પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ
સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ
ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ
ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ
ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ
પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ
સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ
ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ
ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ
ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ
બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ
ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ
હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ
ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ
ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ
રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ
ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.
આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…
આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)
પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)
એમણે એક શેરમાં કહ્યું છે –
જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.
અને આ શેર –
ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.
બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.
આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
—
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
—
માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
—
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
—
શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.
આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.
સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.
એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું
હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું
એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું
એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું
—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ

(the world famous Golden Gate Bridge in fog..)
હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
હોય તારા નામનાં ઘેરાયેલાં કૈં વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
કયાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું અને તે આ અને પેલું બધું અંદર ધૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.
જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો
વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો
માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો
અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

ચાલ હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત
ખાલિપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં
જામ દરદનાં ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત
ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત
ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે
મહોંરા-બુરખા ઓઢી લઇને ભૂલીએ થોડું અંગત અંગત
મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત
2 વર્ષ પહેલા ભાસ્કર શુક્લના અવાજમાં મુકેલી આ ગઝલ, આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સંગીત સાથે ફરી એકવાર 🙂
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-’બેફામ
(આભાર : લયસ્તરો )

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?
જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?
પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !
-હિમાંશુ ભટ્ટ