Category Archives: ગઝલ

તેજઅંધારે – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તેજઅંધારે

જ અંત આદિમાં, તું જ તેજઅંધારે;
તું જ સાર છે કેવળ, આ અસાર સંસારે,

પથ્થરો તરે છે તો, એક અજું છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંયે સમજું છું તું જ આવશે હારે.

એ જ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે, કોઈ નામ-આકારે.

રોમેરોમ ચાલે છે એ જ નામની રટના,
ઝેર પણ બને અમૃત જેના એક ઉદ્ગારે.

ભક્તજનની નજરોનાં પારખાં નથી સારાં,
એક દી’ બતાવીશું આપને નયનદારે.

ધન્ય મારાં પાપોને, મેળવી તો દે છે એ,
કોઈ પણ બહાનાથી, એક ન એક અવતારે !

આપદામાં પૂરો છો ચીર નવર્સે નવ્વાણું;
ત્રણ એમ રાખો છો ચીંથરીનું પણ ક્યારે !

મેં જ ખોટ પૂરી છે ‘શૂન્ય’ તારા સર્જનની,
તું મને જ તરછોડે ? તું મને જ ધિક્કારે ?

– ‘શૂન્ય’ પાલનપૂરી

ગઝલની સુગંધ – આદિલ મન્સૂરી

ગઝલની સુગંધ

શબ્દોનાં સર્વે બારણાં અંદરથી બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

ઉપવન સુધી જવાના જો રસ્તાઓ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાના ઊંડે ઊંડે સકલ શ્વાસ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કાળું ડિબાંગ મૌન ખરેખર તો અંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

વીતી જવાય ક્ષણ બની એવો પ્રબંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

સુકાયેલી વસંતની પર્ણોમાં ગંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાની બાબતે તો બીજી પણ પસંદ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

– આદિલ મન્સૂરી

સંકલન – ‘ગઝલ નામેગઝલ’ – રમેશ પુરોહિત

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા… – અનિલ ચાવડા

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…

વાદળમાંથી વર્ષા વર્ષામાંથી ઝરણું ઝરણાંમાંથી?
સરિતા વત્તા દરિયો વત્તા વરાળ વત્તા વાદળ વત્તા…

વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…

પત્રો વત્તા પ્રેમી વત્તા સમાજ વત્તા રિવાજ વત્તા,
મળવું છૂટ્ટા પડવું વત્તા આંખોમાંથી ખળખળ વત્તા…

રસ્તા વત્તા ખાડા વત્તા પગ છે સૌના આડા વત્તા.
જીવન વત્તા સ્પર્ધા વત્તા થાવું આગળ-પાછળ વત્તા…
– અનિલ ચાવડા

લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

નથી દેતી – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કવિની આ કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !

કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી

અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી

જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો – ભગવતી કુમાર શર્મા

કવિશ્રી ભગવતીકુમાર શર્માને એમના જન્મદિને વંદન સહ શ્રધ્ધાંજલી. 🙏🙏

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે, મલ્હારનો ઘરાણો 

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યુ કિન્તુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિ ને લાગણીઓ, જકડાયેલો ઝૂરાપો
માણસ ઉપર પડે છે ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મ્હેં લોહીથી ભર્યા છે મારા બધા લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વરકાર – આલાપ દેસાઈ (આલ્બમ – સૂર વર્ષા)
સ્વર – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

લગ્નની ભેટ – આસીમ રાંદેરી

લગ્નની ભેટ

અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.

છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.

વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.

યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.

મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.

વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.

છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.

નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.

વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.

અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.

– આસીમ રાંદેરી

ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યુંઃ જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા

હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો! – અનિલ ચાવડા

એ જ કારણથી વધી ગઈ ‘તી અમારી લાય તો,
હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો!

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

સાંકડી દીવાલમાંથી ગીત ફૂટી નીકળે પણ,
આ હવા પણ જો ફરી ધીમે રહીને વાય તો.

ને ચરણ આ છેક કૂવા પાસ જઈ ઊભાં રહ્યાં,
કોક જો એકાદ ટીંપું ક્યાંક પાણી પાય તો.

સાવ ટૂંકા છે બધા રસ્તા છતાં લાચાર છું,
શું કરું હું, ક્યાંય મારાથી જ ના પ્હોંચાય તો?

– અનિલ ચાવડા