Category Archives: અમર ભટ્ટ

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

‘ગીત ગગનનાં….”

‘ઓપિનિયન’ મત, વલણ, વિચાર, અભિપ્રાય ઇ.ઇ. માટે ય ચાલે. ખરું ને ? રજત તો silverનો એક શબ્દાર્થ પણ છે. પચ્ચીસી લઈ શકાયું હોત; પણ ટાળ્યું. યુવાનીને આપ ણો સમાજ ક્યાં સાંભળે છે ? તે તો મનમાની જ કરે છે ! તેથી રજત અને તેમાં જોડ્યું ‘રાણ’. તેનો એક અર્થ રાજા કે રાણા પણ થાય છે. અને બીજો અર્થ રાણનું વૃક્ષ. અને આ વૃક્ષ તો રાયણ જેવું મજેદાર ફળ પણ આપે જ છે. તેથી રજત રાણ. અને તેને પડાવે, તેને છાંયડે પડાવ. એવા એવા એવા પડાવે આ ઓપિનિયન. … બોલો, કંઈ કહેવું છે ??

વારુ, કાકાસાહેબ કાલેલકરે (‘કાલેલકર ગ્રંથાવલિ ૬ [સમાજ અને સંસ્કૃતિ]; પૃ.06) કહ્યું છે તેમ, ‘ … કલ્પના પ્રમાણે તહેવારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે. તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ.’
અહીં બીજા સપ્તાહઅંતના બે અવસરોની વિગતો પૂરીએ છીએ.

શનિવાર, 10 ઍપ્રિલ 2021ના દિવસે 6.30 સાંજે IST ‘ગીત ગગનનાં … …’ છે અને તેને અમરભાઈ ભટ્ટને કંઠે ગીત, સંગીત માણતાં માણતાં મોજના દરિયામાં આનંદવાનું છે.
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/95478965815 (Meeting ID: 954 7896 5815)

તમે ફેસબુક ઉપર લાઈવ પણ માણી શકશો https://www.facebook.com/groups/opinionmagazine

રવિવાર, 11 ઍપ્રિલ 2021ના દિવસે ‘અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ’ સરીખા પેચદાર વિષય મિષે ચર્ચા મંડાવાની છે.
ઝૂમ લિન્કઃ : https://zoom.us/j/92733813395 (Meeting ID: 927 3381 3395)

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની  વિગત  આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય  એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!

આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…

માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.

*********************
Previously posted on May 2, 2013:

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

વ્હાલ કરે તે વ્હાલું ! – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર:ગાયક:અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:1

.

રમેશ પારેખને એમના 80મા જન્મદિને (27/11/2020) યાદ કરું છું. વિશ્વકોશમાં 2/1/2010ના દિવસે ‘કાવ્યસંગીતશ્રેણી’નો આરંભ થયો તે પણ રમેશ પારેખનાં કાવ્યોનાં ગાનથી. એ વખતે આ ધોધમાર કવિની કવિતાનો કૅન્વાસ પાછો નજીકથી નિહાળ્યો.
આજે એમનું ‘વ્હાલ કરે તે વ્હાલું’ ગીત સંભળાવું.

‘વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?
ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી
કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું!
ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!
કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’
-રમેશ પારેખ

રમેશ પારેખની નમ્રતા જુઓ. ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં એમણે નિવેદનમાં લખ્યું છે કે એમાં 1991માં છપાયો ત્યાં સુધીની લખાયેલી તમામ કવિતાઓ એટલા માટે લીધી છે કે જેથી સર્જકની મર્યાદાઓ શું છે એની સર્જક અને વાચક બંનેને જાણ થાય!
11મા ધોરણમાં એક નિબંધ લખવાનો હતો – મારો પ્રિય કવિ – મેં કવિ રમેશ પારેખ ઉપર લખેલો. કવિને એ પત્ર રૂપે પણ મોકલેલો.1982માં એ અમરેલીથી અમદાવાદ આવેલા ત્યારે મને ફૉન કરી લાભશંકર ઠાકરના આયુર્વેદના ક્લિનિક પર મળવા બોલાવેલો. એ પછી અવારનવાર એમને પત્ર દ્વારા ને એમનાં કાવ્યો દ્વારા મળતો. ત્યારપછી તો અમે એમનાં અને અનિલ જોષીનાં ગીતોનો કાર્યક્રમ કર્યો. બંનેએ જે કાવ્યો વાંચ્યાં એ જ અમે ગાયાં. 1998માં કવિ રમેશ પારેખ ને મનોજ ખંડેરિયાનું કાવ્યપઠન મારે ત્યાં યોજેલું.
કવિની ‘આ મનપાંચમના મેળામાં’ ખૂબ જાણીતી કૃતિ છે. ર.પા.ની અનેક રચનાઓમાં મેળો આવે છે-
‘મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે
એમ હું છે તે ઝાડને જડું’
**
‘પગથી માથા લગી સમૂળો મને લીધો તેં ચોરી
તને એકલીને મેં આખ્ખા મેળામાંથી ચોરી
કોઈ કહે કે જીવતર છે,એમાં આવુંય બને!‘
**
‘ઘાંઘા! ઘાંઘા! ક્યાં હાલ્યો?
વસંતમાં તેં ફૂલને બદલે ધરમ હાથમાં કાં ઝાલ્યો?
જીવતરનો શો અરથ, ગીત ગાઈ મેળે જો ના મહાલ્યો?’

પણ અહીં એવા મેળાની, સાક્ષીભાવે જોયેલી, વાત છે જ્યાં ફુગ્ગા જેવા (egoist?), ગમે ત્યારે ફૂટી પણ જાય તેવા માણસો હોય, જ્યાં ફરફરિયાં(petty?) જેવાં લોકો હોય, બહુ બોલીને આંજનારાં પણ હોય ને કોઈક સુગંધ વેરતી ને પરમાર્થ કરતી વ્યક્તિઓ પણ હોય. આ બધામાંથી કવિને લેવી છે લાડની મોંઘામૂલી લગડી ને વહેંચવો છે વ્હાલભર્યો સંદેશ – વ્હાલ કરે તે વ્હાલું!
થોડી સ્વરનિયોજનની ટેક્નિકલ વાત કરું-ખાસ કરીને અંતરામાં મેળામાં ફરતાં કવિ સાક્ષીભાવે જે જુએ છે તે સાક્ષીભાવ અભિવ્યક્ત કરવા ઉપરના ષડ્જ-સા -થી દરેક અંતરા શરૂ કર્યા છે. દરેક અંતરાની પ્રથમ પંક્તિ પહેલી વાર અને બીજી વાર ગવાય તેની વચ્ચે,એ પંક્તિના શબ્દોને રુચે એવાં, subtle variations છે. તેવું જ ‘ઝાલું’, ‘પ્યાલું’, ‘ચાલું’, ‘ઠાલું’ શબ્દોમાં છે.
‘પ્યાલું’માં ગ’રે’સા’,સા’નિ(કોમળ)ધ, મગરે, ગમપ છે; તો ‘ચાલું’ પહેલાં ‘અટવાતો’ શબ્દ હોવાથી આ જ સ્વરો છે પણ થોડા ‘કોમ્પ્લિકેટ’ કરીને ગયા છે –
ગ’-રે’સા’, નિ-ધપ, મ-ગરે, ગમપ.

– અમર ભટ્ટ

ઉડ્ડયન – રમેશ પારેખ

રમેશ પારેખનાં ધોધમાર ગીતોમાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.
એમનું પ્રખ્યાત ગીત છે-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં
રે લોલ!’
આ ઓછું પડવું -એ આ ગીતમાં પણ કવિ કૈંક જુદી રીતે લાવે છે. અંગ્રેજીમાં કહેવતરૂપ વાક્ય છે-
‘the sky is the limit’
કવિ એ જ વાત ગીતરૂપે અભિવ્યક્ત કરે ત્યારે આવું ગણગણવાનું મન થાય છે. -આભ તેને ઓછાં પડે!
હજી કઈંક મેળવવાની તલપ માટે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે-
‘તે છતાં તૃપ્તિ સુધી ન પહોંચાયું
આમ એ એક ઘૂંટ છેટી છે’
અનહદના અનુભવ માટે ભાર ‘હોવાનો’ ખંખેરવાનો સંદેશ સૂચક છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ‘હોવા’ – being – વિશેની વાત છે-
‘હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ’
ને
‘શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાંખે’.
-અમર ભટ્ટ

કવિ: રમેશ પારેખ

‘જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

વાંકી રે કેડી ને વાંકી મોજડી – વિનોદ જોશી

કવિ : વિનોદ જોશી
સ્વરકાર : અમર ભટ્ટ
ગાયક : હિમાલી વ્યાસ-નાયક

.

વાંકી રે કેડી ને વાંકી મોજડી…
વાંકી રે પગલાંની આ વણઝાર હો, પિયુજી …

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વિંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા,
કાંઠે રે એકલડી હું ભેંકાર હો, પિયુજી …

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરુ પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં,
સૂના રે કાંઈ જીત્યાના ભણકાર હો, પિયુજી …

અટકળનાં ઝળઝિળયાં ઝિલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઑરતા,
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો પિયુજી …
– વિનોદ જોશી

જીવન જ્યારે સુકાય ત્યારે – રવિન્દ્રનાથ ટાગોર

7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.

આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ

કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ

.

જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો

દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો

વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

નમ્રતાના નિધિ – મોહનદાસ ગાંધી

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ

.

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi

અનુવાદ: ઉમાશંકર જોશી
સંદર્ભ: “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

.

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી

હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે

માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ

ટપકે છે લોહી આંખથી – અમૃત ઘાયલ

શાયર અમૃત ઘાયલ:
જન્મ: 19/8:
કોઈકે કહેલું કે રાંધણ છઠ તે ઘાયલસાહેબનો જન્મદિવસ।.
તારીખ પ્રમાણે 19/8. ગઝલમાં તળપદા ગુજરાતી શબ્દો લઇ આવનાર ને મુશાયરા ગજવનાર શાયર તે ઘાયલસાહેબ। એમણે ને કવિ મકરન્દ દવેએ સંપાદિત કરેલું ગઝલનું પુસ્તક-‘છીપનો ચહેરો ગઝલ’તે મારૂં પ્રિય પુસ્તક છે ને એની પાસે વારંવાર પહોંચું છું, અટકું છું.
આજે એમની આ ગઝલ માણો.
દરેક શેરમાં તુલના છે એમ લાગે।
કાવ્યો અને કહાણી, લોહી અને પાણી,મૌન અને વાણી, ઉદાસી અને ઉજાણી, દાસી અને રાણીમાં તુલના horizontal છે. આ તુલના vertically પણ વિચારી શકાય?તો આમ બને-
કાવ્યો – કહાણી
લોહી – પાણી
મૌન – વાણી
ઉદાસી – ઉજાણી
દાસી – રાણી
મારૂં પ્રિય સ્વરનિયોજન ઓસમાણ મીરે અદભુત ગાયું છે.
– અમર ભટ્ટ

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઓસમાણ મીર
આલબમ: સ્વરાભિષેક:4

.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
-અમૃત ઘાયલ