Category Archives: રાવજી પટેલ

ગ્લૉબલ કવિતા : ૧૬૬ : ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા થૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

યુનિફૉર્મ પહેરેલી ઘેટીઓનો પપેટ શૉ

વાત કોઈ પણ હોય– વાઢકાપ કરી, એની અંદર ઉતરવાનો આનંદ લેવો એ આપણી સહજ પ્રકૃતિ છે. એમાંય બીજાઓને હાથવગું ન બન્યું હો એવું કંઈ હાથ લાગે તો તો આ આનંદ ચરમસીમાએ પહોંચે. વાત કળાની હોય તો આ ગુણધર્મ પ્રબળતમ સ્વરૂપ ધારણ કરે, અને કળામાંય કવિતા કેન્દ્રસ્થાને હોય તો અર્થગ્રહણ-આસ્વાદ-વિવેચનની વૃત્તિ વધુ વકરે. દુનિયાની ભાગ્યે જ કોઈ ભાષામાં કવિતા વિશે આસ્વાદ કે વિવેચનલેખો લખાયા નહીં હોય. પણ કવિતા સમજવી શું સાચે જ આવશ્યક છે? અને કવિતામાં પરંપરાનું મહત્તાગાન અગત્યનું ગણાય કે ‘રૉડ નોટ ટેકન’ લઈને ઉફરાં ચાલવાનું? આ બે બાબતો પર પ્રકાશ પાડતી રાવજી પટેલની એક રચના જોઈએ.

રાવજી પટેલ. આપણી ભાષાનો એ એવો લાડકો છે કે નર્મદની જેમ તુંકારા સિવાય બોલાવી જ ન શકાય. ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામમાં ૧૫-૧૧-૧૯૩૯ના રોજ ગરીબ પણ સંસ્કારી પાટીદાર ખેડૂત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ. માતા ચંચળબા. સાત ભાઈબહેનોના લાવલશ્કરમાં એક રાવજી. જમીન ઓછી ને પેટ ઝાઝા એટલે સતત આર્થિક અથડામણ. સીમખેતરો વચ્ચે ઉછેર. ડાકોર સંસ્થાન હાઇસ્કૂલમાં અભ્યાસ. કવિતા ત્યાંથી વળગી. મેટ્રિક ભણવા ને કમાવા અમદાવાદગમન. ટી.બી.ની બિમારી, દારુણ ગરીબી અને અસ્થાયી નોકરીના કારણે કૉલેજ અડધેથી છૂટી. નાની વયે લક્ષ્મી સાથે લગ્ન. એક દીકરી, નામે અપેક્ષા. મુકુન્દ પરીખ સાથે ‘શબ્દ’ સામયિકના થોડા અંક પ્રગટ કર્યા. શરૂમાં આણંદના દરબાર ગોપાળદાસ સેનેટોરિયમમાં ને પછીથી ભાવનગરના સોનગઢ-ઝિંથરીના અમરગઢ ક્ષય-ચિકિત્સાલયમાં સારવાર લીધી. પળેપળ મૃત્યુને ઢૂંકડું આવતું જોતા રાવજીને તબિયત કથળતાં ગામ લવાયો. ટીબીના ખપ્પરમાં એક ફેફસું સ્વાહા થયું એ ઓછું હોય એમ ડાયાબિટીસે દેહપ્રવેશ કર્યો. અવારનવાર ખોઈ બેસાતા સાનભાન વચ્ચે સાંપડતી સ્વસ્થતાની પાતળી જમીન પર શબ્દ સાથેનું સંવનન ચાલુ રહ્યું. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાની તાલાવેલીએ સર્જનની આગ ઓર પ્રજ્વલિત કરી. છેવટે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ૧૦-૦૮-૧૯૬૮ના રોજ આયખું ત્રીસીના આંકડાને સ્પર્શે એ પહેલા જ આ સારસી ગુજરાતી સાહિત્યના ખેતરને શેઢેથી ઊડી ગઈ.

મુખ્યત્વે કવિ. નવલકથાકાર તથા વાર્તાકાર પણ ખરો. પત્રાચાર પણ બહુમૂલ્ય. ગ્રામ્યઉછેર અને અપૂરતો અભ્યાસ વરદાન સાબિત થયા. કલમ અન્ય સાહિત્યકારો અને પ્રવર્તમાન સાહિત્યપ્રવાહોના સંસ્પર્શથી અબોટ રહી. નૈસર્ગિકતા જળવાઈ રહી. સરવાળે, નિજત્વથી ભર્યો ભર્યો કવિ. ગામ, સીમખેતર, વગડો, ગામજંગલની ઋતુઓના ચહેરાઓ અને એમ, લોહીમાં ઊં…ડે સુધી ઊતરી ગયેલી પ્રકૃતિની હારોહાર અમદાવાદના નગરજીવનની સંકીર્ણતાનો વિરોધાભાસ એની કલમનો જાન. કૃષિજીવન, ગ્રામ્યપરિવેશ અને શહેરની વિસંગતતા ઉપરાંત પ્રેમ, વિરહ, રતિ, વિ-રતિ અને મૃત્યુના સાક્ષાત્કારના નાનાવિધ સ્વરૂપ એની કૃતિઓમાં નવોન્મેષ પામ્યાં. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપ્યું નહીં. એની અભિવ્યક્તિ ભાવાર્થ અને રચનારીતિની દૃષ્ટિએ ખાસ્સી સંકુલ છે. ડુંગળીના પડની જેમ એના શબ્દો બહુસ્તરીય છે. રઘુવીર ચૌધરી લખે છે: ‘રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે, ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે… એણે જે વેઠેલું એ માટે તો વરદાન જોઈએ. ઝેર પીને કોઈક મીરાંબાઈ જ ગાઈ શકે.’ લાભશંકર ઠાકરે કહ્યું હતું: ‘કવિ તરીકે રાવજીનો જે વિશેષ છે તે એની શબ્દ-પટુતા. પટુતા એટલે સેન્સિટિવિટી. રાવજીનો કાન તો કવિનો ખરો, પણ રાવજીની આંખ, ચામડી, નાક અને જીભ પણ કવિનાં… એની પાંચે ઇન્દ્રિયો શબ્દને પામી શકતી.’ ૧૯૬૦ની આસપાસ શરૂ કરી, ૬૮ સુધીમાં માંડ નવેક વર્ષ જ એણે સર્જન કર્યું, પણ એટલા ગાળામાં તો દુનિયાભરના ગુજરાતીઓના હૃદયમાં એ અજરામર સ્થાન પામી ગયો. અકાળ અવસાન ભલે એક ગરવા અવાજને સમયથી પહેલાં છિનવી ગયું, પણ કોલેજ સુદ્ધાં પૂરી ન કરી શકનાર આ સર્જકની કૃતિઓ વર્ષોથી વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ અને સંશોધનના વિષયો તરીકે સ્થાન પામી રહી છે.

‘ઠાગા ઠૈયા’ એટલે કામ કરવાનો ડોળ કરી ઠાલો વખત ગાળવો તે. ઠાગા શબ્દ ઠગ પરથી ઉતરી આવ્યો જણાય છે, અને ઠૈયાં એટલે ઠેકાણું. પણ ઠાગાઠૈયા શબ્દની સાચી ઉત્પત્તિ શી હશે એની ભાળ જડતી નથી. આમ તો ઠાગાઠૈયા એક જ શબ્દ છે, પણ ઠાગા અને ઠૈયાની વચ્ચે જગ્યા છોડીને પોતે આ કવિતામાં કવિતા વિશેના પ્રણાલીગત વિચારોને તોડીફોડી નાંખનાર છે એનો અણસારો રાવજી આપતો હોય એમ પણ બને. તેંતાળીસ પંક્તિઓની આ સળંગ રચના પહેલી નજરે અછાંદસ લાગે, પણ રહો. રાવજી છંદનો પક્કો ખેલાડી હતો. અલગ-અલગ છંદોના રસાયણ બનાવવામાં પણ એ એક્કો હતો. પ્રસ્તુત રચનામાં એણે કટાવ છંદની શૈલીમાં સંખ્યામેળ મનહર છંદ પ્રયોજ્યો છે. પૂર્ણ આવર્તનો વચ્ચેની ખાલી જગ્યાઓ પઠનની લવચિકતાથી ભરાઈ જાય એવી કુશળતાથી એણે પરંપરિત મનહર વાપર્યો છે. દલપતરામની ‘ઊંટ કહે આ સભામાં’ના ઢાળમાં રચના ગાવાની મજા જ કંઈ ઓર છે. કવિતામાં એક સ્થાને રાવજીએ ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કોપી-પેસ્ટ પણ કર્યું છે.

ગલ્લાંતલ્લાં કરી, કરવાનું કામ પડતું મૂકીને, ન કરવાની વસ્તુઓ પર ભાર આપતી આ દુનિયા ભલે કવિતાના નામે ઠાગાઠૈયા કર્યે રાખે, રાવજીને કેવળ શુદ્ધ કવિતા સાથે જ નિસ્બત છે. ગળચટ્ટાં અર્થોના શરબત એણે અલબત્ત ઊંચે મેલી દીધાં છે. આમ તો અલબત-શરબત આંતર્પ્રાસ માટે પ્રયોજાયેલાં જણાય છે, પણ અલબતનો અલબત્ત અર્થ પણ કરી શકાય; અને અર્થઘટન કરવામાં સમસ્યા અનુભવાતી હોય તો અર્થઘટન કરવું પણ નહીં. કેમ કે રાવજી એ જ તો ઇચ્છે છે. પેઢી દર પેઢી આપણાં પૂર્વજોએ કવિતાની જે ઇમારત અને ઇબારત ઊભી કરી દીધી છે, જે ઘાટ-આકાર આપ્યાં છે, એની સામે રાવજીનો વિરોધ છે. સર્જનક્ષણે કવિને બ્રહ્મા સાથે સરખાવાયો છે. अपारे काव्य संसारे, कविरेव प्रजापति| પણ રાવજીને તો કવિતાના રસ્તે ચાલીને નિર્વાણ મળતું હોય તો એય નથી જોઈતું અને બ્રહ્મનું બટેરુંભર છાશ પણ નથી ખપતી. પૂર્વજોની દોમદોમ સાહ્યબી ધરાવતી પેઢીઓની ગીચતાને એ શણગારવા તૈયાર નથી. સુવર્ણાક્ષરે લખાયેલા ઇતિહાસ કરતાં વધું વહાલું છે એને એની આજનું પાનું. પૂર્વસૂરિઓ જે કરી ગયા એ એમને મુબારક. રાવજીને તો પોતાની મૌલિકતા, પોતાનો અવાજ જ વહાલો છે. કવિએ આજમાં રહેવાનું છે, ભૂતકાળમાં નહીં. ‘કવિશ્રી ચિનુ મોદી’ કવિતામાં એ કહે છે: ‘કવિઓને ભૂતકાળ કદીય ના હણી શકે,/કવિઓને ભૂતકાળ કદીય ના સુખ આપે!’

ભલે કાવ્યસંસ્કૃતિની પૂર્વખેડિત ધરા પર ખીજડાઓ ઊગ્યા કરે, ભલે સુગરીઓ એના પર માળા બાંધ્યે રાખે, ભલે સલામો ભરતી રહે, રાવજીને તમા નથી. ખીજડા સામાન્યતઃ રણ કે ઓછા કસવાળી જમીન પર ઊગતાં ઝાડ છે. રાવજી એનો ઉલ્લેખ કરીને પેઢીઓની દોમદોમ સાહ્યબીવાળી જમીનના રસકસ પર થોડી ઉતાવળ કરીએ તો ચૂકી જવાય એવો હળવો કટાક્ષ કરે છે. ‘સંબંધ (ક્ષયમાં આત્મદર્શન)’માં એ કહે છે: ‘પ્રેમ એટલે એંઠા બોર/…/આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર/વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.’ માળાય એને સુગરીના દેખાય છે, કેમકે એના જેટલું ઘાટીલું અને મહેનત માંગી લેતું ઘર ભાગ્યે જ બીજા કોઈ પક્ષીનું જોવા મળશે. કવિતાના પ્રસ્થાપિત આકારો અને એની જીહજૂરીપ્રથાની એ ખિલાફ છે. એના મતે કવિતાને વળી ઘર શાં ને ઘાટ શાં? કવિ અને કવિતાને કોઈ ઠાઠબાઠની શી જરૂર? ‘કૃષિકવિ’ રાવજીની તળપદી ભાષામાં અચાનક સેલ્યૂટ જેવો અંગ્રેજી શબ્દ આવી ગયો, એ નોંધ્યું? પરંપરા સામેનો વિરોધ કરવામાં એ કોઈ હથિયાર બાકી રાખવામાં માનતો નથી. જો કે પરંપરાગત કાવ્યપ્રણાલિ સામેના એના કટાક્ષ કે વિરોધમાં ક્યાંય આક્રોશ નથી. આગળ કોઈ ખોટું કરી ગયું કે આજે કોઈ એ ખોટા માપના પેંગડામાં પગ ઘાલ્યે રાખવા મથતું હોય એની સાથે ઝઘડો કરવામાં એને રસ નથી, એને તો પોતે કોઈના પદચિહ્નો પર ચાલવા તૈયાર નથી અને બદલામાં જે કંઈ જતું કરવું પડે એ જતું કરવાની તૈયારીનું એલાન કરવામાં જ રસ છે. પ્રસ્થાપિતોને ઉખેડી નાંખવા માટેની મથામણના સ્થાને સ્વયંની કેડી કંડારવા માટેની એની વૃત્તિ વધુ છતી થાય છે. રઘુવીર ચૌધરીએ યથાર્થ તારવ્યું છે: ‘પરંપરાના સંપૂર્ણ વિચ્છેદને બદલે રાવજી પરંપરાના નજીકના સગા તરીકે જ એની સામો થાય છે. એનો પરંપરા અને જગત સાથેનો ઝઘડો એક પ્રેમીનો છે, તર્કશાસ્ત્રીનો નથી.’

એના મતે કવિતાને રંગ-રૂપ-આકાર નહીં, માત્ર મોગરાની વાસ ખપે છે. જરા થોભો. કવિતા મોગરાનું ફૂલ નથી, સુગંધ માત્ર છે. એને આકાર નહીં, સાક્ષાત્કાર ખપે છે. મૂર્ત અર્થો અને આકારોમાં નિબદ્ધ રહે એ તો માત્ર શબ્દોની રમત. કવિતા એટલે તો અમૂર્ત અનુભૂતિ. આર્ચિબાલ્ડ મેકલિશની ‘આર્સ પોએટિકા’ના કાવ્યાંશ જોઈએ:

કવિતા શબ્દહીન હોવી ઘટે,
પક્ષીઓની ઉડાન પેઠે.
કવિતા સમયના પરિપ્રેક્ષમાં ગતિહીન હોવી ઘટે,
જેમ ચંદ્ર આકાશમાં.
કવિતાનો અર્થ જરૂરી નથી,
બસ, કવિતા હોવી જોઈએ.

કવિતામાંથી સાંપડતો યશ એને મન ફફડતા પડદા, ફફડતી ભીંત સમાન છે. પડદા કદી સ્થિર રહે નહીં. પ્રસિદ્ધિ કદી કાયમી રહે નહીં. પડદા તો ફફડે પણ ભીંત? સદા સ્થિર રહેવા સર્જાયેલી ભીંતને પણ રાવજી ફફડતી જુએ છે અને એ રીતે અવિચળ લાગતી નામનાનોય એકડો કાઢે છે. હવડ કમાડ સમી કવિતાની સાહ્યબી હંમેશ રહેતી નથી. કવિતામાં કોઈ ઘટમાળ-પરંપરા-પ્રણાલિકા હોતાં નથી. સૂર્ય પ્રકાશનું અને એ રીતે યશ-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. એનો પ્રકાશ જગ આખામાં પથરાય છે, પણ રાવજીને મન પ્રસિદ્ધિનો સૂર્ય સાહ્યબી નહીં, છાણનું અડાયું માત્ર છે. અડાયું એટલે જે છાણ તરફ કોઈએ લક્ષ સેવ્યું ન હોય અને પડ્યું-પડ્યું સૂકાઈ ગયું હોય એ. રાવજીને મન કવિતાની કિંમત છે, કીર્તિની નહીં. કીર્તિને એ નધણિયાતું છાણ લેખાવે છે. એ લખે છે: ‘હવે શાં કાવ્ય લખું?/…/આખો દેશ અડાયા પર બેઠો છે!/ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી/સપાટ નિર્જન જીભ (કવિની).’ (‘૧૯૬૪-૬૫માં’) રાવજીને મન ખરી સાહ્યબીનો સૂરજ કવિતાનો છે અને એ પાછા એક-એક કરતા હજાર છે.

રાવજીનો વિરોધ હજી શાંત થયો નથી. પરંપરાનો ઓરડો આખો અંધકારથી ભરેલો છે. રાવજી એ અંધકારને ઊંચકવા-ઉસેટવા તૈયાર નથી. કોઈના કહેવાથી એ પોતાના નિજત્વને ફેંકી દેવા તૈયાર નથી. એને મન તો ‘હાય આનાથી તો કવિતા ન લખી હોત તો સારું.’ (ચણોઠી-રક્ત અને ગોકળગાય) અત્યાર સુધી કવિતામાં બધું આપણું અને મારું જ આવ્યું છે. પહેલવહેલીવાર રાવજી બીજા પુરુષનો ઉલ્લેખ કરે છે, અને તે બહુવચનમાં – ‘તમારે કહ્યે.’ આગળ જતાં પણ એ આખી કવિતામાં બેવારના અપવાદ સિવાય બીજા પુરુષ બહુવચનમાં જ વાત કરે છે. આ તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. એને ઘણુંય મન થાય છે કે નજીક બેસાડીને ‘તારા’ ઘરને એ કવિતાની જેમ કશો અર્થ અને ‘તારી’ શૈયાને કવિતાની ગંધ આપે. આખી કવિતામાં સામા માટેના આ બે જ તુંકારા તીરની બદલાયેલી દિશા ઇંગિત કરે છે. જમાનાની સામે જાતને મૂકીને એ દુનિયાને સંબોધતો હતો, પણ હવે અચાનક એ કવિતાના ભાવકના સીમિત વર્તુળમાં, ભલે થોડી પળ પૂરતો જ, પણ આવી ચડ્યો છે. નિશાન સમષ્ટિથી હટી વયષ્ટિ તરફ વળ્યું છે. ભાવક માટેનો એનો પ્રેમ છતો થાય છે. ઘરને કવિતાની જેમ અર્થ આપવો અને શૈય્યાને કવિતાની સુગંધથી તરબતર કરવી એ અંગતતમ નૈકટ્યના દ્યોતક છે, જે રાવજી પોતાના વાચાક-ચાહક સાથે અનુભવે છે. શૈયાની ગંધથી વધુ સામીપ્ય તો શું હોઈ શકે! સુગરીના ઘરની જેમ ભાવકના ઘરને કવિતાનો અર્થ આપવાની વાત કર્યા બાદ તરત જ રાવજી મોગરાની વાસની જેમ કવિતાની ગંધની વાત આણીને અમૂર્ત અનુભૂતિની આવશ્યકતાને પુનઃ અધોરેખિત કરે છે.

બે’ક પળ ભાવક સાથે ઘરોબો દાખવી રાવજી ફરી સચેત થઈ બે ડગલાં પાછળ હટી જાય છે. ‘તું’ ‘તમે’માં પલોટાઈ જાય છે, અંત સુધી ‘તમે’ જ રહેવા માટે! એ જાણે છે કે પોતે જે ઇચ્છ્યું છે એ વ્યર્થ છે. અર્થ સાથે વ્યર્થનો આંતર્પાસ જોઈએ ત્યારે રચનામાં સતત સંભળાતું આછું સંગીત અલબત-શરબત, છાશ-વાસ, ઠાઠ-ઘાટ, કમાડ-હજાર, ઘટમાળ-બટમાળ જેવી અનિયત પણ ઉપસ્થિત પ્રાસાવલી અને બ્રહ્મનું બટેરું, હંમેશના હવડ કમાડ, મારે મન મારે મન, સાહ્યબીના સૂરજ, ઓરડામાં આ અંધકાર ઊંચકું જેવી વર્ણસગાઈઓના કારણે હતું એ સમજાય છે. કવિતામાંથી અર્થ શોધવો એ સાણસીનો અર્થ કરવા બરાબર મૂર્ખામી છે. સાણસીનો ઉપયોગ કરી લેવાનો હોય, એના અંગોપાંગનો અભ્યાસ કરવા રહીએ તો ચા ઊભરાઈ જાય. વ્યક્તિ રાવજીની અભિવ્યક્તિ કવિતાઈ રણનો પ્રલંબ પટ છે, જ્યાં એ માત્ર પ્રણયની જેમ વેરાઈ જાણે છે. કવિતાની અખિલાઈ બે જ પંક્તિમાં કેવી રજૂ કરાઈ છે! કવિતાના દરિયાની વિશાળતા અને વહાલને ભીતર ઊતરીને માણવાના હોય, એના અર્થ કાઢવા ન બેસાય. રાવજીની કવિતાઓ આટલા દાયકાઓ પછી પણ આપણને આકર્ષે છે કેમકે –

હું એ ડાળીની લાલકૂંણી કૂંપળમાંથી જ
સીધો આ ઘરમાં ઊતરી આવ્યો છું!
નહીં તો
આ રૂંવાડાંમાંથી કોયલ ક્યાંથી બોલે?
મારી આંગળીઓમાંથી
પાંદડાં જેવા શબ્દો ક્યાંથી ફૂટે? (બાર કવિતાઓ: ૩)

‘હું તો માત્ર’, ‘હું તો માત્ર’ –એમ છ-છ વાર કહીને રાવજી કવિતામાં અનુભૂતિ અને મૌલિકતાને સતત હાઇલાઇટ કરે છે. કવિતામાં છંદ-ભાષા-વ્યાકરણમાં ખોડ જોનારાઓ માત્ર કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર જુએ છે. (‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’નો ઉપાલંભ શું નથી સંભળાતો?) રાવજી માત્ર કવિ છે. કવિ અને કવિતાને સમગ્રતાના અનુલક્ષમાં મહેસૂસ કરવાનાં છે. એના ઘટક અંગોનું પૃથક્કરણ-વિચ્છેદન કરવા બેસીશું તો બંધ ઓરડામાં સબડતા મમીથી વિશેષ કશું હાથ નહીં આવે. પરાપૂર્વથી સાચવી રખાયેલું આપણું કાવ્યશાસ્ત્ર શું સડી ગયેલ મમી બની ગયું છે? પ્રાણ તો સદીઓ પહેલાં જ જતો રહ્યો છે. વેધક વાત છે. સોંસરી ઊતરી જાય એવી. એની કવિતામાં ભૂખથી રિબાતા એના વલ્લવપુરા ગામની ગરીબીની વાસ્તવિક્તા છે, સ્વપ્નોના મહાલયો નથી. વલ્લવપુરા એટલે ચરોતરનો પૂર્વોત્તર ઈલાકો. ત્યારે ત્યાં નહોતી વીજળી, નહોતી સડકો કે નહોતી પાણી માટે નહેર. રાવજીની કવિચેતના આ વરવા વાસ્તવનો પડઘો ઝીલે છે. ન ઝીલે તો શા કામની? છઠ્ઠી અને છેલ્લીવાર ‘હું તો માત્ર’ કહીને રાવજી કવિતાને ખાલીબખ નિઃસહાય ૐ સાથે સરખાવે છે. પ્રારંભમાં ‘બ્રહ્મ’ જેવા પરમ તત્ત્વને ‘બટેરું છાશ’ જેવી તુચ્છતમ ઉપમા આપીને વિદ્રોહની આલબેલ પોકાર્યા બાદ રાવજી કૂંડાળું પૂર્ણ કરે છે. પરમતત્ત્વની નિઃસહાયતાની વાત કરે છે. કવિતાના માથે આધ્યાત્મનો બોજો નાંખી દેવાયા સામેનો આ ચિત્કાર છે કે શું? ૐ સામેનો એનો વાંધો કંઈ પહેલી વારનો નથી. ‘સંબંધ’માં એને ‘વાંકુંચૂંકું ૐ બોબડું’ દેખાયું છે, જે-

સંતાતું સદીઓથી
બીકથી પ્રસવેલું વેરાન ફરે સદીઓથી
એણે પૃથ્વીને રગદોળી કષ્ટી ઈશ્વર થઈને,
એણે સરજેલી સરજતને અંત હોય છે,
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા.

કેવી વાત! ઈશ્વરનું સર્જન પણ અંત પામે, પણ કવિની વાચા તો અનંત. એથી જ ગણિતના મનોયત્નોની જેમ કવિતાના સમીકરણ માંડવા મથતા વિવેચકો સામે એને વિરોધ છે. ’૧૫-૧૧-૧૯૬૩’માં રાવજી કહે છે કે ‘ઈસ્ત્રી કરેલા શબ્દોને હું ગોઠવું છું.’ પણ એના જીવનની હકીકત આ છે: ‘શબ્દોમાં મેં જીવ પરોવ્યો/શબ્દ સાચવે અવાજ/શબ્દ તો નવરાત્રિનો ગરબો.’ એના શબ્દોમાં એનો જીવ પરોવાયો હોવાથી એની કવિતાઓ પાસેથી સ્થાપિત અર્થોની ઉઘરાણી કરવાનો અર્થ નથી. એની કવિતા સહજ ઉલટથી ઊભરી આવેલી છે, એની પાછળ કોઈ ગણિત નથી. છેલ્લે એ કહે છે કે મારી પાસે નથી એનો અર્થ કે મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. અર્થનો વિરોધી શબ્દ આમ તો અનર્થ થાય પણ રાવજી ‘ન+અર્થ=નર્થ’ શબ્દની સરજત કરે છે. સતીશ વ્યાસ લખે છે: ‘‘નર્થ’ શબ્દ અત્યાર સુધીની અર્થાવલંબિત વિવેચનાને ઉપહાસે છે. એ કેવળ ‘અર્થ’ના સાદૃશ્યે જન્મ્યો છે, નહીં કે પ્રાસાર્થે.’ કવિતા, કવિતાના અર્થને પરંપરાની જડસીમાઓથી મુક્ત કરવા માટેનો આ પુરુષાર્થ છે. એ કહે છે: ‘કવિતાને કાયદાથી વાળો: દ્રોહ પહેલાં ટાળો.’

ટૂંકમાં કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા. અને જરા જુઓ તો, આ કેવી વિડંબના કે અર્થને અવગણી અનુભૂતિને આત્મસાત કરવાનું કહેતી કવિતાને હાથમાં લઈને આપણે એના અર્થ કાઢવા બેઠાં છીએ! પણ હકીકતે તો કવિતાનું અર્થઘટન કરવાની આ કસરત કવિતાના મોગરાની વાસ સહેજે ચૂકી ન જવાય એ માટે જ છે ને! અંતે પરંપરાની ઠેકડી ઊડાડતી દીર્ઘ રચના ‘એન.સી.સી. પરેડ’ના કાવ્યાંશ:

તોપ જેવી ફૂટી જશે કવિતા
તૂટી જાવ બાયલાઓ
ઇતિહાસ એંઠો થતો બંધ કરો બાયલાઓ.

નથી થવું ભા. ઓ વર્ષો જૂની પાળેલી પયગંબરની
ઘેટીઓનું બંધ કરો યુનિફૉર્મ જણવાનું-

બહુ ચાલ્યો પપેટ શો!

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
https://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

.

સ્વર : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 6: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ

આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?

‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –

” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”

અને આવા કરુણાસભર શબ્દોને  ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

આપણને જોઈ – રાવજી પટેલ

(ડાળીએ પહેર્યા… Lombard-Crooked Street, San Francisco)

* * * * *

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ


પ્રીતિ હોય અને સાથે સાથે એ પ્રીતિની પ્રતીતિ પણ હોય તો બે વ્યક્તિના જીવનમાં કેવો મોટો હિલ્લોળ આવે! આ કાવ્યમાં એવા આનંદનો કોઇ કેફ, કોઇ ઉન્મત્ત લલકાર અહીં જોઇ શકાય છે. બે વ્યક્તિ વચ્ચે આંતરમનનો મેળ જામ્યો હોય એવા બે હળેલામળેલા જીવનો આ આનંદ-ઉદગાર છે. આખા કાવ્યમાં ‘આપણને જોઇ’ અને ‘પેલા’ શબ્દોનું પુનરાવર્તન સતત જોવા મળે છે. ‘આપણને’ કેન્દ્રમાં રાખીને કેમેરાની આંખો ફરતી રહે છે અને બહારનું કંઇ કંઇ ચીધીંને ભીતરની ભાવદશાની જ છબી ઊપસી આવે છે. આ સર્વમાં આપણું જ પર્વ ઇંગિત છે.
– જગદીશ જોષી