Category Archives: રમેશ પારેખ

ગ્લૉબલ કવિતા : ૧૧૦ : વહાણવટું -રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

कुछ पाने के लिए कुछ खोना पडता है…

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો

બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.

રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.

કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’

નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.

વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.

નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.

નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)

સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી – રમેશ પારેખ

સ્વર્ઃ અનાર શાહ્
સ્વરાંકનઃ અમર ભટ્ટ

.

આલ્બમ : સંગત
સ્વર : વિરાજ બીજલ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ

વરસાદ – રમેશ પારેખ

Picture by : Tejal Tailor
Picture by : Tejal Tailor

વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કાલ એનું હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

– રમેશ પારેખ

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

આજે વાસી ઉત્તરાણના દિવસે એક વાસી પોસ્ટ… ટહુકો પર ૨ વર્ષ પહેલા રજું કરેલું (અને લયસ્તરો પર ૬ વર્ષ પહેલા) રમેશ પારેખનું આ પતંગ ગીત.. પણ સાથે એક તાજી કવિતા એટલે આ નીચેનું ચિત્ર.

દેશથી દૂર રહેતા અમદાવાદીને ૧૪મી જાન્યુઆરીએ યાદ આવતું અમદાવાદ અહિં બખૂબી રજૂ થયું છે! સીદી સૈયદની જાળીમાં જાણે પતંગ નહીં, પણ જાત અટકી ગઇ છે!

10896252_10205560045778645_696266904078674667_o

******

ચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પતંગ ગીત – આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો પર..!! એમનો પતંગ આપણે કાપ્યો નથી, તો યે આપણે અહીં લઇ લીધો – એના જેવું!! આપ સૌ ને અમારા તરફથી મકરસંક્રાતિની ખૂબ ખૂબ – પતંગ બોર અને તલના લાડુ ભરી શુભેચ્છાઓ..!!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

વૃક્ષસંવનનાર્થીનું ગીત (સાવ રે સુક્કા ઝાડને જોઇ…) – રમેશ પારેખ

૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.

કાર્યક્રમનો આખો અહેવાલ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો :  રમેશ પારેખની યાદમાં – કાર્યક્રમ અહેવાલ

અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!

**************

Posted on April 9, 2009

ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..

આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂

આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀


(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)

* * * * * * *

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

મને આંખ મારે – રમેશ પારેખ

સ્વર / સંગીત – પાર્થિવ ગોહિલ
આલ્બમ – સપ્રેમ

વેળાવદરનો વાણીયો રે…મુઓ વાણીયો રે…
મને આંખ મારે….
ફલાણા શેઠનો ભાણીયો રે…મુઓ ભાણીયો રે…
મને આંખ મારે….

હું તો પાણી ભરીને કુવો સિંચતી રે…
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે…
વાંકોચૂકો તે કરે લટકો રે…
ભરે આંતરડા તોડ ચટકો રે…મુઓ ચટકો રે…
મને આંખ મારે….

નથી ખોબો ભર્યો કે નથી ચપટી રે…
તોય લીંબોળી વીણતા હું લપટી રે…
મને લીંબોળી વીણવાના કોડ છે રે…
એનો વેળાવદરમાં છોડ છે રે…લીલો છોડ છે રે…
મને આંખ મારે….

– રમેશ પારેખ

ત્રણ અક્ષરમાં માપી લીઘું વિશ્વને ‘રમેશ’ પૂછો કે એનું નામ હતું : ‘વેદના’, તો હા! – Jay Vasavada

કવિ શ્રી રમેશ પારેખના નિધન પછી જય વસાવડાની કોલમમાં પ્રગટ થયેલો આ લેખ એમણે થોડા વખત પહેલા એમના બ્લોગપર ફરીથી પ્રસ્તુત કર્યો હતો, એ આજે એમની પરવાનગી સાથે અહીં ટહુકો પર …..
***************
સમજયા, ચંદુભાઇ!
એને ટેવ નડી, ટેવ…
ખોતરવાની.

આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,
કાંઇ ખોતરવે ચડયો…
છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું
મોટા મોટા ખાડા કર્યા ઇમાં
મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ
જોવું’તું નજરોનજર
પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ

ઇ અડબાઉને એમ કે
ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય
સુખના ઝાડવા ફિલમુમાં ઉગે
સુખના ફુવારા કવિતામાં ઉડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!
દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…

એને એમ કે સોમવાર કે રવિવાર હોય
એમ સુખ પણ હોય જ!
ટપુભાઇને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે…
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?

આપણે તો જાણીએ, ચંદુભાઇ કે
સસલાને શિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?
છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?

એક દિવસ ખુસાલિયો
પોતાના સપનાંને અડ્યો’તો!
ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!
પણ હાળો મરસે !
સુખ નથી આઠે બ્રહ્માંડમાં
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઇ જાણતો નથી
ઇ જ એનું સુખ!

રમેશ પારેખની આ લાંબી કવિતાનું ‘એડિટેડ વર્ઝન’ છે… એમની જીંદગી જેવું! છ અક્ષરના નામના આ ધણી આ વર્ષે મોટા ગામતરે ચાલ્યા ગયા, ત્યારની ગુજરાતી કવિતા વિધવા બની છે. તારીખ ૨૭ નવેમ્બરે કવિનો જન્મદિન છે. એમના શરીર અને એમના શબ્દોની સ્મૃતિઓ મનની ‘માલીપા’ ધક્કામુક્કી કરીને ‘હડિયાપાટી’ કરે ત્યારે એમનો મૃત્યુદિન યાદ આવે… એ સાંજે મોરારિબાપુએ એક બહુ ઝીણું કાંતીને પારખેલી વાત કહી હતી… રમેશ પારેખને સતત, સનાતન એક અજંપો સતાવતો હતો! એ રાત્રે રાજકોટના સ્મશાનમાં પ્રજ્વલિત ચિતા સામે જોતાં થયું… શું દેહ સાથે આત્માનો અજંપો પણ ભડભડ બળતો હશે?

આમ તો રમેશ પારેખે ગામો ગજવ્યા હતાં. મહેફિલની શાન અને મસ્તીની જાન થઇ જાય એવો એ માણસ. જીવનના અસ્તાચળે ખાધેપીધે પણ સુખી. ખુલ્લી તલવાર જેવી છોકરી અને સિટ્ટીના હીંચકે ઝૂલતા છોકરાની કાઠિયાવાડી કવિતાના ટ્રેન્ડસેટર કવિસમ્રાટ. આલા ખાચરની કવિતાના જાણતલ સર્જક. રમૂજી કટાક્ષથી મુશાયરાને ડોલાવે, અને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે દીધેલું ફૂલ યાદ કરીને રોમાન્સની ગુલાબી મહેંક પણ પ્રસરાવે! પરિવાર પ્યારો, મિત્રોનો સંગાથ ન્યારો… નામ થયું, ઠરીઠામ થયા… અઢળક યુવક મહોત્સવોમાં નવા નિશાળિયાઓએ એમની કવિતાની પાદપૂર્તિ કરી… સરટોચના તમામ સન્માનો મળ્યા… લોકોના હૃદયમાં, ટીવી ચેનલના કેમેરામાં, સરકારી યાદીમાં, અખબારી કાગળમાં, માંધાતાઓની મિજબાનીમાં બધે જ માનભર્યું સ્થાન મળ્યું. સંસારની જવાબદારી ત્રીજી પેઢીને ખોળે રમાડતાં સુપેરે નિભાવી. ગાલિબની માફક રમેશ પારેખની છે, એવી ખબર ન હોય છતાં સામાન્ય માનવીના જીભે એમની પંકિતઓ રમતી હોય એવું અમરત્વ મળ્યું.

રમેશ પારેખને કશુંક છાનુંછપનું પણ કદાચ છિન્નભિન્ન એક સપનું હતું… એને કશુંક અસુખ હતું. કયાંક આ ભડભાદર માણસને ચેન નહોતું પડતું. બધી અમીરાતની વચ્ચોવચ્ચ શૂન્યના આકારનો એક ઉણપ નામનો અંધારિયો કૂવો હતો! આવું એમણે જાહેરમાં નથી કહ્યું, પણ સર્જકના શબ્દો કયારેક એના અંતરમનની ચાડી ખાય છે….

અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહિં, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…

વિશ્વનું એક્કે ન પુસ્તક દઇ શકયું એનો જવાબ
શું છે આ છાતીને ખોદી કાઢતી ઝીણી કણસ
*
કેમ તું મૂંગી છે તદ્દન, બોલપેન!
તારૂં કોણે દુભવ્યું મન, બોલપેન!
*
બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને
કોઇ વિલંબ કે કોઇ સબર કબૂલ નથી
*
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઇ તો જોયાનું સુખ આપો…
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય
મને કંઇ તો રોયાનું સુખ આપો…
*
લોહી તોડી શબ્દને દર્પણ કર્યા
– ને તને અર્પણ કર્યા!
*
હથેળી બહુ વ્હેમવાળી જગા છે
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે
*
જેટલી દંતકથાઓ બની અરીસાની
છે ઝીણી ઝીણી કરચ એ તો કોઇ કિસ્સાની
*
વીતેલી કાલનું જો નામ ખુશખુશાલ નથી
તો દોસ્ત, આજ હું સ્હેજે પાયમાલ નથી

મને બગીચો કહ્યો’તો એ તારી ભૂલ હતી
કોઇ લીલોતરી વિશે મને ખયાલ નથી
*
ઘટનાને હોત ભૂલી શકવાના બારણા
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને?
*
ચકવી, ચાલો જઇએ એવા દેશ…
પ્હેરવો પડે છે અહીં તો આ કે પેલો
એકબીજાને ચાહવાનો કોઇ વેશ
*
તું ચહેરો ઉગામીને ઉભી રહી
એટલે હોઠમાં વાત થંભી ગઇ
*
અક્ષરો પાડું, ધકેલું, ચીતરૂ, ઘૂટું, ભૂંસું
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત
*
શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે
બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ
સમૂળગું જ હવે મનને મારવું પડશે
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
દીઘું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે.

રમેશ પારેખની આંખોમાં એ કયું આંસુ આજીવન થીજી ગયું હશે? એ કયા કિસ્સાની કરચ એમના પ્રતિબિંબને તરડાવતી હશે? કયા ટકોરાની પ્રતીક્ષામાં એમની મૂંગી બોલપેન કાગળને ‘બચબચ ધાવતી’ હશે? કયું સ્વપ્ન એમને ભૂલી જવાનું નિરંતર યાદ આવતું હશે? કઇ છાતીની કણસે કવિનો દેહ હાર્ટ એટેકથી ‘આફટર સિકસ્ટી’ પડ્યો, એ પહેલાં જ હાર્ટ પર એટેક કરીને ‘સ્વીટ સિકસ્ટીન’માં એમનો આત્મા દઝાડ્યો હશે? કેટલાક સવાલો એવા હોય છે કે એના જવાબ આપવાની લાખ ઇચ્છા હોય તો પણ એ ઢબૂરીને મૌનના સોયદોરાથી હોઠ સીવી લેવા પડે છે.
રમેશ પારેખે હરહંમેશ નિયતિની, સંજોગોના શિકાર બનેલા ઉછળતા હરણા જેવા સ્વપ્નોની વાત લખી છે. ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે’થી પ્રચલિત કવિ એક ખૂણે ગૂપચૂપ એવું ય લખીને ગુમસુમ છે…

મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું
બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું?
પડયું છે કોઈનું મડદું પણે ગુલમ્હોર તળે
વચન દીધેલ હશે કોઈએ ત્યાં મળવાનું?

માણસ ધાર્યું કરવા માટે હવામાં બાચકા ભરે છે. જીવસટોસટની બાજી રમે છે. દોડે છે. પડે છે. ચડે છે. રડે છે. ઝંખે છે. ડંખે છે. એને એવો ભ્રમ હોય છે કે, આ તો હાથવેંતમાં આવેલું સ્મિત છે. પણ જગતની ગમે તેટલી જીત મળે, પ્રીત ન મળે ત્યારે એને ખબર પડે કે, કુદરતના દરિયામાં એ એક પરપોટો છે.

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

રમેશ પારેખે ગર્વથી ‘મારી કવિતા વિશ્વના હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે’ એમ ઉચ્ચાર્યું છે… અને કવિએ લોકોને રિઝવવા માટે કરવા પડતાં નખરાંનું મૂલ્ય સ્વીકાર્યું છે. દુનિયાને હસવા જેવી બે – ચાર પળો આપી, એમના મનમાંથી આવતીકાલનો ભય કાઢવાનું અવતારકાર્ય સર્જકનું છે, એવું કહી મન મનાવ્યું છે. એમણે કાલિદાસને પણ મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. શયનખંડની શહેનશાહત અને સ્તનોની સુંવાળપ, ભીડની ભયાનકતા અને મીરાના મનસૂબા પણ શણગાર્યા છે. પણ ફાંસી પહેલાની છેલ્લી ઈચ્છાના નામે લખેલી આ રચનામાં સર્જકના સપના નથી? વાંચો :

– ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે
વડની ખાલીખમ છાયાને
ટગરટગર વળગી પડી રોઈ લેવું છે
એકલભૂલું બકરી બચ્ચું ઊંચકીને
પસવારવી છાતી
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી
છાનું છપનું ન્હાતી
થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધ ઝરી પડતું જોવું
મારગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લીવાર વછોવું
સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે

આવું જ એક અવર્ણનીય શબ્દચિત્રના વર્ણનનું ચમત્કારિક કામ રમેશ પારેખની ‘ઈચ્છા’ નામની કવિતામાં છે. આખી કવિતામાં રંગબેરંગી વાસંતી કામનાઓના લસરકા છે, પણ દીર્ઘ કાવ્યની પૂંછડીએ વીંછીડંખ છે. કવિ લખે છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે ને… પછી ફેરવી તોળે છે. ‘ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાય… ને હું મૃત્યુ પામું!’

વાત નક્કી છે. રમેશ પારેખના ગળે મરણપર્યંત બાઝેલો ડૂમો એક મોગરાની કળી છે. ટહૂકાની જાળી છે.યાને એક સ્ત્રી છે. કવિતામાં છોકરો છોકરી પાસે કાંટો કઢાવવા જાય છે, ત્યારે સોયને બદલે અણિયાળી આંખોથી એ કાઢવા કાકલૂદી કરે છે. ગામ સમજી જાય છે – કાંટો નહિ, આયત્મો કઢાવવાની વાત છે! કવિએ પોતાના આત્માના સોનેરી પિંજરાને નામ આપી દીઘું : સોનલ! નામ આપીને કદાચ નામ છૂપાવ્યું! અને આ દરેક પુરૂષના લલાટમાં લખાયેલી, છાતીના વાળમાં પસીનો બનીને બાઝેલી અને મૂલાધાર ચક્રમાં સહસ્ત્રદલ કમલ બનીને ખીલેલી નાયિકાનું રૂપ છે. રમેશ પારેખે વાસ્તવમાંથી વાયકા બની ગયેલી સ્વપ્નિલ પ્રિયા સોનલ માટેનો તલસાટ અને થનગનાટ કેવો ઉપસાવ્યો છે?

તું આવી તો ઘરના ખૂણા પ્હોળા પ્હોળા
પહેલીવાર હું મારાથી અળગો પડી
કરતો મારી ખોળંખોળ
*
તમે ઘેર આવ્યા ને, સોનલ
ફળિયે બેઠેલા પથ્થરના પંખીને
નીલું પિચ્છ અચાનક ફૂટે
પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે
*
એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ…
એક વકત આ હું ને મારી આંખ ગ્યાં‘તા દરિયે
ત્યારે કોઈ પગલું પડી ગયું હતું ઓસરીએ
ઘેર આવતા ઘરના મોં પર તાજગી ભાળી
અડપલું બોલી ઉઠયું : જડી ગયું, દે તાળી
પગલાં ઉપર અમે ચડાવ્યા પાંપણના બે ફૂલ
ટીપે ટીપે સપના સુધી બાંઘ્યો ભીનો પુલ
ઘર આખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ
ઓસરીએ અફળાતો દરિયો કલબલ કલબલ
*
સાંજ – અંગત એક ચિઠ્ઠી… પ્રિયતમાની,
પત્ર મારો – ફકત નિઃશ્વાસોનો ઢગલો
ભૂકંપોના વિચારોનો જ
સિસ્મોગ્રાફ અધકચરો
અને ચિઠ્ઠી –
તરન્નુમ જેટલી મીઠ્ઠી!

રમેશ પારેખની એક કવિતા ‘છેલ્લો પ્રેમપત્ર’ છે. પ્રિયતમ પ્રિયાને પત્ર લખીને પોતાને જલદી પત્ર લખવા વિનવે છે! (એસએમએસના જવાબમાં ‘મિસ’ને મિસ્ડ કોલ થાય, એ જમાના પહેલાની વાત છે). જૂઈમંડપમાં પહેલી વાર હાથ પસવારવાની ઘટના યાદ કરી જૂઈનો સ્પર્શ અને ચુંબનનો કંપ લખવાની વિનવણી કરે છે…‘મારા લકવાગ્રસ્ત હાથનો શણગાર, ઠંડા પડતા જતા હાથોની ઉષ્મા તું’ એવું કહીને કવિ પત્રના અંતે લખે છે ‘ખરૂં કહું છું તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહીં ચાલે!’
જી હા, રમેશ પારેખનો દેહ જળવાયો, પણ રમેશ તો કયાંક વ્હેલેરો ખોવાયો! એ શેતૂરના કોશેટાના ઉકળતા બાફમાંથી ગુજરાતી ભાષાને મળ્યું મુલાયમ કવિતાનું રેશમ! સ્વયં ર.પા. એ લખેલું:

એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું
હતો રમેશને મોટો પ્રસંગ જાણું છું.

પણ કદાચ સ્વજનો સિવાય વાહવાહીની કદરદાની લૂંટાવતી જનતાને આ ‘મોટા’ પ્રસંગ કરતા બીજા ઘણા ‘ખોટા’ પ્રસંગમાં વઘુ રસ હતો. સમયનું હિમ જામ્યું. એમના મનની ડાળીએ કોઈ ‘રેશમી કૂંપળ રૂપ’ ઝૂલતું રહ્યું, બહારની ત્વચા પર ઉંમરની કરચલીઓનું જાળું વધતું ગયું.

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછયું : લે બોલ, હવે તું…
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાની હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
ઊંચી ઘોડીને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય કે લૂ?
અમે પૂછયું : લે બોલ, હવે તું…

આ સંવેદનશીલ હૈયાના તખ્તા પર નિત્ય ભજવાતો અજંપાનો ખેલ છે. સારૂં છે, રમેશ પારેખે એને કાવ્યની કયારીમાં રોપીને મહેકાવ્યો… નહીં તો, આપણી છાતીમાં બાઝેલો આવો જ ગળગળાટો ઓળખવાના શબ્દો કયાંથી સાંપડત? સર્જક અને સર્જન વચ્ચે કેવી અદ્રશ્ય બ્લૂટૂથ કનેકિટવિટી અઘૂરા પ્રણયની છે?…

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો
તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ?

રમેશ પારેખથી, ફોર ધેટ મેટર કોઈ પણ ઉમદા સર્જકથી અળગા થઈ શકાતું નથી. ખરેખર, આ વાત કવિતાની નથી, પ્રેમની છે. એની તમામ તડપ, વિરહ, પીડા, વિષાદ પછી પણ ર.પા.એ જગતના તમામ દીવાનાઓનો ‘હાઝરનાઝર’ રાખીને લખ્યું છે :

તું જો જીતે તો ભલે, તું જીતે
હું તો હારી શકું છુ સાવ એ રીતે..
તું જો જીતે તો ભલે, તું જીતે
હું તો ચાહી શકું છું, તને એ રીતે!

આપણા જીવતરના ગઢમાં રમેશ પારેખની વેદનાનો હોંકારો સંભલાય છે? રમેશ પારેખની કવિતા હોય કે હિમેશ રેશમિયાના ગીતો… પ્રેમની કથા અમર હોય કે ન હોય, વ્યથા અમર હોય છે!

ફાસ્ટ ફોરવર્ડ

આપણે મળ્યાં તો ખરાં પણ એમ-
જેમ દરિયાની ધુમ્મરીમાં
ડૂબતા માણસના હાથમાં
કયાંકથી તરતું આવેલું
‘વહાણ’ છાપ બાકસનું ખોખું આવી જાય
ને એ…
(રમેશ પારેખ)

એક અધૂરું ગીત – રમેશ પારેખ

લગભગ ૩ વર્ષ પહેલા ટહુકો પર પ્રસ્તુત કરેલ આ કવિતા – આજે હેતલ બ્રહ્મભટ્ટના સ્વરમાં પઠન સાથે ફરી એકવાર..!! હેતલનો સ્વર આમ તો અમારા અહીં ‘બે એરિયા’ ના ગુજરાતીઓ માટે અજાણ્યો નથી..! અને ટહુકો ફાઉન્ડેશન આયોજિત રમેશ પારેખને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ – ‘મનપાંચનમા મેળામાં’ (May 18 – at Jain Center, Milpitas) માં પણ હેતલ અને સાથીઓના સૂરીલા સ્વરે કવિશ્રીના શબ્દો સંગીતની સંગાથે તો વહેશે જ..!

પરંતુ આજે માણીએ હેતલના એ જ સૂમધૂર કંઠે કાવ્ય પઠન – કવિ શ્રી રમેશ પારેખના શબ્દો – એક અધૂરું ગીત..!

કાવ્ય પઠન : હેતલ બ્રહ્મભટ્ટ

******

Posted on May 17, 2011

આજે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ. આ ધોધમાર કવિ ને આજે ફરીથી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણો આ કવિતા. કવિ એ આમ તો કવિતા ને શીર્ષક આપ્યું છે – એક અધૂરું ગીત..! પણ લાગે છે કે એમને એ શીર્ષક ફક્ત કવિતાને નહીં.. દેશથી દૂર રહેતા તમામના જીવનને પણ આપી દીધું – એક અધૂરું ગીત..!

જેના ખેતરમાં કૂવો ને ફળિયામાં ઝાડવું ને

ઓરડામાં ઢોલિયો ને… બસ.
નથી એને રંજાડતી તરસ.

જેને મળ્યા દેશવટા આકરા
એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?

જેની આંખોમાં ખખડે છે કાંકરા
એને પાંપણ શું? સપનું શું? નીંદર શું?

જેના જોવા કે તરફડવા વચ્ચે નહીં ફેર
એને પળે પળે વીંધતા વરસ…

– રમેશ પારેખ

આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

જાળીયે ચડીને અમે ઝૂલણતું   દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ