ગ્લૉબલ કવિતા : ખાતરી : એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને તેજસ્વી કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું મોકળું હૃદય, બક્ષે છે આદિ કર્મ.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

“અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.”

– સમજી શકાય છે કે ગામડાંથી શહેર તરફની ગતિ લખનાર પચાવી શક્યા નહોતા. આ લખનાર, એડવિન મૂર આ સ્થળાંતરને “ઇડનથી નરક” તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર મૂરના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. એડવિન મૂર સ્કૉટલેન્ડના ઓર્ક્ની ટાપુઓ પર ખેતમજૂરને ત્યાં જન્મ્યા. (૧૫-૦૫-૧૮૮૭ થી ૦૩-૦૧-૧૯૫૯) બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં જ મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંની ફેક્ટરીમાં કરવી પડેલી નોકરી જેવી નોકરીઓ અને હતાશાઓએ પણ સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. કવિતા ઉપરાંત એમણે વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

“જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે તે જોઈએ. સુલતાન ફિલ્મના એક ગીતથી શરૂઆત કરીએ. “जग घूमेया, थारे जैसा ना कोई” થી શરૂ થઈ “जैसी तू है वैसी रहना” સુધી આ કવિતા પહોંચતી હોવાનું અનુભવાય છે.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટને કહ્યું કે તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી. પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રૈણ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

કવિ પણ એ જ કહે છે કે મારી વહાલી! હા, તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. હું વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ. આવામાં જ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बंजारे को घर’ની જેમ સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.

આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં એટલે હવે કવિને ખાતરી થાય છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાર્થ જ સ્વીકારી લેવાય એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે કહ્યું, रम्याणी वीक्ष्य। (સર્વમાં સુંદરતા જ જોવી.) સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

નરસિંહ મહેતાથી હરીશ મિનાશ્રુ – અમર ભટ્ટ પ્રસ્તુતિ

ગુજરાત સમન્વય ૨૦૧૫માં સ્વરકાર ગાયક શ્રી અમર ભટ્ટની પસ્તુતિમાંથી એક ઝલક – ચાર અલગ અલગ રચનાઓની ખૂબ જ સુમધુર અને મંત્રમુગ્ધ કરી છે એવી રજૂઆત

મા મને ક્ક્કો શીખવાડ – મુકેશ જોષી

14481881_509838218947_8468064889628680358_o
મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ

મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ

મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ

મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ

સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા આવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ

– મુકેશ જોષી

ગુજરાતી સાહિત્યકાર ચિનુ મોદી ‘ઈર્શાદ’નું નિધન

અમદાવાદઃ ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક તરીકે યોગદાન આપનાર તથા ‘ઈર્શાદ’ના નામે મશહુર સાહિત્યકાર ચીનુ મોદીનું માંદગી બાદ રવિવારે નિધન થયું છે. બે દિવસ અગાઉ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી તેમના રહેઠાણ જિતેન્દ્ર પાર્ક સોસાયટી, નારાયણનગર રોડ, પાલડી ખાતે અંતિમ દર્શન બાદ તેમના દેહનું એનએચએલ મેડિકલ કોલેજ ખાતે દાન કરવામાં આવશે.

17425141_1329601537063346_399887583575446141_n

See more at: http://www.meranews.com/news-detail/Gujarati-poet-Chinu-Modi-is-no-more

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી

Non-stop વિવેક ટેલર (કવિ, કવિતા અને કેફિયત)

કવિ મિત્ર વિવેક ટેલરને જન્મદિવસની અઢળક મબલખ શુભકામનાઓ..! નવેમ્બરમાં વિવેકના A SOLO PERFORMANCE નો કાર્યક્રમ થયો, એનું રેકોર્ડિંગ સાંભળીને આપણે પણ માણીએ વિવેક ટેલર નોન-સ્ટોપ!

***************

સુરતના મિત્રો માટે ખુશખબર….

સોલો પરફોર્મન્સ
“નોન-સ્ટોપ વિવેક ટેલર”
NONSTOP VIVEK TAILOR ~ A SOLO PERFORMANCE
કવિ, કવિતા અને કેફિયત…

19 નવેમ્બર, શનિવાર, સાંજે બરાબર 06.00 કલાકે
@ સાહિત્યસંગમ, બાવા સીદી, ગોપીપુરા.

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ તથા ‘સાહિત્ય સંગમ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવેક ટેલર સ્વરચિત કાવ્યોનું પઠન કરશે. ઉપરાંત કાવ્યસર્જનપ્રક્રિયા વિશે વાતો પણ કરશે. તમામ સહૃદયી કવિમિત્રો તથા ભાવકમિત્રોને સમયસર પધારવા સ્નેહભર્યું આમંત્રણ…

Vivek Tailor

પન્ના નાયક : વિદેશિની અને દ્વિદેશિની

ગુજરાતના જાણિતા કવયિત્રી પન્ના નાયકના અત્યાર સુધી પ્રકાશિત કાવ્યસંગ્રહોનું સંકલન – એટલે વિદેશિની અને દ્વિદેશિની. પન્ના નાયકના કાવ્યવિશ્વમાં પ્રવેશ આપતા આ બંને પુસ્તકો, એમાંથી કેટલીક રચનાઓનું આજે કવયિત્રી પન્ના નાયકના સ્વરમાં પઠન સાંભળીએ.

વિદેશિની અને દ્વિદેશિની
વિદેશિની અને દ્વિદેશિની

તને ખબર છે?

તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારુ નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…

ને પછી થોડી વાર રહીને વરસાદ પડયો…
હું તારુ નામ વહી જતું જૉઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
મેં તારુ નામ વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો ફકત હું જ ઝીલ શકતી હોઉં!

અને બપોર પછી નીકળી આવેલામેઘધનુને જૉઈ
દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.

સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ સજીવન થઈ.

પણ તું માનીશ?
અહીં તો બધાંને મારા ન બોલાયેલા શબ્દોમાં જ વિશ્વાસ છે.

તું શું માને છે…?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?

– પન્ના નાયક

**************

બા

નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

– પન્ના નાયક

***************
હોમસિકનેસ

મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?

— પન્ના નાયક

રાધા સંગ ખેલે હોરી – મેધલતા મહેતા

San Francisco Bay Area singers bring to you a beautiful and festive Holi/Hori group song, “Radha Sang Khele Hori”.

Lyrics: Smt. Meghlata Mehta
Music Composer: Madhvi Mehta
Music Arranger and Programmer: Asim Mehta
Drum Pads: Kunal Majmudar
Violin: Shiva Ramamurthi
Singers: Madhvi Mehta, Asim Mehta, Darshana Bhuta Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Hetal Brahmbhatt, Lahar Dalal, Bela Desai, Krishna Mehta, Ratna Munshi, Ameesh Oza, Anjana Parikh, Gaurang Parikh, Nikita Parikh, Sonal Parikh, Neha Pathak, Sanjiv Pathak, Pranita Suraiya, Palak Vyas, Ashish Vyas, and Parimal Zaveri.
Videography and video editing: Achal Anjaria
We are thankful to Narendrabhai Shukla, Sukumar Majmudar, and Alap Desai for their valuable guidance and support.

This is a KAMP Music production.

રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……

ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….

રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..

રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..

રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……

મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..

– મેધલતા મહેતા

ગ્લૉબલ કવિતા: સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જે મીઠાશથી વાગે છે સૂરમાં.

જેટલી સુંદર છે તું, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી વહાલી,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો.

સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સહુ ખડકો પીગળી જાય સૂર્યથી;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી જાય સરકી…

અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું, થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે હજારો માઇલ કેમ ન હોય.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત.

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ આપણે જાણીએ જ છીએ કે નામમાં શું છે! અને એમાં પણ પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. કવિ કહે છે કે એનો પ્રેમ લાલ ગુલાબ જેવો છે. લાલ શબ્દની પુનરુક્તિ પ્રેમની ભાવનાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. માત્ર લાલ નહીં પણ લાલથીય વધુ લાલ હોય એવા ગુલાબ જેવો કવિનો પ્રેમ એ પ્રેમથીય વધુ બળવત્તર છે અને એ પણ જુન મહિનામાં ખીલેલા સાવ નવાનવા ગુલાબ જેવો તરોતાજા.

આપણે ત્યાં જુનમાં ચોમાસુ શરૂ થાય, સ્કૉટલેન્ડમાં જુનમાં ઉનાળો શરૂ થાય. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) સ્કૉટલેન્ડનો જુન એટલે લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોની મોસમ. મોસમ ખુશનુમા હોય એટલે માનવીનો મિજાજ પણ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં ખીલેલા નવા નવા લાલ લાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી જ એની પ્રેયસીને કહી શકે કે સૂરમાં વાગતી હોય એવી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો મારો પ્રેમ છે.

રૉબર્ટ બર્ન્સનું આ ગીત અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા છે. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયું અને ગવાયું છે. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે.

ખૂબ નાની વયે દુનિયા છોડી જનાર પણ અલ્પાયુમાં પણ મોટું કામ કરીને અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની યાદી બહુ લાંબી છે. માત્ર સાડત્રીસ વર્ષ (૧૭૫૯-૧૭૯૬)નું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ આ યાદીમાં માનભેર શામેલ થઈ શકે એવો કવિ છે. સ્કૉટલેન્ડના એક ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાંનો એક બર્ન્સ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’નું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં મજૂરી, ખેતી, એક્સાઇઝની નોકરી –આ બધામાં ઝોલાં ખાતા ખાતા જીવ્યો. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યો પણ સફળતા પચાવી ન શક્યો. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ એ પણ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યો નહોતો. એ જમાનામાં અસાધ્ય હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારીએ એનો અકારણ ભોગ લીધો.

ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખેલ ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયા. પ્રાદેશિક હવા, સ્થળો અને રિવાજોને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે એ સ્કોટલેન્ડનો રાષ્ટ્રીય કવિ ગણાયો.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા ફકરામાં સમજી શકાય છે. કોઈ છોકરી બહુ ‘હોટ’ દેખાતી હોય તો શું આપણે એમ કહેવાની ધૃષ્ટતા કરીએ કે તું જેટલી હોટ દેખાય છે એટલો હું તને પ્રેમ કરું છું? પ્રેમની બેફિકરાઈ અને પરાકાષ્ઠાથી પરિચિત કાવ્યનાયક પ્રેયસીને બિન્દાસ કહે છે કે તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”)

ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. આ જુદાઈ ભલે હજારો માઈલોની કેમ ન હોય એ બહુ લાંબી નથી. (Journeys end in lovers meeting૧૦)નાયક પાછો ફરશે જ. રાહ જોવાનું છોડીશ નહીં. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે.

પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧)

(લેખમાં ટાંકેલા તમામ અંગ્રેજી અવતરણ શેક્સપિઅરના છે:
1. રોમિઓ એન્ડ જુલિએટ
2. સૉનેટ નં. ૧૮
3. ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના
4. રોમિઓ એન્ડ જુલિએટ
5. અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ
6. ધ મર્ચન્ટ ઑફ વેનિસ
7. લવ્સ લેબર્સ લોસ્ટ
8. સૉનેટ નં. ૧૮
9. મચ અડુ અબાઉટ નથિંગ
10. ટ્વેલ્ફ્થ નાઇટ
11. વિનસ એન્ડ એડોનિસ)

ગ્લૉબલ કવિતા: મમ્મી. રસ્તો કર. જવા દે. – ઉષા એસ.

To Mother

Mother, don’t , please don’t,
don’t cut off the sunlight
with your saree spread across the sky
Blanching life’s green leaves.

Don’t say: You’re seventeen already,
don’t flash your saree in the street,
don’t make eyes at passers-by,
don’t be a tomboy riding the winds.

Don’t play that tune again
that your mother,
her mother and her mother
had played on the snake-charmer’s flute
into the ears of nitwits like me.
I’m just spreading my hood.
I’ll sink my fangs into someone
And lose my venom.
Let go, make way.

Circumambulating the holy plant
In the yard, making rangoli designs
To see heaven, turning up dead
Without light and air,
For God’s sake, I can’t do it.

Breaking out of the dam
You’ve built, swelling
In a thunderstorm,
Roaring through the land,
Let me live, very different
From you, Mother.
Let go, make way.

– Usha S (Kannad)
(Eng Translation by A K Ramanujan)

મમ્મીને

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.

નહીં કહે: તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.

સોળ કે સત્તર– ઉંમરના સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી-જીવવી-જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય-સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં પાંચ-પાંચ દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ-પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજની મમ્મીઓ પોતાની છોકરીની ચારેફરતી લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે. (જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે)

ખેર, પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ આવી જ કોઈ ટીનએજર આપણા સમાજની સ્થાપિત કુ-પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. એસ. ઉષાની આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા-દીકરીઓની સાથે બાપને અને આખા સમાજને સમાન સ્પર્શે છે. કન્નડ સાહિત્યકાર એસ. ઉષા કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે.

પ્રસ્તુત રચના એમની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. બિલકુલ સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. આખેઆખું સંવેદનાતંત્રને હચમચી જાય એવી રચના…

નકારની નક્કરતા ધ્યાન ખેંચે છે. પહેલી નવ પંક્તિમાં એક-બેવાર નહીં, આઠ-આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ રજૂ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે ગળુ એવીરીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, કાવ્યનાયિકા પોતાની મમ્મીને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં જ સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે. સંતાનોના રક્ષણ માટે મા-બાપ છાપરું બનીને ઊભા રહે છે પણ માએ ફેલાવેલો આ પાલવ હકીકતમાં જીવનવૃક્ષના લીલા પાનને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દે છે.

સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, હવે તારાથી આમ ન થાય. અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એ આ રક્ષણને સાફ નકારે છે. મમ્મીઓએ ખેંચી કાઢેલી લક્ષ્મણરેખા સામે એ સાફ બળવો પોકારે છે. મમ્મી ભલે કહે, સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે, હવે શેરીઓમાં આમ છોકરાઓની જેમ રખડ નહીં, ઠરીને ચાલતાં શીખ. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:

अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे-रवां मिले न मिले । (આનન્દનારાયણ ‘મુલ્લા’)
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગર્દન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’, ‘બેટી તેની ગર્દન હેઠી’- આપણી કહેવતોમાંથી જ આપણી દીકરીઓ તરફની વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. આપણે ભૂલી ગયા છીએ કે પુત્ર તો પુત્ નામના નર્કમાંથી મર્યા બાદ ઉગારશે, દીકરી તો પૃથ્વી પર ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા-દેખાડવાના દાંત અલગ છે.

પણ હવે બહુ થયું. હવે પરંપરાના નામ પર મને બારી-બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો પણ મારાથી નહીં બને. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી-સડીને મરવું મારી ફિતરત નથી. તમે બાંધી રાખેલા બંધ ને બંધનો તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

ગ્લૉબલ કવિતા: એક મજાનું ગીત – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

સ્ટિફન ક્રેન. આયુષ્ય ગણવા બેસો તો બે હાથની આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યો હોય એમ લાગે. લખ-વા ન થયો હોય એમ ક્રેને માત્ર ચાર વર્ષની ઉંમરે લખવાની શરૂઆત કરી હતી. સોળ વર્ષની ઉંમરે તો એમના લેખો છપાવા માંડ્યા હતા. માત્ર ૨૮ વર્ષનું અલ્પાયુષ્ય (૦૧-૧૧-૧૮૭૧ થી ૦૫-૦૬-૧૯૦૦). છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે.

ચૌદ બાળકોના પરિવારમાં એ સહુથી નાના. બહેને ઉછેર્યા અને ભણાવ્યા. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી યાને કે એ જમાનાની રુઢિથી ઉફરી ચલનારી હતી. ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે. કહેવાતી વેશ્યાના કેસમાં સાક્ષી બનવા બદલ વર્ષો સુધી ક્રેન ગામચર્ચાનું પાત્ર બન્યા હતા. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં રસ્તામાં પ્રથમ મહિલા યુદ્ધ ખબરપત્રી કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે જીવનસંગિની તરીકે પછી સાથે રહી. જહાજ પાણીમાં ડૂબી જતાં ત્રીસ કલાક નાના હોડકાના સહારે પણ રહ્યા ને બચી ગયા. પણ દીર્ઘાયુષ્ય નસીબમાં હતું નહીં તે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં એમણે શ્વાસ છોડ્યો.

અહીં સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને, કવિતાની વિભાવનાને સરસ રીતે સમજાવે છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને “सुबह होती है, शाम होती है; उम्र यूं ही तमाम होती है”ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે. કળા જીવી જવા માટેનું ચૈતસિક બળ પૂરું પાડે છે. આપણે ત્યાં કહેવાયું છે, “साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।” (કળાવિહીન મનુષ્ય સાક્ષાત્ પૂંછડા અને શિંગડા વિનાના પશુ સમો છે.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, ઘર નહોતાં ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય (સંપૂર્ણ એકાગ્રતા), બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, “अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।” અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be.

કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે. કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ કે લપોડશંખનો કોઈ તોટો નથી એટલે એ પોતાની મિલકત વિશે ખાતરી પણ કરાવવા માંગે છે. પોતાની પાસે એક મજાનું ગીત છે એ વાત એકદમ સાચી છે એમ કહ્યા પછી પણ કવિને વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે મારો વિશ્વાસ કરો. કેમકે,

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિતા પંખી જેવી છે, આઝાદ. વર્ડ્ઝવર્થ કહે છે, Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે) પણ આ લાગણીઓ કાગળ પર ઉતારવા જઈએ ત્યારે? શું એ લાગણીઓનું સ્વરૂપ પણ બદલાઈ નથી જતું? અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો છે ખરો? અહીં કવિએ પણ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… અને ઊડી ગયેલા વિચાર પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની. પંખીઓની સાચી જગ્યા જેમ મુક્ત આકાશ એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળની છાબલીમાં અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ કરીએ એ ઘડી એના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !