Category Archives: બરકત વિરાણી ‘બેફામ’

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’

આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..

થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..

ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?

અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )

શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.

.

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →

ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : મનહર ઉધાસ

.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

( કવિ પરિચય )

નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

આજે શ્રી કૃષ્ણ દવે નો જન્મદિવસ.. એમના મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
————

સ્વરઃ મુકેશ અને લતા મંગેશકર
સંગીતઃ કલ્યાણજી આણંદજી

.

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

———–

મુક્તકો – બરકત વિરાણી ‘બેફામ’

 

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

જે વસ્તુ મળી જાય તે મિલકત થાયે
દુર્લભ જે બની જાય તે હસરત થાયે
બન્નેને સમાવીને જે આવે દિલમાં
એને જો પિછાણો તો મહોબત થાયે

જયારે તું આવ મિલનકાજ, સરિતા થાજે
શોકમાં સાથી બની જા, તો મુદિતા થાજે
કિન્તુ આવે જો સમય મુજથી જુદા થાવાનો
તો બીજું કાંઇ નહીં, માત્ર કવિતા થાજે

( કવિ પરિચય )