ગ્લૉબલ કવિતા : ૮૪ : પુરાતત્ત્વવિદ્યા – કથા પોલિટ

Archeology

‘‘Our real poems are already in us
And all we can do is dig.’’
– Jonathan Galassi

You knew the odds on failure from the start,
That morning you first saw, or thought you saw,
Beneath the heatstruck plains of a second-rate country
The outline of buried cities. A thousand to one
you’d turn up nothing more than rubbish heap
of a poor Near Eastern backwater:
a few chipped beads,
splinters of glass and pottery, broken tablets
whose secret lore, laboriously deciphered,
would prove to be only a collection of ancient grocery lists.
Still, the train moved away from the station without you.

How many lives ago
Was that? How many choices?
Now that you’ve got your bushelful of shards
do you say, give me back my years
or wrap yourself in the distant
glitter of desert stars,
telling yourself it was foolish after all
to have dreamed of uncovering
some fluent vessel, the bronze head of a god?
Pack up your fragments. Let the simoom
Flatten the digging site. Now come
The passionate midnights in the museum basement
When out of the random rubble you’ll invent
The dusty market smelling of sheep and spices,
Streets, palmy gardens, courtyards set with wells
To which, in the blue of evening, one by one
Come strong veiled women, bearing their perfect jars.

– Katha Pollitt


પુરાતત્ત્વવિદ્યા

‘‘આપણી સાચી કવિતાઓ પહેલેથી આપણી અંદર જ છે
ને આપણે કંઈ કરી શકીએ છીએ તો માત્ર ઉત્ખનન.’’
– જોનાથન ગલાસી

તમે શરૂથી જ જાણતા હતા નિષ્ફળતાની સંભાવનાઓ,
એ સવારે જ્યારે તમે પહેલીવાર જોઈ, અથવા વિચાર્યું કે જોઈ છે,
ઊતરતી કક્ષાના પ્રદેશના ગરમીથી બેહાલ મેદાનોની નીચે
દટાયેલા શહેરોની રૂપરેખા. હજારે એકનો દાવ તો એ જ કે
તમે ખોદી કાઢવાના નથી કંગાળ નિકટપૂર્વી પશ્ચાદ્જળના
કચરાના ઢગલાથી વિશેષ કશું પણ:
થોડા મણકાઓના ટુકડાઓ,
કાચ અને માટીના વાસણોની કરચો, તૂટેલી તકતીઓ
જેની ગુપ્ત માહિતી, મહેનતપૂર્વક ઉકેલવામાં આવે,
તો પ્રાચીન કરિયાણાની યાદીઓના સંગ્રહથી વિશેષ પુરવાર નહીં થાય.
તોય, ટ્રેન તો સ્ટેશનથી દૂર નીકળી ગઈ તમારા વિના જ.

કેટલા જન્મો પહેલાંની
આ વાત છે? કેટલા વિકલ્પ?
હવે જ્યારે તમને પીપભરીને ઠીકરાં મળી ગયાં છે
શું તમે એમ કહેશો, મને મારા વરસો પાછાં આપી દો
અથવા ખુદને વીંટાળીને રણના
તારાઓના દૂરના ઝગમગાટમાં,
તમારી જાતને કહેશો કે આખરે તો એ મૂર્ખામી હતી
કો’ક અસ્ખલિત પાત્રને, દેવના કાંસાના માથાને
ઉઘાડા કરવાનું સ્વપ્ન જોયું એ?
સંકેલી લો તમારા ટુકડાઓ. રણની આંધીઓને
સપાટ કરી દેવા દો ખોદેલી જગ્યા. હવે આવશે
સંગ્રહાલયના ભોંયરામાં આવેશપૂર્ણ મધ્યરાત્રિઓ
જ્યારે ગમે તેવા રોડાંમાંથી તમે આવિષ્કાર કરશો
ઘેટાં અને મસાલાંઓથી ગંધાતી ધૂળિયા બજાર,
શેરીઓ, ખજૂરી બગીચાઓ, કૂવાઓ સહિતના આંગણાંઓ
જ્યાં, સાંજની નીલિમામાં, એક પછી એક
ગાઢાં બુરખાવાળી સ્ત્રીઓ આવશે, તેમનાં પરિપૂર્ણ ઘડાંઓ લઈને.

– કથા પોલિટ
(અનુ. વિવેક મનહર ટેલર)


ભીતરે કેટલું દટાયું છે?
એક લોથલ વસે છે મારામાં…

સ્મૃતિ નામનો પટારો જો માણસના જીવનમાં ન હોત તો, વિચારો તો શું થયું હોત? વધતી ઓછી સ્મૃતિ અન્ય પ્રાણીઓ જ નહીં, વનસ્પતિઓમાં પણ હોવાનું સાબિત થયું છે પણ માનવજીવનનો તો એ મુખ્યાતિમુખ્ય હિસ્સો છે. મોટા ભાગના માણસો આજ કરતાં વધારે વીતેલી કાલમાં જ જીવતા હોય છે. સ્મરણની ટ્રેનમાં બેસીને માણસ દિવસમાં હજારો વાર છૂટી ગયેલાં સ્ટેશનો પર ફરી-ફરીને જયા કરે છે. નવરાશની પળોનો તો એ કદાચ એકમાત્ર ઉદ્યમ છે. નજીકની-દૂરની સ્મૃતિઓનો ખજાનો ખોદી-ખોદીને માણસ એમાંથી ગમતાં- ન ગમતાં શબો કાઢીને એની સાથે રમતો રહે છે. મન પાસે કોઈ કોદાળી નથી પણ એના જેવી ચપળતાથી સ્મરણ બીજું કોઈ ખોદી પણ શકતું નથી. જમીન ધરતીની હોય કે મનની હોય, ખોદી કાઢવામાં આવે તો જે અશ્મિ અને અવશેષ હાથ લાગે છે એના પરથી વીતેલી કાલનું ચિત્ર યથાર્થ દોરી શકાય છે. અનિલ ચાવડા લખે છે:

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.

– કેવી સાચી વાત! જે ચાલ્યું ગયું એમાં સદેહે પુનઃપ્રવેશ શક્ય નથી પણ મન તો મન પડે કે તરત જ ત્યાં ઘુસ મારી બેસે છે. અનિલ સદેહયાત્રાની અસંભવિતતાની વાત કરે છે તો ગની દહીંવાલા અદેહયાત્રાની શાશ્વત સંભાવનાની વાત કરે છે:

વીતેલા દિવસોના ખોળિયામાં દિલ ગયું પાછું,
જીવાતી જિંદગી! રોકાઈ જા, આ શું થયું પાછું?

કથા પોલિટની ‘પુરાતત્ત્વવિદ્યા’ કવિતા ગઈકાલમાંના આ જ ખોદકામની વાતના સંદર્ભે કવિતાની વાત લઈને આવી છે.

કથા પોલિટ. જન્મ ૧૪-૧૦-૧૯૪૯ના રોજ ન્યૂયૉર્કમાં બ્રૂકલિન ખાતે. કવિ. લેખક. પત્રકાર. નારીવાદી. એ પોતાના બ્લૉગ પર પોતાની ઓળખમાં પહેલો શબ્દ જ ‘પોલેમિસિસ્ટ’ વાપરે છે, જે પરથી સમજી શકાય છે કે વિવાદાસ્પદ ચર્ચાઓમાં અગ્રેસર ભાગ ભજવવો એમને ગમે છે. સામાજીક અને રાજકીય સમસ્યાઓ તરફનો ડાબેરી અભિગમ એમના લખાણોમાં મુખ્યત્વે જોવા મળે છે. ગર્ભપાત, રંગભેદ, ગરીબી જેવા માનવાધિકારો માટે તેઓ કલમથી ઝુંબેશ ઊપાડે છે. તેઓ ભદ્દી અને ઉત્કૃષ્ટ એમ બંને પ્રકારની વિનોદવૃત્તિ માટે ખ્યાત છે. ‘ધ નેશન’ સામયિકમાં ૧૯૮૦થી આવતી એમની દ્વિમાસિક કૉલમ ‘સબ્જેક્ટ ટુ ડિબેટ’ પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચી છે. બાળપણમાં જ કથાનો કવિતામાં રસ જોઈને મા-બાપે એમને પ્રોત્સાહન આપ્યું. સાહિત્યમાં અનુસ્નાતક થયાં. ‘સ્મર્ફ્સ’ નામની પ્રખ્યાત કાર્ટૂન સ્ટ્રીપમાં સ્મર્ફેટ એકમાત્ર સ્ત્રી પાત્ર છે. કથા પોલિટે સ્મર્ફેટનું બૅપ્ટિઝમ (નામસંસ્કારવિધિ) કરી કૉઇન કરેલ ‘સ્મર્ફેટ પ્રિન્સિપલ’ શબ્દપ્રયોગ જગવિખ્યાત થયો છે. યુનિવર્સિટીમાં કવિતા શીખવતા હતા. ૧૯૮૭માં પહેલા લગ્ન અને ૨૦૦૬માં બીજા લગ્ન. હાલ મેનહટ્ટનમાં રહે છે.

‘પુરાતત્ત્વવિદ્યા’ શીર્ષક પરથી સમજી શકાય છે કે હજારો વર્ષ પહેલાં ધબકતી પણ કાળક્રમે ધરતીના ગર્ભમાં ધરબાઈ ગયેલી પ્રાચીનતમ સંસ્કૃતિના અવશેષો અને અશ્મિઓ ખોદી કાઢવાની અહીં વાત છે. એક તો આ ખોદકામ સીધી લીટીમાં શક્ય નથી અને બીજું, કથા આજની તારીખ અને તવારિખના કવિ છે એટલે કવિતામાં છંદની નિયમિતતા કે પ્રાસના બંધનો જોવા નહીં મળે એ સ્વાભાવિક છે. કવિતા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. શરૂમાં એક એપિગ્રાફ છે, અને એ પછી મુખ્ય કવિતા ૧૧ અને ૧૭ પંક્તિઓના બે અનિયમિત અંતરાઓમાં વહેંચાયેલી છે. કથાની ભાષા સરળ છે પણ બુશેલફુલ કે પામ(palm)ના સ્થાને પામી (palmy) જેવો શબ્દપ્રયોગ કરવામાં એ ખંચકાટ અનુભવતા નથી. પ્રાગૈતિહાસિક અવશેષોનું ઉત્ખનન કરાવનાર ભલે કોઈ પુરાતત્ત્વવિદ કેમ ન હોય, ખોદકામ તો મજૂર જ કરે છે અને એ માટેના સાધનો પણ પાવડા-કોદાળી જેવા સાદા જ હોવાના. એ રીતે જ પુરાતત્ત્વવિદ્યા વિષયક આ કવિતા પણ
પાંડિત્યપ્રચુર શબ્દપ્રયોગો કરવાના બદલે સીધી અને મર્મવેધી વાત કરે છે.

કવિતાની શરૂઆત જોનાથન ગલાસીની બે પંક્તિના એપિગ્રાફથી થાય છે. એપિગ્રાફનો એક અર્થ શિલાલેખ કે ઉત્કીર્ણ લખાણ થાય છે પણ સાહિત્યમાં અન્ય સાહિત્યકારના લખાણ કે કવિતાનો એક ભાગ શીર્ષક પછી કવિતાના મથાળે મૂકવામાં આવે એને આપણે ઉપોદ્ઘાત કે મુખબંધ કે આરંભક કહી શકીએ. મુખબંધને તમે જે તે કવિતાના મકાનમાં પ્રવેશવા માટેનો ઉંબરો કહી શકો. મુખબંધ કવિતાની સાથે સંલગ્ન પણ હોઈ શકે અને એનાથી સાવ વેગળું પણ. કવિતાના મુખ્ય વિચારને એ રજૂ કરતું હોય એમ પણ બને અને કવિતા મુખબંધની સદંતર વિરુદ્ધ દિશામાં જતી હોય એય શક્ય છે. મુખબંધ એક માહોલ ઊભો કરી આપે છે. હિથર બૉલેન કહે છે: ‘એપિગ્રાફ કવિતાનું વલણ સ્થાપવાથી વિશેષ કામ કરે છે- એ કવિતા શરૂ પણ થઈ ન હોય એ પહેલાં જ હોડ વધારી દે છે.’ અર્થાત્, કવિની જવાબદારી પછી વધી જાય છે. આમ જોવા જઈએ તો દરેક સર્જન માટે કોઈને કોઈ વિચાર જવાબદાર હોવાનો જ. આ વિચાર પ્રામાણિકતાથી આલેખવામાં આવે તો લગભગ બધી જ કવિતાના મથાળે મુખબંધ મૂકવાનાં થાય. મેરી શેલી એમના પુસ્તક ‘ફ્રેન્કન્સ્ટાઇન’ પુસ્તકમાં મિલ્ટનના પ્રખ્યાત મહાકાવ્ય ‘પેરેડાઇઝ લૉસ્ટ’માંથી માત્ર એક જ પંક્તિ મુખબંધ તરીકે મૂકીને આખા પુસ્તકનો ધ્રુવવિચાર સફળતાપૂર્વક સમજાવે છે. ઇલિયટની કવિતાઓમાં આના ઘણા ઉદાહરણો મળી આવે છે. જે. કે.રૉલિન્ગ્સે હેરી પૉટર એન્ડ ડેથલી હેલૉસમાં કરુણાંતિકાઓના પિતા ગણાતા ગ્રીક ટ્રેજેડિયન એસ્કેલસની પંક્તિ ટાંકી છે. ઢગલાબંધ પુસ્તકો અને કવિતાઓ એપિગ્રાફથી શણગારાઈ ચૂક્યાં છે, શણગારાતાં રહેશે. આપણે ત્યાં પ્રેમાનંદના તથા અન્ય આખ્યાનોમાં કડવાંની શરૂઆતમાં બે પંક્તિનું મુખબંધ મૂકવાનું વલણ હતું, જો કે આ મુખબંધ જે-તે આખ્યાનકારનું પોતાનું જ સર્જન રહેતું, નહીં કે પાશ્ચાત્ય સાહિત્ય પેઠે ઊછીનું.

જોનાથન ગલાસીનું મુખબંધ કવિતા સ્પષ્ટ કરી આપે છે. આપણી સાચી કવિતાઓ તો પહેલેથી જ આપણી અંદર જ સમાયેલી છે. આપણી નાભિમાં દટાયેલા અમૃતને આપણે ઓળખતાં શીખવાનું છે, નહીં કે કસ્તૂરીમૃગની જેમ જિંદગીભર ફાંફા માર્યા કરવાનું. આપણે વધુમાં વધુ ખોદકામ કરીને આ કવિતાઓને બહાર આણી શકીએ છીએ. આપણે કોઈ નવું કાવ્યસર્જન કરી શકીએ છીએ એમ જો આપણે માનતાં હોઈએ તો એ આપણા મિથ્યાભ્રમથી વિશેષ બીજું કશું નથી. મહાભારતમાં સુભદ્રાના ગર્ભમાં રહેલો અભિમન્યુ પિતા અર્જુનના મોઢે ચક્રવ્યૂહ ભેદવાનું રહસ્ય શીખે છે પણ સુભદ્રાને અધવચ્ચે ઊંઘ આવી જતાં કોઠા ભેદી લીધા પછી બહાર આવવાની કળા શીખી શકતો નથી એમ કહેવાયું છે. બાળક માના ગર્ભમાં હોય ત્યારે બહારની દુનિયામાંથી કશુંક શીખે છે કે નહીં એ તો વિજ્ઞાન જ છાતી ઠોકીને કહી શકે પણ બાળકનો જન્મ થાય એ ઘડીથી એ પંચેન્દ્રિયોની મદદથી પળે-પળે નવું શીખતો રહે છે. જિંદગીના પહેલા શ્વાસથી લઈને આખરી શ્વાસ સુધી મનાંકનો ઘડાતા રહે છે અને જેવા મનાંકનો, એવા વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આખી જિંદગી આપણે જે જોયું છે, જાણ્યું છે, વાંચ્યું-સાંભળ્યું છે એ જ આપણી અંદરનો ખજાનો છે, જેને આપણે પોતીકો માનીને વાપરીએ છીએ જગત પાસેથી પળે-પળ ઊછીનો લીધા કરેલ આ ખજાનામાંથી થોડાઘણાં હીરા-મોતી-સોના-ચાંદી બહાર કાઢીને આપણે આપણી રીતે એને વાપરીએ છીએ અને પછી કહીએ છીએ કે જુઓ, આ મારી કવિતા છે! વાસ્તવિકતા એ છે કે આપણી પાસે કશું જ મૌલિક નથી. સાહિર લુધિયાનવી બહુ સાચું કહી ગયા:

दुनिया ने तजरबात ओ हवादिस की शक्ल में
जो कुछ मुझे दिया है वो लौटा रहा हूँ मैं

આપણી પાસે જે છે એ મેળવેલું જ છે. આપણે માત્ર અગાઉ કોઈએ એ વસ્તુ જે સ્વરૂપે રજૂ ન કરી હોય એ સ્વરૂપે રજૂ કરી શકવા જેટલી જ મૌલિકતા છે. વાણી-વિચાર-અભિવ્યક્તિ આ બધું જ આપણને હજારો વર્ષોની સંસ્કૃતિ, સમાજ અને અનુભવો પાસેથી જ મળ્યું છે. આપણે કેટલું ઊંડુ ઉત્ખનન કરી શકીએ છીએ અને શું બહાર કાઢી આણીએ છીએ એના પર જ આપણા સર્જનનો આધાર છે. બધું ભીતર જ છે. બહાર કંઈ જ નથી આટલું કહીને કથા પોતાની પુરાતત્ત્વવિદ્યાની કથા આદરે છે.

પહેલા અંતરામાં કથા આપણને અસહ્ય ગરમીથી બેહાલ થયેલી વિશાળ પણ પડતર જગ્યાએ લઈ જાય છે, જ્યાં પુરાતત્ત્વવિદને પહેલવહેલીવાર ધરતીના ગર્ભમાં કોઈ પુરાતન સભ્યતા દટાયેલ હોવાની રૂપરેખા જોવા મળે છે અથવા એવું લાગે છે કે જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે પુરાતત્ત્વવિદ્યાની આ કવિતા હકીકતમાં કવિતાની કવિતા છે, પુરાતત્ત્વવિદ્યાની નહીં એટલે જોયું અને લાગ્યું કે જોયું એ બંનેનું મહત્ત્વ તરત જ સમજી શકાય છે. ક્યારેક આપણને આપણી અંદર શું છે એ સાફ નજરે ચડે છે, ઘણીવાર માત્ર એમ લાગે છે કે આપણે સાફ જોઈ શકીએ છીએ. આ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જ કવિતાનો સાચો આત્મા ઘડે છે. મેદાન ઊંડે-ઊંડે સુધી ખોદી કાઢવાની શરૂઆત કરવામાં આવે ત્યારે નિષ્ણાતને જાણ હોય જ છે કે આ આખું અભિયાન નિષ્ફળ જવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. કાચા-પાકા અનુમાન અથવા આસપાસમાંથી જડી આવેલી નિશાનીઓના આધારે જે ઉત્ખનન આદરવામાં આવ્યું છે એમાં સરવાળે ધૂળ જ સાંપડવાની શક્યતા પૂરેપૂરી છે. હજારે એકનો જુગાર તો એ જ છે કે તમારા હાથમાં ભંગાર સિવાય કંઈ જ નહીં આવે. નિકટપૂર્વી પશ્ચાદ્જળના કારણે જે કંઈ કચરો જમા થયો હશે એ જ વધુમાં વધુ હાથ લાગે એ સંભવ છે. નિકટપૂર્વીનો સંદર્ભ દક્ષિણપશ્ચિમી એશિયા સાથે સંકળાયેલો છે, જેમાં આજના ઇઝરાઈલ, સિરીઆ, તુર્કી, ઈરાક જેવા દેશો અને કદાચિત ઇજિપ્ત, મેસોપોટેમિઆનો સમાવેશ થાય છે.

હજારો વર્ષ જૂની તૂટેલી-ફૂટેલી વસ્તુઓ હાથ લાગે ત્યારે એનો અભ્યાસ શરૂ થાય છે. કેટલાં જન્મો પહેલાંની આ સંસ્કૃતિ હશે? એ લોકો પાસે કેટલા વિકલ્પ હશે? શું આ ઉત્ખનન પછી જીવનના કિંમતી વરસો નાહક વેડફાઈ ગયાનો પસ્તાવો થશે કે પછી પુરાતન સંપદાઓ ખોદી કાઢવાનું સપનું જોવું એ મૂર્ખામી હોવાનો અહેસાસ થશે? હવે સમય આવી ગયો છે કે તમે તમારા ટુકડાઓ સમેટી લો અને રણની આંધીઓને આ જગ્યા પર ફરી વળીને એને પૂર્વવત્ સપાટ કરી લેવા દેવાનો. આ સાધન-સામગ્રીઓની મદદથી સંગ્રહાલયના ભોંયરામાં રાત-બેરાત ઉત્તેજનાના અજવાળે બેસીને એક આખેઆખી પુરાતન સંસ્કૃતિ ઊભી કરવામાં તમારે હવે લાગી જવાનું છે. બજાર, શેરીઓ, ઘરઆંગણાં અને ઘડામાં પાણી ભરવા આવતી સ્ત્રીઓનું તમારે પુનર્સર્જન હવે કરવાનું છે.

કલમ હાથમાં લેતી વખતે પણ આ જ અનિશ્ચિતતા સાથે કવિ જુગાર રમતો હોય છે. સમય અને અનુભૂતિના તાપથી તપ્ત સંવેદનાને જોઈને ઘણીવાર એ સંવેદનાની નીચે દટાયેલી કવિતાની રૂપરેખા નજરે ચડતી હોય છે અથવા ચડી છે એવું માનવાનું મન થાય છે. એ સંવેદનને ખોદી કાઢીએ ત્યારે કવિતા હાથ ચડે જ એ કંઈ જરૂરી નથી પણ એ છતાં આપણે ઉત્ખનન અટકાવતા નથી. તમે ત્યાં જ અટકી જાવ છો અને સમયની અને જમાનાની ગાડી એના સમયપત્રક મુજબ તમને પડતાં મૂકીને આગળ ચાલી નીકળે છે. ઉત્કીર્ણ સંવેદનના ટુકડાઓ હાથ લાગે ત્યારે વિચાર આવશે કે કેટલા જન્મોથી આ કામ ચાલ્યું આવ્યું છે? દરેક કવિ શું જન્મોજન્મ આ જ પ્રક્રિયામાંથી પસાર નથી થતો? કવિની પાસે શું કોઈ વિકલ્પ હોય છે ખરા? કે હજારે એકનો આ જુગાર રમવો એના માટે ફરજિયાત જ હોય છે? કાચી-પાકી કવિતા લખ્યા પછી શું સમય વેડફવા બદલ પસ્તાવો થતો હશે? કવિતા લખે છે, લાગણીઓને ઊંડે-ઊંડે સુધી ખોદે છે ત્યારે કવિ ટુકડા-ટુકડામાં વહેંચાઈ જાય છે. કવિતા લખાઈ ગયા પછી આ ટુકડાઓને સંકેલી લેવાના છે. દુનિયાદારીની ટ્રેન તમને મૂકીને આગળ ચાલી ચૂકી હોય છે. સર્જન પછી મન ફરી શાંત થઈ જાય છે, જાણે આંધી ફરી વળી ન હોય એમ બધું સપાટ થઈ જાય છે. અને પછી આ હાથ લાગેલ ટુકડાઓમાંથી એક ઉત્તમ કાવ્ય બની ન જાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો સમય આવે છે. કળાની સરહદ કસબમાં ભળી જાય છે.

આમ, પુરાતત્ત્વવિદ્યાનું રૂપક અજમાવીને કથા કવિતા સમજાવે છે. બંને પ્રક્રિયા કંઈક ઊંડુ ખોદીને કંઈક જૂનું બહાર કાઢીને એનો ઊંડો અભ્યાસ કરીને કંઈક નવું પુનર્સર્જન કરવા માટેની જ છે. પુરાતત્ત્વવિદ એ પૌરાણિક સભ્યતાનો શિલ્પી છે. કવિ પણ સર્જનકાળે બ્રહ્મા છે. જે જ્ઞાની છે એ કવિ નથી બની શકતો કેમકે કવિતાનું મુખ્ય હથિયાર અનુભૂતિ છે, જ્યારે જ્ઞાનનું મુખ્ય હથિયાર જાણકારી છે. ‘આર્કિઓલોજી’ કવિતામાં ડબ્લ્યુ, એચ. ઑડેન કહે છે: ‘જ્ઞાનના પોતાના હેતુઓ હશે પણ અનુમાન કરવું એ હંમેશા જ્ઞાન કરતાં વધુ આનંદપ્રદ હોવાનું.’ કવિને જાણકારી નથી કે એની અંદર શું દટાયેલું છે અને એ ખોદકામ કરશે તો બહાર શું કાઢી લાવશે. એ તો માત્ર વર્ડ્સવર્થે કહ્યું હતું એમ emotions recollected in tranquilityને આવેશની તીવ્રતાની ક્ષણે કાગળ પર લઈ આવે છે. કવિ જ્ઞાન નહીં, અનુમાનથી કામ કરે છે ને એટલે જ કવિતા નિર્ભેળ આનંદની વસ્તુ બની રહે છે, વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક નહીં.

ભીતરે કેટલું દટાયું છે?
એક લોથલ વસે છે મારામાં…

આપણા બધાની અંદર જે આખાને આખા નગરો દટાઈ પડ્યા છે, એ કવિ નામનો પુરાતત્ત્વવિદ ખોદી કાઢી આપે છે. પુરાત્તવવિદ અને કવિ બંને અંદર સુધી ખોદકામ કરીને ભૂતકાળને વર્તમાનની મુખામુખ કરી આપે છે. ગઈકાલનું ઊંડું ધ્યાન ધરીને બંને આજ સાથે અનુસંધાન કરી આપે છે. બંને જણ સમય અને સ્થળના બે આંત્યંતિક છેડા ભેગાં કરી દઈને માનવતાને સમજવાની ઊંડી તક પૂરી પાડે છે. ગઈકાલને આજમાં ધબકતી કરવાની હોડ ઉપાડીને બંને જણ ભવિષ્ય માટે નવી દિશાનું સર્જન કરે છે. રૉબર્ટ બિવીસ કહે છે: ‘પુરાતત્ત્વવિદ્યા ભૂતને વર્તમાન બનાવે છે અને એ જ રીતે કવિતા કોઈક બીજાએ અનુભવી લીધેલા વર્તમાનને વાચક માટે એનો વર્તમાન બનાવે છે.’ કવિતા એ ભીતર ભંડારાયેલી ઊર્મિઓના અશ્મિ અને અવશેષો છે તો ધરતીના ગર્ભમાંથી જડી આવતાં અશ્મિ ને અવશેષો સમયના હાથે લખાયેલી કવિતા છે. ઊકલતા આવડે તો એમાંથી જિંદગીના અર્થ જડી આવશે…

માઇક એસિગ નામના એક કવિની ‘આર્કિઓલોજી ઑફ કોન્શિયસનેસ’ કવિતા આ સાથે જોવા જેવી છે:

કવિતા નખશિખ
પુરાતત્ત્વવિદ્યા છે
સભાનાવસ્થાની,
મનના ઘડાની ઠીકરીઓ છે
જેન સાચા અનુભવનું
માત્ર અનુમાન કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે મૂળ.
તમે કોશિશ કરો છો
એ બધાને ફરી ભેગાં કરવાની,
પણ એ શક્ય નથી.
તમે જ્યારે એ લખો છો,
તમે સંકેતો મૂકતાં જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
જે કદી પૂરેપૂરું સમજી જ નહીં શકે
કે તમે કોણ હતા,
પણ એ ઠીક છે
કારણ કે
તમે પણ નહોતા કરી શક્યા.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર (Web Sangoshti with Shyamal Saumil)

વર્ષોથી ટહુકો પર ગૂંજતી આ ગઝલ – આજે એક વધારાના બોનસ સાથે ફરી એકવાર… સ્વરકારો પાસેથી આ સ્વરાંકન વિષેની મઝાની વાતચીત સાથે…!!

આખી ગઝલ નીચે સાંભળો, અને સાથે ગઝલમાં આવતા ‘ગપોડી’ ચંદ્રની વાત પણ વાંચો!

**************
Posted on August 6, 2010

થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂

ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”

આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`

સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

– ઉદ્દયન ઠક્કર

ગ્લૉબલ કવિતા : ૮૩ : મિચિકો મૃત – જેક ગિલ્બર્ટ

Michiko Dead

He manages like somebody carrying a box
that is too heavy, first with his arms
underneath. When their strength gives out,
he moves the hands forward, hooking them
on the corners, pulling the weight against
his chest. He moves his thumbs slightly
when the fingers begin to tire, and it makes
different muscles take over. Afterward,
he carries it on his shoulder, until the blood
drains out of the arm that is stretched up
to steady the box and the arm goes numb. But now
the man can hold underneath again, so that
he can go on without ever putting the box down.

– Jack Gilbert

મૃત મિચિકો

એ સાચવી લે છે જેમ કોઈ ઊંચકે છે એક ખોખાને
જે વધુ પડતું ભારી હોય, પહેલાં એના હાથ
નીચે રાખીને. જ્યારે એમની તાકાત જવાબ દઈ દે છે,
એ હાથ આગળ તરફ લાવે છે, ખૂણાઓ પર
અંકોડા ભરાવીને, વજનને છાતીસરસું
ખેંચીને. એ એના અંગૂઠાઓને જરા હલાવે છે
જ્યારે આંગળીઓ થાકવા માંડે છે, જેથી કરીને
બીજા સ્નાયુઓ કામે લાગે. પછી,
એ એને ખભા પર ઊઠાવે છે, જ્યાં સુધી લોહી
ઊતરી ન જાય હાથમાંથી જે ઉપર ખેંચી તણાયેલો છે
ખોખાને સ્થિર રાખવા માટે અને હાથ જૂઠ્ઠો પડી જાય છે. પણ હવે
માણસ ફરીથી એને નીચેથી પકડી શકે છે, જેથી કરીને
એ આગળ વધી શકે ખોખાને કદીપણ નીચે મૂક્યા વિના.

– જેક ગિલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો બોજો – ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે

‘દુનિયામાં સૌથી વધુ વજનદાર ચીજ કઈ?’ -મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછ્યો નહોતો એ અલગ વાત છે પણ જો પૂછ્યો હોત તો યુધિષ્ઠિરે એમ જ કહ્યું હોત કે અચાનક મરણ પામેલા સ્વજન-મિત્રના શોકનો બોજ. તમારા શ્વાસની ગતિ સાથે તાલમેલ મેળવીને, તમારા હાસ્ય-રુદન-ક્રોધ-નિરાશા એમ જીવનની તમામ પળો કોઈ તમારી સોબતમાં વિતાવતું હોય અને સામા પક્ષે તમે પણ જેના ખભે જિંદગી ટેકવીને બેસવા ટેવાઈ ગયા હો એવું કોઈ અચાનક અથવા ટૂંકી નોટિસ આપીને અધવચ્ચેથી હાથ અને સાથ છોડીને ચાલ્યું જાય ત્યારે જે કાળો શૂન્યાવકાશ છવાઈ જાય છે એનો બોજ વેંઢારવો સહલ નથી. પણ સાથોસાથ અમૃત ઘાયલની આ પંક્તિઓ પણ જિંદગીનું ધ્રુવસત્ય છે:

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઈ જાયે છે.

પ્રસ્તુત રચનામાં જન્મે અમેરિકન પણ અડધી જિંદગી વિદેશોમાં વિતાવનાર કવિ જેક ગિલ્બર્ટ આવા જ કોઈ ‘ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે’ જેવા બોજની વાત કરે છે.

જેક ગિલ્બર્ટ. અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં પિટ્સબર્ગ ખાતે ૧૮-૦૨-૧૯૨૫ના રોજ જન્મ. ૧૦ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. શાળા છોડવી પડી. ઘેર-ઘેર સેલ્સમેન તરીકે, પેસ્ટ કંટ્રોલર તરીકે અને લોખંડના કારખાનામાં પણ કામ કર્યું. એક કારકુની ભૂલના પરિણામે યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગમાં પ્રવેશ મળ્યો. ત્યાં ગેરાલ્ડ સ્ટર્ન કવિસાથે મુલાકાત થઈ અને સ્ટર્ન કવિતા લખતા હતા, માત્ર એ જ કારણોસર જેકે પણ કવિતા હાથમાં લીધી. પહેલો પ્રેમ જિઆના જેલ્મેટીના ઘરવાળાને જેક ગરીબ અને અક્ષમ લાગતાં જતો કરવો પડ્યો. ૧૯૬૨માં પહેલું પુસ્તક ‘વ્યુઝ ઑફ જિઓપાર્ડી’ પુરસ્કૃત થયું અને પુલિત્ઝર પ્રાઇઝ માટે નામાંકન પણ પામ્યું. પહેલા સંગ્રહને જ અપ્રતિમ સફળતા મળવા છતાં એ ફેલોશીપ મેળવીને લોકોની નજરથી દૂર ઇંગ્લેન્ડ, ડેન્માર્ક, ગ્રીસ, ઇટલી વગેરે દેશોમાં એક સમયની પોતાની વિદ્યાર્થિની લિન્ડા ગ્રેગ સાથે લગભગ એકલવાયા રહ્યા. વિદેશમાં પાંચેક વરસ ગાળી અમેરિકા પરત આવી બંને અલગ થયા. લિન્ડા કહેતી કે ગરીબ હોવાની કે બાગમાં બાંકડા પર સૂવાની જેકને તમા જ નહોતી. ત્યારબાદ મિચિકો સાથે લગ્ન કર્યા. ૮૦ વર્ષની વયે ધ પેરિસ રિવ્યૂમાં સારાહ ફેને એમણે કહ્યું હતું કે આ શરીરે મારા પર ખૂબ દયાદૃષ્ટિ રાખી છે. આજસુધી હું ક્યારેય હૉસ્પિટલ ગયો નથી, સિવાય કે એકવાર ૯૦ ફૂટની ઊંચાઈએથી પડ્યો હતો. પણ હું મરી નહોતો ગયો અને નાતાલ હતી એટલે એ લોકોએ મને ઘરે જવા દેવો પડ્યો હતો. (લિન્ડાના પપ્પા પર પ્રભાવ પાડવા માટે એ જંગલમાં ઝાડની ટોચ કાપવા માટે ઉપર ચડ્યા હતા!) છેવટે ૧૩-૧૧-૨૦૧૨ના રોજ અલ્ઝાઇમર્સની બિમારી સામે ઝઝૂમ્યા બાદ ન્યુમોનિયાના કારણે ૮૭ વર્ષની જૈફ વયે એમનું નિધન થયું.

એમની કવિતા સરળતા અને સહજતા માટે જાણીતી છે. આવેશ, નજીકની વ્યક્તિની ખોટ અને એકલવાયાપણાંના સૂર એમની રચનાઓમાં સતત સંભળાય છે. પુલિત્ઝર પારિતોષિકની જ્યુરીએ એમની કવિતા વિશે કહ્યું હતું કે અડધી સદીની કવિતાઓ એક સર્જનાત્મક લેખકની પૂરેપૂરું અને પ્રામાણિકતાથી જીવી લેવાની તથા ચોંકાવનારી સફાઈ સાથે રોજબરોજના અનુભવોને અજવાળે એવું સ્પષ્ટ કામ કરવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. ગ્લેમર અને વૉગ જેવા સામયિકોએ અમેરિકાના નવા અવાજ તરીકે એમના ફોટોગ્રાફ્સ પ્રગટ કર્યા. પ્રસિદ્ધિથી સદા દૂર ભાગતો આ એકલતાપ્રેમી આત્મા ક્યારેક જાહેર કાવ્યપઠન કરતો ત્યારે પ્રેક્ષાગારમાંથી તમારી કવિતાએ અમારી જિંદગી બચાવી છે એમ કહેનાર સ્ત્રી-પુરુષો અચૂક મળી રહેતાં.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં છંદ-પ્રાસના બંધનો ફગાવીને ઘણા કવિઓએ મુક્ત કાવ્યરીતિ અપનાવી હતી. ગિલ્બર્ટની આ રચના પણ કોઈ નિર્ધારિત કાવ્યસ્વરૂપને અનુસરતી નથી. પત્નીના મૃત્યુ બાદ શોકનો બોજ અનુભવતા પતિનું આ કાવ્ય છે એટલે સહજે છંદ તૂટી ગયો છે, પ્રાસ છૂટી ગયા છે એ વાત સમજી શકાય છે. ગિલ્બર્ટની બધી જ કવિતાઓ, કવિ ડેન અલ્બેર્ગોટીના કહેવા મુજબ, એક મોટી કવિતાના ભાગ છે, કવિતા જે કવિની પોતાની જિંદગી છે. એમની રચનાઓમાં એમનું જીવન અને જીવનમાં આવેલા પાત્રો, ખાસ કરીને સ્ત્રી પાત્રો સતત ડોકાતાં રહે છે. અહીં પણ કવિ શીર્ષકમાં જ પત્નીનું નામ મૂકીને જાહેર કરે છે કે જે તમે વાંચવા જઈ રહ્યા છો એ કવિતા એમની જિંદગીની કવિતાનો જ એક અંતરો છે. કવિતાના શીર્ષકમાં જ કવિ ભાવકે શેમાંથી પસાર થવાનું છે એ કહી દે છે. ‘મિચિકો મૃત’ કહીને બે જ શબ્દમાં કવિ આપણા કોરા કાગળ પર ઘેરા કાળા રંગનો પીંછડો ફેરવી દે છે.

પહેલાના જમાનામાં લોકો મૃતકના શબ સાથે પોતાની સંસ્કૃતિના નમૂનાઓ પણ દફનાવતા હતા. એ જ રીતે કવિઓ મૃત્યુની કવિતામાં પોતાની સમજને પણ ઊંડે-ઊંડે સંતાડે છે. પુરાતત્વવિદ જે રીતે જૂની કબરોમાંથી મળી આવતા અવશેષો પરથી નેસ્તનાબૂદ થઈ ગયેલી સંસ્કૃતિ અને સમાજનો ક્યાસ કાઢે છે, એ જ રીતે મૃત્યુ વિષયક કવિતાઓમાંથી વિવેચકોને જે-તે કવિનો જીવનવિષયક અભિગમ જડી આવે છે. સોક્રેટિસે કહ્યું હતું: ‘ફિલસૂફીનો સાચો શિષ્ય… …સતત પીછો કરતું મૃત્યુ અને નિધન છે.’ મૃત્યુની આપણા માથા પર સતત લટકતી તલવાર જ કદાચ આપણી સંવેદનાને સતત જીવતી રાખે છે. માથા પરથી આ તલવાર નીકળી જાય તો મનુષ્યહૃદય પથરો બની જાય. કાલની ખબર નથી એટલે જ આજનો મહિમા છે. કશુંક અજ્ઞાત છે એટલે જ જ્ઞાતમાં રસ છે. વિયોગની તીખાશ જ મિલનને મીઠું બનાવે છે. બે વારના પ્રેમવિચ્છેદ બાદ ગિલ્બર્ટ પોતાનાથી એકવીસ વર્ષ નાની શિલ્પકાર મિચિકો નોગામી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. જાપાની પત્ની સાથે એ જીવી ત્યાં સુધી જાપાનમાં રહ્યા. ત્યાંની યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૭૫માં અમેરિકાની સરકાર તરફથી અમેરિકન સાહિત્યના વ્યાખ્યાતા તરીકે પંદરેક દેશોમાં પ્રવચનાર્થે સપત્નીક પ્રવાસ કર્યો. પહેલા પુસ્તકના બે દાયકા બાદ ૧૯૮૨માં બીજું પુસ્તક ‘મોનોલિથ્સ’ પ્રગટ કર્યું પણ એ જ વર્ષે મિચિકો કેન્સરની બિમારીથી મૃત્યુ પામી. (મિચિકો એમની કાયદેસરની પત્ની હતી કે નહીં એ જો કે નક્કી નથી)

શેક્સપિઅર ટેમ્પેસ્ટ (અંક ૨, દૃશ્ય ૧)માં કહે છે; ‘જે ચાલ્યું ગયું છે પ્રસ્તાવના છે.’ જિંદગીની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં કોઈ સ્વજન અંત પામે છે. નેન્સી હૉલોવાટી નામના સર્જક કહે છે: ‘તમે તમારી જિંદગીનું નવું પ્રકરણ ત્યાં સુધી શરૂ કરી શકતા નથી જ્યાં સુધી તમે છેલ્લા પ્રકરણને જ વાંચ-વાંચ કર્યા કરો છો.’ મેક્બેથ (અંક ૪, દૃશ્ય ૩)માં શેક્સપિઅર કહે છે: ‘દુઃખને વાચા આપો; જે દર્દ બોલતું નથી એ છલકાતા હૃદય સાથે કાનાફૂસી કરે છે અને એને તોડી નાંખે છે.’ મિચિકોના નિધન બાદ ગિલ્બર્ટે પોતાના દર્દને વાચા આપતી એક નાનકડી કાવ્યપોથી ખાસ એના સ્મરણાર્થે પ્રગટ કરી હતી. એક કવિતામાં એ પસ્તાવો કરતાં કહે છે: ‘અગિયાર વરસ મેં એનો વસવસો કર્યો છે, વસવસો એ વાતનો કે ચાર કલાક એને મરતી જોતો બેસી રહ્યો ત્યારે જે હું કરવા માંગતો હતો એ મેં કર્યું નહીં.’ અન્ય એક કવિતામાં એ એક લોકમાંથી બીજા લોક તરફની પત્નીની યાત્રાને કદાચ ગ્રીક પુરાણકથાઓ મનમાં રાખીને ધીમે રહીને આગલા ટાપુ સુધી લઈ જતી નૌકા’ના રૂપક સાથે સરખાવે છે. (આપણી વૈતરણી પણ યાદ આવે.) આ જ કવિતામાં એ મૃત્યુની નિકટ જવાની અનુભૂતિને ‘કેવું વિચિત્ર અને સરસ છે એની આટલું નજીક જવું’ કહીને વર્ણવે છે. પ્રસ્તુત રચનામાં મિચિકોના મૃત્યુથી જે અનુભૂતિ જીરવવાની આવી એને ગિલ્બર્ટ ખૂબ જ વજનદાર ખોખા સાથે સરખાવે છે. અંગ્રેજીમાં દુઃખનો સમાનાર્થી છે Grief. આ શબ્દ મૂળે લેટિન gravis પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ વજનદાર થાય છે.આ ગ્રેવિસ શબ્દ બહુધા સંસ્કૃત गुरुः પરથી ઉતરી આવ્યો હોઈ શકે જેનો અર્થ પણ ભારે, મોટું, વજનદાર થાય છે. ટૂંકમાં, દુઃખ શબ્દ સાથે ભારીપણું સંકળાયેલું જ છે.

માંડ-માંડ ઊપાડી શકાય, ફરજિયાત ઊપાડવું જ પડે અને અધવચ્ચે નીચે મૂકી દેવું પણ શક્ય ન હોય એવા કોઈ અત્યંત ભારી ખોખાને આપણે કેવી રીતે ઊપાડતાં હોઈએ છીએ એ નજર સામે રાખીએ એટલી જ વાત આ કવિતા કરે છે. કવિતા એટલી સરળ છે કે એને આપણે res ipsa loquitur પ્રકારની યાને કે સ્વયંસ્પષ્ટ-સ્વયંસિદ્ધ કવિતા પણ કહી શકીએ. શરૂઆત ‘એ સાચવી લે છે’થી થાય છે. આખી કવિતામાં આ સાચવી લેવાની વાત સૌથી અગત્યની છે કેમકે આ બોજો હકીકતમાં બોજો નથી. આ બોજો ઊપાડવાની કોઈએ ફરજ પાડી નથી. આ બોજ વેંઢારવું એ કોઈ નોકરીનો ભાગ નથી અને આ બોજ સફળતાપૂર્વક વહી લીધા પછી કોઈ પ્રોત્સાહક પુરસ્કાર આપણી પ્રતીક્ષામાં પણ નથી. કો’કે કહ્યું છે કે ‘દુઃખ એક ગલી છે, રહેવાની જગ્યા નથી. દુઃખ એ પ્રેમની કિંમત છે, કમજોરી નથી.’ દુઃખની ગલીમાંથી આપણે સ્મરણોનો બોજ ઊંચકીને પસાર થવાનું છે. એબ્સર્ડ નાટકના પિતા સેમ્યુઅલ બેકેટે કહ્યું હતું: ‘હું જઈ શકું એમ નથી. હું જઈશ’ સાયન્ટીસ્ટ નામના એક ગીતમાં કોલ્ડ્પ્લે નામથી ઓળખાતો કલાકાર ગાય છે: ‘કોઈએ કહ્યું નહોતું કે આ સરળ હશે. કોઈએ કદી એવુંય કહ્યું નહોતું કે આટલું કપરું હશે.’

પડુંપડું કરતા વજનદાર ખોખાને આપણે પહેલાં તો બંને હાથ ખોખાની નીચે રાખીને ઊંચકીને ચાલીએ છીએ. થોડી વાર પછી જ્યારે હાથ જવાબ દઈ દે છે, આપણે હાથને ઉપર આગળની તરફ લાવીએ છીએ, ખોખાના ખૂણાઓને પકડી રાખીને ખોખાને છાતીસરસું દબાવીને વજન હાથ પરથી ઓછું કરીને છાતી ઉપર લાવવાની કોશિશ કરીએ છીએ. વજન એટલું વધારે છે કે આ પ્રયાસમાં પણ થાકી જવાય છે એટલે અંગૂઠા ઉપર-નીચે હલાવીને હાથના બાકીના સ્નાયુઓને કામે લગાડી આપણે આંગળીઓને કિંચિત પોરો ખાવાની તક આપવા મથીએ છીએ. છેવટે મોટા વજનદાર ખોખાને આપણે ખભા પર ઊંચકી લઈએ છીએ અને એ પડી ન જાય એ માટે હાથ માથા ઉપર સીધો ઊંચો રાખીને એને પકડી રાખીએ છીએ. ગુરુત્વાકર્ષણને આપણી જરાય દયા આવતી નથી. એ હાથમાંથી બધું જ લોહી નીચેની તરફ ખેંચી લઈ જાય છે, પરિણામે હાથમાં ખાલી ભરાઈ આવે છે, હાથ જૂઠ્ઠો પડી જાય છે. પણ આ ફેરબદલની લગાતાર કસરતના પરિણામે ખોખાને નીચેથી ઊંચકતી વખતે જે સ્નાયુઓ થાકી ગયા હતા એમને લગરિક શ્વાસ ખાવા મળી ગયો છે એટલે એ ફરી એકવાર ખોખાને એ રીતે ઊંચકી શકવાને સક્ષમ બન્યા છે. સરવાળે બોજો ગમે એટલો ભારી કેમ ન હોય, આપણે એને વેંઢારીને સફળતાપૂર્વક આગળ વધી શકીએ છીએ.

આપણે સાવિત્રીની જેમ યમરાજ પાસેથી સત્યવાનને પરત લાવી શકતા નથી. જિંદગીની નદીમાં જે પાણી વહી જાય છે એને પાછું વાળવું શક્ય નથી. થોમસ લિન્ચ લખે છે: ‘તમારા મરી ગયા પછી, એવું કશું જ નથી જે તમારી પાસે અથવા તમારા માટે અથવા તમારી સાથે અથવા તમારા વિશે કરી શકાય છે જે તમારા માટે સારું કે ખરાબ હોય. મૃતકના જવાથી જે કોઈ લાભાલાભ જીવનારને થાય છે, જીવનારે જ એની સાથે જીવવું પડે છે, તમારે નહીં. તમારું મૃત્યુ જે દુઃખ કે હર્ષ આણે છે એ એમના જ છે. ખોટ અથવા ફાયદો પણ એમનો જ છે. સ્મરણનું દર્દ અને આનંદ પણ એમના જ છે.’ આપણે તો જે ચાલ્યું ગયું છે એનો બોજ ઊંચકીને આગળ વધ્યે જ છૂટકો. ‘ધ ગ્રીફ ટુલબોક્સ’માં તાન્યા લૉર્ડ લખે છે: ‘દુઃખ બિમારી નથી. હું એમાંથી મુક્ત થનાર નથી. હું દર્દ સાથે જીવતાં શીખી લઈશ.’ આપણે આ બોજ છાતી સરસો ચાંપીને આજીવન ઊંચકતા શીખી લેવાનું છે. ‘આપણે જ્યાં સુધી ભૂલી નથી જતાં, મરનારાં કદી મર્યાં જ નથી’ (જ્યૉર્જ એલિયટ)

જે કવિતા ‘સાચવી લેવા’થી શરૂ થઈ હતી એ ‘કદીપણ નીચે મૂક્યા વિના’ પર જઈને પૂરી થાય છે એ સૂચક છે. મરનારને કદીપણ ન ભૂલવાની વાત આનાથી વધુ સરળ અને વધુ વેધક રીતે કહેવી કદાચ શક્ય નથી. ખલિલ જિબ્રાન ભલે જિંદગી અને મૃત્યુ એક જ છે, જેમ નદી અને દરિયો એક જ છે એમ કહી જાય પણ જિંદગીના ખભા પર મરણના હોવાથી મોટો બીજો કોઈ બોજ જ નથી. ગેરહાજરીની હાજરી જ આપણને તોડી નાંખતી હોય છે અને તૂટવા છતાંય તૂટી ન શકવાની વિવશતા આપણી જિંદગીની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે. વાત પાનખરે ખર્યા પાનની નથી, વાત છે ભરવસંતે ખરી જનાર પાનની. અને કદાચ વાત પાનખર કે વસંતે ખરનાર પીળા-લીલા પાનની પણ નથી, આપણા લગાવની તીવ્રતાની છે. લગાવ જેટલો તીવ્ર, બોજ એટલો વધારે. ખેંચાણ જેટલું વિશેષ, તકલીફ એટલી જ વિશેષતર.

બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ભગ્વદ્ગીતામાં શ્રીકૃષ્ણ મૃત્યુ વિશે ઘણી વાતો કહે છે:

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

ખલિલ જિબ્રાન ‘પ્રોફેટ’માં પૂછે છે: ‘For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’ (મરી જવું આખરે શું છે સિવાય કે પવનમાં નિર્વસન ઊભા રહેવું અને સૂર્યમાં પીગળી જવું?) પણ હકીકત એ છે કે પુસ્તકોમાં રહેલું તત્ત્વજ્ઞાન આકસ્મિક શોકપ્રસંગ આવી ચડે ત્યારે पुस्तकेषु हि या विद्या બનીને જ રહી જાય છે. વાસ્તવિક જીવનમાં આ જ્ઞાન ગોવાળિયાની લાકડીઓના ટેકા જેટલી જ મદદ કરી શકે છે, દુઃખનો ગોવર્ધન ઊપાડવા માટે. દુઃખના બોજમાંથી મનુષ્યની મુક્તિ આસાન નથી. મરણની અફરતાથી પૂર્ણતયા વિદિત હોવા છતાં મરણ આવી ચડે છે ત્યારે ભાગ્યે જ વાત આસાન બની રહે છે. મરનાર તો મરી ગયો. आप मूआ, पीछे डूब गई दुनिया। પણ જે જીવે છે એ એના હૈયામાં એને જીવતો રાખે છે. મરનાર ફરીને કહેવા નથી આવતો કે જા ભાઈ, તું આઝાદ છે. તારે મારો બોજ વેંઢારવાની જરૂર નથી. પણ પાછળ રહી જનાર માટે આ ગમતીલો બોજ છે. દર્દ છે, તીવ્ર છે પણ મીઠું છે. વજન છે, વધારે જ છે પણ ઊપાડવું જ પડે એમ છે અને સાચવીને જ ઊપાડવું પડે એમ છે. આ બોજો નનામીનો કે કોફિનનો કે અસ્થિકુંભનો નથી જે માત્ર થોડી ક્ષણો જ ઊપાડવાનો છે, આ બોજ યાદોનો બોજ છે, જે દરેકે સ્વેચ્છાએ ઊપાડવાનો રહે છે અને આજીવન ઊપાડવાનો રહે છે. સમયની સાથે આપણે ટેવાતા જઈએ એ વાત અલગ છે પણ ખોખું મૂકી દેતા નથી, જ્યાં સુધી આપણે પોતે અન્ય કોઈ માટે વજનદાર ખોખું બની ન જઈએ…

ગ્લૉબલ કવિતા : ૮૨ : શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ

THE WORD

Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.

You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.

You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.

You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.

For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.

– Ella Wheeler Wilcox

શબ્દ

ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.

ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.

ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.

ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.

કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.

– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી. આદિમાનવની જંગલિયતનો શિકાર શબ્દે જ કર્યો. ને એથી જ પરાપૂર્વથી કવિઓ-લેખકો શબ્દની મહત્તાના ગુણગાન કરતા આવ્યા છે. પ્રસ્તુત રચનામાં પણ શબ્દની જ વાત છે પણ અહીં કવિ સાચા શબ્દની મહત્તા કરી રહ્યાં છે.

એલા વ્હીલર વિલ્કોક્સ. અમેરિકાના વિસ્કોન્સીન ખાતે ૦૫-૧૧-૧૮૫૦ના રોજ જન્મ. ચાર ભાઈ-ભાંડુઓમાં સૌથી નાનાં. ખૂબ નાની વયે કવિતા એમને વરી અને એ ગ્રેજ્યુએટ થયાં ત્યાં સુધીમાં તો એમના રાજ્યમાં કવિ તરીકે ખ્યાતિ પણ મેળવી લીધી. ૨૨ વર્ષની ઉમરે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૩ની વયે બીજો અને ૨૬મા વર્ષે ત્રીજો. એમના ચોથા પુસ્તકને પ્રકાશકે એમ કહીને નકારી દીધું કે એમાં વધુ પડતી કામુકતા છે અને જે કારણોસર એ નકારાયું એ જ કારણોસર ૩૩ વર્ષની વયે પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ઑફ પેશન’ની સવાસોથીય વધુ વર્ષ પહેલાં ૧૮૮૩માં એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ એપ્સની ગેરહાજરીમાં માત્ર બે જ વર્ષમાં ૬૦૦૦૦ નકલો વેચાઈ ગઈ. પછીના વર્ષે તેઓ રૉબર્ટ વિલ્કોક્સ સાથે પરણ્યાં. એક પુત્ર જન્મ્યો પણ થોડા જ સમયમાં મરણ પામ્યો. પતિ-પત્નીએ એકમેકને વચન આપ્યું હતું કે જે પહેલાં મરણ પામશે એ બચી જનારનો સંપર્ક કરશે પણ મૃત પતિ તરફથી કોઈ સંદેશો ન મળતાં એલા વધુ દુઃખી થઈ ગયાં. મેક્સ હેઇન્ડલ નામના જ્યોતિષીએ એમને આ સમયે માર્ગદર્શન આપ્યું અને એલાના કહેવા મુજબ એ મૃત પતિના આત્મા સાથે સંપર્ક સ્થાપી શક્યાં હતાં. એમણે કહ્યું: ‘હું જીવંત સાક્ષી છું: મૃતકો જીવે છે: અને તેઓ આપણી મારફતે અને આપણી સાથે વાત કરે છે.’ એમણે ઘણાં કાવ્યસંગ્રહ આપ્યાં. કવિતા અને પત્રકારિત્વ ઉપરાંત વાર્તાઓ, બે આત્મકથાઓ, અને વિવેચનાત્મક લેખો પણ એમણે લખ્યા. ૩૦-૧૦-૧૯૧૯ના રોજ કનેક્ટિકટ ખાતે ૬૮ વર્ષની વયે કેન્સરની બિમારીના કારણે નિધન.

એમના સમયગાળાના કદાચ એ સૌથી લોકપ્રિય કવિ હતાં. વિવેચકો કરતાં એ લોકોના વધુ વહાલાં હતાં. એમની રચનાઓ ‘ખરાબ’ કવિતાઓના સંપાદનોમાં પણ સ્થાન પામી છે. પણ એમના માટે તો એમનું લખવાનું કારણ એ જ હતું જે કારણે એક પક્ષી ગાય છે. ગીતોમાં એમના સમયમાં બિનપરંપરાગત ગણાતી સાધારણ તિર્યક શૃંગરિકતાની છાંટના કારણે તેઓ વધુ જાણીતાં છે. પાછલી જિંદગીમાં આધ્યાત્મિકતા તરફના એમના વળાંક અને લખાણોના કારણે નૂતન વિચાર (New Thought) નામની તત્ત્વચિંતન ચળવળ પણ શરૂ થઈ હતી. એમની રચનાઓમાં જીવનવિષયક ધનમૂલકતા અને આશાનો સૂર ઊઠતાં નજરે પડે છે. ભારતીય મૂળની વિચારધારાથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતાં. ‘દયાળુ બનવાની કળા’ એ એમનો ધર્મ હતો, જેનું એમણે આજીવન રોજેરોજ પાલન કર્યું હતું. એમની કવિતાઓ તથા લખાણોમાંની ઘણી સૂક્તિઓ કહેવતકક્ષાએ પહોંચવાનું બહુમાન પામી છે: ‘હસો, અને દુનિયા તમારી સાથે હસશે; રડો, અને રડો એકલા.’ ‘નફરત બુઝાવે છે એના કરતાં પ્રેમ વધુ આગ સળગાવે છે.’ ‘જ્યારે વિરોધ કરવો જોઈએ ત્યારે મૌન રહેવાનું પાપ માણસોને કાયર બનાવે છે.’ ‘નબળી મૌલિકતા સારી નકલ કરતાં વધુ સારી છે.’

એલાની આ કવિતા ‘ધ વર્ડ’ આયમ્બિક પેન્ટામીટરમાં પાંચ ચતુષ્કમાં અ-બ-ક-બ પ્રાસવ્યવસ્થામાં લખાયેલ ગીતરચના છે, જેનો લય વાંચતી વખતે સતત મનમાં રણકતો રહે છે. સરળ શબ્દોની પસંદગી અને ચપોચપ પ્રાસની સાથોસાથ સહજ પણ ઊંડા ભાવ લઈને આવતું હોવાથી આ ગીત સીધું હૈયાને સ્પર્શી જાય છે. એકદમ સાદી ભાષામાં એલા દિલની ઊંડાઈથી લાગણીની સચ્ચાઈ પકડીને આવતા શબ્દોનું માહાત્મ્ય કરે છે. વર્ડ્સવર્થે કવિતાની આપેલી ખૂબ જાણીતી વ્યાખ્યામાં કહે છે કે કવિતા શક્તિશાળી સંવેદનાઓનો આકસ્મિક ઊભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મ લે છે. કવિતા આવા જ શબ્દોનો સમૂહ છે. શબ્દ વિચારમાંથી-ચિંતનમાંથી જન્મે છે ત્યારે એ સૂક્ષ્મ અને અશ્રાવ્ય સ્વરૂપે હોય છે, અને પછી એ જ્યારે પ્રકટ થાય છે ત્યારે સ્થૂળ અને શ્રાવ્ય બને છે. કોઈકે કહ્યું છે કે તમે તમારા શબ્દોની પસંદગીથી તમારા જીવનની રાહ બદલી શકો છો. રેવ જે માર્ટિન લખે છે કે શબ્દો એ દરવાજાઓ ખોલે છે, જે હાથ નથી ખોલી શકતા. એમના ‘ધ પાવર ઑફ વર્ડ્સ’ પુસ્તકના મુખપૃષ્ઠ પર એ લખે છે: ‘શબ્દો તો મફત છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, એની તમારે કિંમત ચૂકવવી પડે છે.’ ચાણક્યે પણ શબ્દોને સૌથી શક્તિશાળી હથિયાર લેખાવ્યા હતા. પિઅરી ડુ પ્લેસિસ નામના એક સર્જકે માત્ર એક અંગ્રેજી ‘એલ’ અક્ષર ઉમેરીને બહુ સાચી વાત કરી હતી: ‘Words create worlds.’ (શબ્દો વિશ્વો સર્જે છે.) હર્મન બાર નામના એક લેખક પણ આવી જ વાત કરે છે: ‘શબ્દો માણસોના કાબૂમાં નથી, માણસો શબ્દોના કાબૂમાં છે.’ શબ્દો વિશે સર્જકો એટલું બધું લખી ગયા છે કે બધું ભેગું કરવા બેસીએ તો દળદાર મહાગ્રંથ સર્જાય.

કવિતાના પાંચ અંતરામાં એલાની સ્થિર પણ નિર્ધારિત ગતિ નજરે ચડે છે. પહેલા અંતરામાં એ શબ્દને વ્યાખ્યાયિત કરવા કોશિશ કરે છે અને ‘જે પોષતું તે મારતું’ જેવી સિક્કાની બંને બાજુ રજૂ કરે છે. શબ્દ કિંમતી હીરો છે અથવા મૂલ્યહીન પથરો છે; ગીત છે કે અગનજ્વાળા છે કે આવતાંય વેતરે ને જતાંય વેતરે એવી બેધારી તલવાર છે. શબ્દ ખીલેલાં ગુલાબ જેવો નૈસર્ગિક પણ હોઈ શકે અને મધુર અત્તર જેવો કૃત્રિમ પણ હોઈ શકે; શબ્દ પિત્તનું ટીપુંય હોઈ શકે. એરિસ્ટોટલ, હિપોક્રેટ્સ જેવા ગ્રીક વિચારકોના સમયથી મનુષ્યના સ્વભાવને પૃથ્વી, જળ, હવા અને આગ એમ ચાર મૂળભૂત તત્ત્વોના આધારે શરીરમાંના ચાર પ્રવાહી મેલન્કોલિક (કાળી પિત્ત) (ઉદાસ પ્રકૃતિ) , ફ્લેગ્મેટિક (ગળફો) (આળસુ પ્રકૃતિ), કૉલરિક (પીળી પિત્ત) (તામસી પ્રકૃતિ) અને સૅન્ગ્વિન (લોહી) (ઉત્સાહી પ્રકૃતિ)ના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આપણે ત્યાં પણ પંચમહાભૂત – આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ-નું મહત્ત્વ છે. આ પંચમહાભૂત પરથી જ આયુર્વેદ મનુષ્યની કફ, વાયુ અને પિત્ત એમ ત્રિદોષ પ્રકૃતિનું નિદાન કરે છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે. આમ, પાશ્ચાત્ય તેમજ આપણી સંસ્કૃતિમાં પણ પિત્તને તામસી સ્વભાવ સાથે સાંકળવામાં આવ્યા છે. એ સંદર્ભે શબ્દને અત્તર અથવા પિત્તનું ટીપું કવિ કેમ કહે છે એ સમજી શકાય છે.

બીજા ચતુષ્કમાં એલા જે વાત કહેવા માંગે છે એ સીધી જ કહે છે. અહીં સીધી વાતનું મહત્ત્વ છે કેમકે જે શબ્દ સીધો દિલમાંથી આવ્યો છે એ શબ્દ જ આપણને હચમચાવી શકે છે, આપણી સંવેદનાને ઝંકૃત કરી શકે છે અને કાળાતીત થઈ શકે છે. મોટા મર્મજ્ઞની જેમ ભલે તમે ખૂબ જ કાળજીપૂર્વક શબ્દોનું ચયન કરો અને તમારી પાસે હોય એ બધી જ કળાથી એને ઓપ પણ કેમ ન આપો પણ જે શબ્દ દિલમાંથી જન્મ્યો નથી એ કદી શાશ્વતીને પામતો નથી. કુદરતી એ કુદરતી છે અને કૃત્રિમ એ કૃત્રિમ છે.

એઝરા પાઉન્ડની અમર કવિતા ‘ઇન એ સ્ટેશન ઑફ મેટ્રો’ જ્યારે એમણે લખી ત્યારે છત્રીસ પંક્તિની હતી પણ આ છત્રીસ પંક્તિઓ જે સંવેદના પેરિસના મેટ્રોસ્ટેશન પર બેઠાં-બેઠાં ટ્રેનમાંથી ઊતરતાં-ચડતાં અને પ્લેટફૉર્મ પર ચાલતાં સાવ અજાણ્યાં માણસોનાં ટોળાંને જોઈને થઈ હતી એ યથેચ્છ ઝીલી નથી શકી એમ એમને લાગ્યું એટલે થોડા સમય પછી કવિતા અઢાર પંક્તિની અને લગભગ એક વર્ષની લગાતાર તપશ્ચર્યાના અંતે માત્ર દોઢ પંક્તિ, ચૌદ શબ્દો અને સત્તર જ સિલેબલ્સમાં જ સીમિત કરી દીધી. આજે આ કવિતા માસ્ટર-પીસ ગણાય છે. કવિએ પોતાની અંદર જે લાગણી અનુભવી હતી એ જે સ્વરૂપે અનુભવી હતી એ જ સ્વરૂપે બહાર આવે એની રાહ જોવામાં એક આખું વર્ષ ગાળ્યું એટલે એમના આ શબ્દો અમરત્વ પામ્યા. વર્ડ્સવર્થની કવિતાની વ્યાખ્યા એમણે સાચા અર્થમાં આત્મસાત્ કરી હતી એમ કહી શકાય. જ્યાં સુધી દિલમાંથી શબ્દો સીધા ન આવ્યા ત્યાં સુધી એમણે કાગળ પર કાવ્યકૌશલ્યના ફળસ્વરૂપ આવતા રહેલા શબ્દોના ઘોડાપૂરને ખાળ્યે જ રાખ્યું. હજારો અઠવાડિયાઓ સુધી તમે શબ્દને ચમકાવવા માટે, ઝગારો અપાવવા માટે એના પર મચી કેમ ન રહો, એ બધું જ વ્યર્થ છે જો એ શબ્દ સમયની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને શુદ્ધ થયેલી ધાતુની ઉષ્ણ શુભ્રતા સાથે વણશોધ્યો ઊર્મિના ઊછળતા ફુવારાઓમાંથી નીકળીને કાગળ પર અવતર્યો નહીં હોય તો. તપશ્ચર્યા શબ્દોને ચમકાવવા માટે નથી કરવાની, તપશ્ચર્યા ઊર્મિઓના ફુવારાઓ બંધ ન પડી જાય એ માટે કરવાની છે. પ્રતીક્ષા કરવાની છે, શબ્દ એની મેળે કોઈપણ જાતની શોધખોળને મહોતાજ થયા વિના, કવિ કે કવિતાની અંગત જરૂરિયાતને તાબે થયા વિના સ્વયંસ્ફુરિત થાય એ માટેની.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે. ચાર્લ્સ સ્વેઇન વર્ડ્સ નામની એમની એક કવિતામાં આ જ વાત કરે છે: ‘ઓછું જ કહ્યું છે-પણ સાચું જ કહ્યું છે-કે જે શબ્દો માત્ર માથાં સુધી જ રહે છે અને દિલ સુધી પહોંચતાં નથી એ પ્રગાઢ આનંદ આપી શકતા નથી.’ સપાટી પર રમનારને કદી મોતી મળતાં નથી. એને માટે સમુદ્રના તળિયાનાં જોખમો વેઠીને ઠેઠ ગર્ભ સુધી જવું પડે છે. શબ્દ જ્યાં સુધી શ્વાસની પેઠે અનિવાર્ય બનતો નથી, કવિતા બનતી નથી. પણ,

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે,
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં?

ગુજરાતી ભાષા મરવા પડી છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ વાત સમજવી માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બની રહે છે કે કોઈપણ ભાષા એના કવિઓ થકી જ જીવતી રહે છે. મનુષ્યમાત્રને કળાની તરસ રહે જ છે. આદિમાનવો પણ ગુફામાં ચિત્રો દોર્યા વિના રહ્યા નહોતા. પાંચ-પાંચ હજાર વર્ષો જૂનાં કાવ્યોની ઉપસ્થિતિ જ એ વાતની સાબિતી છે કે સમય કે સંસ્કૃતિ કોઈપણ હોય, કવિતા વિના માનવજાતને ચાલ્યું નથી, ચાલવાનું નથી. જે માણસોને કવિતા સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી એ લોકોને પણ આપણે ફિલ્મી ગીતો ગણગણતાં જોઈએ જ છીએ. તાત્પર્ય એ જ કે જે ભાષાના કવિઓ પ્રામાણિક છે, દિમાગથી નહીં પણ દિલથી લખે છે એ ભાષાને મરણ પામવાનો કોઈ ભય હોય જ નહીં. પણ આપણે ત્યાં છેલ્લા ઘણા દાયકાઓથી આ ભય પ્રવર્તી રહ્યો છે કે ગુજરાતી ભાષા મરણશય્યા પર આવી પડી છે. એટલે હકીકતમાં તો આ ઘડી પ્રામાણિક આત્મવિશ્લેષણની ઘડી છે. અત્યારે એક આખી પેઢી છંદોલય અને કાફિયા-રદીફનો કસબ શીખી લઈને ગીત-ગઝલના કારખાનાં ચલાવવા મચી પડી છે. શબ્દોની રમતને અને હાથચાલાકીને કવિતાનો દરજ્જો મળી રહ્યો છે. માત્ર સાહિત્યિક સામયિકો જ નહીં, પાઠ્યપુસ્તક જેવા પાઠ્યપુસ્તકોમાં પણ કવિતાના નામે ગતકડાંઓ અને જોડકણાંઓ સ્થાન પામી રહ્યાં છે જેના પરિણામે આવનારી આખી પેઢીની માવજત જ ગેરવલ્લે જઈ રહી છે. સરકારને ભાષાની પડી નથી. શિક્ષણશાસ્ત્રીઓ સાચા રહ્યા નથી. સામયિકોમાં ખાલી ચણા જેવા સંપાદકો અને સાહિત્યિક સંસ્થાઓમાં વહાલાં-દવલાંઓના રાજકારણ ખેલીને કુપાત્રો મથાળે ચડી બેઠાં છે. અને એટલે જ ભાષાની દુર્ગતિ શરૂ થઈ છે..

જે શબ્દ તમારી ઠેઠ ભીતરથી તવાઈને શુદ્ધ શુભ્ર થઈને બહાર આવીને ભાવકના ભીતરને ઝંઝોડી નાંખે છે એની જ આ દુનિયા પરવાહ કરે છે અને એ જ ટકે છે એ સનાતન સત્ય આજનો સર્જક જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી ભાષાને બચાવવાના બ્યુગલો ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ જેવી શેખચલ્લી કથા બનીને જ રહી જશે…. સસ્તી પ્રસિદ્ધિથી વધીને મોટો કોઈ દુશ્મન નથી. સાચો શબ્દ સાગના લાકડાં જેવો હોય છે, એ કદી કહોવાતો નથી:

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ સાબૂત, હતું કાષ્ઠ સાગી.

હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)

આજે ફરી એકવાર આ રમતિળાય – રમતનું ગીત – અને સાથે સાંભળીએ આ ગીત કેવી રીતે બન્યું એની થોડી વાતો… આભાર, પ્રહર અને ગૌરાંગ કાકા!

——————————–
Posted on : Nov 27, 2010

આમ તો વર્ષોથી ટહુકો પર ગૂંજતું આ મઝાનું ગીત… આજે ફરી એકવાર સાંભળીએ .. મન્ના ડે ના દિગ્ગજ સ્વર સાથે..!!

સ્વર – મન્ના ડે

.

——————————–
Posted on January 2, 2007

સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

આ ગીત મારા ઘણા ગમતા ગુજરાતી ગીતોમાં આવે… આખો દિવસ આ જ ગીત વાગે તો પણ આરામથી સાંભળી શકું…. અને જ્યારે પણ સાંભળું ત્યારે ઓછામાં ઓછા 5-6 વાર તો સાંભળવું જ પડે.. ત્યાં સુઘી તો મન ઘરાય જ નહીં… (બિચારી મારી South Indian Roommates.. 2 કલાક સુધી હુ તુ તુ તુ સાંભળ્યા કરે…) અને સૌથી મજા આવે ગીતની આ પંક્તિઓ ગાતી વખતે… ( એ સમયે ઘરમાં કોઇ હાજર હોય તો એને ભગવાન બચાવે…)

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ તુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ તુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

સ્વર – આશિત દેસાઇ

.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

ગ્લૉબલ કવિતા : ૮૧ : આપણે બધા – એરિકા એલ. સાંચેઝ

All of Us

Every day I am born like this—
No chingues. Nothing happens
for the first time. Not the neon
sign that says vacant, not the men
nor the jackals who resemble them.
I take my bones inscribed by those
who came before, and learn
to court myself under a violence
of stars. I prefer to become demon,
what their eyes cannot. Half of me
is beautiful, half of me is a promise
filled with the quietest places.
Every day I pray like a dog
in the mirror and relish the crux
of my hurt. We know Lilith ate
the bones of her enemies. We know
a bitch learns to love her own ghost.

– Erika L. Sánchez


આપણે બધા

દરરોજ હું આ જ રીતે જન્મું છું-
પત્તર ના ઠોકશો. કંઈ પણ થતું નથી
પહેલી વાર. ‘ખાલી છે’ કહેતી
નિયૉન સાઇન નહીં, માણસો નહીં
કે શિયાળ પણ નહીં જે એમના જેવા જ લાગે છે.
હું ઊઠાવું છું પહેલાં આવી જનારાઓ દ્વારા
અક્ષરાંક્તિ થયેલા મારા હાડકાંઓ, અને શીખી લઉં છું
મારી જાતને સોંપી દેતા સિતારાઓની
હિંસા તળે. હું રાક્ષસ બનવાનું પસંદ કરું છું,
જે એમની આંખો નથી બની શકતી. મારામાંની અડધી સ્ત્રી
સુંદર છે, અડધી એક વચન છે
જે ભર્યું પડ્યું છે શાંતતમ જગ્યાઓથી.
દરરોજ હું પ્રાર્થું છું એક કૂતરાની જેમ
અરીસામાં અને ઉપભોગું છું મારી પીડાઓના
અર્કને. આપણે જાણીએ છીએ કે લિલિથ ખાઈ ગઈ હતી
એના શત્રુઓનાં હાડકાં. આપણે જાણીએ છીએ
કૂતરી શીખી લે છે ચાહવાનું પોતાના જ ભૂતને.

– એરિકા એલ. સાંચેઝ


આ સદીની સૌથી મોટી ઘટના : હેશ ટેગ મી ટુ (#MeToo)

શું તમે એક સ્ત્રી છો? તો આ વાતનો જવાબ આપો: બાળપણના સાવ કાચા-કૂમળા વરસોથી લઈને આજ સુધીમાં તમારા ખભા પર વડીલનું વહાલ, સગાંવહાલાંની આત્મીયતા, મિત્રતાનું સર્ટિફીકેટ, શિક્ષકની શાબાશી કે બૉસની કદરદાની બતાવવા માટે મૂકાયેલો હાથ તમારી બ્રાની પટ્ટી પર માત્ર થોડી જ ક્ષણો માટે પણ ખાસ ઈરાદાપૂર્વક ફરતો તમે કદી અનુભવ્યો છે? એક સ્ત્રી તરીકે આનો જવાબ જો ‘હા’માં આપવો પડે તો સમજી લેજો કે યૌનશોષણનો વિશ્વવ્યાપી વાઇરસ તમને પણ ચેપ લગાડી ચૂક્યો છે.

શું તમે એક પુરુષ છો? તો આ વાતનો જવાબ આપો: શરીરમાં હૉર્મોન્સનો પહેલવહેલો હણહણાટ થયો ત્યાંથી માંડીને આજદિનપર્યંત શું તમે કોઈપણ સ્ત્રીના શરીરને માત્ર થોડી તો થોડી જ ક્ષણો, પણ એ રીતે સ્પર્શ કર્યો છે જે સ્પર્શમાં હાથ લગાડવા પાછળના મૂળ ઈરાદાની જગ્યાએ એક પુરુષ શ્વસતો હોય? માત્ર સ્પર્શ શા માટે, નજરથી તમે કોઈ સ્ત્રીને એને ખબર પડે એ રીતે ગંદો સ્પર્શ કર્યો છે? સ્ત્રી સાંભળી તો શકે પણ તમને દોષી સાબિત ન કરી શકે એવી સિફતાઈથી તમારા બે પગ વચ્ચે ગલગલિયા થાય એવી કૉમેન્ટ તમે કદી કરી છે? જો આનો પ્રામાણિક જવાબ ‘હા’ હોય તો એ વાઇરસ તમે જ છો.

અમેરિકન કવયિત્રી એરિકા એની કવિતામાં વિશ્વ સનાતન કાળથી વ્યાપ્ત આ જ રોગચાળાની વાત કરે છે. એરિકા. એલ. સાંચેઝ. હાલ શિકાગોમાં રહે છે પણ જ્યાં એ જન્મ્યા હતા એ ઇલિનોઇસના સિસરો ખાતેનું ઘર શિકાગોની સરહદને એ રીતે અડીને હતું કે જૂતું ફેંકે તો શિકાગોમાં જઈ પડે. મા-બાપ મેક્સિકોથી અમેરિકા આવેલા ગેરકાયદેસર નિર્વસિતોમાંના એક હતા એટલે એમના સર્જનમાં અને જીવનમાં સતત સરહદો ભૂંસવા માટેની સજાગ મથામણ નજરે ચડે છે. બાર વર્ષની વયે મોટા ડાબલા જેવા ચશ્માં સાથે કિતાબી કીડો જ લાગનારી એરિકાને એ વયે પણ વિશ્વાસ હતો કે એ મોટી લેખિકા બનશે. તેઓ કવિતામાં અનુસ્નાતક થયાં છે. ત્રણેકવર્ષ અખબારમાં સેક્સ અને લવગુરુ તરીકે કોલમ પણ લખી.

એરિકાની રચનાઓમાં સરહદની બંને બાજુએ રહેવાના અનુભવો તાદૃશ વર્ણવાયા છે: આ સરહદ બે દેશ વચ્ચેની છે, બે ભાષા વચ્ચેની છે, જીવન-મૃત્યુ વચ્ચેની છે, તથા તકલીફો અને શક્યતાઓની વચ્ચેની પણ છે. આ કવિતાઓમાં સેક્સ, જાતીય શોષણ, શરમ, ભૂખમરો, હિંસા, અપમાન, રંગભેદ, ડ્રગ્સ, બેનામી નાગરિકત્વ ખૂલીને સામે આવે છે. એરિકાની કવિતા આજના કચડાયેલા અમેરિકાનો બુલંદ અવાજ છે. સરવાળે, આ કવિતાઓ વિષમતાઓની વચ્ચે પણ જીવી જવાની –સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સની કવિતાઓ છે.

એરિકાની આ રચનાનું શીર્ષક ‘આપણે બધા’ છે. અર્થાત્ કવયિત્રી અહીં જે વાત કરનાર છે એ આપણા બધાની છે. એરિકા આજની હવાના કવયિત્રી છે. વરસ પહેલાં ૨૦૧૭માં જ એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘લેસન્સ ઑફ એક્સપલ્ઝન’ અને પહેલી વયસ્ક નવલકથા ‘આઇ એમ નૉટ યૉર પરફેક્ટ મેક્સિકન ડૉટર’ પ્રગટ થયાં. એટલે એમની કવિતા પણ આજની કવિતા છે. આજની આઝાદ પેઢીની જેમ એ પણ છંદ અને પ્રાસના બંધનો ફગાવીને ચાલે છે. ‘આપણે બધા’માં પ્રવેશતાં જ સમજાઈ જાય છે કે આ સ્ત્રીઓના શોષણ સામેનું આક્રંદ છે, આક્રોશ છે. શીર્ષકમાં ‘સર્વ’ તરફ ફૉકસ કરાયેલ કેમેરા કવિતાની પ્રથમ પંક્તિમાં જ એરિકા ‘સ્વ’ તરફ ફેરવે છે. શરૂઆત ‘દરરોજ’થી થાય છે. મતલબ આ કોઈ એક-બે દિવસની કે આજ-કાલની વાત નથી, આ સનાતનકાળની હકીકત છે. એ કહે છે કે એ દરરોજ આ જ રીતે જન્મે છે. વાક્યાંતે પૂર્ણવિરામના સ્થાને એ ડૅશ મૂકે છે જે આપણી આરપાર કશુંક ચીરી નાંખતો હોવાનું અનુભવાય છે. માણસ આમ તો એક જ વાર જન્મે છે પણ અહીં દરરોજ જન્મવાની અને દરરોજ આ એક જ રીતે જન્મતા હોવાની વાત છે. આ કયા પ્રકારના ‘पुनरपि जननं’ની વાત છે એ સાંભળવાને ભાવકના કાન તરત સરવા થઈ જાય છે. અધૂરું રહી ગયેલું વાક્ય એરિકા ‘પત્તર ના ઠોકશો’ કહીને પૂરું કરે છે એટલે તરત જ ખ્યાલ આવે છે કે આગળ કવિતામાં જે કંઈપણ ‘આપણે બધા’ને સ્પર્શતી વાત આવનાર છે એ ખુશનુમા મિજાજની તો નથી જ હોવાની. મૂળ રચનામાં કવયિત્રી સ્પેનિશ ભાષાનો ‘No chingues’ મહાવરો પ્રયોગ કરે છે, જેનો સીધો અર્થ અભદ્ર અંગ્રેજી ભાષામાં don’t fuck થાય છે. પત્તર ઠોકવી ક્રિયાપદ અર્થ અને ક્રિયા-એમ બંને રીતે આની સૌથી નજીક પહોંચે છે. આવી ભાષા વાપરવા પાછળનું કારણ આગળની પંક્તિઓમાં ક્રમશઃ સ્પષ્ટ થાય છે.

એ કહે છે અહીં કશું પણ પહેલીવાર થતું જ નથી. જે કંઈ આજે બને છે એ અગાઉ પણ બની જ ચૂક્યું છે. વસ્તુતઃ એ દરરોજ જ બનતું આવ્યું છે. ‘વેકેન્ટ-ખાલી’ લખેલી નિયૉન સાઇનનો સંદર્ભ આગળ જતાં સમજી શકાય છે પણ કવિતા હવે ઊઘડવા માંડે છે. પુરુષો કે પુરુષના વેશમાં આવેલા શિયાળ પણ કંઈ પહેલીવારની વારતા નથી. શિયાળનો સંદર્ભ એક જ શબ્દમાં પુરુષનું પોત પ્રકાશી આપે છે. શિયાળ અને પુરુષની પ્રકૃતિ એક જ – બંને કાયમના ભૂખ્યાડાંસ, બંને હલકટ, બંને મફતનો શિકાર છોડે નહીં. હવે દરરોજ અને આપણે બધાનો અર્થ નિયૉન સાઇનની જેમ એકદમ સાફ થાય છે. પુરુષો તક મળતાં જ શિયાળની જેમ સ્ત્રીઓને ચૂંથી નાંખે છે અને સ્ત્રીઓના અસ્તિત્વ ઉપર પોતાના પૌરુષી પરાક્રમો અક્ષરાંકિત કરે છે. અંકિત થયેલાં હાડકાં એ સ્ત્રીની ઠે..ઠ ભીતર સુધી આજીવન ભૂંસી જ ન શકાય એ હદે કોતરાઈ ગયેલી વેદના ઈંગિત કરે છે. સ્ત્રી પોતાની આ વેદનાસિક્ત જાતને ઊપાડીને પુરુષોને પોતાનો ભોગ ધરાવતા ક્રમશઃ શીખી ગઈ છે. સિતારાઓની હિંસા શબ્દ કાસ્ટિંગ કાઉચ તરફ ઈશારો કરે છે.

૨૦૧૭ની સાલમાં દુનિયાએ એક એવી વસ્તુ જોઈ જેનો આ પહેલાં કદી સામનો કરવાનો થયો જ નહોતો. એ વસ્તુ કોઈ નવી વસ્તુ તો હતી જ નહીં. જે દિવસે સ્ત્રી અને પુરુષનું સર્જન થયું એ દિવસથી જ કદાચ આની શરૂઆત થઈ હતી પણ હજારો વર્ષોથી માનવજાત આ હકીકતની સામે એમ આંખમીંચામણાં કરીને જીવતી આવી છે, જાણે આ વસ્તુનું પૃથ્વીના પટ પર અસ્તિત્વ જ નથી. આમ તો ૨૦૦૬માં તરાના બર્ક પાસે આવીને એક તેર વર્ષની છોકરીએ પોતાની સાથે કરવામાં આવેલી જાતીય સતામણીની કબૂલાત કરી હતી ત્યારે તરાનાએ માયસ્પેસ નામના સોશ્યલ નેટવર્ક પર આ શબ્દપ્રયોગ કર્યો હતો પણ જ્યારે ૧૫ ઓક્ટૉબર, ૨૦૧૭ના રોજ એલિસા મિલાનોએ ‘હેશ ટેગ મી ટુ’ (#MeToo) કહીને દુનિયાભરની સ્ત્રીઓને પોતાની સાથે થયેલી જાતીય સતામણીનો એકરાર કરીને આ બિમારી કેટલી હદે સાર્વત્રિક છે અને સમાજના દરેકે-દરેક સ્તર પણ કેવા ઊંડા મૂળિયાં ઘાલી ચૂકી છે એનો દુનિયાનો અહેસાસ કરાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જાણે ચમત્કાર થયો. હોલીવૂડ ફિલ્મજગતમાં નવોદિત અને જાણીતી અભિનેત્રીઓના થતા શારીરિક શોષણ -‘કાસ્ટિંગ કાઉચ’-ના જાહેર એકરારનામાએ રાતોરાત આખી દુનિયાની સ્ત્રીઓને એકજૂથ કરી દીધી અને હજારો વર્ષોથી આંખે પાટા બાંધીને જીવતી દુનિયા પાટા ઊતરી જતાં સામે આવી પડેલા પ્રકાશના ઝળાંહળાં ધોધથી હક્કીબક્કી થઈ ગઈ. શાબ્દિક છેડતીથી માંડીને સંપૂર્ણપણે કરાતું છડેચોક જાતીય શોષણ ઘરેઘરે છે એ વાત સિદ્ધ થઈ ગઈ. દુનિયાની અડધાથી વધુ સ્ત્રીઓ જીવનના કોઈના કોઈ તબક્કે ઘર કે બહાર આ પ્રકારની સતામણીનો શિકાર બનતી જ આવી છે અને સોમાંથી પંચાણુ કેસોમાં પુરુષો તરફ કોઈ આંગળી પણ ચીંધતું નથી. છેલ્લા વીસ વર્ષોમાં પોણા બે કરોડ જેટલી સ્ત્રીઓએ જાતીય હુમલાની ફરિયાદ નોંધાવી છે. પણ ‘હેશ ટેગ મી ટુ’એ દુનિયાની સરકારોને સ્ત્રીશોષણ વિરુદ્ધના કાયદાઓ બદલવાની અને ઘડવાની ફરજ પાડી છે. મિલાનોની પહેલવહેલી ‘હેશ ટેગ મી ટુ’ની ટ્વિટ ૨૪ જ કલાકમાં બે લાખ લોકોએ અને ૪૮ કલાકમાં પાંચ લાખ લોકોએ રિટ્વિટ કરી હતી, જે પોતે એક વિક્રમ છે. ફેસબુક પર તો એક જ દિવસમાં સુડતાળીસ લાખ લોકોએ સવા કરોડ પૉસ્ટ્સમાં ‘હેશ ટેગ મી ટુ’નો ઉપયોગ કર્યો હતો.

સિતારા (S-t-a-r) પરથી અલાસ્કામાં ચારેક દાયકાથી કાર્યરત્ ‘સ્ટેન્ડિંગ ટુગેધર અગેઇન્સ્ટ રૅપ’ સંસ્થા પણ યાદ આવે. જો કે અહીં સિતારાઓનો સીધો અર્થ ફિલ્મજગતના સિતારાઓની જેમ પોતપોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી બનેલા પુરુષો સાથે સંકળાયેલો છે, જેઓ પોતાના હાથ નીચે એક યા બીજા કારણોસર આવનારી સ્ત્રીનો આંશિક કે પૂર્ણતયા શારીરિક કે માનસિક ગેરલાભ ઊઠાવવાનું છોડતા નથી. સ્ત્રીને પુરુષોની કામલોલુપ આંખ પણ જે દાનવ નથી બની શકતી એવા શક્તિશાળી દાનવ બનવાની ઇચ્છા છે જેથી એ કમસેકમ પોતાને સંરક્ષી તો શકે. ‘મારામાંની અડધી સ્ત્રી સુંદર છે’ એ વાક્યપ્રયોગ ઇટાલિઅન કવિ પ્રાઇમો લેવીની કવિતા ‘લિલિથ’ના કવયિત્રી રુથ ફેલ્ડમેને કરેલા અંગ્રેજી અનુવાદ ‘Half of me is beautiful/but you were never sure which half’માંથી એરિકા અહીં સીધું જ આણે છે, કેમકે કવિતા આગળ જતાં લિલિથ સાથે સંધાન પણ સાધે છે.

જીવનમાં આગળ આવવાની ઇચ્છા કોને નથી હોતી? પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી હંમેશા સેકન્ડ સેક્સ બનીને જ રહી ગઈ છે. સ્ત્રીસમાનતાની ચળવળ પોતે જ એ વાતની દ્યોતક છે કે હજારો વર્ષ વીતી ગયાં પણ સ્ત્રીઓને કદી પણ પુરુષસમોવડી ગણવામાં આવી જ નથી કેમકે લડાઈ હંમેશા જે નથી પ્રાપ્ત થયું એ મેળવવા માટેની જ હોઈ શકે. સમાન જ હોઈએ તો તો સમાનતાની ચળવળ જ ન હોય પણ ચળવળો છે મતલબ સમાનતા નથી જ. વિશ્વના દરેક ધર્મના શાસ્ત્રો પુરુષોએ લખ્યા, બધા નિયમો પુરુષોએ જ લખ્યા, બધા ઇતિહાસ પણ એમણે જ લખ્યા અને એટલે જ ‘વુમન ઑન ટૉપ’ એ માત્ર સેક્સ દરમિયાન એકવિધતા ટાળવા માટેનું કામાસન બનીને જ રહી ગયું છે. અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓનું સ્થાન સમાજમાં હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યું છે. પુરુષોએ કાયમ એમનો હાથ ઉપર જ રાખ્યો છે ને પરિણામે દુનિયાના કોઈપણ દેશમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સ્ત્રી આગળ આવવા ઇચ્છતી હોય તો એણે એની ઉપરનું સ્થાન પચાવી પાડનાર પુરુષની જોહુકમીનો વધતાઓછા અંશે ભોગ બન્યા સિવાય આરો જ નથી. ક્યાંક ગાજર લટકાવીને તો ક્યાંક માત્ર દાદાગીરીના જોર પર પુરુષો સ્ત્રીઓનો શિકાર કરતા આવ્યા છે, કરતા રહેશે. એટલે જ એરિકા કહે છે કે એનામાં અડધી સ્ત્રી સુંદર છે અને બાકીની અડધી ભરી પડી છે શાંતતમ જગ્યાઓના વચનોથી, એવા વચન જે કદી પૂરાં થનાર જ નથી, કેમકે શિયળ ચૂંથનાર શિયાળ એના શિકારને કદી શાંતિ બક્ષનાર જ નથી.

ફરી એકવાર એરિકા યાદ કરાવે છે કે આ શોષણની વાર્તા ‘દરરોજ’ની છે, સનાતન છે. ઘાયલ કૂતરો જેમ પોતાના જ હાડકાંઓને ચાટીને પીડાયુક્ત આનંદ મેળવે છે એમ જ એ દરરોજ અરીસા સામે કૂતરાની જેમ આ યાતનાઓમાંથી બચવા માટે પ્રાર્થના કરે છે અને પોતાની જ પીડાઓના અર્કને ઉપભોગે પણ છે. કૂતરો અરીસામાં જુએ ત્યારે શું પોતાની જાતને ઓળખી શકે છે? વૈજ્ઞાનિક સંશોધનો પરથી એવું સિદ્ધ થયું છે કે હાથી, ડોલ્ફિન અને ચિમ્પાન્જી જેવા કેટલાક પ્રાણીઓ જાત વિશે સભાન હોય છે અને તેઓ અરીસાની કસોટીમાં પાર ઉતરે છે પણ કૂતરો અરીસામાં પોતાની જાતને ઓળખવાની કસોટીમાં કદી ઉત્તીર્ણ થતો નથી. અર્થાત્ કૂતરો ભલે અરીસામાં દેખાતા પ્રાણી સાથે ઝઘડે કે રમે પણ પોતાની જાતને ઓળખી શક્તો નથી. મતલબ નાયિકા અરીસામાં પોતાને કદાચ ઓળખી પણ નથી શકતી. એ કોને પ્રાર્થી રહી છે એ કદાચ એ પોતે પણ જાણતી નથી.

આખરી ત્રણ પંક્તિઓમાં કવયિત્રી પોતાની વાત પડતી મૂકીને ‘આપણે’ને લઈ આવે છે અને એ રીતે શીર્ષક સાથે અનુસંધાન કરે છે. પોતાના શત્રુઓના હાડકાં ખાઈ જનાર લિલિથની વાત સાથે ‘આપણે જાણીએ છીએ’નો જે ઉલ્લેખ થયો છે એ યાદ રાખવા જેવો છે. એ કહેવા માંગે છે કે આપણે જાણીએ જ છીએ કે લિલિથ ઉર્ફે સ્ત્રીઓની ખરી તાકાત શું છે. લિલિથ ચારેક હજાર વર્ષ જૂનું યહૂદી પુરાણકથાઓનું પાત્ર છે. લિલિથ એટલે એક રાતની ખતરનાક રાક્ષસી, કામાતુર સ્ત્રી, જે અંધારામાં અન્યોના બાળકો ચોરી લે છે. લિલિથનો અર્થ રાત્રિ થાય છે અને એ રીતે તે ડર, ઉપભોગ અને નિરંકુશ સ્વાતંત્ર્ય જેવી અંધારી પરિભાષાઓ પણ નિર્દેશે છે. સિરિયામાં મળી આવેલ ઈ.પૂ. ૭૦૦ના એક પથ્થર પરનું કોતરકામ કહે છે: ‘હે અંધારા કક્ષમાં ઊડનાર, તાબડતોબ રવાના થા, ઓ લિલી.’ કહેવાય છે કે લિલિથ આદમની પહેલી પત્ની હતી, ઈવ નહીં, જે આદમના પૌરુષી ‘મેન ઓન ટોપ’ આદેશને તાબે થવાના બદલે ‘તું મારી નીચે સૂઈ જા, આપણે બંને સરખાં જ છીએ કેમકે આપણે બંને એક જ પૃથ્વીમાંથી જન્મ્યાં છીએ’ કહીને ભાગી નીકળી હતી. આજના સમયમાં લિલિથ ‘સારી છોકરી’ નહીં બની રહેવા માંગતી નારીવાદી સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. માઇકલ એન્જેલો તથા દાન્તેના ચિત્ર, દાન્તેની કવિતા અને જેમ્સ જોઇસની નવલકથાઓમાં એ અમર થઈ ગઈ એ પછી તો ઢગલાબંધ સર્જકોએ સ્ત્રીસ્વાતંત્ર્ય આલેખવા લિલિથના રૂપકનો આશરો લીધો છે.

એરિકા ‘બીચ’ વિશેષણ વાપરે છે જેનો એક સીધો અર્થ તો કૂતરી થાય છે પણ ગર્ભિત અર્થ કૂતરી જેવી સ્ત્રી અર્થાત્ સ્ત્રીઓને આપવામાં આવતી ગાળ થાય છે. કૂતરી પોતાના ભૂતને પણ આખરે ચાહતા શીખી લે છે એ આપણે જાણીએ જ છીએ ને એ કારણોસર જ આપણે સ્ત્રીઓને કૂતરી જેવી બનાવીને રાખી છે. બળાત્કારીને પણ એ માફ કરી શકે છે અને એટલે જ એના પર થતા બળાત્કારોનો અંત આવતો નથી. એરિકા સમસ્યા તરફ અંગૂલિનિર્દેશ માત્ર કરે છે, કોઈ ઈલાજ સૂચવતી નથી. કવિતાનું એ કામ પણ નથી. કવિતા માત્ર આપણી મૂર્છિત થઈ ગયેલી સંવેદનાઓને સંજીવની સૂંઘાડીને હોંશમાં લાવવાનું કામ કરે છે અને એ કામ આ કવિતા બખૂબી કરી શકી છે. આ કવિતા વિશે એરિકા પોતે કહે છે કે આ કવિતા ગુસ્સામાંથી જન્મી છે અને જેમ જેમ મેં ફરી-ફરીને સુધારવાનું ચાલુ રાખ્યું તેમ-તેમ મને ખ્યાલ આવતો ગયો કે હું પણ હેશ-ટેગ મી ટુ ચળવળ વિશે લખી રહી છું અને આ સભ્યતામાં સ્ત્રી હોવાનો મતલબ શો છે. વારસામાં મળતી હિંસાનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ?

મને હું શોધું છું – દલપત પઢિયાર

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

shodh
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?

ગ્લૉબલ કવિતા : ૮૦ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.
Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર વીતી રહેલી ક્ષણોને અઢેલીને તમે એનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચીને બેઠા છો… આ સમય અહીં જ થીજી જાય તો કેવું સારું એવી બૂમ હૃદયના ઊંડામાં ઊંડે ખૂણેથી ઊઠતી હોય એવે વખતે ક્ષિતિજ પર તમારા પ્રણયને અવગણીને ઝડપભેર ઢળી રહેલો સૂરજ પીગળી રહેલા આઇસક્રીમ જેવો નથી લાગતો? આઇસક્રીમ… આઇસક્રીમ કોને ન ગમે? પણ શું એ પ્રેમની જેમ ટકી શકવા સમર્થ છે ખરું? ગમે એટલું વહાલું કેમ ન હોય, વેફલકૉનમાં કે કપમાં આઇસક્રીમ લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ એ તમારા હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડે છે કેમકે એની ખરી મજા જ એને માણવામાં છે, સાચવવામાં નહીં. જિંદગીનું પણ આવું જ છે. વૉલેસ સ્ટિવન્સ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા અને ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં તો જીતી ન શકી પણ પ્રગટ જરૂર થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરી નીચલા વર્ગની છે એમ વિરોધ સાથે આશીર્વાદ આપવા આવ્યા નહીં અને વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. એલ્સી અડધા ડોલરના સિક્કા માટેની મોડેલ પણ બની હતી. વૉલેસ કરતાં ઉમરમાં એક દાયકો નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે પણ અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન એક છત નીચે અલગ-અલગ શયનકક્ષમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે થ્રી-પીસ સુટમાં સજ્જ રહેલી અંતર્મુખી સ્વભાવની માલિક સવા છ ફૂટની પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક ગણાય છે પણ મૃત્યુના એક વર્ષ પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાથી પ્રચુર જોવા મળે છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકવાની કલ્પનાની શક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની એમની અભૂતપૂર્વ પ્રતિભા એમને સમકાલીન આધુનિક કવિઓથી ઉફરા તારવી આપે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહે છે. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં એ લખાઈ છે પણ કવિએ મીટર એકધારું રાખવાના બદલે નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વાત વધુ રસિક બને છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવવાની પળોજણ કરી નથી. આ કવિતાને સેંકડો વિવેચકોએ વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા કહી છે અને એ સાથે જ સેંકડો વિવેચકોએ આને ઉત્તમોત્તમ કૃતિ કહીને માથે પણ ચડાવી છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘એલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી જે પરિભાષા આ કવિતાને પણ લાગુ પડે છે. આ પ્રકારની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી જરા ઉફરી ચાલે છે. આ કવિતાઓમાં વચ્ચે-વચ્ચેથી ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવામાં આવે છે. તિર્યકતા અને માર્મિકતા એના પ્રધાન લક્ષણ છે. આ કવિતામાં પણ ઘણી વસ્તુઓ સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારની છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. કવિતાની વ્યાખ્યા આપતા વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજાર જાતના શહેનશાહોના નામ આપણે સાંભળ્યાં હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ છે એ વાત બબ્બે વાર કરે છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપવું ઘટે.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા હતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને નિરામય સ્વાસ્થ્ય માટે બરફ ખાવાનો ઈલાજ સૂચવતા હતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબો ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ હકીકત એમણે શોધી કાઢી હતી. રોમન રાજાઓ ગુલામો પાસેથી પહાડો પરથી તાજો બરફ મંગાવી એમાં અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા હતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં જ રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવી ખાધો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો હતો. ભારતમાં મોઘલ સામ્રાજ્યમાં આઇસક્રીમના પગરણ મંડાયા. છેક ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ સામાન્ય માણસોની પહોંચ બહારની ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સહજ સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે!

કવિતા ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. બંને અંતરા પણ બે કમરાની જેમ જ અલગ પડે છે. પહેલો અંતરો આપણને રસોડામાં તો બીજો અંતરો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા જ વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધી આપે છે. કવિતા વિશે વાત કરતાં-કરતાં વૉલેસે જે અસામાન્ય શબ્દોની ભરમાર કરી છે એ પણ સાથોસાથ જોતાં જવું પડશે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) જેવા શબ્દો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ તદ્દન out of the box શબ્દ આપણને વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. જો કે વૉલેસે પોતે આ કવિતા વિશે કહ્યું હતું: ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને સામાન્ય પોશાક ધારણ કર્યો છે પણ તે છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ એટલે સમજી શકાય છે કે વૉલેસે આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજ્યાં છે. કામાતુર શબ્દ ખાદ્યપદાર્થ માટે વાપરવામાં આવ્યો છે એ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં અંગ્રેજી ભાષાના સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

આ કવિતામાં વીસમી સદીના પ્રારંભકાળના કી-વેસ્ટ તથા હવાના ટાપુઓની આબોહવા નજરે ચડે છે. વૉલેસ આ સ્થળોએ અવારનવાર રહ્યા હતા એટલે ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય અહીં આપણને સાંપડે છે. અંગ્રેજીમાં મૃતકના ઘરમાં એની લાશ પડી હોય એ સમયે થતા સામાજિક મેળાવડાને ‘વૅક’ (wake) કહે છે. એક જમાનામાં આ પ્રસંગે જાગરણ થતું હોવાથી આ નામ પડ્યું હોવાનું મનાય છે. આવા પ્રસંગોએ આઇસક્રીમ પણ ઘરોમાં બનાવાતું. કવિતાના આરંભ પરથી જ સમજી શકાય છે કે કોઈકે આ ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લીધી છે અને એ એક પછી એક હુકમ આપે છે. હાથેથી કાગળ વાળીને મોટી સિગાર બનાવવામાં જે નિષ્ણાત હશે એવા કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન સૌપ્રથમ તો કરવામાં આવે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં ઘણી સિગારની ફેક્ટરીઓ હતી એટલે નજીકની આવી ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો હુકમ થયો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે કામાતુર દહીંઓને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને જે કપડાં તેઓ સામાન્યતઃ પહેરતી હોય છે એ જ કપડાંમાં અહીં-તહીં આંટા મારવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખાસ કાળાં કપડાં પહેરવાની પ્રથા હોય છે પણ નાયક અહીં મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદા કપડાંમાં છોકરીઓનું સ્વાગત છે. છોકરડી માટે કવિએ વાપરેલ ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો અર્થ વેશ્યા પણ થાય છે. અહીં કવિ કદાચ બંને અર્થોનું સંમિશ્રણ ઝંખે છે. શોકસભામાં છોકરાઓ વ્યવસ્થિત બુકે બનાવીને ફૂલ લાવતા હોય છે પણ અહીં વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા આપવામાં આવી છે. ગયા મહિનાના અખબારનો સંદર્ભ અને ફૂલોનું અલ્પાયુ પણ આઇસક્રીમ અને એ રીતે જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. વાસ્તવ અને કલ્પના – આ બે જણ સામસામે આવી ઊભા હો ત્યારે વાસ્ત્વને કલ્પનાથી ઊંચુ સ્થાન કવિ આપી રહ્યા છે. સરળ ભાષામાં કહી શકાય કે ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો. લાગવું એ આભાસી જીવનનું પ્રતીક હોઈ શકે છે તો હોવું એ નક્કર મૃત્યુની હકીકત. કેમકે આખરે તો જે ક્ષણોમાં પીગળી જનાર છે આઇસક્રીમ યાને કે મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ એ સેક્સ, ફૂલો અને અખબારની જેમ જ એકદમ અલ્પજીવી આનંદ છે. વળી આઇસક્રીમ ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ટાઢક પણ અહીં અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ જેમ હવે ઠંડો જ હોઈ શકે, રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ જેના મૃત્યુપ્રસંગે આવ્યાં છે એ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે. આમ, બધી રીતે આઇસક્રીમ યથાર્થ લાગે છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાનું દૃશ્ય પૂરું થયા બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. આખી કવિતા વાંચી ન લો ત્યાં સુધી પહેલો અંતરો સમજી શકાય એમ જ નથી. બીજો અંતરો જ પહેલા અંતરાને ખોલવા માટેની ચાવી છે. સંભાષક હજીય હુકમ ચલાવી રહ્યો છે. એ મૃતકને ઓઢાડવા માટે કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. કબાટના ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો અહીં પહેલવહેલો અંદેશો આવે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરી આવે છે. એ ચાદર કાઢવાની છે જેના પર મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું. ભરતકામનો શોખ મરનારની વય વધુ હશે એવો ઈશારો કરે છે. આમ, મૃતકની ઉમર વિશે પણ કવિતામાં પહેલી વાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. રસોડામાં ચાલતી પવૃત્તિઓ પર પડદો પાડવા માટેની આ ચેષ્ટા હોવાનું પણ અનુભવાય છે. બની શકે કે મોઢું ઢાંકવા જતાં એના પગ ઊઘાડા રહી જાય. કવિ પગ માટે હૉર્ની વિશેષણ વાપરે છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ એ આંગળીના અગ્રભાગને ઢાંકતો શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો પદાર્થ છે. વળી આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડી માટે પણ હૉર્ની વિશેષણ પ્રયોજી શકાય છે. એ સિવાય આખી કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો બીજો અર્થ કામાતુર થાય છે એ યાદ કરવું પણ અનિવાર્ય છે. આંટણવાળા કઠણ પગ એ મૃતકની ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ છે. ચાદરમાં ઢંકાવા બાકી રહી જતા કઠણ પગ મૃતકનો રસોડાની ગતિવિધિ તરફનો ઠંડો અને મૂંગો પ્રતિભાવ સૂચવે છે. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં જીવનની અપૂર્ણતા પણ દેખાડે છે. ટૂંકમાં, અનેક રીતે અર્થઘટન કરી શકાવાની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

વૉલેસની આ Carpe Diem કવિતા પણ આજમાં જીવી લેવાની જ વાત કરે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની હોવા-ન હોવાની દ્વિધામાં અટવાયેલ શેક્સપિઅરના હેમ્લેટની પણ આ કવિતા યાદ અપાવે છે. અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટના જ ઉચ્ચારણ ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ની પણ યાદ અપાવે છે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાનાર છે એ અફર હકીકત છે. આસપાસનું જીવન તો મૃત્યુ પછી પણ અટકવાનું નથી. શા માટે મોતના શોકનો દંભ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? શા માટે પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવનનું ચિત્ર અને એકલવાયા મૃત્યુના ચિંતન તરફ આપણને લઈ જાય છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. આઇસક્રીમ જે આપણને શરૂમાં એક ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે લોભાવે છે એ આખરે ભાગ્ય આપણને અંતે ક્યાં લઈ જનાર છે એના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’

મારો અનહદ સાથે નેહ! – મકરંદ દવે

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરંદ દવે