તાજેતરમાં સાવરકુંડલામાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે શ્રી નટવર ગાંધી અને વ્હાલા પન્ના આંટીનું સન્માન કરવામાં આવ્યું. એમને આ સન્માન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ – પન્ના આંટીના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ – ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’ માંથી આ કવિતા..!!!
કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઇને.
જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.
પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.
હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઇને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.
એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.
વિશ્વ આટલું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.
– પન્ના નાયક