Category Archives: કવિઓ

પ્રસન્નના ઈસુને જોતાં – મકરંદ દવે

વેદના તેં કહે, કેમ પીધી?
શ્વેત અસ્થિ સુધી જાય સીધી
અને સર્વ શોષી જતા ઝેરને ઘૂંટડે ઘૂંટડે
ભીતરેથી તને શું જડે?

દ્રષ્ટિ તારી નિમીલિત હજી જેમ ઊંડે સરે
તાગતી, એક પછી એક નિજના સ્તરે
તરવરી ઊઠતું ધવલ ત્યાં ફીણમોજાં સમું
કૈંક, ને ગાઢ, ખડકાળ અંધાર ઘેરે તને કારમું
બંદીખાનું રચાતું બધે
ભીંસ પળ પળ વધે

ઊજળી અચળ ત્યાં તેજદાંડી બની
કૈંક ઠરતું ચહેરા પરે તુજ, નરી ધૂળની
યાતનાઘોર આંધી શમે
ચાંદની હેતભીની ઝમે.

– મકરંદ દવે (December 25, 1983)

(અમેરિકાનિવાસી ચિત્રકાર પ્રસન્નએ દોરેલી ઈસુની છબિ જોઈને…)

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને – બરકત વીરાણી ‘બેફામ’

સ્વર / સંગીત – આશિત દેસાઇ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

તને શ્રદ્ધા છે માણસ પર ? – રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

તમે ગમગીન થઇ જાશો – નાઝીર દેખૈયા

સ્વર – રુચા મેહતા
સંગીત – મોહંમદ દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝીર દેખૈયા

સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

આજે સાંભળીએ ભગવતીકાકાની આ મઝાની ગઝલ.. મારી-તમારી પેઢીના મોટા ભાગના લોકોને કાગળ વાંચવાનો અનુભવ હશે..! દૂર રહેતા સગાં કે મિત્રોના ઘણા કાગળો વાંચ્યા છે. હોસ્ટેલમાં રહેતા ભાઇનો કાગળ આવે એની તો કાગડોળે રાહ જોતી.. !! આજે હવે ‘ટપાલ…’ એવી બૂમ સંભળાતી નથી..! ટપાલી પાસેથી કાગળ લઇને કોનો કાગળ છે? શું લખ્યું છે – એ રોમાંચની મઝા જાણે દુર્લભ થઇ ગઇ છે..!!

અને હા… વર્ષો સુધી કોઇ કાતરિયામાં.. કોઇ ડબ્બામાં… કોઇ પુસ્તક વચ્ચે સચવાઇ રહેલો.. કોઇને લખેલો અને પોસ્ટ ન કરેલો? કે કોઇએ લખેલો અને આપણે જીવની જેમ સાચવેલો.. કાગળ અચાનક મળી આવે તો? એ કાગળ પહેલીવાર આવ્યો તો, અને એને વાંચવામાં જે ટોસ્ટ બાળી નાખેલો, એ બળેલા ટોસ્ટની સુવાસ જાણે આજે ફરીથી અનુભવાતી લાગે…! અને કાગળ ભલે વર્ષો પહેલા લખાયેલો હોય, પણ એ સાથે જાણે વીતેલાં વર્ષોની પળેપળ એકસાથે લઇને આવે..

*******

સ્વર – સ્વરાંકન : દેવેશ દવે

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

– ભગવતીકુમાર શર્મા

એટલામાં તો – જગદીશ વ્યાસ

આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એ જ દુકાને તુંય રે આવે વ્હોરવા માટે સોય
ગામ એવું તે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ
આપણી વચ્ચે આટલી છે બસ લેણ ગણો કે દેણ
નેણ મળે ને અમથું હસી પડતાં સામોસામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી’તી બહુ
‘જયઅંબે મા, જયઅંબે મા’ ઘૂન ગાતા’તા સહુ
ઘૂન ગાતાં’તાં આપણે ‘રાધેશ્યામ હો રાધેશ્યામ’
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.
– જગદીશ વ્યાસ

*****************
આ કવિતાનો કવિ શ્રી ‘રાજેશ વ્યાસ મિસ્કીન’એ ‘શતદલ’ પૂર્તિમાં કરાવેલો આસ્વાદ માણીએ…!!

પ્રેમને કોઈ કારણો સાથે સંબંધ જ નથી હોતો. અને જો કારણો સાથે સંબંધ હોય તો એ પ્રેમ નહીં હોય, બીજું કશુંક હશે. પહેલ-વહેલી વાર પ્રેમ થાય, એકબીજાને અલપ-ઝલપ જોઈ લેવાનું થાય, અચાનક યોગાનુયોગે ગમે ત્યાં અને ગમે ત્યારે મળી જવાનું થાય અને એમાંથી આ જગતને વાતો કરવા માટે કેટકેટલું જડી જાય છે તેનું આ ગીત છે. મેં જોયું છે કે ગમે તેટલો નિરસ માણસ કોઈ બીજાના પ્રેમની ચર્ચાઓ કરવામાં રસિક બની જતો હોય છે. જગદીશ વ્યાસ મારી પેઢીનો એક આશાસ્પદ ગઝલકાર અને ગીતકાર હતો.

એકબીજાનું હજુ નામ પણ જાણતા ન હોય. માત્ર આંખોથી એકબીજાની સામે જોઈ લેવાતું હોય અને એટલામાં તો એ બંને વિશે આખું ગામ વાત કરવા મંડી પડે છે. પેઢી દરપેઢીથી આપણે જાણતા આવ્યા છીએ કે આ જગત બે પ્રેમીઓને મળવા જ નથી દેતું. અમેરિકાના કવિ નિલેશ રાણાની બે પંક્તિઓ મને ખૂબ ગમે છે. મેં તેમને પૂછ્‌યું હતું કે તમે કવિ કઈ રીતે થયા? તેમણે કહ્યું કે મારી સગાઈ માટે જે છોકરીને જોવા હું ગયો હતો એને મેં સોયમાં દોરો પરોવતી જોઈ અને એ જ પળે એ એટલી ગમી ગઈ કે બસ એને જોતો રહ્યો અને આખું ગીત લખાઈ ગયું. એમના એ ગીતની બે પંક્તિઓ જોઈએ.

સોયમાં દોરો પરોવતી જોઈ તને,
મારામાં સંધાયુ કંઈ…

કોઈને સોયમાં દોરો પરોવતા જોઈને આપણી ભીતર કંઈક સંધાઈ જાય એનું નામ પ્રેમ. અહીં પણ એવી જ બે પંક્તિઓથી વાત શરૂ થાય છે.

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એ જ દુકાને તુંય રે આવે વ્હોરવા માટે સોય.

જે કામ તલવાર નથી કરી શકતી એ કામ સોય અને દોરો કરી શકે છે. મનમાં ખ્યાલ પણ ના હોય અને છોકરો દુકાને દોરો લેવા જાય અને એ જ દુકાને છોકરી સોય ખરીદવા આવી હોય. માત્ર સોય અને દોરો જ નહીં, મન પણ એકબીજામાં પરોવાઈ જાય એના માટે યોગ પણ કેવા-કેવા ઉભા થતા હોય છે. અને પાછું ગામ હોય નાનકડું કે દિવસમાં ગમે તે બાજુએ જાવ, એકબીજાને સામે મળી જ જાવ.

એકબીજાનું હજુ નામ તો જાણતા જ નથી ત્યાં એકબીજાએ વાત તો ક્યાંથી કરી હોય જ. હજુ તો અવાજ કેવો છે, વેણ કેવા છે એ પણ સાંભળ્યું નથી. બેઉની વચ્ચે આટલી પાતળી લેણ-દેણ હોય છે. અને છતાંય જેવી એકબીજાની આંખો મળી જાય છે કે સાવ કારણ વગર અમથું-અમથુએ હસી પડાય છે. પ્રેમની આ જ વિશેષતા છે કે કોઈ કારણ વગર પણ હોઠ હસી પડે છે, હૃદય મહેંકી ઊઠે છે.

હવેની ચાર પંક્તિઓ એક નાનકડાં પ્રસંગની આપણને ઝલક આપે છે. કલ્પના કરીએ કે એક નાનકડું ગામ હોય. એ ગામમાં અંબા-માતાનું મંદિર હોય. સાંજના આરતીના સમયે આખું ગામ ઉમટ્યું હોય. આરતી પૂરી થયા પછી જય અંબે મા જયઅંબેની ઘૂન બધા ગાતા હોય. પણ અહીં તો પેલા બે પ્રેમીઓને એકબીજાની ઘૂન લાગી ગઈ છે. માતાજીનું મંદિર છે કે કૃષ્ણનું મંદિર છે ેએ પણ ભૂલાઈ ગયું છે. એકબીજાને જોતાં-જોતાં રાધેશ્યામ રાધેશ્યામની ઘૂન ગાય છે. આમેય પ્રેમને રાધા અને શ્યામ સાથે સંબંધ છે.

ગીતના આરંભમાં કવિ કહે છે કે આપણે હજુ એકબીજાના નામ જાણતા નથી અને આપણને ય તે સમજાઈ જાય છે કે કશું જ બન્યું નથી છતાં બંનેની વાત થાય છે. જે એકબીજાના નામ નથી જાણતા એ નામોની ચર્ચા આખા ગામમાં ચાલે છે. ગીત આખું વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કશું જ બન્યું નથી. અને છતાં ઘણું બઘું બની ગયું છે. સ્થૂળ રીતે પ્રગટ થાય એ પ્રેમ નહીં.

જગદીશ વ્યાસ ખૂબ નાની ઉંમરે પરદેશમાં કેન્સરની બિમારીથી મૃત્યુ પામ્યો. પ્રેમ મળ્યા પછી પણ પ્રેમને માટે ઝઝૂમતો રહ્યો. તેણે તેના અંતિમ દિવસોમાં પત્ની, પુત્ર, પુત્રીને સંબોધીને ગઝલો લખી છે. આંખ સામે મૃત્યુ છે. હજુ બાળકો સમજણા પણ નથી થયા. એ ઉમ્મરે એમને છોડીને મૃત્યુને સહજ સ્વીકારી ચૂકેલા આ કવિની ગઝલ જોઈએ.

કેન્સરના દર્દી તરીકે ચાર વર્ષના દીકરાને સંબોધન…

મારી ઉપર કોપી ઊઠ્યો છે કાળ, દીકરા!
મારા વિના જ જિંદગી તું ગાળ, દીકરા!

ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા!

મોટાં દુઃખોમાં એક દુઃખ છે એય પણ મને,
તારી નહીં હું લઈ શકું સંભાળ, દીકરા!

વીતે છે દિવસો કેમ એની છે મને ખબર,
તું કેમ મોટો થઈશ નાના બાળ દીકરા!

જીવન તમારાં સહુનાં સહજતાથી વીતજો,
થાશો નહીં એ કોઈ દી’ ખર્ચાળ, દીકરા!

હું પ્રાર્થના કરું છું કે મારા ગયા પછી,
મળજો તને મળનાર સહુ હેતાળ, દીકરા!

પરાજિત રાજ્ય – હર્ષદેવ માધવ

બહાર
સૈન્ય મને આકુળવ્યાકુળ કરતું ઊભું છે.
ભીંતો
જીર્ણશીર્ણ થઇ ગઇ છે.
રાત્રીની બારીઓ ખુલી ગઇ છે.
પ્રત્યેક વૃક્ષ પર આગિયાની જ્વાળાઓ દેખાય છે.
વ્રણથી પીડિત આંખો માર્ગ સુધી જઇને પાછી ફરે છે.
અંદર
કોઠારો ખાલી થઇ ગયાં છે.
જળનું તળિયું દેખાઇ ગયું છે.
પ્રત્યેક દિવસે
તારી પ્રાપ્તીનાં સ્વપ્નો
છિન્નભિન્ન થઇને તૂટે છે
હે અલકનન્દા!
કિલ્લામાં બંધ રાજાની જેમ
હું તારી રાહ જૌં છું.
મારા સામ્રાજ્યમાં
તું પણ સંપૂર્ણ ધ્વંસ પછી જ
તારો વિજયપ્રવેશ ઇચ્છે છે?

– હર્ષદેવ માધવ

એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

– નયન દેસાઈ

અણગમતું આયખું (ની ઉક્તિ) – જગદીશ જોષી

પહેલા મુકેલું (Mar 12, 2008) કવિ જગદીશ જોષીનું આ કાવ્ય આજે સાંભળ્યે હેમા દેસાઈ ના સ્વરમાં…..

250672625_d641f74cc6_m.jpg

સ્વર – હેમા દેસાઈ
સંગીત – આશિત દેસાઈ
આલબ્મ – સ્વરાંગિની

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

—————————-

સાથે વાંચો એક સુંદર સંકલન : સાંજ અને જગદીશ જોષી

વરસાદમાં – સુધીર પટેલ

અમારા San Francisco Bay Area માં થોડા દિવસોથી વરસાદ આવે-જાય થતો હતો, અને હવે એણે થોડા દિવસ પુરતો વિરામ લીધો છે..!! તો આ વિદેશી વરસાદના નામ પર આજે માણીએ આ મઝાની ગઝલ..!!

 

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

– સુધીર પટેલ