લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!
સ્વર – સંગીત : ??
ગણ્યું જે પ્યારું પ્યારાએ....
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે. Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)