Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા : ૨૨૫ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.

Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર તમે પ્રિયજનનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચતા વીતી રહેલી ક્ષણોને અઢેલીને બેઠા છો… સમય અહીં જ થીજી જાય એવી બૂમ હૃદયના અંતરતમ ખૂણેથી ઊઠતી હોય, પણ ક્ષિતિજ પર સૂરજ એમ આથમી રહ્યો છે, જાણે પીગળતું આઇસક્રીમ ન હોય! ખરું ને? આઇસક્રીમ પણ ગમે એટલું વહાલું કેમ ન હોય, લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડશે. ખરી મજા એને માણવામાં જ છે, સાચવવામાં નહીં. જિંદગીનુંય આવું જ છે. વૉલેસ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા. ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં ન જીતી પણ પ્રગટ થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરીને નીચલા વર્ગની ગણી આશીર્વાદ આપવા આવ્યા નહીં. વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. કહેવાય છે કે વૉકિંગ લિબર્ટી હાફ ડોલર અને મર્ક્યુરી ડાઇમની મોડેલ એલ્સી હતી. વૉલેસ કરતાં ઉમરમાં દાયકાભર નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન તો છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન અલગ-અલગ શયનકક્ષમાં એક મકાનમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે કાયમ થ્રી-પીસ સુટમાં સજ્જ રહેતી અંતર્મુખી સ્વભાવની સવા છ ફૂટની આ પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક, પણ મૃત્યુના વર્ષેક પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ મળી નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાઓથી પ્રચુર છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકતી કલ્પનાશક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની અભૂતપૂર્વ પ્રતિભા એમને ઉફરા તારવે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહેતા. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાઈ હોવા છતાં કવિએ મીટરમાં નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વધુ રસિક બની છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવાયા નથી. આ કવિતાને વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા અને ઉત્તમોત્તમ કૃતિ –એમ બેવડા પુરસ્કાર મળ્યા છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘ઍલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી હતી. પ્રસ્તુત રચનાને આ વર્ગમાં મૂકી શકાય. આ વર્ગની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી અવળી ચાલે છે. ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવા સિવાય તિર્યકતા અને માર્મિકતા એનાં પ્રધાન લક્ષણ છે. પ્રસ્તુત રચનામાં પણ ઘણું સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારનું છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજારો શહેનશાહોના નામ આપણે સાંભળ્યા હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ હોવાની વાત બેવડાવે પણ છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપીએ.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને બરફ ખાવાનો ઈલાજ સૂચવતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબોને ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ એમની શોધ હતી. રોમન રાજાઓ ગુલામો મારફત પહાડો પરથી તાજો બરફ મંગાવી અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવ્યો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો. ભારતમાં આઇસક્રીમના પગરણ મોઘલ સામ્રાજ્યથી મંડાયા. ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે, અને કવિએ એને એકમાત્ર શહેનશાહ કેમ કહ્યું હશે!

કવિતા બે બંધની જેમ ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. પહેલો બંધ આપણને રસોડામાં તો બીજો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધે છે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) વગેરે અસામાન્ય શબ્દપ્રયોગો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ out of the box શબ્દ વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. વૉલેસે પોતે કહ્યું હતું કે, ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને અસામાન્ય પોશાક ધારણ કર્યો હોવા છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજાયા હોવાનું સમજાય છે. ખાદ્યપદાર્થને ‘કામાતુર’ કહીને કરાયેલ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

વૉલેસ કી-વેસ્ટ તથા હવાના ટાપુઓ પર અવારનવાર રહ્યા હોવાથી કવિતામાં ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય થાય છે. ઘરમાં લાશ હોય એ સમયે થતા સામાજિક મેળાવડો એટલે ‘વૅક’ (wake). ક્યારેક આ પ્રસંગોએ જાગરણ થતું હોવાથીય આ નામ પડ્યું હોઈ શકે. આવા પ્રસંગોએ આઇસક્રીમ ઘરોમાં બનાવાતું. દરેક ઘરમાં મૃત્યુપ્રસંગે જોવામાં આવે છે એમ જ અહીં પણ કોઈક ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લઈને હુકમબરદારી કરાવે છે. સૌપ્રથમ એ કાગળ વાળીને સિગાર બનાવવામાં નિષ્ણાત કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન કરે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં સિગારની ઘણી ફેક્ટરીઓ હતી. નજીકની ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે ‘કામાતુર દહીંઓ’ને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને એમના રોજિંદા પોશાકમાં જ હાજર રહેવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ પન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળાં કપડાં પહેરવાની પ્રથા છે. સંભાષક મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદો પહેરવેશ રાખવા જણાવે છે. ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો વેશ્યા થાય છે. કવિને કદાચ બંને અર્થ અભિપ્રેત છે. વેશ્યા અથવા એ કક્ષાની છોકરડીઓ એમ અર્થ કરીએ તો રોજિંદા પોશાકની પરિભાષા બદલાઈ જાય, પણ કવિ એ જ ઇચ્છતા હોવાનું સંભવ છે. છોકરાઓને શોકસભામાં બુકે લાવવાના સ્થાને વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા છે. અખબાર, ગયો મહિનો, ફૂલ –તમામ અલ્પાયુ. બધા રૂપક આઇસક્રીમની જેમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. સામસામે આવી ઊભેલા વાસ્તવ અને કલ્પનામાં કવિ કદાચ વાસ્તવને ઊંચુ સ્થાન આપે છે. સરળ ભાષામાં કહીએ તો ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો એમ કવિ કહે છે. ‘લાગવું’ એ આભાસી જીવનનું પ્રતીક છે તો ‘હોવું’ એ મૃત્યુની નક્કર હકીકત. કેમકે આખરે તો ક્ષણોમાં પીગળી જનાર આઇસક્રીમ યાને મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ સેક્સ, ફૂલો અને અખબારની જેમ અલ્પજીવી આનંદ છે. આઇસક્રીમ વળી ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ક્રૂર ટાઢક પણ અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ શો હોય? ઠંડો જ ને! રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે ને! આમ, બધી રીતે આઇસક્રીમ રૂપક યથાર્થ છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાના દૃશ્ય બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. એકાધિક વાંચન વિના કવિતા સમજવી કદાચ શક્ય જ નથી. બીજો અંતરો પહેલાને ખોલવાની ચાવી છે. સંભાષકની હુકમદારી ચાલુ જ છે. એ મૃતકને ઓઢાડવા કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો આપણને પહેલવહેલો અંદેશો મળે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરે છે. મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું એ ચાદર કાઢવાની છે. ભરતકામનો શોખ મરનારની વય વધુ હોવાનોય ઈશારો કરે છે. આમ, ઉમર વિશે પણ કવિતામાં પહેલીવાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. ચહેરો ઢાંકતી ચાદરના રૂપકમાં રસોડાના હલ્લાગુલ્લા પર કરવાનો ઢાંકપિછોડો પણ વર્તાય છે. ચાદર પણ મૃતકની આર્થિક સ્થિતિ જેવી જ છે. મોઢું ઢાંકો તો પગ ઊઘાડા રહી જાય એવી ટૂંકી. પગ માટે ‘હૉર્ની’ વિશેષણ વપરાયું છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો છે. આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડીનેય હૉર્ની કહેવાય. વિશેષમાં, કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો અર્થ કામાતુર થાય એ યાદ કરવું પણ અનિવાર્ય બને. આંટણવાળા કઠણ પગ ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ. કઠણ પગ મૃતકના રસોડાની ગતિવિધિ તરફના ઠંડો અને મૂંગો પ્રતિભાવનાય સૂચક. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં ભાતીગળ જીવનની અપૂર્ણતા સૂચવે છે. ટૂંકમાં, ભાવક માટે અનેક અર્થઘટનની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

કવિતા આપણને આજમાં જીવી લેવા (Carpe Diem) કહે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની દ્વિધામાં અટવાયેલ હેમ્લેટની યાદ પણ આવે, અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટનું ઉચ્ચારણ: ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ પણ યાદ આવે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાશે એ હકીકત અફર છે. આસપાસનું જીવન મૃત્યુ પછી પણ અટકવાનું નથી. તો મોતના શોકનો દંભ શીદ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી કેમ ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવન અને એકલવાયા મૃત્યુના ચિંતન જગાવે છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. શરૂમાં ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે આપણને લોભાવતું આઇસક્રીમ ભાગ્ય આપણને અંતે જ્યાં લઈ જનાર છે એ મૃત્યુના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’ અસ્તુ!

ગ્લૉબલ કવિતા: ૨૨૪ : મને જો ચાહે તો – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

Sonnet XIV

If thou must love me, let it be for nought
Except for love’s sake only. Do not say,
“I love her for her smile—her look—her way
Of speaking gently,—for a trick of thought
That falls in well with mine, and certes brought
A sense of pleasant ease on such a day”—
For these things in themselves, Belovèd, may
Be changed, or change for thee—and love, so wrought,
May be unwrought so. Neither love me for
Thine own dear pity’s wiping my cheeks dry:
A creature might forget to weep, who bore
Thy comfort long, and lose thy love thereby!
But love me for love’s sake, that evermore
Thou mayst love on, through love’s eternity.

– Elizabeth Barrett Browning

મને જો ચાહે તો

(શિખરિણી)
મને જો ચાહે તો પ્રીત જ પ્રીતનું કારણ હજો,
ન હો બીજો હેતુ લગરિક અને ના કહીશ આ:
“હું ચાહું છું એના સ્મિત, સિકલ, ભાવો સકળ, હા,
વળી એની બોલી મૃદુલ ગમતી ને ઉભયનો
મળે કેવો, જુઓ! મત ઉભયથી, સૂર્ય સુખનો!”-
પ્રિયે! આ ચીજોમાં ખુદ થઈ શકે ફેરબદલી,
નહીં તો એ તારે મન અલગ લાગેય પછીથી;
થતી જે આ રીતે, પ્રીત જઈ શકે એ જ ઢબથી.
દયા ખાઈને તો પ્રણય કદીયે ના કરીશ તું,
નિહાળી આંસુઓ હૃદય દ્રવવું સંભવિત છે,
અને ઉષ્મા પામ્યે રુદન ભૂલવું શક્ય જીવને.
થશે એવું તો શું પ્રીત જ નહિ ખોઈ દઈશ હું?

(અનુષ્ટુપ)
કારણ પ્રીતિનું પ્રીતિ*: એ સિવાય કશું નહીં.
પ્રેમ એમ પ્રિયે! હો તો પ્રીતિએ શાશ્વતી ગ્રહી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)
(*- પુણ્યસ્મરણ: કલાપી)

પ્રેમ ખાતર પ્રેમ

(હરિગીત)
તારે મને ચાહવી જ હો તો અન્ય કો’ કારણ નહીં,
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, એવું ના કહેતો કદી-
કે, “હું મરુ છું એના સ્મિત પર, રૂપ પર કુરબાન છું,
વાણી મૃદુ મન મોહતી, ને આપણા વિચારનું
અદભુત છે સામંજસ્ય, એ કારણ જો, આપણ ભાગ્યમાં
સુખનો સૂરજ ઊગશે નકી, કારણ આ મારી ચાહના.”-
– કારણ, પ્રિયે! આ સઘળું આપોઆપ બદલાઈ શકે,
ને કાલે બદલાયેલ એ લાગે તને, એ પણ બને.
જે પ્રેમ આ રીતે હો સંભવ, આ રીતે જઈ પણ શકે,
ચાહીશ નહિ ખાઈ દયા, આંસુઓ મારા જોઈને,
સહવાસની ઉષ્મા મળે તો અશ્રુ સૂકાઈ શકે,
સંભવ છે ખોઈ પણ શકું હું એમ તારા પ્રેમને.
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, અન્ય કારણથી નહીં
જેથી કરીને પ્રેમને થઈ શકશે હાંસિલ શાશ્વતી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી…

ઉષ્માસભર કાળજી એ સજીવમાત્રની આવશ્યકતા છે. કહે છે કે ફૂલ-છોડ-વનસ્પતિ પર પણ સ્પર્શ અને માવજતની અસર થાય છે અને આપણા વર્તનનો તેઓ સારો-નરસો બંને પ્રકારનો પડઘો પાડે છે. હા, આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ચુકી છે. મૂંગા પ્રાણી સાથે થોડા દિવસો વિતાવવામાં આવે તો આપણને એમની અને એમને પણ આપણી આદત પડી જાય છે. લાગણીના તંતુથી બંધાઈ જતાં વાર લાગતી નથી. છોડ-વૃક્ષ કે પશુ-પંખીની વાત બાજુએ મૂકો, નિર્જીવ વસ્તુ સાથે પણ આપણા દિલના તાર એવા જોડાઈ જતા હોય છે કે એ વસ્તુ ગુમાવીએ કે તૂટી જાય તો જીવ કાચી કળીએ કપાઈ જાય. પણ આ તમામ જોડકાંઓથી વધીને અને સર્વોપરી તો બે મનુષ્ય વચ્ચેનું જોડાણ જ. માનવી-માનવી વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત અને ઘનિષ્ઠ. કેમકે મનુષ્ય પાસે અભિવ્યક્તિ માટે હાવભાવથી વધીને ભાષાની સવલત પણ છે. આ ઉષ્માસભર કાળજી, માવજત, લાગણી કે સંબંધને આપણે પ્રેમનું નામ આપ્યું છે. પ્રેમ શબ્દ વળી સાવ છેતરામણો. જેમ ઈશ્વરનું અસ્તિત્વ શરૂથી જ શંકાસ્પદ, એમ જ પ્રેમનું પણ. બે મનુષ્ય વચ્ચેના ખેંચાણને આપણે પ્રેમનું નામ તો આપી દઈએ છીએ પણ સાચો પ્રેમ તો ભાગ્યે જ કોઈના નસીબમાં જોવા મળે છે. પ્રેમના નામે એકમેકની નજીક આવી ઉભય વચ્ચે સાયુજ્ય સ્થપાય, પરંતુ એને પ્રેમ કહી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે સાચા પ્રેમની આપણી વ્યાખ્યામાં હક, અપેક્ષા, માલિકીભાવ, સ્વાર્થ, શંકા, અહંકાર વગેરેનો સમાવેશ થતો જ નથી અને દુનિયામાં એવો તો એકેય સંબંધ જોવા જ નથી મળતો, જેમાં આમાંથી એક, એકાધિક કે તમામ પરિબળ સામેલ ન હોય! આજે જે કવિતા આપણે જોવાના છીએ તે કવિતામાં એલિઝાબેથ પણ આ મુદ્દાઓ અને સર્જાતી પળોજણથી પરિચિત હોવાના કારણે સાચા પ્રેમ તરફ જવાનો માર્ગ સૂચવે છે.

એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ. (જન્મ ૦૬-૦૩-૧૮૦૬, ઇંગ્લેન્ડમાં – મૃત્યુ ૨૯-૦૬-૧૮૬૧, ફ્લૉરેન્સ, ઈટલી ખાતે). ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડના વિક્ટોરિઅન યુગના રૉમેન્ટિસિઝમ ધારાના કવિઓમાં નોંધપાત્ર. રૉબર્ટ બ્રાઉનિંગના પત્ની પણ એમની ખ્યાતિ એમના પતિથી ખૂબ વધારે હતી. એમિલી ડિકિન્સન એમનાથી એટલા પ્રભાવિત હતાં કે પોતાના શયનકક્ષમાં એલિઝાબેથનો ફોટો ટાંગ્યો હતો. એક સ્ત્રી, એક વ્યક્તિ અને એક કવિ તરીકે તેઓ એમના જમાનાથી ખુબ આગળ હતાં. એમના માનવતાવાદી વિચારો અને ગુલામી-શોષણ સામેનો મક્કમ વિરોધ એમને એ જમાનાના સર્જકોથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન બક્ષે છે. દસ વર્ષની વયે તો શેક્સપિઅર સહિતનું અઢળક સાહિત્ય વાંચી કાઢ્યું. અગિયાર વર્ષની વયે તો ચાર ભાગમાં વહેચાયેલું મહાકાવ્ય પણ લખી નાખ્યું. ગ્રીક અને લેટિન સાહિત્યનો ઊંડો અભ્યાસ. બાળપણથી બીમારીગ્રસ્ત અને દર્દથી બચવા આજીવન અફીણનો સહારો લીધો. નાની વયે જ દુનિયા પણ ત્યાગી ગયાં. અરૉરા લૅ (Aurora Leigh) નામની નવ ભાગમાં વિસ્તરેલી પદ્ય નવલકથા એમની યશકલગીનું મોરપિચ્છ છે.

પ્રસ્તુત રચના કવયિત્રીએ ૧૮૪૫-૪૬ની સાલમાં લખેલા ચુમ્માળીસ પ્રેમ-વિષયક સૉનેટોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. સૉનેટ શૃંખલાની શરૂઆતમાં પ્રણયસંબંધની બાબતે એલિઝાબેથની અવઢવ, શંકા અને ડર બધું જ છંતું થાય છે. સૉનેટ આગળ વધતા જાય છે તેમ તેમ ચિંતા ઓગળતાં અને સંબંધ પર વિશ્વાસ દ્રઢ બનતો જતાં વધુને વધુ અંગત લાગણીઓનાં આલેખન થયેલ જોવા મળે છે. વિકસી રહેલ પ્રણય-સંબંધની આરસી જેવા આ સૉનેટ અંગતતમ હોવાથી એલિઝાબેથ એને પ્રગટ કરવાનાં મતનાં નહોતાં પણ ભવિષ્યના પતિ રોબર્ટે આ કામને શેક્સપિઅર પછીનાં પ્રથમ અને ઉત્તમ શૃંખલા-કાવ્યો હોવાનું કહી ૧૮૫૦માં પ્રગટ કરાવડાવ્યાં. અંગતતા જળવાઈ રહે એ હેતુથી સૉનેટો અનુવાદિત હોવાની છાપ ઊભી કરવા એમણે પુસ્તકનું નામ ‘સૉનેટ્સ ફ્રોમ પોર્ટુગિઝ’ રાખ્યું. રૉબર્ટ એલિઝાબેથને ‘માય લિટલ પોર્ટુગિઝ ‘ કહીને બોલાવતા હતા એ પણ કદાચ આ નામ રાખવાનું કારણ હોઈ શકે. પ્રસ્તુત સૉનેટ શૃંખલામાં ચૌદમું છે. અંગ્રેજીમાં પ્રમાણમાં કઠીન ગણાતી પેટ્રાર્કન શૈલીમાં લખાયેલ આ રચનામાં અષ્ટકમાં abba abba પ્રમાણે અને ષટકમાં cdcdcd મુજબ ચુસ્ત પ્રાસ છે, ફક્ત આખરી શબ્દ ઇટર્નિટીમાં જ eye-rhyme છે. અનુવાદમાં આઠમી પંક્તિના અપવાદ સિવાય abba cddc effe gg પ્રમાણે સ્વરાંત પ્રાસ જળવાયો છે. કાવ્યરીતિ ઉદ્ગારવાચક સંબોધન (અપૉસ્ટ્રફી) પ્રકારની છે, જેમાં કથક એકતરફી સંવાદશૈલીમાં પ્રિયજન સાથે વાતો કરે છે. પ્રિયજન શું જવાબ આપે છે, એ કાવ્યવિષય નથી.

આ સૉનેટ સાથે પરિચય કવિ કાન્તના ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સૉનેટથી થયો. લગભગ સો-સવાસો વર્ષ પૂર્વેના અનુવાદની ભાષા સાથે આજની પેઢી અનુસંધાન સાધી શકે કે કેમ એ પ્રશ્ન થયો, અને આજની ભાષામાં એનો અનુવાદ કરી શકાય કે કેમ એ શંકા સાથે કાન્તે વાપરેલા શિખરિણી છંદ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. કાન્ત જેવા મહાકવિની શબ્દાવલી કે ભાષાથી સાવ ઉફરા ચાલીને નવસર્જન કરવાનું કામ અઘરું તો હતું પણ કરી શકાયું. વળી, એક પ્રયોગ તરીકે આ જ સૉનેટનો હરિગીત જેવા માત્રામેળ છંદમાં પણ અનુવાદ કરી જોયો, કારણ કે મૂળ અંગ્રેજી છંદ આયમ્બિક પેન્ટામીટર માત્રામેળને જ મળતો આવે છે. અને આજની ભાષામાં સૉનેટ લખવું હોય તો માત્રામેળથી વધુ યોગ્ય કદાચ બીજો કોઈ છંદ જ નથી. એટલે બેમાંથી એક રદ કરવાને બદલે, એક પ્રયોગ તરીકે બંને અનુવાદ યથાવત્ રાખ્યા છે. બેમાંથી કયો સારો એ અને કાન્તના પેંગડામાં પગ ઘાલવાનું દુઃસાહસ સફળ થયું છે કે કેમ એ તો ભાવક જ નક્કી કરશે.

કવયિત્રી પ્રેમ બાબતે બહુ સ્પષ્ટ છે. કહે છે, મને પ્રેમ કરવો હોય તો પ્રેમ કરવા માટેનું કારણ કેવળ પ્રેમ જ હોય અને એ સિવાય બીજું કોઈ જ ન હોય એનું ધ્યાન રાખજે. પ્રણયકાવ્યોમાં કવિઓએ પ્રેયસીના વખાણ કરવામાં દુનિયાનો એક કાંકરોય તળેઉપર કરવાનું બાકી રાખ્યું નથી. દુનિયાભરના કવિઓએ પ્રેમિકાના સૌંદર્યના ગુણગાન ગાઈ-ગાઈને પ્રેમને છે એના કરતાં અનેકગણો ‘ગ્લૉરિફાય’ કર્યો છે. બેન જોન્સન ‘સૉંગ ટુ સિલિયા’ની શરૂઆતમાં કહે છે: ‘પ્યાલામાં એક ચુંબન છોડી દે, તો હું શરાબની શોધ નહીં કરું.’ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું? વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે.’ પણ આ જ કવિ ૧૩૦મા સૉનેટમાં લખે છે: ‘મારી વહાલીની આંખો જરાય સૂર્ય જેવી નથી, એના હોઠ કરતાં પરવાળાં વધુ લાલ છે, બરફની શુભ્રતા સામે એના સ્તન ઝાંખા છે, માથાના વાળ કાળા વાયર જેવા છે, એના ગાલને કોઈ રીતે ગુલાબ કહી શકાય એમ નથી, એના શ્વાસ કરતાં તો ઘણાં અત્તર વધુ આનંદદાયી છે, એની સાથે વાતો કરવી મને ગમે છે, પણ સંગીતનો સ્વર એના અવાજ કરતાં વધુ ખુશદાયી છે; મારી પ્રિયા કોઈ દેવીની જેમ અધ્ધર નહીં, પણ જમીન પર જ ચાલે છે. અને તોય, ઈશ્વરના સમ, કોઈ પણ ખોટી સરખામણીઓથી પર એવો મારો એના માટેનો પ્રેમ વધુ મૂલ્યવાન અને દુર્લભ છે.’ શેક્સપિઅર જ્યાં એમ કહીને અટકી ગયા કે મારી પ્રિયા સુવાંગ સંપૂર્ણ ન હોવા છતાં હું એને ચાહું છું, ત્યાંથી એલિઝાબેથ એક કદમ આગળ વધે છે. એ પોતાના પ્રિય પાત્રને પોતાના રૂપ-ગુણ-ચાલચગત જોઈને પોતાના પર મોહિત થવાના બદલે કેવળ પ્રેમ ખાતર પ્રેમ કરવા આહ્વાન આપે છે.

એ કહે છે, કે મહેરબાની કરીને તું એવું તો કહીશ જ નહીં કે હું એના સ્મિતને ચાહું છું, અથવા એનો દેખાવ, હાવભાવ, મંદ મધુરું બોલવાની ઢબ મને ગમે છે. અમારા બેઉના વિચારો એકમેકને મળતા આવે છે અને એના કારણે નિશ્ચે જ જીવનમાં સુખનો દહાડો ઊગે છે. નાકનકશો કે આચાર-વિચારના આધારે પસંદગી કરવાના મતની એ નથી. વળી એની પાસે આનું કારણ પણ છે. નાયિકા માને છે કે આ તમામ વસ્તુઓ સમય સાથે બદલાઈ શકે છે. આગળ જેની વાત કરી, એ જ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી; અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા.’ આ ઉપરાંત માણસનો ખુદનો આ વસ્તુઓ માટેનો અભિગમ પણ સમય જતાં બદલાઈ શકે છે. આજે જે ચહેરો ગમતો હોય, એ આવતીકાલે કદાચ ગમતો બંધ પણ થઈ જાય. આજે જે વાણી-વર્તન આકર્ષતાં હોય, એ કાલ ઊઠીને અકારા લાગવા માંડે એય સંભવ છે ને! ૧૧૬મા સૉનેટમાં શેક્સપિઅર જો કે પ્રેમના પક્ષમાં આવી દલીલ કરે છે: ‘એ પ્રેમ પ્રેમ નથી જે પ્રિયજનને બદલાયેલ જોઈને બદલાઈ જાય, અથવા પ્રિયજનના ચાલ્યા જવાથી ચાલ્યો જાય…. પ્રેમ સમયના કાબૂમાં નથી, પછી ભલે ને હોઠ અને ગાલ સમયના દાંતરડાના પરિઘમાં કેમ ન આવતા હોય!’

કાવ્યનાયિકા સમજે છે કે રૂપ-ગુણના આધારે કરવામાં આવેલો પ્રેમ એ જ રસ્તે પલાયન પણ થઈ જઈ શકે છે. સમય સાથે કે અકસ્માતે રૂપ વિલાઈ જાય તો પ્રેમ પણ વિલાઈ જઈ શકે છે. સ્ત્રીઓ માફ કરે, પણ એક સરસ ટૂચકો ટાંકવાનો લોભ જતો કરી શકાતો નથી: ‘લગ્નના પ્રથમ ત્રણ વર્ષ સ્ત્રી ચંદ્રમુખી લાગે છે, પછી સૂર્યમુખી. પછીના ત્રણ વર્ષ જ્વાળામુખી અને એ પછી કાળમુખી.’ વ્યક્તિ ભલે એની એ જ હોય પણ કાળનું ટાંકણું વ્યક્તિને અને વ્યક્તિને જોનારી નજરને-બંનેને સતત કોરતું રહે છે. પરિણામે સમયની કેડી પર કોઈ બે વ્યક્તિ આગળ જતાં એના એ રહી શકતા નથી. આ જ કારણોસર નાયિકા પરિવર્તનશીલ કારણોની નિસરણી ચડીને નાયકને પ્રેમની અટારીએ આવવા દેવા માંગતી નથી.

આ તો થઈ બાહ્ય મૂલ્યોની વાત. હવે માનવોર્મિની વાત. નાયક દયા ખાઈને પોતાને ચાહે એ તો નાયિકા સહેજે ઇચ્છતી નથી. સ્ત્રીનું રૂદન જોઈને પુરુષને સ્વાભાવિક હમદર્દી થાય જ. આંસુ લૂંછવા, ભીનાં ગાલ સૂકવવા પુરુષનો હાથ અને રૂમાલ આગળ વધે જ, પણ આ હમદર્દીને પુરુષ પ્રણય ગણીને સ્ત્રી સાથે આજીવન બંધાવા તૈયાર થાય એ માટે નાયિકા તૈયાર નથી. પાત્ર ગમતું હોય પણ જીવનભર સાથે રહેવાના નિર્ણય બાબતે અવઢવ હોય, લાઇકિંગને લવકરાર આપવા બાબતે દૃઢનિશ્ચયી થઈ શકાતું ન હોય, પણ સામું પાત્ર આપણા પ્રેમમાં હોય અને વળતો પ્રેમ મળતો ન હોવાના કારણે તકલીફ ભોગવતું જણાય કે રડતું રહેતું હોય ત્યારે દયાભાવને પ્રેમભાવ ગણી લેવાની ઉતાવળ થઈ શકે છે. પણ નાયિકાની વિચારધારા સ્ફટિકસ્પષ્ટ છે. એ કહે છે કે આંસુઓ નિહાળીને તારું હૃદય મારા માટે દ્રવી ઊઠે એ બનવાકાળ છે, પણ આ રીતે તરસ ખાઈને તો તું મને પ્રેમ ન જ કરતો. કારણ કે પ્રેમના અભાવમાં આંખોથી વહેતાં આંસુઓ પ્રેમ મળ્યા પછી શું અટકી નહીં જાય? રડવા માટેનું કારણ જ ન રહે તો રડવાની શી જરૂર? અને આંસુઓને જોઈ જાગેલી અનુકંપાથી ઉદભવેલો પ્રેમ આંસુઓની અનુપસ્થિતિમાં લુપ્ત થઈ જાય તો? આમ, નાયિકા પ્રેમ કરવા માટે પ્રચલિત તમામ કારણોને એક પછી એક જાકારો આપે છે. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે નાયક જો એને પ્રેમ કરવા ઇચ્છુક હોય તો કેવળ અને કેવળ પ્રેમ કરવા માટે જ પ્રેમ કરે. પ્રીતનું કારણ કેવળ પ્રીત જ હોવું જોઈએ, એ સિવાય કશું નહીં. અણીશુદ્ધ ન હોય તો પ્રેમ લાંબુ ટકી શકવા સમર્થ જ નથી. કદાચ એને પ્રેમ કહી શકાય કે કેમ, એય એક સવાલ છે. કારણોની કાંખઘોડી લઈને ચાલવું પડે એ પ્રેમ અપંગ જ હોય! એને ભલે આપણે નામ પ્રેમનું કેમ ન આપીએ, એ હકીકતે તો પ્રેમ ઓછો અને જરૂરિયાત, મમત્વ, અહંતુષ્ટિ, દયાભાવ કે સમાજિક પ્રતિષ્ઠાનિર્વાહની આવશ્યકતામાંથી જન્મેલું બંધન જ વધારે હશે. નિર્ભેળ અને નિર્હેતુક હશે, તો અને તો જ પ્રેમ શાશ્વત બની શકે.

અંતે આ જ કાવ્યના કવિ કાન્તના અનુવાદ ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સાથે વિરમીએ:

સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ
“સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે, થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ સખે ! સ્નેહ કરતો:
રહે કાંકે તારી નિકટ ચિર આશ્વાસન લહે,
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને:
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!

ગ્લૉબલ કવિતા : ૨૨૩ : ખાલીપો – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા


રખડતી એકલતા અને ખખડતા ખાલીપાનું ગીત…

મહાભારતના વનપર્વમાં યક્ષપ્રશ્નો સાથે આપણી મુલાકાત થાય છે. વારાફરતી તળાવમાંથી પાણી લેવા ગયેલા તમામ ભાઈઓને પુનર્જીવિત કરાવવા માટે યુધિષ્ઠિર તળાવમાં વસતા યક્ષના સવાલોના જવાબ આપે છે, જે ‘ધર્મ-બકા ઉપાખ્યાન’ તરીકે ઓળખાય છે. એ સમયે યક્ષનો પ્રશ્ન કે, ‘પૃથ્વી પર સહુથી ભારી કોણ?’નો જવાબ ધર્મરાજે ‘માતા’ આપ્યો હતો, પણ આજે આ સવાલનો જવાબ આપવાનો થાય તો કદાચ યુધિષ્ઠિર જવાબ આપે કે પૃથ્વી પર સૌથી ભારી ચીજ ‘ખાલીપો’ છે. આમ તો ‘ખાલીપો’ શબ્દમાંથી તદ્ધિત પ્રત્યય ‘પો’ કાઢી નાંખો તો ખાલી ‘ખાલી’ જ બચે છે. તાત્ત્વિક રીતે તો ખાલીપાનું કોઈ વજન હોય જ નહીં પણ વૈચારિક રીતે જોવા જઈએ તો ખાલીપાથી વધુ વજનદાર બીજું કશું ન હોઈ શકે. બધાનો બોજ વેંઢારી શકાય, ખાલીપાનો બોજ વેંઢારવો બહુ અઘરું છે. શૂન્યાવકાશનો આ સંદર્ભે સાવ નવો અર્થ પણ કાઢી શકાય: જ્યાં અવકાશ શૂન્ય હોય, અર્થાત્ જ્યાં અવકાશનો અવકાશ પણ શૂન્ય હોય, જે પૂર્ણપણે ભરેલ હોય એવું. ખાલીપો આવો જ શૂન્યાવકાશ છે, જે દેખીતી રીતે તો ખાલી છે પણ આ ખાલીપણું એ હદે ભરેલું છે કે એને વેઠવું અત્યંત દોહ્યલું બની રહે છે. આવા ભર્યાભાદર્યા ખાલીપાનું એક મસ્ત મજાનું ગીત આજે જોઈએ…

દુનિયામાં બહુ ઓછા માણસ હોય છે જે જેને મળે એ તમામના મિત્ર બની જાય. કોઈ ધારે તોય શત્રુ બની ન શકે એવા મીઠડા તો વીરલા જ હોય ને! રિષભ મહેતા આવું જ એક નામ હતું. આજે આ નામ સાથે ‘હતું‘ લખવું પડે છે. નવસારીના વેડછા ગામમાં આઝાદીના બે વરસ બાદ જન્મેલ રિષભ મહેતાને ૨૦૨૧ની સાલમાં કોરોનાનું બીજું મોજું આપણી વચ્ચેથી તાણી ગયું. અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં સદૈવ અજાતશત્રુ અને સર્વમિત્ર રહ્યા. ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે.

કળા કોઈ પણ હોય, કોઈ પણ સમાજ કે સમયગાળામાં એને કાળો-ગાઢો-ભૂખરો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. માણસ દુઃખ અને વેદનાથી બચવાની મથામણમાં જ આખી જિંદગી ગુજારતો હોવા છતાં કળામાં મોટાભાગે એનું જ આલેખન થતું જોવા મળે છે. એરિસ્ટોટલનો Catharsis નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે. કળાના માધ્યમથી કરુણતા, દુઃખ, પીડા સાથે સમરસ થતો માણસ સરવાળે સુખ અનુભવે એ કેથાર્સીસ. ‘ખાલીપો’ શીર્ષક વાંચતા જ સમજાય છે કે જે ગીત સાથે આપણે રૂબરૂ થવાનું છે, એ કોઈ ખુશીનું જીવનગાન નથી. શીર્ષક આપણને કવિતામાં આવનારી વેદના તરફ સેમ-વેદના કેળવવા માટે તૈયાર કરે છે. શીર્ષકનું કામ પણ આ જ છે ને! એણે ભાવક માટે કાવ્યપ્રવેશની પ્રસ્તાવના બાંધી આપવાની છે. કવિતામાં વાચકે શેનો સામનો કરવાનો છે એનો ચિતાર એણે આપવાનો છે અને ‘ખાલીપો’ શીર્ષકે એ કામ અહીં બખૂબી નિભાવ્યું છે.

વર્ષ ૨૦૧૩ની સાલમાં આ ગીત સાથે પરિચય થયો. હિન્દુ નવા વર્ષના દિવસે કવિશ્રીએ પોતાની ફેસબુક વૉલ પર એક નોંધ સાથે આ ગીત મૂક્યું હતું: ‘આજથી શરૂ થતું નવું વર્ષ અમારે માટે અદકેરો આનંદ લઈ આવી રહ્યું છે. અમારા પરમ મિત્ર,અમારા પરમ સ્નહી,અમારા નગરના ખૂબ જ જાણીતા ગાયક-સ્વરકાર શ્રી સુભાષ દેસાઈ લગભગ સાડા ચાર મહીનાનો યુ.કે.નો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફરી રહ્યા છે. એ વાતની કેવી, કેટલી ખુશી છે શું કહું? અમે તો સાવ ખાલી થઈ ગયાં’તાં…ખાલીપાની કવિતા લખી સભર થવાના ખાલી ખાલી પ્રયત્ન કરતાં’તાં….’ આમ, કવિએ પરદેશ ગયેલ મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ એ પ્રસંગને બાદ કરી નાખીએ તોય સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ!

ગીતસ્વરૂપ પારંપારિક છે. અષ્ટકલના લયમાં ટૂંકી પંક્તિઓની બાંધણી સાથેનું આ ગીત વાંચતા-વાંચતા અવશપણે ગવાઈ જાય એવું પ્રવાહી થયું છે. શીર્ષકના શબ્દથી જ ગીતનો ઉઘાડ પણ થાય છે. ખાલીપો ભીતર ખખડે રે… બે ઘડી અટકી જવાય એવું આ કલ્પન છે. જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ જ્યારે ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય બીજું કંઈ જ ન હોય ત્યારે તો ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે વાંચતાવેંત કલેજું ચીરાઈ જાય… સહજ સાધ્ય મુખડું છે. સામાન્યરીતે રખડપટ્ટી કરવા માટે મોકળા માર્ગ કે મેદાનનો રસ્તો પકડવો પડે પણ કવિના ઘરમાં હવે કશું જ બચ્યું ન હોવાથી, ઘર સાવ ખાલીખમ હોવાથી એકલતા ઘરની અંદર પણ રખડી શકે છે. ખાલી થઈ ગયેલા ઘરમાં અને જીવનમાં માત્ર ખાલીપો ખખડી રહ્યો છે. ૨૦૧૨ના મે મહિનામાં લખેલી એક ગઝલનો શેર આ ટાંકણે યાદ આવે છે:

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

જીવનમાં એકાન્ત સાંપડે એ અવસ્થા તો સદૈવ આવકાર્ય હોય છે પણ એકલતાનો સામનો કરવો જરા વિકટ કાર્ય છે. એકાન્તમાં માણસ જાત સાથે વાત-મુલાકાત કરી શકે છે, કરેલા-કરવાના કાર્યો વિશે મનન-ચિંતન કરી શકે છે. એકાન્ત માણસ સ્વયમ્ શોધે છે, એકલતા આવી વળગે છે. એકલતા પ્રમાણમાં નિર્દયી છે. એકાન્તમાં આપણે મહાલીએ છીએ, સ્વૈરવિહાર કરીએ છીએ, જયારે એકલતા આપણા પાર હાવી થઈ જાય છે. જે આંખોનો બગીચો પ્રિયજન/જનોની ઉપસ્થિતિથી સદૈવ મઘમઘ રહેતો હતો એ બગીચો હવે સાવ ઉજ્જડ થઈ ગયો છે, કેમકે પ્રિયપાત્ર/પાત્રો હવે નજરના સીમાડાઓથી પર અને પાર છે. સંગાથ છૂટી ગયો છે, સંતાપ રહી ગયો છે. આંસુઓ રોક્યાં રોકાતાં નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. કેવું સરસ કલ્પન કવિ લઈ આવ્યા છે! પ્રિયજનની પ્રતીક્ષારત્ આંખો વારંવાર ભૂતકાળના કબાટ ખોલી ખોલીને સ્મૃતિઓના આલબમ ફંફોસ્યે રાખી વીતેલી ક્ષણોના ફોટોગ્રાફ્સ જોયા કરતી હોય છે, આ માનવસ્વભાવ સહજ લાક્ષણિકતા કવિએ એક જ પંક્તિમાં આબાદ ચાક્ષુષ કરી આપી છે.

એકલતાની પળોમાં સ્મરણો જ આપણો હાથ ઝાલે છે અને આપણને ટકાવી રાખવામાં સહાયક પણ થાય છે. પરંતુ એ હકીકત પણ સમજવી જરૂરી છે કે સ્મરણો સધિયારો ભલે આપે પણ એના સહારે આખું જીવન કાઢી શકાતું નથી. કવિને લાંબા વિરહ અને કરકોલતી એકલતાના અંતે સમજાયું છે કે સ્મરણોની કંપની શાશ્વત તો નથી જ હોવાની. કવિએ સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભુત રીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાનો એક નાનોસરખો એકમ જ છે અને દરેક શ્વાસનું આયુષ્ય પરપોટાની જેમ ક્ષણિક જ હોવાનું, પણ અહીં પોતાના વેરાન જીવનની પરાકાષ્ઠાનો ભાવકને સાક્ષાત્કાર કરાવવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… એકલતામાં સ્મરણોને શ્વસતો માણસ સ્મરણનું મરણ ક્યારે થઈ જશે એનાથી અવગત હોતો નથી. પરિણામે જે સ્મરણોને અઢેલીને પોતે બેઠો છે એ ટેકો હમણાં ધરાશાયી થશે, હમણાં પડશેની આશંકામાં સતત ફફડતો રહે છે.

બીજા બંધમાં બીજાપુરુષ એકવચનમાં પુરુષપાત્રને સંબોધાયેલ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ ખાલીપો, આ શૂન્યતા કોઈ એક વ્યક્તિના ચાલ્યા જવાનો જ પરિપાક છે. સર્જક પુરુષ હોવાથી અને રચનાની પાછળની વાર્તા પણ આપણને ખબર હોવાથી બે પુરુષમિત્રોની વિરહવેદનાની આ વાત હોવાનો ખ્યાલ આવે છે, અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રથમ ‘કરુણ-પ્રશસ્તિ’ (elegy) ગણાયેલ કવિશ્રી દલપતરામનું ‘ફાર્બસવિરહ’ આ ટાંકણે અવશ્ય યાદ આવે, જેમાં ત્રેવીસ વર્ષની વયે અમદાવાદમાં મદદનીશ જજ નિયુક્ત થયેલ, એલેકઝાન્ડર કિન્લોક ફૉર્બ્સે દલપતરામની સહાયથી ગુજરાત અને ગુજરાતીને લાભદાયક નાનાવિધ પ્રવૃત્તિઓ આદરી હતી. દલપતરામના પરમ મિત્ર બનેલ ફાર્બસના અકાળ નિધન પર દલપતરામે એ કાવ્ય રચ્યું હતું. આ લાંબા કાવ્યમાં કવિ લખે છે: ‘રે મુજ મિત્ર ગયો તદનંતર, અંતરદુ:ખ નિરંતર વ્યાપે.’ આ જ કવિતામાં કવિ વિરહના દુઃખનું કારણ પણ ફરિયાદના સૂરમાં રજુ કરે છે: ‘પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો, પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ.’ પુનઃ ‘ખાલીપો’ તરફ વળીએ. કવિતા પાછળની વાર્તા ખબર ન હોય તો એમ પણ માની શકાય કે પુરુષ સર્જકે મનના માણીગરના વિરહમાં વ્યાકુળ સ્ત્રીના મનોભાવોને શબ્દદેહ આપ્યો છે. સ્ત્રીનું વિરહકાવ્ય ગણીએ કે પુરુષનું, આપણે તો સર્જકે સર્જેલો ખાલીપો માણીને ભરપૂર થવાનું છે, તે ભરપૂર થઈએ, બસ!

ગીતનો બીજો બંધ પ્રમાણમાં સરળ છે. કવિને થાય છે કે ચાલ્યો ગયેલ મિત્ર પાછો આવે અને પોતાને એકલતાના કમરામાં ગોંધી રાખવામાં નિમિત્ત બનેલા તમામ કારણોના તાળાંઓ ખોલી દે. અરેબિયન નાઈટસના અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તામાં ખજાનો ભરેલ ગુફા જે રીતે ‘ખુલ જા સિમસિમ’ બોલવાથી જ ખોલી શકાતી હતી એ જ રીતે કવિ ઇચ્છે છે કે એમનો મિત્ર પરત ફરે અને કોઈ જાદુઈ મંત્ર ભણીને ખાલીપાની બંધ ગુફામાં કેદ સંબંધના ખજાનાને પુનઃ હાથવગો કરી આપે. વાત ખોટી નથી. આપણે જેને સાચા દિલથી પ્રેમ કરતા હોઈએ છીએ એના હાથમાં આપણા દિલની તિજોરીની ચાવી જાણ્યે અજાણ્યે આપી જ બેસતા હોઈએ છીએ ને! મિત્રના હૈયાનું તાળું ખોલવાનો જાદુઈ મંત્ર તો મિત્ર પાસે જ હોવાનો!

નજરથી દૂર જઈને પોતાના અસ્તિત્વને ખાલીખમ કરી જનાર અતિપ્રિય દોસ્ત પરત ફરે અને પોતાને આ એકલતા અને ખાલીપાની કેદમાંથી મુક્ત કરે એવો જાદુ થાય એવી કવિની ઇચ્છા છે. પણ કવિની ઇચ્છા માત્ર આટલા પૂરતી જ સીમિત નથી. કવિ ઇચ્છે છે કે ગુફાના બંધ દરવાજા તો ખૂલે જ, પણ સાથોસાથ પોતાની ઇચ્છાઓનાં સઘળાં તળિયાં પણ તૂટે. તળિયું આખરે તો ઇચ્છાને અટકાવી રાખતું એક પરિમાણ જ ને! તળિયું, સોરી, કવિ કહે છે તેમ એક-બે નહીં પણ સઘળાં તળિયાં હોય જ નહીં તો કોણ ઇચ્છાને ઝાલી-અટકાવી રાખી શકે? વિયોગના તાપમાં તવાયા પછી મિલનની શીળી પણ અસીમ અંનત છાયા માટેનો તલસાટ કવિએ કેવો બખૂબી રજૂ કર્યો છે, નહીં!

અંતે, કવિની જ આઠ શેરની એક ગઝલના ચાર શેર સાથે સમાપન કરીએ –

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં

ગ્લૉબલ કવિતા : ૨૨૨ : નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ


જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

ભાગ્યે જ આપણી કોઈ પણ ક્રિયા કારણોથી પર હશે. આપણી દરેક ક્રિયાની પાછળ કોઈને કોઈ હેતુ જરૂર હોય છે. કહેવું હોય તો કહી શકાય કે કાર્યકારણનો સંબંધ અજવાળા-પડછાયા જેવો અવિનાભાવે સંપૃક્ત છે. આપણો લાલો કદી લાભ વિના લોટતો નથી. પરંતુ આમાં આપણો કોઈ વાંક પણ નથી. સંસારનો આ જ વણલખ્યો નિયમ છે. શ્રીકૃષ્ણ ભલે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन કહી ગયા, પણ જગતમાં ભાગ્યે જ કોઈ સંતપુરુષ હશે જે નિસ્પૃહતાથી કામ કરતો હોય… જો કે આજે આપણે જે કવિતા વિશે વાત કરવી છે, એ ઉદ્દેશનો એકડો કાઢીને જીવવાની જ વાત કરે છે. જોઈએ…

અનુગાંધીયુગીન કવિઓમાં કપડવણજના રાજેન્દ્ર કેશવલાલ શાહ પ્રમુખ સ્થાન ધરાવે છે. સત્તરેકની વયે અસહકારની લડતમાં જેલભેગા થયા અને સ્વાતંત્ર્યસંગ્રામના ગીતોએ જ એમને કવિતા ભણી પ્રેર્યા. આધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીના હૃદયંગમ નવોન્મેષ ઉપરાંત એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલોય લખી. વિપુલ કાવ્યસર્જન છતાં ઇમેજગ્રસ્ત ન થતા કવિ સ્વાનુકરણ અને સ્વાનુરણનથી અળગા રહી શક્યા હતા.

કવિની પ્રગટ થયેલી પ્રથમ રચના ‘હોળી-ધુળેટી’ સૉનેટ પણ ‘નિરુદ્દેશે’ કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ (૧૯૫૧)નું પ્રથમ કાવ્ય છે. એટલે એમના મુદ્રિત જીવનનું પ્રથમ પૃષ્ઠ પણ કહી શકાય. વળી એ કવિની સિગ્નેચર પૉએમ કે બ્રાન્ડ એમ્બેસડર પણ છે. એ કવિનો પરિચય તો આપે જ છે, એમની આગળની કાવ્યયાત્રાનો સંકેત પણ આપે છે. જેમ મહાદેવના મંદિર માટે નાંદી, એમ રા.શા.ના કવન માટે આ કાવ્ય.

‘નિરુદ્દેશે’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. ઉદ્દેશ વિના. આશય વિના. શીર્ષક બે ઘડી વિચારતા કરી દે એવું છે. કારણ, કારણ વગર તો આપણે પ્રેમમાંય કશું લેતા-દેતા નથી. આપણાં તો સઘળાં સગપણ વાડકીવ્યવહારથી ચાલનારાં. પણ કવિ તો શીર્ષકમાં જ ઉદ્દેશનો એકડો કાઢી નાંખે છે. બંધારણની રૂએ આ રચના અષ્ટકલની ચાલમાં ચાલતું ગીત છે. મુખબંધ સાથે અંત્યાનુપ્રાસ ધરાવતી ત્રણ કડીઓ અને ધ્રુવપદ સાથે તાલ પુરાવતી પૂરકપંક્તિ સાથેના બે બંધ એનું બંધારણ. આમ, સ્વરૂપસન્નિધાન તો પ્રચલિત ગીત જેવું જ છે, સિવાય કે બંને બંધમાં સામાન્યતઃ યોજાતી બે કડીઓના સ્થાને ત્રણ-ત્રણ કડીઓ છે. સામાન્ય ગીતરચના કરતાં અડધી લંબાઈ ધરાવતી પંક્તિઓ અને બેના સ્થાને ત્રણ કડીઓના ઉપયોગથી ગીત દ્રુતગતિએ આગળ વધે છે. ગીતનો ઉપાડ અનૂઠો છે. એક જ શબ્દનું શીર્ષક ગીતનું ધ્રુવપદ પણ છે. ઉપાડ અને શીર્ષક એક જ રાખીને કવિએ ઉદ્દેશની ગેરહાજરીને ન માત્ર અધોરેખિત કરી છે, હાઈલાઈટ પણ કરી છે. કહેવા ધારેલી વાતમાં ધાર્યું વજન મૂકવા માટે કવિએ અન્ય શબ્દોનું વજન મૂકવું ત્યાગ્યું છે. સાચા કવિકર્મના પરિચયની શરૂઆત છે આ.

નિરુદ્દેશે. પણ શું?

શીર્ષકમાં જન્મેલ અને ધ્રુવપદ સુધી આવતાં બેવડાયેલ કુતૂહલનો ખુલાસો તુર્ત જ થાય છે. નિરૂદ્દેશે સંસારમાં મુગ્ધ ભ્રમણ! ‘મુગ્ધ’ શબ્દ પર બે ઘડી અટકીશું? મુગ્ધતા ક્યાં બાળકને હસ્તગત હોય ક્યાં કવિને. મુગ્ધતા ગુમાવી બેસે એ કદી સારો કવિ બની ન શકે. દુનિયા તો બધા માટે સરખી જ છે, પણ મુગ્ધતાના ચશ્માં પહેર્યાં હોય તો જગત અને જગત્જન અલગ જ નજરે ચડશે. વિસ્મયના પ્રતાપે જ સાર્વત્રિક અનુભૂતિ નોખી ભાત ઝીલીને વૈયક્તિક બનીને કાગળ પર અવતરે છે.

૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા ત્યારે ક્યાંથી શરુ કરવું એ પ્રાણપ્રશ્ન હતો. ગોખલેએ એમને સીધું દેશસેવામાં જોતરાવાના બદલે વરસેક ભારતભ્રમણ કરીને દેશની વાસ્તવિકતા પ્રત્યક્ષ અનુભવવાની સલાહ આપી હતી. ગાંધીજી પહેલાં અને પછી કદાચ ભાગ્યે જ કોઈએ દેશને આટલો નજીકથી જોયો-જાણ્યો હશે. કદાચ એટલે જ ગાંધીજી દેશની નાડ આબાદ પકડી શક્યા હતા. કવિ સંસારભ્રમણ તો ઝંખે છે પણ નિરાશય. વળી, એમને સાજશણગારનીય તમા નથી. પાંશુમલિન વેશે અર્થાત ધૂળથી મેલાઘેલા વદને જ તેઓ આ કામ પાર પાડવા માંગે છે. દુનિયાને આત્મસાત્ કરવાની આ પ્રાથમિક શરત છે. ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને ગાડીમાં નીકળનાર દુનિયામાંથી માત્ર પસાર જ થઇ શકે છે. દુનિયા એમની સાથે આદાનપ્રદાન કરતી નથી. લોકમાં ભળવું હોય, કંઈક મેળવવું હોય તો સ્વને ઢાંક્યા વિના યથાતથ રજૂ કરવો પડે. જાત પાર વાઘાં ચડાવ્યાં નથી કે દુનિયા કોશેટામાં સંકોરાઈ નથી. ધૂળમાં રજોટાયેલ વેશનો એક અર્થ પ્રકૃતિ સાથે તદરૂપ પણ કરી શકાય.

કવિ ફોડ પડતા નથી પણ કવિતા કરવા માટેની સર્વપ્રથમ અને મૂળભૂત શરત અહીં સમાન્તરે રજૂ થઈ છે. કોઈપણ જાતના હેતુ અને આડંબર વિના સ્વથી સર્વ સુધી જનાર જ સાચો કવિ બની શકે. નિરંજન ભગતનું ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કાવ્ય તો યાદ આવશે જ, સાથોસાથ રાજેન્દ્ર શાહનો જ એક પંક્તિનો ઉપનિષદ પણ સ્મૃતિપટલ પર ઝળકી ઊઠશે: ‘ઘરને ત્યજી જનારને /મળતી વિશ્વ તણી વિશાળતા.’

પ્રથમ અંતરામાં ‘ક’ અને ‘ન’ની વર્ણસગાઈના કારણે લય વધુ પ્રવાહી બન્યો છે. ‘ન’નું નાદમાધુર્ય તો ગંધ, કંઠ, રંગ અને સન્નિવેશની મધ્યેથી પણ સાંભળવું ન ચૂકાય એવું મધુર છે. નિરુદ્દેશ ભ્રમણ દરમિયાન ક્યારેક પુષ્પોની સુગંધ કવિને આવી વળગે છે તો ક્યારેક કોકિલ એમને જ સાદ ન કરતો હોય એમ વહાલ કરે છે. પુષ્પો અને પક્ષીઓ તો આપણી આસપાસ ચારેતરફ છે જ. ખુશબૂ અને ટહુકાથી આપણી ઇન્દ્રિયોને ટકોરે પણ છે, પરંતુ આપને સહુ ઇન્દ્રિયબધિર છીએ. આંખો ખુલ્લી છે પણ કુદરતી સૌંદર્યની નોંધ લેવાને અસમર્થ. કાનમાં ટહુકા તો પડે છે પણ ચેતના સુધી પહોંચતા નથી. સુગંધ ઘ્રાણેન્દ્રિયને તર કરવા મથે છે, પણ નાકને કઈ પડી જ ન હોય એમ આગળ વધી જાય છે. ટૂંકમાં ચોતરફ વિખરાઈ પડ્યો છે કુદરતનો સામાન, પણ આપણું નથી ધ્યાન, નથી ભાન. કવિ તો જો કે જમાનાથી અલગારી જ હોવાનો! પ્રકૃતિ જ કવિની સાચી પ્રકૃતિ છે. બધાને દેખાતું છતાં વણદેખાતું હોય એ કવિ જુએ છે. જંગલમાં બેધ્યાનપણે ચરતું હરણ પળેપળ જોખમોની સંભાવનાઓ બાબતે સતર્ક જ હોય, એમ સંસારમાં નિસ્પૃહભાવે ફરતો કવિ પણ સજાગઇન્દ્રિય જ હોવાનો. એટલે જ દાખલા ભલે કુસુમ-કોકિલાના જ આપ્યા હોય, નેણ તો અખિલાઈના તમામ રંગો નિહાળી ઘેલાં થાય છે. દુનિયા જેને જોયું-ન જોયું કરે એ પ્રકૃતિને જોઈને કવિ પાગલ થઈ જાય છે. કારણ? કારણ લબરમૂછિયા ઉમાશંકરના પ્રથમ કાવ્ય ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ની આખરી કડીમાંથી જડે છે: ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ ઈંદ્રિયબાહ્યતા છોડીને ઇન્દ્રિયગ્રાહ્યતા સેવે એ કવિ. જગતના સૌંદર્યને નિર્બંધ માણી લેવાની ઇચ્છા કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે.

આ નિરુદ્દેશ સ્વૈરવિહારમાં કોઈ દિશા નિર્ધારિત નથી. મન લઈ જાય ત્યાં પ્રેમના સન્નિવેશે જવાનું છે. સન્નિવેશના એકાધિક અર્થ લઈ શકાય. ગાઢ સંબંધ, જોડાણ કે સંયોગ એમ અર્થ લઈએ તો કહી શકાય કે જગતના અલગ અલગ તત્ત્વોને અને આપણા આંતર્જગત-બહિર્જગતને પ્રેમ એકમેક સાથે જોડી આપે છે. પ્રેમનું રસાયણ બધાને સંયોગીને એકત્વ બક્ષે છે. સંનિવેશનો બીજો અર્થ પ્રવેશ કે સામીપ્ય થાય. પ્રેમ જ્યાં પ્રવેશ કરાવે કે જેની સમીપ લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે. એક અર્થ સ્થાન કે મુકામ પણ થાય. મન લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે પણ ત્યાં પ્રેમ વસતો હોવો જોઈએ. ટૂંકમાં અર્થ કોઈ પણ લો, મહત્વ પ્રેમનું છે. કવિ પ્રેમને આધીન છે. પ્રેમ હોય ત્યાં જ કવિનું ગંતવ્ય હોવાનું.

કવિ કોઈપણ લાલસા, મહત્વાકાંક્ષા કે આશય-ઉદ્દેશ વિના મેલાઘેલા વેશે દુનિયામાં પ્રેમનો તંતુ ઝાલીને અને તમામ ઇન્દ્રિયોને નિર્બંધ કરીને મ્હાલવા નીકળી તો પડ્યા છે, પણ ક્યાં અને કઈ રીતે એ જોઈએ. પહેલા બંધમાં બહિર્જગત વડે કવિનું આંતર્જગત તરબોળ થતાં ઉભયનું સાયુજ્ય સ્થપાય છે. પુષ્પોની ગંધ માત્ર નાસિકા સુધી નહોતી, એ તો એમને આખાને આખા આલિંગી લેતી હતી. કોકિલ માત્ર નિજાનંદ માટે કે કોયલને રિઝવવા જ નહોતો ગાતો, એ તો જાણે કવિને જ સાદ કરતો હતો. પ્રેમના જોડાણથી આંતર-બાહ્ય બંને વિશ્વને એકરૂપ કર્યા બાદ આગળના બંધમાં કવિનું ભ્રમણ તો આગળ વધે જ છે, પણ એની થોસાથ કવિનો ‘ઉદ્દેશ’ પણ છતો થાય છે. લ્યો! વાત તો નિરુદ્દેશની હતી ને! ત્યાં આ ઉદ્દેશ ક્યાંથી આવી ચડ્યો?

સાચી વાત છે. ગમે એ હોય, કવિ પણ આખરે તો માણસ જ ને! કહે છે, કોઈએ જે રસ્તો નહીં લીધો હોય એ રસ્તો હું લેનાર છું. રૉબર્ટ ફ્રોસ્ટનું ‘રોડ નોટ ટેકન’ કાવ્ય તુર્ત જ સ્મરે. જે રસ્તા પર ભાગ્યે જ કોઈ ગયું હશે એ રસ્તો પસંદ કરીને કવિ કહે છે, કે યુગયુગો બાદ કદાચ હું આમ કહીશ કે મેં ઓછો ખેડાયેલ માર્ગ પસંદ કર્યો એનાથી જ તફાવત પડ્યો છે. ૧૯૧૫માં પ્રગટ થયેલ આ વિશ્વવિખ્યાત રચનાનો ૧૯૧૩માં જન્મેલા કવિની આ કવિતા પર પ્રભાવ છે કે કેમ એ કહેવું તો મુશ્કેલ છે પણ કવિએ જે-તે સમયે બીજા કવિઓ જે કેડી પર ચાલતા ડરતા હતા એ કેડી પસંદ કરી હતી એ વાત ચોક્કસ છે. ગુલામીના અંતિમ અને આઝાદીના પ્રારંભિક વર્ષો દરમિયાનની ગાંધીયુગીન કવિતા સમાજ પરત્વેના દાયિત્વથી ગ્રસિત હતી. પ્રહલાદ પારેખની સાથોસાથ નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહે તત્કાલીન સ્વાતંત્ર્યોત્તર કવિતાને એના કથિત સામાજિક કર્તૃત્વ અને ગાંધીપ્રભાવથી મુક્ત કરી શુદ્ધ કાવ્યતત્ત્વની આરાધનાની નૂતન કેડી કંડારી હતી. કવિએ કંડારેલી કેડીએ એમના સમકાલીન અને ત્યાર બાદના કવિઓને ખૂબ પ્રભાવિત કર્યા છે. પોતે કોઈ પંથ લેવા તૈયાર નથી અને જ્યાં પગ મૂકશે ત્યાં પોતાની કેડી રચશેનો જે ધનુર્ટંકાર એમણે પ્રથમ સંગ્રહના પ્રથમ કાવ્યમાં કર્યો હતો, એ સાચો સાબિત થયો.

તેજછાયાના આ પૃથ્વીલોકમાં કવિ પોતાની વીણા પર પૂરવી રાગિણી છેડવા ચહે છે. સુખદુઃખ જીવનમાંથી બાદ કરી શકાવાના નથી પણ વાદ્ય પોતે જ પ્રસન્ન હોય તો સંગીત પણ સુમધુર જ રેલાશે. જીવન નિરુદ્દેશ અને મુગ્ધતાપૂર્ણ હોય તો જ વાદ્ય પ્રસન્ન રહે. વીણા વિદ્યાદેવી સરસ્વતીનું વાદ્ય પણ છે. એટલે પ્રસન્ન વીણાની સુરાવલિનો સંદર્ભ સીધો પ્રસન્નતાના કાવ્યો સાથે જોડાય છે. કવિની બેડી, જીવનનૌકા આનંદસાગરમાં સરતી જાય છે. સરવું અને તરવું ક્રિયાપદ વચ્ચે પણ બારીક તફાવત છે. તરવું સકર્મક ક્રિયા છે. હોડીને તરાવવાને હલેસાં જરૂરી છે પણ સરવું અકર્મક છે. હોડીના સરવામાં ખલાસીનું કર્તૃત્વ તો નીકળી જ જાય છે, પાણી પણ શાંત હોવાનું અભિપ્રેત છે. મતલબ, કવિની નૈયા અનાયાસ આનંદસાગરમાં સરી રહી છે. સાગર પણ આનંદનો છે, કેમકે ભ્રમણ નિર્હેતુક છે.

કાવ્યાંતે કવિ કહે છે કે હું જ સૌની સાથે વિલસું છું અને કશું ન હોય ત્યારે જે બચી જાય એય હું જ છું. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः| કવિ પોતાના સર્જનવિશ્વનો બ્રહ્મા છે. સર્જનના અક્ષરેઅક્ષરમાં એ વિલસે છે, એની ઉપસ્થિતિ છે. અને તમામ સર્જનથી તટસ્થ પણ એટલો જ. કવિતા લખી દીધા પછી એના પર એનો એક ભાવક જેટલો જ અધિકાર શેષ રહે છે. આ જ રીતે કવિ સમગ્ર સંસાર સાથે પ્રેમના સન્નિવેશે તાદાત્મ્ય પણ સેવે છે, અને સમગ્ર સંસારથી અલિપ્ત પણ છે. સંસારમાં જન્મ્યા હોવાથી સંસારના કણેકણમાં તેઓ પોતાને અનુભવે છે, અને એમાં જ શેષરૂપે રહી પણ જશે. આ પ્રકારે એકીસાથે સાર્વત્રિક ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ અનુભવીને આનંદસાગરમાં એ જ સરી શકે જેની મુગ્ધતા આ ઇહલોકમાં અકબંધ બચી હોય અને દુનિયા પાસેથી કશું મેળવવાનો ઉદ્દેશ ન હોય. પ્રકૃતિનો વૈભવ બધા માટે હોવા છતાં એ બધાને પ્રાપ્ય નથી. પ્રકૃતિ નોખી હોય એ જ પ્રકૃતિને પામી શકે! પ્રકૃતિને પામવાની કૂંચી નરી મુગ્ધતામાં રહેલી છે. પ્રકૃતિના રહસ્યો સમજે એને જીવનસત્ય સમજાવા માંડે છે.

અંતે, કવિના જ એક કાવ્ય ‘પ્રવાસી’થી સમાપન કરીએ:

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

ગ્લૉબલ કવિતા : ૨૨૧ : (સ્મરણોની હેલી) – વિવેક મનહર ટેલર

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી?!
વરસી કંઈ સ્મરણોની હેલી…


પરવશ પ્રેમના સાક્ષાત્કારનું ગીત

પ્રેમ સાચો હોય તો સમર્પણ કઈ ઘડીએ થઈ જાય એની જાણ રહેતી નથી. પાછું પ્રેમમાં સમર્પણ કરવા માટે સામેથી પ્રેમ પ્રાપ્ત થાય એય જરૂરી હોતું. પ્રેમ, જો દુનિયામાં સાચેસાચ હોય, તો ઉભયપક્ષિતા એનું પ્રમુખ લક્ષણ નથી. બે જણ ભેગાં થયાં નથી કે અધિકાર, અપેક્ષા, અદેખાઈ, અહમ્, અવિશ્વાસ, અસમાનતાની લાગણી વગેરે રસાયણો પ્રેમના પાત્રમાં ઉમેરાયાં વગર રહેતાં નથી. અને આ રસાયણો ઉમેરાતાં જ દૂધ જેવો મીઠો પ્રેમ ક્યારે ખાટું દહીં થઈ જાય છે એની બેમાંથી એકેયને ખબર રહેતી નથી. દુન્યવી બજારમાં નિષ્ફળ રહે એ જ પ્રેમ પંકાયેલ કથા બની શકે છે. સફળ પ્રેમ ભાગ્યે જ મિલનમાં પરિણમે છે. એથી ઊલટું, વિરહનું તેલ પ્રેમના અગ્નિને લાંબો સમય પ્રજ્વલિત રાખે છે. બહુધા મળવાની આશા મિલન કરતાં વધુ મીઠી હોય છે. રાહ જોતાં હોઈએ તો બોર ચાખતાં ચાખતાં સમય ક્યાં પસાર થઈ જાય છે એનીય ગતાગમ રહેતી નથી, પણ મુલાકાત થઈ ગયા બાદ સમય કેમ પસાર કરવો એ કોયડો બની જાય છે. ‘પ્રતીક્ષાની ગલીઓમાં ભૂલાં પડ્યાં છે, સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે?’ આજે જે રચનાના આસ્વાદનો ઉપક્રમ છે, એ પણ વિરહ, સ્મરણ, અને આશાના સહારે જ ટકેલી છે…

ગીતને કોઈ શીર્ષક અપાયું ન હોવાથી મુખબંધને જ ટકોરા મારીને દરવાજો ખોલવા કહીએ. ‘વરસી કંઈ સ્મરણોની હેલી’થી કાવ્યારંભ થાય છે. ‘હેલી’ શબ્દ એક જ લસરકામાં અટક્યા વિના મુશળધાર વરસતા વરસાદને ચાક્ષુષ કરે છે. આ અનરાધાર વર્ષા સ્મરણોની છે પણ કવિતાનો દરવાજો ખોલવાની ખરી કળ તો ‘કંઈ’ શબ્દમાં છે. હેલી સામાન્ય વરસાદથી ઘણું ઉપરનું પ્રમાણમાપ સૂચવે છે, અને સ્મરણનું બહુવચન પણ એની સમાંતરે જાય છે. આમાં ‘કંઈ’ ઉમેરાતા હેલીનું પણ બહુવચન થઈ ગયું… મતલબ, સ્મરણોની આ અનવરત વર્ષા એકવારની નથી, અવારનવારની છે… ચાર શબ્દોના મુખડામાં ત્રણ શબ્દ તો માત્ર માત્રાની વિપુલતાદર્શક છે… સરસ! કવિતાદેવીએ દરવાજો ખોલ્યો જ છે તો ચાલો, હવે ઘરમાં પ્રવેશીએ…

હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી… હમ્મ! પુરુષ કવિની કલમે એક સ્ત્રીની સંવેદના વ્યક્ત કરવાનો પ્રયાસ… પ્રથમ પુરુષ એકવચનની આત્મકથનાત્મક શૈલી. સ્મરણોની હેલીને અડોઅડ નાયિકાનો કાવ્યપ્રવેશ થતાં સમજાય છે કે પ્રિયજનનો વિરહ ચટકા ભરી રહ્યો છે અને ઉભરો ગીતરૂપે બહાર આવી રહ્યો છે. એકાધિક સ્મરણોનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કોરાં રહી જવામાં ન માનતી નાયિકા લથબથ ભીંજાઈને ઘેલી થઈ રહી છે. સ્ત્રીઓના સ્વભાવની ખાસિયત અહીં બખૂબી ઉપસી છે. સંબંધના દરેક પાસાંઓને સમગ્રતયા માણવાની ક્ષમતા પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની વધુ હોય છે. સંબંધ હોય કે સેક્સ, પુરુષ શીઘ્રાતિશીઘ્ર હાથ ખંખેરી ઊભો થઈ જઈ શકે છે, સ્ત્રીને હંમેશા વાર લાગે છે. ‘માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો’ (કલાપી) એ સ્ત્રીઓની ખરી લાક્ષણિકતા. સ્ત્રી મિલનની ક્ષણોને યથાતથ મમળાવી શકે છે, તો વિરહની પળોનીય સુવાંગ ઉજાણી કરી જાણે છે. પિયુ નથી, માત્ર એનાં સ્મરણો જ બારેમેઘ ખાંડા થયા હોય એમ વરસી રહ્યાં છે અને વિરહાસિક્ત સ્ત્રી ન માત્ર લથબથ ભીંજાઈ રહી છે, ભીંજાઈને ઘેલી પણ થઈ રહી છે. અષ્ટકલ કરતાં ષટકલના આવર્તનોનો લયાવધિ ઓછો હોવાથી ઝડપથી આગળ વધતાં આવર્તન વરસાદની ત્રમઝૂટ સાથે તાલ મિલાવે છે તથા ‘કંઈ’ અને ‘થઈ’ જેવા આંતર્પ્રાસ એમાં લવચિકતા ઉમેરે છે.

હેલી ગ્રામ્ય પરિભાષાનો શબ્દ છે. પ્રથમ બંધમાં ભીંતોની ઓકળીની વાત આવતાં જ ગ્રામ્ય પરિવેશ વધુ ઉઘાડ પામે છે. નાયક લાંબા સમયથી નજરોથી દૂર છે. કદાચ કાયમ માટે પણ નાયિકાને ત્યાગી હોય. બની શકે. પણ હિન્દુસ્તાની રાધાઓએ વળી કયા દિવસે રણછોડની રાહ જોવા સામે વિરોધ નોંધાવ્યો જ છે, તે આપણી નાયિકા નોંધાવે? સંબંધમાંથી પુરુષનું પરવારવાનું અલગ હોય છે અને સ્ત્રીનું અલગ. પુરુષ માટે પરવારી જવુંનો મતલબ પૂરું કરવું થાય છે, જ્યારે સ્ત્રી પરવારીનેય પૂરું કરતી નથી. સાચો પ્રેમ કરનારી સ્ત્રી સંબંધમાંથી કદી બહાર આવી શકતી નથી. ગ્રામનારી ઘરની ભીંતને છાણ લીંપીને એમાં તરંગાકાર ભાત બનાવે એમ નાયિકા પણ પોતાના હોવાપણાંને ઓકળીને ભાતીગળ બનાવવાની કોશિશ કરે છે, પણ વિસંગતિ અહીં સાધનમાં છે. ભીંતોને ઓકળવા માટેનાં છાણાં વિસ્મૃતિના બનેલાં છે. વિસરી જવું હયાતીની ભીંતેભીંતના તસુએ તસુને લીંપી દે એનાથી વિશેષ વિસરાતું જ ન હોવાની પરાકાષ્ઠા બીજી શી હોઈ શકે!

આપણે ત્યાં ઘરનું કામકાજ પતાવીને સ્ત્રી બપોરે આડી પડે એવો નિત્યક્રમ છે. સૌરાષ્ટ્ર તરફ પુરુષોય વામકુક્ષિના કાર્યક્રમમાં સુપેરે ભાગ લે છે. બપોરે તો કર્ફ્યૂ હોય એવું વાતાવરણ થઈ જાય. રાજકોટ માટે એવીય વાયકા છે કે બપોરે તો આરામ ગ્રાહકથીય મોટો ભગવાન. કાવ્યનાયિકા અહીં બપોરે મોકળી થઈને આડી પડી છે, પણ ક્યાં? જેમ એના છાણાં અલગ છે એમ આડા પડવા માટેનો ખાટેય નોખો છે. એ જે ખાટ પર મોકળી થઈને આડી પડી છે એ ઘરકામની કાથીઓ ખેંચી તાણીને તૈયાર કરાયો છે. મતલબ, ઘરકામ એ જ એનો આરામ છે. કામ જ આરામ છે, કેમકે વ્યસ્તતામાં જ યાદ ઓછી આવે ને? નવરાશની તો એક પળ પિયુની યાદ વિના જતી નથી. બીજું, ખાટ એટલે વાણ ભરેલો હીંચકો. મોકળાશની પળોમાં આગળ-પાછળ ગતિ કરતો હીંચકાની જોડેજોડ નાયિકા ભૂત-વર્તમાન અને ભાવિની વચ્ચે ઝૂલી રહી છે. ગઈકાલની પ્રીત, આજનો વિયોગ અને આવતીકાલની આશાની વચ્ચે એ હિંડોળી રહી છે.

યાદોને વિસારે પાડી દઈને કામકાજમાં જ હળવાશ અનુભવતી નાયિકાના મનોમસ્તિષ્કમાં અચાનક ‘એના’ નામનો વંટોળ ફૂંકાય છે અને એ એવો ફૂંકાય છે કે આખેઆખું હોવાપણું જ ધ્વસ્ત થઈ જાય. પ્રીતમ જાણે એમ ન કહેતો હોય-

દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.

અને પ્રિયાની હાલત કંઈક આવી છે-

માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.

હોવાપણાની જે ભીંતોને ભૂલી ગયાની પ્રતીતિથી લીંપી-લીંપીને ઓકળી હતી, એ ભીંતો નામસ્મરણ થતાંમાં તો છત સમેત ધરાશાયી થઈ ગઈ. નામના વંટોળને ‘મૂઓ’ સંબોધન કરીને નાયિકા આપણી અનુભૂતિની ભીંતો પર પણ રીસભર્યા વહાલનું લીંપણ કરે છે.

જાણબહાર બહારથી અચાનક કોઈ આવીને આંખો દાબીને પૂછે કે હું કોણ છું ત્યારે કેવી મજા આવે, નહીં! નાયિકાના જીવનમાં નાયક તો આવ્યો નથી. આવ્યો હોત તો આંખ દાબીને પૂછતે હાઉક! પણ ક્યારેક હોવા કરતા ન હોવાનો અહેસાસ વધુ વાસ્તવિક લાગતો હોય છે. બહારથી કોઈ આવ્યું નથી અને કદાચ આવનાર પણ નથી એટલે નાયિકાને પોતાની આંખો કોઈ ભીતરથી આવીને દબાવતું અનુભવાય છે. અચાનક આવી ચડેલી યાદ નાયિકા સાથે પ્રેમક્રીડા આદરે છે. મનોજગતમાં આકાર લેતી આ રમત સાચી હોવાનું અનુભવવા સહજ માનવ સ્વભાવવશ નાયિકા પોતાની જ હથેળીઓ પોતાની જ આંખો પર દબાવે છે. કૂણી વિશેષણ હથેળીઓ નાયિકાની હોવાની સાખ પૂરાવે છે. પિયુએ હથેળીમાં હથેળી લીધી હશે,એ સ્પર્શ હજીય અકબંધ ન રહ્યો હોય એમ પોતાની હથેળીઓની ગંધ નાકમાં જતા વેંત એનું મન ચકડોળે ચડે છે. યાદોનો વંટોળ શમ્યો નથી ત્યાં મન ચકડોળમાં બેસી ગયું. વંટોળનું કામ માર્ગમાં આવે એને ધ્વસ્ત કરવાનું. વંટોળ તમને ક્યાંથી ક્યાં લઈ જાય, કંઈ કહેવાય નહીં, પણ ચકડોળમાં બેઠા પછી બીજે ક્યાંય જવાનો આરોઓવારો નથી. ચકડોળ તમને એક જ જગ્યાએ ગોળ-ગોળ ફેરવ્યે રાખશે. મતલબ હવે, યાદમાં તણાવાનું બંધ થયું છે પણ એકની એક યાદોને મમળાવવાનુ આરંભાયું છે.

આમ તો આખી રચના આત્મસંવાદ સ્વરૂપે જ છે પણ કાવ્યાંતે નાયિકા પોતાની જાતને સવાલ કરે છે. જેની યાદમાં પોતે પ્રોષિતભર્તૃકા બની બેઠી છે, એની યાદોને પોતે હોવાપણું ચૂરચૂર થઈ જાય એ હદે પોતાના પર હાવી થવા દીધી હોવાનું એને રહી રહીને ભાન થયું છે એટલે એ વિસ્મિત થાય છે કે આટલુંય ભાન ન રહ્યું? ભાન ન રહ્યું હોવાનો સવાલ એટલા માટે પૂછાયો છે કે ભાન ન રહ્યું હોવાનું ભાન થયું છે. છે ને મજા! પણ રહો, આ ભાનમાં પણ બે-ભાની જ છે. ભાન શેનું થયું છે? તો કે, જન્મારાઓ વીતી ગયા પણ પોતે સદૈવ પિયુના આધારે જ રહી. પોતે હરહંમેશ પ્રિયજનને જ સુવાંગ સમર્પિત રહી. આપબળે ઊભા રહેવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહીં. પંક્તિના છેડે પૂર્ણવિરામના સ્થાને પ્રશ્નાર્થચિહ્ન છે. મતલબ આ સમર્પણ સ્ત્રીસહજ સ્વાભાવિક સમર્પણ હતું. સ્ત્રી પોતાની જાણબહાર આશ્રિતા બની જાય છે. કોઈક સદગુણી પુરુષને આ જોઈને આવો સવાલ પણ થઈ શકે-

તું મારા ટેકે છે કે તારા ટેકે હું, ઊકલે ના આ એક પહેલી,
તું વૃક્ષ છે કે પછી વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
એક શબ્દ ગીતનો ભાવાર્થ આખેઆખો કઈ રીતે બદલી નાંખી શકે છે એય જોવા જેવું છે. ‘આટલા જન્મો’ –આ જગ્યાએ ક્ષણાર્ધભર અટકીએ તો અચાનક સમજાય કે આ કોઈ એક સ્ત્રીની, કોઈ એક ગ્રામ્યનારીની વાત જ નથી, આ વાત તો છે સંસારની તમામ સ્ત્રીઓની. ‘વરસો’ના સ્થાને ‘જન્મો’- આ નાના અમથા શબ્દફેરથી સ્વગાન સર્વગાન બની ગયું. પેઢી પર પેઢીઓ, જન્મોના જન્મો વીતતા જશે પણ સ્ત્રી એની એ જ રહી છે અને રહેશે.

સ્ત્રીને સમર્પણની દેવી અમસ્તું નથી કહ્યું. નાયિકાને પોતે હંમેશાથી પિયુના ટેકે જ ઉભેલી હોવાનું આજે અચાનક ભાન થયું છે. પોતાને ખબર પણ ન પડે એ રીતે સ્ત્રી પોતાની જાત પુરુષને આધીન કરી દે છે. પ્રેમમાં સમર્પણની આ પરાકાષ્ઠા છે. ખુદને ગુમાવી દેવાયાનું ભાન પણ ન રહે એ પરવશતા એ જ સાચો પ્રેમ. પરવશ પ્રેમનો સાક્ષાત્કાર એ જ આ કાવ્યની સાચી ફળશ્રુતિ છે. સ્ત્રીપુરુષ સમાનતાના ગાણાં ગમે એટલાં કેમ ન ગાવ, સ્ત્રી સમર્પિતતા સર્વોપરી હતી, છે અને સદાકાળ રહેશે.

તડકાની જેમ વિના પરવાનગી ભીતર પરબારા ઘૂસી આવતાં સ્મરણોનું એક ગીત આ સાથે જોઈએ. સાંઠે મિનિટ અને ચોવીસે કલાક યાદોનું ધાડું આક્રમણ કરતુ રહે છે. કૂડોકચરો કે કાગળ-કંકર તો ઠે…ઠ વાળી કઢાય પણ સ્મરણોને કઈ સાવરણીથી વાળવા? સૂર્યનો તડકો તો દિવસ પૂરતો. યાદોનો તડકો તો રાતેય રંજાડે છે. રાતની શાંતિમાં તો ઉલટું એ ભીતરથી રોમેરોમે રંઝાડે છે. ચારે બાજુ સાહિબ જ નજરે આવતો હોય તો કરવુંય શું? ચાવી વગરનું તાળું જેમ ખોલી ન શકાય એેમ આ સમસ્યા પણ ઉકેલહીન છે. બધાનો ઈલાજ હોઈ શકે, યાદોનો કોઈ ઈલાજ નથી. જુઓ-

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

ગ્લૉબલ કવિતા : ૨૨૦ : નભ વચ્ચે આ કયો ખલાસી! – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

– ઉષા ઉપાધ્યાય


આ જાળમાં ફસાઈ જવું ગમે એવું છે…

વરસાદની મજા જ અલગ. આમ તો બધી ઋતુઓ પાસે આગવો અદકેરો વૈભવ છે જ, પણ વરસાદના ખિસ્સામાંથી જે વૈભવ છલકાય છે, એ તો કદાચ વસંતનેય દોહ્યલો થઈ પડે. વસંતઋતુ ઓઝપાઈ ગયેલી દુનિયાને અવનવા રંગો અને સુગંધોથી માલેતુજાર કરે, પણ વરસાદ તો દુનિયા આખીનો ફેસ-લિફ્ટ જ કરી દે! વસંત તો વૃક્ષો અને માનવીના મનને અડે, પણ વરસાદ તો ધરતીના કણેકણને નવપલ્લવિત કરી દે. માટે જ દુનિયાભરના કવિઓ અનાદિકાળથી વરસાદના ગીતો ગાતા આવ્યા છે અને ગાતા રહેશે. આજે આપણે આવા જ એક ગીતના અમીછાંટણાંમાં સરાબોળ ભીંજાઈએ, ચાલો…

ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના જાણીતા સર્જક છે. ગદ્ય-પદ્યકાર, અનુવાદક, વિવેચક, પ્રાધ્યાપક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને ખાસ તો ‘જૂઈમેળા’ અન્વયે સ્ત્રીસર્જકોની સંવેદનાઓને સંકોરવા તથા મંચ પૂરો પાડવાના ભગીરથ કાર્યમાં સદૈવ રત રહે છે. પ્રસ્તુત રચના ‘નભ વચ્ચે આ કયો ખલાસી!’ને કદાચ એમની સિગ્નેચર પોયમ પણ કહી શકાય.

રચનારીતિએ આ ગીત છે, પણ મુખબંધમાં જેને દોઢ વાળવી કહે છે એ કવયિત્રીએ વાળી નથી. મતલબ, સામાન્યતઃ અન્યોન્ય સાથે પ્રાસ મેળવતી દોઢ કે બે પંક્તિના સ્થાને અહીં એક જ પંક્તિ છે. પહેલી પંક્તિ ગીતને ઉપાડ આપે અને બીજી પંક્તિ એને ટેકો આપીને ભાવાનુભૂતિના આકાશમાં વધુ ઊંચે લઈ જાય એવી પ્રથાથી ટેવાયેલા ભાવકને એક પંક્તિના મુખડામાં અધૂરપ લાગી શકે, પણ ગીતનો ઉપાડ એવો સશક્ત છે કે અધૂરપ મધુરપ બનીને લોહીમાં ક્યારે ભળી ગઈ એ કળી શકાતું નથી. ગીતના લક્ષણો વર્ણવતાં ભગીરથ બ્રહ્મભટ્ટે જાણે કે એમના માટે જ લખ્યું છે: ‘ગીતનો ઉપાડ આકર્ષક હોય છે. ગીતકાર એક કુતૂહલ પ્રગટાવે છે. વાચકને વશ કરી દે એવી પંક્તિ યોજી, ગીતની અડધી સફળતા સિદ્ધ કરે છે.’ કવયિત્રીને એક પંક્તિનું મુખબંધનિયોજન વધુ અનુકૂળ હોવાનું જણાય છે. ‘આવ સખી, મોસમના પહેલા વરસાદમાં…’, ‘મૂળથી ઉખડી જઈએ એવો સાદ કરો ના અમને…’, ‘અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ સંતાકૂકડી રમીએ’, ‘કા’ન વસે તું દૂર દેશ કે સાવ અમારી પાસે’, ‘અધમધ રાતે જીવ અભાગી શાને છાનું રડતો? –આ તમામ એમના ગીતોના એકપંક્તિય ઉપાડ છે. પારંપારિક મુખબંધવાળાં ગીતો પણ સર્જક કનેથી મળે જ છે. પણ એક પંક્તિના ધ્રુવપદ એમનો વિશેષ છે. પ્રમાદ ઓછો અને કૌશલ્ય વધુ લાગે એવી બાહોશ આ વિધા છે. બીજું, આપણી ગીતરચનાઓમાં સામાન્યતઃ બંધ અથવા અંતરો પણ અંત્યાનુપ્રાસ ધરાવતી બે કડીનો હોય છે. એ પછીની ત્રીજી યાને પૂરકપંક્તિ (ક્રોસલાઇન) ધ્રુવપદના પ્રાસ સાથે પ્રાસ મેળવીને ગીતના એક ખંડકને પૂર્ણ કરે છે. પણ જે રીતે આ ગીતે એક કડીના મુખબંધ વડે રુઢિગત ગીતોથી અલગ ચોકો ચાતર્યો છે, એ જ રીતે અંતરો પણ પરસ્પર પ્રાસ મેળવતી બેના સ્થાને ત્રણ કડીઓનો છે અને પૂરકપંક્તિનો સદંતર અભાવ છે.

આવા આ ઉફરા ગીતના ઉપાડનો પૂર્વાર્ધ ગીતનું શીર્ષક પણ છે. ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!’ -એ પ્રશ્નથી કાવ્યારંભ થાય છે. બે ઘડી અટકી જવું પડે એવું આ મુખબંધ છે. ‘જળની જાળ’ વાંચતાવેંત આપણને ફાંસી લે છે. આગળ જતાં ફોડ પડે એ પહેલાં જ વરસાદ આપણને ભીંજવવા માંડે છે. વળી, અષ્ટકલનો લય પણ એકધારું વરસતા વરસાદ જેવો મજાનો થયો છે. સામાન્યતઃ ખલાસી કિનારે બેસીને જાળ ગૂંથે અને પાણીમધ્યે જઈને ફેંકે. પણ આ ખલાસી આકાશની વચ્ચે બેસીને જાળ ગૂંથી રહ્યો છે. નાની અમથી પંક્તિમાં આ અરુઢ વાત અને જળની જાળ જેવા અનૂઠા કલ્પનના કારણે અદભુત કવિતા હાથ ચડી હોવાનો અંદાજ આપણને આવી જાય છે. કવિએ સવાલ કર્યો જ છે પણ આ ખલાસી ‘કયો’ હોઈ શકે એ તરત સમજી શકાય છે. આકાશમાંથી વરસતો વરસાદ ઈશ્વરે ગૂંથેલી જળની જાળ હોવાનું રૂપક મનહર થયું છે.

જળ સાથે રમવાનું સર્જકને આમેય વિશેષ ગમતું જણાય છે. ‘સોમલ’ ગીતમાં એમનું જળ ‘મૂંઝાય’ પણ છે, અને ‘કંતાય’ પણ છે: ‘જળના તરાપાને જળમાં ઝૂલવતા એ વાયરાનું ગામ ક્યાં શોધવું?’ એમની ‘જળની માયા’ પણ જોવા જેવી છે: ‘કૂંપળ-શી કોળું ને મ્હોરું મારા રંગલાલ, સાચુકલા મેઘ બની વરસો મારા રંગલાલ.’ જે સર્જકને ‘વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે,’ એ સર્જકને મન તો વરસાદની મોસમ એટલે ‘મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની’ – આજ અભિવ્યક્તિ હોય ને! વળી કહે છે: ‘કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા’

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં?
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.

જળનું જંતર વગાડતાં ને જળની ઝૂલ જોતાંમાં જાતરા ફળી હોવાનું અનુભવતાં સર્જક પાસેથી જ જળની જાળ જેવું મજાનું ગીત મળી શકે. ટાપુ પ્રદેશોના કાંઠાઓને બાદ કરીએ તો ભારતનો દરિયાકિનારો લગભગ ૫૪૦૦ કિલોમીટર લાંબો અને બધા રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણા ગુજરાતનો. ૧૬૦૦ કિલોમીટર યાને દેશના કુલ કાંઠાનો લગભગ ત્રીસ ટકા દરિયો માત્ર આપણી પાસે છે. કચ્છથી લઈને તળગુજરાત સુધી દરિયાના મોજાંઓ જેના પગ સતત પખાળતાં રહે છે એવા ગુજરાત પાસેથી દરિયાના ગીતો તો અનેક મળી રહે છે, પણ ખલાસીઓ કે માછીમારોના ગીત પ્રમાણમાં જૂજ જ જડે છે. પ્રસ્તુત રચના આ વિષયક તમામ ગીતોમાં શિરમોર સિદ્ધ થાય એવી છે. આકાશના વિશાળ ભૂરા સમુદ્રની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠેલો ખલાસી જળની જાળ ગૂંથી રહ્યો છે. કામ પતતા ઊભા થતાવેંત એ ખેસ ખંખેરે છે. બહુ નાની અમસ્તી ચેષ્ટા છે પણ કવયિત્રીના વિચક્ષણ અવલોકનની એ દ્યોતક છે. કામ પતે એટલે માણસ ‘બેઠાંનો થાક’ ઉતારવા ઊભો થાય અને ખલાસી હોય એટલે ખભે સહેજે ખેસ હોવાનો અને ખેસ હોય એટલે એને ખંખેરવાની આદત પણ હોવાની જ. ખલાસીના સ્વભાવગત લક્ષણના સૂક્ષ્માલેખનના કારણે આખું ચિત્ર તાદૃશ થાય છે. આ કવિનો કમાલ છે. વળી ‘ખેસ ખંખેરવો’ રુઢિપ્રયોગનો એક અર્થ કોઈ જવાબદારીમાંથી મુક્ત થવું એવો પણ થાય છે. આપણો ખલાસી પણ જળની જાળ ગૂંથવાની જવાબદારીથી હમણાં જ છૂટ્યો હોવાથી અહીં આ અર્થ પણ પ્રસ્તુત જ ગણાય. બરાબર ને?

ખલાસીના ઊભા થઈ હટવાની વાર જ ન જોતું હોય એમ પળવારમાં તો આકાશ ગોરંભે ચડે છે અને વાદળોનું જંગલ એને ઘેરી વળે છે. આભમાંથી ફર-ફર ફર-ફર ફોરાં વરસવા માંડે છે. અષ્ટકલના લય સાથે ફર-ફરની પુનરુક્તિ અને નભ-ઘન-વનના ‘ન’ અને ફર-ફર-ફર-ફર-ફોરાંના ‘ફ’ની વર્ણસગાઈના કારણે વરસાદ રીતસર પડતો અનુભવાય છે. જાળ ગૂંથવાની પ્રક્રિયા દરમિયાન જાળ કાતરતાં જે કતરણ પડી હોય એ ખલાસીના શરીર અને ખેસ પર પણ ચોંટી જ હોય. ઊભા થતાં ખેસ ખંખેરવાની સાથે કતરણ ખેરવવાની ખલાસીની સહજ ચેષ્ટાને કવિતામાં વણી લઈને સર્જક ચિત્ર સંપૂર્ણ બનાવે છે.

વરસાદ આભેથી ત્રમઝૂટ વરસતો હોય ત્યારે બીજું કશું સાફ જોવાનું શક્ય બનતું નથી. આભેથી અનવરત વરસતાં ધોધમાર વરસાદના કારણે આંખ સામે રચાતાં દૃશ્યને કવયિત્રી માછીમારની જાળ સાથે સરખાવે છે, એ ઉપમા કેવી યથોચિત છે! જાળના ઢગલામાં ગૂંચવાયેલા સફેદ તાંતણાંઓ અને આકાશેથી ત્રમઝૂટ વરસતો વરસાદ-બંનેમાં કેટલી દ્રાશ્યિક સમાનતા છે! ખલાસી કે માછીમાર માટે પ્રયોજાયેલ ધીવર સંજ્ઞા ધ્યાન બહાર ન રહી જાય, એ જોજો. પ્રાચીન જૈન ‘આનંદકાવ્યમહોદધિ’માં આ શબ્દ પ્રયોગ બહુ સરસ રીતે કરાયો છે: ‘તે મચ્છ ધીવરે કાઢીઓ, જાણી ભાર વિશેષ રે.’ આમ તો ધીવર સમાજની હાજરી સમગ્ર ભારતમાં છે પણ ચલણમાંથી આ શબ્દ ધીમેધીમે ઘસાઈ રહ્યો છે, અને ઘસાતા સિક્કાને નવો ચળકાટ આપવાનું કામ તો કવિનું જ ને?!

ધીવર એની જાળને ફંગોળીને, ફેલાવીને નાંખે છે. ખલાસી જાળ નાંખીને માછલીને પોતાના તરફ ખેંચી લે એ ઉપલક્ષે આભમાં ઊભેલો ‘કોઈ’ ખલાસી જળની જાળ ફેલાવીને નાંખે અને આખી પૃથ્વીને પોતાના તરફ ખેંચી લેવા માંગતો હોય એ કલ્પન કેવું પ્રબળતમ થયું છે! કવયિત્રીને અભિપ્રેત હોય કે ન હોય, પણ પૃથ્વી માટે મહામત્સ્ય વિશેષણ વાંચતાં જ મત્સ્યાવતાર યાદ આવે. અંજલિમાં ભૂલથી (!) આવી ગયેલી માછલીની વિજ્ઞપ્તિને માન આપીને મનુ મહારાજે કમંડળમાં મૂકી, પણ માછલી તો દિન દૂની રાત ચોગુની વધતી ગઈ અને અંતે સાગરના જળચરોથી બચાવેલી નાનકડી માછલીને મહામત્સ્ય બન્યા બાદ સાગરમાં જ છોડવી પડી. એ મહામત્સ્યે પ્રલયમાંથી સૃષ્ટિના નિર્વાહ્ય માટે અનિવાર્ય સચરાચરને ઉગાર્યાં એ વાતની સ્મૃતિ થયા વિના રહેતી નથી. અહીં, બારે મેઘ ખાંડા થઈને ધરતીને જળતરબોળ કરી નાંખવા નીકળ્યા હોય એ દૃશ્ય સર્જકે કલમના એકાદ-બે લસરકામાં જ આબાદ ઉપસાવ્યું છે. વરસાદનું જોર જોઈને તો એમ જ લાગે કે પલકવારમાં આભ અને ધરતી જળબંબાકાર થઈ એક થઈ જશે. બંને બંધમાં કવયિત્રીએ ‘પલક’ શબ્દપ્રયોગ કર્યો છે. સમયના નાનામાં નાના એકમની સામે સમગ્ર સૃષ્ટિને અડોઅડ મૂકવાનો આ વિરોધાભાસ વામનના પગલાં જેવો અસરદાર પ્રતીત થાય છે.

વળી, બે અંતરા વચ્ચે વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ ચૂકવા જેવું નથી. પ્રથમ અંતરામાં જાળ ગૂંથાઈ રહી/ચૂકી છે અને વરસાદ ફર-ફર ફર-ફર ફોરાં થઈને વરસે છે, જ્યારે બીજા બંધમાં માછીમાર માછલીને ફાંસવા જાળ ફંગોળી ફેલાવીને નાંખે છે. એટલે વરસાદની ગતિ પણ અચાનક વધી જાય છે. ફોરાં ત્રમઝૂટમાં પરિણમે છે. સરવાળે, ધરાનું મત્સ્ય તો જળની જાળમાં ફસાતાં ફસાશે, આપણે અવશ્ય આ વરસાદમાં બંધાઈ જઈએ છીએ. એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… વધુ પિષ્ટપેષણ કરવા કરતાં એને એમ જ વરસવા દેવું પડે. છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

અને અંતે એમની એક વરસાદી ગઝલ સાથે સમાપન કરીએ. આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. જુઓ:

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

ગ્લૉબલ કવિતા: ૨૧૯: મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich


મને યાદ છે જ્યારે

મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા
દરરોજ તેઓ એનું શિખર થોડું વધુ
કાપતા જેથી અમને અમારું અનાજ ઉગાડવા માટે
થોડો વધુ સૂર્યપ્રકાશ મળે, અને જ્યારે તેઓએ
શિખર પૂરતું કાપી નાંખ્યું જેથી કરીને ભરઉનાળે અમને
સૂર્ય એક વધારાની મિનિટ માટે મળી શકે, જે
સ્વાભાવિકપણે, અતિશયોક્તિ જ છે, ત્યારે
એમને લાગ્યું કે તેઓએ કશુંક નક્કર કરી બતાવ્યું છે, અને અમને
સૂર્યને તિરાડમાં ઢળતો અને
અદૃશ્ય થતો જોવા બોલાવ્યા.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ વરસમાં એક દિવસ વધારાનો
મેળવવા માટે એમણે એ જ ખાડો ખોદવાનું ચાલું રાખ્યું.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ વધારાનો મળશે,
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવાની તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો જ ખાડો હતો, એમનો જ પ્રકાશ હતો; લોકો નસીબદાર હતા
કે તેઓ એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

-જ્યારે ખોદતાં ખોદતાં એક ઝરણું ફૂટ્યું અને પાણી ધસી આવ્યું,
એક ધોધ બનીને, જેણે ખીણ અને શહેરને લગભગ ડૂબાડી જ દીધા,
એક સુંદર તળાવ સર્જાયું- ઊંડું,
શીતળ, અને બીજે ક્યાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓ જેઓ એમના પર્વત પર
જંગલી જીવન ગાળતાં હતાં, હર્ષોલ્લાસ કરવા લાગ્યાં અને
વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બન્યાં. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ.: વિવેક મનહર ટેલર)

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

સુપરમેન કયા બાળકને ન ગમે? ફિલ્મો અને કૉમિક્સનો સુપરમેન તો બાળકોને થોડો મોડેથી મળે, પણ એક સુપરમેન તો એમની જિંદગીમાં એમનો જન્મ થાય ત્યારથી સાથેને સાથે જ હોય છે. કોણ? તો કે પપ્પા! દુનિયામાં કોઈપણ બાળક માટે પહેલો સુપરમેન પપ્પા જ હોવાના. સાવ સૂકલકડી કેમ ન હોય, પણ બાળક માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોય. મૂછ કે સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી પપ્પાના પેંગડામાં પગ ઘાલવાની દીકરાની મથામણ કાયમ જ રહેવાની. દુનિયામાં ભાગ્યે જ કોઈ દીકરો ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ કહ્યા વિના મોટો થયો હશે. અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એટલે દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું બાપનું ચિત્ર! જોઈએ…

માઇકલ હેટિચ. જન્મ ૧૯૫૩માં બ્રુકલિન, ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો. ઢગલાબંધ પુરસ્કારોથી નવાજીત. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં અવારનવાર ઉપસ્થિતિ. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર છતાં પૂર્ણતયા આધારભૂત છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કવિતાનું શીર્ષક ‘મને યાદ છે જ્યારે’ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે. શીર્ષક અને શીર્ષસ્થ પંક્તિ માત્ર એક નથી, એકાકાર છે. શીર્ષકથી જ કાવ્યારંભ થઈ જાય છે. આશ્ચર્ય થાય પણ ખ્યાલ આવે છે કે કવિતા બાળકની સ્વગતોક્તિ હોવાથી શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય! કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં ભાવ અને વિચારના કૂદકાઓ પણ જોવા મળે છે. હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે છંદોલયનાં બંધન ફગાવી દીધાં છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર બંધમાં વહેંચાયેલી આ કવિતામાં દરેક બંધમાં પંક્તિસંખ્યા તથા લંબાઈ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કાવ્યરીતિ આત્મકથનાત્મક છે પણ કવિની આત્મકથા હોય એ જરૂરી નથી. પ્રથમપુરુષ એકવચન સ્વરૂપે આપણી મુખામુખ થતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા. આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. આત્મકથનાત્મક કવિતાનો કથક કવિ પોતે હોય, અથવા એ કવિએ પહેરેલું મહોરું પણ હોય અથવા કવિએ કોઈનામાં પરકાયાપ્રવેશ પણ કર્યો હોઈ શકે. સેફો, એમિલી ડિકિન્સન, પરવીન શાકિર, મીનાકુમારી જેવા અનેક કવિઓની કવિતામાં આવતા ‘આઇ’ તેઓ પોતે જ હતા. પણ કવિતામાં કવિને કે કવિની જિંદગી શોધવાને બદલે કવિતા શોધવી જ વધુ હિતકારી છે. આપણે પણ એ જ કરીએ.

‘મને યાદ છે જ્યારે/મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા’થી કાવ્યારંભ થાય છે. કવિતાની ગાડી નિયત પાટા પર ચાલતી હોવાનું અનુભવાય એ પહેલાં તો કવિ ‘દરરોજ તેઓ એનું શિખર વધુને વધુ કાપતા’ કહીને એને ‘ડિરેલ’ કરી નાંખે છે. પ્રારંભે જ આપણો ભેટો અવાસ્તવ સાથે થાય છે. પણ વાત અહીં અટકતી નથી. કવિ કહે છે, કે એમના પિતા રોજ પર્વતનું શિખર થોડું વધારે એટલા માટે કાપતા હતા કે જેથી કરીને અનાજ ઊગાડવા માટે થોડો વધુ સૂર્યપ્રકાશ મળે. ધત્ તેરી કી તો! ભીંતમાં ભોડું ભટકાડવાનું મન થાય છે ને! હવે તો ફરજિયાત આખી કવિતા વાંચવી જ રહી…

પણ આ અતિશયોક્તિ એક દીકરાની પોતાના બાપ માટેની સ્વગતોક્તિ હોવાથી અવાસ્તવિક લાગતી નથી. કહ્યું છે ને, બાપના કપાળે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલ કપડાં પહેરી શકો છો… પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી… આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે… રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદા સદૈવ આપણા સ્મરણમાં રમે છે પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુનાને ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ આવતું નથી કેમકે બાપ આ કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં માત્ર મા જ નહીં, પિતા પણ પ્રાણ ત્યાગે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ નિરાંતવા મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

બહુ ભારી થઈ ગયું, નહીં? પણ હકીકત છે કે માની સરખામણીએ પિતાના ગુણગાન ગવાયા જ નથી. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. ખરેખર બાની સરખામણીમાં બાપાને પા ભાગનું માન પણ ભાગ્યે જ મળ્યું છે. પણ પપ્પાનું ટી-શર્ટ બંધબેસતું આવે એ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોય છે. આપણો કથક પણ આવો જ એક દીકરો છે. એ પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને કુટુંબીજનોને સૂર્ય થોડા વધુ સમય માટે મળે. રોજેરોજના પુરુષાર્થ બાદ એક દિવસ એવો સૂર્ય પણ ઊગે છે જ્યારે પિતાને લાગે છે કે પોતે શિખર પૂરતી માત્રામાં કાપી શક્યા છે અને આ કારણોસર એના પરિવારને ઉનાળામાં, જ્યારે દિવસ આમેય લાંબો જ હોય, એક મિનિટ જેટલા સમય માટે વધુ સૂર્યપ્રકાશ મળી શકશે, ત્યારે એ સહુને પોતાનું મહાકાર્ય જોવાને આમંત્રે છે. ગામ અને અસ્તાચળ વચ્ચેથી પર્વતના શિખરનો એટલો ભાગ દૂર કરી દેવાયો છે કે સૂર્યપ્રકાશ ગામ ઉપર નિયત કરતાં એક મિનિટ વધુ પડે.

હેટિચને જાણકારી હતી કે કેમ એ તો ખબર નથી, પણ આપણને ‘માઉન્ટન મેન’ દશરથ માંઝી યાદ આવ્યા વિના કેમ રહે? ૧૯૫૯ની સાલમાં લાંબા અંતરના લીધે સારવાર મેળવવામાં થયેલ વિલંબના પરિણામે દશરથે પત્નીને ગુમાવવી પડી. પરિનામે વઝીરગંજ અને પોતાના ગામની વચ્ચેની પહાડીને કાપીને રસ્તો બનાવવા એણે કમર કસી. માત્ર છીણી-હથોડી લઈને ગામે આપેલ પાગલકરાર સાથે બાવીસ-બાવીસ વર્ષના અથાક પુરુષાર્થના અંતે ટેકરીને કાપીને એણે પચ્ચીસ ફૂટ ઊંડો, ત્રીસ ફૂટ પહોળો અને સાડી ત્રણસો ફૂટ લાંબો રસ્તો એકલા હાથે કંડારી નાંખ્યો. એના ગામથી વઝીરગંજ વચ્ચેનું પંચાવન કિલોમીટરનું અંતર ઘટીને માત્ર પંદર કિલોમીટર થઈ ગયું. ન માત્ર એને પદ્મશ્રીથી નવાજાયો, ટપાલખાતાએ ટિકિટ પણ બહાર પાડી. ૨૦૧૫માં કેતન મહેતાએ માંઝી નામે ફિલ્મ પણ બનાવી.

એક મિનિટ જેટલા વધારાના સૂર્યપ્રકાશ માટે પર્વત કાપવાની વાત અતિશયોક્તિ લાગે. કથક પોતે સ્વીકારે પણ છે કે. આ વાત સ્વાભાવિકપણે અતિશયોક્તિ જ છે. પણ કવિતા અટકતી નથી. બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. સૂર્ય ભલે ઉત્તરાયણ કે દક્ષિણાયણ કરે પણ એક દિવસમાં કંઈ સ્થાન બદલાઈ ન જાય. અહીં તો આખી કવિતા જ અસંભવના ખભે ઊભેલી છે એટલે બીજા દિવસે સૂર્ય એના સ્થાનેથી હટી ગયો હતો. પણ પિતાજી મહેનત ત્યાંને ત્યાં જ ચાલુ રાખે છે. બુંદની સફળતા સાગર તરફ દોરી જાય છે. વધારાની એક મિનિટ મળતાં પુરુષાર્થ વધારાનો દિવસ મેળવવા તરફ ગતિ કરે છે. પિતા સંતાનને આશા બંધાવે છે કે પર્વત બે ભાગમાં કપાઈ જશે તો પહેલા કદી નહોતા એવા લાંબા કલાકોવાળો એક આખો દિવસ વધારાનો મળશે.

શહેરના લોકો પણ એમને “પિતા” જ કહેતા. પિતા શબ્દ અવતરણચિહ્નમાં મૂકાયો છે. કદાચ આ બાબત પણ બાળકની સ્વપ્નસૃષ્ટિની જ નીપજ હોય. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ એમાં કશું અસ્વાભાવિક નથી. પિતા મદદ લેવાની ના કહે છે, કેમકે આ એમનો, માત્ર એમનો જ ખાડો હતો. આ પ્રકાશ પણ એમના એકલાના ઉદ્યમનો જ પરિપાક હતો. પણ તેઓ ગામ આખામાં ગમતાનો ગુલાલ કરવા તૈયાર છે એય બાળકને અનુભવાતું પિતાસહજ યથોચિત ઔદાર્ય જ ને!

વધારાના સૂર્યપ્રકાશની અડખેપડખે કવિ હવે રાતને આણે છે. ખોદાયું તો માત્ર પર્વતનું શિખર જ છે. પણ ઢંકાઈ રહેલ આકાશ ઊઘાડું થતાં રાત્રે નવા તારાઓ પણ દેખાય છે. ખોદકામથી નવું ઝરણું ફૂટ્યું. શેનું? આશાનું?! ધસમસ પાણીએ ધોધ બનીને ગામ અને ખીણને લગભગ ડૂબાડી જ દીધાં. છેવટે પાણી ઠરીઠામ થતાં સુંદર, ઊંડું, શીતળ તળાવ સર્જાયું, જે બીજે ક્યાંય જોવા ન મળે એવી અલૌકિક માછલીઓથી ભરપૂર હતું. દીકરાની નજરે બાપની મહેનત કેવો રંગ લાવી રહી છે એ જુઓ! એક મિનિટ, એક દિવસ, લાંબા કલાકો, નવા તારા, નવું ઝરણું, ધોધ, તળાવ અને અસાધારણ માછલીઓ- બાપ નામનો ચમત્કાર શું નથી કરી બતાવતો! પશ્ચિમી પર્વત અહીં ‘એનો’ (પપ્પાનો) પર્વત બની જાય છે! પર્વત પર જે પ્રાણીઓ જંગલી જીવન ગાળતાં હતાં એ બધાં આ નવપલ્લવિત સૃષ્ટિ જોઈ હર્ષોલ્લાસ કરવા માંડ્યાં. વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બની ગયાં. ‘મને યાદ છે જ્યારે’થી શરૂ થયેલી સ્મરણગાથા વર્તમાનમાં આવીને વિરમે છે. પ્રાણીઓના ભૂતકાળના હર્ષોલ્લાસ સાથે કથક, પરિવારજનો અને ગ્રામ્યજનો –સહુ આજેય હર્ષોલ્લાસ કરતાં જોડાય છે. પપ્પાએ કરેલો ચમત્કાર શાશ્વત બન્યો છે.

કવિતા બે સ્તરે વિહરે છે. એક, મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. અન્યાર્થ ન શોધીએ તોય કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. ખરી કવિતા ઘણીવાર બે શબ્દો કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં હોય છે અને ભાવક જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. પરીકથાની સપાટીની નીચે, બીજા સ્તરે, બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ છે ખરી કવિતા. ઉપલક સ્તરે જે પરીકથા છે એની કમાલ એ છે કે પરીકથા હોવાની ખબર હોવા છતાં આપણને વાસ્તવિક લાગે છે. અતિશયોક્તિ હોવાનું સ્વીકાર્યું હોવા છતાંય યથાર્થ લાગે છે. આ જ સર્જકનો જાદુ છે. અને આ બધું એટલા માટે સાચું લાગે છે કે આપણે સહુ આવા માઉન્ટન મેન-સુપરમેનની છત્રછાયામાં જ મોટા થયાં છીએ. પિતા માટેની આપણી યથેચ્છ કલ્પનામાં યથોચિત રંગ ભરાતાં હોવાથી રચના દિલની વધુ નજીક, વધુ પોતિકી લાગે છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતા સુધી પહોંચે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ આવેશપૂર્ણ રીતે, વધુ હર્ષોલ્લાસ કરે છે!

ગ્લૉબલ કવિતા : ૨૧૮ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’n I’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

મકાનમાલિકનું ગીત

મકાનમાલિક, મકાનમાલિક,
છાપરું મારું ગળતું છે જો.
ઓલ્લા દા’ડે જ કઇલું’તું ને?
એટલું બી તું ભૂલી જ્યો?

મકાનમાલિક, મકાનમાલિક,
પગથિયાં બી તો જો, તૂટલું સે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ચડીને ઉપર આઇવો તિયારે.

હું કીધું, દહ રૂપિયા મારે આલવાના સે?
હું કે’ય, બાકી બોલે અજુન બી દહ રૂપિયા?
અંહ, દહ રૂપિયા ફાલતુના છે તો બી આલીશ,
ઘર તો જો તું, હાજું-હરખું કરાવ પેલ્લા.

હું કે’ય? ઘર ખાલી કરવાનો ઓડર લાવહે?
બાકી રે’ય તે લાઇટ બી કાપી કાઢહે કે હું?
બિસરા-પોટલાં બી લઈ લેહે
ને હેરીમાં ફેંકહે કે હું?

ચલ ફૂટ! ખાલીપીલી ફિશિયારી તો ની માર.
બોલ, બોલ – બદ્ધું ઓકી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
એક જ ફેંટ ઉંવે આલીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો આ માણસને પકડો !
એ કરશે સરકારને બરબાદ,
અને મુલ્કમાં દાખડો!

પોલીસની સીટી!
રોનની ઘંટડી!!
ધરપકડ.

પ્રાંતીય થાણું.
કાળ કોટડી.
છાપાંઓએ બાંધ્યાં મથાળાં:

મકાનમાલિકને ભાડૂતે આપી ધમકી.
ભાડૂતને ના મળી જમાનત.
જજે કીધો હબસીને ત્રણ મહિનાનો દંડ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

રંગભેદ – વો સુબહ કભી ભી આયેગી?

૧૭-૦૭-૨૦૧૪ના દિવસે એરિક ગાર્નર નામક અશ્વેતને એક ગોરા પોલિસ અફસરે જમીનસરસો દબાવી દીધો. અગિયારવાર ‘હું શ્વાસ નથી લઈ શકતો’ બોલ્યા પછી એણે ખરેખર શ્વાસ છોડી દીધા. છ વરસ બાદ ૨૫-૦૫-૨૦૨૦ના રોજ વધુ એક અશ્વેત, જ્યૉર્જ ફ્લૉઇડની ગરદન પર બીજો એક ગોરો અફસર ઘૂંટણ દબાવીને બેસી ગયો. શ્વાસ નથી લઈ શકાતો એમ બોલતાં-બોલતાં જ્યૉર્જે પણ શ્વાસ મૂક્યા. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. તોફાનો, વિરોધો, ચળવળો, સરઘસો આગની જેમ ફરી વળ્યા. પણ આ બે ઘટનાઓ પહેલાં, વચ્ચે અને પછી, અમેરિકા તો ઠીક, દુનિયામાં ક્યાંય રંગભેદની માત્રામાં ખાસ ફરક પડ્યો નથી. મનુષ્યજાતિના શરીરે ફૂટી નીકળેલું સૌથી ગંધાતું સર્વકાલીન ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજેય એનો સંપૂર્ણ ઈલાજ કરી શકાયો નથી એ આપણી કમનસીબી. રંગભેદી માનસિકતા વિશે લોહી થીજી જાય એવી કવિતા લઈને આવ્યા છે લેન્ગ્સ્ટન હ્યુસ.

આખું નામ જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ. (હ્યુજીસ નહીં, હં!) ૦૧-૦૨-૧૯૦૨ના રોજ જોપ્લિન, મિસૌરી (અમેરિકા) ખાતે જન્મ. જન્મ પછી તરત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે વધી. ચોવીસ વર્ષની ઊંમરે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે તેઓ ‘એસેક્સ્યુઅલ’ હતા. પ્રોસ્ટેટના કેન્સરની સર્જરીના કૉમ્પ્લિકેશનના કારણે પ્રમાણમાં નાની વયે ૨૨-૦૫-૧૯૬૭ના રોજ ન્યૂયૉર્ક ખાતે નિધન.

મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર. અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે. વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં હાર્લેમ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. ત્યાં શરૂ થયેલ ‘Harlem Renaissance’ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદનીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો, હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ ત્યારબાદની કળાઓનો પાયો બની રહ્યો. અખબારોએ હ્યુસ વિશે ખૂબ જ ઘસાતું પણ લખ્યું પરંતુ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી તો એમ લાગે કે ગીત મકાનમાલિકનું છે, પણ આ ગીત વાસ્તવમાં ભાડૂઆતનું છે. મતલબ શીર્ષકથી જ કટાક્ષ શરૂ થઈ જાય છે. અંગ્રેજી સાહિત્યમાં બૅલડ યાને કથાકાવ્યમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. કોઈ એક ઘટનાને કેન્દ્રસ્થ રાખીને બૅલડ વર્ણનાત્મક સ્વરૂપે લખાતું. કાવ્યસ્વરૂપ જોઈએ તો ચાર-ચાર લીટીના અંતરા, અ-બ-ક-બ પ્રાસનિયોજન. છંદ જોઈએ તો એકી કડીમાં આયમ્બિક ટેટ્રામીટર અને બેકી કડીમાં ટ્રાઇમીટર. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર ‘બ્લ્યુઝ’ જેવું છે, જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબ પ્રાસપ્રયોજન છે પણ છંદની વાત કરીએ તો આયૅમ્બસ (ચરણસંખ્યા) વધઘટ થયે રાખે છે. છઠ્ઠો બંધ ઇટાલિક ટાઇપમાં છે, એ વક્તા અને કવિતાના સૂરમાં પરિવર્તન પણ સૂચવે છે. પછીની ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની જોડાજોડ છંદ અને પ્રાસ બંને ખોરવાયેલ નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા -ઉભયની સૂચક છે. ગુજરાતીમાં આવી વ્યવસ્થા ન હોવાથી આધિપત્યનો સૂર જાળવી ગાઢા ટાઇપ વાપર્યા છે.

અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ અંત આવ્યો, એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિએ આ કવિતા લખી. જે કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી આપણને અવગત કરાવે છે. આ કવિતા લખાઈ એ પછી તો બીજા ૮૦થીય વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં? કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણને માત્ર ગરીબી-અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને હોવાનું અનુભવાય છે, પણ અંતિમ પંક્તિમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. ‘નીચલા’ વર્ગની શેરીઓમાં બોલાતી વ્યાકરણના નિયમોથી ઉફરી અનૌપચારિક, અભદ્ર ભાષા માત્ર અભણ ભાડૂતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં અલગ જ પ્રાણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં મકાનમાલિક -ભદ્ર વર્ગ ઉપસ્થિત થતામાં કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂઆત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. આગલા અઠવાડિયે જ ભાડૂતે ઘરનું છાપરું ગળતું હોવા બાબત માલિકને ફરિયાદ કરી છે પણ મકાનમાલિકે નથી કોઈ કાર્યવાહી કરી કે નથી ફરિયાદ યાદ રાખી. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે ચડતી વખતે ઘરધણી પડ્યો નહીં એની ભાડૂતને નવાઈ લાગે છે. ‘પગથિયાં’ બહુવચન અને ‘ગઈલું’ એકવચનની કૉકટેલ ગરીબ ભાડૂતની નિરક્ષરતા અથવા અલ્પ-સાક્ષરતાની સાહેદી પૂરાવે છે. જે પગથિયાં ચડતાં ભાડૂત ઘરધણીના પડી જવાનું જોખમ અનુભવે છે, એના પરથી એણે અને એના પરિવારજનોએ તો દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની રહે છે. યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. વિડંબણા તો એ છે કે ગળતાં છાપરાંની ફરિયાદ કરનાર ભાડૂતે તૂટેલાં પગથિયાંઓનો તો સ્વીકાર જ કરી લીધો છે. પાયાની તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી બેદરકારી ભાડૂઆત કરતાં વધારે આપણને દુઃસહ્ય લાગે છે. કંગાળ લોકો તકલીફોને જીવનનો ભાગ ગણી એનાથી હેવાયાં થઈ જતાં હોય છે.

પણ ધનકુબેરો? એ તો દસ રૂપિયા પણ જતાં કરવા તૈયાર નથી. ૧૯૪૦માં આ રચના લખાઈ ત્યારે દસ રૂપિયા (ડૉલર)ની કિંમત નાંખી દેવા જેવી નહોતી, પણ અહીં વાત કિંમત કરતાં નિયતની વધારે છે. મકાનમાલિક એના બકાયાની ઉઘરાણી કરે છે. ભાડૂતના હિસાબે આ કોઈ રકમ બાકી નથી. એના માટે આ ફાલતૂ માંગણી છે. ચાર પંક્તિમાં ત્રણ વાર દસ રૂપિયાનો થતો ઉલ્લેખ માણસ અને મટિરિઆલિઝમને અડખેપડખે મૂકી આપે છે. આ તકાદો ભાડૂઆત માટે તો દુકાળમાં અધિકમાસ જેવો છે. માલિક હરામના દસ રૂપિયા જતાં કરવા તૈયાર નથી પણ જો ઘરનું સમારકામ થાય તો ભાડૂત એ ચૂકવવા પણ તૈયાર છે. તવંગર અને દરિદ્ર માણસની નિયતનો તફાવત કેવો સાફ દેખાય છે!

પણ ઘર સમું કરાવવાના બદલે ઘરધણી ધણીપણું દાખવે છે. સામાની અગવડો સામે આંખ આડા કાન કરે છે, ઉપરથી તકાજો કરે છે અને આટલું ઓછું પડતું હોય એમ, જન્મસિદ્ધ અધિકાર ગણીને ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, અને ઘરવખરી ઊંચકીને શેરીમાં ફેંકી દેવાની –એમ ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે. ઘરધણી શું બોલ્યો હશે એનો અંદાજ હજી સુધી આપણે ભાડૂત એને શું જવાબ અપે છે એના પરથી જ સમજવાનું રહે છે. માલિકને ખાલીપીલી ફિશિયારી મારતો, મોટીમોટી વાતો કરતો સંભળીને કિરાયાદારની ધીરજ છૂટે છે. તકલીફોના કારણે એ આમેય ગિન્નાયેલ તો હતો જ, એમાં માલિકની ઉઘરાણી અને ધમકીઓએ બળતામાં તેલ રેડવાનું કામ કર્યું. ભાડૂતની કમાન છટકી હોવા છતાંય પહેલાં તો એ માલિકને એની ભૂલ તરફ નિર્દેશ જ કરે છે. એ પછી હજી કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો એય કહી દેવાનું ઈજન આપે છે. નાના માણસની આ સાલસતા. માલિક ગુસ્સે થાય છે તો ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે, કિરાયાદાર ગુસ્સે થાય છે તો માલિકને એનું ભીતર ખાલી કરવાની તક આપે છે. આગળ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી ઉમેરે છે. ‘ખંડેરની ભસ્મકણી ન લાધશે’ (ઉ.જો.) યાદ આવે. કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, પંક્તિઓ નાની અને ઝડપી બને છે, બૅલડની પ્રાસરચના ભાંગી પડે છે. કાવ્યસ્વરૂપ પરિસ્થિતિની અંધાધૂંધીને અનુવર્તે છે.

પોતે કરે તે લીલા, બીજા કરે તે છિનાળુંના ન્યાયે ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. કવિતામાં પોલિસનો અવાજ ફક્ત સીટી અને રૉનની ઘંટડી પૂરતો જ છે. પોલિસની હૃદયહીનતા અને વિચારહીનતા એનાથી યથાર્થ તાદૃશ થાય છે. દીનજનોના કિસ્સામાં પોલિસની કામગીરી કેટલી ઝડપી રહે છે એ પણ અહીં સમજાય છે. કવિએ કાવ્યસ્વરૂપનો કેવો સમુચિત વિનિમય કર્યો છે! આ જ તો સાચી કાવ્યકળા છે! છાપાંય ઓછાં નથી. એ પણ રાઈનો પર્વત કરે છે. હેડ-લાઇન્સ બનાવે છે. અહીં કેપિટલ લેટર્સ વાપરીને કવિએ ઑથોરિટીને ચાક્ષુષ કરી બતાવી છે. ભાડૂતની લાંબીલચ ફરિયાદો અને નજરિયા સામે ઘરમાલિક, કાનૂન, અખબાર અને એ નાતે સમાજના દૃષ્ટિકોણ નગણ્ય શબ્દોમાં પણ વધુ ધારદાર રીતે રજૂ કરીને કવિએ કાવ્ય પણ સાધ્યું છે. એક નિર્ધનનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળવા માંડતી ડરપોક અને પૂર્વગ્રહયુક્ત સિસ્ટમ કીડા-મંકોડા જેવી હેસિયત ધરાવતા ગરીબને ત્રણ-ત્રણ મહિનાનો કારાવાસ આપે છે. છે…ક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે અકિંચન ભાડૂત ‘હબસી’ છે અને માલિક ગોરો.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્રનો અને છઠ્ઠો પ્રવર્તમાન સમાજનો પણ સંભળાય છે. જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. માથું ઊંચકી લીધું હોય, ભાડૂતે સાચેસાચ હાથ ઉપાડી લીધો હોત તો શું થાય એની તો કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી. પાઈ જેવડી વાત માટે રૂપિયા જેવડી સજા એ જમાનામાં છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં પણ શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ સાચી વાત. પણ માનવજાતને પ્રેમ શીખવામાં કદાચ કદી રસ પડ્યો નથી. આખો ઇતિહાસ વંશવિગ્રહો, અને રંગવિગ્રહોથી ખરડાયેલો પડ્યો છે. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ –રામરાજ્યનું સ્વપ્ન! રામરાજ્ય તો રામનેય નસીબ નહોતું થયું. જોએલ એફ. કહી ગયા, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ગોરાને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

ગ્લૉબલ કવિતા : ૨૧૭ : રાત પડી ગઈ – દાદુદાન ગઢવી

રાત પડી ગઈ

પ્રીતની ઘેલી હાય બિચારી,
સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી

કાળા અક્ષરોમાંથી સર્જાતી અવર્ણનીય રંગછટા

કળા કમાલની વસ્તુ છે. કોઈ પરિમાણ કે સાધન એને બાંધી શકતા નથી. પાણી જેમ એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમામ અવરોધોને અવગણીને નિસરી જાય એમ જ કળા એક પરિમાણ કે એક સાધનમાંથી બીજામાં ક્યારે પહોંચી જાય એનો અંદાજો બાંધવો અશકય છે. નહીં ખ્યાલ આવ્યો? ચાલો, થોડી માંડીને વાત કરીએ. કવિતા લખાય તો કાગળ પર પણ જ્યારે એ સંગીતનો અંચળો ઓઢી લે ત્યારે સાંભળનાર કવિતા સાંભળે છે કે સંગીત કે બંને એ સાફ નક્કીય ન કરી શકાય એ હદે શબ્દ, સૂર અને ધ્વનિ એકબીજામાં ઓગળી જાય છે. ક્યારેક કવિતા શબ્દોની સીમા વળોટીને દૃશ્યાંતરણ પામે છે. કાગળ પરના શબ્દો ક્યારે હવામાં ઓગળી ગયા અને એક સુવાંગ સંપૂર્ણ ચિત્ર ચાક્ષુષ થઈ ગયું એ કળવું અસંભવ થઈ જાય એ રીતે કળા ઇન્દ્રિયવ્યુત્ક્રમ સાધી શકે છે. તો ક્યારેક કૅન્વાસ ઉપર રંગ અને પીંછીથી બનેલું ચિત્ર કૅન્વાસ-રંગ અને પીંછીના વસ્ત્રો ત્યાગીને જીવંત કાવ્ય બનીને પ્રેક્ષકના ચિત્તતંત્ર ઉપર ટકોરા દેવા લાગે છે. હકીકતમાં કળા અપરિમાણેય છે. એના નિર્માણ માટે કાગળ, કલમ, રંગ, વાદ્યો વગેરે ઉપાદાન અનિવાર્ય કેમ ન હોય, સર્જન થયાની ક્ષણે જ કળા આ તમામ ઉપાદાનોથી સ્વતંત્ર થઈ જાય છે. કળા ઇન્દ્રિયગમ્ય ખરી, પણ એથીય વધુ તો એ મનોગમ્ય છે, કેમકે ઇન્દ્રિયવ્યતિક્રમણ કળામાત્રનો સહજ ગુણધર્મ છે. કાવ્ય-સંગીત-નૃત્ય-સ્થાપત્ય-ચિત્ર આ તમામ કળાઓ પાસે એને રજૂ કરતા સ્થૂળ પરિમાણો સિવાય એક universal language હોય છે, જે થકી એ ભોજ્ય સાથે તાદાત્મ્ય સાધે છે. ચલો તો, કવિ દાદની એક કવિતાનો સાક્ષાત્કાર કરીએ અને નક્કી કરીએ કે આ કવિતા વધારે છે કે ચિત્ર વધારે છે કે બંને?

કવિ દાદ. આખું નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી). ૧૧-૦૯-૧૯૪૦ના રોજ વેરાવળમાં ઈશ્વરીયા ગામે જન્મ. ભણતર સામાન્ય પણ ગણતર અસામાન્ય. પિતાજી જૂનાગઢના રાજકવિ. શિવશક્તિના આરાધક ચારણોને તો સરસ્વતી તાળવે બિરાજે. કવિ કાગની જેમ ચારણી પરંપરાને આગળ ધપાવનાર દાદને પણ મીઠા કંઠ અને લયબદ્ધ રજૂઆતની જન્મજાત બક્ષિશ સાંપડી હતી. લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખવામાં એમનો સિંહફાળો રહ્યો છે. પદ્મશ્રીથી નવાજાયા, એ જ વર્ષે કવિ ૨૬-૦૪-૨૧ના રોજ ક્ષરદેહ ત્યજી ગયા. એમના આઠેય કાવ્યોસંગ્રહ ‘ટેરવાં’ (સમગ્ર કવિતા)માં સમાવિષ્ટ છે.

હાથ કંગન કો આરસી ક્યા જેવું ‘રાત પડી ગઈ’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. સ્વરૂપની દૃષ્ટિએ એને ગઝલનુમા ગીત અને ગીતનુમા ગઝલ –એમ ઉભય સ્વરૂપજીવી કહી શકાય. ગીતમાં સામાન્યરીતે જોવા મળતી મુખડા-અંતરાની વ્યવસ્થા, ક્રોસલાઇનનો અભાવ તથા ગઝલની જેમ મત્લા સહિત પાંચ શેર, કાફિયા-રદીફની બાંધણી અને અષ્ટકલના હીંચકે ઝૂલતા છંદોલયના કારણે પ્રસ્તુત રચનાને ગીતનુમા ગઝલ ગણી શકાય પણ લોકસાહિત્યના પ્રાણવાયુ પર જીવતા કવિને ગઝલનું ખેંચાણ નહીં હોય એ વાત સહજ સમજી શકાય. હશે, ગીત ગણો કે ગઝલ, આપણને તો કવિતા સાથે કામ છે. ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે… પાંચ શેર જેવા પાંચ બંધમાં કવિએ એવું તો સઘન સંપૂર્ણ દૃશ્યચિત્ર ખડું કર્યું છે કે ઇમેજિઝમનું સ્મરણ થાય જ થાય.

એકલપંડે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધનાર એઝરા પાઉન્ડ કલ્પનવાદ (ઇમેજિઝમ)ના પ્રણેતા હતા. ૧૯૧૨માં સ્થાપેલ કલ્પનવાદનો ૧૯૧૭માં એમણે ઑફિશિયલ અંત જાહેર કર્યો પણ હકીકતે આ વાદ અજરામર છે. તાજાં અને મૂર્ત કલ્પનપ્રયોગ વડે ઓછામાં ઓછા શબ્દોની મદદથી કવિ પોતાની અનુભૂતિ કે સંવેદનનને યથાતથ રજૂ કરી ભાવક સમક્ષ સર્વાંગ ચિત્ર ઊભું કરે એ કલ્પનવાદ. જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની એ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક ઇમેજિઝમની કરોડરજ્જુ છે. કવિની દુર્નિવાર્ય સિસૃક્ષા અને અદમ્ય સર્ગશક્તિને કાગળ પર હૂબહૂ સાકાર કરવાનું કામ સ્વર્ગમાંથી ધરતી પર પટકાતી બેકાબૂ ગંગાને જટામાં બાંધી લેવા જેવું દોહ્યલું છે. કવિ દાદે આ કાર્ય બખૂબી કરી બતાવ્યું છે. જો કે કવિના અલ્પ ભણતર અને ચારણી ગણતરને જોતાં તેઓ કલ્પનવાદથી પરિચિત હોવાની શક્યતા તલભારેય જણાતી નથી. પણ પાઉન્ડની કાવ્યચળવળથી સ્વતંત્રપણે જે કલ્પનચિત્ર દાદે રચ્યું છે, એ સાચે જ દાદને કાબિલ છે.

દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે, સાંજ થાય અને આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. હવે કહો, દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું? હવે બીજું દૃશ્ય લઈએ. આ દૃશ્ય આપણા માટે જરા નવું છે. પતિ પાછળ દોડતાં ભીંત સાથે અથડાઈ જતી પત્નીને આપણે જવલ્લે જ જોઈ છે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી. પણ કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે.

સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે. રાત અને સૂરજના નસીબમાં આમ તો કદીય મુખામુખ થવાનું સૌભાગ્ય લખાયું નથી. એકની ઉપસ્થિતિ અન્યની અનુપસ્થિતિ સિવાય સંભવ જ નથી. પણ કવિ રાતને સૂરજના પ્રેમમાં પડેલી કલ્પે છે. અને પ્રેમમાં ઘેલાં થયાં હોય એના માટે દુનિયાના શબ્દકોશમાં બિચારા સિવાયનું વિશેષણ તો ક્યાંથી હોય?! સૂરજના પ્રેમમાં ઘેલી થયેલી બિચારી રાત સૂરજ પાછળ દોટ મૂકે છે પણ આ પ્રીતથી બેતમા, સાત ઘોડાથી સજ્જ રથમાં અનવરત મુસાફરી કરતો સૂરજ ઘડીભર પણ રોકાતો નથી. રાતના હૈયાના હાટમાં રીસ ચડી ગઈ છે, પણ સૂરજને વળી એની શી દરકાર? પૂર્વમાં સૂર્યોદય જ્યાંથી થતો દેખાય છે એ કાલ્પનિક પર્વતને, મેરુ પર્વતને આપણે ઉદયાચલ કે ઉદયગિરિ કહીએ છીએ. સૂર્ય પૂર્વમાં ઊગે એ ક્ષણે આગલી રાતનો અંત આવે છે પણ કવિ આ ક્ષણેથી જ રાતનો પ્રારંભ થતો જુએ છે. કવિ સમગ્ર સૃષ્ટિને આ સુહાગણના ઘર તરીકે જુએ છે. કહે છે, ઉદયાચળના ઓરડામાંથી પતિવિરહના દુઃખની મારી રાત દોડતી આવે છે અને આથમણી ભીંત સાથે અથડાઈ જાય છે. ઉદયાચળનો ઓરડો અને આથમણી ભીંત જેવા અદભુત રૂપક લોકસાહિત્યના કવિની રગોમાં દોડતી આધુનિકતાના દ્યોતક છે. પૂરપાટ દોડતી કોઈ વ્યક્તિ ભૂલમાં ભીંત સાથે અથડાઈ જાય અને જે એના હાલહવાલ થાય એ અહીંથી આગળની કવિતામાં કવિએ વર્ણવ્યા છે. રાત તો આમેય અંધારી એટલે એને આંધળી ગણવામાં કોઈ તર્કદોષ પણ જણાતો નથી. પળમાત્ર પણ ન રોકાતા સૂરજ પાછળ દુઃખના મારથી આંધળી બનેલી રાત હડી કાઢે છે અને પશ્ચિમના આકાશની ભીંતને જોવાનું ચૂકી જવાતાં એની સાથે ભટકાઈ જાય છે. પરિણામે સેંથામાં પૂરેલું સિંદૂર ખરી પડે છે અને રંગહીન પશ્ચિમી આકાશ અચાનક સિંદૂરી સાંજનો નવલો પરિવેશ પામે છે.

રાતના ગળામાં થોકબંધ હીરાનો હાર હતો એય આ અકસ્માતના પરિણામે તૂટ્યો અને હાર તૂટતાં જથ્થાબંધ હીરા તારા બનીને આભ આખામાં ચારેતરફ વેરાઈ ગયા. રાતના તારાખચિત આકાશ માટે કેવું પ્રબળ કલ્પન! સુંદરીના વેરાઈ ગયેલા શણગારનું વર્ણન આગળ વધે છે. રાત સૂરજ સાથે પરણી છે. સૂરજ ડૂબી ગયો એટલે સૌભાગ્યવતી રાત જાણે વિધવા થઈ ગઈ. આમ વિચારીએ તો ભીંત સાથે ટકરાવાની ઘટના અનાયાસ નહીં, સાયાસ બનેલી લાગે. સૌભાગ્યવતી સ્ત્રી પતિના જતાં ભીંત સાથે હાથ-માથાં પછાડી સૌભાગ્યચિહ્નોનો લોપ કરે એ ઘટના આપણા સમાજ માટે નવી નથી. સૌભાગ્યની ચૂડીના પણ ટુકડા થયા છે અને ચૂડીનો આ અડધો ટુકડો એટલે જ બીજનો ચન્દ્ર! પણ કલ્પનમાં કવિતા ચૂડીના અડધિયાને ચન્દ્ર કહેવામાં નહીં, રાતના આકાશમાં બીજની ઝીણી ભાત પડી ગઈ કહેવામાં છે. આકાશમાં ઝીણી ભાત સાથે પડી ગઈ જેવી રદીફનો આવો વિન્યાસ તો અચ્છાઅચ્છા ગઝલકાર પણ ન કરી શકે.

દુઃખિયારીના દખ છેવટે અંતરમાં ન સમાઈ શકતાં આંખોથી છલકાવા શરૂ થાય છે. અધરાતે નજરે ચડતી આકાશગંગા જાણે કે રાતસુંદરીના ચમકતાં આંસુઓની હારમાળા છે. અશ્રુપાતના કારણે આંખે આંજેલું કાજળ પણ રેલાયા વિના રહેતું નથી. મતલબ સાંજનું સ્થાન લઈ રહેલી રાત વધુને વધુ ગાઢી બની રહી છે. અંધારું વધુને વધુ ઘટ્ટ બની રહ્યું છે. પ્રકટ કાજળ અને અપ્રકટ આંસુ તો સ્નેહની મહામૂલી સોગાત હતાં, જે આંસુઓના પ્રકટ થવાની સાથે રહ્યાં-ન રહ્યાં બરાબર થઈ ગયાં. અહીં ફરી વાર મહામૂલી ભેટના અવમૂલ્યન માટે ‘પડી ગઈ’ ક્રિયાપદ સફળ કવિકર્મની સાહેદી પૂરાવે છે. જો કે રાત એનું વર્ચસ્વ સંપૂર્ણતયા જમાવી લે એ પહેલાં એક બીજી પણ ઘટના ઘટી છે. ભીંત સાથે ભાર્યાના અથડાવાના કારણે પગે ઠેસ પણ વાગી છે. ફળસ્વરૂપે પગે પહેરેલ ઝાંઝર પણ શાંત રહ્યાં નથી. હાર-ચૂડી-કાજળ-આંસુ સુધીના તમામ શણગાર જો પિયુમિલનની વિફળતાને તારસ્વરે લલકારતાં હોય તો નેપુર શીદ હોઠ સીવીને બેસી રહે? મંદિરોમાં-ઘરોમાં થતી સાંધ્યઆરતીએ થતા ઘંટારવ અને ઘંટડીઓના રણકાર દિશાઓને ભરી દે છે, જેને કવિ રાતના ઝાંઝરના ઝણકાર સ્વરૂપે નીરખે છે. રાત પોતાના હૈયામાં મનના મણીગર માટે જે મીઠી વાતો સંગોપીને દોડી હતી, એ વાતોય જાણે આ અકસ્માતના પરિણામે એના ચિત્તથી પડી ગઈ. મીઠી વાતનો આ મઘમઘાટ એટલે ધૂપસળીની ફોરમ. એક સ-રસ મજાનું ચિત્ર અહીં આવીને સંપૂર્ણ થાય છે. મૂર્તામૂર્ત પ્રતીકોના સમતુલિત સંયોજન વડે કવિ સાંજમાંથી રાત પડવાની ઘટનાનું all-encompassing ચિત્ર રજૂ કરે છે. માત્ર સાંજ-રાતના રંગોની બદલી અને ચાંદ-તારા-આકાશગંગની ઉપસ્થિતિથી આ ચિત્ર બનત તો ખરું પણ નક્કી અધૂરું અનુભવાત. પરંતુ સાંધ્ય-આરતી અને ધૂપસળીની મહેંકમાં રહેલ આપણા પૂજાસંસ્કારોને પણ કવિએ ઉચિત ઝીલી લીધાં છે. આમ, સાંસ્કૃતિક સંસ્કારો અને કૉસ્મિક ફેરફારોને અવિનાભાવે સાંકળી લેવાયા હોવાથી આપણને રાતના પડવાનું આ ચિત્ર સર્વાંગે સંપૂર્ણ થતું અનુભવાય છે.

અંતે, દાદની કલમે જ આલખાયેલું બીજું દૃશ્યચિત્ર પણ માણીએ. સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે. ચાલો, માણીએ:

શ્રાવણની સંધ્યા

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo