અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

– રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું – અંકિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

સાધો, હરિ સંગે હરીફાઈ – હરીશ મીનાશ્રુ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો…

હારી જઈશું તો ઈડરિયો
…..ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….

અનંતની ચોપાટ પાથરી
…….હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
……. હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો…

– હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા… – હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી;
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા….. સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી,
શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી;
જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા….. સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

– હરીશ મીનાશ્રુ

અમૃતા – જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત શ્રી રઘુવીર ચૌધરીની ખૂબ જ જાણીતી નવલકથા

(નીચેની માહિતી – અને અમૃતા નવલકથાનું Digital Version – એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી સાભાર)

અમૃતા નવલકથાનું PDF, Kindle or Epub version download કરવા અહીં ક્લિક કરોઃ

http://www.ekatrafoundation.org/books/?book=25

રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી – ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.

શ્રી રધુવીર ચૌધરી સન્માન સમારંભ – October 23, 2016 (Bay Area, CA)

ગુજરાતી સાહિત્યકાર શ્રી રધુવીર ચૌધરીને ૨૦૧૫નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. અહીં કેલિફોર્નિયા બે-એરિયામાં એમના સન્માન માટે શ્રી મહેન્દ્રભાઇ મહેતા આપ સૌને આવકારે છે. It was a proud moment for all Gujaratis when the president of India awarded Gyanpith award to Raghuvirbhai. He will be in SF Bay Area between October 20 & 24.
Mahendra Mehta is inviting all Gujaratis in N. California to join me in honoring him at a public event on Sunday, October 23
For information pl. e mail: mandmmehta@gmail.com

Raghuvir-Chaudhary