Category Archives: અછાંદસ

ગ્લૉબલ કવિતા : ૨૪૬ : તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)

The Palms

When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.

– Charlie Smith


તાડનાં વૃક્ષ

એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.

– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)

देंगे वही जो पाएंगे इस जिंदगी से हम

હિલસ્ટેશન પર સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હોય એ સમયે સૂર્યાસ્ત ચૂકાઈ જવાની બીકે પૉઇન્ટ તરફ ઝડપભેર દોડતા લોકોને આપણે સહુએ જોયાં જ હશે. પર્વતની ટોચ ઉપર ઊભા રહીને દૂર ક્ષિતિજ ઉપર સૂર્ય આથમતો હોય એ વેળાએ આકાશમાં થતી રંગલીલા સહુને આકર્ષે છે. પણ પછી ઝડપભેર ધૂસર થતું વાતાવરણ આકાશની સાથોસાથ આપણી ભીતર પણ ઘેરો રંગ પાથરી દે છે. ક્યાંક પ્રેમીઓ ઢળતી એકબીજાને સાંજે જીવન-મરણના કોલ આપતા નજરે ચડે છે, તો ક્યાંક કોઈ કવિહૃદય ગ્લાનિથી છલકાઈ પણ ઊઠે છે. એક જ સ્થળે ઘટતી એક જ ઘટના એને માણનાર દરેક માટે અલગ-અલગ અર્થ બનીને આવે છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ-અલગ અહીં તો સૌની શામ છે.

એક જ વ્યક્તિ માટે પણ એક જ ઘટના અલગ-અલગ સમયે અલગ-અલગ અહેસાસ બનીને આવે એમ પણ બને. આજે મજાનો લાગતો સૂર્યાસ્ત આવતીકાલે મજાનો ન પણ લાગે. આપની આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. ચાર્લી સ્મિથની કવિતાના માધ્યમથી આ વાત સમજીએ.

ચાર્લી સ્મિથ. અમેરિકન કવિ. જન્મ. 27 જૂન, 1947. હાલ (2023માં) ન્યૂયૉર્ક ખાતે રહે છે. કવિ હોવા ઉપરાંત તેઓ સફળ નવલકથાકાર પણ છે. પ્રસ્તુત રચના ‘ધ પામ્સ’ 1993માં પ્રગટ થયેલ એ જ નામના સંગ્રહમાંની શીર્ષસ્થ કૃતિ છે. આધુનિક અંગ્રેજી કવિતામાં ચલણી બનેલ અછાંદસ અથવા ગદ્યકાવ્યની ચાલ જ કવિને બહુધા પસંદ હોવાથી પ્રસ્તુત રચનામાં પણ છંદોલય તથા પ્રાસાદિની ઉપસ્થિતિ નથી. કવિની અન્ય રચનાઓનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે સંકુલ વાક્યરચનાઓ અને અતિસંકુલ અભિવ્યક્તિ એમને વધુ પસંદ છે. એમની એક રચના ‘સ્પ્રંગ (sprung)’માં આવતા પ્રયોગ ‘all that is left to put momentarily against the crimes of our nature’ વિશે એમને પૂછવામાં આવતાં એમણે ખુલાસો કર્યો હતો કે ભીતરી આકસ્મિક આવશ્યકતાએ એમની પાસે આ શબ્દપ્રયોગ કરાવ્યો હતો પણ સાથે જ એનો સુસ્પષ્ટ અર્થ બતાવવા પોતે અસમર્થ હોવાનું પણ સ્વીકાર્યું હતું. પ્રસ્તુત રચનામાં પણ આવા શબ્દપ્રયોગો સાથે આપણી મુલાકાત થવાની જ છે.

ચાર્લીની આ કવિતા સામાન્ય રીતે જોવા મળતાં અછાંદસ કાવ્યોથી થોડી અલગ તરી આવે છે, કારણ કે કવિતામાં પંક્તિઓ તો ત્રેવીસ છે, પણ વાક્ય કેવળ એક જ છે. જી હા, આખી કવિતા સળંગ એક જ વાક્યની બનેલી છે. અલ્પવિરામની મદદથી અનેકાનેક વાક્યાંશ મૂળ વાક્યમાં ઉમેરાતા રહે છે, પણ વાક્ય તો છેક કાવ્યાંતે જઈને જ પૂરું થાય છે. આ પ્રકારની કાવ્યરીતિને લઈને એક તરફ વાક્યરચના અતિશય સંકુલ બને છે, જેને લઈને કવિતાનો કેન્દ્રસ્થ ભાવ વધુને વધુ ઘુંટાય છે અને કવિતા છાતીમાં ડચૂરાતી હોય એમ એક અસ્વસ્થતાનો શિકાર ભાવકને બનાવે છે. બીજી તરફ, આખી રચના એક જ વાક્યમાં લખાયેલી હોવાથી વાંચકને વચ્ચેવચ્ચે શ્વાસ લેવાનો સમય મળતો નથી. રચનામાંથી સડસડાટ પસાર થવાની ફરજ પડે છે. પરિણામે જે અનુભૂતિમાંથી આ કવિતા જન્મી છે, એ જ અનુભૂતિ એ જ માત્રામાં આપણને સહુને કરાવવાનો કવિનો ઈરાદો બખૂબી સફળ થાય છે. સર્જનની પળોને સહિયારવા માટે ભાષા તો એકમાત્ર ઉપાદાન છે જ, પણ કાવ્યસ્વરૂપ પણ કઈ રીતે આ કાર્યમાં સહાયક નીવડી શકે એ સમજવા માટે પ્રસ્તુત રચના સારું ઉદાહરણ પૂરું પાડે છે.

લૉસ એન્જેલિસ શહેર જાવ અને સનસેટ બૂલવાર્ડ જોયા વિના પાછા ફરો તો શહેર જોયેલું ન કહેવાય. હોલિવૂડના દિગ્ગજ કળાકારો ત્યાં રહે છે, હૉટલ-કાફે, શોપિંગ અને નાઇટ લાઇફથી ધમધમતો આ વિસ્તાર શહેરના હૃદય સમો છે. પશ્ચિમના દરિયાકાંઠે પહાડોની હારમાળા વચ્ચેનો આ ભાગ જિંદગીથી ભર્યોભર્યો અનુભવાય છે. બૂલવાર્ડ એટલે જેની બંને બાજુએ વૃક્ષોની હારમાળા હોય એવો પહોળો રસ્તો. દરિયાકાંઠાના આ વિસ્તારમાં તાડવૃક્ષોનું વર્ચસ્વ સહેજે વર્તાય છે. કવિ જે દિવસની વાત કરે છે, એ દિવસે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એ સમયે કથક સનસેટ બૂલવાર્ડમાં પૂર્વ દિશામાં ભાડાની કાર હંકારી રહ્યો હતો. કવિતાની કરામત અહીંથી જ શરૂ થઈ જાય છે. આ વિસ્તારમાં પૂર્વ તરફ આગળ વધવું મતલબ વિસ્તારને પાછળ છોડતા જવાની દિશા પકડવી. જે વિસ્તારની ખરી રોનક જ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે, એ વિસ્તારથી એ સમયે જ દૂર જવા તરફનું પ્રયાણ કાવ્યારંભે જ વાતાવરણ બોઝલ કરી દે છે. બીજું, આ એવા દેશની વાત છે જ્યાં પોતાની માલિકીની કારનું હોવું અતિસામાન્ય ગણાય છે. આવા દેશમાં પણ કથક ભાડૂતી કાર ચલાવી રહ્યો હોવાની હકીકત એની નબળી આર્થિક સ્થિતિને અધોરેખિત કરે છે. અતિવૈભવશાળી પ્રદેશ સામે ભાડૂતી કારનો વિરોધાભાસ બે દિશાઓના વિરોધાભાસને ધાર કાઢી દે છે.

બાહ્ય પ્રકૃતિ અને વૈભવના વિરોધાભાસોને બહુ ઓછા શબ્દોમાં તાદૃશ કર્યા બાદ કવિ ભીતરી દ્વંદ્વ પ્રકટ કરે છે. કથકનું આંતરમન લોહીલુહાણ છે. કારણ તો કવિએ આપ્યા નથી (જરૂરી પણ નથી), પણ કથકની અંદર અંતહીન યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ અંતહીન છે, મતલબ આ એવું યુદ્ધ છે, જેમાં કોઈ પરિણામ કદી આવનાર નથી. હારજીત કામ્યા વિના ઇચ્છા હોય કે નહીં, સતત લડતા-બાખડતા રહેવાનું છે. યુદ્ધ આંતરિક છે, માટે ફરજિયાત છે. પણ આ અંતહીન મારપીટને લઈને કથક થાકીને ઠૂસ થઈ ગયો છે. પણ કોઈ યુદ્ધ એટલું મોટું હોતું નથી કે કવિને ખતમ કરી શકે. હતાશા અને થાકની પરાકાષ્ઠાએ પણ નાયકની ભીતરનો કવિ મરી પરવાર્યો નથી. એને ખબર છે કે આ ટાણું પ્રકૃતિ અને નગર –ઉભયના સૌંદર્યના તીવ્રતર થવાનું ટાણું છે. રિઅર વ્યૂ મિરરના નાનકડા પરદાનો ઉપયોગ કરી જાતને મનાવી લેવાના બદલે એ ચાલુ કારે પાછળની તરફ જુએ છે, જે જગ્યાએ આકાશ અને શહેર બંનેએ નવા રંગરૂપ ઓઢવાનું શરૂ કર્યું છે.

કથકને અપેક્ષા હતી કે આ સમયે એ પાછળ જોશે તો વિશાળ સમુદ્ર પર પથરાઈ રહેલ સાંજના પીળા-કેસરી રંગ પાણી પરથી પરાવર્તિત થવાના કારણે અસીમ અફાટ સમુદ્ર ભડકે બળતો હોવાનો ભાસ એને જોવા મળશે, તથા આ પ્રકાશની લીલાને વધુ સ્પષ્ટ અને વધુ સુંદર બનાવતી હવામાં વ્યાપ્ત ધૂળ ચિત્ર સમા દેખાતા શહેર ઉપર ઝળુંબતી જોવા મળશે. આ દૃશ્ય એણે અગાઉ અનેકવાર જોયું હશે એટલે જ એની ડોક ચાલુ ગાડીએ પાછળ તરફ વળી છે. પણ આજની પરિસ્થિતિ અલગ છે. આજનો કથક જીવનની સમસ્યાઓથી હારેલો-થાકેલો મનુષ્ય છે. વળી, આ સમસ્યાઓ અંતહીન હોવાને કારણે એ નાસીપાસ પણ થયેલ છે. પરિણામે આજે એની નજર પ્રકૃતિનું સાંધ્યનર્તન નિરખવાના સ્થાને બીજું જ કંઈ જોઈ રહી છે. સાહિર લુધિયાનવીની ગઝલના બે શેર આ તબક્કે અવશ્ય યાદ આવે:

तंग आ चुके हैं कशमकश-ए-ज़िंदगी से हम
ठुकरा न दें जहाँ को कहीं बे-दिली से हम

हम ग़मज़दा हैं, लाये कहाँ से खुशी के गीत
देंगे वही जो पायेंगे इस ज़िंदगी से हम

ત્રસ્ત મગજના કૅન્વાસ પર સૌંદર્યાનુભૂતિને સ્થાન નથી. એટલે બુલેવાર્ડની ચકાચૌંધ સૃષ્ટિના સ્થાને એ જરીકામ જેવી ભાસતી લોખંડની બુટ્ટેદાર જાળીઓને લઈને એકમેક સાથે ગંઠાઈ ગયેલી જણાતી ભાંગીતૂટી નાની-નાની દુકાનોની નોંધ લે છે. લોખંડની જાળીઓમાં જરીકામ નજરે ચડે એ વાત સાથોસાથ કવિસહજ સૌંદર્યબોધની ખાતરી પણ કરાવે છે. પર્વતની ટેકરીની તળેટી તરફ ફૂટતી સાંકડી ગલીઓ દૂર ભાગતા પાગલો જેવી નજરે ચડે છે. અને માથે સૂર્યને અવરોધતો ટીલો દેખાય છે. પીળી માટીની તૂટી-ફૂટી ગંદી દીવાલ જેના મથાળે કેટલાંક નાનકડાં ઘરો એકબીજા સાથે કોઈ સંબંધ ન હોય એમ છૂટાછવાયાં દેખાય છે અને નજીકમાં જ પેલી દુકાનોની જેમ જૂથબંધ ઝૂંપડીઓ પણ છે. વેરવિખેર નાનાં મકાન સહિત જે કંઈ નજરે ચડી રહ્યું છે એ વિસંબદ્ધતા અને વિક્ષુપ્તતાની લાગણી જન્માવે છે. વૃક્ષને વેલગુચ્છા વચ્ચેથી પસાર થતી શેરીનું સૌંદર્ય જો કે આ સમયે પણ કથકની નજરથી અછતું રહેતું નથી. પણ સુંદરતાની આછીપાતળી આવી નોંધની સાથે જ વિક્ષુબ્ધ મનને સૂર્ય જેની પાછળ સંતાયેલ છે એવા સ્પષ્ટ દેખાતા ટીલા તરફથી આવતો પ્રકાશ સડેલો અને અસહનીય અનુભવાય છે.

હીંચકો જે રીતે સતત આગળ-પાછળ ગતિ કરતો રહે એ રીતે રૂપ અને કુરૂપતા વચ્ચે કવિમન ઝોલા ખાયે રાખે છે. નજર માટે અસહ્ય લાગતી ટેકરી પર તાડવૃક્ષોની હાજરી નોંધવાનું નજર ચૂકતી નથી, પણ પવનની અનુપસ્થિતિમાં તાડના તાલાં કોઈએ પ્રાણ હેરી ન લીધાં હોય એમ લબડી પડ્યાં હતાં અને પ્રકાશિત વિશાળ આકાશની પૃષ્ઠભૂમાં એકપાર્શ્વ ચિત્ર (silhouette) સમાં ભાસતાં હતાં. કવિમન અદ્વિતીય રૂપકની મદદથી દૃશ્યને અનૂઠો ઓપ આપે છે. નિર્હેતુક એકાંતમાં કાળા મ્લાન વિચારોને કોઈએ કારણોના જાડા દોરડાને છેડે એકસામટા બાંધી દીધા હોવાનું તેઓ અનુભવે છે. ગ્લાનિયુક્ત મનમાં જન્મતા ક્લુષિત વિચારોના ઉદ્ભવ વિશે કોઈ કારણ કે તારણ કાઢી શકાય એમ નથી. આ વિચારો વળી ગંઠાયેલા પણ છે, એટલે એના સહારે કોઈ દિશામાં ગતિ કે પ્રગતિ પણ સંભવ નથી. એક રૂપકથી ભાવકને અનુભવાતી પીડા ઓછી હોય એમ કવિ એને બીજા રૂપક સાથે જોડે છે. નિષ્પ્રયોજન એકાંતમાં લટકતા આ વિચારો જાણે કે કોઈ રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટરની પાછળ ઉભેલા માણસના વિચારો જેવા છે, જે અંગ્રેજી નથી બોલી શકતો. મતલબ, આ જગ્યાએ તે આગંતુક છે. માંસ લપેટવા વપરાતા જાડા કાગળમાંથી બનેલ ટોપી એણે પહેરી છે અને બંને જણ સહમી ન જાય ત્યાં સુધી તે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા માર્યે રાખે છે. છાતીમાં ડચૂરો ભરાઈ પડ્યો હોવાનો અર્થબોધ કરાવતી રચનામાં અણધારી હિંસા સાથે આપણો સામનો થતા છળી પડવા જેવું અનુભવાય છે. નાની દીકરી પરના સગા બાપનો અત્યાચાર કાવ્યાર્થની સંકુલતામાં એક ઓર પરત ઉમેરે છે.

ચાલુ કારે પાછળ જોતાં દેખાતા દૃશ્યની અનુભૂતિના અંકોડા ગૂંથાતા-ગૂંથાતા અચાનક સામે આવેલ આ ચિત્ર ભૂતકાળની કોઈક ઘટનાના પુનર્સ્મરણને લઈને છે. વાહનચાલકના મનનો ઉદ્વેગ એને સમાંતર કોઈક ઉદ્વેગ સાથે છેડા જોડી બેસે છે. પોતાના જીવનથી વિહ્વળ ગરીબ નાસમજ બાપ-દીકરી જે નિઃસહાયતા અનુભવે છે એ આ ક્ષણે આપણી પોતે પણ અનુભવીએ છીએ. કવિમનની વ્યાકુળતાની પરાકાષ્ઠાએ યથાતથ આપણને સફળતાપૂર્વક પહોંચાડતાવેંત કવિતા પૂરી થઈ જાય છે. ત્રેવીસ-ત્રેવીસ પંક્તિથી બંને તરફ અક્ષરોના ઝાડ ઊગ્યા હોય એવી વાક્યોની ગલીઓમાંથી સડસડાટ દોડતી આપણા અહેસાસની ગાડી અચાનક કાવ્ય પૂરું થઈ જતાં સામે મળતા પૂર્ણવિરામ સાથે અથડાઈને જાણે આપણા અસ્તિત્વ સમગ્રના ફૂરચેફૂરચા કરી દે છે.

નોકરી પર દિવસ જો સારો ગયો હોત કે બોસે પ્રમોશન જાહેર કર્યું હોત કે સાથીકર્મચારિણીએ પ્રેમપ્રસ્તાવ પૂક્યો હોત તો લૉસ એન્જેલિસની સાંજનું આ જ દૃશ્ય કથકને અલગ દેખાયું હોત. પવનથી ‘અછૂતા’, ‘લગડી’ પડેલ તથા ‘કાળાં’ દેખાતા તાડવૃક્ષોની પાર્શ્વછાયામાં કાવ્યનાયકને ઈશ્વરની કળા નજરે ચડી હોત. નાયકનું અંતર્જગત બાહ્યજગત પર પ્રતિબિંબાવાના કારણે દૃશ્યના આયામ બદલાયા છે. દુનિયા આપણા ઉપર જે રીતે અસર કરે છે, એ જ પ્રમાણે, બદલામાં આપણે દુનિયાનું સર્જન કરીએ છીએ… ફરી એકવાર સાહિરને જ યાદ કરીને આપણે પણ આજની વાત પર પૂર્ણવિરામ મૂકીએ…

दुनिया ने तजरबात-ओ-हवादिस की शक्ल में
जो कुछ मुझे दिया है वो लौटा रहा हूँ मैं |

તારે નામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ,
લે, તારે નામ કરી દઉં!
એક અજાણ્યા શહેરમાં તું જશે, તો,
તો લે, મારી પોતીકી પરખનું આખુંયે જગત
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, આ આકાશ સાથે
જેની નીચે વિતાવ્યાં વર્ષોનાં વર્ષો સંગાથે,
લઈ જા, આ જમીન, આ રસ્તા, આ નદી ને આ દરિયો!
જેની સાક્ષીએ, કેટકેટલા મઘમઘતા મોગરા મૈત્રીના મ્હોર્યા,
તો લે, વિતેલી અને આવનારી મોસમોની મહેક તારે નામ કરી દઉં
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, મારા શ્વાસોનો પ્રાણવાયુ
એ અજાણ્યા શહેરની હવામાં,
લઈ જા, રેશમની દોરીથી ગૂંથાયેલા
સંબંધોનાં મુલાયમ પોત,
લઈ જા, અહીં ગુજારેલા
સઘળા સમયની ક્ષણો સમેટીને પાલવમાં
તો લે, મારા પાલવનો તા૨-તા૨
બસ, હવે તારે નામ કરી દઉં!
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

એનો માળો – મુકેશ જોષી

ત્રીજી વેળા એનો માળો પડી ગયો
ચોથી વેળા એણે પાછુ પહેલું તરણું મુક્યુ
કોઈ ચિચિયારીઓ નહી
ન કાગારોળ કે
કલબલાટ નહી

પાંખોમાં હતી એટલી તાકાતથી
બંજર જગ્યાએથી પણ એણે શોધી કાઢ્યાં
કદાચ આ વખતે
એના ઇંડામાંથી
મારી શ્રદ્ધાનો જન્મ થવાનો…

– મુકેશ જોષી

મારી કવિતા – પન્ના નાયક

મારી કવિતા
એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે
એમાં મારો મેક-અપ વિનાનો ચહેરો છે
એમાં મારા વિચારોનું સત્ત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે
એમાં કાચની પારદર્શકતા છે
એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે
એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઈ કાલ નથી, કોઈ આવતી કાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
એમાં પન્ના છે,
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો…

– પન્ના નાયક

વસંત – જયશ્રી વિનુ મર્ચન્ટ

વસંત ફૂલ હોય છે
ને ફૂલ હોય છે વસંતના ભીના ચહેરાની કુમાશ.
વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્દ્રયવ્યથામાં
વસંત ઉજવે છે ઉત્સવ.
યમુના તટે,
મધરાતે,
પંચમની સૂરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે
છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં.

પછી, એ ચાલી જાય છે સંતાકૂકડી રમવા
હિમાલયના બરફમાં પાછી.

રમતાં રમતાં થાકી જાય છે ત્યારે એ
ચક્રવાક મિથુનને શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી
હસ્તી, ખેલતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે
પ્રણયીની આંખોના વનમાં
ને પછી, એક દિવસ
આ વનમાં,
અહીંના દ્રૂમોમાં,
સૂરજસંગે
તડકે-છાંયે
રમી રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ,
વસંત પાછી ચાલી નીકળે છે…

ને પછી –
સૂકાભઠ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા લીલા વાંસના ઘર્ષણથી,
ને, પછી… બાકી રહે છે બળતરા,
રાખ અને રાખમાંથી ચિનગારી.

વસંતને આવતાં તો આવડે છે પણ
પાછા જવાની રીત નથી આવડતી.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

કવિતા – વિવેક મનહર ટેલર

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

ગ્લૉબલ કવિતા : ૨૩૯ : હત્યા – મહેમૂદ દરવીશ

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

હત્યા

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)


વિવેચન – પ્રાણપોષક કે પ્રાણઘાતક?

‘वाक्यम् रसात्मकम् काव्यम्।‘ (રસસભર વાક્ય કાવ્ય છે.) આઠસો-નવસો વર્ષ પૂર્વે સાહિત્યદર્પણમાં વિશ્વનાથે કવિતાની આ વિભાવના આપી હતી. વિશ્વભરમાં વિદ્વાનો પ્રારંભકાળથી લઈને આજદિનપર્યંત કવિતાને વ્યાખ્યાયિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. વ્યક્તિએ વ્યક્તિએ કવિતાની વ્યાખ્યા અલગ છે,પણ એક વાત સુનિશ્ચિત છે કે રસ એ કવિતાનો આત્મા છે. શબ્દ કવિતાનું ઉપાદાન છે અને શબ્દોને આપણે અર્થો આપ્યા છે, એટલે શબ્દોની બનેલી કવિતામાંથી અર્થનું અવગાહન કરીને આપણે સતત કાવ્યાર્થ સમજવાની કોશિશ કરતાં રહીએ છીએ. આની સામે એક બહુ મોટો વર્ગ એવો પણ છે જે અર્થની માયાજાળમાં પડવાના બદલે કેવળ કવિતાને અનુભવવાની હિમાયત કરે છે:

કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૌન હોવી જોઈએ.
કવિતા શબ્દહીન હોવી જોઈએ, જે રીતે પંખીઓની ઊડાન.
કવિતા સમયમાં સ્થિર, ઊંચે ચડતા ચંદ્ર પેઠે ગતિહીન હોવી જોઈએ.
કવિતાનો અર્થ નહીં પણ હોવું જરૂરી છે. (આર્ચિબાલ્ડ મેકલિશ)

મહેમૂદ દરવીશની આવી જ એક કવિતાની આજે આપણે વાત કરવી છે.

મહેમૂદ દરવીશ. પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય કવિ. ૧૩ માર્ચ, ૧૯૪૧ના રોજ જન્મ. છ વર્ષના હતા ત્યારે ઈઝરાઈલે એમના ગામને ધ્વસ્ત કરી નાંખ્યું હોવાથી લેબેનોન ભાગવું પડ્યું. થોડા સમય બાદ પાછલા બારણે પરત ફરીને વરસો પોતાના જ વતનમાં નિર્વાસિતોની જિંદગી ગાળી. જેલવાસ પણ ભોગવ્યો. ઓગણીસ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક. અભ્યાસ માટે ૧૯૭૦માં રશિયા ગયા અને ૧૯૭૩માં પેલેસ્ટાઇનની આઝાદીની ચળવળમાં જોડાયા. ઈઝરાઈલે પ્રવેશબંધી ફરમાવી. બે લગ્ન. બે છૂટાછેડા. ત્રીસ કાવ્યસંગ્રહ. આઠેક ગદ્યના પુસ્તકો. ૧૯૮૪ અને ૯૮માં બે હાર્ટસર્જરી બાદ ત્રીજી સર્જરીના ત્રણ દિવસ પછી ૦૯ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે નિધન. માતૃભૂમિ એમની કવિતાના કેન્દ્રસ્થાને રહ્યું. ઈઝરાઈલના વિરોધી અને પેલેસ્ટાઇનના સમર્થક પણ યહૂદીવિરોધી નહોતા. ઘણી કવિતાઓ વિવાદના વંટોળે ચડી હતી. પ્રતિકારના કવિ તરીકે જાણીતા. તેઓ કહેતા:

હું લોકોને નફરત નથી કરતો.
હું કોઈ પાસેથી ચોરી નથી કરતો.
તેમ છતાંય
જો હું ભૂખ્યો રહીશ
તો હું મારું સમસ્ત હડપી જનારનું માંસ ખાઈ લઈશ.
મારી ભૂખ અને મારા ક્રોધથી
સાવધાન રહેજો.
ગુજરાતી અનુવાદ મૂળ અરબ કવિતાના કેથરીન કોભમે કરેલ અંગ્રેજી અનુવાદ પરથી કરેલ હોવાથી કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે ટિપ્પણી સંભવ નથી. શરૂમાં અરેબિક કાવ્યશાસ્ત્રને વળગી રહી સિત્તેરના દાયકામાં દરવીશે મુક્તકાવ્ય તરફ ઉડ્ડયન કર્યું હોવાથી મૂળ રચના અછાંદસ હોવાનું માની શકાય. અનુવાદમાં ક્યાંય પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, અવતરણચિહ્ન અને વિસર્ગ વગેરે વિરામચિહ્નો યથોચિત વપરાયા છે. મૂળ રચનાના અભાવમાં આ બાબતેય મૌન જ ઉચિત જણાય છે. અનિયત પંક્તિલંબાઈવાળા નાના-મોટા બે ભાગમાં કવિતાને વહેંચી નાંખવામાં આવી છે. કુતૂહલ જન્માવે એવું શીર્ષક બાંધ્યા બાદ ઘણીવાર કવિ કાવ્ય પતવા આવે ત્યાં સુધી રહસ્ય અને ભાવકનો રસ -ઉભયને જાળવી રાખે એવી કાવ્યપ્રયુક્તિ સામાન્યતઃ જોવા મળે છે, પણ એથી વિપરીત, અહીં શીર્ષક વડે ભાવકનું ધ્યાન સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ કવિ પહેલી પંક્તિમાં જ રહસ્યોદ્ઘાટન કરી નાંખે છે કે ‘હત્યા’ કોની છે. જરા અનૂઠી પણ કદાચ વધુ પ્રભાવક કાવ્યરીતિ આને ગણી શકાય, કારણ કે કવિએ આ ‘હત્યા’ને કઈ રીતે અંજામ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી આપણને જકડી રાખે છે.

‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ના એકરાર સાથે કથક કાવ્યારંભ કરે છે. ‘વિવેચકો મને મારી નાંખે છે’ કે ‘વિવેચકો મને કાયમ મારી નાંખે છે’ કહેવાના બદલે ‘ક્યારેક’ શબ્દપ્રયોગ કરીને કવિ વિવેચકોની હત્યા કરવાના પાપમાંથી બચી ગયા છે એ નોંધનીય છે. વિવેચકોની સામે સર્જકોની આ ફરિયાદ કાયમી છે. કારણ કે મોટાભાગના વિવેચકો કવિતાના સુનિશ્ચિત સ્વરૂપ કે રૂપકોના ખ્યાલથી પૂર્વગ્રસિત હોવાથી અલગ કે નવીનને સ્વીકારવામાં તેઓને બહુ તકલીફ પડે છે. વિવેચકોની આ મથરાવટી પાછળ આપણી શિક્ષણવ્યવસ્થાનો જો કે મોટો ફાળો છે. કવિતા સાથે આપણો પરિચય તો ગળથૂથીથી જ થાય છે. માના દૂધની સાથોસાથ જ બાળક જોડકણાં-હાલરડાં-ગીતો ધાવીને મોટું થાય છે. એને કોઈ ગીતોના અર્થ સમજાવતું નથી, અને એય કાને પડે છે એનો નિર્ભેળ આનંદ જ લે છે. પણ શાળા નામનું પ્રસૂતિગૃહ પગ મૂકતાવેંત બાળકમાં વિવેચક જન્માવે છે. પદ્ય હોય કે ગદ્ય, શિક્ષણનો એકમેવ હેતુ સારગ્રહણ જ હોય છે. શાળાના અભ્યાસક્રમનું અવિનાભાવી ઘટકતત્ત્વ તે કોઈપણ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર અથવા સર્જક શું કહેવા માંગે છે એની સમજૂતી જ છે. કવિતાનો વિશુદ્ધ આનંદ માણતાં શીખેલ શિશુ વિદ્યાર્થી બનતાં જ હેત્વાર્થ શોધવાના ગદ્ધાવૈતરામાં જોતરાઈ જાય છે. કળા ખાતર કળા (l’art pour l’art – art for art’s sake)ના સિદ્ધાંતથી માહિતગાર થવાય ત્યાં સુધીમાં તો કવિતાને તોલી-જોખીને માણવાના મનાંકનો ઘર કરી ગયાં હોય છે.

વિવેચન જો કે જેટલું બિનજરૂરી છે એટલું જ જરૂરી પણ છે. વિવેચન ક્યારેક કવિતાની હત્યા કરે છે તો ક્યારેક કવિતામાં છૂપાયેલ અને ધ્યાનબહાર રહી જતી વિશિષ્ટતાઓ ઉપસાવીને ભાવકના કાવ્યાનંદને અનેકગણો કરવામાં સહાયક પણ બને છે. ચર્ચિલે કહ્યું હતું: ‘શક્ય છે કે આલોચના સ્વીકાર્ય ન હોય, પણ એ આવશ્યક છે. જે કામ માનવશરીરમાં પીડા કરે છે એ જ કામ એ કરે છે; એ વસ્તુના અસ્વાસ્થ્યકર વિકાસ તરફ ધ્યાન દોરે છે. સમયસર ધ્યાન આપવામાં આવે તો ખતરો ટાળી શકાય છે; પણ દુર્લક્ષ સેવવામાં આવે તો તો જાનલેવા વ્યાધિ વિકસી શકે છે.’

વિવેચના એ મનુષ્યસ્વભાવનું અંતર્નિહિત તત્વ છે. પ્રસંશા કે ટીકાના બે શબ્દો આપણે ઉચ્ચરીએ એય વિવેચન જ છે ને! કેવળ ગુણદર્શન કરાવવું કે કેવળ દોષ તારવવાને વિવેચન ન કહેવાય. સાચું વિવેચન રચના અને રચનાકાર પરત્વેના રાગદ્વેષથી પ્રેરિત થયા વિના રચનાના ગુણ-દોષનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે એ છે. કવિતા લખાવી શરૂ થઈ એ જ દિવસથી વિવેચનની પણ શરૂઆત થઈ હશે. ચોવીસસો-પચ્ચીસસો વર્ષ પૂર્વે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ વગેરેને આલોચનના પ્રણેતા કહી શકાય. એરિસ્ટોટલે તો ‘પોએટિક્સ’ લખીને વિવેચનને શાસ્ત્રનો દરજ્જો આપ્યો હતો. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ઈ.પૂ. બીજી સદીમાં ભરતથી લઈને સત્તરમી સદીમાં જગન્નાથ સુધી કાવ્યની વિભાવના, હેતુ અને આત્મા બાબતે નોંધપાત્ર વિચારણા થતી આવી છે. ગુજરાતીમાં નર્મદે ‘ટીકા’ અને ‘ટીકાવિદ્યા’ સંજ્ઞા પ્રયોજી સાહિત્ય-સમાલોચનાના શ્રીગણેશ કર્યા હતા. Criticism ના પર્યાયરૂપ ‘વિવેચન’ શબ્દ નવલરામ પંડ્યાએ આપ્યો.

ચોક્કસ પ્રકારની કવિતા અને ચોક્કસ પ્રકારના રૂપકો ઇચ્છતા ટીકાકારો ક્યારેક પોતાની હત્યા કરતાં હોવાના અરોપ સાથે કવિએ કાવ્યારંભ કર્યો છે. અને કવિ જો મુખ્ય માર્ગે ચાલવાના બદલે આડમાર્ગ પર ભટકતા નજરે ચડે તો આ આલોચકો કવિએ રસ્તા સાથે દગો કર્યો હોવાના આરોપ એના પર મૂકે છે. એક જમાનામાં ગઝલનો અર્થ પ્રેયસી સાથેની ગુફ્તેગૂ એમ થતો હતો, અને ગઝલમાં પ્રિયતમા-સાકી-સુરા અને બુલબુલની ભરમાર રહેતી હતી. પણ આજની ગઝલ સર્વસમાવિષ્ટા કે સર્વગ્રાહી બની છે. ભાષા હોય કે રૂપક, વિષય હોય કે અભિવ્યક્તિ –આજની ગઝલમાં તમામનો સ્વીકાર છે, પણ એક સમયે સૉનેટભક્તિ એવી તો ચરમસીમાએ હતી કે સૉનેટ ન લખનારનો કવિ તરીકે સ્વીકાર પણ નહોતો થતો. સૉનેટના જમાનામાં જે કવિઓએ ગઝલ લખવી શરૂ કરી હતી, એમના પર દાયકાઓ સુધી પસ્તાળ પાડવામાં આવી હતી અને ક્યાંય સુધી ગઝલને કવિતાનો દરજ્જો આપવામાં કહેવાતા સાહિત્યસ્વામીઓને મોટો વાંધો હતો. ગઝલને ઉતરતો કાવ્યપ્રકાર ગણી અછૂત-વ્યવ્હાર પણ કરાતો. ટૂંકમાં, સમીક્ષકોએ ગણી લીધેલા ધોરીમાર્ગથી હટીને અલગ ચીલો ચાતરવાની કોશિશને વિવેચકો મુખ્યધારા સાથેનો દ્રોહ જ ગણવાના.

તમે જો કોઈ તુચ્છ વસ્તુમાંથી સત્ત્વ શોધી નાંખશો તો એમાં છિદ્રાન્વેષીઓ સાહિત્યમાં સ્થપાયેલ સ્થિરતા-જડત્વનો ત્યાગ કર્યો હોવાનું જોશે. ગુલાબી રંગનું ગુલાબ જોવા ટેવાયેલી નજરોને જો તમે વસંત ઋતુમાં પીળું ગુલાબ દેખાડશો તો એમાં તેઓ માતૃભૂમિના લોહીના લાલ રંગની ઉણપ શોધશે. અને પારંપારિક ભાષાથી જરા અળગા હટીને યદિ આપ કંઈક નવું- કંઈક સંકુલ- કંઈક આધિભૌતિક રૂપક કે વાત લઈને સામે આવશો તો તેઓ ચમચો નાંખીને સૂપ હલાવીએ એમ અર્થને હલાવવાની, અર્થ તારવવાની કોશિશ કરશે. આનાથી વિપરીત અગર આપ કાન સીધો પકડશો, તો તેઓ માથા પાછળ હાથ લઈ જઈને અવળેથી પકડવાની પદ્ધતિની હિમાકત કરશે. ઉદાહરણ તરીકે જો તમે એમ ગણગણશો કે મા એ આખરે મા છે. જ્યારે એ પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એ લાકડીની જેમ જ કરમાઈને સૂકાઈ જાય છે, ત્યારે સૂર્ય પૂર્વમાં ઊગવા સમી સ્ફટિકસ્પષ્ટ વાતને તેઓ તિર્યક નજરે જોશે અને કહેશે કે ના, મા તો ખુશીથી ઝૂમી રહી છે, બાળકની અંતિમક્રિયામાં નાચી રહી છે, કારણ કે એના માટે તો પુત્રની અંતિમવિધિ પણ લગ્નવિધિ જ છે. મતલબ, તમે કંઈ પણ કરશો, વાંકદેખા ટીકાકારો તો વાંક જ કાઢવાના. ‘અન્યોની આલોચના કરનાર ઘણીવાર જેઓ પોતાનામાં શી ઉણપ છે એ જ પ્રગટ કરતાં હોય છે.’ (શેનન એલ. આલ્ડર)

મેઘાણીએ કહ્યું કે, ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ કવિતામાં પણ જે લોકો અણદીઠેલી ભોમકા તરફ મીટ માંડે છે એ જ સાચા અર્થમાં યુવાન છે, એને જ નવ્યકવિ કહી શકાય. પણ સમાલોચકોને તો ત્યાંય વાંધો પડવાનો. જો તમે નહીં જોવાયેલ-જોયેલ જોવા માટે આકાશ તરફ ઊંચે મીટ માંડશો તો તરત જ તેઓ કવિતા પોતાના મૂળ ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે કહીને તમને વખોડશે. એમની પરિભાષામાં સારો અને સાચો કવિ એ જ જે એમણે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓમાં જ શબ્દ ગોઠવે. દાયકાઓથી કેળવાયેલી એકવિધ રસરૂચિ કે મર્યાદિત સમજને વશવર્તીને રચના કરે એ જ કવિ ગણાય. બહુધા વિવેચન એ ઘોડાની આંખ પર પહેરાવેલા ડાબલાં બનીને રહી જતું હોય છે, જે ઘોડાની દૃષ્ટિને સતત મર્યાદિત રાખે છે. આંખે ડાબલાં બાંધેલ ઘોડાની જેમ કવિને એક લીટીમાં ગતિ કરવાની ફરજ પાડે એનું જ બીજું નામ વિવેચન.

સારો કવિ પોતે જે કહેવા ઇચ્છે છે એ વાતને અધોરેખિત કરવા માટે પુનરોક્તિનો સહારો લે છે. અહીં કવિ ‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ વાક્યનો પુનરોચ્ચાર કરે છે. વિવેચકો સારા સારા કવિઓની કારકિર્દીનો ભોગ લેવામાં નિમિત્ત બનતા હોય છે એ કડવી હકીકત કહેવા માટે પુનર્કથનરીતિનું હથિયાર આખી કવિતામાં એક જ વાર વપરાયું હોવાથી વધુ અસરદાર બન્યું છે.

કાવ્યાંતે કવિ એક સુખદ હકીકત તરફ અંગૂલિનિર્દેશ કરે છે. તેજસ્વી કવિની કારકિર્દીનું ગળું રૂંધી નાંખતા વિવેચકો રુગ્ણ માનસિકતા અને સંકુચિત નજરની મર્યાદાને લઈને કવિને જે રીતે વાંચવો જોઈએ એ રીતે વાંચવામાં વિફળ રહેતા હોય છે, પરિણામે ખરો કવિ અને ખરી કવિતા એમના વાંચનના અત્યાચારમાંથી છટકી જાય છે. કવિ વિવેચકોની આ ગેરસમજણ અથવા સમજણના અભાવ બદલ એમનો આભાર માનીને નવી કવિતાની શોધમાં પરોવાઈ જાય છે. આખી કવિતામાં આ ભાગ સૌથી અગત્યનો છે. વિવેચનના આગ્રહી સર્જકો પણ બહુધા અંદરખાને તો વખાણ જ ઇચ્છતા હોય છે. અને એટલે જ વિવેચકો એમના સર્જન ઉપર હાવી થવામાં સફળ થતા હોય છે. સાચો કવિ તો સદૈવ આલોચનાથી પર જ હોવાનો. આલોચકોની સાચી કવિતા વાંચી ન શકવાની નબળાઈને જ તેઓ પોતાની તાકાત બનાવે છે. અને સાચી કાવ્યસાધનામાં જ રત રહે છે. જે કવિ વિવેચન-(અ)વિવેકના નીરક્ષીર પારખી શકે છે એ જ નવી કવિતાને શોધી શકે છે.

અંતે, ફેડી જુડાએ કરેલ અંગ્રેજી અનુવાદના આધારે દરવીશની જ ‘યુવા કવિને’ રચનાના કાવ્યાંશ માણીએ:

અમારી રૂપરેખાઓ પર વિશ્વાસ ન કરશો, ભૂલી જાવ એને
અને તમારા પોતીકા શબ્દોથી શરૂઆત કરો.
જાણે કે તમે પ્રથમ વ્યક્તિ હો કવિતા કરનાર અથવા તો અંતિમ કવિ.

જો આપ અમારા કામને વાંચો, તો અમારી શેખીઓનો વિસ્તાર કરવાને નહીં,
પરંતુ પીડાના પુસ્તકમાં
અમારી ભૂલોને સુધારવા માટે વાંચજો.

કોઈનેય પૂછશો નહીં: હું કોણ છું?
તમે જાણો જ છો કે તમારી મા કોણ છે.
જ્યાં સુધી બાપનો સવાલ છે, ખુદના બાપ ખુદ બનો.
..
ફંટાવ, તમારી પૂરી તાકાતથી, નિયમથી ફંટાવ.

પ્યારમાં કોઈ સલાહ ન હોય. એ અનુભવ છે.
કવિતામાં કોઈ સલાહ ન હોય. એ પ્રતિભા છે.

ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

થાય છે – પન્ના નાયક

યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !

– પન્ના નાયક