છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં – ચિંતન નાયક

સ્વર – હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર

itunes download link :  https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337?ls=1

છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!

ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!

ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!

ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye

મારી કબર પાસે

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું એ હજાર પવનો છું જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણાઓ પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

સૂંઠના ગાંગડે ગાંધી થવાય?

એક જ કવિતા લખીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિઓ કેટલા? ગણવા બેસીએ તો કદાચ આંગળીના વેઢા પણ વધુ પડે. ૧૯૦૫માં જન્મેલ અને છે…ક ૨૦૦૪માં ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી દુનિયાને ગુડ બાય કરનાર મેરી એલિઝાબેથ ફ્રે કદાચ આવા જ વિરલ કવયિત્રી છે જેમના વિશે માનવામાં આવે છે કે આ એક જ કવિતા એમણે લખી છે. એવું બની શકે કે બીજી કવિતાઓ સચવાઈ જ ન હોય. પણ એક દાયકા પહેલાં સુધી કવયિત્રી આપણી વચ્ચે હતા એ હકીકત ધ્યાનમાં લઈએ તો એમની અન્ય રચનાઓ કાળના વહેણમાં ખોવાઈ ગઈ હોવાનું માનવું જરા દુષ્કર થઈ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કવિતા કોઈ બીજાની જ છે. હકીકત જે હોય એ, પણ એક જ કવિતાએ કોઈ કવિને અમરત્વ બક્ષ્યું હોય એવી જવલ્લે જ જોવા મળતી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. વિશ્વભરના કબ્રસ્તાનોમાં, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં અને અસંખ્ય સ્થળૉએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે.

કહેવાય છે કે મેરીની સાથે રહેતી એક જર્મન યહૂદી મિત્ર માર્ગારેટ જર્મનીની ખરાબ રાજકીય પરિસ્થિતિના કારણે પોતાની બિમાર માતાને મળવા જઈ શકતી નહોતી. માતાના મૃત્યુ પર માર્ગારેટે મેરીને કહ્યું કે પોતાની માતાની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ આ કાવ્ય લખી નાંખ્યું. છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈ માહિતી નહોતી. એ પછી કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો અને જાણીતા લેખક એબિગેલ વાન બુરેને આ દાવો પુરવાર કર્યો. ઓહાયોમાં જન્મેલા, ત્રણ વર્ષની ઉંમરે અનાથ બનેલ મેરી એલિઝાબેથ ક્લર્ક બાલ્ટીમોર ખાતે ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ધ બુકવર્મ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. ૧૦ વર્ષ પછી ધ ટાઇમ્સએ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સમાજ અને દેશની તમામ સરહદો પાર કરી ચૂકી છે”

વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય એવા હજારો લોકોના પ્રતિભાવ ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાના ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

પ્રેમ કેવી અદભુત અનુભૂતિ છે ! એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા સ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન હવે ચાલ્યો ગયો છે. એ હવે કબરની નીચે છે. પણ પોતાના પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું એને ભાન છે, ચિંતા છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ કદી મરતો નથી. પોતે શું છે એ કહેવા માટે કવયિત્રી પવનનું બહુવચન વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? (જોયો આ “વરસાદો” શબ્દ?)

એક પછી એક પ્રતીકો વાપરી કવયિત્રી મૃતકના સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. પણ મોટાભાગના પ્રતીક જીવનની સંધ્યાનો અહેસાસ કરાવે છે. બરફ પર ચળકતી હીરાકણીઓ એ વાતનો પણ ઈશારો છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓ – એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે. નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિઓનું પુનરાવર્તન વાતને દૃઢ કરે છે કે મૃતક ખરેખર મૃત્યુ પામી જ નથી. એ કબરમાં છે જ નહીં એટલે કબર પાસે ઊભા રહી વિલાપ કરવાનો શો અર્થ?

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ,
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

ગ્લૉબલ કવિતા: કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રેઇટન અનુ. વિવેક મનહર ટેલર

Since there’s no help, come let us kiss and part.
Nay, I have done, you get no more of me;
And I am glad, yea glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again,
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies;
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes—

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou might’st him yet recover!

– Michael Drayton

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.

હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.

હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,

– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રેઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

જબ તવક્કો હી ઉઠ ગઈ ગાલિબ,
ક્યુઁ કિસી કા ગિલા કરે કોઈ?

– પોણી બસો વર્ષ પહેલાં ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? બુદ્ધ પણ એ જ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે… પણ બુદ્ધ કવિ નથી, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ છે. એ આગળ કહે છે કે એ કારણનું નિવારણ પણ છે જે વળી શક્ય છે. માઇકલ ડ્રેઇટનની આ કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું આ સૉનેટ સમજી શકાય તો આપણા બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પડે છે.

સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલ માઇકલ ડ્રેઇટનના ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. પણ પછી મહારાણી એલિઝાબેથના દરબારમાં એમણે મોભાનું સ્થાન શોભાવ્યું. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ અને અંગ્રેજીમાં જેને ‘ઓડ’ કહેવાય છે, તેના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિયતા અપાવનાર હતા. જે છોકરીને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો એ અથવા કોઈ પણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા.

પ્રસ્તુત સૉનેટ પણ આ સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલીમાં લખાયેલું આ સૉનેટ મૂળ અંગ્રેજીમાં ત્રણ ચતુષ્ક અને યુગ્મરચના તથા ‘અ-બ-અ-બ’ની પ્રાસરચના ધરાવે છે. આખી કૃતિ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલી છે પણ છેલ્લી બે પંક્તિઓમાં દસના બદલે બાર અને અગિયાર સિલેબલ્સ વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે.

‘કેમકે હવે કોઈ મદદ શક્ય નથી’થી થતી શરૂઆત હચમચાવી દે છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ કદાચ કરી દેવામાં આવી છે પણ હવે આ સંબંધ ટકી શકે એમ જ નથી. સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. પ્રેમની નિષ્ફળતાની અસમંજસનું આ મહાકાવ્ય છે.

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? દીર્ઘકાલિન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકતું હશે.… આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ સંબંધની લાશ ખભે વેંઢાર્યે રાખ્યે છીએ. કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે… ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી…

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે… કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. અને પ્રયત્ન કરો તો ફરી એ બેઠો થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

પુષ્પ:૦૧

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

(રવીન્દ્રનાથ ટાગોર)
-અનુ. વિવેક મનહર ટેલર

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન

ગીતાંજલિ બોલતાં જ આપણી નજર સમક્ષ જે કાવ્યસંગ્રહ આવે એ નોબેલ પારિતોષિક પ્રાપ્ત અંગ્રેજી અનુવાદ. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી 103 કવિતાઓનું ચયન કરી રવીન્દ્રનાથ ટાગોરે એમનો અંગ્રેજી અનુવાદ કર્યો અને વિશ્વ આખાની આંખ ભારતીય કવિતા તરફ આકર્ષિત થઈ. 1913ની સાલમાં આ પુસ્તક માટે ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાં પણ અને પછી પણ આજ પર્યંત એ સૌભાગ્ય અન્ય કોઈ કવિ કે લેખકને પ્રાપ્ત થયું નથી.

શાંતિનિકેતનમાં એક દિવસ કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. યુવાવસ્થામાં કવિ બંગાળના કોઈક ગામડામાં ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. એ પછી શાંતિનિકેતનની સ્થાપના કરી. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવવાની અદમ્ય ઇચ્છાને વશ થઈ એમણે પસંદીદા કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો. બ્રિટનપ્રવાસ દરમિયાન આ રચનાઓ જેમણે જેમણે વાંચી એ બધાએ આ રચનાઓનો સહર્ષ સ્વીકાર કરી ટાગોરને બ્રિટિશ કવિઓની
સમકક્ષનું માન આપ્યું.

નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યરે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય.

જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય…

“એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

જુઓ મા ગુજરાતીનો દબદબો! (ભાષા મારી ગુજરાતી છે & કોણ હલાવે લીમડી)

આજની આ પોસ્ટ લયસ્તરો પરથી સીધેસીધી કોપી-પેસ્ટ! ધવલભાઇએ આ ગીતો મોક્લયા થોડા દિવસ પહેલા ત્યારે જ વાત થઇ હતી એમને ટહુકો પર મુકવાની, પણ મેં થોડી આળસ કરી, અને ધવલભાઇએ એને લયસ્તરો પર મુક્યા, તો એમના શબ્દોમાં એમણે એવી સરસ રજૂઆત કરી કે મારે એમાં કંઇ ઉમેરવાની જરૂર નથી!!

અને હા, ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – સૌપ્રથમ ગુજરાતી કવિતાની વેબસાઇટ – લયસ્તરો.કોમ – ને બારમી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

*****

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.

આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

15385353_10153972047011367_1979167902819050663_o

અમારા વૉર્ડન

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ વિચિત્ર, ન સમજાયેલ દુનિયામાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે તેઓ જાણવા માંગતા હોય એ જે તેઓના હૃદયે કદી અનુભવવાનું નહોતું માતૃભૂમિનું દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ કામ કરે છે ચુપકીદીમાં. કેદીઓ છે – તેઓ પણ. પણ શું તેઓ આ સમજી શક્શે? આવતી કાલે? પછીથી? કદી પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે.

પણ આજે આપણે જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફરની વાત કરવાની છે. બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના તેઓ સેક્રેટરી જનરલ હતા અને ઊંચી સરકારી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. ભૂગોળમાં પી.એચ.ડી. કર્યું. જિઓપોલિટિક્સના તેઓ પ્રોફેસર હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવા એમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને બર્લિનના મુઆબિત જિલ્લાની ગેસ્ટાપો જેલમાં બંદી બનાવવામાં આવ્યા. જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટ કાગળ-પેન માંડ મેળવી શક્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.

23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ તો કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! મૃત્યુ નિશ્ચિત થઈ જાય ત્યારે મનુષ્યમાં સમ્યકભાવ આવી જાય છે. કેદીને પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા વૉર્ડન પણ ભલા લાગે છે. ભલા છે કેમકે મૂળે તેઓ ખેડૂત છે અને જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવી જાણે એ કદી નિર્દય કેમ હોઈ શકે? એ લોકો પણ માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈ આવ્યા છે.

યુદ્ધના ખપ્પરમાં એમના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે કદી વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. પણ આવ્યો એટલે તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. પણ આ તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો વિનર્મતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે આ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ હજી પણ જિંદગીની એક નિશાનીની પ્રતીક્ષા છે. કેદીઓની જેમ જ તેઓ પણ ચુપચાપ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? મોડેથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. સામો પ્રશ્ન પૂછીએ કે દાખલો આપો તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત વાત સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજીસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયા છે, થતા રહે છે.

પહેલાં તો ઇમેજીસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંડોના બંઢન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. 1912ની સાલમાં એઝરા પાઉન્ડે અધિકૃતતાપૂર્વક ‘ઇમેજીસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજીસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળ 1917માં તો પૂર્ણ થઈ ગઈ પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

આ કવિતાની રચનાનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં તો ૩૬ પંક્તિની હતી. પણ કવિને બિનજરૂરી લંબાણ ખટક્યું અને એમણે કવિતાની સાઇઝ અડધી કરી દીધી. છત્રીસમાંથી અઢાર પંક્તિ. પાઉન્ડને હજી સંતોષ નહોતો. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ આ છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે !

પાઉન્ડની ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક સૉનેટ સાથે પણ સરખાવે છે. સૉનેટ કાવ્ય ચૌદ પંક્તિનું બનેલું હોય છે જેમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ પણ ગણે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ વાપરવામાં આવ્યું નથી. બંને પંક્તિઓને જોડતું કોઈ પૂરક પદ પણ વપરાયું નથી.

પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે પાઉન્ડ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા અને આખો દિવસ આ દૃશ્યને જોતી વખતે જે લાગણી અનુભવી એને કેવી રીતે વ્યક્ત કરવી એની મથામણમાં રહ્યાં. આ લાગણીને કાગળ પર ઢાળવા માટે એમની પાસે શબ્દો નહીં, રંગો હતા પણ એ રંગો ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્ર…

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન સૂચવે છે. લેટિન Memento Mori અર્થાત્ યાદ રાખો કે તમારે મરવાનું છે એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન હોય, ભીની ડાળ પર ચોંટેલી પાંદડીઓ હોય કે ન હોય પણ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું ! – મહેશ દાવડકર

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું !
કહો કે કેટલું સમજાય છે, સાલું ?

આ હોવું તો છે ચકચકતી છરી જેવું,
એ જ્યારે ત્યારે વાગી જાય છે સાલું !

અચાનક ગાડી ઉતરી જાય પાટેથી,
કે જીવતરમાંયે એવું થાય છે સાલું !

નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !

પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !

નયન અંજાય એવાં બારી ઝળહળથી,
જે છે એવું તો ક્યાં દેખાય છે સાલું !

બળાપો જીંદગીનો ઠાલવું છું, દોસ્ત !
કે આવું એથી તો બોલાય છે, સાલું !

– મહેશ દાવડકર