Category Archives: સુમન કલ્યાણપુર

ઘનશ્યામ નયનમાં – વેણીભાઈ પુરોહિત

આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…

ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.

Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.

સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

– વેણીભાઈ પુરોહિત

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

જેસલ કરી લે વિચાર…

અમદાવાદથી કેતનભાઇએ ટહુકો માટે મોકલેલ આ ગીત… અને સાથે એમણે મહેનત કરી ટાઇપ કરેલ બાકીની બધી જ માહિતી… એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. ખૂબ ખૂબ આભાર કેતનભાઇ….!!

**************************

ઈ.સ. ૧૯૭૧માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “જેસલ-તોરલ” પ્રદર્શિત થઈ, જેમાં કલાકારો આ મુજબ હતાઃ

સાંસતિયો – અરવિંદ ત્રિવેદી
જેસલ – ઉપેન્દ્ર ત્રિવેદી
તોરલ – અનુપમા

આ ઉપરાંત તેમાં રમેશ મહેતા અને મૂળરાજ રાજડા (રામાનંદ સાગરની “રામાયણ”માં રાજા જનકની ભૂમિકા ભજવી હતી તે) જેવા કલાકારો પણ હતા. બેશક, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠતમ અને સફળતમ ફિલ્મોમાં ટોપ ૧૦માં છે. તોરલની ભૂમિકામાં અનુપમાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ત્રિવેદી બંધુઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ છે.

આ ફિલ્મમાં બધા મળીને કુલ ૮ ગીતો હતાઃ

૧) ઓરી ઓરી આવ ગોરી (સ્વરઃ આશા ભોંસલે)
૨) ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૩) જેસલ કરી લે વિચાર (સ્વરઃ સુમન કલ્યાણપુર)
૪) પાપ તારું પરકાશ જાડેજા (સ્વરઃ દિવાળીબેન ભીલ)
૫) મારા પાયલની છૂટી દોર (સ્વરઃ ક્રિષ્ના કાલે, સ્પેશિયલ અપિયરન્સઃ જયશ્રી ટી – ફક્ત આ ગીત માટે)
૬) રોઈ રોઈ કોને સંભળાવું (સ્વરઃ ઇસ્માઈલ વાલેરા)
૭) બુઝાઈ જા (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૮) થોભી જા થોભી જા, હંસારાણા (સ્વરઃ સુમન કલ્યાણપુર)

આ આઠેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાંનું “જેસલ કરી લે વિચાર” ઉત્તમોત્તમ છે. ગીત સતી તોરલ દ્વારા રચાયું છે. આખું ગીત ઘણું મોટું છે, પરંતુ ફિલ્મમાં આ ગીતની માત્ર ચાર કડીઓ જ લેવામા આવી છે, જે આ મુજબ છેઃ

સ્વર : ??

સ્વર : સુમન કલ્યાણપુર

Video – from the movei Jesal-Toral

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

જેસલ કરી લે વિચાર…(૪)

અને સૌથી શ્રેષ્ઠ પંક્તિઓઃ

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

કપરા સમયે જ માણસની સાચી ઓળખ થાય છે. ઘણના ઘા પડે ત્યારે કાચા પોચાનો કચ્ચરઘાણ વળી જાય અને અસલ હીરા અખંડ રહે. એમ ખરે ટાણે – કસોટીના કાળમાં પણ જે અડગ રહે એ જ ખરો. વાણી કેવી અદભૂત છે..!! “ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…!!!”

ફિલ્મની વાર્તા કંઇક આમ છેઃ

સાંસતિયો ભયંકર ડાકૂ છે, કે જે સતત લૂંટફાટ કરે છે, પ્રજાને રંજાડે છે, અને ભોગ-વિલાસમાં – સુરા અને સુંદરીના સંગાથમાં જીવન વ્યતિત કરે છે. નાનપણથી જ એનું સગપણ તોરલ સાથે નક્કી થયેલ છે. પુખ્ત થતાં તોરલને સસરે વળાવવાનું ટાણું થાય છે, પણ સાંસતિયો મોટો થઈને અવળે માર્ગે ચડ્યો હોવાથી તોરલના માતા-પિતા તેને સાસરે વળાવવા રાજી નથી. તોરલ જીદ કરીને સાસરે જાય છે. તોરલનાં સંપર્કમાં આવતા જ સાંસતિયો સાચું જ્ઞાન પામે છે, તેનું હ્રદય પરિવર્તન થાય છે. તેને સુરાને બદલે ભક્તિના જામની લત લાગે છે. સાંસતિયાજી અને તોરલ ભક્તિની ધૂણી ધખાવે છે, પ્રભુ-ભજનમાં દિવસો વિતાવે છે.

આ બાજુ, જેસલ જાડેજા ખૂંખાર ડાકૂ છે, કચ્છના રાજવી સામે બહારવટે ચડ્યો છે. લગ્નને માંડવે જતી જાનથી માંડીને યાત્રાએ જતા સંઘ, વનમાં વિચરતા નિર્દોષ પ્રાણીઓથી માંડીને પાદરે ચાલી જતી પાણિયારીઓ – કોઈને જેસલ છોડતો નથી. અરે, પોતાની સગ્ગી બહેન અને ભાણેજની પણ તે હત્યા કરી નાંખે છે. સમગ્ર પંથકમાં જેસલની આણ પ્રવર્તે છે. જે જેસલને ગમે એ જેસલ મેળવીને જ જંપે છે. રાજની સેના જેસલને શોધતી ફરે છે, પણા ચતુર જેસલ હાથમાં આવતો નથી.

એક વાર, જેસલની ઘોડી મરી જાય છે. આ સમયે કોઈ એની પાસે, કાઠી સાંસતિયાજીની ઘોડીના વખાણ કરે છે. આ ઘોડીનું નામ પણ ‘તોરલ’ છે. જેસલ ‘તોરલ’ ઘોડી હાથ કરવા છુપાઈને સાંસતિયાજીના ઘોડારમાં પ્રવેશે છે.અજાણ્યા માણસથી ઘોડી ભડકે છે અને હણહણાટી કરે છે. તરત જ જેસલ ઘોડીના ખીલા પાસે પડેલ ઘાસની ગંજી નીછે સંતાઈ જાય છે. હણહણાટી સાંભળીને સતી તોરલ ઘોડારમાં આવે છે અને ઘોડીને ખીલેથી છૂટી ગયેલી જુએ છે. આથી તોરલ લોખંડના ઓજારથી ખીલો ફરી જમીનમા ધરબી દે છે. અને આ વખતે જેસલની હાજરીથી અજાણ તોરલ ખીલો જેસલના હાથ સોંસરવો કાઢી નાંખે છે. જો કે જેસલ ઉંહકારોયે કરતો નથી. ઘરમાં ચાલતા ભજન પૂરાં થતાં પ્રસાદની વહેંચણી થાય છે. દરેકને પ્રસાદ મળી ગયા પછી પણ પ્રસાદનો એક પડિયો વધે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિની હાજરીનો ખ્યાલ આવે છે. છેવટે જેસલ લોહી નીંગળતા હાથે બહાર આવે છે. સાંસતિયાજી દ્વારા કારણ પૂછાતા જેસલ “તોરલ ઘોડી” અને “તોરલ નાર” – એમ બે માંગણી કરે છે, જેને સાંસતિયાજી મંજૂર રાખે છે. તોરલ હવે જેસલ સાથે ચાલી નીકળે છે અને જેસાલનાં બહારવટિયા સાથીઓ સાથે રાજના નોકરોથી સંતાવા માટે ડુંગરાઓ અને નદીની કોતરોમાં રહેવા લાગે છે.

આ દરમિયાન, એક વખત જેસલ તેના સાથીઓ સાથે મળીને એક જાનને લૂંટે છે અને દાગીના અને અન્ય મિલકતની સાથે સાથે ૩-૪ સ્ત્રીઓ ઉઠાવીને એમની સાથે લેતા આવે છે. જેસલ અને તેના સાથીઓ આ સ્ત્રીઓના બહુ કરગરવા છતાં તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કરે છે. આ વખતે ત્યાં સાથે રહેતા સતી તોરલ આ સ્ત્રીઓને કાંમાંધ ડાકૂઓના હાથમાંથી છોડાવે છે.

બસ, આ વખતે ફિલ્મમાં તોરલ “જેસલ કરી લે વિચાર” ગીત સ્વરૂપે જેસલને શિખામણ આપે છે. ગીતનું ફિલ્માંકન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનુપમાનો અભિનય દાદ માગી લે તેવો છે. એનામાં ખરેખર ‘સતી’ જેવું જ તેજ દેખાય છે. આ રહી યુ-ટ્યુબ પર મૂકેલા આ ગીતના વિડિયોની લિંકઃ

અગાઉ લખ્યું એ પ્રમાણે, ઉપરની ચાર કડીઓ જ ફિલ્મના ગીતમાં લેવાઈ છે, પણ આખું ગીત ઘણું મોટું છે. અને એ આખું વર્ઝન (એમપી૩ ફોર્મેટ) હું આ ઇ-મેઈલ સાથે અટૅચમેન્ટમાં મોકલી રહ્યો છું. પણ તેના સ્વરકાર અને સંગીતકાર વિશે મને કોઇ માહિતી નથી.

આભાર,
કેતન રૈયાણી

મણિયારો તે હાલુ હાલુ – અવિનાશ વ્યાસ

સ્વર : પ્રફુલ્લ દવે, સુમન કલ્યાણપુર
સંગીત : ગૌરાંગ વ્યાસ
256252916_00223c2d70_m

Picture by : Meghna Sejpal

હાં……..મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે….
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો…. મણિયારો.

હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.

હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો. 

( Thanks you, Pragna Aunti – for the lyrics of this song )

 

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા – જયંતી જોષી

સ્વર : સુમન કલ્યાણપુર
સંગીત : જયંતી જોષી

diya.jpg

.

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા,
તેજુના ભર્યા રે ભંડાર
ટમકંતા મલકંતા સોહે રે સોહામણા,
જાણે વરણાગી વણઝાર!

કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે,
છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે.
અજવાળી અવનીને અજવાળે અમ્બરને,
અજવાળે અન્તર પગથાર.
…કંચન કાયા ઘડેલા.

જમુનાના જળના એ ઝૂલતા ઝૂલણિયા,
તરતા તરંગે કરતા દેવના દરશનિયા.
શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા,
ઝબકંતા હીરલા શા હાર.
…કંચન કાયા ઘડેલા.

——————————–

કવિતા એ કવિના જીવનની કોઈ ઘટના, કોઈ દૃશ્ય, કોઈ ચિંતનના પરિપાકરૂપે સરજાતી લાગણી હોઈ શકે. કવિએ કયું દૃશ્ય કે ઘટના જોઈ, કે કયું ચિંતન કર્યું એની અન્દર આપણે ઝાંખી કરીએ તો આપણને કવિતાને ભેટવાનું મન થાય, નહીં તો કેમ છો, સારું છે કહી આપણે કવિતાને જાકારો દઈ બેસીએ. આપણે કવિતાને ભેટવું છે, એને પામવી છે.

જીવનની સન્ધ્યાટાણે પત્નિ સાથે તીરથે નીકળેલા કવિ, જમુના નદીકિનારે સૂર્યાસ્ત હમણાં જ થયો છે એવે સમયે એક દૃશ્ય જુએ છે. સન્ધ્યાનો સમય છે, ફેણ ચઢાવી નાગ ડરાવે એમ દૂરદૂરનાં અન્ધારાં જાણે હમણાં જ આ પૃથ્વીને અન્ધારાથી ઘેરી વળશે એવું લાગે છે. એવામાં મન્દિરમાં ઘંટનાદ સાથે સન્ધ્યા આરતી શરૂ થાય છે. ભાવુક બહેનો જમુનાનાં શાન્ત જળમાં પાંદડાના પડિયામાં દીવા મૂકી તરતા મૂકે છે. અને ચારેકોર આછું અજવાળું પ્રસરે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા કવિ પણ આ બધું જોતાં જોતાં પોતાના ભવિષ્યનું ચિંતન કરતા હોય છે ત્યાં એમની નજર એમની પત્નિ પર પડે છે. કવિપત્નિ પોતાના હાથમાં એક દીવડો લઈને આવે છે, પોતાના ભરથારને એ દીવાની આરતી આપે છે, એક મીઠું હસે છે અને દીવાને જમુનાજળમાં વહેતો મૂકે છે. ચિંતિત કવિને જાણે એ દીવા અને પત્નિના જીવનદીપમાંથી એક શક્તિનો સંચાર થયો હોય એમ ચિંતા ખંખેરી સ્ફૂર્તિથી ઊભા થઈ જાય છે…અને સ્ફૂરે છે આ કાવ્ય!! હવે વાંચીએ કાવ્યના શબ્દો..

સ્ત્રીને આપણી સંસ્કૃતિએ નારી તું નારાયણી કહી છે. સ્ત્રીમાં નારાયણી શક્તિ છે અને એટલે જ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તિ તત્ર દેવાઃ સ્ત્રી શું ભોગ માટે છે, કે પછી ઉપયુક્તતા કે companyના sales અને advertizing માટે છે? ના, સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પૂજનીય છે. એ ભોગ્ય કે ત્યાક્ત્ય નહીં , પણ પૂજ્ય છે. જેને market value છે એવી modelને bodyguardની જરૂર પડે, મન્દિરની દેવીને રક્ષણની જરૂર નથી એમ સ્ત્રીને રક્ષણની જરૂર નથી, એ મુક્ત છે. “શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા” એવી સ્વતન્ત્ર છે. સ્ત્રી એ એક “કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે” એવો દીવડો છે. સ્ત્રીની અન્દર “તેજુના ભર્યા રે ભંડાર” એવું તેજ છે, કે જેનાથી તો “છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે” એવાં સઘળાં અન્ધારાંનો નાશ થાય છે. સ્ત્રીમાં “કંચન કાયા ઘડેલા” જેવો કાંચનગુણ છે. સોનાની જેમ જ સ્ત્રી શુદ્ધ, તેજસ્વી અને અમૂલ્ય છે. આવી સ્ત્રી ફક્ત અવની નહીં પરન્તુ અમ્બર પણ અજવાળે છે, એની એક અમીદૃષ્ટિ માણસના અન્તરને અજવાળે છે. અને એટલે જ ભગવાનને પામવા માટે પુરૂષ કરતાં સ્ત્રી વધારે એનાથી નજીક છે- “તરતા તરંગે કરતાં દેવના દરશનિયા”!!

અને ધન્ય છે એ જીવ જેણે પોતાની પત્નિને આ ભાવ અને દૃષ્ટિકોણથી જોઈ છે. કવિની પણ આ જ feelings હોઈ શકે, જ્યારે જ્યારે પોતે મૂંઝવણમાં હતા ત્યારે ત્યારે જીવનભર પત્નિના પ્રેમમાંથી જેને માર્ગ મળ્યો છે, જેને ધ્યેય મળ્યું છે, જેને જીવનની એકએક વસ્તુ અને ઘટનાઓનો અર્થ મળ્યો છે એ કવિને પત્નિના જીવનદીપમાં આ કાવ્યની સ્ફૂરણા મળે છે.

દીવાળીમાં આપણે દીવા તો પ્રગટાવ્યા જ, સાથે સાથે ઘરમાં તેજથી ભરેલ, સોહામણો, ટમકંતો, મલકંતો, લાડકડો, હીરલા શા હાર જેવો જે જીવનદીપ છે, જે ઘરની લક્ષ્મી છે એનું પણ પૂજન કરીએ, એના પ્રત્યે મેં કેટલો ભાવ વધાર્યો એવો ચોપડાનો હિસાબ કરીએ એ આપણી દીવાળી!

સજન મારી પ્રિતડી

સુમન કલ્યાણપુર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોનો કંઠ મઢેલું આ ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત. ફિલ્મમાં આ ગીત બે અલગ અલગ ભાગમાં આવતું હશે, પણ અહીં એને એક સાથે જ મુકું છું. પહેલા સુમન કલ્યાણપુરના અવાજમાં, અને પછી મુકેશના. Sound Quality જોઇએ એવી સારી નથી, કારણકે ઘણા વર્ષો પહેલાના recording ને digitalise કર્યું છે. છતાંય આશા રાખું છું કે ગીત સાંભળવું તમને ગમશે.

(ગીત સાંભળીને જ શબ્દો લખ્યા છે, તો કશે ભુલ થઇ હોય તો જણાવશો.)

.

સ્વર : સુમન કલ્યાણપુર

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…

સ્વર : મુકેશ

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

—————-

ફરમાઇશ કરનાર મિત્રો : ધ્રુવિન, માનસી