Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ



I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope


કવિની અનિશ્ચિતતા

હું એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા તમાચાનો જવાબ તમાચાથી આપે?

ગાંધીજી તો કહી ગયા કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ ગાંધીપગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા. સમાજની રક્તવાહિનીમાં આજે ભ્રષ્ટ-આચારના રક્તકણો જ વહે છે, માટે ગાંધીના પગલે ચાલવાનું નક્કી કરે એની તો આખી માત્ર ચાલવા પર ધ્યાન આપવામાં જ વ્યતીત થઈ જાય, માર્ગ કે મંઝિલ-બેમાંથી કશાયનો આનંદ લેવું એના માટે શક્ય જ ન બને. તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

વેન્ડી કોપ. યુનાઇટેડ કિંગ્ડમમાં એરિથ, કેન્ટ ખાતે ૨૧-૦૭-૧૯૪૫ના રોજ જન્મ.માતા-પિતા એમને નાનપણથી કવિતાઓ સંભળાવતા એટલે કવિતા ગળથૂથીમાં જ મળી હતી એમ કહીએ તો ખોટું નથી. ૧૯૮૬થી માત્ર કલમના ખોળે માથું મૂકીને જીવવું આદરતા પૂર્વે ઓક્સફર્ડ અને લંડન ખાતે શિક્ષક હતાં. એમના પહેલા જ પુસ્તકની આશરે બે લાખ જેટલી પ્રતો વેચાઈ ચૂકી છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા ૨૦૧૧માં એમની હસ્તપ્રતો, રિપૉર્ટ્સ અને ૪૦૦૦૦ જેટલા ઇ-મેલ્સની કરવામાં આવેલી ખરીદી આજદિન પર્યંત કરવામાં આવેલ મોટામાં મોટી ખરીદી છે. ૧૯ વર્ષના સહવાસ બાદ ૨૦૧૩માં કવિ લોકલન મેકિનન સાથે લગ્ન કર્યા અને હાલ ઈલિ, કેમ્બ્રિજશાયર ખાતે રહે છે.

વ્યંગ એ એમનો પ્રમુખ કાકુ. અન્યોના વિષયવસ્તુનું વ્યંગ્યાત્મક અનુકરણ કરીને તેઓ મખમલમાં વીંટાળીને જૂતાં મારવામાં પ્રવીણ છે. ગંભીરતમ વિષયને હળવી રમૂજ સાથે રજૂ કરવામાં એક્કો. સમાજ અને સાહિત્યમાંના છીંડા તરફ એ તરોતાજા અને ખાસ તો, સ્ત્રીસહજ નમણા અભિગમથી જુએ છે, માટે એમની રચનાઓ વિવેચકોને અતિક્રમીને ભાવકો સુધી પહોંચી છે. કાવ્યસ્વરૂપ ઉપરની એમની સચોટ હથોટી અને ત્રુટિહીન ચોક્સાઈ એમને સમકાલીન પુરુષ કવિઓની બરાબરીમાં મોખરે બેસાડે છે. કવિતામાં એ સતત નવીનીકરણ રજૂ કરતાં રહ્યાં છે. સૉનેટ, લિરિક અને ક્રમશઃ ગદ્યકાવ્ય એમ એમની પરિવર્તનશીલ ગતિ નજરે પડતી રહે છે. લંડન રિવ્યૂ ઑફ બુક્સે એમને ‘જેટ-યુગના ટેનિસન’ કહી નવાજ્યાં છે.
કવિતા પર નજર કરતાં પહેલાં શીર્ષકને સમજવું જરૂરી બની રહે છે. ‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. જૉર્જો ચિત્રોમાં અધિભૌતિકી કળા (Metaphysical art)ના પ્રણેતા હતા, જેણે પરાવાસ્ત્વવાદીઓ(Surrealists)ને એ હદે આકર્ષ્યા કે લોકો એમને પરાવાસ્તવવાદના પિતાઓમાંના એક પણ કહે છે. પણ જેમ એઝરા પાઉન્ડની ઇમેજિસ્ટ ચળવળ ૧૯૧૨માં શરૂ થઈ એના જ હાથે ૧૯૧૭માં અંત પામી એ જ રીતે જૉર્જો પણ ૧૯૧૧માં અધિભૌતિકતા પ્રશસ્ત કરીને ૧૯૧૯માં પારંપારિક ચિત્રકળાના મૂલ્યો સ્વીકારીને અનુઆધુનિકતા તરફ વળી ગયા. કહે છે કે એમના અધિભૌતિક ચિત્રો પરિત્યક્તવ્યતા અને ખાલીપાની છબીઓ છે જે તાકાત અને આઝાદીનું નિરૂપણ કરે છે. એમનું ‘કવિની અનિશ્ચિતતા’ ચિત્ર પણ બહુચર્ચિત છે. આ ચિત્રની કિંમત આજે સાડા નવ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. જમણી તરફ દીવાલની પેલે તરફ એક હોડીના સઢ જેવો આકાર નજરે પડે છે. ધડ અને કેળાંની લૂમના પડછાયા યથાતથ પડવાના બદલે તીક્ષ્ણ ધાર અને ગાઢા રંગથી ચિત્રમાં અલગ તરી આવે છે.

કહે છે કે, આ ચિત્રમાં વિશ્વની દેખાવે કામુક, ઊલટીસૂલટી અકારણની દુનિયાને ખૂબ બારીકાઈથી ઉપસાવવામાં આવી છે. સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે. આ ચિત્ર જેવું જે એક બીજું ચિત્ર ‘ધ ટ્રાન્સફૉર્મ્ડ ડ્રીમ’ છે. જૉર્જોના બીજા ચિત્રોના પણ શીર્ષકમાં પણ કવિનો સમાવેશ થયો છે, જેમ કે ‘ધ ડિપાર્ચર ઓફ ધ પોએટ’, ‘ધ ડ્રીમ ઓફ ધ પોએટ’ વિ. આ ચિત્રમાં જે અનિશ્ચિતતતા કેન્દ્રસ્થાને છે એને કવિ સાથે શા માટે સાંકળવામાં આવી હશે એ એક કોયડો છે પણ આ ચિત્ર બકવાસ છે એમ કહેનારો વર્ગ પણ છે. એ લોકો માને છે કે ચિત્ર નકરી અસંદિગ્ધતાથી ભર્યું પડ્યું છે અને ગમે એટલું ગણિત કેમ ન માંડો, દાખલાની રકમ જ મૂળે ખોટી મંડાઈ છે. અને ચિત્રને ‘કવિની અનિશ્ચિતતા’ નામ આપીને જૉર્જોએ કવિતાની ઠેકડી ઊડાડી હોય એમ લાગે છે.

વેન્ડી કોપ વરસો પછી ૧૯૯૨માં પ્રકાશિત ‘સિરીયસ કન્સર્ન્સ’માં જાણે tit for tat (જેવા સાથે તેવા) કરતાં હોય એમ એ જ શીર્ષક સાથે આ કવિતા લઈને આવે છે. વાત અનિશ્ચિતતાની છે એટલે વેન્ડી છંદોની નિયમિતતાનો ત્યાગ કરે છે, પ્રાસની પળોજણમાં પૂળો મૂકે છે અને બબ્બે પંક્તિઓના કુલ આઠ અંતરા આપણને આપે છે. સોળ પંક્તિની કવિતામાં કુલ મળીને માત્ર આઠ જ શબ્દો વપરાયા છે. માત્ર આ આઠ જ શબ્દોનો વાક્યવિન્યાસ ઊલટાવી-સૂલટાવીને આખી કવિતા લખવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે કથકનું લિંગ દર્શાવવાની ફરજ પડી છે. અંગ્રેજીમાં પ્રથમપુરુષ એકવચન ‘આઇ’ વાપરતી વખતે લિંગને અધ્યાહાર રાખવાની સગવડ છે, જે ગુજરાતીમાં નથી. ‘પોએટ’નો પ્રથમદર્શી તરજૂમો તો કવિ જ થાય પણ અંગ્રેજીમાં નારીવાદી કવિઓ પોતાને કવયિત્રી કહેવડાવવામાં ‘સેકન્ડ જેન્ડર’ હોવાનો સ્વીકાર અનુભવતાં હોવાથી પોતાને કવયિત્રીના બદલે કવિ જ કહેવડાવે છે. બીજું, આ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી કવિતા છે. મૂળ અંગ્રેજી રચના લખનાર સ્ત્રી હોવાથી અનુવાદ કરતી વખતે કથકને સ્ત્રીજાતિ તરીકે જ દર્શાવવું ઉચિત જણાય છે.

‘આર્સ પોએટિકા’ કવિતામાં આર્ચીબાલ્ડ મેકલીશ કહે છે: ‘A poem should be palpable and mute.A poem should be wordless. A poem should be motionless in time. A poem should not meanbut be.’ (કવિતા ઇંદ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમયમાં ગતિહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, બસ હોવી જોઈએ)કવિતામાં ઘણીવાર જે સમજાય છે તે કવિતા નથી હોતી પણ જે અનુભવાય છે એ કવિતા હોય છે. કવિતામાં કવિએ લખેલા શબ્દોનીવચ્ચેનો શૂન્યાવકાશ વાંચવાનો હોય છે. કવિતાના શબ્દો તો ચિનુ મોદીના શબ્દોમાં ‘લુચ્ચાના સરદાર’ છે, એ બોલે છે કંઈ અને કહે છે કંઈ. શબ્દ નહીં, શબ્દનો પડઘો ખરી કવિતા છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડી જાય ત્યારે ખરી કવિતા સમજાય.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

કવિતામાં વપરાયેલા આઠ શબ્દોમાંથી એકેયનો અર્થ સામાન્યજનથીય અજાણ્યો ન હોવા છતાં આ કવિતા જ્ઞાનથી નહીં, પણ કાનથી અને ધ્યાનથી સમજાય છે.એલિયટે પણ કહ્યું હતું:‘વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે, સમજી શકાય એ પહેલાં.’વેન્ડીની આ કવિતા પણ અર્થ આપણી સમજમાં ઊતરે એ પહેલાં તો આપણી સાથે વાતચીત કરી લે છે ને આપણા ચહેરા પર એક અકળ અકથ સ્મિત ભેટ ધરી દેછે. આ સમજી ન શકાય, કહી ન શકાય પણ કવિતામાંથી પસાર થતી વખતે બળજબરીથી આપણા ચહેરા પર ઊમડતું સ્મિત જ સાચી કવિતા છે.

પહેલી નજરે એમ લાગે કે શબ્દોની આ કેવી છોકરમત છે! આવું લખવું એ ડાબા હાથનો ખેલ પણ લાગે. પણ ધ્યાનથી જોતાં જ સમજાય કે વેન્ડીએ શબ્દોને આગળ-પાછળ ગોઠવીને, વાક્યવિન્યાસને તોડીમરોડીને નવા જ વાક્યવિન્યાસોનું, નવા જ અર્થોનું સર્જન કર્યું છે.ચિત્રમાં કેળાંઓની લૂમ પડી છે એ ધ્યાનમાં રાખીને વેન્ડી વાત માંડે છે. શીર્ષકમાં ‘કવિની અનિશ્ચિતતા’ પ્રસ્થાપિત કર્યા પછી પહેલું જ વાક્ય એ લખે છે કે ‘હું એક કવિ છું.’ મતલબ, હું અનિશ્ચિતતાથી ઘેરાયેલી છું અથવા હું પોતે જ એક અનિશ્ચિતતતા છું. અને પછી તરત જ શબ્દોની હેરફેર કરીને વાક્યોને પહેલી નજરે અર્થહીન બનાવીને રમૂજી લાગે એમ એકની એક વાત ગોળગોળ ફેરવીને એ કવિની અનિશ્ચિતતા નિશ્ચિત કરે છે. જૉર્જોના ચિત્રમાં જેમ કેળાંઓ એક પ્રતીક છે, એમ અહીં પણ કેળાંઓ પ્રતીકમાત્ર છે. શેનાં પ્રતીક છે એ કવિ કહેતાં નથી. કવિનું કામ બાંધી મુઠ્ઠી ખોલવાનું છે પણ નહીં. એ તો મુઠ્ઠી ધરે, મુઠ્ઠીમાં શું છે એ આપણે ધારી લેવાનું. કવિની મુઠ્ઠીમાંનો શૂન્યાવકાશ પણ પકડતાં આવડી જાય ત્યારે ખરી કવિતા તો હાથ લાગે છે, એ પહેલાંનું તો શબ્દોની રમત માત્ર.

ફકરે ફકરે સમીકરણ બદલાય છે. શરૂઆતમાં કવિને ખબર છે કે એ એક કવિ છે અને એ કેળાંની ખૂબ શોખીન છે. બીજામાં પોતે કેળાં જ છે ને કવિની શોખીન, સૉરી ખૂબ શોખીન છે એમ લાગે છે. ત્રીજામાં પોતે કેળાંની કવિ કે કેળાંની બનેલી કવિ હોય અને ખૂબ શોખીન છે એમ લાગે છે. અહીં શોખીન શેની એ અધ્યાહાર છે. આગળ એબ્સર્ડિટી વધે છે. ‘હું છું, હું છું’ની શોખીન એક કવિની વાત છે. આગળ હું કેળાં છું કે નહીંનો પ્રશ્ન હું છું?ના સનાતન હેમ્લેટિયા પ્રશ્ન સુધી લંબાય છે. ‘કેળાં એક કવિના’ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું વેન્ડી સાચે જ કેળાંની વાત કરે છે કે કેળાં શબ્દોનું પ્રતીક છે? શું અહીં કેળાંનો અર્થ કવિના શબ્દો તરીકે લેવાનો છે? જો એમ હોય તો આખી કવિતામાં હવે ‘કેળાં’ના સ્થાને ‘શબ્દો’ મૂકીને વાંચીએ તો? કવિતાની તરત જ કેવી કાયાપલટ થાય છે, નહીં?! આને જ આપણે મેટામૉર્ફોસિસ કહેતાં હોઈશું ને? હવે ‘કેળાં’ને એના કઠબોલી (Slang) અર્થમાં જોઈએ તો? કેળાનો આકાર શિશ્નને મળતો આવે છે એટલે અશિષ્ટ ભાષામાં આપણે ‘કેળાં’ શબ્દને એ અર્થમાં અને ક્યારેક અપશબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. ત્રીસીના દાયકામાં અંગ્રેજીમાં પણ ‘કેળાં’નો એક સંદર્ભ સેક્સ, યૌન વિકૃતિ સાથે સંકળાયેલો હતો. ‘કેળાંનો કવિ!’ એમ આપણે કહીએ એટલે આખી વાત એક સ્તરેથી ઊતરીને બીજા સ્તરે જઈ પહોંચે છે. Going Bananasનો સંદર્ભ પાગલપન, મૂર્ખતા સાથે જોડાયેલો પણ જોવા મળે છે. ૧૯૦૧માં ઓ હેનરીએ રાજકીય અને આર્થિક રીતે અસ્થાયી દેશ માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ ‘કોઇન’ કર્યો હતો. પી. જી. વૂડહાઉસ ૧૯૨૭માં ‘કેરી ઓન જિવ્સ’માં લખે છે: ‘This is pure banana oil.’ અહીં પણ કેળાંનો મતલબ મૂર્ખતા અને પાગલપન સાથે સંકળાયેલો જોઈ શકાય છે. જંગલીપન કે ગુસ્સા સાથે પણ ‘બનાના’ના અર્થના છેડા જઈ મળે છે. Going Apes પરથી આ શબ્દપ્રયોગ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ૧૯૮૭માં તો ‘ગોઇંગ બનાનાસ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ બની હતી. એટલે કવિતાને હવે આ બધા અર્થોના પ્રકાશમાં જોઈએ તો ફરીથી આખી વાત જ બદલાઈ જાય છે. અને વેન્ડી, ચિત્રકાર, એના ચિત્ર અને એ બંને વસ્તુને ભૂલી જઈએ તો પણ કવિ ઉપર, કવિની અનિશ્ચિતતા ઉપર અને એથીય આગળ વધીને જીવન અને જીવનની અનિશ્ચિતતા, જીવનના પાગલપન ઉપર ગાળસરીખો વ્યંગ કરે છે.

શબ્દોની અદલાબદલી અને વાક્યોના અર્થફેરની આ રમત અંતે ‘હું એક કવિ છું’થી શરૂ થઈને ‘શું હું કવિ છું?’ના પ્રશ્નની અનિશ્ચિતતામાં પરિણમે છે ત્યારે આખી કવિતામાં શબ્દોની માયાજાળ જોઈને મલકાયા કરતો ભાવક ઘડીભર માટે સૂન્ન થઈ જાય છે. વેન્ડી પણ આ જ કહેવા માંગે છે કદાચ… મસ્તી મસ્તીમાં એ અસ્તિત્વના શાશ્વત પ્રાણપ્રશ્નને છેડી દે છે. આખી વાત અનિશ્ચિતતતાની છે પણ આખી ગતિ નિશ્ચિતતા તરફની છે એ હવે સમજી શકાય છે. એ પણ સમજી શકાય છે કે ચિત્રકારના ચિત્રમાંનો કવિ તરફનો વ્યંગ કદાચ કવયિત્રીને પસંદ આવ્યો નહીં હોય એ કદાચ કવિતા લખવા માટેનું નિમિત્ત બન્યો હોય પણ કવિતા કદી બદલાની ભાવનાથી લખાતી નથી હોતી. આક્રોશ એક ઉદ્દીપક બને એ ખરું પણ અંતિમ રાસાયણિક પ્રક્રિયા તો કવિના આત્મા સાથે જ થાય અને કવિનો આત્મા કદી હલકટ હોય નહીં જે તમાચાનો જવાબ તમાચાથી આપે.

ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

ગ્લૉબલ કવિતા: ૬૭: એની લજ્જાળુ પ્રેયસીને – એન્ડ્રુ માર્વેલ

આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.

પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.

તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.

– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સમયથી વધુ ગતિશીલ અને વધુ સાપેક્ષ સૃષ્ટિમાં બીજું કંઈ ખરું? ઘડિયાળના કાંટા ભલે અટકી જાય, સમય અટકતો નથી. એ કોઈનાય માટે નથી થોભ્યો, નથી થોભવાનો. સમયની કરવત આપણને સહુને એકધારા વેતરતી જ રહે છે. સમયની આ ચંચળતા કોઈ માટે અલગ નથી. ગુજરાતીમાં આપણે ‘કાલ કોણે દીઠી છે?’ કહીએ છીએ ને અંગ્રેજી ભાષા એ જ વાત ‘ટુમોરો નેવેર કમ્સ’ કહીને કરે છે. નર્મદ કહી ગયો:

કાલ કરીશું, આજ કરીશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડા રે.
ડગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે

એન્ડ્રુ માર્વેલની કવિતા આ જ વાત કરે છે. એ પ્રેયસીને જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપે છે.

એન્ડ્રુ માર્વેલ. જન્મ ૩૧-૦૩-૧૬૨૧ના રોજ વાઇનસ્ટેડ, ઇંગ્લેન્ડ ખાતે. પિતાનું નામ પણ એન્ડ્રુ જ હતું. તેઓ હોલી ટ્રિનિટી ચર્ચમાં પાદરી અને પ્રવચનકાર હતા. કેમ્બ્રિજથી બી.એ. કર્યું. પિતાના આકસ્મિક મૃત્યુ અને ૧૬૪૨માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અનુસ્નાતક થવાની ઇચ્છા અધૂરી રહી. ચાર વર્ષ સુધી સતત યુરોપપ્રવાસ કર્યો જેના ફળસ્વરૂપે એમની કવિતાઓમાં ફ્રેન્ચ, ડચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓ ડોકિયાં કરતી નજરે ચડે છે. પ્રવર્તમાન અંગ્રેજી પ્રથા મુજબ તેઓ પણ ખાનગી ટ્યુશન આપતા. લશ્કરી વડા ઓલિવર ક્રોમ્વેલથી પ્રભાવિત. ક્રોમ્વેલ પર કવિતાઓ પણ લખી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને પછી પણ સરકારી નોકરી ચાલુ રાખી. જોન મિલ્ટનના મિત્ર. રિસ્ટોરેશન દરમિયાન જેલમાં ગયેલા મિલ્ટનને છોડાવવામાં એમણે પોતાના પદ અને સત્તા વાપર્યાં હતા. સરકાર વિશેના એમના કટાક્ષકાવ્યો એવા ઉગ્ર હતાં કે નનામા છપાવવાં પડતાં. અંગત જીવન મોટાભાગે અજાણ્યું. આજીવન કુંવારા રહ્યા પણ એમની મકાનદાર મેરી પામરના દાવા મુજબ બંનેએ ૧૬૬૭માં ખાનગી લગ્ન કર્યા હતા. ૧૬-૦૮-૧૬૭૮ના રોજ ૫૭ વર્ષની નાની વયે તાવ પછી અણધાર્યું નિધન. મૃત્યુનું કારણ પણ અજાણ્યું. કહેવાય છે કે જેઝ્યુઇટ સંપ્રદાયીઓએ ઝેર આપીને એમની હત્યા કરી હતી. મૃત્યુપર્યંત તેઓ ઉગ્ર પણ વફાદાર દેશભક્ત તરીકે જાણીતા થયા. મોટાભાગની કવિતાઓ એમના નિધનના ત્રણ વર્ષ બાદ પ્રગટ થઈ.

સત્તરમી સદીના સૌથી નોંધપાત્ર કવિઓમાંના એક. જોન ડનની જેમ એ પણ આધિભૌતિક (મેટાફિઝિકલ) કવિ હતા. સાથોસાથ એમની રચનાઓ એમને ‘કેવેલિઅર’ કવિઓના વર્ગમાં પણ મૂકે છે. કેવેલિઅર કવિઓ પારંપરિક કવિતાઓની જેમ ધર્મ, કળા, ફિલસૂફીની વાતો કરવાના બદલે જીવનના આનંદ પર વધુ ભાર મૂકે છે. મેટાફિઝિકલ પોએટ્રીની ચતુરાઈ અને સંકુલતાની સાથોસાથ કેવેલિઅર કવિતાનું લાવણ્ય પણ ઉજાગર કરતી એન્ડ્રુની કવિતાઓ આ બે પરંપરાની વચ્ચેના સેતુ સમી છે. એમના ગીતોમાં લાગણીની અદભુત તીવ્રતા અને અલૌકિક સૌંદર્ય નજરે ચડે છે. પાછળથી એમના પદ્ય અને ગદ્ય બંને ધર્મ વિવાદ અને કડવા આકરા કટાક્ષપ્રચુર બન્યા એ જોતાં એમ લાગે જાણે રંગીન નાજુક પતંગિયું ઉત્ક્રાંતિમાં ઊલટા પગલે ચાલીને ઈયળ બની ગયું. ઇલિયટે એમના વિશે જે નિબંધ લખ્યો એ પછી સમયથી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયેલ આ કવિ પુનઃ લોકનજરે ચડ્યા. એ પછીથી એમની પ્રસિદ્ધ્રિ આજદિન સુધી સતત વધતી રહી છે. વિશાળ કાર્યક્ષેત્ર અને ગર્ભિત સંદિગ્ધતાના કારણે માર્વેલની લોકપ્રિયતા સતત નવી ઊંચાઈઓ આંબી રહી છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ ૪૬ પંક્તિઓનું પ્રમાણમાં લાંબુ ઊર્મિગીત (Lyric) છે. ત્રણ અંતરા પાડીને કવિ પોતાની વાતને ત્રણ ભાગમાં વહેંચે છે. છંદ આયમ્બિક ટેટ્રામીટર છે, અર્થાત્ દરેક પંક્તિમાં ડ-ડમ, ડ-ડમ એમ લઘુ-ગુરુના લયમાં ચાર શબ્દાંશ (Syllables) હોય છે. એલેક્ઝાન્ડર પોપે જેમાં પ્રચંડ નામના મેળવી એ યુગ્મક (couplet) અહીં પ્રયોજાય છે, જેમાં દર બબ્બે પંક્તિ પ્રાસમાં લખાયેલી હોય છે. આપણે ત્યાં ગઝલના મત્લામાં આ પ્રકારની ગોઠવણ વધુ સહજ અને આપણે લોકો માટે વધુ પરિચિત હોવાથી ગઝલનો રમલ છંદ અને મૂળ કૃતિની જેમ જ બબ્બે પંક્તિની સ્વતંત્ર પ્રાસરચના જાળવીને કામ કરવું વધુ યોગ્ય લાગ્યું છે. કવિતાના શીર્ષક પરથી સમજી શકાય છે કે પ્રેમી અને શરમાળ પ્રિયતમા વચ્ચેની આ વાત છે. પણ શીર્ષકમાંના ‘Mistress’ શબ્દ પર જરા અટકીએ.

કવિ એની પ્રેમિકા માટે ‘Mistress’ શબ્દ પ્રયોજે છે. ચૌદમી સદીમાં આ શબ્દનો અર્થ પ્રભાવ ધરાવનાર સ્ત્રી કે શિક્ષિકા કે આયા થતો હતો. આ કવિતા લખવામાં આવી એ સમયે મિસ્ટ્રેસનો અર્થ (પુરુષના હૃદય પર આધિપત્ય ધરાવનાર) પ્રેયસીના અર્થમાં વપરાતો હતો. આજે જે અર્થ આપણને અભિપ્રેત છે એ ‘રખાત’ અર્થ તો પાછળથી આવ્યો. એ જ રીતે હાલના તબક્કે ‘Quaint’નો મતલબ જુનવાણી થાય છે. ફ્રેન્ચ Cointe અર્થાત્ જ્ઞાની પરથી ૧૨મી સદીમાં આ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ હોંશિયાર, લુચ્ચું કે ગર્વિષ્ઠ થતો હતો. કવિતા લખાઈ એ અરસામાં એનો અર્થ ‘વિલક્ષણ’ કે ‘લાવણ્યસભર’ થતો હતો. આજે એ ‘જુનવાણી’ના અર્થમાં વપરાય છે. આમ, અનુવાદ કરતી વખતે ન માત્ર શબ્દો પર, શબ્દોના ઇતિહાસ પર પણ અનુવાદકની આંખ હોવી ઘટે. જે તે શબ્દનો અર્થ જે તે સમયે આજના અર્થ કરતાં અલગ હોવાની સંભાવના ચકાસ્યા વિના કરેલો અનુવાદ કે આસ્વાદ અનર્થ સર્જી શકે છે.

પ્રિયતમા સંભોગ કરવાની મના કરી રહી છે, સંકોચ અનુભવી રહી છે, ‘આજ નહીં, કલ’ના બહાનાં આગળ ધરી રહી છે પણ નાયકની અંદર પ્રેમોર્મિઓ સંભોગસાગરમાં ઊંડી ડૂબકી મારવા તલપાપડ થઈ રહી છે. એટલે શીર્ષક ભલે ‘એની લજ્જાળુ પ્રેયસીને’ કેમ ન હોય, ગીત યેનકેન પ્રકારે પ્રેયસીને પટાવવા-મનાવવા મથી રહેલા પ્રિયતમનું છે. એ કહે છે, જો આપણી પાસે પૂરતી દુનિયા અને જરૂરી સમય હોત તો આ શરમ કોઈ ગુનો નથી. જો એમ હોત તો આપણે શાંતિથી બેસીને દિવસ વિતાવત. તું પૂર્વમાં ગંગાકિનારે માણેક વીણજે ને હું ધરતીના બીજા છેડે યુરોપના પૂર્વી કિનારે હમ્બરની ભરતીની બજુમાં ઊભો ઊભો આ ફરિયાદ કરીશ. પ્રલયના દસ વરસ પહેલાંથી હું તને પ્રેમ કરત. પૃથ્વી અને મનુષ્યજાતિની ઉત્પત્તિની વાત કરતા ખ્રિસ્તીઓના ગ્રંથ ‘જિનેસીસ’ મુજબ ભગવાને નોઆહને સૂચના આપીને મોટું જહાજ બનાવડાવ્યું, જે નોઆહ’સ અર્ક તરીકે ઓળખાયું, જેમાં નોઆહે પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા તમામ જાતના સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાવી લીધા અને આ વહાણ પ્રલયના દોઢસો દિવસ સુધી સમુદ્ર પર તરતું રહ્યું અને એમ પૃથ્વી પર જીવનનો વંશવેલો આગળ વધ્યો. હોલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’ની યાદ અપાવે એવી આ વાત છે. કુરાનમાં પણ આ પ્રલયની અને જહાજ ‘સફીના નુહ’ની વાત છે. આપણે ત્યાં પણ મત્સ્યાવતારમાં રાજા સત્યવ્રત મનુ સજીવસૃષ્ટિને લઈને જહાજમાં બેસી જાય છે, જે જહાજને વાસુકી નાગ વડે બાંધીને મત્સ્યસ્વરૂપે વિષ્ણુ સુમેરુપર્વત પર સહીસલામત લઈ આવે છે. ૪૫૦૦ વર્ષ જૂના મેસોપોટેમિયાના ‘એપિક ઑફ ગિલામેશ’માં આ પ્રલયની વાર્તા સૌપ્રથમવાર જોવા મળે છે. નાયક પ્રલયના દસકા પહેલેથી નાયિકાને ચાહવા તૈયાર છે અને દુનિયાભરના યહૂદીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે ત્યાં સુધી નાયિકાની ના સાંભળવા તૈયાર છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે જગતભરના યહૂદીઓ સૃષ્ટિના અંત ટાણે આ ધર્મપરિવર્તન સ્વીકારશે. ‘The conversion of the Jews’ નામની ફિલિપ રોથે ૧૯૫૯માં લખેલી લઘુનવલ ખૂબ જાણીતી બની. જો કે આ કવિતામાં વપરાયેલ શબ્દપ્રયોગો કેટલીય નવલકથાઓ અને વાર્તાઓના મથાળાં બન્યાં છે.

‘હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે’ જેવી વાત કરીને કવિ આગળ વધે છે. પોતાના નિષ્ક્રિય પ્રેમ માટે એ vegetable love શબ્દ કોઇન કરે છે. મગજને નુકશાન થવાના કારણે કોઈ સજીવ સામાન્ય શારીરિક અને માનસિક ક્રિયાઓ માટે બિલકુલ અશક્ત થઈ જાય એવી નિશ્ચેતન અવસ્થાને ‘વેજીટેબલ’ કહે છે. નાયક કહે છે કે જો પૂરતો સમય હશે તો મારો ભાજીમૂળા જેવો નિષ્ક્રિય પ્રેમ કૂર્મગતિએ મોટાં રાજ્યો કરતાં પણ વધુ વિશાળ બનશે. પ્રેયસીના સંકોચ પરની કટાક્ષગાથા આગળ લંબાવતા નાયક વળી અતિશયોક્તિ અલંકાર વાપરીને કહે છે કે તારા શરીરના અંગોપાંગની પ્રસંશા કરવા માટે વરસો, સૈકાઓ નહીં, યુગો પણ નાનાં ને ઓછાં પડશે કેમકે પ્રેયસીનું સૌંદર્ય ઓછામાં ઓછા આટલા વખાણનું અધિકારી તો છે જ ને નાયકનો પ્રેમ પણ ખચીત ઊતરતી કક્ષાનો નથી, એ આનાથી ઓછો પ્રેમ કરી શકે એમ જ નથી.

નાયિકાના ઇનકાર સાથે જાણે પોતે સહમત હોય એમ એને પૂરતી ફોસલાવી-વખાણી લીધા બાદ નાયક બીજા બંધમાં પેંતરો બદલે છે. કહે છે, પોતાની પૂંઠે એ એકધારો કાળના પાંખે ઊડીને, અર્થાત્ મારમાર ઝડપે ખૂબ નજીક આવી રહેલા રથના અવાજને સાંભળી રહ્યો છે ને પોતાની નજર સામે શાશ્વતતાના અફાટ રણને વિસ્તરેલું જોઈ રહ્યો છે. શાશ્વતી વિશાળ નિર્જીવ રણથી વિશેષ શું હોઈ શકે? એ કહે છે કે તારું આ સૌંદર્ય કે મારાં આ પ્રેમગીતો આરસપહાણની કબરની અંદર દટાઈ જવા નથી સર્જાયાં. કબરની અંદર તો જે અક્ષુણ્ણતા, જે કૌમાર્ય તું આટલા લાંબા સમયથી સાચવવાની ફિરાકમાં પડી છે એને કીડાંઓ ફોલી ખાશે. તારું આ અનોખું માન-ગર્વ અને મારી તમામ વાસનાઓ રાખમાં પરિણમશે. બંધના અંતે નાયક કટાક્ષની ધાર કાઢતાં વળી પૂછે છે, કે હા, કબર સુંદર અને એકદમ ખાનગી જગ્યા છે પણ શું કોઈ ત્યાં એકબીજાને ભેટવા માટે જાય છે ખરા? સત્તરમી સદીની અર્થચ્છાયાઓ વિશે વિચારીએ તો કૌમાર્ય, માન અને વાસનાનો અર્થ સીધો જાતીય અંગો તરફ નિર્દેશ કરે છે.

જે વાત કહેવા માટે આટલી લાંબી પૂર્વભૂમિકા નાયકે બાંધી છે એ વાત યાને કવિતાનો કેન્દ્રવર્તી વિચાર -Carpe Diem (આજને ચૂંટી લો, આજમાં જીવો)- ત્રીજા અને આખરી બંધમાં આવે છે. માર્વેલ રાજકારણી હતા. પ્રખર કટાક્ષકાર પણ હતા એટલે વક્રોક્તિ સાથેની દાવા-દલીલની આ પદ્ધતિ એમને હસ્તગત હતી. કહે છે, સવારે પુષ્પ પર પડેલ ઝાકળ જેમ થોડી વારમાં ઊડી જાય છે એમ આપણું યૌવન પણ બાષ્પીભૂત થઈ જાય એ પહેલાં અને તારા રોમ-રોમમાંથી કામાગ્નિ પ્રગટી રહ્યો છે ત્યાં સુધીમાં ચાલ, આ જુવાનીનો ભરપૂર આનંદ ઊઠાવી લઈએ. શેક્સપિઅરના ‘ટ્વેલ્ફ્થ નાઇટ’નો સંવાદ યાદ આવે: ‘જે આવનાર છે એ હજી નિશ્ચિત નથી. વિલંબમાં કોઈ પ્રાચુર્ય નથી. તો આવ અને મને ચુંબન કર, જ્યાં સુધી તું વીસની છે, યુવાની કંઈ કાયમ રહેવાની નથી.’

સમય એના ધીમા જડબાંમાં આપણને ધીરે ધીરે ચાવીને ક્ષીર્ણ કરી દે એ પહેલાં આપણે જ કામુક શિકારી પક્ષી જેમ શિકાર પર ઝપટે એમ આપણે જ સમયનો કોળિયો કરી લઈએ. જે પ્રેમને કવિ પહેલાં ભાજીમૂળા જેવો લૂલો અને ધીમો ગણાવતા હતા એ હવે ઉગ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ કોઈ Lovey-Doveyનો સુષ્ઠુ સુષ્ઠુ પ્રેમ નથી, આ પ્રેમ જંગલિયતથી ભરપૂર છે. રતિક્રીડાની પરાકાષ્ઠાએ એકમેકને જ નહીં, સમયને પણ ઝાપટી જનારો આ શિકારી પ્રેમ છે. સંબંધની મીઠાશ અને યૌવનની શક્તિ જ્યાં સુધી લુપ્ત નથી થયા ત્યાં સુધી પૂરજોશમાં સમ-ભોગમાં રત થઈ જઈએ, બેમાંથી એક બની જઈએ. જિંદગીના લોખંડી દરવાજાઓમાં થઈને કરકરા સંઘર્ષની છરી વડે આપણે આપણા આનંદને ચીરી કાઢીને પ્રાપ્ત કરી લઈએ. જિંદગીના લોહદ્વારનો ઉલ્લેખ થોડો સંદિગ્ધ છે. લાયોનેલ ટ્રિલિંગ ના મત મુજબ એન્ડ્રુને વર્જિલના ‘ઇનિયડ’માં આવતા હેડ્સ (Hades)ના શિંગડા અને હાથીદાંતના દરવાજા જેમાં થઈને અનુક્રમે સાચા અને છેતરામણા સપનાંઓ આવે છે એ અભિપ્રેત હોઈ શકે છે. જો કે આ બે દરવાજાઓની વાત પહેલવહેલી હોમરના ‘ઑડિસી’માં અને ત્યારબાદ પ્લેટોના ‘કાર્મિડિઝ-ડાયલોગ્સ’માં જોવા મળે છે. સૂર્યના રથને થોભાવવો કે અમર થવું તો આપણા માટે શક્ય નથી… સમય તો વહેતો જ રહેવાનો છે, તો શા માટે આપણે યૌવનનો એવો ઉત્સવ ન ઊજવીએ કે એ ઈર્ષ્યાનો માર્યો દોડતો થઈ જાય? એક તરફ કાળના પાંખાળા રથના અવાજથી જન્મતો ભય અને બીજી તરફ સૂર્યને દોડાવીને સમયના બાપ થઈ જવાની ખુમારીના કારણે આ કવિતા સાધારણમાંથી અદભુતની કક્ષાએ પહોંચે છે.

એની ફિંચ નામની કવયિત્રી ‘કોય મિસ્ટ્રેસ’ કવિતામાં માર્વેલને જવાબ આપતાં કહે છે કે, હું કોઈ શિકારી પક્ષી નથી. સમય આપણને વૃદ્ધ બનાવી જ દેશે અને કબર માત્ર શરીરનો શાપ નથી. ભલે તમે મારી આંખ, કપાળ અને સ્તનના વખાણ કરો છો, શા માટે આપણે કવિતા લખીને સમયને મધમીઠો ન બનાવીએ? બદલામાં સમય આપના પ્રેમને મીઠો બનાવશે અને પ્રેમ સાબિત કરવાને સમય પણ આપશે. અન્ય એક કવિ એ.ડી. હૉપ ‘હિઝ કોય મિસ્ટ્રેસ ટુ મિ. માર્વેલ’ કવિતામાં લજ્જાળુ નાયિકા એન્ડ્રુના શબ્દપ્રપંચ સામે ખુલ્લો પડકાર ફેંકે છે.

ગ્લૉબલ કવિતા: ૬૬: સમગ્ર – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન

Hours

Evenings of beatitude,
even the book forgotten,
because the soul dissolves
lapped in quietude.

Evenings when every
sound lies sleeping.

Evenings when the least
seem anaesthetised,
all the garden flowers,
shadow more shadowy
and the old manor more deserted.

Evenings when the least
creak of furniture
were a profanation
of absurd cacophony
and impious intrusion.

Evenings when the house’s
door is fast closed
and the soul’s open.

Evenings when the quiet
vane on the steeple
turns, numbed, no more,
and, entire like perfume,
silence is inbreathed.

– Francisco González de León
Eng Translation: Samuel Beckett


સમગ્ર

સંધ્યાઓ દિવ્યાનંદની,
પુસ્તક પણ વિસ્મૃત,
કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો
આત્મા પણ ઓગળી જાય છે

સંધ્યાઓ, જ્યારે તમામ
અવાજો નિદ્રાધીન છે.

સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ
પણ બેહોશ લાગે છે,
બાગના તમામ ફૂલો,
છાંયો વધુ છાંયેદાર ,
અને ખંડેર મકાન વધુ વેરાન.

સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો
અત્યલ્પ કિચૂડાટ પણ
પ્રદૂષણ લાગે છે
બેતુકી કર્કશતા
અને અપવિત્ર અતિક્રમણનું.

સંધ્યાઓ, જ્યારે ઘરનો
દરવાજો ચસોચસ બંધ છે
અને આત્માનો ખુલ્લો.

સંધ્યાઓ, જ્યારે દેવળના મિનારા પરની
નીરવ પવનચક્કીની પાંખ
ફરતી નથી, નિઃસ્તબ્ધ, જરાયે,
અને, અત્તરની જેમ, સમગ્ર
ચુપકી શ્વસાય છે.

– ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન
(અંગ્રેજી અનુવાદ: સેમ્યુઅલ બ્રેકેટ)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

આત્માનો દરવાજો ઊઘાડી આપતી ભોગળ એટલે સાંજ

સમય પ્રતિપળ બદલાતા રહેતા ચહેરાઓનું બીજું નામ છે. નદીના જે પાણીમાં તમે એકવાર હાથ બોળ્યો, એમાં બીજીવાર કદી બોળી શકાય નહીં એ જ રીતે સમયની એની એ ક્ષણ બીજીવાર કદી શ્વાસમાં ભરી શકાય નહીં. દિવસ આથમે અને રાત ઊગે એ વચ્ચેના સંધિકાળ-સંધ્યા- માટે મનુષ્યમનને કાયમ અદમ્ય ખેંચાણ રહ્યું છે. સાંજના રંગો માત્ર આકાશમાં જ નથી ભરાતા, આપણી અંદર પણ ભરાતા હોય છે ને એટલે જ આથમતી સાંજના ઓળાની કાલિમા પણ આપણા લોહીમાં આત્મસાત થતી રહે છે. માર્ગારેટ એટવૂડ કહે છે, ‘…અને સાંજ એટલી સુંદર હતી, કે એણે મારા હૃદયમાં દર્દ જન્માવ્યું.’ પણ આ જ સાંજ લૌકિકમાંથી અલૌકિક તરફ જવાનો સમય પણ છે. કહે છે કે પૃથ્વી પરનો સૂર્યાસ્ત જ અગોચર સૃષ્ટિ માટેનો સૂર્યોદય છે. આ સમયે જ માનવમન મહત્તમ અને ગહનતમ શાંતિ અનુભવી શકે છે. સાંજ મનુષ્યને પ્રકૃતિ અને એ રીતે થઈને ઈશ્વરની વધુ નજીક લઈ આવે છે. સાંજનો સમય જાતની જાતરા કરવાનો અને સ્વયંથી પરિપૂર્ણ થવાનો સમય છે. ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ એની ‘સમગ્ર’ કવિતામાં સાંજના આવા રંગો જ ઉજાગર કરે છે.

ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન. ૧૦-૦૯-૧૮૬રના રોજ મેક્સિકોમાં જાલિસ્કોના લાગોસ ડિ મોરેનો ખાતે જન્મ. ૧૯૪૫માં નિધન. મેક્સિકોના ઉત્તમ કવિઓમાંના એક. સાહિત્ય, સ્પેનિશ અને ફ્રેન્ચના પ્રોફેસર પણ. ગિટાર પણ વગાડતા. ફાર્માસિસ્ટ હતા. એમની ફાર્મસી સાહિત્યગોષ્ઠીઓનો અખાડો હતી. ધંધાના સમયે દુકાનના દરવાજા બંધ થઈ જતા અને કવિતાના ખુલી જતા. સરસ્વતી સાથેના લગાવના કારણે લક્ષ્મી કાયમ રિસાયેલાં રહ્યાં. આજીવન અજાતશત્રુ. સ્ત્રીઓના ખાસ મિત્ર. દેશભરમાંથી અત્તરભર્યા કાગળ આવતા. એ કહેતા કે સ્ત્રીઓ સિવાય મને કોઈ પૂરું સમજી શક્યું નથી. એમની કવિતાઓમાં શાંત વાતાવરણની ભીતરી અનુભૂતિનો મૌન પડઘો સંભળાય છે. અધ્યાત્મ અને રહસ્યાનુભૂતિ એમની કવિતામાં અવારનવાર તરંગાય છે. સહજ સરળતા, પુનરાવર્તન અને પુનરોક્તિ, સંવેદનની મૌલિકતા, લયાન્વિત ગતિ અને સમષ્ટિ તરફનો પ્રેમ એમની કવિતાઓને અલગ તારે છે.

મૂળ સ્પેનિશ કવિતાનું શીર્ષક Íntegro છે જેનો અર્થ પૂર્ણ થાય છે જ્યારે બેકેટે અંગ્રેજી અનુવાદનું શીર્ષક Hours અર્થાત્ કલાકો આપ્યું છે. કવિતાનો કેન્દ્રસ્થ વિચાર સાંજ, સંપૂર્ણ શાંતિ અને શ્વસાતી સમગ્ર ચુપકી સાથે વધુ સુસંગત હોવાથી ગુજરાતી અનુવાદનું શીર્ષક ‘સમગ્ર’ જ રાખ્યું છે. મૂળ કવિતામાં પ્રાસવ્યવસ્થા પણ છે પરંતુ છએ છ અંતરાની પંક્તિસંખ્યાની જેમ જ પ્રાસ અનિયમિત છે. કદાચ એકથી વધુ સાંજોની અહીં વાત છે અને કોઈ બે સાંજ એકસરખી હોતી નથી એટલે કવિ બધા અંતરાની પંક્તિસંખ્યા અને પ્રાસ અનિયમિત રાખીને ચાલ્યા હોય એવું પણ બને. ફ્રાન્સિસ્કો કવિતાની શરૂઆતમાં ‘બિએટિટ્યુડ’ શબ્દ વાપરે છે. ખ્રિસ્તી લોકો આ શબ્દથી વાકેફ હોવાના. ઈસુ ખ્રિસ્ત પર્વત પર જે ધર્મોપદેશ (સર્મન) આપે છે, જે દરેકની શરૂઆત ‘blessed are…’ (ધન્ય છે…)થી થાય છે એને માટે બિએટિટ્યુડ શબ્દ વપરાય છે જેનો શાબ્દિક અર્થ દિવ્યાનંદ કે પરમ સુખ થાય છે. લેટિન beatitudinem (આશીર્વાદની અવસ્થા) પરથી ૧૫મી સદીના પ્રારંભમાં ફ્રેન્ચ ભાષામાં અને એમાંથી અંગ્રેજી ભાષામાં આ શબ્દ ઊતરી આવ્યો છે. એની સાથે જ કવિ ‘ક્વાયેટ્યુડ’નો પ્રાસ મેળવે છે જે પણ લેટિન quietudoમાંથી ફ્રેન્ચ ભાષામાં થઈને અંગ્રેજીમાં ઊતરી આવ્યો છે.

કવિતાના છએ છ અંતરા ‘સંધ્યાઓ’ શબ્દથી શરૂ થાય છે. સાંજ કદાચ દિવસનો સૌથી રૂપાળો હિસ્સો છે. આમ તો સૂર્યોદય પણ સોહામણો હોય છે પણ મનુષ્યનું સૂર્યોદય સાથેનું જોડાણ કવચિત્ જ હોય છે. દુનિયાના કોઈપણ હિલ સ્ટેશન પર જાવ, સૂર્યોદય કરતાં સૂર્યાસ્ત જોવા જ લોકો ટોળેબંધ ભેગા થાય છે. દિવસભર તાપ વરસાવીને સૂરજ જ્યારે અસ્તાચળે જાય છે, પશ્ચિમનું આકાશ પીળા-કેસરી-લાલ રંગની આભાથી રળિયામણું બની જાય છે. ગમે એટલી મનમોહક કેમ ન હોય, સાંજ હંમેશા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં આથમી જાય છે. સાંજ એના રંગ જેમ જેમ ઊતારતી જાય છે, અંધકારની કાલિમા પથરાતી જાય છે. સાંજ રાતનું અંધારું આંગળીએ પકડીને લાવે છે ને એટલે જ ઢળતી સાંજ આપણા મનને એક અકથ્ય ગ્લાનિથી ભરી દે છે. સાંજ ઢળે ત્યારે મન અકારણ ઉદાસ થઈ જતું આપણે અનુભવીએ છીએ. જગતભરના કવિઓએ સાંજની ઉદાસીની વાતો કરી છે. ફ્રાન્સિસ્કો પોતે એક કવિતામાં કહે છે: ‘અંધારું! એ સુંદર છે કેમકે એ ઉદાસ છે.’ તો બીજી કવિતામાં એ સાંજના ગુણ આ રીતે ગાય છે: ‘ભલે સવાર ચમકીલી છે, એનામાં પરિત્યક્ત જેલ જેવું કંઈક છે.’

અહીં કવિ સાંજને બહુવચનમાં સંબોધે છે અર્થાત્ આ વાત કોઈ એક દિવસ કે કેટલાક દિવસોની નહીં રહેતા, રોજેરોજની, હંમેશની બની રહે છે. શબ્દની પાસે કેવી કમાલ છે, નહીં!? સાંજ અને સાંજો – એકવચનનું બહુવચન કરતાંકમાં તો આખી કવિતાનો સંદર્ભ જ બદલાઈ જાય છે. આ સાંજો દિવ્યાનંદની સાંજો છે. કવિને ‘બિએટિટ્યુડ’નો બીજો અર્થ ઈસુના ગિરિપ્રવચનો પણ કદાચ અભિપ્રેત છે જ. એટલે આ સાંજો ધર્મોપદેશની, અર્થાત્ આત્મા અને પરમાત્મા વચ્ચે સાયુજ્ય સ્થાપવા માટેની મથામણની સાંજો છે ને એટલે જ એ દિવ્યાનંદની પણ છે. અંતર આનંદથી ઊભરાતું હોય ત્યારે બાહ્ય બંધનો ક્યારે છૂટી-તૂટી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. પુસ્તકો પણ ભૂલી જવાયાં છે કેમકે ગાઢ પ્રશાંતિમાં વીંટળાયેલો આત્મા પરમાત્મામાં ઓગળી રહ્યો છે. ઝેન પંથની વિચારધારા Void in to void અને nothingness યાદ આવે. ફ્રેડરિક નિત્શેએ કહ્યું હતું, ‘એ સાંજ જ છે જે મને આ રીતે અંદરથી સવાલ પૂછે છે.’ સાંજ બધું છોડતા જવાનો સમય છે. દિવસભર ઘર છોડીને દાણો શોધવા ગયેલાં પંખીઓ પણ સાંજે ઘરે પાછાં ફરે છે. સાંજનો સમય જાતની જાતરાનો સમય છે. સાંજ તમને કહે છે કે બહુ થયું, આખો દિવસ તમે દુનિયામાં બહુ ભટ્ક્યા, હવે સ્વયં ભણી પાછા વળો. છવ્વીસસો વર્ષ પહેલાં સેફો પણ આજ રીતે સાંજના ગુણગાન ગાઈ ગઈ: ‘એ બધી વસ્તુઓ, જે સવાર એની સોનેરી આંગળીઓથી વિખેરી નાંખે છે, એ બધી જ વસ્તુઓ, હે સાંજ! તું આખરે પાછી લઈ આવે છે.’

વર્ડ્સવર્થ શાંત અને મુક્ત સૌંદર્યાન્વિત સાંજના પવિત્ર સમયને પ્રશંસામાં શ્વાસહીન થઈ ગયેલી સાધ્વી (નન) જેટલો નીરવ ગણાવે છે. અહીં પણ શાંતિની ચરમસીમાની વાત છે. દિવસ અને રાતના આ સંધિકાળે બધા જ પ્રકારના અવાજો પણ સૂઈ ગયા છે. નાનામાં નાની વસ્તુ પણ એનેસ્થેશિયા આપીને બેહોશ કરવામાં આવી હોય એવી સમાધિઅવસ્થાની આ વાત છે. બાગના ફૂલો પણ ખુશબૂ રેલાવવું ભૂલી ગયાં હોય એમ મૂર્છિત છે. જ્યારે આપણી તમામ સંવેદનાઓ બેહોશ થઈ જાય છે ત્યારે જ ચેતના જાગે છે. ઈસુના ૨૦૦ વર્ષ પહેલાં અને ઈસુ પછીના સો વર્ષ સુધી રહસ્યવાદી સિદ્ધાંત અને સંન્યસ્ત જીવનમાં વિશ્વાસ રાખનાર યહૂદીઓના એક સંપ્રદાય એસેન (Essene) દુનિયાનો કદાચ એકમાત્ર સંપ્રદાય છે જે કહે છે, ઈશ્વર એટલે પૂર્ણતયા અંધકાર. ઓશો એસેનપંથીઓ સાથે સહમત થતા કહે છે, ‘પ્રકાશ આવે અને જાય છે, અંધારું કાયમ રહે છે. અંધારા માટે કશું ઊગતું નથી – એ છે જ.’ જો કે કુરાન, બાઇબલ, ઉપનિષદ વગેરેમાં ઈશ્વરને પ્રકાશ ગણવામાં આવ્યો છે. ઈશ્વરને આપણે પ્રકાશ સાથે અને મૃત્યુને અંધકાર સાથે સાંકળી લીધું છે કેમકે આપણે અંધકાર અને મૃત્યુ-બંનેથી ડરીએ છીએ. હકીકત એ છે કે પ્રકાશ મર્યાદિત છે, અંધારું અમર્યાદિત છે, અનંત છે. અજવાળું બધાને અલગ કરી નાંખે છે જ્યારે અંધારામાં બધા જ ભેદભાવ ઓગળી જાય છે. અંધારું એકત્વનો રંગ છે. બધા જ રંગ ભેગા થઈ જાય ત્યારે કાળો રંગ બને છે. જ્યારે બધા જ અવાજો, બધી જ ગતિવિધિ સાંજના ઓળામાં ખોવાઈ જાય અને સંપૂર્ણ નિઃસ્તબ્ધતા અને નીરવતાનું સામ્રાજ્ય જ પ્રવર્તી રહે છે ત્યારે જ મનુષ્યના આંતર્ચક્ષુ ઊઘડી શકે છે અને આપણે આપણી ભીતર જોઈ-જઈ શકીએ છીએ. સાંજ આપણને આ રીતે આપણી નજીક લાવે છે, માટે સાંજની ઉદાસી આપણને પોતીકી લાગે છે.

સમીસાંજે છાંયો વધુ ઘેરો લાગે છે અને વેરાન મકાન વધુ વેરાન લાગે છે. એક હાઇલાઇટર ફેરવીને સાંજ બધી જાતની નિષ્ક્રિયતાને વધુ સક્રિય બનાવે છે. સ્થિતિ જ ગતિ બની રહે છે. ઘરના ફર્નિચરનો જરા અમથો કિચૂડાટ પણ બેતુકી કર્કશતા અને અવાજની અપવિત્રતાના અતિક્રમણથી અક્ષુણ્ણ નીરવતાને પ્રદૂષિત કરતો લાગે છે. એક સંગીતકારે મને કહ્યું હતું કે એને ત્યાંના સાઉન્ડપ્રુફ કમરામાં મોટા ભાગના લોકો લાંબો સમય બેસી શકતાં નથી. કારણ? નીરવતા. જ્યારે માણસ બધા જ અવાજથી વેગળો પડી જાય છે ત્યારે એને એના શ્વાસનો, એના હૃદયનો અને એના વિચારનો અવાજ પણ સંભળાય છે. કેમકે આ અવાજથી માણસ કદી પરિચિત થયો જ નથી, એ છળી મરે છે. આદિલ મન્સૂરી કહે છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

– અહીં આપણે એકાંતના સ્થાને અંધારું અને નીરવતા –બંનેને મૂકી શકીએ. જે અવાજની ગેરહાજરીમાં પોતાની જાતને સાંભળી-સંભાળી શકે છે એ ઈશ્વરની સૌથી નજીક પહોંચી શકે છે.

ફ્રાન્સિસ્કો કહે છે, આ એવો સમય છે જ્યારે મકાનનો દરવાજો ચસોચસ ભીડાયેલો છે પણ આત્માનો ઊઘડી ગયેલો જણાય છે. દુન્યવી વ્યસ્તતાને ભોગળ ન દઈ દઈએ ત્યાં સુધી જાત સાથે ‘કનેક્ટ’ થવાતું નથી. અંધારું ન થાય ત્યાં સુધી તારા ચમકતા દેખાતા નથી. શેક્સપિઅર ‘મેક્બેથ’માં કહે છે: ‘અંધારાનાં સાધનો આપણને સત્ય કહે છે.’ અને ‘કીંગ લિઅર’માં કહે છે: ‘અંધારાનો રાજકુમાર સદગૃહસ્થ છે.’ એડિથ પિઆફ મજાની વાત કરે છે: ‘જ્યારે સાંજ આથમે છે, મારો સૂર્ય મારી સાથે બળી જાય છે. આ બિંદુએથી જ હું સાફ જોવું શરૂ કરું છું.’ દિવસના અજવાળામાં જે વસ્તુઓ આપણને પોતાની ચમકથી આંધળા બનાવી દે છે, એનું સત્ય સાંજના ઓછાયાઓના ચશ્માં પહેરીએ ત્યારે જ સાફ નજરે ચડે છે. એટલે જ કવિઓ અંધારાના ગુણગાન ગાતાં આવ્યાં છે.

દેવળના મિનારા પરના પવનદિશાસૂચક યંત્રની સ્થિર પાંખ પણ સ્તબ્ધ થઈ ગઈ હોય એમ હવાના અભાવમાં બિલકુલ ફરતી નથી. અત્તરની સુગંધ ઘ્રાણેન્દ્રિયને સરાબોળ તરબતર કરી દે એવી જ રીતે સંપૂર્ણ ચુપકીદી શ્વાસમાં થઈને ઠે…ઠ ભીતર ઊતરી જાય છે… ‘અ થાઉઝન્ડ્સ ફ્લેમિંગોઝ’માં સનોબર ખાન લખે છે: ‘તારો મારા માટેનો પ્રેમ શાંત બારીમાં થઈને વહી આવતી સાંજના સમુદ્રની ખુશબૂ જેવો બની રહો, જેથી મારે ન દોડવું પડે, ન પીછો કરવો પડે… તને અનુભવવા માટે. મારે ફક્ત શ્વાસ લેવાનો જ રહેશે.’ તમારી ચારેતરફ કશું જ ગતિમાન ન હોય, કશું જ પ્રકાશિત ન હોય, કશું જ શોરબકોર મચાવતું ન હોય એવી સંપૂર્ણ શાંતિને જ્યારે આપણે શ્વસતાં આવડી જાય ત્યારે જેમ હવામાંથી પ્રાણવાયુ એમ આ ચુપકીદીમાંથી સમાધિ આપણા રક્તકણોમાં ભળે છે. પ્રકાશ, અવાજ અને હોવાપણાની સદંતર ગેરહાજરીમાં જ ઈશ્વરની હાજરી છે. સાંજ, શાંતિ અને સમાધિનું આ ચિત્ર જીવનની સમગ્રતાનું સંપૂર્ણ ચિત્ર છે એટલે જ કવિએ કવિતાને ‘સમગ્ર’ શીર્ષક આપ્યું છે.

ગ્લૉબલ કવિતા : ૬૫: કેટકેટલીવાર – મેરી હૉવે

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

કેટકેટલીવાર

ખબર નથી કેટકેટલીવાર હું કોશિશ કરું છું તોય હું કેમે કરીને મારા પિતાને
અટકાવી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને હું કંઈ ખાસ જોઈ શકતી નથી, અહીંથી વાંકી વળીને એમની આંખોમાં
જોવા માટે. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ ભૂતકાળ છે
જ્યાં બધું ક્યારનું પરિપૂર્ણ જ છે અને કશું જ બદલાતું નથી

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ભોંય પર પડે છે
અને એકવાર ઊછળે છે ફૂટતા પહેલાં.

કંઈ જ નહીં. મારી બહેન કાઢે છે એ નાનો અવાજ પણ નહીં, પાસું
બદલતા, કૂતરાની પૂંછડીનો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એને ફરી ઠોકર ખાતા
વધુ પીવા માટે, થોડા ગભરાયેલા.

આ બરાબર એમ જ છે જેમ હું જાણતી હતી કે થશે.
અને હું જો તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

હું એ વરસોથી કરી રહી છું, અને હજીય કૂતરો
ચોંકી જાય છે અને ઘુરકે છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ અમારા પિતા છે,અને હજીય દરવાજો ખુલે છે, અને તેણી
કરે છે એ નાનો ઊંહકારો પાસું બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

વાડ ઊઠીને ચીભડાં ગળે ત્યારે…

સંબંધને શરીર ગણીએ તો વિશ્વાસ એનો આત્મા છે અને આત્મા વિનાનું શરીર શરીર નથી, લાશ છે. જાતથીય વધુ ભરોસો રાખીને તમે જેને તમારું સર્વસ્વ સોંપો છો એ જ તમને લૂંટી લે તો? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જઈ રડવું? વાડ ખુદ ઊઠીને ચીભડાં ગળે તો કોને કહેવા જવું? માળી ફૂલ પર નજર બગડે તો બાગનું ભવિષ્ય શું? –આ બધા પ્રશ્નો અનાદિકાળથી પૂછાતા આવ્યા છે ને અનંતકાળ સુધી અનુત્તરિત જ રહેવાના છે. પ્રસ્તુત કવિતામાં મેરી હૉ જો કે રક્ષક ભક્ષક બને એ વરવી વાસ્તવિક્તાથી એક કદમ વધુ આગળ જાય છે, બળાત્કારી બાપ અને લાચાર દીકરી વચ્ચેના અનૌરસ સંબંધની વાત કરે છે અને આપણને રીતસરના હચમચાવી નાંખે છે.

મેરી હૉવે. ૧૯૫૦ની સાલમાં ન્યૂયૉર્ક ખાતે જન્મ અને હાલ પણ ત્યાં જ વસે છે. નવ સંતાનોમાં સૌથી મોટાં. અખબારપત્રીથી કારકિર્દી શરૂ કરી અને યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા બન્યાં. હાલ એ એકેડમી ઑફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર છે. ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન એ ન્યૂયૉર્ક શહેરના રાજકવિ હતાં. મેરીની કવિતાઓ સમસ્યાના અંધારા મૂળ સુધી લઈ જતી કવિતાઓ છે. એની રચનાઓ સ્ત્રીસહજ સંવેદનોથી સમૃદ્ધ છે પણ આ સ્ત્રી પ્રવર્તમાન સમયની સમસ્યાઓથી પીડાતી અને અવાજ ઊંચો કરતી નજરે ચડે છે. બ્રેન્ડા શૉનેસી કહે છે, ‘હૉવેની કવિતા આધિભૌતિકને ભૌતિક અને ભૌતિકને આધિભૌતિક બનાવે છે.’

કવિતાનું શીર્ષક ‘કેટકેટલીવાર’ આપણે જે વાંચવા જઈ રહ્યાં છીએ એ ઘટનાના અસંખ્ય પુનરાવર્તનની નગ્ન વાસ્તવિક્તા સાથે આપણો સાક્ષાત્કાર કરાવે છે. જિંદગીનો છંદ જ તહસનહસ થઈ ગયો છે એટલે કવયિત્રી પોતાને અભિવ્યક્ત કરવા માટે અછાંદસ કાવ્યપ્રકાર પસંદ કરે છે. નાની-મોટી બબ્બે પંક્તિઓનું જૂથ બે વ્યક્તિ વચ્ચે બની રહેલી ઘટના કે પછી નાના-મોટા હોવાના કારણે બરાબર બંધ ન થઈ શકનારા દરવાજાઓ ઈંગિત કરે છે. કવિતા આત્મકથનાત્મકરીતિથી લખાયેલી હોવાથી આપણે સહેજે એમ કલ્પી લઈએ છીએ કે કવિતાનો સંભાષક કવયિત્રી ખુદ અથવા એક સ્ત્રી છે. અંગ્રેજી ભાષામાં ‘I’ (હું) પરથી બોલનારની જાતિ નક્કી થઈ શકતી નથી એટલે સંભાષક પુરુષ હોવાની શક્યતા પણ નકારી ન શકાય. બીજું, કવિતામાં એક બહેન ઉપર કરવામાં આવેલા અત્યાચારની વાત છે એટલે એવો પણ વિચાર આવે કે સંભાષક પણ સ્ત્રી જ હોય તો એ શા માટે વરસોથી ચાલી આવતા આ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી ગઈ છે? એક વાત એવી સમજી શકાય છે કે બે બહેનો (સંભાષક જો બહેન હોય તો) વચ્ચે ઉંમરનો તફાવત બહુ વધારે હોવો જોઈએ અને ઘણા વરસો પછી પણ આજે સંભાષકની ઉંમર એટલી વધુ નથી કે એ એજ અત્યાચારનો ભોગ બને જેનો ભોગ મોટી બહેન બની રહી છે અથવા અત્યાચારીને એનામાં રસ જ નથી.

વાત incest ની છે. ઇન્સેસ્ટ (incest) અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. લેટિન શબ્દ incestus પરથી આ શબ્દ ઊતરી આવ્યો છે, જેનો અર્થ એ જમાનામાં ‘ચારિત્ર્યહીન’ જેવો વ્યાપક હતો, આજની જેમ માત્ર ગૌત્રગમન પૂરતો સીમિત નહોતો. Incestus શબ્દ cestonના વિરોધી શબ્દ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ વિનસનો કમરબંધ થાય છે જે મર્ત્યલોકોને લગ્નમાં બાંધી રાખે છે. વ્યભિચાર એટલે કે આ કમરબંધ ખોલી નાંખવો. બાપ-દીકરી-, મા-દીકરો, ભાઈ-બહેન કે નજીકના સગાંઓ શારીરિક સંભોગની ક્રિયામાં જોડાય એ ઘટનાને મોટાભાગના સમાજમાં શરૂથી હીણપતભર્યું ગણવામાં આવ્યું છે. કેટલાક સમાજમાં નજીકના સગાંઓમાં લગ્ન પણ માન્ય ગણાય છે પણ મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને તો કોઈ જ બહાલી આપતું નથી. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે. પણ ગ્રીસમાં અલગ-અલગ માથી જન્મેલા એક જ બાપના સંતાનો કે કાકા-ભત્રીજીઓ વચ્ચે લગ્ન શક્ય હતા. પ્રાચીન ઇજિપ્તમાં પણ રાજવંશને જીવતો રાખવા માટે પરિવારમાં જ શારીરિક સંબંધો બાંધવામાં છોછ નહોતો. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસ એની નાટકત્રયીમાં ઇડિપસ અને એની માતા વચ્ચે અજાણતાં બંધાતા શારીરિક સંબંધ અને એમાંથી જન્મતી કરુણાંતિકા વર્ણવે છે. મા અને દીકરા વચ્ચેના આકર્ષણને મનોવૈજ્ઞાનિકો ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ તરીકે ઓળખે છે. એનાથી વિપરીત ‘ઇલેક્ટ્રા કોમ્પલેક્સ’ છે જેમાં છોકરી બાપનો પ્રેમ પામવા માટે માની સાથે હરીફાઈ કરે છે. દીકરાનું માની સાથેનું અને દીકરીનું બાપની સાથેનું ખેંચાણ જાણીતું જ છે પણ જ્યારે ઉપરછલ્લું છાનું ખેંચાણ યેનકેન પ્રકારે શરીરસંબંધ સુધી ઊંડુ ઊતરે છે ત્યારે પરિવારમાં ભૂકંપ થાય છે.

લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ‘રિપબ્લિક’માં સૉક્રેટિસ કહે છે, ‘સ્વપ્નમાં મનુષ્યની પાશવી વૃત્તિઓ મુક્ત થાય છે; આ પાશવી પાસું ખ્યાલોમાં મા સાથે કે અન્ય કોઈપણ સાથે સૂવાની કોશિશથી મુક્ત નથી.’ તો સાડી છસો વર્ષ પહેલાં ‘કેન્ટરબરી ટેલ્સ’માં ચૌસર કહે છે, ‘આ એવું ઘૃણાપાત્ર પાપ છે જેના વિશે ભાગ્યે જ બોલાવું કે લખાવું જોઈએ. આ પાપ કરનારા કૂતરા સમાન છે, જેઓ ભાઈભાંડુ તરફ ધ્યાન આપતા નથી.’

સગો બાપ ઊઠીને સગી દીકરી પર નજર બગાડે છે અને ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય એ વખતે
દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. એક યા બીજા કારણોસર દીકરી મોં ખોલી શકી નથી એટલે જમ ઘર ભાળી ગયો અને એકવારનો બળાત્કાર રોજની ઘટના અને વરસોવરસની ઘટના બની ગઈ. પોતાના વીર્યમાંથી જેનો પિંડ રચાયો છે એના જ ગર્ભાશયમાં પોતાનું વીર્ય ખાલી કરતા બાપની બર્બરતા કોઈરીતે માફ કરી શકાય એમ નથી પણ આ ઘરેલુ હિંસા છે, યુગયુગોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી છે જ નહીં, એક વાસણ બનીને રહી જાય છે, જેમાં રોજ રાત્રે એ પોતાની ગંદકી ખાલવી શકે છે.

નાયિકા ખબર નથી કે કંઈ કેટકેટલીવાર કોશિશ કરી રહી છે પોતાના પિતાને પોતાની મોટી બહેનના ઓરડામાં જતા અટકાવવા માટે પણ એ આજ સુધી કદી સફળ થઈ નથી. એ છુપાઈને આખી ઘટના જોતી આવી છે. જ્યાં છે ત્યાંથી વાંકી વળીને એ પોતાના પિતાની આંખોમાં જોવા ઇચ્છે છે પણ કશું જોઈ શકતી નથી. કેમકે રાત ઢળી ચૂકી છે, બધા સૂઈ ગયા છે અને હૉલમાં માત્ર અંધારું છે. નાયિકા વર્તમાનને ભૂત સાથે સાંકળે છે. કહે છે, ભૂતકાળના ગર્ભમાં બધું જ પરફેક્ટ છે અને કશું જ બદલાતું નથી. પાણીનો ગ્લાસ બાથરૂમમાં પડે છે અને તૂટતાં પહેલાં એકવાર ઊછળે છે. બરાબર એ જ રીતે, જે રીતે બહેન તૂટતાં પહેલાં ઊછળી હશે? તૂટતા પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ કદાચ એ વાતનું પણ પ્રતીક છે કે એકવાર દીકરી બાપને ઓરડામાં આવતા રોકે છે પણ બાપ ફરીથી ઢીંચીને આવે છે અને દીકરીનું શિયળ ભાંગે છે. હવે કશું જ બચ્યું નથી. કંઈ જ નહીં. બાપના શરીર અને અત્યાચાર-બંનેની નીચે કચડાયેલી-દબાયેલી બહેનના મોંમાંથી ખૂબ નાનો અવાજ પણ પાસું બદલતી વખતે માંડ નીકળી શકે છે. કૂતરો પણ પોતાની પૂંછડી જમીન સાથે ઠોકીને અવાજ કરતો નથી જ્યારે એ એક આંખ ઊઘાડીને દારૂડિયા ઘરમાલિકને ઠોકર ખાતો જુએ છે. મૂંગુ પ્રાણી પણ સહમી ગયું છે. એ એકસાથે બે આંખ પણ ઊઘાડી શકતો નથી. નાની બહેન જેમ વાંકી વળીને અંધારામાં ડોકિયાં કરવાથી વધુ કંઈ કરી શકતી નથી એજ રીતે કૂતરો પણ ચુપ રહેતાં શીખી ગયો છે. નાયિકા જાણે છે કે આખો ઘટનાક્રમ પોતે જે રીતે જાણે છે અને વિચારે છે એ જ રીતે ઘટી રહ્યો છે. એ બહેનને ચેતવણી આપવા માંગે છે પણ એના હોઠોમાંથી બહેનનું નામ અને ચેતવણીનો ફુત્કાર એક ફુસફુસાહટ બનીને જ રહી જાય છે, જે વરસોથી બીજું કોઈ સાંભળી શક્યું નથી, એની બહેન સુદ્ધાં નહીં. કૂતરો રોજ ચોંકે છે અને ઘુરકેય છે પણ પછી માલિકને જોઈને શાંત થઈ જાય છે. આ જુલમ હજી પૂરો થયો નથી. હજી પણ રોજ દરવાજો ખુલે છે, બાપ દીકરીના ઓરડામાં ઘુસે છે, દીકરી પાસું બદલતાં ઊંહકારો કરે છે જે રાતના અંધારામાં ઓગળી જાય છે…. નાયિકા બહેનને મદદ ન કરી શકવાના જે અપરાધભાવથી પીડાય છે એ એની ફુસફુસાહટથી ઉપર ન વધી શકતી ચેતવણીથી ઈંગિત થાય છે.

કવયિત્રી આપણી શ્રાવણેન્દ્રિયને હાથમાં ઝાલીને પોતાનો હેતુ સિદ્ધ કરે છે. દૃશ્ય ક્યાંય છે તો નહીં બરાબર છે. પિતાનું દીકરીના રૂમમાં જવું, ખંડમાં અંધારું હોવું કે કૂતરાનું એક આંખ ખોલી જોવું- આથી વિશેષ કવયિત્રી આપણને બતાવતા નથી. જે બને છે એ અંધારામાં દરવાજાની પાછળ બને છે જેને નાયિકા અને એ રૂએ આપણે જોઈ શકતા નથી. કવિતાનો ખરો નાયક અવાજ છે. અવાજના રસ્તે ચાલીને કવિતા આપણા અંતરમાં પ્રવેશે છે. અવાજ પણ સાવ નહીંવત્ છે. બાથરૂમમાં ગ્લાસના ફૂટવાનો અવાજ, દીકરીનો અવાજ, કૂતરાની પૂંછડીના અવાજની ગેરહાજરી, નાયિકાની ફુસફુસનો અવાજ- બધું જ દબાયેલું છે પણ આ અવાજ જેટલો નીચો છે, કવિતામાંથી ઊઠતો આર્તસ્વર એટલો જ તીવ્ર અને ઊંચો છે. ડાયન ચેમ્બર્લિન કહે છે, ‘ઇન્સેસ્ટ એક મૂંગો રોગચાળો છે. દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ આનો ભોગ બને છે, જેમાંથી ચર્ચ પણ બાકાત નથી.’ આપણે પણ જાણીએ જ છીએ કે સમાજમાં આવા નરાધમો આપણી અડખેપડખે ક્યાંક અસ્તિત્વ ધરાવે જ છે. આંકડા તો જેટલી ઘટનાઓ છાપાંના પાને ચડે છે એ જ બોલશે પણ મોટાભાગનાઓના અસ્તિત્વથી આપણે અપરિચિત જ રહીએ છીએ. સાચા આંકડા તો અનેકગણા મોટા જ હોવાના કેમકે કૌટુંબિક બળાત્કાર એટલો બધો અંગત વ્યભિચાર છે કે મોટાભાગના લોકો પોતાની જાંઘ ઊઘાડી કરી શકતા નથી. છાપાંના સમાચાર તરીકે નહીં પણ પણ એક કવિતાના સ્વરૂપે આ ઘટના જ્યારે આપણી સામે આવી ઊભે છે ત્યારે આપણે આનખશિખ સળગી ઊઠીએ છીએ. પણ કંઈ કરી શકતાં નથી. કવયિત્રી પણ સમસ્યા આપણી સામે મૂકે છે, કોઈ ઉકેલ નથી મૂકતાં. જો કે કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ ભાવકનો સમસ્યા સાથે સાક્ષાત્કાર કરાવવાનું. ભાવકની સંવેદના જાગે અને ભાવક પછી શું કરે એ કવિતાએ જોવાનું છે જ નહીં…

વિશ્વાસ કોઈપણ સંબંધનું ચાલકબળ છે અને કુટુંબનો તો એ પ્રાણ છે. જે મા-બાપે જન્મ આપ્યો અને ઊછેર્યા એ મા-બાપ પર કયા સંતાન અવિશ્વાસ કરશે? મા-બાપ અને સંતાન વચ્ચેનો ભરોસો એ સૃષ્ટિનો સૌથી મજબૂત તાંતણો છે એટલે જ આજના લેખક ઇ. સ્યુ બ્લુમ કહે છે: ‘ઇન્સેસ્ટ જબરદસ્તીથી વસૂલાયેલો બળાત્કાર છે. બાળકનું બાળપણ જ એને કાબૂમાં રાખવા માટેનું હથિયાર બની રહે છે.’ પ્રેમને તો સરહદ છે પણ વાસના દરેક અંતિમોથી ફરી શરૂ થાય છે. વાઘ લોહી ચાખી જવા જેવી કે જમ ઘર ભાળી જવા જેવી આ વાત છે. શોષિત વ્યક્તિ જે ઘડીએ હોઠ ખોલીને ફરિયાદ કરી શકતી નથી એ ઘડીએ જ એના શોષણની વણથંભી અંતહીન હારમાળા પ્રારંભાય છે. એલન જાન્કોવ્સ્કીની કટાક્ષપ્રચુર કવિતા ‘ઇન્સેસ્ટ ઇઝ બેસ્ટ’માં બાપ દીકરીને કહે છે કે ઇન્સેસ્ટ એ સારો રસ્તો છે, આ એવી રમત છે જે આખો પરિવાર રમી શકે છે. અંતે એલિઝા ટોરિસની કવિતા ‘Daddy’s bed girl’ જોઈએ, જેના શીર્ષકમાં વપરાયેલ bed શબ્દ ‘પથારી’ અને ‘ગંદી’ –બંને અર્થચ્છાયા ધરાવે છે:

‘તું કેટલી ડાહી દીકરી છે!”
ખાટી વ્હિસ્કીવાળો શ્વાસ મારા ગાલ સાથે અથડાય છે.
“તને આ જોઈએ છે ને?”
હું માથું ધુણાવું છું, શ્વાસ લેવા, બૂમ પાડવા મથતી ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બની રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

ગ્લૉબલ કવિતા: ૬૪ : પુરાતન ખલાસીની કવિતા- સેમ્યુઅલ ટેઇલર કોલરિજ

The Rime of the Ancient Mariner

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– Samuel Taylor Coleridge

પુરાતન ખલાસીની કવિતા

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

પીંછીના બદલે કલમથી દોરાયેલા અમર ચિત્રો…

શેક્સપિઅરનો હેમ્લેટ કહે છે: ‘નાટકનો હેતુ પહેલાં પણ અને આજે પણ પ્રકૃતિ સામે અરીસો ધરવાનો (“Hold mirror up to the nature”) જ હતો અને છે-સારાને સારો અને ખરાબને ખરાબ બતાવવાનો.’ કવિતા સમાજનો અરીસો છે. એ સમાજને એનો ચહેરો જેવો છે એવો જ દેખાડવાનું કામ કરે છે. મનુષ્યજીવનની મર્યાદાઓ, ક્ષતિઓ, દુર્ગુણો પર પ્રકાશ ફેંકીને કવિઓ સમાજને સાચા જીવનનો રાહ દેખાડવાનું કામ કરે છે. અભિમાન પણ આવો જ એક દુર્ગુણ છે. અભિમાનના અરીસામાં સર્વનાશ સિવાય કંઈ જ નજરે ચડતું નથી. રાવણ તરફ જુઓ કે કંસ તરફ, દુર્યોધન તરફ જુઓ કે હિરણ્યકશ્યપ તરફ –અભિમાનના નશામાં જે જે ચૂર થયા છે એ વયષ્ટિ અને સમષ્ટિ માટે વિનાશ જ લાવ્યા છે. કોલરિજ એની વિશ્વપ્રસિદ્ધ કવિતામાં આ વાત આગવા અંદાજ થી કરે છે.

સેમ્યુઅલ ટેઇલર કોલરિજ. લગભગ સાડી ત્રણસો વર્ષ પૂર્વે ૨૧-૧૦-૧૭૭૨ના રોજ ડેવોનશાયર ખાતે એક પાદરી અને શાળાશિક્ષકને ત્યાં તેરમા સંતાન તરીકે જન્મ. દસ વર્ષની ઊંમરે પિતાનું અવસાન. દસ વર્ષની ઊંમરે લંડન ભણવા ગયા ને દસ વર્ષ ત્યાં રહ્યા. ઊંમરના પ્રમાણમાં ખૂબ પ્રતિભાશાળી. મા-બાપ અને મિત્રોના અભાવમાં ભયંકર એકલતામાં જીવ્યા. પણ આનો ફાયદો એ થયો કે એ પારંપારિક શાસ્ત્રીય સાહિત્યના ઊંડા અભ્યાસુ અને તત્ત્વ તથા ધર્મના પ્રખર મીમાંસુ બન્યા. એ પછી કેમ્બ્રિજ ગયા પણ આઝાદી અને પ્રજાસત્તાકનું ભૂત માથે સવાર થયું એટલે સેનામાં જોડાયા પણ કંઈ ખાસ ઊકાળ્યા વિના જ કેમ્બ્રિજ પાછા ફર્યા પણ ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી. ‘લેક પોએટ’ રૉબર્ટ સાઉથીની સાળી સારાહ ફ્રિકર સાથે જલ્દબાજીમાં પરણી ગયા ને પછી કલ્પદ્વીપ (યુટોપિઆ)ના સર્જનમાં મચી પડ્યા. બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી એમણે ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી. ટૂંકસમયમાં જ વાસ્તવિક્તાની કાલિમાથી સુપેરે અવગત થયા. કલ્પનાનું રામરાજ્ય પડી ભાંગ્યું, લગ્નજીવનની ઉતાવળ માથે વાગી અને ગરીબીનો ભોગ બન્યા તે નફામાં. ૧૭૯૭માં વર્ડ્સવર્થ ભાઈ-બહેન સાથેની એમની જગપ્રસિદ્ધ મૈત્રી પ્રારંભાઈ. બંને માટે આ મૈત્રી વરદાનરૂપ બની. બંને એ ભેગા થઈને ‘લિરિકલ બેલડ્સ’ પુસ્તક પ્રગટ કર્યું જેની લોકપ્રિયતા આજે પણ ચરમસીમાએ છે. આ સીમાચિહ્ન પુસ્તકથી ઉત્કૃષ્ટ અહંકારી કવિતાનો યુગ શરૂ થયો. ‘રોમેન્ટિક યુગ’ના અગ્રણી પ્રણેતા. ‘લેક પોસ્ટ્સ’માંના એક. બિનશરતી વર્ષાસન મળતાં નાણાંભીડ પૂરી થઈ. વર્ડ્સવર્થની સાળી સારાહ હચિન્સનના પ્રેમમાં પડ્યા. નાનપણથી એકલતા અને માનસિક બિમારીના શિકાર હતા જે અફીણની આજીવન લતમાં પરિણમી. શારીરિક બિમારીઓ પણ ઘેરી વળી. વર્ડ્સવર્થ સાથેની દોસ્તી જેટલી ગાઢ હતી એવી જ બે વર્ષ જેટલી ટૂંકી દુશ્મની પણ થઈ, જે જો કે પૂર્વવત્ મૈત્રીમાં કદી પરિણમી ન શકી. ૨૫-૦૭-૧૮૩૪ના રોજ અફીણ સાથે સંલગ્ન ફેફસાંની બિમારી અને હાર્ટ ફેઇલ્યરના કારણે નિધન.

તીવ્ર કલ્પના શક્તિ એમની કવિતાનો પ્રધાન રંગ છે. કવિતાના એવા કુશળ કસબી કે એમના સર્જનમાંથી ભૂલ શોધવી અઘરી થઈ પડે. ‘ક્રિસ્ટાબેલ’માં એમણે જે છંદ પ્રયોજ્યો તે આજે ‘ક્રિસ્ટાબેલ મીટર’ તરીકે ઓળખય છે, આના પરથી એમની કાવ્યકુશળતા સમજી શકાય છે. અલૌકિક જગત, ખાસ કરીને પ્રેતાત્માઓ અને દુનિયાની અસ્પષ્ટતાઓ એમની રચનાઓમાં સતત દૃષ્ટિગોચર થાય છે. અવિશ્વાસનો સ્વૈચ્છિક અનાદર (The willing suspension of disbelief)માં તેઓ માનતા અને એમની રચનાઓ વાચકને બે પળ માટે એ વાત ભૂલાવી દેવામાં સફળ પણ થાય છે કે વાસ્તવજગતમાં આ શક્ય જ નથી. કાવ્યકળામાં એ એટલા પાવરધા હતા કે કાવ્યસૌંદર્ય અર્થ-સમજણની ઉપરવટ ક્યારે પહોંચી ગયું એ ભાવક કળીય નથી શકતો. અને આ બધા સાથે ભાષાની સહજતા પણ એમને સાધ્ય હતી. એમના પ્રવચનો, કવિતાઓ, શેક્સપિઅરનું વિશ્લેષણ, જર્મન ફિલસૂફ કેન્ટના અનુવાદો –આ તમામ સર્વકાલીન ઉત્તમોત્તમ સાહિત્યમાં મોખરાનું સ્થાન પામ્યા છે. નાજુક તનદુરસ્તી, માનસિક બિમારીઓ, અફીણની ઊંડી લત, તત્ત્વમીમાંસા અને આધ્યાત્મનો ચસકો, પ્રેમમાં સતત નિષ્ફળતા, એકલતા –આ બધાની વચ્ચે થઈને પણ જે ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા તથા કવિતાના સ્વરૂપ અને અભિવ્યક્તિ પરની હથોટી તરી આવે છે એ અભૂતપૂર્વ છે.

‘ધ રાઇમ ઑફ એન્શન્ટ મરિનર’નો જન્મ વર્ડ્સવર્થ સાથેની દોસ્તીમાંથી થયો. બંનેએ બે જાતની કવિતાઓ રચવી નક્કી કર્યું. વર્ડ્સવર્થ રોજબરોજની જિંદગી અને વાસ્તવિક્તાને વિષયવસ્તુ બનાવીને રચનાઓ કરે અને કોલરિજ અતિપ્રાકૃત-અલૌકિકને વિષયવસ્તુ બનાવીને તીવ્ર કલ્પનાશક્તિથી અગોચર વિશ્વની ઘટનાઓને વાસ્તવિક લાગે એ રીતે રજૂ કરે અને બંને મિત્રો સંયુક્તરીતે ‘લિરિકલ બેલડ્સ’ બહાર પાડે એમ નિર્ધારાયું, જેની એક ફળશ્રુતિ એટલે કોલરિજની આ કવિતા. કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાં વહેંચાયેલ આ દીર્ઘ કાવ્યના બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. અંગ્રેજી ‘બેલડ’(લોકગીત-કથાકાવ્ય)નું સ્વરૂપ કોલરિજે અપનાવ્યું છે પણ સભાન આઝાદી સાથે કામ કર્યું છે. કથાકાવ્યની લાક્ષણિકતાઓ જેમકે, લાઘવ, સીધી મોઢા પર થતી વાત, નાટ્યાત્મક વળાંક અને પુનરોક્તિ ને પુનરાવર્તન કોલરિજ બખૂબી પ્રયોજે છે. થોડા અપવાદ બાદ કરતાં કાવ્યરચના ચતુષ્ક પ્રકારે જેમાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવાયા છે. અંગ્રેજી કવિતામાં સૌથી વધુ વપરાતા ‘આયંબ’ (લઘુ-ગુરુ શબ્દાંશ)ને કુશળતાપૂર્વક કોલરિજ પહેલી અને ત્રીજી પંક્તિમાં આઠ અને બીજી-ચોથીમાં છ શબ્દાંશ (સિલેબલ્સ) વાપરીને પ્રયોજે છે. આ દીર્ઘકાવ્ય કોલરિજની ઉત્કૃષ્ટ કવ્યકળાનો બેનમૂન દાખલો છે પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે એના ચાહકો કરતાં ટીકાખોરો વધુ હતા. આ કવિતા એક ઘરડા ખલાસીની વાર્તા છે પણ કોલરિજ એના માટે વૃદ્ધના બદલે પૌરાણિક (Ancient) વિશેષણ વાપરીને જૂની અંગ્રેજી ભાષાના ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો તૈયાર કરે છે. પૌરાણિક શબ્દપ્રયોગ કોઈક ખૂબ પ્રાચીન પણ અમૂલ્ય સંપદા તરફ પણ ઈશારો કરે છે. બીજું, Rhyme એટલે કે પ્રાસપ્રધાન કવિતાના બદલે એ Rime શબ્દ પ્રયોજે છે, જે એક તરફ તો જૂની અંગ્રેજી ઈંગિત કરે જ છે પણ એનો બીજો અર્થ ફ્રોસ્ટ (હિમાચ્છાદન) થાય છે. કવિતાનો મુખ્યાંશ એન્ટાર્ક્ટિક સમુદ્રમાં છે જ્યાં બરફ જ બરફ જોવા મળે છે. ખલાસીનો ખુદનો દેખાવ અને વ્યક્તિત્વ પોતે પણ હિમાચ્છાદિત હોય એવા રહસ્યમયી ભાસે છે. કવિતાની પ્રથમ આવૃત્તિ જૂની ઢબની જોડણીના કારણે ખૂબ વગોવાઈ હતી, જેને કોલરિજે બીજા પ્રકાશન વખતે સુધારી હતી અને જરૂરી ટૂંકનોંધો પણ ઉમેરી હતી.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

પહેલા ભાગના અંતે ખલાસી આલ્બાટ્રોસનો શિકાર કરે છે. એ પછીના બીજા ભાગના કેટલાક ચતુષ્ક કોલરિજની અફલાતૂન કથાક્ષમતાના બદલે દૃશ્યચિત્ર દોરવાની બેનમૂન આવડત રજૂ કરવાની નેમ સાથે અહીં લીધા છે. પહેલા ચતુષ્કમાં જે દરિયામાં આ અગાઉ કોઈ કાળા માથાનો મનુષ્ય પહોંચ્યો જ નથી એ દરિયામાં આ વૃદ્ધ ખલાસીનું જહાજ પહોંચે છે એ વાત છે. સાનુકૂળ હવા વીંઝાઈ રહી છે અને વહાણ ચાલવાથી ફીણ ઊછળે છે. જહાજની પાછળ પાણીમાં પડતો ચીલો મુક્તમને પડે છે એમ કહીને કોલરિજ નિરવરોધ ગતિ દોરી આપે છે. પણ બીજા ચતુષ્કમાં અચાનક જ પવન પડી જાય છે, સઢ ઢળી પડે છે અને દુઃખ પોતે જેનાથી વધુ દુઃખી ન થઈ શકે એવી ગ્લાનિ અનુભવાય છે. કોઈપણ પૂર્વચેતવણી વગર આવતો ૧૮૦ ડિગ્રીનો આવો વળાંક ‘પારંપારિક કથાકાવ્ય’ની લાક્ષણિકતા છે, જે કોલરિજ કુશળતાપૂર્વક પ્રયોજે છે. દરિયાનું મૌન ખલાસીઓની વાચા ગળી ગયું હોય એમ કોઈ કામ વગર બોલતું નથી. દિવસો પસાર થાય છે પણ હવાનું નામોનિશાન ન હોવાથી નિઃસ્તબ્ધ સમુદ્રમાં જહાજ એ હદે ગતિહીન ઊભું છે કે આ થીજી ગયેલું દૃશ્ય ચિત્ર જેવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લાકડાના પાટિયાં તો પાણી પર તરે પણ કોલરિજ પાટિયાં સિક્કે ડૂબી રહ્યાં છે એમ કહે છે, જાણે જેમ પીવાના પાણી વિના ગળું એમ લાકડું સૂકાઈને ડૂબવા ન માંડ્યું હોય! ‘બેલડ’ની એક લાક્ષણિકતા મુજબ ચારે બાજુ પાણી જ પાણીની વાત દોહરાવીને એ વળી તરસની પરાકાષ્ઠા નિર્દેશે છે. આ કલ્પનો આજે કદાચ ચવાઈને ચુથ્થો થઈ ગયાં છે પણ સાડી ત્રણસો વર્ષ પહેલાં આ કલ્પનો પહેલવહેલાં વપરાયાં હશે ત્યારે કેવા ચમત્કારી લાગ્યાં હશે! દુષ્કાળના પરિણામે સૌની જીભ છેક મૂળથી જાણે ચીમળાઈ ગઈ હતી. તરસના કારણે ગળાં એવાં સૂકાઈ ગયાં હતાં કે બધાના મોંમાં કોઈએ મેંશ ભરી ન દીધી હોઈ એમ કોઈ બોલી શકવા શક્તિમાન નહોતા. ખલાસી વિચારે છે કે કેવો ખરાબ દિવસ ઊગ્યો કે જહાજ પરના નાના-મોટા દરેક એની સામે ગંદી નજરે જુએ છે અને સૌની આ દુર્દશા માટે એને જ જવાબદાર ગણાવે છે. ખ્રિસ્તીઓ ગળામાં ક્રોસ લટકાવે એના સ્થાને એના સાથીઓએ એના ગળામાં એણે જેનો વધ કર્યો હતો એ આલ્બાટ્રોસ જ વીંટાળી દીધું.

પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશને મોક્ષની કથા પણ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ રચના પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે. કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે, ભૂંસાતી આવી છે, ભૂંસાતી રહેશે પણ કેટલીક કવિતાઓ હૉમરના ‘ઇલિયાડ’-‘ઑડિસી’, દાન્તેની ‘ડિવાઇન કોમેડી’, મિલ્ટનની ‘પેરેડાઇઝ લૉસ્ટ’, વાલ્મીકીના ‘રામાયણ’ કે વ્યાસના ‘મહાભારત’ની જેમ અમરપટો લખાઈને આવી હોય છે. કોલરિજની આ કવિતા એમાંની એક છે.

ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન

Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

નેક્સ્ટ, પ્લીઝ

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,

આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

મનુષ્યજીવનની એકમાત્ર નિશ્ચિત વસ્તુ કઈ?

આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભક્તિભાવપૂર્વક આપણે સહુ ઊજળી આવતીકાલની રાહ જોઈએ છીએ અને દૃઢતાપૂર્વક માનીએ છીએ કે કેમકે આપણી ઈંતેજારી, આપણી આવતીકાલ માટેની શ્રદ્ધા સો ટકા પ્રામાણિક છે અને સર્વાંગસંપૂર્ણ છે, એ ફળવી જ રહી. હકીકત એ છે કે આવતીકાલના ગર્ભમાં આપણા સહુના માટે એક અને માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત છે અને તે છે મૃત્યુ. મૃત્યુ સિવાય જિંદગીમાં બીજું કશું જ ગેરેંટેડ નથી એ વાતને ખૂબ જ અદભુત રીતે ફિલિપ લાર્કિન આપણી સમક્ષ લઈ આવે છે.

ફિલિપ આર્થર લાર્કિન. કવિ. નવલકથાકાર. નિબંધકાર. ૦૯-૦૮-૧૯૨૨ના રોજ કોવેન્ટ્રી, યુ.કે. ખાતે સિડની અને ઇવા લાર્કિનને ત્યાં જન્મ. પિતા શહેરના ખજાનચી હતા. શાળાના સામયિકમાં લાર્કિનની રચનાઓ નિયમિતપણે આવતી એ ઉપરાંત એ સામયિકના સંપાદનમાં પણ મદદગાર બનતા. બાળપણ એકલવાયું. તોતડાતા પણ ખરા. નબળી આંખોના કારણે આર્મીમાં ન જઈ શક્યા. ઓક્સફર્ડમાં અંગ્રેજી ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે ભણ્યા. આજીવન લાઇબ્રેરિઅન. જાઝ સંગીતના શોખીન. કોલેજમાં ‘સેવન’ નામનું ગ્રુપ પણ બનાવ્યું. લાંબા સમય સુધી એક જ સમયગાળામાં એકાધિક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ. વિકીપીડિયા એમના જાહેર વ્યક્તિત્વને ‘નો-નોનસેન્સ’ કહીને સંબોધે છે. જાહેરજીવનથી બહુધા દૂર. માન-સમ્માનની દૃષ્ટિએ અલગારી જીવ. ૧૯૮૪માં ઇંગ્લેન્ડના રાજકવિ તરીકેનું બહુમાન જવાબદારીનો બોજો સ્વીકારવો ન હોવાના કારણોસર નકાર્યું. નવલકથાકાર થોમસ હાર્ડી એમના માટે મોટો પ્રેરણાસ્ત્રોત પણ અને હાર્ડીને કવિ તરીકેનું બહુમાન અપાવવામાં એમનો ફાળો પણ નોંધપાત્ર. ૦૨-૧૨-૧૯૮૫ના રોજ અન્નનળીના કેન્સરથી અવસાન.

ઉદાસી એમની કવિતાઓનો પ્રધાન સૂર હતો. લાર્કિને પોતે કહ્યું હતું કે વર્ડ્સવર્થ માટે જે સ્થાન ડેફોડિલ્સનું હતું, એ એમના માટે વંચિતતા-વિપદાનું છે. મૃત્યુ અને માનવજીવનની ‘ડાર્ક’ રમૂજ સાથે વળગણ. માર્મિક અલ્પોક્તિ એમની કવિતાને ધારદાર બનાવે છે. એમના ગીતો રચનાની દૃષ્ટિએ સંપૂર્ણ પણ પૂરતાં લવચિક છે. પ્રાસ, છંદ, અંતરા જેવા પારંપારિક સાધનો જ એ પ્રયોજે છે પણ ધ્વનિ સાવ નોખો જ તરી આવે છે. ૧૯૫૪ની સાલમાં ઇંગ્લેન્ડમાં ‘ધ મૂવમેન્ટ’ નામે ચળવળ થઈ જેનો પ્રધાન કાકુ આધુનિકતાવાદ, રોમેન્ટિસિઝમ, પ્રયોગખોરી જેવા કવિતાના કૃત્રિમ સાધનોનો વિરોધ કરી પરંપરાગત, સરળ, સહજ કવિતા તરફનો હતો. વિશ્વયુદ્ધ પછીના સમયમાં જિંદગીને યથાતથ સ્વીકારીને કવિતાને કૃત્રિમ ઘરેણાંઓથી શણગારવાના બદલે રોજબરોજના અનુભવો અને ‘કોમનસેન્સ’ વડે અંગ્રેજી કવિતાની મૂળભૂત સંયમી પ્રકૃતિ અને સ્વભાવગત તાકાત બહાર લાવવી એ આ કવિઓનો હેતુ હતો. લાર્કિન ‘મૂવમેન્ટ’ના નવ કવિઓમાંના એક હતા. જોકે એમની કવિતાઓ આધુનિકતાની નહીં પણ યાંત્રિકતાની વિરોધી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના બ્રિટનના સૌથી ચહીતા કવિ ગણાયા. ‘ધ ટાઇમ્સ’ પણ એમને યુદ્ધ પછીના બ્રિટનના શ્રેષ્ઠતમ કવિ ગણાવે છે.

અવશ્યંભાવી મૃત્યુ લાર્કિનની કવિતાનો અવિનાભાવી રંગ છે. લાર્કિનની કવિતાઓમાં મૃત્યુ એટલું બધું જીવંત છે કે ‘રોમન કેથલિક ઑફિસ ફોર ધ ડેડ’માંનું લેટિન વાક્ય યાદ આવે- ‘Timor mortis conturbat me’ – મૃત્યુનો ડર મને પરેશાન કરે છે. ‘ઑબેડ’(Aubade)ની થોડી પંક્તિઓ જોઈએ. કહે છે કે આ એક જ કવિતા કવિને અમરત્વ બક્ષવા પૂરતી હતી: ‘નિશ્ચિત વિનાશ તરફ આપણે મુસાફરી કરીએ છીએ અને એમાં જ ખોવાઈ જઈએ છીએ કાયમ. અહીં હોવા માટે નહીં, ક્યાંય હોવા માટે નહીં, અને જલ્દી જ; કંઈ જ વધુ ભયાનક નથી, કંઈ જ વધુ સાચું નથી.’ આજ કવિતામાં એ મૃત્યુને આ રીતે વર્ણવે છે: ‘ન દેખાવ, ન અવાજ, ન સ્પર્શ કે સ્વાદ કે ગંધ, કંઈ જ નહીં જેની સાથે વિચરી શકાય, કંઈ જ નહીં જેને ચાહી કે સાંકળી શકાય, એક એનેસ્થેટિક જેમાંથી કોઈ બહાર નથી આવતું.’ આ જ રચનામાં એ આજે કહેવત બની ગયેલ વાત કહે છે: ‘Death is no different whined at than withstood.’ (બૂમો પાડો કે પ્રતિકાર કરો, મૃત્યુ માટે સરખું જ છે.) ‘ધ લાઇફ વીથ અ હૉલ ઇન ઇટ’માં એ મૃત્યુને ‘અપરાજેય ધીમું યંત્ર’ કહે છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ રચનામાં ચાર-ચાર પંક્તિના છ અંતરા છે. દરેક બંધમાં AABB પ્રકારની સ્વતંત્ર પ્રાસરચના છે. દરેક બંધની પ્રથમ ત્રણ પંક્તિઓ થોડા અપવાદ સાથે આયંબિક પેન્ટામીટરમાં જ્યારે ચોથી પંક્તિ નોંધપાત્ર રીતે ટૂંકી છે અને એમાં અન્ય પંક્તિઓની જેમ દસના બદલે ચાર અથવા છ શબ્દાંશ પ્રયોજાયા છે. કવિતાનું શીર્ષક ‘નેક્સ્ટ, પ્લીઝ’ આપણને અટકાવી દે છે. લોકો કતારમાં ઊભા હોય અને અધિકારી ‘નેક્સ્ટ’ નેક્સ્ટ’ કરીને એક પછી એક લોકોને શબ્દોથી ધક્કો મારતો હોવાનો અહેસાસ થાય પણ ‘નેક્સ્ટ’ પછી વિરામચિહ્ન મૂકીને કવિ ‘પ્લીઝ’ કહે છે એ વિનમ્રતા પહેલા શબ્દ સાથે ઊભા થયેલા ચિત્રને સમૂળગું બદલી નાખે છે. ભાવકના મનમાં કવિતાના વિષયવસ્તુ બાબતમાં એક અપેક્ષામિશ્રિત જિજ્ઞાસા જન્મે છે. અનુવાદમાં અષ્ટકલ લય વડે ગીતનો છંદ, પ્રાસ અને ચોથી પંક્તિઓનું ટૂંકાણ જાળવી શકાયું છે પણ શીર્ષકનું ગુજરાતીકરણ કરવા જતાં કવિતાનો આત્મા જ મરી પરવારે એમ લાગતાં અને ‘નેક્સ્ટ’ અને’ પ્લીઝ’ -બંને શબ્દ પૂરતા ગુજરાતી બની ગયા હોવાથી એ યથાવત્ રાખવાનું જોખમ ગણતરીપૂર્વક લેવાયું છે.

કવિતાની શરૂઆત જ આપણી ભવિષ્ય માટેની વધુ પડતી અધીરતાને લક્ષ્ય બનાવીને થાય છે. સતત અપેક્ષા રાખ્યા કરવાની ગંદી આદતના આપણે સહુ શિકાર છીએ. સતત એમ જ લાગે કે કંઈક આપણી સાવ નજીક આવી જ રહ્યું છે. આ સાવ શું છે એની વાત બીજા અંતરામાં ખુલે છે પણ પહેલા અંતરામાં તો કવિતા અપેક્ષાની વાત કરીને વાત અધૂરી છોડી દે છે એમ કહીને કે ત્યાં લગ દરરોજ આપણે એમ જ કહ્યા કરીએ છીએ કે… આખી કવિતામાં માત્ર ‘ત્યાં લગ’ (till then) આ બે જ શબ્દોને ત્રાંસા-ઇટાલિક્સમાં લખીને કવિ પોતે જે કહેવું છે એ ગૂઢાર્થને ઘાટો કરે છે. બીજા બંધમાં બંધ મુઠ્ઠી ઊઘડે છે કે નાયક અથવા કવિ અથવા આપણે- સમુદ્રકિનારાની એક ઊંચી ભૂશિર પર ઊભા છીએ અને દૂરથી આપણી તરફ આવી રહેલા જહાજોને જોઈ રહ્યા છીએ. આ જહાજો દૂર છે માટે નાનાં નજરે ચડે છે પણ સ્પષ્ટ દેખાય છે એટલે એટલા દૂર પણ નથી. આ જહાજો વચનોના ચમકીલા યુદ્ધજહાજોનો કાફલો છે. સોળમી સદીમાં સ્પેનિશ યુદ્ધજહાજોનો કાફલો અંગ્રેજી કાંઠા પર ધસી આવ્યો હતો અને અંગ્રેજી સૈન્યના હાથે નેસ્તનાબૂદ થઈ ગયો હતો એ હારનું દૃશ્ય અહીં તાદૃશ થાય છે. અહીં આ બેડા સરસામાન નહીં, વાયદાઓ લઈને આવે છે. અને વર્તમાન ગમે એટલો ભેંકાર કેમ ન હોય, ભવિષ્યને તો આપણે હંમેશા ઝળહળતું જ કલ્પીએ છીએ એટલે ઠાલાં વચનો ભરીને આવતા યુદ્ધજહાજોના બેડા આપણને ચમકીલા-ઝળહળતા નજરે ચડે છે. કવિને સ્પેન-ઇંગ્લેન્ડનું યુદ્ધ અભિપ્રેત છે એટલે સમજી શકાય છે કે આ વાયદાના જહાજો પણ કાંઠે આવતા સુધીમાં ધ્વસ્ત થનાર છે. વળી, આ કાફલો કાચબાગતિએ આગળ ધપે છે. બે પંક્તિમાં ત્રણવાર કાફલાની અકળાવી નાંખે એવી ધીમી અને કહેવા છતાંય જરાય જલ્દબાજી કરવા તૈયાર જ ન હોય એવી નફ્ફટ ગતિનો ઉલ્લેખ કરીને કવિ વચનો હંમેશા તૂટવા માટે જ હોવાની નિરાશાનો રંગ ઓર ગાઢો કરે છે.

આ જહાજો આપણા હાથમાં નકરી નિરાશાની ફૂલદાંડીઓ પકડાવી જાય છે જેના પર ફૂલ કદી ઊગનાર જ નથી એવી મનહૂસ છે. મોટા-મોટા જહાજોની પધરામણીઓ થતી રહે છે પણ કોઈ કશું પાછળ આપણા માટે મૂકીને જતું નથી. જહાજો પર મજાનું પિત્તળકામ કરાયું છે, એક-એક દોરડાં પણ સ્પષ્ટ નજરે ચડે છે-ભવિષ્યના ખિસ્સામાં આપણા માટે શું છે સાફ દેખાય છે! માથે ધજા શોભી રહી છે અને મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા શોભાયમાન છે. વળાંક લઈને વહાણ આપણી નજીક તો આવે છે પણ લાંગરતું કદી નથી. આપણને જે જહાજ ‘આજ’માં નજરે ચડે છે એ ક્ષણમાં ‘ગઈકાલ’માં ભુસકો મારી દેશે. કેલેન્ડરનાં પાનાં ફરતાં વાર શી? આપણી અધીરપ અને અપેક્ષાને ક્રમશઃ આપણે મોહભંગ થતાં અને કડવાશમાં પલટાતાં અનુભવીએ છીએ. એકતરફ કવિ જહાજોના જાજવલ્યમાન કાફલાનું ભવ્ય વર્ણન કરે છે અને બીજી બજુ એકદમ સરળ, તદ્દન અનલંકૃત ભાષામાં ત્રણ જ શબ્દોમાં ‘કદી ન લાંગરે’ કહીને આપણી વધુને વધુ જાજવલ્યમાન અને ભવ્ય બનતી જતી અપેક્ષાઓના મૂળમાં કુઠારાઘાત કરે છે. છેક અંત સુધી આપણે એમ જ વિચાર્યે રાખીએ છીએ કે બધા જ જહાજ આપણા કાંઠે લાંગરશે અને આપણા જીવનમાં કંઈક ‘સારું’ ઊતારશે. લાર્કિન Good શબ્દ પ્રયોજે છે. દેખીતો અર્થ તો ‘સારું’ જ છે પણ જહાજની અને સરસામાનની વાત હોવાથી ‘S’ લખ્યો ન હોવા છતાં આપણું મન good (સારું)ને goods (સામાન) તરીકે વાંચી જ લે છે. કવિને મન કદાચ બંને જ અર્થ અભિપ્રેત છે પણ કવિની આ કમાલ અનુવાદની ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. અનુવાદની આટલી મર્યાદા જ સ્તો.

આપણે એવું માની બેઠાં છીએ કે સોનેરી ભવિષ્યની આશા રાખીને આપણે આટલા ભક્તિભાવથી અને આટલા લાંબા સમયથી પ્રતીક્ષારત છીએ એટલે ઉજ્જવળ ભવિષ્ય, સોનેરી પ્રારબ્ધ આપણાં દેવાદાર છે અને માત્ર પ્રતીક્ષામાત્રથી આપણાં સપનાં સાચા કરી આપવા એ એમની ફરજ અને આપણો અધિકાર છે. આખી કવિતામાં શીર્ષક સિવાય ક્યાંય કવિ ‘નેક્સ્ટ, પ્લીઝ’ કહેતા નથી પણ એક પછી કે જહાજના આવવા અને ચાલી જવા વચ્ચે ભૂશિર પરથી નજર તાણીને રાહ જોતા આપણે સતત ‘નેક્સ્ટ, પ્લીઝ’ બોલી રહ્યા હોવાનું આપણને સંભળાતું રહે છે. પણ આપણે ખોટા છીએ કેમકે બીજા કોઈ નહીં પણ એક જ જહાજ છે જે ખરેખર આપણા માટે આવનાર છે. જહાજ અજાણ્યું છે, એના પર કાળો શઢ છે, અને એની પાછળ-પાછળ એક વિરાટ પક્ષીહીન મૌન છે- વિશાળ અને નિર્જીવ. આવો મૌન ખાલીપો પાછળ લઈને એ જહાજ ચાલે છે ને એની પાછળ પાણીમાં કોઈ હલચલ પણ નથી. જહાજ ચાલતાં પાણી નથી કપાતું કે નથી ઊછાળા મારતું. બધું જ જીવહીન અને નિઃસ્તબ્ધ. Wake-water અને breed-breakની વર્ણસગાઈ (alliteration) અને wake-breakના ચુસ્ત પ્રાસયુક્ત સાવ ટૂંકી દોઢ પંક્તિ ચાબુકની જેમ આપણી સંવેદના પર વિંઝાય છે. સમજી શકાય છે કે કવિ મૃત્યુની વાત કરે છે. મૃત્યુનું જહાજ ન માત્ર ભવિષ્ય અંગેની તમામ આશાઓનો, બલકે ભવિષ્ય સુદ્ધાંનો કાયમી અંત આણશે. જીવનમાં બીજું કશું જ નિશ્ચિત છે જ નહીં, સિવાય કે મૃત્યુ.

ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાની દાંડીઓ.’ આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ! લાર્કિન પણ जातस्य हि ध्रुवो मृत्युःની ગીતાને આલબેલ જ આ કવિતામાં પોકારે છે. આ કવિતા આપણને એકીસાથે ઉદાસીનતાની ખીણમાં ડૂબાડે પણ છે ને ઉત્તેજીત પણ કરે છે. લાર્કિનની આ કળા છે. સિક્કાની બંને બાજુ એ આપણને એકસાથે હાથમાં આપી શકે છે.

ગ્લૉબલ કવિતા : ૬૨ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

નવી મહાપ્રતિમા

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

ગંજાવર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અને નાની અમથી કવિતાની તાકાત…

ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

એમા લેઝારસ. ૨૨-૦૭-૧૮૪૯ના રોજ ન્યૂયૉર્કમાં સુગર-રિફાઇનરી ચલાવતા મોઝિઝ અને ઇસ્ટર લેઝારસના ધનાઢ્ય પરિવારમાં સાત બાળકોમાં ચોથા ક્રમે જન્મ. અમેરિકાના ક્રાંતિગાળામાં એમનો યહૂદી પરિવાર પોર્ટુગલથી અમેરિકા આવ્યો હતો. ઘરે જ ખાનગી અધ્યાપકો પાસે અભ્યાસ. પૌરાણિક ક્લાસિકલ અને સમસામયિક સાહિત્યનો ઊંડો અભ્યાસ. નાનપણમાં જ એમણે કાવ્યાનુવાદો કરવા શરૂ કર્યા. ૧૧ વર્ષની વયે પ્રથમ કવિતા. ૧૮ વર્ષની વયે તો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થઈ ગયો. કાચી વયના આ પાકટ સંગ્રહે સિદ્ધહસ્ત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવાનું પણ ધ્યાન ખેંચ્યું. નવલકથા અને પદ્યનાટક પણ લખ્યાં. આજીવન કુંવારા રહ્યાં. માત્ર ૩૮ વર્ષની કૂમળી વયે ન્યૂયૉર્કમાં જ ૧૯-૧૧-૧૮૮૭ના એક રોજ મોટાભાગે હોજકિન્ઝ લિમ્ફોમાના કારણે દેહાવસાન.

પ્રથમ સફળ અમેરિકન યહૂદી સાહિત્યકાર. યહૂદી હોવાના નાતે અમેરિકન યહૂદીઓની પીડાને એમણે વાચા પણ આપી. યહૂદીવાદી (ઝાયોનિસ્ટ) ચળવળ શરૂ થઈ એના તેર વર્ષ પહેલાં જ એમાએ યહૂદીઓના હક માટેની લડાઈ શરૂ કરી દીધી હતી. અમેરિકાની પોતાની સ્વ-છબીને આકાર આપવામાં અને અમેરિકા અન્ય દેશોથી આવતા નિર્વાસિતોની જરૂરિયાત શી રીતે સમજે છે એ વૈશ્વિક છબી ઊભી કરવામાં એમાનો ફાળો નાનોસૂનો નહોતો. લાંબા સમય સુધી જો કે ‘ધ ન્યૂ કૉલોસસ’ કવિતાની પ્રસિદ્ધિના ગ્રહણે એમાના જીવન અને સર્જનને અંધારામાં રાખ્યાં. એની પોતાની બહેને ૧૯૨૬માં પ્રગટ થયેલ એમા લેઝારસની સમગ્ર કવિતાઓના સંગ્રહને એમાની યહૂદી વિચારધારા સાથે પોતે અસહમત હોવાના કારણે દબાવી રાખ્યો હતો. કાળાંતરે જો કે આ ગ્રહણ હટ્યું અને લોકો એમાની પ્રતિભાથી પરિચિત થયાં.

૪ જુલાઈ, ૧૭૭૬માં અમેરિકાને આઝાદી મળી. પણ આઝાદી માટેની લડત એ પહેલેથી ચાલુ હતી. ફ્રાન્સના ગુલામી-વિરોધી સમાજના તત્કાલિન પ્રમુખ એડ્વા રેને ડિ લેબુલેએ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક અગસ્ટે બાર્થોલ્ડી સાથેના ડિનર પછી કહ્યું હતું કે અમેરિકાની આઝાદી માટેનું સ્મારક બંને દેશોની ભાગીદારીમાં બનવું જોઈએ. બાર્થોલ્ડીની બે-ત્રણવારની અમેરિકાયાત્રાના ફળસ્વરૂપ આ સ્મારક માટેનું સ્થાન અને અમેરિકન સરકારની મંજૂરી- બંને મળ્યા. બાર્થોલ્ડીની ડિઝાઈનને એફિલ ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે શિલ્પાકાર આપ્યો. અમેરિકામાં બેડલો’ઝ ટાપુ (હાલના લિબર્ટી ટાપુ) પર મૂર્તિ માટે કુંભીનિર્માણ કરવાનું હતું પણ પૈસાની સમસ્યા હતી. ફાળો ઊભો કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એમાને આ હેતુસર લિલામી માટે એક મૌલિક કૃતિ આપવા જણાવાયું પણ શરૂમાં એણે ના કહી. એ પોતે ધનાઢ્ય હોવાથી નિર્વાસિતોની તકલીફોથી માહિતગાર નહોતાં પણ રેફ્યુજીઓની મદદના કાર્યક્રમમાં એમને એ લોકોની પીડાનો અહેસાસ થયો અને છેવટે ૦૨-૧૧-૧૮૮૩ના રોજ આ સૉનેટ લખાયું. પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર શોભાયમાન અને નિલામી દરમિયાન વંચાયેલું આ સૉનેટ ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે અને એ પછી સાવ ભૂલાઈ ગયું. એમાની સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી મળેલી ચોપડીમાં આ સૉનેટ હતું અને એના જ પ્રયત્નોથી મૃત્યુના ૧૭ વર્ષ બાદ ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં આ સૉનેટ મૂકવામાં આવ્યું. આજે પણ ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના મુલાકાતીઓ આ સૉનેટ ત્યાં વાંચી-માણી શકે છે.

આ સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું મૂળ ઇટાલિઅન પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે જેની પ્રાસ રચના ABBA ABBA CDCDCD છે. અષ્ટક અને ષટક એમ બે ભાગમાં ચૌદ પંક્તિઓની પારંપારિક વહેંચણી કરવામાં આવી છે. અમેરિકાની મહાનતાની વાત કરવી અને એ પણ ઇટાલીથી નીકળીને ઇંગ્લેન્ડ જનાર પ્રવાસી સૉનેટના સ્વરૂપમાં એ પોતે જ એક વક્રોક્તિ પણ ગણી શકાય. અમેરિકાની મહાનતાની હાંસી ઊડાવવા માટે ઘણા અમેરિકી કવિઓએ સૉનેટનો સહારો લઈને ગુલામીપ્રથા અને રંગભેદનીતિ પર કટાક્ષ કર્યા છે. ઇટાલિયન સૉનેટસ્વરૂપનો પ્રયોગ પણ આ દિશામાં સૂચક ગણી શકાય. ગુજરાતી અનુવાદ હરિગીત છંદમાં છે પણ ભાષા અને ભાવની સંકીર્ણતાના કારણે પ્રાસરચના નિભાવાઈ નથી. રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. સાયપ્રસ ઉપરના રહોડ્સના વિજયની ઉજવણી નિમિત્તે એનું નિર્માણ થયું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એ એક હતી. એ જમાનાની એ સૌથી મોટી પ્રતિમા હતી પણ થોડા જ વર્ષોમાં ઈ.પૂ. ૨૨૬માં ધરતીકંપના કારણે એ નાશ પામી. કુંભીને બાદ કરીએ તો ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ની કુલ ઊંચાઈ પણ આટલી જ છે.

હેલિઓઝની પ્રતિમા બંદરના મુખ પર બન્ને કાંઠે એક-એક પગ મૂકેલી હતી એવી એક માન્યતા છે. ‘જુલિયસ સિઝર’માં શેક્સપિઅર આ જ માન્યતાની તુષ્ટિ કરતાં કહે છે, ‘શા માટે સિઝર આ સાંકડી દુનિયા પર રાક્ષસની જેમ પગ પલાણીને ઊભો છે અને આપણે ક્ષુદ્ર લોકોએ એના વિશાળ પગોની નીચે થઈને ચાલવાનું?’ (અંક ૧, દૃશ્ય ૨) ‘હેનરી ૪’માં પણ શેક્સપિઅર આ ઉલ્લેખ કરે છે: ‘ફોલસ્ટાફ: તું મને યુદ્ધમાં પડેલો જુએ અને આ રીતે મારા પર ઊભો રહી જશે, તો એ મિત્રતાની નિશાની છે. પ્રિન્સ હેનરી: બીજું કોઈ નહીં પણ એક રાક્ષસ (કોલોસસ) જ તારી સાથે આવી દોસ્તી કરી શકે.’ (અંક ૫, દૃશ્ય ૧) દરિયાઈ ખાડીના બે કાંઠા પર પગ મૂકેલ હેલિઓઝની પ્રતિમાની કલ્પના જ પ્રસ્તુત સૉનેટમાં પણ નજરે ચડે છે. એમા કહે છે, ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ એક કાંઠેથી બીજા કાંઠે વિજયી પગ મૂકીને ઊભેલા ગ્રીક પૌરાણિક કથાના રાક્ષસની જેમ નથી ઊભું રહ્યું. એ આ મહાકાય પ્રતિમા માટે Brazen giant શબ્દપ્રયોગ કરે છે. ‘બ્રેઝન’ એટલે ઉદ્ધત કે નિર્લજ્જ પણ થાય અને પિત્તળનું પણ થાય. એમા એક જ શબ્દમાં મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ –બંને તરફ ધ્યાન દોરે છે. આ ભાષાની ખૂબી છે પણ કવિનો ચમત્કાર છે જે આ ખૂબી ક્યાં અને શી રીતે પ્રયોજવી એ જાણે છે. ગુજરાતી અનુવાદમાં આ માટે ‘પિત્તળ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પિત્તળ’ પણ પ્રકૃતિ અને ધાતુ, અને એ રીતે મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ -બંને અર્થ સમાવિષ્ટ કરી લે છે.

એમા કહે છે કે અમેરિકાના પશ્ચિમી દરવાજે, જેને સાગર સતત પખાળે છે, એક શક્તિશાળી સ્ત્રી ઊભી છે. આ સ્ત્રી ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના હેલિઓઝના વિજયી હુંકાર કરતા નિર્લજ્જ પૂતળાની જેમ નથી ઊભી જેના બે પગ વચ્ચે થઈને હીણપત અનુભવ્યા વિના જહાજો બંદરમાં પ્રવેશી નહોતા શકતા. આ સ્ત્રી હાથમાં એક મશાલ લઈને ઊભી છે, જેમાં જ્યોતિસ્વરૂપે વીજળી કેદ છે. આજની પેઢીને વીજળીના કેદ હોવાનું પ્રતીક હાસ્યાસ્પદ લાગે પણ ઓગણીસમી સદીના અંત ભાગમાં મશાલનો દીવો વીજળીથી પેટે એ હજી કૌતુકની વાત હતી. એમા આ સ્ત્રીને ‘નિર્વાસિતોની મા’નું નામ આપે છે. સંસ્કૃતિ કે સમય કોઈ પણ હોય, માનો દરજ્જો હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતો, છે ને રહેશે. આ એક જ શબ્દપ્રયોગના કારણે એમા લેઝારસ અમેરિકી ઇતિહાસમાં અજરામર થઈ ગયાં. ત્રીસ માળ ઊંચી આ માતાના હાથમાંની મશાલ દીવાદાંડીની જેમ પથ પ્રદર્શિત કરે છે અને વિશ્વવ્યાપી આવકાર આપે છે. એની આંખો નમ્ર છે, પણ એ માની આંખ છે એટલે પોતાના સંતાનના ભલા માટે માટે ન્યૂયૉર્કના બારાંને હુકમ કરતાં અચકાતી નથી. ન્યૂયૉર્કનું બારું ન્યૂયૉર્ક સિટી અને બ્રુકલિન –એમ બે શહેરોની વચ્ચે આવ્યું છે, જે બે જોડિયાં શહેરો જેમને જોડવા હવા સિવાય કોઈ પુલ નહોતો એ આ કવિતા લખાઈ એના પંદર વર્ષ બાદ એક થયાં.

ન્યૂયૉર્ક બંદર ઓગણીસમી સદી અને પ્રારંભિક વીસમી સદી સુધી જળમાર્ગે વેપાર અને લોકોના આવાગમન માટેનું ધીકતું ધોરી બંદર હતું. આ સમય મધ્ય-પૂર્વના દેશોમાં તથા યુરોપિયન દેશોમાં યુદ્ધનો પણ સમય હતો. યુદ્ધનો ભોગ બનનારાઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ આરો નહોતો. તબાહી, પીડા અને અભાવોથી બચવા આ સમયે લગભગ સવા કરોડ નિર્વાસિતો લિબર્ટીની પ્રતિમા પાસેના એલિઝ ટાપુ પર થઈને અમેરિકામાં આવ્યા. કદાચ અમેરિકાની આજની ચાળીસ ટકા વસ્તીના પૂર્વજો આ જ ‘મનહૂસ કચરો’ (Wretched refuse) હતા. લિબર્ટીમાતા હુકમ કરે છે આ જોડિયા શહેરો, આ બંદરને કે, ‘હે પુરાતન નગરો! તમારી ભવ્ય ગાથાઓ તમારી પાસે જ રાખો.’ (સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે કવિતા મૂકાઈ છે એમાં ‘રાખો’ પછીનું અલ્પવિરામ મૂકવાનું વિસરાઈ ગયું છે પરિણામે વાક્યનો અર્થ થોડો બદલાઈ જાય છે એ અલગ વાત છે.) એ દુનિયા પાસેથી ગરીબો, હાર્યા-થાક્યા માણસો, મુક્તિનો શ્વાસ ઝંખતી અનિયંત્રિત ભીડ અને દુનિયાના કાંઠાઓ જેનાથી છલકાઈ રહ્યા છે એ મનહૂસ કચરો માંગે છે. જે લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે, જે લોકો તોફાનો-આપત્તિઓના માર્યા છે એ બધાયને નિર્વાસિતોની મા આવકારી રહી છે. કહે છે, તમારા સોનેરી ભવિષ્યના બારણાંઓની બાજુમાં હું દીવાનો પ્રકાશ પાથરતી ઊભી છું… આવો, મારી પાસે આવો અને તમારા સોનેરી ભવિષ્યના દ્વાર ઊઘાડો.

એમાનું આ સૉનેટ ઈસુના એ વચન, ‘તંદુરસ્તને તબીબની જરૂર નથી, બિમારને છે. હું સાચાઓ માટે નહીં, પણ પાપીઓ માટે આવ્યો છું’ની યાદ અપાવે છે. પ્રભુપુત્ર મુક્તિદાતા ઈસુએ જે રીતે ગરીબ-ગુરબાંને પ્રેમ કર્યો હતો એ જ પ્રેમની યાદ ‘ધ ન્યૂ કોલોસસ’ની ‘નિર્વાસિતોની મા’ અપાવે છે. માતાના દીવાના પ્રકાશમાં ઝળહળતા સુવર્ણ દ્વારોમાં થઈને દુનિયાના કાંઠાઓ પર ખદબદતા આ ‘મનહૂસ કચરા’ને ન માત્ર સારી જિંદગી મળવાની આશા છે, પણ ઈશ્વરના સંતાન હોવાના નાતે તેઓ એક સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરશે એવી આશાનો જે સૂર આ કવિતામાંથી સંભળાય છે એ અભૂતપૂર્વ છે. સૉનેટની પંક્તિઓ કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે અને વધુને વધુ લોકો વધુને વધુ વાર આ પંક્તિઓ ટાંકતા આવ્યા છે. આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.

ગ્લૉબલ કવિતા: ૬૧: એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર

An Old Woman

An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls
with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

એક ઘરડી સ્ત્રી

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

ચીંથરેહાલ કપડાં, ઊઘાડા પગ, દિવસોથી ધોયા-ઓળ્યા વિનાના વાળ લઈને દારૂણ ગરીબીથી નીતરતો એક ચહેરો તમારી સમક્ષ હાથ લાંબો કરીને અપેક્ષાભરી નજરે આવી ઊભે અને જવાનું નામ જ ન લે ત્યારે તમે શું કરો છો? ભીખ આપો છો? હડધૂત કરો છો? નજર ફેરવી લો છો? ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી. દુનિયાના દરેક દેશમાં, અમેરિકા જેવા દેશમાં પણ ભિખારી સાથે તમારો ભેટો જરૂર થશે. ભીખ આપવી કે ન આપવીના ‘ટુ બી ઓર નોટ ટુ બી’ પ્રશ્નમાં અટવાતા જનમાનસને હચમચાવીને ભીખ મેળવી લેવાની ભિખારીઓની મૉડસ-ઑપેરન્ડી ક્યારેક આપણને વિચારતાં કરી દે છે. પણ ક્યારેક ભિખારી વેંત ઊંચેરો પણ સાબિત થઈ શકે છે. આવી જ કંઈ વાત લઈને આવી છે અરુણ કોલાટકરની આ કવિતા.

અરુણ બાલકૃષ્ણ કોલાટકર. ૦૧-૧૧-૧૯૩૨ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં જન્મ. ભોંયતળિયે પાંચ ઓરડા, પહેલા માળે ત્રણ અને એની ઉપર એક એમ નવ કમરાનું મકાન, જેને કવિ પત્તાના મહેલ સાથે સરખાવતા. મુંબઈની જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સમાં ભણ્યા. પિતા શિક્ષણખાતામાં અફસર. પિતાનો કળાવારસો લોહીમાં ઊતર્યો. પાશ્ચાત્ય ચિત્રકારોએ એમને આકર્ષ્યા પણ પાશ્ચાત્ય સ્ત્રી-પુરુષોએ નહીં. ચિત્રકાર તરીકે હજી એકેય ચિત્ર વેચાયા ન હોવાથી બંને પરિવારોએ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. દારૂની લત લાગી જવાના કારણોસર પ્રથમ પત્ની દર્શન છાબડાથી પારસ્પારિક સમજૂતીથી છૂટા પડી સૂનુ સાથે લગ્ન કર્યા. મુંબઈના શરૂના દિવસો દારુણ ગરીબીમાં વીત્યા. ‘ધ ટર્નઅરાઉન્ડ’ કવિતામાં એ લખે છે: ‘બોમ્બેએ મને ભિખારી બનાવી દીધો./મારા ધાબળાએ એક ખરીદાર શોધી કાઢ્યો/અને મેં સાદા પાણીની મિજબાની કરી.’ પણ પછી ગ્રાફિક ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન અને માર્કેટિંગના ક્ષેત્રમાં સ્થાપિત થયા. આંતરડાના કેન્સરથી ૨૫-૦૯-૨૦૦૪ના રોજ નિધન.

આઝાદીપશ્ચાતના પ્રમુખ દ્વિભાષી કવિ. મરાઠી અને ભારતીય અંગ્રેજી – એમ બંને ભાષામાં અગ્રણી. એમની મરાઠી કવિતા ૫૦ ને ૬૦ના દાયકાની ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ને અનુસરીને આધુનિકતાવાદના અર્ક સમ હતી. એમની કવિતાઓ ભારોભાર કટાક્ષ અને તિર્યક દૃષ્ટિના કારણે અળગી તરી આવે છે. રોજબરોજના પ્રસંગોમાંથી એ રમૂજ શોધી કાઢે છે. અચ્છા ચિત્રકાર હોવાના નાતે એમની રચનાઓમાં પણ મજાનાં ચિત્રો રજૂ કરે છે. શબ્દોની કરકસર અને કલમથી આબેહૂબ દૃશ્ય ઊભું કરી શકવાની સમર્થતાના નાતે એમની કવિતાઓ એઝરા પાઉન્ડની ‘ઇમેજીસ્ટ’ કવિતાઓની શ્રેણીમાં સ્વતંત્ર મૌલિક અવાજ સાથે બંધ બેસે છે. જાતીયતા અને કામુકતા પણ એમની કવિતામાં બિન્દાસ આવે છે. એક-એકથી ચડિયાતી મરાઠી-અંગ્રેજી કવિતા આપનાર આ કવિ મરાઠી કવિતાની વચ્ચે શુદ્ધ હિંદીમાં ‘दिखता नहीं मादरचोद दिखता नहीं’ લખીને ભાવકના સંવેદનતંત્રને ધરમૂળથી ઝંઝોડે પણ છે.

પ્રસ્તુત રચના કવિના સંગ્રહ ‘જેજુરી’માંથી છે. ‘જેજુરી’ ૩૧ કવિતાઓનો ગુચ્છ છે. અરવિંદ કૃષ્ણ મેહરોત્રા ‘જેજુરી’ વિશે કહે છે, ‘છેલ્લા ચાળીસ વર્ષમાં ભારતમાં લખાયેલી આ એકમાત્ર ઉત્તમોત્તમ કવિતા છે. આ ૩૧ કવિતા સડક જેમ સીધી દેખાતી હોવા છતાં એક જાદુઈ વર્તુળ રચે છે, જેમાંથી વાચક ઇચ્છે તોય છટકી શકતો નથી.’ આ સંગ્રહના બધાં શબ્દચિત્રો મહારાષ્ટ્રમાં પૂણે નજીકના ગામ જેજુરીમાં ખેંચવામાં આવ્યા છે. જેજુરી ગામ શિવનું સ્વરૂપ ગણાતા ખંડોબાનું ધામ છે. આજે તો એ મોટું તીર્થધામ બની ગયું છે. મહારાષ્ટ્રમાં ખંડોબા યાને મલ્લારી કે મલ્હારીનું સ્થાન ખૂબ અગત્યનું. અશ્વારુઢ ખંડોબાની આસપાસ મણિ અને મલ્લના વધની પરાક્રમગાથાઓ અને ચમત્કારો વણાયેલા છે. ખંડોબાની પ્રથમ બે પત્નીઓમાં મ્હાલસા સંસ્કૃતિનું તો બનઈ પ્રકૃતિનું પ્રતીક છે. બનઈને મેળવવા માટે ખંડોબા જુગારમાં મ્હાલસા સામે હારીને બાર વર્ષનો વનવાસ સ્વીકારે છે પણ વનવાસ બાદ મ્હાલસા બીજી પત્નીને સ્વીકારતી નથી એટલે જેજુરીમાં મહાભારત સર્જાય છે જેનાથી બચવા માટે ખંડોબાએ ટેકરીનું ઉપરનું અડધિયું મ્હાલસા અને નીચેનું બનઈને વહેંચી આપ્યું. આ પછી પણ ખંડોબાની બીજી ત્રણ પત્નીઓ થઈ. ‘જેજુરી’ને વિવેચકો ખંડોબા અને જેજુરી ગામની સાથે સાંકળી દે છે પણ આ કવિતાઓ હકીકતમાં શ્રદ્ધાના એક ગામ અને એક નામને પ્રતીક બનાવીને ભાવકને આગળ લઈ જતી કવિતાઓ છે. આ કવિતાઓમાં ઈશ્વર અને ધર્મ કરતાં વિશેષ માનવમનની ઊંડી અકળ દુવિધાઓ વધુ છતાં થાય છે. ‘જેજુરી’ હકીકતમાં માનવજીવન અને સંવેદનાઓના હૃદયંગમ ચિત્રો છે. એ ઇનકાર અને અવિશ્વાસ તરફનો સીધો અને બેબાક રવૈયો રજૂ કરે છે. કોલાટકર પોતે કહે છે કે, ‘હું નથી માનતો કે મારે એક યા બીજી રીતે ઈશ્વર વિષયક અભિગમ સ્પષ્ટ કરવાની જરૂર હોય.’

ફ્રેન્ચ નવલકથાકાર પ્રાઉસ્ટ કહે છે, ‘વસ્તુઓ ભગવાન છે.’ કોલાટકર પણ ‘અ સ્ક્રેચ’ કવિતામાં કહે છે: ‘શું ભગવાન છે/અને શું પથ્થર છે/વિભાજન રેખા/જો હોય તો/બહુ પાતળી છે/જેજુરીમાં/અને દર બીજો પથ્થર/ભગવાન છે કે એનો પિતરાઈ.’ એ કહે છે, ‘પથ્થરને કોતરો/અને એક દંતકથા ફૂટી નીકળશે.’ સાચી વાત છે. આપણો આખો દેશ આવા જેજુરીઓથી ભર્યો પડ્યો છે. જેજુરી તો પ્રતીક છે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની નો-મેન્સ લેન્ડ પર ફૂટી નીકળતાં યુદ્ધોનું. ઈશ્વર મૂળે તો આપણા ડર અને/અથવા શ્રદ્ધામાંથી જન્મેલું તત્ત્વ છે. એનું અસ્તિત્વ પોતે મહાપ્રશ્ન છે. પણ કોલાટકરને ઈશ્વરની વાત નથી કરવી. એને તો ઈશ્વરના નામનું તરણું પકડીને સંવેદનાનો મહાસાગર પાર કરવો છે.

કવિતાનું જે શીર્ષક છે એનાથી જ કવિતાની શરૂઆત પણ થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ રચના અછાંદસ છે, ત્રણ-ત્રણ પંક્તિઓ-ત્રિપદીના ફકરાઓમાં વહેંચાયેલું. અંગ્રેજીમાં મોટાભાગના શબ્દો એકપદીય (મોનોસિલેબિક) છે જેના લીધે કવિતા વધુ ઝડપી અને મર્મવેધી બને છે. કથન ત્રીજા વ્યક્તિની દૃષ્ટિએ છે. જેજુરી ગામની એક પહાડી પર એક વૃદ્ધ ભિખારણ નાયકની બાંય પકડી લે છે ને વણનોતરી સાથે ચાલવા માંડે છે. નાયકને એ ગમતું નથી. કોઈ તમારા અહમને ઝાલી લે એ તમને ગમશે? વૃદ્ધાને પચાસ જ પૈસાની જરૂર છે. બદલામાં એ નાયકને અશ્વનાળ મંદિર બતાવવા લઈ જશે. અશ્વનાળ મંદિર (હૉર્સશૂ શ્રાઇન) જેજુરીની ટેકરીઓ પર આવેલી એ જગ્યા છે જ્યાંથી એવું માનવામાં આવે છે કે ખંડોબા ઘોડા પર એકબાજુ થઈને બેઠેલી એની પત્નીને લઈને ટેકરી કૂદી ગયા હતા. કૂદતી વખતે ઘોડાએ પર્વત પરના જે પથ્થરનો સહારો કૂદવા માટે લીધો હતો ત્યાં એની ખરીનું નિશાન રહી ગયું છે, પરિણામે ભક્તો એને અશ્વનાળ મંદિર તરીકે પૂજે છે. કવિએ ‘The Horseshoe Shrine’નામથી જ રચનારીતિના સંદર્ભે મજાની એક અન્ય કવિતા પણ લખી છે: ‘પથ્થરમાંની એ ખાંચ/હકીકતમાં લાત છે ટેકરીની બાજુમાં./ત્યાં જ ખરી/અથડાઈ હતી/વીજળીની જેમ/જ્યારે ખંડોબાએ/ભૂરા ઘોડા પર/પાછળ એકબાજુ થઈ બેઠેલી પત્ની સાથે/ખીણ પર થઈને કૂદકો માર્યો હતો/અને ત્રણેય/એક થઈને/તણખાની માફક/ચકમકના પથ્થર પરથી કૂદી ગયા હતા./એ ઘરે જે રાહ જોતું હતું/પહાડીની બીજી બાજુએ ઘાસની/ગંજીની જેમ.’

આ અશ્વનાળ મંદિર નાયક અગાઉ જોઈ ચૂક્યો છે એટલે એ આગળ ધપે છે પણ વૃદ્ધા લંગડાતી ચાલે, શર્ટનો કેડો મૂક્યા વિના એને વળગી રહે છે. નાયક જાણે છે કે આ ભિખારણથી છૂટકારો આસાનીથી નહીં જ થાય એટલે એ એને અવગણીને આગળ વધવાનો પેંતરો પડતો મૂકીને સમસ્યાનો મુકાબલો કરવા કટિબદ્ધ થાય છે અને ફરીને એની સામો જ થાય છે. નાયકની આંખમાંનો પથ્થરિયો નકાર વાંચી ન લીધો હોય એમ વૃદ્ધા પોતે ભીખ માંગવા સિવાય અને પર્યટન કે તીર્થસ્થળો બતાવવા સિવાય બીજું તો શું કરી શકનાર છે એમ કહીને કદાચ નિઃસાસો નાંખે છે.

નાયક આકાશ તરફ જુએ છે. કદાચ ભગવાન સામે આ બિખારણની ફરિયાદ કરવા માટે જ. ભિખારણની આંખ ભાવશૂન્ય છે. સમય અને ગરીબીની થપાટો ખાઈને આ આંખો એટલી તો ઊંડી ઊતરી ગઈ છે કે નાયકને લાગે છે કે જાણે એની આંખોના બદલે ગોળીઓથી કોઈએ કાણાં પાડ્યાં છે ને પોતે એમાંથી સાફ આરપાર જોઈ શકે છે. ‘ખાલી’ હવાથી ‘ભરેલા’ બે કાણાં જાણે કે. વૃદ્ધાવસ્થાના કારણે એની આંખોની આસપાસ પડેલી કરચલીઓ નાયકને ગોળી ચાલતાં કાણાં ફરતે જન્મેલી તડ જેવી લાગે છે અને આ તડ જોતજોતામાં તો વયષ્ટિથી સમષ્ટિમાં ફેલાઈ જાય છે. આ તડ એની ત્વચાથી આગળ વધે છે અને ટેકરીઓમાં તડ પડે છે, મંદિરોમાં તડ પડે છે. આ તડ હકીકતે તો દયાહીન હૈયાના પથ્થરિયા ઈરાદાઓ અને નિરર્થક શ્રદ્ધામાં પડી રહી છે. વૃદ્ધાની નિઃસહાયતા, એકલતા અને ભીખ માંગીને આજીવિકા રળવાની મજબૂરી સમજાતાં જ નાયકને પોતાના નકારનું આકાશ પડી ભાંગતું અનુભવાય છે. સૃષ્ટિ આખી રસાતળે જતી હોય એવી તિરાડ પોતાના અસ્તિત્વમાં પડતી એ જોઈ શકે છે. વિશાળ કાચ ભાંગી પડે એમ આખું આકાશ જાણે ખણકાર સાથે ભાંગી પડે છે પણ વૃદ્ધા કોઈપણ કંપન વિના, અટૂલી પણ અતૂટ અને અખંડ ઊભી છે. કાચ પડે અને તૂટે એ જ રીતે નાયકની ચેતનાનો ચૂરેચૂરો થઈ જાય છે. પચાસ પૈસા જેવી નજીવી મદદના બદલે મંદિર બતાવવા લઈ જવાની મદદની ઓફર કરનાર વૃદ્ધા સમક્ષ નાયકને લાગે છે કે પોતે એના હાથમાંના પરચૂરણના નાના મૂલ્યના સિક્કાથીય વધુ નાનો થઈને રહી ગયો છે.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે… આપણી નજરે એ આપણા સમય અને ધ્યાન –બંનેને લાયક નથી પણ એ તો આ પહાડીઓ વચ્ચે પહાડી થઈને જ જીવે છે. એ આ જગ્યા જેટલી જ પુરાતન છે. એ આ જગ્યા જેટલી જ અચલ છે. સામા પક્ષે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને વળગી રહી શક્યા નથી. આપણે આપણા મૂળ, આપણી જમીન, આપણા વારસા સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યાં છીએ.

ગ્લૉબલ કવિતા: ૬૦ : એક ગીત – ક્રિસ્ટિના રોઝેટી

A song

When I am dead, my dearest,
Sing no sad songs for me;
Plant thou no roses at my head,
Nor shady cypress tree:
Be the green grass above me
With showers and dewdrops wet;
And if thou wilt, remember,
And if thou wilt, forget.

I shall not see the shadows,
I shall not feel the rain;
I shall not hear the nightingale
Sing on, as if in pain:
And dreaming through the twilight
That doth not rise nor set,
Haply I may remember,
And haply may forget.

– Christina Rossetti

એક ગીત
મારા વહાલા, હું જ્યારે પણ મૃત્યુ પામું
તું ગાતો ના એકે મરશિયા;
રોપીશ નહીં એકે ગુલાબ મારા માથે,
ના સરુવરની લગરિક છાયા:
લીલેરું ઘાસ બની ઊગજે તું મારા પર
જેને વાછટ ને ઓસભીના થાવું;
ને રાખવું જો હો, યાદ રાખજે મને,
ને ન રાખવું ન હો, તો ભૂલી જાવું.

છાંયડાને જોઈ નથી શકવાની હું,
નથી અનુભવવાની વરસાદ;
સાંભળી ક્યાં શકવાની હું વળી બુલબુલના
ગીતોમાં ભર્યો અવસાદ:
સપનાં સેવીશ એવા ભળભાંખળાંમાં
જેને ઉદય કે અસ્ત નહીં થાવું,
બનવાજોગ છે કે હું યાદ પણ રાખી લઉં
ને બની શકે કે ભૂલી જાઉં.

– ક્રિસ્ટિના રોઝેટી
(અનુ.: વિવેક મનહર ટેલર)

आप मुआ, पीछे डूब गई दुनिया

‘કાકા તો ગયા’ એવો ફોન આવે એટલે સૌથી પહેલો વિચાર શું આવે? ‘હાશ! આપણે તો હજી છીએ’ એ? આ વાત બહારથી તો આપણે ન જ સ્વીકારીએ પણ વાસ્તવિક્તા એ છે કે કોઈ ઓળખીતું મરણ પામે તો આપણી અંદર ‘આપણે બચી ગયા’નો છૂપો હાશકારો તરત જ આળસ મરડે છે. જનારો તો ચાલ્યો ગયો. એના માટે તો आप मुआ, पीछे डूब गई दुनिया પણ એની પાછળ જેઓ શોક મનાવે છે એ બહુધા જનાર માટેના પોતાના પ્રેમના સર્ટિફિકેટ પર લોકોના હસ્તાક્ષર જ ઊઘરાવતા હોય છે અને પોતાના મૃત્યુ પછીના શોકાચારનું એડવાન્સ બુકિંગ જ કરાવતા હોય છે. પણ મરનાર માણસ જો એની પાછળ છાતી કૂટનારાઓ, આંસુ વહાવનારાઓ ને અધમૂઆ થઈ જનારાઓને જોઈ શકતો હોય તો? લાશ થઈ ગયેલો માણસ પાછળ છૂટી ગયેલી દુનિયાના ઢોંગ વિશે શું વિચારે? પ્રસ્તુત રચનામાં ક્રિસ્ટિના રોઝેટી મૃતકની આંખોથી દેખાતી દુનિયા આપણને બતાવે છે.

ક્રિસ્ટિના જ્યૉર્જિના રોઝેટી. ૦૫-૧૨-૧૮૩૦ના રોજ લંડનમાં ઇટાલિયન મા-બાપને ત્યાં જન્મ. એના પિતા ગેબ્રિઅલ રોઝેટી કવિ હતા જેમની રાજકીય કારણોસર ઇટલીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. ભાઈ દાન્તે ગેબ્રિઅલ રોઝેટી પણ કવિ-ચિત્રકાર હતો, જે પ્રિ-રાફેલાઇટ બ્રધરહૂડના ત્રણ સ્થાપકોમાંનો એક હતો. અભ્યાસ મા-બાપના નેજા હેઠળ ઘરે જ. સાહિત્યિક વાતાવરણ. ૧૨ વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. એલન આલિનના છદ્મનામે પણ કવિતાઓ લખી. બાળપણ ખૂબ ઉત્તમ પણ નાની વયે પિતા ગુમાવ્યા એ પછી દારૂણ ગરીબીનો સામનો કરવો પડ્યો. માતાનો પડછાયો થઈને ધર્મ–એંગ્લો-કેથલિક-ના ઓછાયામાં જ જીવ્યાં. બે પુરુષો સાથે નિકટનો સંબંધ થયો પણ ધર્મના જ કારણોસર બંનેને જતા કર્યા. મિત્રો અને સ્નેહીઓના વિશાળ વર્તુળમાં એ જીવ્યાં. એમના જીવનકથાકાર જેન માર્શ તરુણાવસ્થામાં ક્રિસ્ટિના પિતા તરફથી કદાચિત જાતીય હુમલાનો શિકાર બન્યાં હોય. કારણ તરીકે તેઓ ક્રિસ્ટિના પર થતા રહેલ ડિપ્રેશનના અવારનવાર હુમલાઓ, પાપીપણાની આજીવન લાગણી, બચ્ચાંઓને ખાઈ જતાં મગરમચ્છની દુઃસ્વપ્નસમ કવિતાઓ, અને વારંવાર કરાતા અનામી રહસ્યના ઉલ્લેખને સામે ધરે છે. થાઇરોઇડ ગ્રંથિની બિમારી –ગ્રેવ્ઝ ડિસીઝ-ના કારણે એમની પાછલી જિંદગી ખાસ્સી ખરાબ ગઈ પણ સાહિત્યસર્જન, મુખ્યત્વે ધાર્મિક, ચાલુ રહ્યું. ટેનિસન પછી એમના રાજકવિ બનવાની શક્યતાઓ ખાસી ઊજળી હતી પણ જાનલેવા સ્તનકેન્સરની બિમારીએ આ માનપાન છિનવી લીધાં. ૨૯-૧૨-૧૮૯૪ના રોજ લંડનમાં જ દેહાવસાન.

વિક્ટોરિઅન યુગના પ્રમુખ કવિઓમાં એમનું સ્થાન કાયમ છે. નારીવાદીઓ એમને ઓગણીસમી સદીના કવિઓમાં મોખરે મૂકે છે. એ પોતે નારીવાદી તો નહોતાં પણ એમની કવિતાઓમાં થઈને સ્ત્રીનો બળવત્તર અવાજ ઊઠતો સતત સંભળાય છે. આ અવાજ પ્રવર્તમાન વિક્ટોરિઅન સ્ત્રીઓથી ઊફરો અને ઊંચો તરી આવે છે. ભાઈની પ્રિ-રાફેલાઇટ ચળવળથી એ દૂર જ રહ્યાં હોવાં છતાં એમની શરૂની રચનાઓ ‘પ્રિ-રાફેલાઇટ’ ગણાય છે. ક્રિસ્ટીના એના લોકગીતો અને રહસ્યવાદી ધાર્મિક ગીતો માટે જાણીતાં છે. જોકે એમની ધાર્મિકતાના ઓથા તળે અત્યંત ભાવુક અને કામુક સ્વભાવ તથા તીવ્ર આલોચનાત્મક દૃષ્ટિ અને જીવંત હાસ્યવૃત્તિ પણ નજરે ચડે છે. એમની કવિતાઓ લાગણીની તીવ્રતા અને પ્રતીકવાદથી રસાયેલી છે. બાળકો માટેની એમની રચનાઓ પણ ઉત્તમ છે. એમની રચનાઓના ભાવ-લય માધુર્યસભર અને પ્રવાહી છે. છંદ પરની પકડ અને પ્રચલિત ગીતસ્વરૂપમાં સફાઈપૂર્વકના કામથી એ અલગ તરી આવે છે. પ્રમાણમાં સરળ ભાસતી એમની કવિતાઓ જનમાનસને છેક ઊંડે જઈને જકડી લે છે ને કદાચ એટલે જ એ યુગના બીજા કવિઓની સરખામણીમાં કાળની થપાટો વચ્ચે પણ એમની પ્રસિદ્ધિની નૈયા સદનસીબે કાયમ તરતી જ રહી.

કવયિત્રીએ પ્રસ્તુત ગીતનું શીર્ષક ‘એક ગીત’ જ રાખ્યું છે, કદાચ આ ટૂંકા ગીતમાં પ્રવેશવા માટે શીર્ષકનો દરવાજો બિનજરૂરી છે એટલે. ગીતનો લય પ્રવાહી છે અને આઠ-આઠ પંક્તિના બે અંતરામાં બેકી સંખ્યાની પંક્તિઓ વચ્ચે કવયિત્રી પ્રાસ મેળવે છે. બંને અંતરામાં બીજા ચતુષ્કમાં સમાન પ્રાસ પ્રયોજીને કવયિત્રી ગીતની ગેયતા વધારવા સાથે પોતે જે કહેવું છે એ પ્રાસની દ્વિરુક્તિ વડે દૃઢીભૂત કરતા હોય એમ જણાય છે. મૃત્યુ વિશેનું આ પ્રકારનું ચિંતન સામાન્યરીતે જીવનસંધ્યાના આરે પહોંચેલી કલમ કે અકાળ પાનખરનો ભોગ બનવાનો અંદેશો આવી ગયો હોય એવી લેખિનીમાંથી પ્રકટતું જોવા મળે છે. રાવજી પટેલ, જગદીશ વ્યાસ જેવા કવિઓને જીવતેજીવ કાળનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો એટલે એમની કલમમાંથી મૃત્યુ ટપકે એ સાહજિક હતું પણ કોઈ ટીન-એજર કવિ મૃત્યુ વિશે આવું ચિંતન કરે ત્યારે સવિશેષ આશ્ચર્ય થાય. ક્રિસ્ટિનાએ આ ગીત લખ્યું ત્યારે એની ઊંમર માત્ર ૧૮ જ વર્ષની હતી. ૧૮ વર્ષની તરુણી પ્રેમના ટાયલા કૂટવાના બદલે પોતાના મૃત્યુ પછીની વાત ખૂબ સમજ અને ઊંડાણપૂર્વક કરે ત્યારે આપણી આંખ પહોળી ન થઈ જાય?

દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મૃત્યુદર ખાસ્સો ઊંચો હતો. ૧૮૩૦ના લંડનમાં પુરુષોનું અપેક્ષિત આયુષ્ય ૨૫થી ૪૫ વર્ષ જેટલું જ હતું. મજૂરવર્ગમાં તો ૧૦૦માંથી ૫૭ બાળકો પાંચ વર્ષના થાય એ પહેલાં જ મૃત્યુ પામતાં. આ કારણોસર વિક્ટોરિઅન યુગમાં મૃતક પાછળ શોક પાળવાની પ્રથા પૂરજોરમાં હતી. મૃતકના વરઘોડા પણ નીકળતા. શોક પાળવા માટે ખાસ કપડાં સીવડાવવામાં આવતા. સ્વયં વિક્ટોરિયાએ એના પતિ આલ્બર્ટના મૃત્યુ પછી ચાળીસ વર્ષ સુધી શોક પાળ્યો હતો, કાળાં કપડાં પહેર્યાં હતાં. આલ્બર્ટના રૂમમાં રોજ શેવિંગ માટે ગરમ પાણી મૂકાતું અને રોજ ચાદર પણ બદલાતી. બની શકે કે પોતાના પિતાના મૃત્યુના અનુભવ ઉપરાંત સમાજમાં છાશવારે થતા કમોતના કારણે જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુ તરફની એમની દૃષ્ટિ નાનપણથી આમ કેળવાયેલી હોય. ક્રિસ્ટિનાની ‘ગોબ્લિન માર્કેટ’ અને ‘રિમેમ્બર’ ખૂબ પ્રસિદ્ધ કવિતાઓ છે. ‘ગોબ્લિન માર્કેટ’ તો ૫૬૭ પંક્તિઓનું બહુચર્ચિત દીર્ઘ કાવ્ય છે, પણ ૧૯ વર્ષની ટીને-એજર છોકરી ‘રિમેમ્બર’ સૉનેટમાં કવિતામાં જે વાત કરી છે એ જ કરે છે. એ પહેલાં તો એના પ્રેમીને પોતે મરી જાય પછી યાદ રાખવા અનુગ્રહ કરે છે પણ કાવ્યાંતે કહે છે: ‘વધુ સારું તો એ છે કે તું મને ભૂલી જાય અને હસતો રહે, નહીં કે મને યાદ રાખે અને દુઃખી થાય.’

વિક્ટોરિઅન યુગના મોટાભાગના કવિઓએ મૃત્યુ, શોક અને પ્રિયજનને ગુમાવવાની વેદનાના નાનાવિધ આયામો કવિતામાં ઉજાગર કર્યા હતા. ટેનિસને એના મિત્ર હેલમ માટે લખેલી ‘ઇન મેમોરિઅમ’ સહિતની ઢગલાબંધ કવિતાઓ પણ આ જ શ્રેણીના સંતાન છે. થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતામાં દુનિયા મરનારના શરીરની સાથોસાથ જ મરનાર સાથેના સંબંધ પણ કેવી રીતે દફનાવી દેતી હોય છે એ વાત મૃતક અને એના કૂતરાના વાર્તાલાપ સ્વરૂપે રજૂ કરે છે. ક્રિસ્ટિના એમના શોકગીતોમાં જાતિ અને જાતીયતા કઈ રીતે શોક કરવાની રીતો પર અસર કરે છે એ નાણી જુએ છે. પ્રિયપાત્રની કાયમી વિદાય બાદના ઓસરી જતા પ્રેમને ધ્યાનમાં લઈને એ શોકાચાર અને લોકાચાર પર પ્રહાર કરે છે. ક્રિસ્ટિનાએ મૃતકના ચશ્માંમાંથી લોક અને શોકને જોયા છે, જેમાંથી આપણને મૃત્યુ ન પામનારી કવિતાઓ પ્રાપ્ત થાય છે. મૃત સ્ત્રીનો ‘પૉઇન્ટ ઑફ વ્યુ’ લઈને ક્ર્સ્ટિનાએ લખેલી ઘણી કવિતાઓ એને એક અલગ જ વર્ગમાં મૂકે છે.

નાયિકા એના પ્રિયતમને કહે છે કે એના મૃત્યુ બાદ એણે કોઈ શોકગીત ગાવાની જરૂર નથી. અંગ્રેજી પ્રથા મુજબ કબરના માથે ગુલાબનો છોડ રોપવાની કે કબરને તડકાથી બચાવવા સરુવૃક્ષ વાવવું પણ બિનજરૂરી છે. જૉન ડન ‘અ વેલિડિક્શન: ફોરબિડિંગ મૉર્નિંગ’માં છૂટા પડતી વખતે આવું જ કહે છે, ‘કોઈ અવાજ નહીં, કોઈ આંસુઓના પૂર નહીં, કોઈ નિઃસાસાઓના તોફાન નહીં’ નાયિકા ઇચ્છે છે કે શોકનો આવો દેખાડો કરવાના બદલે કબર પર લીલું ઘાસ થઈ ઊગજે. ઘાસ નમ્રતાનું પ્રતીક છે. એ નથી વધુ ઊંચે જતું કે નથી અક્કડ રહેતું. એ લવચિક છે અને એની લીલપ મૃતક સાથેના સંબંધની તાજપ ઈંગિત કરે છે. પોતાના મૃત્યુ પર રડવાની પણ એ આડકતરી રીતે ના કહે છે. કહે છે કે, કુદરત તરફથી સાંપડતાં વરસાદના આછાં ઝાપટાં કે પ્રભાતના ઝાકળબુંદો પૂરતાં છે. વિક્ટોરિઅન સ્ત્રીના પુરુષસમર્પિત નિઃસ્વાર્થતાના નિયમે એ પુરુષને આઝાદી આપે છે કે યાદ રાખવી હોય તો રાખજે ને ભૂલી જવી હોય તો ભૂલી જજે.

બીજા અંતરામાં એ કારણ આપે છે. નિધન બાદનો શોક નિરર્થક છે કેમકે મરનાર નથી છાંયડો જોઈ શકનાર કે નથી વરસાદ અનુભવનાર કે નથી બુલબુલ (નાઇટિંગલ)ના દર્દભર્યા ગીતો સાંભળી શકનાર. ખ્રિસ્તી વિચારધારાથી આ ઊલટી વાત છે. ખ્રિસ્તી વિચારધારા મુજબ મૃત્યુ પછીનું જીવન અસ્તિત્વ ધરાવે છે અને મરનાર પોતાની પાછળ રહી ગયેલા સગંઓને જોઈ-સાંભળી પણ શકે છે. ‘ડ્રીમલેન્ડ’ કવિતામાં ક્રિસ્ટિના આવી જ વાત કરતાં કહે છે કે, ‘પાર્થિવ અને અપાર્થિવ દુનિયા વચ્ચે અવાજની આપ-લે શક્ય છે, માટે બુલબુલના ગીતો કે પ્રિયજનના શોકગીતો જાયઝ છે.’ ગ્રીક પુરાણકથામાં એથેન્સની રાજકુમારી ફિલોમેલા પર એનો બનેવી ટેરેઉસ બળાત્કાર કરે છે અને જીભ કાપી નાંખે છે. ફિલોમેલાની પ્રાર્થના સાંભળીને ઈશ્વર એને નાઇટિંગલ બનાવી દે છે, જે દર્દભર્યા ગીતોમાં પોતાની વાત રજૂ કરે છે. ક્રિસ્ટિના આ કથાથી સુપરિચિત હતાં એટલે એ આ ગીતો જાણે દુઃખથી ભરેલાં ન હોય એમ કહે છે. પણ કહે છે કે એની કોઈ જરૂર નથી. અંગ્રેજી જગતમાં ટ્વાઇલાઇટ (ભળભાંખળું)નો સંદર્ભ આફ્ટર-લાઇફ (મૃત્યુ પછીના જીવન) સાથે સંકળાયેલો છે. આપણે ત્યાં પણ આ સમય પ્રેતાત્માઓના વિચરણનો ગણાય છે. નાયિકા માટે ટ્વાઇલાઇટની આ અવસ્થા કાયમી છે એટલે એના માટે આનો ઉદય કે અસ્ત નથી. પહેલા અંતરાની આખરી બે પંક્તિમાં પુરુષસમર્પિત સ્ત્રીનો સૂર કાવ્યાંતે બદલાય છે અને એક આઝાદ સ્ત્રી નજરે ચડે છે. એ કહે છે કે કદાચ હું મૃત્યુપર્યંતના શાશ્વત સ્વપ્નમાં તને યાદ રાખુંય ખરી ને બનવાજોગ છે કે ભૂલી પણ જાઉં. પહેલા અંતરામાં એ પુરુષને સ્મૃતિ-વિસ્મૃતિની આઝાદી આપે છે પણ બીજા અંતરામાં એ આ આઝાદી પોતાના હાથમાં લઈ લે છે. આખરી બે પંક્તિમાં કવયિત્રી જે વળાંક લે છે એ પ્રુરુષપ્રધાન સમાજ માટે આંચકા સમાન છે. ‘આફ્ટર ડેથ’ સૉનેટમાં ક્રિસ્ટીના ફરી એકવાર મરનાર સ્ત્રીની નજરે પ્રેમ અને દયાનો ડોળ કરનાર પ્રિયજન અને એ રીતે સંબંધની નશ્વરતા તરફ તીખો ઈશારો કરે છે. કદાચ ‘આફ્ટર ડેથ’ કવિતા પૂરી થાય છે ત્યાંથી આ ગીત શરૂ થાય છે…

અંગ્રેજીમાં એ Haply શબ્દ વાપરે છે જેને વસ્તુતઃ ‘બનવાજોગ’ તરીકે પણ લઈ શકાય, પણ ક્રિસ્ટિનાને કદાચ બીજો અર્થ Happily –આનંદપૂર્વક પણ અભિપ્રેત છે. કદાચ એટલે જે એ Haply શબ્દ બે વાર પ્રયોજે છે. ‘બનવાજોગ’ શબ્દ સ્ત્રીનો પુરુષ તરફનો લાપરવાહ તટસ્થ અભિગમ નિર્દેશિત કરે છે તો ‘આનંદપૂર્વક’ શબ્દ પુરુષને ભૂલી જવામાં સ્ત્રીને થતા આનંદની વાત કરીને રુઢિગત સંસ્કારોને ધક્કો આપે છે. અનુવાદની મર્યાદા અહીં નજરે ચડે છે. એવો કોઈ ગુજરાતી શબ્દ ખરો જે આ બે અર્થ એકમાં સમાવી શકે?

લોકો જેનો સ્વીકાર કરતાં ડરે છે એ વાત રોઝેટી પૂરી ‘મર્દાનગી’થી કહે છે કે મરનાર પાછળ કરાતા શોકાચારનો કોઈ અર્થ નથી. એનાથી મૃતકને કોઈ ફાયદો નથી. એ માત્ર જીવીત રહી ગયેલાઓ માટેનો લોકાચાર માત્ર છે. માણસ હોય ત્યારે સંબંધની પૂરી ગરિમા જાળવતાં આવડવું જોઈએ અને કાયમી વિયોગ બાદ એને એ જ ગરિમાથી ‘ગુડ-બાય’ કહેતાં પણ આવડવું જોઈએ પણ મનુષ્યજાત આદિકાળથી કદી દંભનો અંચળો ઊતારી શકી જ નથી. જીવતાંને આપણે ચાહી શકતા નથી ને મરેલાંને આપણે ભૂલી શકતાં નથી. જમાનો એ લોકો જેઓ ‘आज हम दार पे खींचे गये जिन बातों पर, क्या अज़ब कल वो ज़माने को निसाबों में मिले’થી ભર્યો પડ્યો છે. (દાર-શૂળી, નિસાબ-પાઠ્યપુસ્તક, અહમદ ફરાઝ)