Category Archives: અમર ભટ્ટ

શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

મનોજ પર્વ ૨૪ : અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ

નોંધ – હેતલના અવાજમાં આ ગીતના રેકોર્ડિંગની રાહ જોવી પડશે. જે રેકોર્ડિંગ છે મારી પાસે એ કોઇક કારણસર બરાબર વાગી નથી રહ્યું. તો આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં સાંભળીએ.

સ્વરાંકન – અમર ભટ્ટ
સ્વર – ઐશ્વર્યા મજમુદાર

અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ, મારી આંખમાં ચણોઠીયું ઉગી રે સઇ
આંગળીની જેમ રાખી ઈચ્છાઓ હાથમાં, તે આજ વળી આકાશે પુગી રે સઇ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત, થાય તૂટું તૂટું રે મારી સઇ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું, ને ફટ કરતી પળમાં ફૂટું રે મારી સઇ

નળિયાંને એવું તે થઇ બેઠું શુંય કે, આખો દિ’ કાગ જેમ બોલે રે સઇ
આભને ઉતરતું રોકી લ્યો કોઈ, મારા સપનામાં ડુંગરા ડોલે રે સઇ

મનોજ પર્વ ૨૨ : ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

hqdefaultકવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂

જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

નરસિંહ મહેતાથી હરીશ મિનાશ્રુ – અમર ભટ્ટ પ્રસ્તુતિ

ગુજરાત સમન્વય ૨૦૧૫માં સ્વરકાર ગાયક શ્રી અમર ભટ્ટની પસ્તુતિમાંથી એક ઝલક – ચાર અલગ અલગ રચનાઓની ખૂબ જ સુમધુર અને મંત્રમુગ્ધ કરી છે એવી રજૂઆત

નિરંજન ભગત પર્વ – ૬ : હરિવર મુજને હરી ગયો

સ્વર: બંસરી યોગેન્દ્ર
સ્વરકાર: હરેશ બક્ષી

આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
સ્વર : જ્હાન્વી શ્રીમાંકર

.

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું નો’તું ને, તોયે મુજને વરી ગયો,
હરિવર મુજને હરી ગયો….

અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રિતી ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ,
એ તો મુજ કંઠે બે કર થી, વરમાળા રે ધરી ગયો,
હરિવર મુજને હરી ગયો…..

સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોઉં,
આ તે સુખછે કે દુ:ખ મીઠું? રે હસવું કે રોવું?
ના સમજુ તોયે સહેવાતું, એવુંજ એ કઈ કરી ગયો
હરિવર મુજને હરી ગયો…..

‘હરિને સંગે’ – અગસ્ત્ય ફાઉન્ડેશન (અમર ભટ્ટ) ના નવા આલ્બમનું લોકાર્પણ – મે ૩, ૨૦૧૪ (અમદાવાદ)

અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આપણી ભાષાની, આપણને અંદરથી અજવાળતી કેટલીક કવિતાઓની સંગીતમય પ્રસ્તુ તિનું આલબમ ‘હરિને સંગે’ કવિ શ્રી ચંદ્રકાંત શેઠ અને પદ્મશ્રી ડો.કુમારપાળ દેસાઈ દ્વારા તારીખ ૩/૫/૨૦૧૪ ને શનિવારે વિશ્વકોશ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વિમોચિત થશે.

વાનકુવર કેનેડા સ્થિત ડૉ.રાજેશ દેસાઈ અને ડૉ.સુરેન્દ્ર પટેલની ઈચ્છાથી આ આલબમ તૈયાર થયું. ડૉ.સુરેન્દ્ર પટેલનાં માતુશ્રીનું અવસાન થયું એ પછી મા સરસ્વતીની સેવા થાય અને કૈંક અવનવું કામ થાય એમાં એમને પોતાનું યોગદાન આપવું હતું. એમના પરમ મિત્ર ડૉ.રાજેશ દેસાઈએ વિચાર આપ્યો કે ફિલસૂફીથી ભરપૂર આપણો ભવ્ય સાહિત્યિક વારસો સાંગીતિક સ્વરુપે રજૂ થાય અને આદ્ય કવિથી અત્યાર સુધીના કવિઓની કવિતા જો ગવાઇને રેકોર્ડ થાય તો એક અદ્ભુત દસ્તાવેજ તૈયાર થાય. એમના સૂચનથી અમર ભટ્ટે આ આલબમ તૈયાર કર્યું છે. એનઆરઆઈઓના માતૃભાષાપ્રેમનું અને સંસ્કૃ તિપ્રેમનું આ ઉત્તમ ઉદાહરણ છે.

photo

સાચી કવિતા આપણાં ચિત્તને ઉજાગર કરે જ છે. અહીં આદ્ય કવિ નરસિંહથી લઈને અનુઅધુનિક કવિઓએ રચેલી કેટલીક દિલમાં દીવો પ્રગટાવે એવી કવિતાઓની સંગીતમય રજૂઆત છે. મધ્યકાલીન કવિઓમાં નરસિંહ, મીરાં,દયારામ- પંડિત-ગાંધીયુગનાં કવિઓમાં ન્હાનાલાલ, સુન્દરમ, ઉશનસ, આધુનિક કવિઓમાં ચંદ્રકાંત શેઠ અને રમેશ પારેખ અને અનુઅધુનિક કવિઓમાં હરીશ મીનાશ્રુ અને મિસ્કીન છે. પસંદ કરાયેલાં કાવ્યોમાં સામાન્ય તાર- ‘કોમન થ્રેડ’ એ આધ્યાત્મિક સંસ્પર્શ કે પરમ તત્ત્વનો સંદેશ કે એની સાથેનું અનુસંધાન છે. સ્વરાંકન- સંકલન અમર ભટ્ટનાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય,ઓસમાણ મીર,અમર ભટ્ટ, ગાર્ગી વ્હોરા અને ઐશ્વર્યા મજમુદારે આ રચનાઓ ગાઈ છે. તમામ રચનાઓ એક જ સૂરમાં- સ્કેલમાં રેકોર્ડ કરવામાં આવી છે, જે આલબમ પાછળનો મધ્યવર્તી વિચાર વ્યક્ત કરે છે. આલબમનો કવર ફોટો વકીલ અને સુખ્યાત ફોટોગ્રાફર દિવ્યેશ સેજ્પાલનો છે,જે પણ આ વિચારને આગળ કરે છે.

‘હરિને સંગે’ શીર્ષક નરસિંહ મહેતાના અમર પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ માંની આ પંક્તિમાંના શબ્દોમાંથી લેવાયું છે -‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે’. કબીરપંથી કવિ હરીશ મીનાશ્રુના આ પદના શબ્દો જુઓ- ‘સાધો, હરિ સંગે હરીફાઈ’- હરિ સાથેની હરીફાઈમાં અંતે કોણ જીતે? ઈન્ટરનેટ ઉપરથી મીરાંનું આ પદ મળ્યું-‘ હેરી મ્હાં દર્દે દિવાની,મ્હારાં દરદ ન જાણ્યાં કોય’, જેનું સ્વરાંકન રાગ દેશી ઉપર આધારિત છે. સુંદરમની રચના ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી’ ભજની દીપચંદી ઠેકામાં છે. અનુઆધુનિક કવિ મિસ્કીનની આ રચના ‘દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે’માં પરમ તત્ત્વને પામવા ભીતર પ્રવેશવાની વાત ગઝલના સ્વરુપમાં છે, જે રાગ ભટિયાર પર આધારિત છે.દયારામની રચના ‘નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ પણ અનોખા અંદાજમાં રજૂ થઇ છે. કવિ ન્હાનાલાલની રચના-‘હરિ આવોને’માં હરિને આવવા માટેનું ઇજન છે,જેનું તાલનું વજન ગરબા સ્વરુપનું છે. કવિ રમેશ પારેખે મીરાંની મનોદશામાં પહોંચીને આપેલા કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’નું ગીત ‘હું મારી મરજીમાં નૈ, હરિજી મુંને એવી મોહાડી ગયા સૈ’, માટે પણ જુદા જ વજનવાળો ઠેકો ઉપયોગમાં લીધો છે. કવિ ઉશનસના આ ગીતમાં,તળપદા શબ્દોમાં, જિંદગીનો સંદેશ છે- ‘અષાઢે તણખલું ના તોડીએ જી, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી, પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી’. કવિ ચંદ્રકાંત શેઠના ગીત ‘ગોદ માતની ક્યાં?’ ‘મા’ની ગેરહાજરીમાં એનું મહિમાગાન છે. બોટાદકરની પ્રખ્યાત રચના- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ- ના જેવી જ સક્ષમ આ રચના છે. તબલાંના તાલ વગર પણ લય સાથે એનું સ્વરાંકન આંખો,મન, હૃદય જરુર ભીનાં કરશે.

Attachment-1

વાદ્યસંગીતનિયોજન અમિત ઠક્કરે ભાવાનુરુપ કર્યું છે. આજકાલ વાદ્યોનો ‘સિન્થેટીક સાઉન્ડ’ સાંભળવા મળે છે ત્યારે અહીં મૂળ વાદ્યો વપરાયાં છે. તાલવાદ્યનો પણ વૈવિધ્યસભર ઉપયોગ સંજય સેજ્વલકરે કર્યો છે.

ટૂંકમાં, સંગીતનું કામ શાંતિ આપવાનું છે એ પાયાની વાતનો ખ્યાલ આ આલબમમાં રખાયો છે. રસિક ભાવકોને આ આલબમ જરુર સંતર્પક લાગશે.

આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

જાળીયે ચડીને અમે ઝૂલણતું   દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ

રે’શું અમેય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે’શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

– રમેશ પારેખ

સખી! મારો સાહ્યબો સૂતો – વિનોદ જોષી

મારા સાહ્યબાનું આ ખૂબ જ ગમતું ગીત –

ત્રણ વર્ષ પહેલા – નવેમ્બર ૧૭, ૨૦૧૦ ના દિવસે ટહુકો પર પહેલીવાર પ્રસ્તુત કરેલું અમરભાઇનું સ્વરાંકન ગાર્ગી વોરાના અવાજમાં..!! આજે એ જ ગીત – કવિ શ્રી વિનોદ જોષીના સ્વર અને એમના જ સ્વરાંકન સાથે ટહુકો પર ફરી એકવાર… !!!

*********************************

Posted on November 17, 2010 :

સ્વર : ગાર્ગી વ્હોરા
સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……

એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં……

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં…..

– વિનોદ જોષી