Category Archives: કાવ્યપ્રકાર

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો – ભગવતી કુમાર શર્મા

કવિશ્રી ભગવતીકુમાર શર્માને એમના જન્મદિને વંદન સહ શ્રધ્ધાંજલી. 🙏🙏

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે, મલ્હારનો ઘરાણો 

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યુ કિન્તુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિ ને લાગણીઓ, જકડાયેલો ઝૂરાપો
માણસ ઉપર પડે છે ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મ્હેં લોહીથી ભર્યા છે મારા બધા લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વરકાર – આલાપ દેસાઈ (આલ્બમ – સૂર વર્ષા)
સ્વર – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

લગ્નની ભેટ – આસીમ રાંદેરી

લગ્નની ભેટ

અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.

છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.

વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.

યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.

મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.

વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.

છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.

નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.

વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.

અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.

– આસીમ રાંદેરી

ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યુંઃ જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

આજ તો એવાં અમરત પીધાં – નંદિતા ઠાકોર

આજ તો એવાં અમરત પીધાં
આખી કાયા મ્હોરી જાણે ઝળહળ દીવા કીધા

કંઇક હૃદયમાં એવું અડકયું
એવાં ઉઘડયાં સ્પંદન
અદીઠ રહીને કોણે તોડયાં
આ અનહદના બંધન
પગલે પગલે આ કોણે મબલક અણસારા દીધા

હવે કશી આરત ના બાકી
કોઇ ન બાકી માયા
ચોગરદમ આ હું જ વસું ને
સઘળે મારી છાયા
કશી અગોચર રમણામાં લ્યો, અમે વિસામા લીધા

– નંદિતા ઠાકોર

વરસાદીપણું…! – જયશ્રી વિનુ મર્ચન્ટ

વરસાદીપણું મને ભીંજવી ગયું
ને, સૂરજનાં કિરણોમાં હું ઝળહળું…
ઝાકળમાં પથરાયા મારા પડછાયા,
ને, ફૂલો મહીં સમાઈને હું મઘમઘું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

રાતલડી મહેકે બનીને રાતરાણી,
ને, ફોરમના ફુવારે જો ભીંજાણી હું…
સપનાંયે હવે સપનાં ગયાં બની,
ને, પલકો ૫૨ ટહેલું છું નિદ્રાની હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

ઓજસનો આભાસ ખાલી નથી,
ને, રોમરોમ તુજ નૂરમાં નીતરતી હું…
ભાન ભૂલી અભિસારિકા નદી સમી,
દિ૨યામાં લુપ્ત થવા જો ધસમસતી હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

જયશ્રી વિનુ મર્ચન્ટ

એટલે તો ઝાડવાંની સુંદર સવાર – મુકેશ જોષી

એટલે તો ઝાડવાંની સુંદર સવાર,
જાગીને પંખીની ચા પીએ એટલું જ.
વાંચે ના કોઈ દિવસ કાતિલ અખબાર.

જાગેલાં પાંદડાંઓ આવેલાં સપનાંઓ
વર્ણવતા જાય ભલી ભાંતથી
ડાળીઓને નોકરીએ જાવાનું હોય નહીં
સાંભળીને ઝૂલે નિરાંતથી.
દૂધવાળો ખખડાવે એ રીતે આવીને,
વાયરોય ખખડાવે દ્વાર, એટલે તો.

અડધું પવાલું ભરાય નહીં એટલી જ
ઝાકળથી ઝાડ નાહી લેતું.
પાંચ ટકા પાણીનો કાપ હોય એ દહાડે,
આપણી તો આંખમાંથી વહેતું.
તડકાઓ ડાળીઓને લૂછેઃ ના કોઈ કરે,
શંકાના પીળા વિચાર. એટલે તો.

– મુકેશ જોષી

બસ વહેવા દો – યામિની વ્યાસ

આજે ‘World Menstrual Hygiene Day’ છે. સ્ત્રીના અસ્તિત્વના સૌથી પવિત્ર પાસા – ‘માતૃત્વ’ સાથે જેનો અતૂટ નાતો છે, એ નૈસર્ગીક પ્રક્રિયાને સદીઓથી હીન ભાવનાથી જોવાતી આવી છે, કદાચ સામાજિક દૂષણની હદે એનો વ્યાપ છે અને આ અજ્ઞાનતા પ્રેરિત, કદાચ પુરુષપ્રધાન સમાજ દ્વારા ઈરાદાપૂર્વક કંડારેલા કાંટાળા માર્ગમાંથી લગભગ દરેક મુગ્ધા, યુવતી અને પ્રૌઢ સ્ત્રી પસાર થાય જ છે.
આજે આપણે આ જૂના માર્ગને છોડીને બસ આપણા ઘરની વહુ-દીકરીઓને, સ્ત્રીઓને આ રૂઢિચૂસ્ત સકંજામાંથી બહાર કાઢીએ.
દરેક મા આ બદલાવ લાવી જ શકે, દરેક દીકરીની મુક્તિ માટે નવી કેડી કંડારી જ શકે.
બોલો, તમે તૈયાર છો?!

આવી જ હાકલ કરતી કવિતા, સુરતના કવિયિત્રી યામિની વ્યાસ રજૂ કરે છે –

હું તો કંકુવરણી શુકનિયાળ નદી છું
અને તમે બંધિયાર વાવ કહો છો!
ધીમેધીમે જૂની માન્યતાનાં જર્જરિત પગથિયાં ઊતરો તો સારું.
મેં તો એમાં સાંભળેલી બધી ગઈકાલોને વહાવી દીધી છે.
તમેય ઓગાળી દો વ્યર્થ ગુસપુસ ઘોંઘાટ.
મૌનથી વધાવો છલકી ઊઠેલા રતુંબલ પ્રવાહને.
નદીને નદી જ રાખો.
તમારી રોકટોકથી એ તરફડતી માછલી ન બની જાય,
કારણ કે
હું જ એમાં ઓગળીને ફરી નવી બનું છું.
એ રીતે હું જ ફરી મને ઘડું છું,
ને તમારો દેહ ઘડનાર પણ હું જ.
ઋતુનું ચક્ર સહજ ફરતું રહે છે.
એ દિવસો પછી ફરી લાલ જાજમ બિછાવવી શરૂ કરું
થાક્યા વિના ને
પ્રતીક્ષા પછી આખો અસબાબ વહાવી દઉં નદી બની.
કદી માતૃત્વ પ્રાપ્ત કરું
તો સર્જક બ્રહ્માજીના સાંનિધ્યે હોઉં એવું લાગે.
આ નદી મારી ફળદ્રુપતાની નિશાની છે,
સ્ત્રીત્વની વધામણી છે,
એટલે જ વહેતી રહું છું,
ત્રિવેણી સંગમની ગુપ્ત નદી માફક,
મારી જ નસેનસમાં ને સકલ અસ્તિત્વમાં પણ.
એનો આટલો ઊહાપોહ શાને?
આ તો શરમની નહીં, ગર્વની વાત છે.
તમે કંઈપણ કહેવાનું રહેવા દો.
બસ, મને વહેવા દો.

– યામિની વ્યાસ

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા

હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો! – અનિલ ચાવડા

એ જ કારણથી વધી ગઈ ‘તી અમારી લાય તો,
હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો!

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

સાંકડી દીવાલમાંથી ગીત ફૂટી નીકળે પણ,
આ હવા પણ જો ફરી ધીમે રહીને વાય તો.

ને ચરણ આ છેક કૂવા પાસ જઈ ઊભાં રહ્યાં,
કોક જો એકાદ ટીંપું ક્યાંક પાણી પાય તો.

સાવ ટૂંકા છે બધા રસ્તા છતાં લાચાર છું,
શું કરું હું, ક્યાંય મારાથી જ ના પ્હોંચાય તો?

– અનિલ ચાવડા

બોલ સાજના જાઉં પિયરિયે? – મુકેશ જોષી

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?

– મુકેશ જોષી