Category Archives: કાવ્યપ્રકાર

ગ્લૉબલ કવિતા : સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany


સાંત્વના

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)
બુદ્ધત્વ પામવા માટેની કૂંજી…

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. પણ ગર્ભનાળ કાપીને તબીબ માતા અને બાળકને શરીરથી તો અલગ કરી નાંખી શકે છે, પણ માતા અને બાળકને આજીવન જે અદૃશ્ય ગર્ભનાળ એકમેક સાથે જોડી રાખે છે એને કોઈ તબીબ કાપીને બે જણને અલગ કરી શકતો નથી. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોમાં ફસાઈ ગયેલા મનુષ્ય માટે ઘરની બારી અથવા ગેલેરી જ એવી અસ્ક્યામત છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે એની ગર્ભનાળનું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરની બારી જ હવા-ઉજાસ અને પડદા ખોલબંધથી આગળ વધીને પ્રકૃતિ તરફ મીટ માંડવાના કામમાં આવે છે. મા-બાળક વચ્ચેની અદૃશ્ય ગર્ભનાળ જેવી આ બારી સંવેદનશીલ મનુષ્યને કુદરત સાથે જોડેલો રાખે છે. બાકી આજના મોટાભાગના માણસો માટે તો-

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

આજે જે રચનાની માંડણી કરવી છે, એમાં પણ માનવી અને પ્રકૃતિ બેને અદૃશ્ય ગર્ભનાળથી જોડી રાખતી બારી જ કેન્દ્રસ્થાને છે. ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાનાં તો સતત ફરતાં રહે છે, પણ બારી ત્યાંની ત્યાં સ્થિર રહે છે. મકાનની બારીમાંથી બહાર રેલાતી નજર શું કહી રહી છે એ સાંભળવા જેવું છે, કારણ કે બારી જ ઘરબહારના ઝાડ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. અને કથકના વિચાર પણ કેવળ બારી બહારના દૃશ્યો પૂરતા સીમિત ન રહેતા સ્વથી સર્વ અને સર્વથી સ્વ સુધી વિસ્તરે છે.

ક્લેરિસા સ્કૉટ ડેલેની. ૧૯૦૧માં અમેરિકાના અલાબામા રાજ્યમાં જન્મ. આફ્રિકન-અમેરિકન કવયિત્રી, નિબંધકાર, શિક્ષક, અને હાર્લેમ રિનેસન્સ સાથે સંકળાયેલ સામાજીક કાર્યકર્તા. ઉત્સાહી રમતવીર પણ હતાં. તેઓ વેલેસ્લેમાં હોકીની રમત માટે યુનિવર્સિટીનો પત્ર મેળવનાર પ્રથમ અશ્વેત છાત્ર હતાં. કિડનીમાં ચેપ લાગવાના કારણે કેવળ છવ્વીસ વર્ષની વયે નિધન. નિબંધો અને નાટકોપરાંત એમની પાસેથી આપણને કેવળ ચાર જ કવિતાઓ મળી છે, જેમાંની એક તે આ. આ એક કવિતાની પંક્તિસંખ્યા એની બાકીની ત્રણેય કવિતાઓની પંક્તિઓના સરવાળા કરતાં વધારે છે. કુલ પંચ્યાસી જ પંક્તિઓની બનેલ ચાર જ કવિતાઓ લખી હોવા છતાં મૃત્યુના લગભગ સો વરસ પછી પણ એનું નામ ભૂલી જવાયું નથી. આ જ છે શબ્દની સાચી તાકાત. આ જ છે સર્જકની ખરી ઉપલબ્ધિ. આ જ છે મોટામાં મોટો પુરસ્કાર.

‘સાંત્વના’ કવિતા સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કાવ્ય –અછાંદસ રચના છે. પંક્તિઓની અનિયમિતતા કવિતાના ચિંતનશીલ અને સેંન્દ્રિય અનુભૂતિમાં યોગદાન આપતી અનુભવાય છે. અછાંદસ કાવ્યવિધા ઋતુઓની અપ્રત્યાશિત પ્રકૃતિ તથા કથકની લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં સહાયક તો બને જ છે, તદોપરાંત કઠોર કાવ્યમાળખાંના અભાવને લઈને રચનાને પ્રાકૃતિક પ્રવાહની અનુમતિ પણ મળતી પ્રતીત થાય છે.‘સાંત્વના’ શીર્ષક પરથી કવિતા વિશે અનુમાન થઈ શકતું નથી. એટલે શીર્ષકની વાત આપણે અંતે કરીશું.

કાવ્યારંભ ‘મારી બારી’થી થાય છે. આ શરૂઆત સાહજિક છે, કારણ કે માનવસ્વભાવના વર્તુળનું કેંદ્રબિંદુ જ ‘સ્વ’ છે. પણ છેતાળીસ પંક્તિની આ કવિતામાં ‘મારી’ શબ્દ બીજીવાર છેક તેંત્રીસમી પંક્તિના આરંભે આવે છે. આખી કવિતામાં બે જ વાર ‘My’ અને ‘I’ તથા એક જ વાર ‘Me’ પ્રયોજાયા છે. સરવાળે એ વાત ઊડીને આંખે વગે છે કે જે વાતની શરૂઆત જ ‘સ્વકીયતા’થી થઈ હતી, એમાં પછી ‘સ્વ’ ઓછો અને ‘સર્વ’ જ વધુ નજરે ચડે છે. ‘મારી’ બારીમાંનો ‘હુંકાર’ કેવળ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવા-વર્ણવવાની એક કૂંચી માત્ર હતી. કદાચ આ રચના આપણને આ કારણોસર પણ વધુ સ્પર્શી જાય છે. કથકના ઘરની બારી બહાર ઝાડીઓ તરફ ખુલે છે, જેમાંથી થોડી ડાળીઓ અને થોડું આકાશ નજરે પડતાં રહે છે. બારી સ્થિર છે પણ બહારની દુનિયા સતત બદલાતી રહે છે.આ બારી કથકની આંખ બની ગઈ છે. ‘નાની મારી આંખ, એ જોતી કાંક કાંક’ની જેમ બારીમાંથી દેખાતી આ નાનકડી દુનિયામાં એક પછી એક ઋતુઓ પસાર થતી દેખાય છે. કોમળ હરિયાળી ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે માર્ગ પ્રશસ્ત કરતી પણ નજરે ચડે છે.

બારી બહાર હવે ઋતુ બદલાઈ છે. પાનખર આવી ચૂકી છે. શરદ ઋતુના સૌમ્ય તડકામાં તરબોળ થતી નાજુક, સોનેરી પાંદડીઓ ક્યાંય સુધી ખરવું જ નથીના નિર્ધાર સાથે ટકી રહેતી નજરે ચડે છે. પાછળ વાદળ વિનાના ભૂરા સાફ આકાશને લઈને અસ્તિત્ત્વ માટેનો આ જંગ વધુ રમણીય લાગે છે, પણ પછી સાંજ સુધીમાં તો એ પાંદડાઓએ ડાળત્યાગ કરવો જ પડે છે. પાનખરમાં પાંદડાઓનું આ ખરું-ખરું થઈને અટકી-લટકી રહેવા અને પછી ખરી જવાની ઘટનામાં નાયિકાને એમની અનિચ્છા નજરે ચડે છે, જેમાં આપણને સર્જકહૃદયની ઋજુતા નજરે ચડે છે. ‘પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે’ (મુકેશ જોષી)

પાંદડાં ખરીનેય શેરીને સોનાથી મઢી દેવી ન હોય એમ જાજમ થઈને પથરાઈ જાય છે. અમેરિકાની પાનખર આપણે ત્યાં કરતાં ખૂબ અલગ હોય છે. ત્યાં પાનખરમાં પાંદડાંનો લીલો રંગ ખરતાં પહેલાં અલગ-અલગ રંગોમાં પરિણમે છે, પરિણામે ત્યાંના વૃક્ષોનું આખેઆખું કલેવર જ બદલાઈ જાય છે. અલગ-અલગ રંગોમાં ઢળી ગયેલ ઝાડવાંઓની ભાતીગળ સૃષ્ટિ નિહાળવા લોકો ખાસ આ સમયે ઉત્તરથી દક્ષિણ તરફની રોડ-ટ્રિપ કરતાં હોય છે. નાયિકાની બારીબહારનું ઝાડ સોનેરી થઈ ગયું છે, એટલે ખાલી થતી વેળાએ ‘ફાંટું ભરીને સોનું’ ઠાલવીને આખી શેરીને સોનાની બનાવી દે છે. ખાલી થતાં થતાંય અન્યને સભર કઈ રીતે કરી શકાય એ પ્રકૃતિ પાસેથી આપણે શીખવાનું છે.

પર્ણરહિત નગ્ન, ભૂખરી ડાળીઓ ડિસેમ્બરના ઠંડા આકાશ સામે ઝૂકી નથી જતી, પણ પાંદડા ખેરવી દીધા બાદ ભાર ઓછો ન થઈ ગયો હોય એમ ઊંચી ઊઠે છે. ક્યારેક આ ડાળીઓ ગુલાબ અને ધૂસર સમીસાંજ વચ્ચે જાળું ગૂંથતી હોય એવી દીસે છે. તો ક્યારેક વળી ભારઝલ્લી ઠંડી રાત ઊતરી આવે અને તારાઓ આકાશને ભૂરકી છાંટી દીધી હોય એમ આખું ભરી દે એ પહેલાંના ગાઢા ભૂરા આકાશમાં દૃશ્યમાન થતા અમાસ પછીના નવા શીર્ણ ચંદ્ર તથા શુક્રના તેજસ્વી તારા સન્મુખ સ્વયંને ઊંચે ઊઠાવતી હોવાનું મહેસૂસ થાય છે. બહુ ઓછી જગ્યામાં શિયાળાના ભૂરા આકાશના ઉપરાછાપરી એકસમાન ભાસતા ઉલ્લેખમાં કવયિત્રીની વયસહજ અપરિપક્વતા પણ છતી થતી અનુભવાય છે. કવિતા લખવાનો એમનો કુલ અનુભવ સો પંક્તિ જેટલો પણ નહોતો થઈ શક્યો એ અત્રે યાદ રહે.

શિયાળાના લાંબા વર્ણન પછી વસંત અને ઉનાળાની વાત બહુ ઓછી પંક્તિઓમાં આટોપી લઈ સર્જક બારી બહાર ફરતા રહેતા ઋતુચક્રને સંપૂર્ણ બનાવે છે. હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે, વસંત ઋતુનો ઠંડો પણ હળવો વરસાદ (યાદ રહે, આ અમેરિકાની વસંત છે!) એમને મૃદુતાથી સ્પર્શે છે પરંતુ ઉનાળાની તોફાની વાઝડીઓ તો આ ઝાડવાંઓને તોડી ન નાંખવાં હોય એમ ત્રાટકે છે. ઉનાળાના ઉશ્કેરણીભર્યા હુમલાથી ન તો આ ઝાડવાં પ્રકોપિત થાય છે, ન તો એ નમતું જોખીને તૂટી જાય છે, તેઓ તો બસ અડીખમ ટકી રહે છે, ઊભાં રહે છે. અગાઉ જે રીતે પાંદડાઓની ‘અનિચ્છા’ કવયિત્રીએ અનુભવી-અભિવ્યક્ત કરી હતી, એ જ રીતે અહીં ઝાડવાંઓને ક્રોધિત કરવા માંગતા ઉનાળાનું આલેખન કરીને ઝાડવાંઓના સ્વભાવની શક્યતાનું પણ સજીવીકરણ કર્યું છે. ઝાડ ગુસ્સો કરતાં નથી એ અલગ વાત છે, પણ આ બંને જગ્યાએ પ્રકૃતિ સાથે સર્જકની જે સમસંવેદનશીલતા પ્રગટ થાય છે એની નોંધ લેવી આવશ્યક બને છે.

સર્જકે બે ભાગ અલગ તારવ્યા ન હોવા છતાં અહીં આગળથી કવિતાનો બીજો ભાગ શરૂ થતો દેખાય છે. અહીં સુધીના નિતાંત ઋતુચક્રનિરૂપણ બાદ ફરી ‘મારી’ શબ્દ અતળનું ઊંડાણ ફેડીને પ્રગટ થાય છે. બારી બહાર મોસમના એકધારા બદલાવોને લઈને વૃક્ષોની અવસ્થામાં પણ જે બદલાવો આવ્યે રાખે છે એને જોયા કરતાં સર્જક કેવળ મૂક સાક્ષી નથી, એ સ્વયં પણ જાણે વૃક્ષ જ છે. પેલાં ઝાડવાંઓ બારીની એ તરફ, અને આ ઝાડવું બારીની આ તરફ. નાયિકાને સ્વયંની જિંદગી વિહ્વળ અનુભવાય છે. ક્યારેક એ બેચેની અનુભવે છે તો ક્યારેક ક્યારેક એક પીડા એના પર સવાર થઈ જાય છે. એક અસ્પષ્ટ પરંતુ ચોંકાવી દે એવો અસંતોષ પોતાના પર હાવી થઈ જતો હોવાનું તેણી અનુભવે છે. ઋતુઓની બારી બહારની કુદરત પરની અસર વિગતવાર આલેખ્યા બાદ પોતાની નિરાશ માનસિકતા વિશે પણ તેઓ ટૂંકાણમાં જ વાત કરે છે, અને કવિતાનો ત્રીજો અને અંતિમ ભાગ આરંભાય છે.

એક તરફ બારી બહાર બદલાતી ઋતુઓના મારને રોષિત થયા વિના ઝીલતાં અને ટકી રહેતાં વૃક્ષો છે, અને બીજી તરફ વ્યાકુળ દુઃખી જીવન. કિડનીની બિમારી અને ચેપના પરિણામે સર્જકે જે વેઠવું પડ્યું હશે એ કદાચ નાયિકાની મનોદશામાં પ્રતિબિંબિત થયું હોઈ શકે. પણ પોતાના હિસ્સાના આકાશ અને વૃક્ષો તથા બારીમાંથી સતત નજરે ચડતા રહેતા મોસમોના અવનવા તમાશાઓ બદલ એ પોતાની જાતને આભારી માને છે. આ સુંદરતા હૃદયની વિહ્વળતા, પીડા અને અસ્પષ્ટ અસંતોષને મિટાવી દે છે અને એક શાતા અનુભવાય છે. બારીબહારની કુદરત સતત પરિવર્તનશીલ તો છે જ, પણ આ પરિવર્તનમાં પણ એક શાશ્વત સ્થાયીપણું નિહિત છે જ. હેરક્લાઇટસ યાદ આવે: ‘જીવનમાં એકમાત્ર સ્થિરાંક પરિવર્તન છે.’ નદીમાં એકના એક પાણીમાં બીજીવાર પગ બોળી શકાતો નથી એ જેટલું સાચું એટલું જ સાચું નદી એની એ જ રહે છે એય છે. સંસારના તમામ પરિવર્તનોમાં એક સ્થિરતા અનુભવાય છે. આ તમામ બદલાવ અને કાયમીપણું એના નિમિત્તે થયે રાખતી ઉથલપાથલોમાંથી એક અર્થ ગ્રહણ કરે છે. અર્થાત્ કશું જ નિર્હેતુક કે અનર્થક નથી. આ હેતુ, આ અર્થ ઇન્દ્રિયગોચર હોય કે ઇન્દ્રિયેતર, એને સમજતાં શીખી જઈએ તો જીવનમાં કોઈ બેચેની કે કોઈ અસ્પષ્ટતા નહીં બચે. બચશે કેવળ અપૂર્વ અભેદ્ય શાંતતા, જ્યાં કોઈ પીડાને કોઈ સ્થાન નથી. ટૂંકમાં, પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું એ જ જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. અહીં આવ્યા પછી કવિતાના શીર્ષક ‘સાંત્વના’ તરફ પુનર્દૃષ્ટિ કરીએ. છે કશું કહેવાની આવશ્યકતા હવે? નહીં ને!

આ સાથે જ તુષાર શુક્લની એક અછાંદસ કવિતા ‘હીંચકો, કૉફી અને હું’ પણ માણવા જેવી છે. અહીં બારીનું સ્થાન બાલ્કનીમાંના હીંચકાએ લીધું છે. જુઓ-

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

ગ્લૉબલ કવિતા : મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત)

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

મૃત્યુ આજે મારી સન્મુખ છે

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


…કારણ કે અનુભૂતિ સ્થળ અને સમયથી પર હોય છે…

મૃત્યુ સજીવમાત્રના જીવનની આખરી પણ એકમેવ મંઝિલ છે. દરેકેદરેક શ્વાસ આપણને સુનિશ્ચિત ગતિએ મૃત્યુની નજીક લઈ જતો હોવા છતાં આપણે સહુ એ રીતે જીવીએ છીએ જાણે આપણે કદી મરવાના જ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંનો એક કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું તે આ જ. મોટાભાગના માણસોને મૃત્યુ ગલીના વળાંક ઉપર અણધાર્યું મળી જતું હોય છે, પણ મૃત્યુનો ‘નક્કર’ પૂર્વાભાસ થાય એવાય કેટલાક માણસ હોય છે, અને ગણ્યાગાંઠ્યા લોકો એવાય હોય છે જેઓ જાગૃતાવસ્થામાં મૃત્યુનો સાક્ષાત્કાર કરીને આંખ મીંચે છે. ટીબીની તૂટૂં-તૂટું થતી કરાડ પરથી મૃત્યુની ખીણમાં લટકી રહેલ રાવજી પટેલને પણ મૃત્યુનો પૂર્વાભાસ થયો હશે ત્યારે જ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી કાળજયી કૃતિનો જન્મ થયો હશે ને! આજે જે વિશિષ્ટ કવિતા આપણે માણવી છે, એ પણ આવા જ કોઈ પૂર્વાભાસ કે સાક્ષાત્કારની ફળશ્રુતિ જણાય છે.

રચના વિશિષ્ટ એટલા માટે છે કે આજથી ચારેક હજાર વર્ષ પહેલાં એ લખવામાં આવી છે. મધ્યકાલીન ઇજિપ્તના સમયના પેપાયરસ પર લખાયેલી જે કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ શકી છે, એમાંની એક તે ‘ડાયલોગ ઑફ અ મિઝાન્થ્રોપ વિથ હિઝ સૉલ’, જે હવે ‘ડિસ્પ્યુટ બિટ્વિન અ મેન એન્ડ હિઝ બા’ નામે ઓળખાય છે. આ પેપાયરસ મનની અવસ્થા વિશે વાત કરતા પુરાણતમ દસ્તાવેજોમાંનો એક છે. પ્રસ્તુત કાવ્ય આ કૃતિનો એક ભાગ છે.

ઇજિપ્ત. આ નામ કાને પડતાવેંત પિરામિડ આપણને દૃષ્ટિગોચર થવા માંડે છે. ઇજિપ્ત ગયા હોઈએ કે ન ગયા હોઈએ, પિરામિડની તસવીરો ન જોઈ હોય કે પિરામિડો વિશે સાંભળ્યું ન હોય એવા શિક્ષિત માણસ મળવા મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે પિરામિડો એ જે તે સમયના રાજાઓ અને સામંતોની કબર છે. હજારો વર્ષ પછી આજે પણ આ તોતિંગ કબરો તે સમયના લોકોની જીવન-મૃત્યુ વિશેની માન્યતાના પ્રતીક તરીકે આપણી વચ્ચે જીવી રહી છે. એ સમયના મિસ્રવાસીઓ માનતા હતા કે મૃત્યુ બાદ એમનું આધ્યાત્મિક શરીર (આત્મા) મરણોત્તર જીવન (આફ્ટર-લાઇફ)માં જીવતું રહે છે. જીવનકાળ દરમિયાન જેણે ‘યોગ્ય’ તૈયારીઓ કરી હોય, એવી વ્યક્તિને જ મૃત્યુપર્યંતના આ જીવનમાં પ્રવેશ મળવાની સંભાવના રહેતી. આ તૈયારીઓમાં યોગ્ય અંતિમક્રિયા માટે જરૂરી સાધનસામગ્રીની ખરીદી, શબ્તી (મરણોત્તર જીવનમાં કામ આવનાર સેવકો), તાવીજ વિ. તથા શબપેટી અને કબર વગેરેનો સમાવેશ થતો હતો. પિરામિડ પણ આવી જ પણ ગંજાવર કબરો જ છે, જેમાં જીવન પછીના જીવનમાં કામ આવે એવી તમામ વ્યવસ્થાઓ સાથે મૃતદેહોને સજાવી-ધજાવીને સાચવી રખાયા છે, જેથી પ્રેતલોકમાં રહ્યા બાદ શાશ્વત પુનર્જીવન પ્રાપ્ત થાય ત્યારે આત્માને કોઈ તકલીફ ન પડે. ઇજિપ્તનો સમાજ જીવનનો મોટો ભાગ મૃત્યુ પછીના જીવનની તૈયારીમાં જ વિતાવતો. પિરામિડ એની બોલતી સાબિતી છે.

जातस्य ही ध्रुवो मृत्युः એ સાચું પણ મૃત્યુનો ચહેરો કોઈએ જોયો નથી. મૃત્યુને મળીને કોઈ પરત ફરે તો મૃત્યુનો ચહેરો આપણને જોવા મળે, પણ ત્યાં સુધી તો આપણે મૃત્યુ વિશે કેવળ અટકળ જ કરી શકીએ. મોત સંસારનું એકમાત્ર અફર સત્ય હોવા છતાં મૃત્યુ ઘરના દરવાજે આવીને સાંકળ ખખડાવે ત્યારે ઊભા થઈને ચાલ, જઈએ એવું કહેવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હોય છે. શ્વાસની છેલ્લી કગાર પર લટકતા હોઈએ એ ક્ષણે પણ જિજિવિષા ભાગ્યે જ મરણ પામી હોય છે. એટલે જ લાંબું જીવવા માટે માણસ જીવનભરની જમાપૂંજી પણ દાવ પર લગાવી દેતા ખચકાતો નથી. જે હોય એ, પણ અકળ-અગમ્ય હોવાથી મૃત્યુ આપણને સૌથી વિશેષ આકર્ષે છે. હકીકતે એ કેવું હોય છે એ તો કોઈ જાણતું નથી, પણ એના વિશે ધારણા બાંધવામાં આપણે કોઈ કમી પણ રાખતા નથી. પ્રસ્તુત રચનામાં પણ જે-તે કવિએ મૃત્યુનો ચહેરો આકારવાની કોશિશ કરી છે. પણ આ કોશિશની સમાંતરે જ ચાર હજાર વર્ષ પહેલાંની સમાજવ્યવસ્થાની રૂપરેખા પણ કવિ આકારી બેઠા છે એ આપણે જોઈશું.

મૂળ કવિતા ઇજિપ્શન (મિસ્ર) ભાષામાં છે અને મૂળ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદો મળી આવે છે. પ્રારંભિક પંક્તિઓ તો મોટાભાગના અનુવાદોમાં એકસમાન નજરે ચડે છે, પણ અંતિમ પંક્તિઓની સંખ્યા અને અનુવાદિત વાક્યોમાં પણ તફાવત જોવા મળે છે. અમુક અનુવાદકોએ મૂળ ઇજિપ્શન ભાષા પણ રોમન લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરી છે, પણ એમાંય ફરક નજરે ચડે છે અને એકસમાન ભાસતી મિસ્ર લિપિનો અંગ્રેજી અનુવાદ આ સર્જકોએ અલગ કર્યો હોવાનું પ્રતીત થાય છે. સરવાળે, જો કે બહુ મોટો તફાવત નથી અને આપણે નજીવા વિગતદોષ કે દૃષ્ટિફેરનું પિષ્ટપેષણ કરવામાં સમય અને ઊર્જા વેડફીએ એના કરતાં ચાર સહસ્ત્રાબ્દીઓ પહેલાં કોઈકને થયેલ કાવ્યાનુભૂતિનો આનંદ ન ઊઠાવીએ? પૌરાણિક મિસ્ર સાહિત્યના જાણીતા અનુવાદક મિરિઅમ લિચથાઇમનો અંગ્રેજી અનુવાદ આધારભૂત ગણીને આગળ વધીએ. ‘એન્શન્ટ ઇજિપ્શન લિટચરેચર’ના ત્રણ ભાગોમાંના પ્રથમ ભાગ ‘ધ ઓલ્ડ એન્ડ મિડલ કિંગ્ડમ્સ’માંથી આ અનુવાદ સાંપડ્યો છે. ‘વર્લ્ડ પોએટ્રી’ નામના તેરસોથી વધુ પાનાંના દળદાર થોથામાં આ જ કવિતાનો ડબલ્યુ. એસ. મર્વિને કરેલ અનુવાદ પણ નોંધપાત્ર છે. મૂળ ભાષાની જાણકારીના અભાવે કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે વાત કરવી શક્ય નથી એટલે આપણે શુદ્ધ કાવ્યાનંદ તરફ જ આપણી વાતચીતનું સુકાન ફેરવીએ.

ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે. વળી, વિચારવું એટલું જ મનુષ્ય માટે કદી પર્યાપ્ત નહોતું. પોતાના વિચારોને પોતાની આગવી શૈલીમાં રજૂ કઈ રીતે કરી શકાય એ મથામણ પણ અનાદિકાળથી માનવમનમાં થતી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખંડની શરૂઆત ‘મૃત્યુ આજે મારી સન્મુખ છે’ એ પંક્તિથી જ થાય છે. પુનરાવર્તિત થયે રાખતી આ પંક્તિ ગીતના ધ્રુવપદની પણ યાદ અપાવે છે. સર્જકને કોઈ વાત ભાર મૂકીને કહેવી હોય ત્યારે એ પુનર્કથન કે પુનરોક્તિનો આવો કીમિયો પ્રયોજે એ કાવ્યવિધા આજે આપણને સહેજ પણ નવાઈ ન પમાડે, પણ આજથી ચાર સહસ્ત્રાબ્દીઓ પૂર્વે પણ મનુષ્યમન આવી કાવ્યતરતીબ વિશે વિચારતું હોય એ જાણીને તો અવશ્ય જ સાનંદાશ્ચર્ય અનુભવાય.

કવિ મૃત્યુને પોતાની સન્મુખ ઊભેલું જુએ છે, ત્યાંથી આ વાત શરૂ થાય છે. રચનાના છએ છ ખંડમાં વાત ફરી-ફરીને અહીંથી જ આરંભાય છે. મૃત્યુને માથે ઊભેલું જોઈને કવિને અલગ-અલગ પરિસ્થિતિઓ યાદ આવે છે. મૃત્યુ કવિને બીમાર માણસના સાજા થવા સમું લાગે છે. જિંદગી જાણે કે એક લાંબી બિમારી હતી અને મૃત્યુ જાણે કે એ બિમારીનો અંત છે. મૃત્યુ જાણે કે સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિનું બીજું નામ છે. માંદગીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરવાને મૃત્યુ સાથે સરખાવ્યા બાદ કવિ એક ડગલું આગળ વધીને કહે છે કે લાંબો સમય બિમારીને લઈને પથારીવશ રહ્યા બાદ ઘરબહાર પ્રકૃતિને ખોળે જવા મળે એ પણ મરણ સરીખું જ છે. લાંબો સમય ખાટલામાં પડી રહેનાર માણસ ચાર દીવાલોને જોઈ જોઈને કેવો કંટાળી જાય! પુનઃ નિરામયતા પ્રાપ્ત થતાં જ એ બહાર ખુલ્લામાં જવા નીકળી પડે છે. હવાફેરનો સાચો આનંદ તો આવી કેદ પછી જ સમજાય. જિંદગી કેવળ બિમારી નથી, પણ થકવી નાંખે એવી, એક જગ્યાએ બાંધી રાખે એવી બિમારી છે અને મરણ આ માંદગીમાંથી સાજા થઈ ખુલ્લી હવામાં શ્વાસ ભરવાનું બીજું નામ છે.

આવી જ એક પ્રાચીનતમ ઇજિપ્શન કવિતામાં ’જાત’ મૃત્યુને સ્વયં, શરીર અને મૃત્યુના સમુદાયની નિરંતરતાના અંત સ્વરૂપે જુએ છે. શરીર તૈયારી માટે સમય માંગે છે, પણ આત્મા પ્રેતલોક, મરણોત્તર જીવન અને શાશ્વતીને આભાસી અને નિરર્થક ગણે છે. સૌથી પુરાતન મહાકાવ્ય ‘ગિલ્ગામેશ’માં સિદુરી ગિલ્ગામેશને કહે છે કે, “ખુશમિજાજ દિવસોને અનુસરો. દુઃખને વિસારે પાડી દો. મૃત્યુ અંત છે, ત્યાંથી કોઈ વાપસી સંભવ નથી. કબરો ખંડેર બની જાય છે અને એના માલિકો હોય કે રસ્તામાં પડેલા ભિખારીઓ, બધાને ભૂલી જવામાં આવે છે. મરણોત્તર જીવનનું સ્વપ્ન વિશુદ્ધ ભ્રમણા છે.’

કવિ કહે છે કે, મૃત્યુ હીરાબોળની સુગંધ જેવું છે. હવાદાર દિવસે ચંદરવા નીચે આરામથી બેસવાનું સુખ એટલે મૃત્યુ. કમળના પુષ્પોની ખુશબૂ એટલે મૃત્યુ. નશાના કિનારે બેસવું એટલે મૃત્યુ. નશાના સમુદ્રમાં ગરકાવ થવું એમ કવિ નથી કહેતા. નશો તો ખરો પણ એના કિનારે રહેવાનું છે. કિનારે પગ ભીના કરી શકાય, ડૂબી ન શકાય. જીવનમાં ‘ધ રોડ લેસ ટેકન’ સાચો તફાવત સર્જવામાં કારણભૂત અવશ્ય બને, પણ મૃત્યુ તો એક બહુખેડી કેડી છે. કરોડો-અબજો માણસો આ રસ્તેથી પસાર થઈ ચૂક્યા હોવાથી આ રસ્તો ભૂલથીય ચૂકી જવાની સંભાવના રહેતી નથી. જીવન એક યુદ્ધ છે જાણે, અને આ યુદ્ધમાંથી માણસનું ઘર પરત ફરવું એ મૃત્યુ. ચાર હજાર વર્ષ પહેલાંની આ રચનામાં જે તે સમયની સમાજવ્યવસ્થામાં યુદ્ધની ઉપસ્થિતિ છતી થાય છે. રાજાઓ હતા, મતલબ રાજ્યો હતા અને રાજ્યો હતા, મતલબ યુદ્ધો પણ હતા. જીવન એટલે જાણે કે ગોરંભાયેલું આકાશ અને મૃત્યુ એટલે બધા જ વાદળ દૂર થઈ ગયા બાદનું નિરભ્ર સ્વચ્છ સાફ આકાશ. જે કંઈ ગૂંચવાડા છે, એ જીવનમાં જ છે. મૃત્યુમાં જે છે એ બધું સાફ છે. મૃત્યુના આકાશમાં વાડલના ડાઘાડૂઘીને કોઈ અવકાશ નથી. મરણોન્મુખ માણસ જ સમજી શકે કે આજીવન એ શું અવગણતો રહ્યો હતો. કારણ જીવ એકધારા સંતાપનું બીજું નામ છે, જ્યારે મરણની ગોદમાં માના ખોળા જેવી શાતા છે. વરસોથી કેદમાં સબડ્યા કરતો માણસ ઘર જોવાને તરસતો હોય એ તલસાટ એટલે મૃત્યુ. જીવન એટલે વરસોવરસની કેદ અને મૃત્યુ એટલે માણસનું પોતાનું ઘર. યુદ્ધની જેમ જ કેદનો ઉલ્લેખ જે તે સમયના સમાજ વિશે આપણને અછડતો ખ્યાલ આપે છે.

આમ તો આ છએ છે શ્લોકોને કોઈ ભાષ્યની આવશ્યકતા જ નથી. આખી વાત દીવા જેવી સ્પષ્ટ છે. કવિએ ન તો ભારઝલ્લી ભાષા પ્રયોજી છે, ન તો મગજમાં આંટી પડી જાય એવા રૂપક-પ્રતીકો વાપર્યાં છે. આવી સ્વયંસિદ્ધા રચનાને આપણે res ipsa loquitar (it speaks for itself) શ્રેણીમાં મૂકી શકીએ. પણ મૃત્યુની વિભાવના થોડો વિચાર માંગી લે એવી છે. જેન આસમાન ‘અ ડાયલોગ બિટવીન સેલ્ફ એન્ડ સૉલ’ લેખમાં ઇજિપ્તના લોકોના જીવન-મૃત્યુ વિશેનો થોડો અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ કહે છે કે, આ કવિતા ખ્રિસ્તી (યહૂદી?) માન્યતાને રજૂ કરે છે, જેવી કે મૃત્યુ પરમાત્મા પાસે પરત જવાની ક્રિયા છે, આપણે આ દુનિયામાં આગંતુક છીએ, આપણે બીજી દુનિયાના છીએ, અને મૃત્યુ પશ્ચાત્ આપણે એ દુનિયામાં પરત ફરીએ છીએ. જેનના કહેવા મુજબ મિસ્રવાસીઓ પોતાને આ દુનિયામાં કદી આગંતુક લેખાવતા નહોતા, ઊલટું, તેઓ આ જગત અને પોતાની વચ્ચે પ્રબળતમ નાતો હોવાનું અનુભવતા હતા. એ લોકો મૃત્યુની ઝંખનાને ઘોર પાપ ગણતા. અને આ કવિતામાં કહ્યું છે એમ મૃત્યુને બિમારીમાંથી સાજા થવા સાથે સરખાવવું, કેદમાંથી મળતી આઝાદી ગણવું કે જુદાઈ પછીના મિલનનું નામ આપવું નિંદ્ય કૃત્ય છે. જેનના આ વિચારો સાથે સહમત થઈએ તો આ કવિતા મૃત્યુ વિશેના વિચારો અંગે વિરોધાભાસોની નાનકડી શૃંખલા ગણી શકાય. જે હોય એ, પણ એક વાત સ્પષ્ટ સમજાય છે કે ચાર હજાર વર્ષ પહેલાનો માણસ પણ જીવન-મૃત્યુ વિશે એ જ રીતે વિચારતો હતો, જે રીતે આજનો માણસ વિચારે છે. ટૂંકમાં, જીવનની અનુભૂતિઓ અને સંવેદનો સમય અને કાળના મહોતાજ નથી હોતા. આ દેશ હોય કે પેલો દેશ હોય, આ સમય હોય કે પેલો સમય હોય, મનુષ્યમાત્રની મૂળભૂત અનુભૂતિઓ લગભગ એકસમાન જ રહી છે.

ગ્લૉબલ કવિતા : ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
All around us
the blossoms
flurry down
whispering,

Be patient
you have an ancient beauty.

Be patient,
you have an ancient beauty.

– Toi Derricotte (DARE-ah-cot)

ફુલ્લકુસુમિત

હું વાંકી વળી
મારા શ્વાસનું
ફુલ્લકુસુમિત વસંતના
શ્વાસ સાથે તાદાત્મ્ય સાધવા.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
માતાઓ પોતાના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગન કરતાં કરતાં,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષોની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક યુવતી
ચાદર બિછાવી પત્તા રમવાનું ટેબલ સજાવે છે,
ઉપર ગોઠવે છે મીણબત્તીઓ,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ ઉપર નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

ધીરજ ધર,
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…*

પળ અને જળ –બંને વહેતાં જ સારાં. પળ સ્થિર થઈ જાય તો જીવન પૂરું અને જળ સ્થિર થઈ જાય તો લીલ. બંનેનું વહેતાં રહેવું કુદરતી છે, પણ વહેવું જ જેની નિયતિ હોય એનેય ઝાલી રાખવું-અટકાવવું આપણને ગમે છે. એમ કરવાથી આપણામાં રહેલ શ્રેષ્ઠતાની જન્મજાત ભાવના પોષાય છે. કેમેરાનો આવિષ્કાર પણ આવી જ કોઈ ઝંખનામાંથી થયો હશે ને! વીતેલી કાલના ઓરડામાં મનફાવે ત્યારે પ્રવેશવા માટેનો પાસપોર્ટ એટલે ફોટોગ્રાફ. અસ્થાયીભાવ આપણને સ્થાયીભાવે ગમે છે. પરપોટો એટલે જ વધારે આકર્ષે છે કે ચળકતું લિસ્સુ મેઘધનુષ દેખાડીને એ પળમાં જ ફૂટી જવાનો છે. કળા કરતો મોર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પણ મોર ચોવીસે કલાક કળાની મુદ્રા ધારી રાખતો હોત તો શું આપણને એનું આકર્ષણ હોત ખરું? જે સ્થાયી છે, એ આકર્ષક રહેતું નથી. આકર્ષણ અસ્થાયીનું જ હોવાનું. પ્રકૃતિમાં એટલે જ એકેય તત્ત્વ સ્થિર નથી. જળથી લઈને વાદળ સુધી બધું જ પળેપળ નિતનવ્ય રૂપ ધારે છે. કોઈ બે સૂર્યોદય કે સૂર્યાસ્ત એકસમાન હોતા નથી. સ્થિર જણાતી ધરતી પણ ઋતુએ ઋતુએ નિતનવાં સ્વરૂપ ધરતી રહે છે, એટલે જ આપણી મુગ્ધતા બરકરાર રહે છે. અસ્થાયીપણાના સૌંદર્ય વિશેની ટોઇની એક કવિતા જોઈએ.

ટોઇ ડેરહકોટ. (જન્મસમયનું નામ: ટોઇનેટ વેબ્સ્ટર) અશ્વેત કવયિત્રી, શિક્ષિકા. ૧૨ એપ્રિલ, ૧૯૪૧ના રોજ મિશિગન, અમેરિકા ખાતે જન્મ. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક. આફ્રિકન-અમેરિકન કવિઓને પ્રોત્સાહિત કરવા માટે એમણે ‘કેવ કેનમ’ની સ્થાપના કરી. ટોઇની ભાષા અને રજૂઆતની ખાસિયત એની છેતરામણી સરળતા છે. એમની રચનાઓ એટલે આત્મકથનાત્મક લેન્સમાંથી થતું વિશ્વદર્શન. તેઓ ઇચ્છે છે કે એમની કવિતાઓ વિશ્વ સમક્ષ એક એવો સંદેશ મૂકે, જે વાસ્તવિક હોય, ન કે જે લોકોને સાંભળવો ગમે. પોતે આપેલ શિક્ષણ અને પોતાની કવિતા નિઃશંકપણે પરિવર્તનાર્થે જ હોવાની દૃઢ માન્યતા તેઓ ધરાવે છે. અશ્વેત હોવા ઉપરાંત સ્ત્રી હોવાને લઈને પોતાને થનાર અન્યાયોને તેઓ સ્વીકારે પણ છે અને અતિક્રમે પણ છે. આ બેવડી સામાજિક અસમાનતાના સ્વીકારમાંથી જ એમનો પ્રતિકાર પણ જન્મ્યો છે. ‘અ પ્લેસ ઇન ધ કન્ટ્રી’ કવિતામાં નાયિકાનો પરિવાર એક નવા ઘરની શોધમાં છે. કહે છે, ‘અમારું જૂનું ઘર વેચવામાં વરસ લાગી ગયું અને અંતે એક હબસીએ જ એ લીધું. એક મિત્રએ સમજાવ્યું, એકવાર એક ઘર અશ્વેત લોકોની માલિકીમાં હોય, તો તેઓ (દલાલો) એમને (અશ્વેતોને) જ એ બતાવશે. શું આપણે રાજકારણને નજરઅંદાજ કરી શકાય એવી કોઈ જગ્યાએ રહેવા માંગીએ છીએ?… શા માટે આ ઉજ્જવળ દેશની દરેક સડક નફરતના ઇતિહાસથી સુસજ્જ છે?’

કવિઉરમાં જે સંવેદન જાગ્યું હોય, એ જ સંવેદન ભાવકઉરમાં પણ યથાતથ જાગે એમાં કવિતાનું ખરું સાફલ્ય છે. પણ શબ્દો આ માટેનું એકમાત્ર સાધન છે, એમ કહીશું તો કળાના કસબીને અન્યાય થઈ શકે. કાન્તની ‘સાગર અને શશી’ રચનાની સફળતા કેવળ એની શબ્દાવલિને જ નહીં, ઝૂલણા છંદને પણ આભારી છે. એ જ રીતે રાવજીનું ‘કંકુના સૂરજ’ શોકગીત પણ લોકગીતના ઢાળને લઈને વધુ મર્મસ્પર્શી બન્યું છે. કંઈક અંશે એ રીતે પ્રસ્તુત રચનામાં સર્જકે કાવ્યાકારની મદદ લીધી જણાય છે. ચારેતરફ ફૂલોથી લચી પડતા વૃક્ષો તેમજ એની ખુશબૂને જેમ નિશ્ચિત આકારમાં બાંધી ન શકાય, એમ જ કવિએ આ કાવ્યને છંદોલયથી મુક્ત રાખ્યું છે. અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી પંક્તિઓની રચનાકૃતિ વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં મદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરાયો હોવાનું સમજાય છે. ‘ચેરી બ્લૉસમ્સ’ માટે આપણી ભાષામાં કોઈ નિયત સંજ્ઞા ન હોવાથી ‘ફુલ્લકુસુમિત’ શીર્ષક રાખવું મને ગમ્યું છે. આપણી ભાષાના વાચકો માટે આ એક શબ્દ જ આખું ચિત્ર ખડું કરી શકવા સમર્થ જણાય છે.

‘ચેરી બ્લૉસમ’ એટલે શોભાની ચેરીના સંખ્યાબંધ વૃક્ષો એકીસાથે અને આખેઆખા આછા ગુલાબી રંગના પુષ્પોથી ભરાઈ જવાની વાર્ષિક ઘટના. આજે તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના મોટાભાગના દેશોમાં આ વૃક્ષો જોવા મળે છે, પણ એનું સાચું કેંદ્રબિંદુ જાપાનમાં છે. સદીઓથી જાપાનમાં ચેરી બ્લૉસમનું અપાર સાંસ્કૃતિક અને સામાજીક મહત્ત્વ રહ્યું છે. આમ તો મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ એની ઋતુ, પણ હવામાન, ગ્લૉબલ વૉર્મિંગ, પ્રદુષણ વગેરેના કારણે આ સમય આગળ-પાછળ થઈ શકે છે. ઈસવીસનની આઠમી સદીમાં (અમુક સૂત્રો મુજબ તો છેક ત્રીજી સદીથી) જાપાનમાં નારા સમયકાળ દરમિયાન ચેરીના ફુલ્લકુસુમિત વૃક્ષો નીચે ભેગાં થઈને ચોખાનો દારૂ પીવાની પ્રથા શરૂ થઈ હતી. આ ઝાડ સકુરા કે ઉમે તરીકે ઓળખાતાં. અને આ પ્રથા હનામી કહેવાતી. સમય જતાં હનામી અને સકુરા સમાનાર્થી બની ગયા. મોટી માત્રામાં સામૂહિક ધોરણે ખીલવાની તેમની પ્રકૃતિના કારણે જાપાનમાં ચેરી બ્લૉસમ વાદળોનું પ્રતીક ગણાય છે. ફૂલોનું અપ્રતિમ સૌંદર્ય તથા ક્ષણભંગુરતાને લઈને તેઓ જીવનની નશ્વરતા ઉપરાંત નિયતિ તથા કર્મની કૃપાપૂર્ણ અને સહજ સ્વીકૃતિ કરતાં આપણને શીખવે છે. અલગ-અલગ દેશોમાં એનું અલગ-અલગ મહત્ત્વ છે. ૧૯૧૨માં જાપાને અમેરિકાને ચેરીના ત્રણ હજાર ઝાડ ભેટ આપ્યાં અને વૉશિંગ્ટન ડીસીથી એના અમેરિકાભરમાં ફેલાવાની શરૂઆત થઈ. આજે અડધી દુનિયાને એનું ઘેલું લાગ્યું છે.

ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવની કવિતા તો છે જ, પણ વધુ તો એ જીવનોત્સવની કવિતા છે.કવિતાની શરૂઆત ‘હું વાંકી વળી’થી થાય છે એ બહુ સૂચક છે. કુદરત સાથે શેક-હેન્ડ કરવા માટેની પહેલી શરત હુંની અકડ જતી કરવી અને બીજી શરત એની આગળ નમવું એ છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકા વળ્યાં છે. સમ ખાવા પૂરતુંય એકે પાંદડું નજરે ન ચડે એ રીતે આખાને આખા વૃક્ષો પર ફૂલોના ગુચ્છેગુચ્છાએ કબજો જમાવ્યો હોય એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. પોતાના શ્વાસમાં કવયિત્રી કેવળ ચેરી બ્લૉસમ્સની સુગંધ ભરવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી તો પોતાના શ્વાસમાં વસંતના શ્વાસને ભેળવી દેવા માંગે છે અને ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિને આસ્વાદવાની નહીં, પણ એની સાથે એકાકાર થઈ જવાની, ઓગળી જવાની છે. કવિને સુગંધ માણવા કરતાં તાદાત્મ્ય અનુભવવાની તમા વધારે છે. વાંકા વળવાની ક્રિયામાં રહેલ સમર્પણ વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વધુ સંપૂર્ણ અનુભવાય છે.

પક્ષીની આંખ જેવી પૂર્ણ એકરસતા જો કે હજી સાધી નથી શકાઈ. એટલે વસંતના શ્વાસ સાથે શ્વાસ ભેળવીને સમાધિસ્થ થવાના સ્થાને સર્જક આસપાસની ઘટનાઓ જોવી ચૂકતા નથી. એમનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે. એમાંય આ તો ફુલ્લકુસુમિત વસંત! ઋતુ મહોરે એ ટાંકણે આ સ્થળો પર્યટન સ્થળ બની રહે છે. પ્રકૃતિના આ રૂપ-રંગ-ગંધ માણવા લોકો વિશ્વના ખૂણેખૂણેથી અહીં આવે છે. એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હોવાના જ. બધી અનુભૂતિઓને આપણે સ્મરણપટ પર સાચવી શકતા નથી. યાદોની હાર્ડડિસ્ક અસંખ્ય ડેટા સાચવતી હોવા છતાં એનો બહુ મોટો ભાગ સતત ફૉર્મેટ થયે રાખે છે. મનુષ્ય પોતાની આ મર્યાદાઓથી માહિતગાર છે, એટલે એ આવી યાદગાર ક્ષણો કે સ્થળોને ચિરંજીવ બનાવવા પ્રયત્નશીલ રહે છે. ફોટોગ્રાફર્સ જે જે વ્યક્તિઓના ફોટા લઈ રહ્યા છે એમના વ્યક્તિચિત્રોના ઓથે સર્જક પોતાની વાત આપણી સાથે સહિયારે છે.

માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. વિરોધાભાસ ચૂકશો નહીં. માતાઓ મરજી મુજબ ગોઠવી શકે એવાં બાળક એટલે જિંદગીની ડાળ પરનું નવપલ્લવિત પર્ણ. અને ફોટો પાડવા માટે જેનો પૃષ્ઠભૂ તરીકે ઉપયોગ થાય છે એ વૃક્ષો એટલાં જૂનાં છે કે એમના વિશાળ થડ ગાંઠદાર બની ગયાં છે. જિંદગીના બે અંતિમોને અડખેપડખે કરીને કચકડે કંડારવાની માતાઓની આ સ્થૂળ ક્રીડામાં શાશ્વત અને નશ્વર- ઉભય એકસાથે દૃષ્ટિગોચર થાય છે. પરસ્પર આલિંગન કરી રહેલ એક યુગલ પસાર થનાર રાહદારીને આલિંગનબદ્ધ સ્થિતિમાં જ પોતાનો ફોટો પાડી આપવા કહે છે. હેતુ એ કે પ્રેમની આ ઉત્કટ પળ ફોટોગ્રાફ તરીકે ચિરંજીવી બની રહે. પ્રેમમાં ચસોચસ ભેટવું કોને ન ગમે? પણ મુશેક્ટાટ આલિંગનની સ્થિતિમાં શું આજીવન રહી શકાય ખરું? પ્રેમ ગમે એટલો બળવત્તર કેમ ન હોય, દરેક આલિંગન પર એક્સપાઇરી ડેટ લખેલી જ હોવાની. ચેરી બ્લૉસમ કાયમી નથી એમ આશ્લેષ પણ હંગામી જ હોવાનો. આલિંગનમાં સુખ છે, પણ એ એટલા માટે જ છે કે આલિંગનના છેદગણમાં આવી ગયા બાદ બંને પ્રેમીએ પોતાપોતાના હિસ્સાના વેન સર્કલમાં પરત ચાલ્યા જવું ફરજિયાત છે. ક્ષણિક છે માટે જ એ ક્ષણેક્ષણે કરવું ગમે છે. સ્થાયી બની જાય તો આલિંગનમાંથી મજા ઊડી જાય. વારંવાર વાગોળવા મળે એ હેતુસર અંતરંગ પળોમાંય આપણે આગંતુકોને પ્રવેશ આપવા માંડ્યા છીએ. ચુંબન-આલિંગન તો યુગલના જીવનની અંગતતમ બાબત કહેવાય, પણ મૉમેન્ટ્સ કેપ્ચર કરી લેવાના મોહમાં આપણે આપણા અંગતને જાહેરકરાર આપતાં અચકાતા નથી. લગ્નપ્રસંગે ફોટો લેવાનું ચૂકી જવાય તો ફોટોગ્રાફર્સ હસ્તમેળાપ પણ એકથી વધારે વાર કરાવે છે. જિંદગી તો રિટેકની સગવડ આપતી નથી, પણ આપણને જીવાતી જિંદગીનો રિટેક લેવાની કુટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં ફરી માણવાના લોભ પર અંકુશ મૂકી શકવાની અસમર્થતાને કારણે આપણે વર્તમાનને પૂર્ણતયા માણી શકવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ.

સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?
ઉપર બાઝી જશે જાળાં, ભલે ને એ જ રહેશે ફ્રેમ.

પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવવા કરતાં સાચવી રાખવાની કામના આજના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. બે હૈયાં વચ્ચેની દોસ્તી અને બે મનુષ્યો તથા પ્રકૃતિ વચ્ચેની દોસ્તી સાચવી રાખવા માટે આજના માનવીને ઉપકરણોની જરૂર પડે છે. આપણું હૈયું આપણી છાતીના પિંજરામાં ઓછું અને ગેજેટ્સની માયાજાળમાં વધારે ધબકે છે. આજે વાતવાતની રિલ બનાવવાનો જે જુવાળ જનમાનસમાં ફેલાયો છે એ એની જ સાબિતી છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? ટોઇનું બાળપણ ગરીબી અને સંઘર્ષભર્યું હતું. કુંવારી સગર્ભા સ્ત્રીઓ માટેના ઘરમાં રહેવાની ફરજ પણ પડી હતી. કુંવારી મા બનીને સંતાન સાથે તેઓ પિતૃગૃહે આવ્યા, ત્યારે જાણ થઈ કે એમનું સમગ્ર લખાણ એમના પિતાએ સળગાવી નાંખ્યું હતું. લખવું એમને માટે સદા પીડાજનક રહ્યું છે. પોતાની અંગતતમ વેદનાઓને સાર્વજનિક સ્વીકૃતિ માટે કાગળ પર કંડારવું પડકારરૂપ છે. પણ જે અંદરની તકલીફોને જોઈ શકે, એ જ બાહરી સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે. અંતર્દૃષ્ટિ ખુલી ન હોય એની બહિર્દૃષ્ટિ કુંઠિત જ હોવાની.

નજીકમાં જ બરાબર છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પત્તા રમવા માટેનું ટેબલ સજાવી રહી છે. ટેબલ પર ચાદર બિછાવી એ એના પર મીણબત્તીઓ, પિકનિક માટેની છાબ અને વાઇનની બોટલ ગોઠવે છે. વાત પિકનિકની છે એટલે અન્ય પરિવારજનો કે મિત્રમંડળના આગમનની અપેક્ષા અને પ્રતીક્ષા પણ ખરાં જ. અત્યારે એ એકલી જ છે પણ જે રીતે ઋતુ આવતાં જ આ વૃક્ષો ભરાઈ ગયાં છે એ જ રીતે સમય આવતાં જ એનું ટેબલ અને એનું હોવું –બંને ચેરી બ્લૉસમ બની રહેશે. પાસે જ એક પિતા પોતાના અપંગ પુત્રની વ્હીલચેરને પાછળની તરફ નમાવે છે, જેથી કરીને એ આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય. પોતે જે જોઈ-માણી શકે છે એનો આનંદ પોતાના આત્મીયજન ચૂકી ન જાય એ બાબતની દરકાર આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી. એક બીજો સંદર્ભેય અહીં ખૂલે છે. ભાવિ પેઢી પ્રકૃતિથી વિમુખ થતી જાય છે એને ફરી પ્રકૃતિ સાથે તાદાત્મય થતાં શીખવવાની વાત છે. પ્રકૃતિ સાથે એકત્વ ન અનુભવતી નવી પેઢીનું ભાવિ ધૂંધળુ છે એ વાત અપંગ બાળક અને વ્હીલચેરના પ્રતીક વડે સ-રસ કહેવાઈ છે. સમગ્ર કવિતાના પ્રવાહમાં ભળી જતી બે પંક્તિની એક નાનકડી અલાયદી કવિતાનો સંસ્પર્શ વર્તાય છે. માનવજીવનના સાવ નાનાં નાનાં પાસાંઓને સર્જકે નાનાં નાનાં વાક્યોમાં પણ અખિલાઈથી આલેખી બતાવ્યાં હોવાથી સાધારણ ભાસતી આ રચના હૃદયસ્પર્શી બની રહે છે.

સપાટાભેર ખરી રહેલ ઢગલાબંધ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે, એ મારફતે પ્રકૃતિ જાણે કવિના સવાલનો જવાબ દઈ રહી છે: ધીરજ ધર. તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે. આ બંને પંક્તિઓ કવિએ મુખ્ય હરોળથી અળગી તો મૂકી જ છે, પણ એને ઇટાલિક્સમાં લખીને આખી રચનાની સાપેક્ષે એનું મૂલ્યાંકન પણ સવિશેષ આંક્યું છે. એ સિવાય રચનામાં કેવળ આ બે જ પંક્તિઓ પુનરોક્તિ પણ પામી છે. આગળ ઇટાલિક્સનો પ્રયોગ સર્જકે સવાલ પૂછવા કર્યો હતો, આ વખતે કુદરતના પ્રત્યુત્તરને અધોરેખિત કરવા માટે કર્યો છે. કવિ સુંદર કવિતાની તલાશમાં છે. પ્રકૃતિ જવાબ આપે છે કે એ તો પુરાતન કાળથી તારી અંદર જ છે. કસ્તૂરી મૃગ યાદ આવ્યું ને?:

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને. (મનોજ ખંડેરિયા)

સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. ધીરજ ધરીને લીલપ પહેરીને વર્ષ આખું ઊભા રહેલ ઝાડ આજે ફુલ્લકુસુમિત થયાં છે અને ફૂલો સતત આપમેળે ખરી રહ્યાં છે, એ જ રીતે ધીરજ ધરીને પ્રતીક્ષા કરીશું તો કવિતાના પુષ્પો આપમેળે ખીલશે પણ ખરાં અને કાગળ પર ધીમેધીમે ખરશે પણ ખરાં. વાત જાતમાં ભરોસો રાખીને રાહ જોવાની છે. જોનારની દૃષ્ટિ પોતે પણ એક ઉત્તમ કવિતા છે. સરવાળે, જીવનની ક્ષણભંગુરતાનું આ મધુરું ગાન છે. જે આજે છે એ જવાનું છે, એને ભરપૂર માણી લઈએ. ભલે બે પળનું કેમ ન હોય, પણ જીવનને પૂરેપુરું ખીલીને પૂરેપૂરું માણીએ. ટોઇ કહે છે: ‘આપણે એ ચીજના કેદી છીએ જેને આપણે જાણતાં નથી, જેનો આપણે સ્વીકાર કરતાં નથી, જેને આપણે બહાર આણતાં નથી, જેના વિષયમાં આપણે સચેત નથી, જેને આપણે નકારીએ છીએ….’

(*શીર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)

માણસ ઉર્ફે…. – નયન હ. દેસાઈ (આસ્વાદ: વિવેક મનહર ટેલર)

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

હીરા ઘસવાની રેતી ખૂટી જતાં હાથ જડેલો સપ્તરંગી હીરો…

જમાનો ઝડપભેર બદલાઈ રહ્યો છે. ગઈકાલે જે વસ્તુ ઘરે-ઘરે ચલણમાં હતી, એના વિશે આજની પેઢીને કંઈ પૂછીશું તો ખભા ઉલાળશે. બાળકના સર્વપ્રથમ જ્ઞાનસંસ્કાર સમા સ્લેટ-પેન ક્યારેક અસ્તિત્ત્વમાં હતા કે કેમ એ શંકા જન્મે આજે તો. ટ્રાન્ઝિસ્ટર કાને લગાડીને વટ પાડતી એક આખી સભ્યતાનું નામોનિશાન રહ્યું નથી. ઑડિયો-વિડિયો કેસેટ પ્લેયર, પેજર, પબ્લિક ટેલિફોન બૂથ, ફ્લોપી ડિસ્ક, ફિલ્મ કેમેરા કેવા ગાયબ થઈ ગયા! બાયૉસ્કૉપ અને ક્લાઇડસ્કોપ -કેવી મજા હતી, નહીં! ક્લાઇડસ્કોપ ન જોયું હોય, એ તો બાળપણ જ જીવ્યા ન કહેવાય. એક નળાકાર ટુકડામાં સાંઠ અંશના ખૂણે ગોઠવેલ ત્રણ લંબચોરસ અરીસાને લઈને કાચની રંગીન બંગડીઓના ટુકડાઓથી પળેપળ નિતનવી રચાતી ભાત તો જાણે સ્વપ્નોના રંગ! કવિતા પણ આપણાં સ્વપ્નોના રંગોની આકૃતિ જ છે, પણ મોટાભાગની કવિતા મર્યાદિત રંગોની છબી સુધી જ સીમિત રહે છે. મજા તો ત્યારે આવે જ્યારે બાળપણની ગલીઓમાં ખોવાઈ ગયેલ ક્લાઇડસ્કોપ જેવી કોઈ કવિતા હાથ લાગી જાય. ફેરવતા જાવ, એમ એમ એમાંથી અમર્યાદિત ભાત ઊઠતી દેખાય. નયન દેસાઈની એક ક્લાઇડસ્કોપિક ગઝલ આજે માણીએ.

નયન હ. દેસાઈ.જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩) જન્મભૂમિ કડોદરા, વતન વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. અભ્યાસ માત્ર SSC સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. ગુજરાતી કવિતારાણીને એમના જેટલા અછોઅછોવાનાં બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરો માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જતો. અવાજ પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં…

‘માણસ ઉર્ફે’ એટલે નયન દેસાઈની સિગ્નેચર કૃતિ. આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ‘ઉર્ફે’, ‘એટલે’, ‘મતલબ’, ‘અથવા’ જેવા ઉભયાન્વયી અવ્યયો વડે કવિએ ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર આપ્યો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એમ અસીમ સંભાવનાઓની વિભાવના પણ દર્શાવી છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા ભાવની ગતિ પણ સિદ્ધ થાય છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોની આ ગઝલમાં ભાવાભિવ્યક્તિનો પ્રયોગ તો છે જ, સાથોસાથ ‘ગાગાગાગા’ના ચાર પ્રચલિત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ છંદને પણ વધુ ગતિશીલ બનાવ્યો છે. કવિના કહેવા પ્રમાણે ચાર-સાડા ચાર દાયકા પૂર્વે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી. હીરા ઘસવાની જૂની પદ્ધતિ મુજબ રેતીના કણ પોલિશ કરવા માટેના આલ્કલીય પ્રવાહીમાં મેળવાતા, હીરાની સપાટી અને રેતકણ વચ્ચે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી અને રેતકણની મદદથી હીરાની ઘસાઈ અંતિમ આકાર લેતી. આ પ્રક્રિયાથી હીરાની સપાટીનું ખરબચડાપણું અઢાર નેનોમીટરથી ઘટાડીને દોઢ નેનોમીટર જેટલું ઓછું કરી શકાતું. એકવાર હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ ગયું હતું, રેતી ખૂટી ગઈ હતી ત્યારે કવિની અંદરથી માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

જેમ આખી દુનિયામાં એમ જ ગુજરાતી કવિતાનાં વહેણ પણ સમયાંતરે બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બાનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી બન્યા બાદ ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, એબ્સ્ટ્રેક્ટ વિ. પ્રયોગો તરફ વળી. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ અને એબ્સ્ટ્રેક્ટ ગઝલો લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

પ્રસ્તુત ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભી છે. લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. ઢાળ પર ગબડતા હોય એમ એકમાંથી બીજામાં સાવ સાહજિકતાથી ઢોળાતા શબ્દોનો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરે છે. ઉર્ફે અને એટલે જેવા અવ્યયોની મદદથી કવિએ સાવ અલગ કુળની સંજ્ઞાઓને બખિયા ભર્યા છે. પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને એકીસાથે સીવી લઈ કવિએ કવિતાનો મજાનો ડ્રેસ સીવી બતાવ્યો છે. એમ પણ કહી શકાય કે શબ્દોના અલગ-અલગ ટુકડાઓ આપણને આપીને કવિ કહે છે કે, લ્યો આ ટુકડાઓ! હવે પૂરી કરો આ જિગ-સૉ પઝલ! કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરતો રહી અમર્યાદ દૃશ્યો રચે છે. એ અર્થમાં આ ગઝલ ક્લાઇડસ્કોપિક ગઝલ છે. શબ્દના પોતીકા અર્થોપરાંત શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી પણ અહીં અર્થ જન્મતો દેખાય છે… નયન દેસાઈની આ કાબેલિયત અનેક રચનાઓમાં દૃષ્ટિગોચર થાય છે.

પહેલા શેરમાં માનવીના બહુપાર્શ્વીય આયામનો પરિચય કવિ કરાવે છે. માણસ શું છે? હાથમાંથી સરી જાય એવી રેતી?

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

સમયશીશીમાંથી રેતી સતત સરતી જાય એ જ રીતે માણસ પણ સતત ખર્ચાતો રહે છે. તમે એને દરિયો પણ કહી શકો. રેતી ક્ષણભંગુરતાનો તો દરિયો અસીમ સંભાવનાઓનો નિર્દેશ કરે છે. માણસ ઉભયનો સમન્વય નહીં? માણસ એટલે ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના પણ. ને આ ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતું રહેવાનું ને વળી ખૂટીય જવાનું…

માણસની વ્યાખ્યા થઈ રહી હોય અને આંખ ટાપશી ન પૂરાવે એ કેમ ચાલે? ઇન્દ્રિયો ભલે પાંચ હોય, પણ આંખ બધાયમાં અગ્રિમ. કવિ આંખોને બારી સાથે સરખાવે છે પણ શેરની શરૂઆત ખુલ્લી વિશેષણ સાથે કરે છે, કારણ ખુલ્લાપણાં વિના બધું જ વ્યર્થ. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારની શક્યતાઓ. ઊઘડવાની વાત. ખુલી જવું એ જ ખરું જીવન. બાકી તો સંકીર્ણતા અને અંધકાર કેવળ. દિવસોનું ઊગવું-આથમવું એ તો સમયચક્ર છે. ચાર દિન કી જિંદગાનીમાં આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવા-આથમવાના અર્થ ઊમેરશે. એ જ માણસ હોવાનો ખરો અર્થ. હાંસિલે-ગઝલ કહી શકાય એવો આ શેર છે.

બાળકને ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે, કારણ મોટા થતા જઈએ એમ એમ આપણે સમ-વેદના ગુમાવતા જઈએ છીએ. આંસુના અડવાથી પણ જે પીગળી ન શકે એ વજ્ર જેવી છાતીનું બીજું નામ જ વયસ્કતા. આંસુની ઉષ્મા તથા ભીનાશથીય ન પીગળતી વ્યક્તિ શું શું નથી ગુમાવતી? આંસુ તો સ્મરણના રણ મધ્યેનો રણદ્વીપ છે. યાદોની પાંખે બેસાડી આંસુ તમને વિસ્મૃત શૈશવ તરફ લઈ જાય છે. બાળપણના આ કૂવામાં આંખ મીંચીને કૂદી ન પડીએ તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

માણસ એટલે સંભાવનાઓનો સરવાળો, આગળ વધવાની ઘટના. પગ ઊપાડીએ જ નહીં તો રસ્તો કપાય શી રીતે? ચાલવાનું શરૂ કરીએ તો રસ્તામાંથી રસ્તા ફૂટે. સમસ્યાઓના ઈલાજ હાથ જડે.

ડેડ-એન્ડ જોઈ દૂરથી જ કરમાઈ શીદ ગયા છો?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

A journey of a thousand miles begins with a single step. એકવાર શરૂઆત થાય એટલે રસ્તામાંથી રસ્તા, એમ શક્યતાના ફૂલો ઊગી નીકળશે. ક્યાંક પથ્થરો પણ નડતર બનશે જ, પણ સરવાળે પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી, તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

પાંચમા શેરમાં કવિ આપણને સૌને આહ્વાન કરે છે. સંબંધો એ સમાજની દેણગી છે. પશુપંખી સમુદાયમાં સંબંધ કેવળ બચ્ચાંઓ મોટાં થવા સુધી જ જળવાતા હોય છે. બંધન શબ્દમાં જ છૂટી શકાવાની શક્યતા નિહિત છે. જે બંધાય એ છૂટી-તૂટી પણ શકે જ ને? કવિ આપણા સંબંધોને અલગ આયામ આપવાની, બીજા રસ્તે વાળવાની હાકલ કરે છે, કારણ સંબંધ અને શમણાંના ઝુમ્મર બંને એકસમાન છે. શમણું ગમે એવું હોય, એનો અંત નિશ્ચિત જ છે. ઝુમ્મર પણ કાચનું બનેલું હોવાથી વહેલું-મોડું ફૂટવાની ઘટનાથી અલિપ્ત તો ન જ રહી શકે ને! અને સંબંધ તો વળી શમણાંના ઝુમ્મર જેવા છે, મતલબ વધારે બટકણા. સંબંધ કોઈપણ હોય, એને યોગ્ય સમયે બીજે રસ્તે વાળી ન દેવાય, યોગ્ય રીતે સાચવી ન લેવાય તો તિરાડ તો પડવાની જ.

માણસ એટલે અજંપો, અભાવ અને અસંતોષ. અધૂરી ઇચ્છાઓ, દુઃખ-દર્દ, પૂર્વગ્રહો, અદેખાઈ, સ્વાર્થ વગેરે તો આપણા ઘટ સાથે રે ઘડિયાં ને રઘુનાથના જડિયાં છે. ક્યારેક આ (દુર્)ગુણો ચાલકબળ બની પ્રગતિના પંથે પણ લઈ જાય, પરંતુ બહુધા તો એ તકલીફોની જનેતા જ બની રહે છે. છાતીમાં પીળા ગુમડા જેવો સૂરજ ઊગ્યાનો દવ સળગ્યો હોય એવી બળતરા કોણ નથી અનુભવતું? सीने में जलन, आँखों में तूफ़ान सा क्यूँ है? इस शहर में हर शख़्स परेशान सा क्यूँ है? (शहरयार) મહેફિલમાંથી અધવચ્ચેથી ઊઠી જવાનું થશે, કમોતે મરવાનું થશે એ જાણતો હોવા છતાં છાતીમાં સમસ્યાઓનું બળબળતું ગૂમડું ઊગવા દે અને પાકવા દે એનું જ નામ માણસ. માણસની આ વ્યાખ્યા ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે.

આ એવો જમાનો છે જ્યાં આપણે અરીસા આગળ પણ ચહેરા પર ચહેરો ચડાવીને ઊભા રહીએ છીએ. માણસ પોતાની જાતનો સાક્ષાત્કાર કરતાં જ ડરતો હોય તો અન્ય સામે કઈ રીતે યથાતથ રજૂ થાય? एक चहेरे पे कई चहेरे लगा लेते हैं लोग। (સાહિર લુધિયાનવી) માણસો નહીં, જાણે મુઠ્ઠીભર પડછાયાઓનાં ગામ છે આ દુનિયા. પડછાયા હાલે-ચાલેની હકીકત ભૂતાવળ તરફ પણ અંગૂલિનિર્દેશ કરે છે. હાલતા-ચાલતા પદછાયાઓ જેવી અસ્થાયી અને બનાવટી ઓળખાણને લઈને માણસ પોતાની ખરી ઓળખ ગુમાવી ચૂક્યો છે. કોણ કોને યાદ રાખે? એઝરા પાઉન્ડની અમર રચના યાદ આવે: “The apparition of these faces in the crowd:/ Petals on a wet, black bough.” (ભીડમાં ઓછાયા આ ચહેરા તણા; /પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.)

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

જગત જનની ભવતારિણી – ડૉ. પ્રભા અત્રે

આજે પદ્મવિભૂષણ વિદુષી ડૉ પ્રભા અત્રેજીની સ્તુતિ સાથે માતાજીના અનેકાનેક રૂપ અને એમની અપરંપાર કૃપાને વધાવીએ. સ્વરાંગી વૃંદની આ છેલ્લી પ્રસ્તુતિ સાથે આ વર્ષની સૂર અને સુરતાની યાત્રા અહી પૂરી થાય છે.

કવિ- સ્વરકાર: ડૉ પ્રભા અત્રે

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત, એકતા દેસાઈ, રીની ભગત, કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

જગત જનની ભવતારિણી મોહિની તૂ નવદુર્ગા
તૂ ભવાની મહાકાલી,
તૂ શિવાની મંગલા…
જગત જનની ભવતારિણી મોહિની તૂ નવદુર્ગા

શારદા સરસ્વતી જ્ઞાનદેવી વંદના
શાંતિ સુખકી હો વિમલા,
જ્ઞાનદા તૂ હો સફલા…
જગત જનની ભવતારિણી મોહિની તૂ નવદુર્ગા

લછુમી ધનકી સંપદા પૂરી કરત કામનાં
ઋુષી મુની જન સકલ પ્રિયા,
કોમલા તુ ચંચલા…
જગત જનની ભવતારિણી મોહિની તૂ નવદુર્ગા

શારદા તૂ જ્ઞાનદા લછુમી તૂ હે સંપદા
કાલી દુર્ગા શક્તિ મા,
કોટી હૈ તુમ્હે પ્રણામ…
જગત જનની ભવતારિણી મોહિની તૂ નવદુર્ગા
-ડૉ પ્રભા અત્રે

નભમાં નવલખ તારલિયાને – વેણીભાઇ પુરોહિત

રાતના આભનો એક એક તારો માતાના પગલાંની છાપ હોય અને દિવસે સૂરજ એક વિશાળ આકાશના કોડિયે દીવડો થઈ ઝળહળતો હોય એવા માતાના દરબારમાં આજે અમારી પ્રસ્તુતિ.

કવિ – વેણીભાઇ પુરોહિત
સ્વરકાર- રવિન નાયક

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત,એકતા દેસાઈ, રીની ભગત,કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર
દીવડા લઈને રાતડી કંઈ…
રમવા આવી બહાર કે રાતડી
રમવા આવી બહાર કે નવલખ દીવડાનો દરબાર….
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ઊંચે આભ ગહનને અદ્ભૂત વ્યાપક વિશ્વ વિરાટ,
નીચે ધરતી પર નયનોનાં દીપકનો કલકાટ,
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ગોખે ગોખે ઘર ઘરમાં ને મંદિરમાં મલકંત,
પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત પ્રકાશનાં
ભગવંત,
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….
– વેણીભાઇ પુરોહિત

એક એક આગિયાનો દીવડો લઈ હાથમાં – ધીરુબહેન પટેલ

આદ્યશક્તિની સ્તુતિની પરંપરાને સહેજ જુદી રીતે આગળ વધારતો, સ્ત્રી શક્તિના વિવિધ સ્વરૂપને ઉજવતો , ધીરુબહેન પટેલની કલમે રવિના સંગીતમાં રચાયેલો નોખો અનોખો ગરબો.

કવિ- ધીરુબહેન પટેલ
સ્વરકાર- રવિ

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત, એકતા દેસાઈ, રીની ભગત, કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

એક એક આગિયાનો દીવડો લઈ હાથમાં
વનદેવી આજે ગરબે રમે,
વૃક્ષ સંગ વેલી ઝૂલે પ્રેમ ઘેલી
વનદેવી આજે ગરબે રમે
એક એક આગિયાનો દીવડો લઈ હાથમાં
વનદેવી આજે ગરબે રમે…..

એક એક મોતીડાનો દીવડો લઈ હાથમાં
સાગર પરી આજે ગરબે રમે,
ઘેરાં ઘૂઘવે તરંગ સંગ ડોલે એનું અંગ
સાગર પરી આજે ગરબે રમે,
એક એક મોતીડાનો દીવડો લઈ હાથમાં
સાગર પરી આજે ગરબે રમે…

એક એક તારલાનો દીવડો લઈ હાથમાં
અંબર કન્યા આજે ગરબે રમે,
સ્વર્ગની ગંગાને તીર, ઉડે આછા એના ચીર
અંબર કન્યા આજે ગરબે રમે,
એક એક તારલાનો દીવડો લઈ હાથમાં
અંબર કન્યા આજે ગરબે રમે…

એક એક કોડિયાનો દીવડો લઈ હાથમાં
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે,
જોવા માને પ્રસન્ન કરતી લળીને નમન,
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે,
એક એક કોડિયાનો દીવડો લઈ હાથમાં
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે…
– ધીરુબહેન પટેલ

આકાશી ઓરસિયે ચંદાનું ચંદન – અવિનાશ વ્યાસ

ભક્તિ મુક્તિદાત્રી શૈલપુત્રીના આગમન સાથે આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ. દૂર સુદૂરથી માતાના રથ ઘમકાર સંભળાય છે, સૂરજની લાલીમા રકતિમ થઈ છે એમાં કંકુ ભળ્યું છે. ચોમેર ચંદનની સુગંધ ફેલાઈ છે ત્યારે માના આગમનના એંધાણ વધાવતો આજનો ગરબો.

કવિ- અવિનાશ વ્યાસ
સ્વરકાર- ગૌરાંગ વ્યાસ

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત, એકતા દેસાઈ, રીની ભગત, કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

આકાશી ઓરસિયે ચંદાનું ચંદન
ધરતી પાવન થઈ,
મા… આવતી હશે કે આવી ગઈ….
શેરીએ સાજ સજ્યા ઢોલીડાનાં ઢોલ બજ્યા
ગોરી ગરબે ઘુમે થૈ થૈ થૈ…
મા… આવતી હશે કે આવી ગઈ….

રંગે રંગાઈ ગઈ રંગોળી ચોકમાં,
આનંદ આનંદ છાયો ચૌદે લોકમાં,
કંઠે કંઠે કોયલ ટહુકી ગઈ…
મા… આવતી હશે કે આવી ગઈ….

માના રથની ધૂળ ઉડે ગગનથી ઘેરી,
આપોઆપ આકાશેથી કંકુ જાણે વેરી,
કરે પાવન ધરાને રહી રહી….
મા… આવતી હશે કે આવી ગઈ…..
– અવિનાશ વ્યાસ

તારી ખુદાઇ દૂર નથી – નાઝિર દેખૈયા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

– નાઝિર દેખૈયા