Category Archives: ગઝલ

પ્રણયનો વિવેક – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

(કવિ પરિચય)  

Pranay no vivek – shoonya palanpuri , shunya palanpuri

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ – જવાહર બક્ષી

આલ્બમ : લાગણી
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

(આભાર : લયસ્તરો)

Phari na chhutavanu bal jama kare koi – jawahar bakshi

ગઝલ – કિરણ ચૌહાણ

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી :
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.

ઓ શિકારી ! પાંખ લીધી આંખ પણ લઇ લે હવે,
આભને જોયા પછીની પીડ સહેવાતી નથી.

હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.

ઇશ્વરે કાળા તમસ પર શ્યામ અક્ષરથી લખી,
વાત મારા ભાવિની મુજને જ વંચાતી નથી.

તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો, ‘કિરણ’,
આટલી મૂડી છે તારી, એ ય સચવાતી નથી ?

Gazal , kiran chauhan

તડકાનો માણસ… ધ્રુવના પ્રદેશે કેદ ! – ભગવતીકુમાર શર્મા

alaska

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

( કવિ પરિચય )  

Tadaka no maanas dhruv na pradeshe – bhagavatikumar Sharma, bhagavati kumar

ભાવની ભૂગોળની ગઝલ – શેખાદમ આબુવાલા

ધરો ધીરજ  

dharo dheeraj

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

આવું તો કે’જે – અશરફ ડબાવાલા

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે

સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે

તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગ
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

(કવિ પરિચય)  

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’

“The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world’s problems.” – Mahatma Gandhi.

“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.” – મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

સ્વર : મનહર ઉધાસ

.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

( કવિ પરિચય ) (આભાર ઃ અમીઝરણું )

અલબેલો અંધાર હતો – વેણીભાઇ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

( કવિ પરિચય )

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે – બેફામ

સ્વર : આશિત દેસાઇ

.

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

( કવિ પરિચય )