સરકાર દ્વારા કરાયેલ લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થી દેખાવગીરોના નરસંહારના વિરોધમાં રાજીનામું આપ્યું. ભારત છોડતાં પહેલાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના આમંત્રણને માન આપીને એમના પરિવાર સાથે ભોજન પણ લીધું. એ પછી પ્રોફેસર અને સંપાદકની જિંદગી. ૧૯૩૭માં એલેના ગારો સાથે લગ્ન. એક પુત્રી. ૧૯૫૯માં છૂટાછેડા. ૧૯૬૫માં મેરી-જૉઝે ટ્રામિની સાથે બીજા અને આખરી લગ્ન. ૧૯૯૦માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. ૧૯-૦૪-૧૯૯૮ના રોજ મેક્સિકો ખાતે જ કેન્સરના પ્રતાપે દેહવિલય. એમના મૃત્યુની ઘોષણા મેક્સિકોના પ્રમુખે ખુદ કરી કરી હતી.

ઉત્તમ કવિ અને લેખક. પદ્યમાં ગદ્યના રંગ અને ગદ્યમાં પદ્યની છાયા સતત આવજા કરતા જોવા મળે એ એમની ખાસિયત છે. એમની કવિતાઓ મુખ્યત્વે અતિયથાર્થવાદ, અસ્તિત્વવાદ ઉપરાંત માર્ક્સવાદ, હિંદુત્વ અને બૌદ્ધત્વના રંગે રંગાયેલી જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમનો, કળા અને વિવેચનાનો અભૂતપૂર્વ સમન્વય એમની કૃતિઓમાં જડે છે. ઑક્તાવિયોની કવિતાઓ મેક્સિકોના સમાજ, પ્રેમ, કામપ્રાચુર્ય, સમય અને બૌદ્ધવાદથી રસાયેલી છે. ફિલસૂફી, ધર્મ, રાજકારણ, કળા, અને મનુષ્યજાત વિશે એ ઝીણું કાંતે છે. મેન્યુઅલ દુરાન કહે છે, ‘સ્વની અને એક જ સાંસ્કૃતિક પ્રથાની ખૂબ જ ધીમી, લગભગ સૂક્ષ્મદર્શક તપાસ અચાનક વિસ્તરીને સાર્વત્રિક બની ગઈ પણ પોતાની આગવી લાક્ષણિકતાનો ભોગ લીધા વિના.’ મેક્સિકો નામના દૂરબીનમાંથી એ બ્રહ્માંડદર્શન કરાવી શક્યા છે એટલે જ એમની કવિતા સર્વકાલીન, સર્વપ્રાંતીય અને સાર્વજનિક બની રહી. એ માનતા કે કવિતા ‘આધુનિક યુગનો ખાનગી ધર્મ’ છે.

પ્રસ્તુત રચનાના શીર્ષક વિશે ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ (layastaro.com)ના સ્થાપક ધવલ શાહ કહે છે, ‘પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે. માટે જ કવિએ પાણીને ચાવી (આધ્યાત્મિકતા માટેની) કહ્યું છે.’ એક રીતે જોઈએ તો શીર્ષકની આ સમજૂતિમાં જ આખી કવિતા પૂરી થઈ જાય છે. એક જગ્યાએ પાઝ કહે છે, ‘કવિતા વાંચવી મતલબ આપણી આંખોથી સાંભળવું; અને એ સાંભળવી મતલબ આપણા કાનોથી એને જોવી.’ એ એવું પણ પૂછે છે, ‘શું એ વધુ સારું નથી કે જિંદગીને કવિતા બનાવવા કરતાં જિંદગીમાંથી કવિતા બનાવાય? અને શું કવિતાનો પ્રાથમિક હેતુ, કાવ્યસર્જન હોવાના બદલે, કાવ્યાત્મક ક્ષણોનું સર્જન ન હોઈ શકે?’ તો આ કવિતાને કોરાણે મૂકીને આપણે પાઝે સર્જેલી કાવ્યાત્મક ક્ષણોને આંખથી સાંભળીએ અને કાનથી જોઈએ તો?

પાઝનું ભારત સાથેનું જોડાણ આ રચનામાં સાફ નજરે ચડે છે. સાવ નાની અમસ્તી રચના છે પણ ગાગરમાં સાગર જેવી. ઋષિકેશ અને ગંગાથી વાતની શરૂઆત થાય છે. ગંગા સાથેનો આપણો સંબંધ આદિથી જ પવિત્રતા, શુદ્ધિકરણ અને મોક્ષનો રહ્યો છે. વિષ્ણુએ વામનાવતારમાં બલિ પાસે માંગેલ ત્રણ પગલાં જમીન મેળવવા માટે સ્વર્ગમાં પગ લંબાવ્યો ત્યારે કહે છે કે બ્રહ્માએ જે પાણી વડે એમનું પાદપ્રક્ષાલન કર્યું હતું એ જ ગંગા. એટલે જ ગંગા બ્રહ્માની પુત્રી પણ ગણાય છે. પછી જ્યારે કપિલમુનિએ ક્રોધવશ સગરરાજાના સાંઠ હજાર પુત્રોને બાળી નાંખ્યા ત્યારે એમના વંશજ ભગીરથે પૂર્વજોના આત્માની મુક્તિ માટે તપશ્ચર્યા આદરીને ગંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું અને ગંગાના આવેશથી પૃથ્વી-પાતાળને રક્ષવા માટે શંકર ભગવાને એને પોતાની જટામાં ઝીલી લીધી. ગંગામાં નહાવાથી જનમભરના પાપ ધોવાઈ જાય છે અને મુક્તિ મળે છે એ હિંદુ ધર્મની સનાતન માન્યતા છે. માણસ અવસાન પામે ત્યારે એના મુખમાં ગંગાજળ મૂકવાનો રિવાજ પણ આ જ કારણોસર પ્રચલિત થયો છે અને લાશ પણ મોક્ષાર્થે જ ગંગામાં વહાવવામાં આવે છે. ગંગાનું પાણી વર્ષો સુધી સાચવવા છતાં સડતું નથી એ એની લાક્ષણિકતા છે પણ આજે ગંગા વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં પાંચમા ક્રમે આવે છે એ દુર્ભાગ્ય પણ વાસ્તવિક્તા છે.

કવિ કહે છે, ઋષિકેશથી આગળ નીકળ્યા પછી પણ ગંગા હજી લીલી જ છે. નિર્મળ આધ્યાત્મિકતા અને જાતીયતાના બે ધ્રુવ વચ્ચે સમતુલન જાળવતી આ લઘુરચનામાં કવિ રંગોની નાજુક પીંછી ફેરવીને એક મજાનું ચિત્ર ઊભું કરે છે. ગંદા કપડાં પાણીમાં ધોવામાં આવે તો પાણી ગંદુ થઈ જાય છે પણ ગંગા ઋષિકેશમાં હજારો-લાખો લોકોના પાપ ધોઈને આગળ વધે છે એ છતાં હજી લીલી છે. લીલો રંગ મોટાભાગે અહીં ફળદ્રુપતાની નિશાની છે. આટઆટલા પાપ ધોવા છતાંય ગંગા હજી પણ જેટલા શ્રદ્ધાળુઓ આવે એ બધાના પાપ ધોઈ શકે એટલી ફળદ્રુપ છે. એવુંય ગણી શકાય કે શહેર પૂરું થયા બાદ આરંભાતી વનરાજીનો હરિતવર્ણ ગંગાજણ ઝીલતું હોય. એક શક્યતા એવી પણ છે કે લીલો રંગ ગંગાનું પ્રદૂષણ ઈંગિત કરતો હોય. જો કે જોકે કવિતામાં આવતા બધા જ સંદર્ભો સ્વચ્છતા અને પવિત્રતા સાથે સંબદ્ધ છે એટલે આ અર્થઘટન સાચું નથી લાગતું. પાઝ ભારતીય સંસ્કૃતિથી વાકેફ હતા એટલે એવું પણ વિચારી શકાય કે લીલો રંગ આગળ નિર્દિષ્ટ થતી કામકેલિનો નિર્દેશ પણ કરતો હોઈ શકે. બને. કવિતાની મજા જ એ છે કે દરેક ભાવક એને પોતાની દૃષ્ટિએ મૂલવીને આનંદ લઈ શકે. પાઝ પણ કહે છે, ‘કવિતાનો હેતુ માનવજાતમાં આશ્ચર્યની શક્યતાને પુનર્સ્થાપિત કરવાનો છે.’

ઋષિકેશ પછી ગઢવાલ હિમાલય શરૂ થઈ જાય છે અને આ પર્વતોની ટેકરીઓમાં કાચ જેવી સ્વચ્છ ક્ષિતિજ જાણે ટુકડા-ટુકડા થઈ જતી હોય એમ લાગે છે. કાવ્યનાયક અને નાયિકાનો અહીં ‘અમે’થી કાવ્યપ્રવેશ થાય છે. બંને જણ સાથે સ્ફટિક ઉપર સાથે ચાલે છે. ‘સ્ફટિક’ શબ્દ શુદ્ધતા અને સૌંદર્ય છતા કરે છે. પ્રેમમાં બે જણ સાથે હોય ત્યારે સૃષ્ટિ આખી બદલાઈ જાય છે. પાઝ કહે છે, ‘પ્રેમ કરવો યાને યુદ્ધ કરવું, દરવાજા ખોલવા. દુનિયા બદલાઈ જાય જો બે જણ એકમેક સામે જોઈ શકે અને જુએ તો.’ પ્રેમ દુનિયા બદલી શકે છે. બે અલગ-અલગ વ્યક્તિ જેમ પ્રેમમાં એકમેકમાં ભળી જાય એમ ભારતની ગંગાની અડોઅડ મેક્સિકોની ખાડીઓ મૂકીને કવિ બે સંસ્કૃતિઓને એકમેકમાં ઓગાળી દે છે. જેમ ગંગા આપણા માટે પવિત્ર છે એમ કોઈપણ મેક્સિકન માટે એમના દેશની ખાડીઓ મહાન અને શાંતિદૂત જેવી પવિત્ર છે.

બંને પ્રેમીઓ સંબંધની શુદ્ધતામાં વિચરી રહ્યાં છે. ઉપર-નીચે, મનોમસ્તિષ્કમાં બધે જ સમુદ્રખાડી જેવી નિશ્ચલ શાંતિ પ્રવર્તી રહી છે. ભૂરો અવકાશ સંબંધની વિશાળતા, સફેદ પથ્થરો સાફ નિયતની દૃઢતા અને કાળાં વાદળો પ્રેમભર્યા વરસવા આતુર હૈયા સૂચવતા હોય એમ લાગે છે. પાઝના મતે ‘પ્રેમ અન્યના અસ્તિત્વ સોંસરા જવાની કોશિશ છે, પણ એ ત્યારે જ સફળ થાય જ્યારે સમર્પણ પારસ્પરિક હોય.’

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. દેશ સર્વનામ હવે સરહદ વળોટી ચૂક્યું છે. પૂર્વ અને પશ્ચિમ હવે એક થઈ ચૂક્યાં છે. બે પ્રેમીઓ ‘અમે’ થઈને મ્હાલી રહ્યાં છે અને અહીં પુણ્યઝરાઓનો તોટો નથી. ખરાબ કામો, ખરાબ સ્વભાવ, ખરાબ ભૂતકાળ – બધું જ જેમાં ઝબોળીને શુભ્ર-શુદ્ધ થઈ શકાય એવા ઝરણાંઓથી આ દેશ ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ પંક્તિ પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે. એટલે જ અનુવાદ કરતી વખતે આ પંક્તિને અલગ તારવવા માટે હિંદી ભાષાનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે મૂળ કવિ અને કવિતાનો હેતુ માર્યો ન જાય.

પાઝ કહે છે, ‘પ્રેમ કરવો એટલે આપણા નામને અનાવૃત્ત કરવાં.’ એ એમ પણ કહે છે, ‘પ્રેમ એ સૌંદર્યની કામના નથી, એ સંપૂર્ણતા માટેની તડપ છે.’ આ વાત આખરી પંક્તિમાં નજરે ચડે છે. આખી વાત વીતી ગયેલી એક રાતની છે. કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પાઝ કહે છે, ‘મનુષ્ય ક્યારેય એ નથી જે એ છે, પણ એ છે જે એ શોધે છે.’ અહીં પણ કવિ સેક્સભૂખ્યો પ્રેમી નથી, એ પ્રેયસી સાથે સાયુજ્યતા ઝંખતો પૂજારી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીએ પાઝને ફરી આમંત્ર્યા હતા પણ ઇંદિરાની હત્યા થઈ. પછી ૧૯૮૫માં રાજીવ ગાંધીના આમંત્રણને માન આપીને પાઝ છેલ્લીવાર ભારત આવ્યા હતા. ભારત સાથેનો એમનો અનુબંધ એક પ્રવાસી કે રાજદ્વારીનો કદીય હતો નહીં. પહેલવહેલીવાર ભારત આવ્યા ત્યારે પહેલા જ દિવસે તાજ હોટલમાં કપડાં બદલીને એ સીધા શેરીઓમાં વસતા ભારતને આલિંગવા દોડી ગયા હતા. એક સમયે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનુંય વિચાર્યું હતું. લેટિન અમેરિકાની નસોમાં વહેતું ભારતીય રક્ત પ્રેમને પૂજાની કક્ષાએ લઈ આવે છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ પાણીનો એવો જ મહિમા છે. બાપ્ટિઝમ વિના ચર્ચપ્રવેશ શક્ય નથી. ધર્મસ્થળે પ્રવેશતાં પહેલાં કે પ્રાર્થના-ઉપદેશ પહેલાં અને પછી પાદરીઓ હાથ-પગ ધુએ છે. કહે છે: ‘હે પ્રભુ! મને મારા અધર્મમાંથી ધોઈ નાંખ અને મારા પાપમાંથી સાફ કર.’ પાઝનો પાક અભિગમ એમની વાતમાંથી પણ સાફ થાય છે: ‘કામકેલિ સહજ છે; તે પ્રકૃતિમાં એક ભૂમિકા ભજવે છે. વિચાર પરિચિત છે, પણ એમાં એક વિસંગતિ છે: કામવાસનાથી વધુ સાહજીક બીજું કંઈ નથી; અને બીજું કંઈ નથી જે એ સ્વરૂપો કરતાં ઓછું સાહજિક હોય જેમાં એ પ્રગટ અને સંતુષ્ટ થાય છે.’ સમજી શકાય છે કે પાઝ માટે મનની જિંદગી તનની જિંદગીથી બહુ અળગી કે અલગ નથી. કદાચ આજ ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ની વિચારધારા કાવ્યાંતે ઝળાંહળાં થાય છે જ્યારે સ્તનને પવિત્ર ગણીને નાયક એમાં પોતાના હાથ ધુએ છે.

અંતે પાઝની જ ‘સનસ્ટોન’ નામની દીર્ઘકવિતાનો એક અંશ મમળાવીએ:

કેમકે બે શરીર, નગ્ન અને વીંટળાયેલાં,
સમય પરથી કૂદી જાય છે, તેઓ અભેદ્ય છે,
કશું જ તેમને સ્પર્શી નહીં શકે, તેઓ મૂળ તરફ પરત ફરે છે,
ત્યાં કોઈ તું નથી, હું નથી, આવતીકાલ નથી,
ગઈકાલ નથી, નામ નથી, બે જણનું સત્ય
એક જ કાયામાં, એક જ આત્મામાં,
ઓહ સંપૂર્ણ હોવું…

ગ્લૉબલ કવિતા: ૫૪ : પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

પ્યાદું

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજ – તકલીફોના પહાડ પરથી આત્મહત્યાનો ભૂસકો..

મૃત્યુ જીવનના રસ્તાની આખરી અને નિશ્ચિત મંઝિલ છે એ જાણવા છતાં કોઈ મુસાફરી છોડી દેતું નથી. કયો શ્વાસ છેલ્લો છે જાણતાં ન હોવા છતાં કોઈ લીધેલો શ્વાસ પકડીને બેસી રહેતું નથી. જીવન પણ કદી સીધું કે સરળ હોતું નથી. શતરંજની બાજી જેવી જિંદગીમાં એક પગલું શ્વેત છે તો બીજું શ્યામ. ચારેતરફથી અનવરત હુમલાઓ થતા જ રહે છે. જીવનશતરંજ સામાની ચાલબાજી અને આપણી ચાલની બાજી છે. ચારેતરફ બની-બેઠેલાં સ્થાપિત હિતોની ભીડ વચ્ચે કૉમનમેન એક પ્યાદા સમો છે. કવાફીની કવિતા આ પ્યાદાની કવિતા છે.

વીસમી સદીના સૌથી પ્રસિદ્ધ ગ્રીક કવિનું નામ લેવું હોય તો કોન્સ્ટન્ટિન પીટર કવાફી પર તરત જ આંગળી મૂકી શકાય. જન્મતારીખ અને મૃત્યુતારીખ એક જ પણ વચ્ચે ૭૦ વર્ષનું અંતર. (૨૯-૦૪-૧૮૬૩ ~ ૨૯-૦૪-૧૯૩૩; એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) સાત વર્ષની વયે પિતાનું અવસાન. કુલ આઠ ભાઈ-બહેન. દારુણ ગરીબીનો અનુભવ થયો. અખબાર અને સ્ટોક એક્સચેન્જમાં પણ કામ કર્યું. સિંચાઈ ખાતામાં ૩૦ વર્ષની સરકારી નોકરી. ૯થી ૧૬ની તરુણ વય ઇંગ્લેન્ડમાં પસાર થઈ જ્યાં કવિતા અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. પહેલી કવિતા ગ્રીકના બદલે અંગ્રેજીમાં લખી. યુદ્ધના ખતરાની ઘંટડી સાંભળીને માતા સંતાનો સાથે કોન્સ્ટન્ટિનોપલ આવી ગઈ અને એલેક્ઝાન્ડ્રિયાનું ઘર કવાફીના કાગળિયાં અને પુસ્તકો સહિત બોંબમારામાં તબાહ થઈ ગયું. તરુણાવસ્થામાં જ કવિતા અને સમલૈંગિકતા તરફ વળ્યા. જીવનકાળ દરમિયાન કવાફી એકાંતપ્રિય રહ્યા અને પોતાની કવિતાઓ છપાવવામાં બહુ રસ લીધો નહીં. એમની રચનાઓ એમના મિત્રમંડળમાં જ ફરતી. કદાચ કવિતામાં સાફ ડોકાતી જાતીય અંગત જિંદગી આ નિરસતા પાછળનું કારણ હોઈ શકે. ડબ્લ્યુ. એચ. ઑડેન લખે છે: ‘કવાફી હોમોસેક્સ્યુઅલ હતા અને એની કામુક કવિતાઓએ કદી હકીકત છૂપાવવાની કોશિશ કરી નથી…. પ્રેમ એમના માટે શારીરિક આનંદથી વિશેષ કંઈ નહોતો… પણ સાથોસાથ, એ એવો દેખાવ કરવાનો ઇનકાર કરે છે કે વિષયસુખની ઘડીઓ નાખુશ હતી કે ગુનાહિત લાગણીઓથી ખરડાયેલી હતી.’ ઇતિહાસના ઊંડા અભ્યાસુ. પરિણામે ગ્રીક અને રોમન ઇતિહાસ પણ એમની કવિતાઓમાં અવારનવાર ડોકાય છે. કવાફીની કવિતાનો ત્રીજો અગત્યનો આયામ મૃત્યુ છે. સ્વરપેટીના કેન્સરથી એમનું નિધન થયું. મરતાં પૂર્વે એમણે એક કોરા કાગળ પર વર્તુળ દોર્યું અને એની મધ્યમાં ટપકું મૂક્યું.

એમની શૈલી પણ અનૂઠી અને બિલકુલ મૌલિક હતી. ભાષા સપાટ, વાત સીધી. લય અને સંગીત એમની કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે. એ સ્ફુરે એટલી કવિતા કાગળ પર લખીને પરબીડિયામાં મૂકી રાખતા. જ્યારે એમ લાગે કે કવિતા પૂરી કરી શકાય એમ છે ત્યારે પરબીડિયું ખોલીને આગળ વધતા. જીવનભર આજ પદ્ધતિ એમણે રાખી. એમની કવિતાઓ વર્ષોના પુનર્વિચાર અને પુનર્લેખનની નીપજ છે. ગ્રીક કવિ જ્યૉર્જ સેફેરિસે કહ્યું હતું: ‘એની કવિતાની બહાર કવાફીનું અસ્તિત્વ જ નથી.’ કવાફી પોતે પોતાને ‘કવિ-ઇતિહાસકાર’ અને ‘કવિ-નવલકથાકાર’ તરીકે ઓળખાવતા.

પ્રસ્તુત રચનામાં વાત શતરંજની રમતની છે. ૮-૮ની ૮ હરોળમાં કુલ ચોંસઠ કાળાં-સફેદ ચોકઠાંમાં બે હરીફો વચ્ચે ખેલાતું વૈચારિક મહાયુદ્ધ એટલે શતરંજ. બંને પક્ષે એક રાજા, એક રાણી(કે વજીર), બે ઊંટ, બે ઘોડા, બે હાથી અને આઠ પ્યાદાંઓનું બનેલ સૈન્ય સદીઓથી વિશ્વ આખાને હચમચાવતું રહ્યું છે. ચોપાટની રમત અને ગ્રાંડ માસ્ટર મામા શકુનિ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આજની ચેસનું સ્વરૂપ ઘડાયું હોવાનું મનાય છે. છઠ્ઠી સદીમાં એ ‘ચતુર-અંગ’ (ચાર અંગ-પાયદળ, ઘોડેસવાર, હાથીસવાર અને રથી) તરીકે ઓળખાઈ અને રેશમના વેપારના રસ્તે પૂર્વ અને પશ્ચિમમાં પ્રસરી. સૌપ્રથમ સુબંધુ (ઈ.સ. ૪૫૦)ની ‘વાસવદત્તા’ અને બાણભટ્ટ (ઈ.સ.૬૨૫)ના ‘હર્ષચરિત’માં તેમજ રુદ્રતના ‘કાવ્યાલંકાર’માં ચતુરંગનો ઉલ્લેખ જોવા મળે છે. આ ચતુરંગ-ચતરંગ પરથી જ અરબી ભાષાનો શતરંજ શબ્દ ઉતરી આવ્યો છે.

કવાફી આ અછાંદસ રચનાને ૧૬-૨-૩-૫ પંક્તિઓના અનિયમિત ભાગમાં વહેંચે છે. છંદની ગેરહાજરી અને સ્વરૂપની અનિયમિતતા શતરંજની રમતમાં સર્જાતા કેઓસ-અરાજકતાની સૂચક હોઈ શકે? પ્રથમ સોળ પંક્તિમાં કવિતાનો પિંડ આરામથી બંધાય છે પણ પછી મૃત્યુની ઝાપટ ગતિ સાથે આવે છે. સમજી શકાય છે કે નાયકને શતરંજમાં રસ છે, આટાપાટા જોવા ગમે છે એટલે જ એ ઘણીવાર શબ્દ પ્રયોજાયો છે. શતરંજ ખેલનારાઓને જોતી વખતે નાયકની આંખ એક પ્યાદા પર સ્થિર થઈ જાય છે જે એક-એક પગલું આગળ વધીને સમયસર છેલ્લી પંક્તિ સુધી પહોંચી જાય છે. અહીં પહોંચવા માટેનો એનો ઉત્સાહ અને ચપળતા એવા હોય છે કે સહેજે એમ જ લાગે કે આ આખરી પંક્તિ એની જિંદગીનું સાચું ગંતવ્ય હશે અને ત્યાં પહોંચતાવેંત જ જીતની ઉજવણી શરૂ થઈ જશે. એનો રસ્તો સરળ નહોતો. ચારેતરફથી એના માથે મુસીબતોના પહાડ તૂટતાં જ રહે છે પણ બધા જ ખતરાઓ વટાવીને એ આખરી પંક્તિ સુધી સમયસર પહોંચી જાય છે. આખી રચનામાં ‘આખરી પંક્તિ’ અને ‘સમયસર’ ત્રણવાર પ્રયોજાયા છે જે આ આખી કવાયતને બરાબર અંડરલાઇન કરી આપે છે.

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! ભઈ વાહ! પ્યાદાને ખબર જ છે કે ત્યાં પહોંચતાવેંત જ એ નાશ પામશે જેના માટે એ તકલીફો ઊઠાવી રહ્યું છે, મુસીબતો સામે ઝઝૂમી રહ્યું છે પણ શતરંજના નર્કાગારમાં ધકેલાવા પાછળનો એનો એકમાત્ર ઉદ્દેશ કમોતે મરી ગયેલી રાણીને એની કબરમાંથી પુનર્જીવિત કરીને પુનઃ રમતમાં આણવાનો છે. રમતનો મૂળ ઉદ્દેશ તો પોતાના રાજાને બચાવવાનો અને સામાના રાજાને ચેક-મેટ આપી મત કરવાનો છે પણ પ્યાદું જાણે છે કે રાજાને એકલા હાથે બચાવવાનું તો એનું ગજું નથી જ પણ યેનકેન પ્રકારે સામે છેવાડે પહોંચી જઈ શકાય તો રાણીને ફરી રમતમાં લાવી શકાય અને તો બંને મુરાદ બર આવવાની સંભાવના વધારે છે.

જીમ ક્લાસ હિરોઝ એમના આલ્બમ ‘ધ ક્વિન એન્ડ આઇ’માં ગાય છે: ‘રાણી બીજું કંઈ નથી, એક પ્યાદું છે વિલક્ષણ મુદ્રાધારી.’ વાત સાચી છે પણ શું પ્યાદાની કુરબાનીના ભોગે પુનર્જીવન પામનાર રાણી કદી પ્યાદાને પુનર્જીવન આપવાની કોશિશ કરશે ખરી? શતરંજનું રૂપક હંમેશા જિંદગીની સાથે સંકળાતું આવ્યું છે. ચૌસરની ‘કેન્ટરબરી ટેલ્સ’, શેક્સપિઅરના ‘ધ ટેમ્પેસ્ટ’, થોમસ ઇલિયટની ‘બુક ઓફ ગવર્નર’, એડગર એલન પો, જ્યૉર્જ એલિયટ, થોમસ હાર્ડી, અગાથા ક્રિસ્ટી- વિશ્વસાહિત્યના ખૂણેખૂણે શતરંજની રમત અને એના નાનાવિધ રૂપક તરીકેનાં પ્રયોજન જોવા મળશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

કવિતાનો આખરી બંધ જ આ આખા રમતવર્ણનને કવિતાનો દરજ્જો આપે છે. પોતે નાશ પામશે એની જાણ હોવા છતાં પ્યાદું એટલા માટે તકલીફોના પહાડ ચડીને આત્મહત્યા કરવા ધસમસી જાય છે કે એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જે દિવસે માનવજાતનો પહેલવહેલો નેતા જન્મ્યો હશે એ દિવસે જ પ્યાદાં-વ્યવસ્થાનો પણ જન્મ થયો હશે. એકવીસમી સદીનો સળગતો પ્રશ્ન આતંકવાદ છે અને આ સમસ્યા સતત સળગતી જ રહેવા પાછળનું પ્રમુખ કારણ નાના માણસોનું બ્રેઇનવૉશ કરીને કરવામાં આવતું પ્યાદાકરણ જ છે. પ્યાદાંઓ સતત ફના થવા માટે તત્પર જ રહે છે, કેમકે એ જ રીતે એમનું માઇન્ડસેટ કરવામાં આવ્યું છે. એક બહેતર કલ્પવિશ્વની મૃગજળી આશામાં આજના વિશ્વને દોઝખ બનાવી દેવાયું છે. આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓમાં માનવજાતના પ્યાદાકરણ અને સરમુખત્યારશાહીના જોખમોની આગાહી રુંવાડા ઊભા કરી દે છે. વર્જિનિયા એલિસન કહે છે, ‘જો મારે રમતમાં પ્યાદું જ બનવું હોત, તો મેં ચેસની પસંદગી કરી હોત…’

વિલ્હેમ સ્ટૈનિટ્ઝ નામના ચેસ-માસ્ટરે કહ્યું હતું: ‘બલિદાનનો શ્રેષ્ઠ રદિયો એનો સ્વીકાર છે.’ બીજી તરફ
ફ્રાન્કોઇસ ફિલિડોર નામનો ૧૮મી સદીનો ખેલાડી ‘પ્યાદાં શતરંજનો આત્મા છે’ એમ કહે છે. હકીકત એ છે કે પ્યાદાં એ આપણી પદપ્રણાલિ (hierarchy)નું સૌથી અનિવાર્ય હોવા છતાં નિમ્ન કોટિનું અંગ બની ગયું છે. માનવતાને સંબોધીને ઈ.ઈ.કમિંગ્સ કહે છે, ‘હું તને ચાહું છું કેમકે જ્યારે તું મુસીબતમાં આવી પડે છે ત્યારે તું તારી બુદ્ધિમતાને પ્યાદું બનાવીને ડ્રીંક ખરીદી લે છે.’ પ્યાદાને પગથિયું બનાવીને ઉપર ચડવાની પ્રથા આપણા લોહીમાં એ રીતે ઓગળી ગઈ છે કે ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ ત્યાં અલગ-અલગ સ્વરુપમાં પ્યાદાંઓ સામેની આખરી કતાર સુધી સમયસર પહોંચી જવાની હોડમાં જાનની બાજી લગાવી દોડતાં નજરે ચડે છે. પ્યાદાંની કુરબાનીઓના ભોગે નવજીવન પામેલી કોઈ રાણીએ પ્યાદાંઓને ઊગારી લીધા હોવાના દાખલાઓની બાબતમાં ઇતિહાસ લગભગ વાંઝિયો છે. ટૂંકમાં આ કવિતા સર્વકાલીન સર્વસ્થાનીય માનવજીવનની સર્વશ્રેષ્ઠ વિભાવના છે. શતરંજની રમતની બાબતમાં સૌથી ઉત્તમ બાબત કોઈ હોય તો એ એ છે કે શતરંજ તમને શીખવે છે કે તમે કોઈપણ પગલું ભરવા માટે સ્વતંત્ર છો પણ દરેક પગલું એની સાથે એનાં પરિણામ લઈને જ આવે છે.

એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*

હળવાશ – પન્ના નાયક

તને પ્રેમ કર્યો હતો

ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.

હવે
હું
સ્મૃતિરહિત.

– પન્ના નાયક

મૂળ ખુલ્લાં દેખાય તેવું .. – મનીષા જોષી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઇને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઇ અવાજ નહી, કાં ઇ નહી
હમણાં અહી હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કઇ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કઈં દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મો ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

(‘વહી’ ,જાન્યુઆરી – ૨૦૦૦ , પૃ.૧૩)