Category Archives: અનંત વ્યાસ

પાંખો દીધી ને મેં – ભાસ્કર વોરા

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો. ભરત પટેલ

.

પાંખો દીધી ને મેં ઉડવા કર્યું
તેં આખું ગગન મારી સામે ધર્યું

આવી દિલાવરી દેવ તારી જોઇને
આંખ માંથી અચરજ નું આંસુ ખર્યું

કંઠ રે દીધો તો મેં ગાવા કર્યું
ને તેં સાત સાત સૂરો નું અમૃત ધર્યું

આવી પ્રસન્નતા દેવ તારી જોઈને
મુખમાંથી મલ્હારી મોતી સર્યું

મન રે દીધું તો તને મળવા કર્યું
તેં આંગણું અલખના નાદે ભર્યું

આવી કરુણા દેવ તારી જોઈને
મેં ધરતી મેલી ને ધ્યાન તારું ધર્યું

-ભાસ્કર વોરા

મને હું શોધું છું – દલપત પઢિયાર

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

shodh
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્

કવિ – ધ્રુવ ભટ્ટ્
સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

શબ્દોના નીડમાં ખોવાયું ગીત – જગદીશ જોશી

સ્વરકાર-ગાયક : અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

(વાદળના હૈયે જળનો ઉમંગ… Mount St. Helens, Washington.. Sept 09)
* * * * *

.

શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !

કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !

પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !

– જગદીશ જોશી

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

ઘણા વખત પહેલા ટહુકો પર મુકેલું આ ગીત – આજે અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..

(તમે જિંદગી વાંચી છે ? …. Photo from Flickr)

* * * * * * *

.

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી

કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.

તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.

અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!

અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/

(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )

* * * * * * *

સ્વર – સંગીત : અનંત વ્યાસ

.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી