ગ્લૉબલ કવિતા :૭૯ : રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

રાત અને મૃત્યુ
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુ – અજવાળામાં છૂપાઈ ગયેલું અજવાળું?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જે વસ્તુ વિશે આપણે જાણી લઈએ છીએ એ આપણને ડરાવી શકતી નથી પણ જે વસ્તુ વિશે આપણે પૂરતું જાણી શકતા નથી એ ડર બનીને આપણા મનોમસ્તિષ્કનો કબજો લઈ લે છે. ઈશ્વર વિશે આપણે કંઈ જાણતા નથી એટલે આપણે ડરીએ છીએ. માનવીના મનમાં જો ઊંડે ઊંડેથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય જ નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. જે ક્ષણે માણસ ગુનો આચરે છે એ એક ક્ષણ પૂરતો એ ઈશ્વર-પાપ-નરકના ડરથી સંપૂર્ણ મુક્ત હોય છે. જે ક્ષણે એનો ડર પરત ફરે છે, એ પ્રાયશ્ચિત કરવા બેસે છે. અંધારાનું પણ આવું જ છે. તમારી પાસે પ્રકાશનો કોઈપણ પ્રકારનો સ્રોત ન હોય તો અંધારામાં છાતીના પાટિયા બેસ્યા વિના નહીં જ રહે. ગાઢ જંગલમાં જ્યાં ચાંદતારાનો ટીપું પ્રકાશ પણ પહોંચી ન શકે અને પોતાનો હાથ પણ દેખી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી તમે પસાર થઈ શકો ખરા? મૃત્યુ પણ આવો જ એક ડર છે. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલું જ અકળ પણ છે. મૃત્યુ પામ્યા પછી કોઈ આપણી સાથે પોતાનો અનુભવ વહેંચવા પરત ફરી શકતું નથી. મૃત્યુ વિશે આપણે જે કંઈ લખ્યું-વાંચ્યું છે એ બધું જ કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ જોસેફ વાઇટ આજ અંધારા અને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પેનિશ પણ કર્મે અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પેનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પેન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પેનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગવા માંડ્યા. કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. છેવટે ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં એમની અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે પડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા અને એ એમની રચનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી એમણે ‘લેટર્સ ફ્રોમ સ્પેન’ પુસ્તક લખ્યું જેમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય હતો. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવ્યે રાખતા. સરલ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બને છે.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

રચનાની દૃષ્ટિએ ચૌદ પંક્તિની આ કવિતા સૉનેટના બે મુખ્ય પ્રકાર પેટ્રાર્કશાઈ અને શેઇક્સપિરિઅન સૉનેટની ભેળસેળ છે. ત્રણ ચતુષ્ક અને યુગ્મકની ગોઠવણ તથા યુગ્મકની પ્રાસ રચના (ગ-ગ) શેઇક્સપિરિઅન સૉનેટ પ્રકારની છે; જ્યારે પહેલી બાર પંક્તિની પ્રાસરચના અ-બ-બ-અ/અ-બ-બ-અ/ક-ખ-ક-ખ પેટ્રાર્કશાઈ સૉનેટ મુજબની છે. પેટ્રાર્કશાઈ સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે પંક્તિવ્યવસ્થા હોય છે. છંદ અંગ્રેજી ભાષામાં મહદ અંશે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર જ છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. કવિતાનું શીર્ષક ‘રાત્રિ અને મૃત્યુ’ અગોચર તરફની કવિતાની ગતિ તરફ આપણને તૈયાર કરે છે. રાતનું અને મૃત્યુનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક માત્ર એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. રાત અને મૃત્યુ બંનેમાં એકમાત્ર નિશ્ચિત બાબત અનિશ્ચિતતા છે. એ અર્થમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

અઢારમી સદીનો પૂર્વાર્ધ એ યુરોપમાં કળામાં ‘રોમેન્ટિસિઝમ’ની ચરમસીમાનો હતો. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ કળામાં ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા અને ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ એમની આ રચનામાં એની અસર સ્પષ્ટ નજરે ચડે છે. આ પ્રણાલિકાના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ અને પછી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા દરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જે પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હાયમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. આ એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી તથા મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ આપણી નજર સમક્ષ આવી ચડે છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા એ કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. કવિ આદમની જિંદગીમાં પહેલવહેલીવાર આવેલી રાતની વાત કરે છે. માનવજાતે જે ક્ષણે જિંદગીની પ્રથમ રાત અનુભવી હશે એ ક્ષણની આ વાત છે. આજની રાત પૂર્વે આદમે કદી રાત જોઈ જ નથી. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે, રાતને જોઈ છે. રાત સાથે એનો કોઈ જ પૂર્વપરિચય નથી. એને અંતઃસ્ફુરણા થાય છે કે આ અંધારું આખી દુનિયાનો અને એનો પોતાનો પણ અંત આણશે. ઉજાસ અને આસમાની રંગથી ભરેલી આ ભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે. આ પહેલાં એનો પરિચય માત્ર અજવાળા સાથે જ હતો. પ્રથમ પરિચય, પ્રથમ મુલાકાત, પ્રથમ અનુભૂતિની તો વાત જ અલગ.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી જાણે કે શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યના આથમવાની સાથે જ અંધારી રાત ઊતરી આવી અને રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અને અગણ્ય તારામંડળો લઈને આવે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું બધું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને મનુષ્યને પ્રકૃતિનું સર્જન કેવડું વિશાળ છે એનો પ્રથમ અહેસાસ થાય છે. ટૂંકમાં કહીએ તો દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં મનુષ્યની દૃષ્ટિ ઊઘડે પણ છે અને વિકસે પણ છે. આ જ તો કુદરતની કરામત છે અને કુદરતની આવી કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘ઓ સૂર્ય!’ એમ સીધું જ પૂછે છે કે તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે. જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાની-નાની વસ્તુઓને પણ તેં તારા અજવાળામાં છતી કરી દીધી છે અને એક એવો ભ્રમ ઊભો કર્યો છે કે અજવાળામાં બધું જ દેખી શકાય છે પણ હકીકત એ છે કે તારું અજવાળું આકાશની ભૂરી તેજસ્વી છતને અને એ છતમાંથી ઝળુંબતા અગણિત ગ્રહો-રત્નોની હાજરીની બાબતમાં મનુષ્યને ધોળેદહાડે અંધાપો આપે છે. ચાંદ-તારા કંઈ સૂર્ય ઊગતા ગાયબ નથી થઈ જતાં, એ તો છે જ. એ તો જ્યાં હતાં ત્યાં જ રહીને પોતપોતાના પરિભ્રમણોમાં રત છે પણ અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ જાય છે. આમ, જેને આપણે અજવાળું સમજીએ છીએ એની અંધારી બાજુ અને એ અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ખરા અંધાપાને કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. કેવી અદભુત વાત! કવિતા અહીં પૂર્ણ કરી દીધી હોય તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકે એવી આ વાત છે. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને પણ બીજું નિશાન તાકવા ઇચ્છે છે.

કાવ્યાંતે કવિ પોતાને જે વાત કરવી છે ત્યાં લઈ આવે છે. ‘રાત્રિ અને મૃત્યુ’ની વાત કરતી વખતે ચૌદમાંથી બાર પંક્તિ કવિ રાત્રિના નામે કરે છે અને મૃત્યુના નામે માત્ર આખરી દોઢ જ પંક્તિ કરે છે પણ કવિતા પૂરી થતાં જ સમજાય છે કે આખી કવિતા મૃત્યુને સંદર્ભે જ છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, નફરત કરીએ છીએ કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો કોઈનેય ખબર નથી જ પણ એ આપણને જ્યાં પણ લઈ જાય છે ત્યાંથી કોઈ પરત આવી શકતું નથી, આવી શક્યું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. પ્રકાશ ખુદ ઊઠીને જો છેતરી શકતો હોય, આપણને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે આપણને ન છેતરે? જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી. કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો ઊઠતો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

જે દેખાય છે એ જોવામાં મશગુલ થઈ જતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની જે બાજુ આપણને દેખાય છે એને જ એકમાત્ર બાજુ ગણીને ચાલવું એ જ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે જે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એ નરી આંખે ન દેખાય ત્યાં સુધી એને નકારતા રહેવું એ જ આપણી સાચી પ્રકૃતિ છે. મૃત્યુને પણ આપણે એ જ રીતે જાણે આવવાનું જ નથી એમ અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ જ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજ સુધી પહોંચે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *