ગ્લૉબલ કવિતા: અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આવકારો મીઠો આપજે રે…
“આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે” બાર વર્ષના છોકરાને એના બાપની પાછળ ચાલતો આવતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે બાળકમાં રહેલી શક્તિ અને સંભાવનાઓનો ક્યાસ કાઢીને આમ કહ્યું. આઠસો વર્ષ પહેલાંની આ વાત. આ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું. આજના અફઘાનિસ્તાનના બલ્ખી (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદને ત્યાં જલાલુદ્દીન મુહમ્મદ રુમી/બલ્ખીનો જન્મ થયો. (૩૦-૦૯-૧૨૦૭ થી ૧૭-૧૨-૧૨૭૩) બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. પિતાના મૃત્યુ બાદ રુમીએ દરવેશ સમાજમાં શેખનું સ્થાન લીધું પણ તબ્રીઝના શમ્સે એનું જીવન બદલી નાંખ્યું.

શમ્સે પોતાના મટે કોઈ સાથી-સંગાથી શોધતા ફરતા હતા. રુમીએ પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. અને રુમીએ પોતાની જાત ધરી દીધી. એવી વાયકા છે કે શમ્સે પૂછેલા “કોણ વધુ મહાન, મુહમ્મદ કે બિસ્તમી?” (અબુ યઝિદ અલ-બિસ્તમી ઈશાન પર્શિયામાં જન્મેલા મહાન સૂફી સંત હતા) પ્રશ્નમાં રહેલું ઊંડાણ પારખતાવેંત રુમી બેહોશ થઈ ઢળી પડ્યા હતા. એ પછીએ રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ પણ હંમેશા રહસ્યમય બની રહ્યો. રુમી સાથેના સંબંધથી સર્જતી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંને વચ્ચેનો સંબંધ ચર્ચાની ચકડોળે ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક કુરબાન ભેટ ધર્યું. રુમીની કવિતામાં શમ્સ માટેની તરસ સતત વ્યક્ત થતી જોવા મળે છે. રુમી કહે છે, “હું શા માટે શોધું છું? હું એ જ છું. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.” શમ્સના ગયા પછી એનું સ્થાન પહેલાં સલાદ્દીન ઝારકુબે અને પછી હસમ ચેલેબીએ લીધું.

રુમીની કવિતાઓ આત્માની શોધને દેહની તરસરૂપે વ્યક્ત કરે છે. રુમીની અલગ-અલગ કવિતાઓમાં પણ એક સળંગસૂત્રીતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એની રૂબાઇ, ગઝલ, મથ્નવી-બધામાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. દરેક કવિતામાં દરિયાનો આછો આછો સાદ સંભળાતો રહે છે. વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ ગણાતા રુમી આજે વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાતા કવિ છે.આમસ્તમૌલા સૂફી સંતકવિની રચનાઓની બરાબરી કરે એવા કવિ આજે પણ જડવા મુશ્કેલ છે.

રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે. હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે કે કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે. રુમી આ ઊર્જાને જ ઉપર તરફ ગતિશીલ કરવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે.

આ કવિતા માટે એક લીટીમાં કહેવું હોય તો લેટિનભાષામાં આમ કહી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

રૂમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પોઝિટિવિટિથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાયત પણ કરે છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રૂમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ હજારો વરસે એક જ થાય છે. રૂમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે પણ ટકોર કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ પણ કરી નાંખે. આખેઆખું અસ્તિત્વ શૂન્ય બની જાય એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવું પણ થાય. રૂમી તો આવા હિંસક દુઃખોનું પણ સન્માનપૂર્વક સરભરા કરવા કહે છે. સંપૂર્ણ ખાલી થવું એ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય યાદ આવે:

ઘણુંકઘણુંભાંગવું, ઘણઉઠાવ, મારીભુજા !
ઘણુંકઘણુંતોડવું, તુંફટકારઘા, ઓભુજા !

તોડીફોડીપુરાણું,
તાવીતાવીતૂટેલું.
ટીપીટીપી બધું તે અવલનવલત્યાંઅર્પવાઘાટએને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટદેને.

મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારો કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે.

કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
“કેમ તમે આવ્યા છો ?”એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.

‘The Waiting Rooms’ on Feb 25th! Brought to Bay Area by Javanika Entertainments.

The most awaited, the most acclaimed, and most applauded Gujarati Drama with outstanding reviews!!

‘The Waiting Rooms’

Date : February, 25 2017 (Saturday)
Time : 6.30 PM
Venue : Mexican Heritage Plaza

Tickets available on www.sulekha.com / www.tickethungama.com Or Call Jagruti – 510.304.2903

16729209_10154955816283433_79054738443060930_n

ગ્લોબલ કવિતા: કોઈ અટકા હુઆ હૈ પલ : ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अभी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

લાગે છે આજકાલ એ એકલા
હોઠ પર આવી મુજ ગઝલ છે કદાચ,

દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.

જાણ છે, ફળ શું છે ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

તમે સમ્પૂરન સિંહ કાલરા કહો તો મગજ ચકરાવે જ ચડી જાય ને? પણ ગુલઝાર કહો તો! ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાનાં સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ, સફળતમ ફિલ્મી ગીતકાર, ઉત્તમ ફિલ્મોના લેખક, દિગ્દર્શક ગુલઝારના નામથી ભાગ્યેજ ગઈકાલ અને આજની પેઢીના કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે.

૧૮/૦૮/૧૯૩૬ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં જન્મેલા ગુલઝારનો પરિવાર ભાગલાના સમયે અમૃતસર આવી વસ્યો. તત્કાલીન રિવાજ મુજબ પેટિયું રળવા ગુલઝાર મુંબઈ આવ્યા. વર્લીમાં એક ગેરેજમાં મિકેનિક તરીકે કામે લાગ્યા. બિમલ રૉયે કાદવમાં ખીલતા કમળને પારખી લીધું અને આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગુલઝાર અદભુત ગઝલ આપે છે. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ તો છીએ પણ આપણે સહુ જાણીએ પણ છીએ કે સમય નથી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદીના જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે પણ આવનાર સમય આપણી મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરો એ “આગામી કોઈ પેઢીને દેતાં હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ સોચના કાંટામાં ભરાઈ અટકી પડ્યો છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના સૌંદર્યને ઉજાગર કરી આપે છે. સડસડાટ વહી નીકળતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય પછી ઇસ્ત્રી કરી શકાતી નથી.

પ્રેમમાં એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. અહીં ગુલઝાર એ જ પંક્તિ લઈને આવે છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.

સારાં કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં એના પર અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનુશી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે.

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?
ગાલિબ કહે છે, શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. શેની તલાશ છે જે માટે હવે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝારે ગાલિબના કામ સાથે પોતાની કવિતાને ઘણીવાર તાણા-વાણાની જેમ વણી લીધી છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે નવી જ કમાલ કરી છે. અહીં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય.

પ્રિયતમાને ચાંદની ઉપમા તો કવિઓ સદીઓથી આપતા આવ્યા છે પણ ગુલઝાર ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાનને પણ નવો રંગ આપીને એક નવી જ સૃષ્ટિ સર્જી શકે છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લૉબલ કવિતા: મારો તમામ સંકોચ – વિદ્યાપતિ ઠાકુર (અનુ. વિવેક મનહર ટેલર)

All My Inhibition Left Me In A Flash

All my inhibition left me in a flash,
When he robbed me of my clothes,
But his body became my new dress.
Like a bee hovering on a lotus leaf
He was there in my night, on me!

True, the god of love never hesitates!
He is free and determined like a bird
Winging toward the clouds it loves.
Yet I remember the mad tricks he played,
My heart restlessly burning with desire
Was yet filled with fear!

– Vidyapati Thakur

મારો તમામ સંકોચ

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર
એમ જ એ મારી રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો, મારી ઉપર!

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ ઠાકુર
(અનુ. વિવેક મનહર ટેલર)

બેબાક સંભોગશૃંગારનું આ અલ્લડ પ્રણયકાવ્ય આજથી સાતસો-આઠસો વર્ષ પહેલાં કોઈ લખી ગયું હતું એમ કોઈ કહે તો કેવો આંચકો અનુભવાય? ઘડીભરની રાહ જોયા વિના પ્રિયાના શરીરને તમામ વસ્ત્રોની કેદમાંથી આઝાદ કરી દઈ પોતે જ એનું વસ્ત્ર બની જાય, બંને પ્રેમીઓની ત્વચા એક બની જાય, અને આ સમ્-ભોગ રાત આખી ચાલતો જ રહે, ચાલતો જ રહે… કેવું પ્રબળ અને મુખર પ્રેમગીત! સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય.

આવી કલમ ચૌદમી-પંદરમી સદીમાં બિહારના મધુબની જિલ્લાના બિષ્પી (બિસપૂ) ગામમાં થઈ ગયેલા વિદ્યાધર ઠાકુરની હતી. નેવુ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવનાર વિદ્યાપતિ મૈથિલિના કોકિલ તરીકે જાણીતા છે. એમની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. કબીર-મીરાના સમયકાળ પહેલાં લખાયેલ રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની સેંકડો કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે. આ ઉપરાંત એમની શિવસ્તુતિઓ પણ શ્રેષ્ઠ ભક્તિપદોમાં મોખરે બિરાજે છે. રાજા શિવસિંહના દરબારમાં કવિ તરીકે એ સ્થાન શોભાવતા હતા. કહે છે, એકવાર અલાઉદ્દીન ખિલજીએ રાજા શિવસિંહને કેદ કરી લીધા હતા. વિદ્યાપતિ એમને છોડાવવા ગયા ત્યારે ખિલજીએ પોતાના રાજકવિ સાથે એમની વાક્સ્પર્ધા યોજી જેમાં વિદ્યાપતિ જીતી જતાં રાજા મુક્ત થયા હતા. એવી પણ દંતકથા છે કે ભગવાન શિવ સાક્ષાત્ એમના ઘરે ઉજ્ઞ નામના નોકર તરીકે રહેતા હતા. પત્ની દ્વારા એકવાર ઉજ્ઞની પિટાઈ થતી જોઈ વિદ્યાપતિએ નોકરની હકીકત પત્નીને કહી અને શિવ અજ્ઞાતવાસની શરતભંગ થવાથી ગાયબ થઈ ગયા. વિદ્યાપતિની કવિતાઓનું પ્રભુત્વ પછીની સદીઓમાં પૂર્વ ભારતીય અને નેપાળી ભાષાઓ પર ભારોભાર જોવા મળે છે.

પ્રચુર શૃંગારરસની આવી રચનાઓનું આચમન કરીએ ત્યારે સહેજે સમજી શકાય છે કે પ્રેમ અને સેક્સ આપણી સંસ્કૃતિનો મજબૂત અને તંદુરસ્ત હિસ્સો હતા. આજે તો સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. વાલ્મિકીરામાયણમાં જે સમાજનું આલેખન છે એ બેફામ ભોગવિલાસ, પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં કશો શરમસંકોચ અનુભવતો નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(विसर्ज्य ऐनान् सचिवान् यथापूर्वं अरिंदम, ततः क्रिडामहे सर्वा वनेषु मदनोत्कटा। (કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

આપણા સાહિત્યમાંથી જ પ્રણયશૃંગારના બે’ક દાખલા લઈએ:

अद्यापि तां प्रणयिनीं मृगशावकाक्षीं पीयूषवर्णकुचकुम्भयुगं वहन्तीम् ।
पस्याम्यहं यदि पुनर्दिवसावसाने स्वर्गापिवर्गवरराज्यसुखं त्यजामि॥ (બિલ્હણ – ચૌરપંચાશિકા)

(આજે પણ જો દિવસ સમાપ્ત થયા બાદ મૃગબાળ સમાન નેત્રોવાળી અને દૂધ જેવા ધવલ વર્ણના સ્તનકુંભયુગ્મને ધારણ કરતી પ્રિયતમાને દેખી શકું તો હું સ્વર્ગ, મોક્ષ અને શ્રેષ્ઠ રાજ્યના સુખને ત્યાગી શકું છું.) (બિલ્હણ – ચૌરપંચાશિકા)

सुप्तोडयं सखि! सुप्यतामिति गताः सग्व्यस्ततोडनंतरं
प्रेमावेशितमा मया सरलया न्यस्तं मुखं तन्मुखे।
ज्ञातेड्लीकनिमीलने नयनयोर्धूर्तस्य रोमांचतो
लज्जासीन्मम तेन साप्यपहृता तत्कालयोग्यैः क्रमः॥ ॥३७॥

(હે સખી! આ (પ્રિય) સૂઈ ગયો છે તેથી હું પણ સૂઈ જઈશ એવું કહેતાં સખીઓ ગઈ. પ્રેમાવેશમાં ત્યારબાદ મેં તેના મુખમાં મારું મુખ મૂક્યું (ચુંબન કર્યું). ત્યારે તે ધૂર્તના રોમાંચ ચિહ્નો (શિશ્નોત્થાન) જોતાં મેં જાણ્યું કે તે આંખો મીંચી સૂવાનો ઢોંગ કરે છે. હું લજ્જાશીલ થઈ પણ તેણે મને હરી લઈ તત્કાળ યોગ્ય ક્રમથી (સંભોગ) કર્યો.) (અમરુક-અમરુશતક)

કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… ખજૂરાહોના અમર શિલ્પો અને કામસૂત્રને કેમ ભૂલી જવાય? પણ કમનસીબે આજે આપણી કવિતાઓમાં જાતિયતા કે જાતીય અંગોની ખુલ્લી વાત આવે તો નાકનાં ટેરવાં ચઢી જાય છે.

વિદ્યાપતિની રચના દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. આ રચના ઇશ્કે-મિજાજીની નથી, ઇશ્કે-ઇલાહી, ઇશ્કે-હકીકીની છે. અહીં કેન્દ્રમાં માત્ર ઈશ્વરપ્રેમ- બ્રહ્નવાદનું સૌંદર્ય જોવા મળે છે. હવસની બૂ નથી. અને એટલે જ કવિતા ઉત્કૃષ્ટતાના પગથિયા સડસડાટ ચડી જાય છે.

करो प्रेम मधुपान शीघ्र ही यथासमय कर यत्न विधान।
यौवन के सुरसाल योग में कालरोग है अति बलवान। (અજ્ઞાત)

(પ્રેમરસપાન તરત જ કરી લો, સમયસર યત્ન-ઉપાય કરી લો (કેમકે) યૌવનના રસાળ યોગમાં કાળરોગ ખૂબ જ બળવાન છે) કાવ્યનાયક આ ઉક્તિથી પરિચિત હોય એમ ક્ષણાર્ધમાં નાયિકાને વસ્ત્રહીન કરે છે અને વસ્ત્રોની સાથે જ પળભરમાં જ રહ્યો સહ્યો સંકોચ પણ દૂર થઈ જાય છે. બે શરીર કામકેલિમાં એકાકાર થઈ જવાની ચરમસીમા એ જ પ્રેમ. શૃંગારશતકમાં ભર્તૃહરિ કહે છે, आलिङग्तायां पुनरायताक्ष्यामाशास्महे विग्रहयोर्भेदम्। (આલિંગન કરી લેવાથી આપણે માનીએ છીએ કે આપણું અને તેણીનું શરીર મળીને એક થઈ જાય)

પ્રેમને કદી પરમિશન માંગવી નથી પડતી કેમકે दोनों तरफ लगी है आग बराबर की. પ્રેમ આઝાદ પણ કૃતનિશ્ચયી લાગણીનું બીજું નામ છે. એટલે જ તો સદીઓથી જમાનાની કાળમીંઢ ચટ્ટાનો સાથે ટકરાઈને અવારનવાર ચૂરેચૂરા થવા છતાં પ્રેમ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી સજીવન થતો જ રહ્યો છે, રહેશે. શારીરિક સુખની આકાંક્ષાઓથી તન ગમે એટલું બળતું હોય પણ પૂર્વાપેક્ષિત સમાગમ ડરની લહેરખી થઈ રૂંવાડા તો ઊભા કરી જ દે છે… પ્રણયનો દેવતા તરીકેનો સ્વીકાર દૈહિકમાંથી ઐહિક તરફ લઈ જતું પ્રથમ પગલું છે…

ગ્લૉબલ કવિતા: પૈસો – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.
It is the money that counts
and money makes money,
but what makes money make money?
– Henry Miller

પૈસો

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.
એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

ગિન ગિન કે સિક્કે હાથ મેરા ખુરદુરા હુઆ,
જાતી રહી વો લમ્સ કી નરમી, બુરા હુઆ. (જાવેદ અખ્તર)

(સિક્કા ગણી-ગણીને હાથ એવો ખરબચડો થઈ ગયો છે કે હવે સ્પર્શની નરમી ચાલી ગઈ છે.) પૈસાની ગતિ જ ન્યારી છે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, “તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.”

ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડે ૧૯૩૫માં હેનરી મિલરની ચર્ચાસ્પદ નવલકથા “ટ્રૉપિક ઑફ કેન્સર” વાંચીને પોસ્ટકાર્ડ લખ્યો ને પૂછ્યું, “તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?” ત્રણ વર્ષ પછી મિલર ૪૬ પાનાંની પુસ્તિકા “મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે” લઈને આવે છે. આ કવિતા એ પુસ્તકનો જ ભાગ છે કે અલગ સર્જન છે એની જાણકારી મળી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે.

“ધન”નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘ધનમ્’ શબ્દ એ ‘ધનાતિ’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. ધનમ્ નો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને દેશ કોઈપણ હોય, સંસ્કૃતિ કોઈપણ હોય અને સમય પણ ભલે કોઈપણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… “દૌલત” શબ્દ અરબીમાંથી ઉતરી આવ્યો છે. મૂળ ધાતુ ‘દવલ’ છે, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) “દ્રવ્ય” શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. “પૈસો” શબ્દની ઉપપત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘પેન્ડર’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘પેન્સમ’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘પેસો’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –એનું વજન સરખું જ પડે છે. બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

આદિ શંકરાચાર્ય તો ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: “यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।” (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે. સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ) मूढ़ जहीहि धनागमतृष्णां| (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ) अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्| (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીર પણ કહી ગયા, “અવધૂ માયા ત્યજી ન જાઈ.” પૈસાને લગતી કહેવતો -‘પૈસા વગરનો ઘેલો અને સાબુ વગરનો મેલો’, ‘પૈસાના કંઈ ઝાડ ઊગે છે’, ‘પૈસાનું પાણી કરવું’, ‘પૈસે કોઈ પૂરો નહિ, ને અક્કલે કોઈ અધૂરો નહિ’- માંડવા બેસીએ તો આખો લેખ લખાઈ જાય.

હેન્રી મિલરે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણે ત્યાં પણ પૈસાને પરમેશ્વર ગણાયો જ છે. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. અને પૈસો જેટલો મળે, ઓછો જ પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંકૃતિ માટે યથાર્થ છે. “नेति नेति” મનુષ્યજાત માટે સદૈવ ધન માટે જ સાર્થક રહ્યું છે.

પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.પૈસાની જ ગણના છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

ગ્લૉબલ કવિતા: દ્રાક્ષ: – અનામી (ગ્રીક) અનુ. વિવેક મનહર ટેલર

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
અનુ. વિવેક મનહર ટેલર

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

– મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ કહી ગયા, “ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.” નર્મદ જેવા ભડવીરે પણ ગાવું પડ્યું, “હરિ, તું ફરી જોબનિયું આપે” ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતમાં યક્ષ જે પ્રશ્ન પૂછે છે એમાંનો એક હતો, સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી.

આજે જે કવિતાની આપણે વાત કરીએ છીએ એ સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ” ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિ શૃંગારશતકમાં કહી ગયા:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।
(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ”

પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ફિલોડેમસની વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યપ્રેરક પણ ગણી છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. પણ કવિની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી સુદ્ધા નહીં, માત્ર પંખીની આંખ જ દેખાય છે એમ કાવ્યનાયક એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ એ જ ‘સર્વ’ છે. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું જીવનપાથેય છે. પ્રતીક્ષાની ચરમસીમાએ અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ આખી દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

(અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

ગ્લૉબલ કવિતા: માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back
—Melissa Studdard

*
માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદામાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું તમસો મા જ્યોતિર્ગમય…

ગ્લોબલ કવિતાની વાત થાય એટલે આપણી નજર શેક્સપિઅર, વર્ડ્સવર્થ, રૉબર્ટ ફ્રોસ્ટ જેવા જૂના અને જાણીતા નામ તરફ જ જાય. ભૂતકાળમાં લખાઈ ગયેલી સર્વકાલીન ઉત્તમ કવિતાઓ પણ ક્યારેક સમસામયિક હતી એ આપણે ભૂલી જઈએ છીએ. શા માટે આપણે એવી સાંપ્રત કવિતા તરફ નજર ન કરીએ જેને આવતીકાલની પેઢી સર્વકાલીન શ્રેષ્ઠની યાદીમાં મૂકીને યાદ કરવાની શક્યતા હોય?

મોટી ભૂરી બોલકી આંખો, સોનેરી ઘેઘૂર વાળ ધરાવતી, ઉંમરના અડધા મુકામે પહોંચેલી અમેરિકાની સુંદર યુવાકવયિત્રી મેલિસા સ્ટડાર્ડની એક રચના આજે માણીએ. મેલિસા કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, રિવ્યૂ વિ. લખે છે. સાહિત્યિક કળામાં સ્ત્રીઓના અવાજ અને લિંગભેદ સામે વિડિયો ઇન્ટર્વ્યૂઝ વડે આંગળી ચીંધતી VIDA સંસ્થા સાથે એ સંલગ્ન છે. એમના કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ને ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કાર પ્રાપ્ત થયા છે. પ્રોફેસર તરીકે અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ગ્રીક પુરાકથાઓમાં ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે એટલસને પૃથ્વીના છેડે જઈને આકાશ(સ્વર્ગ)ને ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એટલસે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવા માટે પેઢુના જે સ્નાયુ વાપરીએ છીએ એ કામક્રીડામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે જેને જ્યાં સુધી યોનિમાં નાખી રાખીએ ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી “માન” કવિતા તરફ વળીએ. કવયિત્રીએ એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી એ બાબત ધ્યાન ખેંચે છે. આખી વાત સડસડાટ કોઈ પણ આરોહ અવરોહ વિના અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યક્લેવરના પ્રાણરૂપ છંદનો પણ ત્યાગ કરાયો છે કેમકે કુછંદીઓથી પિડાયેલી યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા કાવ્યનાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-ભોંકાતો રહે.

વાત એક યૌનપીડિતાની-નિર્ભયાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. શોષિતાની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. દરેક રાત એક યુદ્ધ છે. નવો પ્રુરુષ. નવો બળાત્કાર. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ અહીં કવિતા વળાંક લે છે.

આ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈને ખતમ થઈ જતા નથી, પણ ફૂદામાં પરિવર્તન પામે છે એ કાવ્યનાયિકાના પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

એના જીવતર પર કાળા લિસોટાઓ પડી ગયા છે. પોતાના પર થયેલા અત્યાચારોની વાત હાથ બાંધનાર બળાત્કારીઓને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝ સાથે એ શેર કરે છે. પણ એ મરી પરવારી નથી. બળાત્કાર થવા છતાંય એ પોતાની જન્મજાત આંતર્શક્તિ ગુમાવતી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને-યૌનપીડિતાને ‘માન’ આપે છે.

જંગલને યાદ નથી કરવું વાલમજી ! – મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી !

ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.

પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

– મનોજ ખંડેરિયા

છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં – ચિંતન નાયક

સ્વર – હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર

itunes download link :  https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337?ls=1

છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!

ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!

ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!

ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye

મારી કબર પાસે

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું એ હજાર પવનો છું જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણાઓ પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

સૂંઠના ગાંગડે ગાંધી થવાય?

એક જ કવિતા લખીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિઓ કેટલા? ગણવા બેસીએ તો કદાચ આંગળીના વેઢા પણ વધુ પડે. ૧૯૦૫માં જન્મેલ અને છે…ક ૨૦૦૪માં ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી દુનિયાને ગુડ બાય કરનાર મેરી એલિઝાબેથ ફ્રે કદાચ આવા જ વિરલ કવયિત્રી છે જેમના વિશે માનવામાં આવે છે કે આ એક જ કવિતા એમણે લખી છે. એવું બની શકે કે બીજી કવિતાઓ સચવાઈ જ ન હોય. પણ એક દાયકા પહેલાં સુધી કવયિત્રી આપણી વચ્ચે હતા એ હકીકત ધ્યાનમાં લઈએ તો એમની અન્ય રચનાઓ કાળના વહેણમાં ખોવાઈ ગઈ હોવાનું માનવું જરા દુષ્કર થઈ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કવિતા કોઈ બીજાની જ છે. હકીકત જે હોય એ, પણ એક જ કવિતાએ કોઈ કવિને અમરત્વ બક્ષ્યું હોય એવી જવલ્લે જ જોવા મળતી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. વિશ્વભરના કબ્રસ્તાનોમાં, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં અને અસંખ્ય સ્થળૉએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે.

કહેવાય છે કે મેરીની સાથે રહેતી એક જર્મન યહૂદી મિત્ર માર્ગારેટ જર્મનીની ખરાબ રાજકીય પરિસ્થિતિના કારણે પોતાની બિમાર માતાને મળવા જઈ શકતી નહોતી. માતાના મૃત્યુ પર માર્ગારેટે મેરીને કહ્યું કે પોતાની માતાની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ આ કાવ્ય લખી નાંખ્યું. છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈ માહિતી નહોતી. એ પછી કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો અને જાણીતા લેખક એબિગેલ વાન બુરેને આ દાવો પુરવાર કર્યો. ઓહાયોમાં જન્મેલા, ત્રણ વર્ષની ઉંમરે અનાથ બનેલ મેરી એલિઝાબેથ ક્લર્ક બાલ્ટીમોર ખાતે ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ધ બુકવર્મ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. ૧૦ વર્ષ પછી ધ ટાઇમ્સએ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સમાજ અને દેશની તમામ સરહદો પાર કરી ચૂકી છે”

વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય એવા હજારો લોકોના પ્રતિભાવ ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાના ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

પ્રેમ કેવી અદભુત અનુભૂતિ છે ! એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા સ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન હવે ચાલ્યો ગયો છે. એ હવે કબરની નીચે છે. પણ પોતાના પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું એને ભાન છે, ચિંતા છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ કદી મરતો નથી. પોતે શું છે એ કહેવા માટે કવયિત્રી પવનનું બહુવચન વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? (જોયો આ “વરસાદો” શબ્દ?)

એક પછી એક પ્રતીકો વાપરી કવયિત્રી મૃતકના સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. પણ મોટાભાગના પ્રતીક જીવનની સંધ્યાનો અહેસાસ કરાવે છે. બરફ પર ચળકતી હીરાકણીઓ એ વાતનો પણ ઈશારો છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓ – એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે. નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિઓનું પુનરાવર્તન વાતને દૃઢ કરે છે કે મૃતક ખરેખર મૃત્યુ પામી જ નથી. એ કબરમાં છે જ નહીં એટલે કબર પાસે ઊભા રહી વિલાપ કરવાનો શો અર્થ?

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ,
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.