Category Archives: કવિઓ

રેડિયો 18 : ઝવેરચંદ મેઘાણી

આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 115મી જન્મજયંતિ – તો એમને ફરી એકવાર વંદન કરી શ્રધ્ધાંજલી આપી સાંભળીએ એમણે આપેલા અમૂલ્ય ગીતોના ખજાનાની એક ઝાંખી..!

(Photo from : http://jhaverchandmeghani.com/)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1. ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી

2. કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી

3. મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

4. મોરબીની વાણિયણ

5. શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

6. કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

7. વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી

 

આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
http://spancham.wordpress.com/2011/08/15/aniljoshi_27aug2011/

 

અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

વરસાદ કહે – – રમેશ પારેખ

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,

છાંટા નહીં, મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,

કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Stinson Beach, CA .... August, 2011

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!

જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

(Click here for the video – slide show link)

ઘટમાં – મકરન્દ દવે

કવિ શ્રી મકરન્દ દવેની સમગ્ર કવિતા સંગ્રહનું નામ જ્યાંથી આવ્યું છે – એ મજાની કવિતા આજે માણીએ..!

સાંયાજી, કોઇ ઘટમાં ગહેકે ઘેરું,
બાવાજી,મુંને ચડે સમુંદર લ્હેરું.

ચકર ચકર વંટોળ ચગ્યો જી
ઈ તો ચ્ગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
તરી રહી એક ડેરી,
ઓ હો સાંયાજી, મારું હેત વધે ને માંહી
સુંદર મૂરતિ હેરું.

ખોબો ઢૂળનો કૂબો બણાયો ને
બૌત હુવા ખુશ બંદા,
એક ઘણીયે લગાયા ધક્કા
ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
દમ દમ વરસી મ્હેરું,

અકલ કલા મારે હિરદે ઊગી
અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
અલખ અલખ લખતારા
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
પિયનુ હવે પગેરું.

– મકરન્દ દવે

મોહે લાગી લટક ગુરુ ચરનનકી – મીરાંબાઈ

15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસની સાથે આપણા વ્હાલા લાડીલા અને ગુજરાતી સંગીતને એક અનેરી ઉંચાઇ બક્ષનાર સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમના સ્વરમાં આ અદ્ભૂત પદ..!

સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

મોહે લાગી લટક ગુરુ ચરનનકી.

ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
જૂઠ માયા સબ સપનનકી … મોહે લાગી

ભવસાગર સબ સૂખ ગયા હે,
ફિકર નહીં મુખે તરનનકી … મોહે લાગી

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ઉલટ ભઇ મોરે નયનનકી … મોહે લાગી

– મીરાંબાઈ

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ ! નીચેની કવિતા સાથે વિવેકની નોંધ પણ લયસ્તરો પરથી લઉં છું. (આભાર વિવેક અને લયસ્તરો ટીમ!)

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

– વિવેક ટેલર

મન થઈ જાય છે – ભરત વિંઝુડા

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

-ભરત વિંઝુડા

કદાચ – વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

—————-

આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
– ઊર્મિ

—————

આ કવિતા સાથે ઊર્મિએ લયસ્તરો પર મૂકેલી નોંધ મને એટલી તો ગમી ગઇ એ સીધી જ અહીં ટપકાવી છે. (ચાલશે ને, ઊર્મિ? :))