ગ્લૉબલ કવિતા: ૨૨૪ : મને જો ચાહે તો – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

Sonnet XIV

If thou must love me, let it be for nought
Except for love’s sake only. Do not say,
“I love her for her smile—her look—her way
Of speaking gently,—for a trick of thought
That falls in well with mine, and certes brought
A sense of pleasant ease on such a day”—
For these things in themselves, Belovèd, may
Be changed, or change for thee—and love, so wrought,
May be unwrought so. Neither love me for
Thine own dear pity’s wiping my cheeks dry:
A creature might forget to weep, who bore
Thy comfort long, and lose thy love thereby!
But love me for love’s sake, that evermore
Thou mayst love on, through love’s eternity.

– Elizabeth Barrett Browning

મને જો ચાહે તો

(શિખરિણી)
મને જો ચાહે તો પ્રીત જ પ્રીતનું કારણ હજો,
ન હો બીજો હેતુ લગરિક અને ના કહીશ આ:
“હું ચાહું છું એના સ્મિત, સિકલ, ભાવો સકળ, હા,
વળી એની બોલી મૃદુલ ગમતી ને ઉભયનો
મળે કેવો, જુઓ! મત ઉભયથી, સૂર્ય સુખનો!”-
પ્રિયે! આ ચીજોમાં ખુદ થઈ શકે ફેરબદલી,
નહીં તો એ તારે મન અલગ લાગેય પછીથી;
થતી જે આ રીતે, પ્રીત જઈ શકે એ જ ઢબથી.
દયા ખાઈને તો પ્રણય કદીયે ના કરીશ તું,
નિહાળી આંસુઓ હૃદય દ્રવવું સંભવિત છે,
અને ઉષ્મા પામ્યે રુદન ભૂલવું શક્ય જીવને.
થશે એવું તો શું પ્રીત જ નહિ ખોઈ દઈશ હું?

(અનુષ્ટુપ)
કારણ પ્રીતિનું પ્રીતિ*: એ સિવાય કશું નહીં.
પ્રેમ એમ પ્રિયે! હો તો પ્રીતિએ શાશ્વતી ગ્રહી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)
(*- પુણ્યસ્મરણ: કલાપી)

પ્રેમ ખાતર પ્રેમ

(હરિગીત)
તારે મને ચાહવી જ હો તો અન્ય કો’ કારણ નહીં,
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, એવું ના કહેતો કદી-
કે, “હું મરુ છું એના સ્મિત પર, રૂપ પર કુરબાન છું,
વાણી મૃદુ મન મોહતી, ને આપણા વિચારનું
અદભુત છે સામંજસ્ય, એ કારણ જો, આપણ ભાગ્યમાં
સુખનો સૂરજ ઊગશે નકી, કારણ આ મારી ચાહના.”-
– કારણ, પ્રિયે! આ સઘળું આપોઆપ બદલાઈ શકે,
ને કાલે બદલાયેલ એ લાગે તને, એ પણ બને.
જે પ્રેમ આ રીતે હો સંભવ, આ રીતે જઈ પણ શકે,
ચાહીશ નહિ ખાઈ દયા, આંસુઓ મારા જોઈને,
સહવાસની ઉષ્મા મળે તો અશ્રુ સૂકાઈ શકે,
સંભવ છે ખોઈ પણ શકું હું એમ તારા પ્રેમને.
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, અન્ય કારણથી નહીં
જેથી કરીને પ્રેમને થઈ શકશે હાંસિલ શાશ્વતી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી…

ઉષ્માસભર કાળજી એ સજીવમાત્રની આવશ્યકતા છે. કહે છે કે ફૂલ-છોડ-વનસ્પતિ પર પણ સ્પર્શ અને માવજતની અસર થાય છે અને આપણા વર્તનનો તેઓ સારો-નરસો બંને પ્રકારનો પડઘો પાડે છે. હા, આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ચુકી છે. મૂંગા પ્રાણી સાથે થોડા દિવસો વિતાવવામાં આવે તો આપણને એમની અને એમને પણ આપણી આદત પડી જાય છે. લાગણીના તંતુથી બંધાઈ જતાં વાર લાગતી નથી. છોડ-વૃક્ષ કે પશુ-પંખીની વાત બાજુએ મૂકો, નિર્જીવ વસ્તુ સાથે પણ આપણા દિલના તાર એવા જોડાઈ જતા હોય છે કે એ વસ્તુ ગુમાવીએ કે તૂટી જાય તો જીવ કાચી કળીએ કપાઈ જાય. પણ આ તમામ જોડકાંઓથી વધીને અને સર્વોપરી તો બે મનુષ્ય વચ્ચેનું જોડાણ જ. માનવી-માનવી વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત અને ઘનિષ્ઠ. કેમકે મનુષ્ય પાસે અભિવ્યક્તિ માટે હાવભાવથી વધીને ભાષાની સવલત પણ છે. આ ઉષ્માસભર કાળજી, માવજત, લાગણી કે સંબંધને આપણે પ્રેમનું નામ આપ્યું છે. પ્રેમ શબ્દ વળી સાવ છેતરામણો. જેમ ઈશ્વરનું અસ્તિત્વ શરૂથી જ શંકાસ્પદ, એમ જ પ્રેમનું પણ. બે મનુષ્ય વચ્ચેના ખેંચાણને આપણે પ્રેમનું નામ તો આપી દઈએ છીએ પણ સાચો પ્રેમ તો ભાગ્યે જ કોઈના નસીબમાં જોવા મળે છે. પ્રેમના નામે એકમેકની નજીક આવી ઉભય વચ્ચે સાયુજ્ય સ્થપાય, પરંતુ એને પ્રેમ કહી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે સાચા પ્રેમની આપણી વ્યાખ્યામાં હક, અપેક્ષા, માલિકીભાવ, સ્વાર્થ, શંકા, અહંકાર વગેરેનો સમાવેશ થતો જ નથી અને દુનિયામાં એવો તો એકેય સંબંધ જોવા જ નથી મળતો, જેમાં આમાંથી એક, એકાધિક કે તમામ પરિબળ સામેલ ન હોય! આજે જે કવિતા આપણે જોવાના છીએ તે કવિતામાં એલિઝાબેથ પણ આ મુદ્દાઓ અને સર્જાતી પળોજણથી પરિચિત હોવાના કારણે સાચા પ્રેમ તરફ જવાનો માર્ગ સૂચવે છે.

એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ. (જન્મ ૦૬-૦૩-૧૮૦૬, ઇંગ્લેન્ડમાં – મૃત્યુ ૨૯-૦૬-૧૮૬૧, ફ્લૉરેન્સ, ઈટલી ખાતે). ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડના વિક્ટોરિઅન યુગના રૉમેન્ટિસિઝમ ધારાના કવિઓમાં નોંધપાત્ર. રૉબર્ટ બ્રાઉનિંગના પત્ની પણ એમની ખ્યાતિ એમના પતિથી ખૂબ વધારે હતી. એમિલી ડિકિન્સન એમનાથી એટલા પ્રભાવિત હતાં કે પોતાના શયનકક્ષમાં એલિઝાબેથનો ફોટો ટાંગ્યો હતો. એક સ્ત્રી, એક વ્યક્તિ અને એક કવિ તરીકે તેઓ એમના જમાનાથી ખુબ આગળ હતાં. એમના માનવતાવાદી વિચારો અને ગુલામી-શોષણ સામેનો મક્કમ વિરોધ એમને એ જમાનાના સર્જકોથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન બક્ષે છે. દસ વર્ષની વયે તો શેક્સપિઅર સહિતનું અઢળક સાહિત્ય વાંચી કાઢ્યું. અગિયાર વર્ષની વયે તો ચાર ભાગમાં વહેચાયેલું મહાકાવ્ય પણ લખી નાખ્યું. ગ્રીક અને લેટિન સાહિત્યનો ઊંડો અભ્યાસ. બાળપણથી બીમારીગ્રસ્ત અને દર્દથી બચવા આજીવન અફીણનો સહારો લીધો. નાની વયે જ દુનિયા પણ ત્યાગી ગયાં. અરૉરા લૅ (Aurora Leigh) નામની નવ ભાગમાં વિસ્તરેલી પદ્ય નવલકથા એમની યશકલગીનું મોરપિચ્છ છે.

પ્રસ્તુત રચના કવયિત્રીએ ૧૮૪૫-૪૬ની સાલમાં લખેલા ચુમ્માળીસ પ્રેમ-વિષયક સૉનેટોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. સૉનેટ શૃંખલાની શરૂઆતમાં પ્રણયસંબંધની બાબતે એલિઝાબેથની અવઢવ, શંકા અને ડર બધું જ છંતું થાય છે. સૉનેટ આગળ વધતા જાય છે તેમ તેમ ચિંતા ઓગળતાં અને સંબંધ પર વિશ્વાસ દ્રઢ બનતો જતાં વધુને વધુ અંગત લાગણીઓનાં આલેખન થયેલ જોવા મળે છે. વિકસી રહેલ પ્રણય-સંબંધની આરસી જેવા આ સૉનેટ અંગતતમ હોવાથી એલિઝાબેથ એને પ્રગટ કરવાનાં મતનાં નહોતાં પણ ભવિષ્યના પતિ રોબર્ટે આ કામને શેક્સપિઅર પછીનાં પ્રથમ અને ઉત્તમ શૃંખલા-કાવ્યો હોવાનું કહી ૧૮૫૦માં પ્રગટ કરાવડાવ્યાં. અંગતતા જળવાઈ રહે એ હેતુથી સૉનેટો અનુવાદિત હોવાની છાપ ઊભી કરવા એમણે પુસ્તકનું નામ ‘સૉનેટ્સ ફ્રોમ પોર્ટુગિઝ’ રાખ્યું. રૉબર્ટ એલિઝાબેથને ‘માય લિટલ પોર્ટુગિઝ ‘ કહીને બોલાવતા હતા એ પણ કદાચ આ નામ રાખવાનું કારણ હોઈ શકે. પ્રસ્તુત સૉનેટ શૃંખલામાં ચૌદમું છે. અંગ્રેજીમાં પ્રમાણમાં કઠીન ગણાતી પેટ્રાર્કન શૈલીમાં લખાયેલ આ રચનામાં અષ્ટકમાં abba abba પ્રમાણે અને ષટકમાં cdcdcd મુજબ ચુસ્ત પ્રાસ છે, ફક્ત આખરી શબ્દ ઇટર્નિટીમાં જ eye-rhyme છે. અનુવાદમાં આઠમી પંક્તિના અપવાદ સિવાય abba cddc effe gg પ્રમાણે સ્વરાંત પ્રાસ જળવાયો છે. કાવ્યરીતિ ઉદ્ગારવાચક સંબોધન (અપૉસ્ટ્રફી) પ્રકારની છે, જેમાં કથક એકતરફી સંવાદશૈલીમાં પ્રિયજન સાથે વાતો કરે છે. પ્રિયજન શું જવાબ આપે છે, એ કાવ્યવિષય નથી.

આ સૉનેટ સાથે પરિચય કવિ કાન્તના ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સૉનેટથી થયો. લગભગ સો-સવાસો વર્ષ પૂર્વેના અનુવાદની ભાષા સાથે આજની પેઢી અનુસંધાન સાધી શકે કે કેમ એ પ્રશ્ન થયો, અને આજની ભાષામાં એનો અનુવાદ કરી શકાય કે કેમ એ શંકા સાથે કાન્તે વાપરેલા શિખરિણી છંદ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. કાન્ત જેવા મહાકવિની શબ્દાવલી કે ભાષાથી સાવ ઉફરા ચાલીને નવસર્જન કરવાનું કામ અઘરું તો હતું પણ કરી શકાયું. વળી, એક પ્રયોગ તરીકે આ જ સૉનેટનો હરિગીત જેવા માત્રામેળ છંદમાં પણ અનુવાદ કરી જોયો, કારણ કે મૂળ અંગ્રેજી છંદ આયમ્બિક પેન્ટામીટર માત્રામેળને જ મળતો આવે છે. અને આજની ભાષામાં સૉનેટ લખવું હોય તો માત્રામેળથી વધુ યોગ્ય કદાચ બીજો કોઈ છંદ જ નથી. એટલે બેમાંથી એક રદ કરવાને બદલે, એક પ્રયોગ તરીકે બંને અનુવાદ યથાવત્ રાખ્યા છે. બેમાંથી કયો સારો એ અને કાન્તના પેંગડામાં પગ ઘાલવાનું દુઃસાહસ સફળ થયું છે કે કેમ એ તો ભાવક જ નક્કી કરશે.

કવયિત્રી પ્રેમ બાબતે બહુ સ્પષ્ટ છે. કહે છે, મને પ્રેમ કરવો હોય તો પ્રેમ કરવા માટેનું કારણ કેવળ પ્રેમ જ હોય અને એ સિવાય બીજું કોઈ જ ન હોય એનું ધ્યાન રાખજે. પ્રણયકાવ્યોમાં કવિઓએ પ્રેયસીના વખાણ કરવામાં દુનિયાનો એક કાંકરોય તળેઉપર કરવાનું બાકી રાખ્યું નથી. દુનિયાભરના કવિઓએ પ્રેમિકાના સૌંદર્યના ગુણગાન ગાઈ-ગાઈને પ્રેમને છે એના કરતાં અનેકગણો ‘ગ્લૉરિફાય’ કર્યો છે. બેન જોન્સન ‘સૉંગ ટુ સિલિયા’ની શરૂઆતમાં કહે છે: ‘પ્યાલામાં એક ચુંબન છોડી દે, તો હું શરાબની શોધ નહીં કરું.’ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું? વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે.’ પણ આ જ કવિ ૧૩૦મા સૉનેટમાં લખે છે: ‘મારી વહાલીની આંખો જરાય સૂર્ય જેવી નથી, એના હોઠ કરતાં પરવાળાં વધુ લાલ છે, બરફની શુભ્રતા સામે એના સ્તન ઝાંખા છે, માથાના વાળ કાળા વાયર જેવા છે, એના ગાલને કોઈ રીતે ગુલાબ કહી શકાય એમ નથી, એના શ્વાસ કરતાં તો ઘણાં અત્તર વધુ આનંદદાયી છે, એની સાથે વાતો કરવી મને ગમે છે, પણ સંગીતનો સ્વર એના અવાજ કરતાં વધુ ખુશદાયી છે; મારી પ્રિયા કોઈ દેવીની જેમ અધ્ધર નહીં, પણ જમીન પર જ ચાલે છે. અને તોય, ઈશ્વરના સમ, કોઈ પણ ખોટી સરખામણીઓથી પર એવો મારો એના માટેનો પ્રેમ વધુ મૂલ્યવાન અને દુર્લભ છે.’ શેક્સપિઅર જ્યાં એમ કહીને અટકી ગયા કે મારી પ્રિયા સુવાંગ સંપૂર્ણ ન હોવા છતાં હું એને ચાહું છું, ત્યાંથી એલિઝાબેથ એક કદમ આગળ વધે છે. એ પોતાના પ્રિય પાત્રને પોતાના રૂપ-ગુણ-ચાલચગત જોઈને પોતાના પર મોહિત થવાના બદલે કેવળ પ્રેમ ખાતર પ્રેમ કરવા આહ્વાન આપે છે.

એ કહે છે, કે મહેરબાની કરીને તું એવું તો કહીશ જ નહીં કે હું એના સ્મિતને ચાહું છું, અથવા એનો દેખાવ, હાવભાવ, મંદ મધુરું બોલવાની ઢબ મને ગમે છે. અમારા બેઉના વિચારો એકમેકને મળતા આવે છે અને એના કારણે નિશ્ચે જ જીવનમાં સુખનો દહાડો ઊગે છે. નાકનકશો કે આચાર-વિચારના આધારે પસંદગી કરવાના મતની એ નથી. વળી એની પાસે આનું કારણ પણ છે. નાયિકા માને છે કે આ તમામ વસ્તુઓ સમય સાથે બદલાઈ શકે છે. આગળ જેની વાત કરી, એ જ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી; અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા.’ આ ઉપરાંત માણસનો ખુદનો આ વસ્તુઓ માટેનો અભિગમ પણ સમય જતાં બદલાઈ શકે છે. આજે જે ચહેરો ગમતો હોય, એ આવતીકાલે કદાચ ગમતો બંધ પણ થઈ જાય. આજે જે વાણી-વર્તન આકર્ષતાં હોય, એ કાલ ઊઠીને અકારા લાગવા માંડે એય સંભવ છે ને! ૧૧૬મા સૉનેટમાં શેક્સપિઅર જો કે પ્રેમના પક્ષમાં આવી દલીલ કરે છે: ‘એ પ્રેમ પ્રેમ નથી જે પ્રિયજનને બદલાયેલ જોઈને બદલાઈ જાય, અથવા પ્રિયજનના ચાલ્યા જવાથી ચાલ્યો જાય…. પ્રેમ સમયના કાબૂમાં નથી, પછી ભલે ને હોઠ અને ગાલ સમયના દાંતરડાના પરિઘમાં કેમ ન આવતા હોય!’

કાવ્યનાયિકા સમજે છે કે રૂપ-ગુણના આધારે કરવામાં આવેલો પ્રેમ એ જ રસ્તે પલાયન પણ થઈ જઈ શકે છે. સમય સાથે કે અકસ્માતે રૂપ વિલાઈ જાય તો પ્રેમ પણ વિલાઈ જઈ શકે છે. સ્ત્રીઓ માફ કરે, પણ એક સરસ ટૂચકો ટાંકવાનો લોભ જતો કરી શકાતો નથી: ‘લગ્નના પ્રથમ ત્રણ વર્ષ સ્ત્રી ચંદ્રમુખી લાગે છે, પછી સૂર્યમુખી. પછીના ત્રણ વર્ષ જ્વાળામુખી અને એ પછી કાળમુખી.’ વ્યક્તિ ભલે એની એ જ હોય પણ કાળનું ટાંકણું વ્યક્તિને અને વ્યક્તિને જોનારી નજરને-બંનેને સતત કોરતું રહે છે. પરિણામે સમયની કેડી પર કોઈ બે વ્યક્તિ આગળ જતાં એના એ રહી શકતા નથી. આ જ કારણોસર નાયિકા પરિવર્તનશીલ કારણોની નિસરણી ચડીને નાયકને પ્રેમની અટારીએ આવવા દેવા માંગતી નથી.

આ તો થઈ બાહ્ય મૂલ્યોની વાત. હવે માનવોર્મિની વાત. નાયક દયા ખાઈને પોતાને ચાહે એ તો નાયિકા સહેજે ઇચ્છતી નથી. સ્ત્રીનું રૂદન જોઈને પુરુષને સ્વાભાવિક હમદર્દી થાય જ. આંસુ લૂંછવા, ભીનાં ગાલ સૂકવવા પુરુષનો હાથ અને રૂમાલ આગળ વધે જ, પણ આ હમદર્દીને પુરુષ પ્રણય ગણીને સ્ત્રી સાથે આજીવન બંધાવા તૈયાર થાય એ માટે નાયિકા તૈયાર નથી. પાત્ર ગમતું હોય પણ જીવનભર સાથે રહેવાના નિર્ણય બાબતે અવઢવ હોય, લાઇકિંગને લવકરાર આપવા બાબતે દૃઢનિશ્ચયી થઈ શકાતું ન હોય, પણ સામું પાત્ર આપણા પ્રેમમાં હોય અને વળતો પ્રેમ મળતો ન હોવાના કારણે તકલીફ ભોગવતું જણાય કે રડતું રહેતું હોય ત્યારે દયાભાવને પ્રેમભાવ ગણી લેવાની ઉતાવળ થઈ શકે છે. પણ નાયિકાની વિચારધારા સ્ફટિકસ્પષ્ટ છે. એ કહે છે કે આંસુઓ નિહાળીને તારું હૃદય મારા માટે દ્રવી ઊઠે એ બનવાકાળ છે, પણ આ રીતે તરસ ખાઈને તો તું મને પ્રેમ ન જ કરતો. કારણ કે પ્રેમના અભાવમાં આંખોથી વહેતાં આંસુઓ પ્રેમ મળ્યા પછી શું અટકી નહીં જાય? રડવા માટેનું કારણ જ ન રહે તો રડવાની શી જરૂર? અને આંસુઓને જોઈ જાગેલી અનુકંપાથી ઉદભવેલો પ્રેમ આંસુઓની અનુપસ્થિતિમાં લુપ્ત થઈ જાય તો? આમ, નાયિકા પ્રેમ કરવા માટે પ્રચલિત તમામ કારણોને એક પછી એક જાકારો આપે છે. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે નાયક જો એને પ્રેમ કરવા ઇચ્છુક હોય તો કેવળ અને કેવળ પ્રેમ કરવા માટે જ પ્રેમ કરે. પ્રીતનું કારણ કેવળ પ્રીત જ હોવું જોઈએ, એ સિવાય કશું નહીં. અણીશુદ્ધ ન હોય તો પ્રેમ લાંબુ ટકી શકવા સમર્થ જ નથી. કદાચ એને પ્રેમ કહી શકાય કે કેમ, એય એક સવાલ છે. કારણોની કાંખઘોડી લઈને ચાલવું પડે એ પ્રેમ અપંગ જ હોય! એને ભલે આપણે નામ પ્રેમનું કેમ ન આપીએ, એ હકીકતે તો પ્રેમ ઓછો અને જરૂરિયાત, મમત્વ, અહંતુષ્ટિ, દયાભાવ કે સમાજિક પ્રતિષ્ઠાનિર્વાહની આવશ્યકતામાંથી જન્મેલું બંધન જ વધારે હશે. નિર્ભેળ અને નિર્હેતુક હશે, તો અને તો જ પ્રેમ શાશ્વત બની શકે.

અંતે આ જ કાવ્યના કવિ કાન્તના અનુવાદ ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સાથે વિરમીએ:

સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ
“સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે, થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ સખે ! સ્નેહ કરતો:
રહે કાંકે તારી નિકટ ચિર આશ્વાસન લહે,
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને:
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!

2 replies on “ગ્લૉબલ કવિતા: ૨૨૪ : મને જો ચાહે તો – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ”

  1. I really enjoy going through the series of global poems ,translated in gujarati. Have missed a lot of them( which is my loss, but will surely
    but your effort/ efforts is/ are helping me reconnect with variety of poetries .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *