Category Archives: ગઝલ

મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે

જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.

હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.

માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.

– મકરંદ મુસળે

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

.

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

પ્રણયપત્રો – ચન્દ્રકાન્ત ‘સુમન’

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયાં છે ? મેં મનાવ્યાં તો નથી.

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી?

દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

– ચન્દ્રકાન્ત ‘સુમન’

તળાવમાં – વંચિત ફુકમાવાલા

છોડી મને કૂદી પડયું, બચપણ તળાવમાં
ત્યાં દોડતું આવ્યું સ્મરણનું ધણ તળાવમાં

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડયું હો, મોજનું આંધણ તળાવમાં

વાતાવરણમાં યોગના આસાન કરી કરી
સૂતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં

આઠે પ્રહરમાં લ્યો હવે, ઊજવાય ઉત્સવો
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં

અર્ધા ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં

હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછયા કરે પાંપણ તળાવમાં

શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં

વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કૂદી પડયું બચપણ તળાવમાં

-વંચિત ફુકમાવાલા

કવિ શ્રી સુરેશ દલાલે ‘હયાતીના હસ્તાક્ષર’ (દિવ્ય ભાસ્કર)માં કરાવેલો આ ગઝલનો આસ્વાદ:

શૈશવની સુગંધની ગઝલ

વંચિત ફુકમાવાલા ભુજમાં રહે છે. બનતા લગી નગરપાલિકામાં પાણી ખાતાના ઓફિસર છે. પાણી સાથે સંકળાયેલો માણસ તળાવ વિષે લખે એ સ્વાભાવિક છે. કયારેક ભુજ જાઉ ત્યારે એમને મળવાનું થાય. ઓછાબોલો અને ઓછાલખો માણસ છે. આપણે ત્યાં હમણાં હમણાં ગઝલનો રાફડો ફાટયો છે. એક જમાનામાં એવું કહેવાતું કે સોનેટ ન લખે તે કવિ ન કહેવાય. ઝવેરચંદ મેઘાણી એમાં અપવાદ રહ્યા. ગઝલ કે ગીત કોઈ પણ સ્વરૂપે કાવ્ય આવે તો કોઈને વાંધો ન હોય પણ ગઝલનું પૂર આવ્યું છે, ગઝલનું ગુલાબ મુશાયરાઓની તાળીમાં ભીંસાઈ જતું હોય છે. કાવ્યની અંદર અકાવ્ય એટલી સહેલાઈથી પેસી જાય છે કે કાંકરામાંથી ઘઉ વીણવા જેવી વાત છે.

તળાવની વાત આવે એટલે રાજેન્દ્ર શાહની એક પંકિત અચૂક યાદ આવે. ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત, પ્રજ્ઞ.’ વંચિતની આ ગઝલ જુદા મિજાજની છે. એની યુકિત સંવેદનથી રસાયેલી છે. ભલે ઓછું લખે પણ કરાયેલી કલમનો કસબ જોવા જેવો છે. રશિયન કવિ યેવટુ શેન્કોએ જંકશન નામનું એક કાવ્ય લખ્યું. એમાં કાવ્યનાયકને કૂવામાં પોતાના શૈશવની સુગંધ આવે છે. વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કૂદી પડયું છે. જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે પણ સ્મરણરૂપે તો રહે જ છે. કવિએ સ્મરણને ધણ સાથે સરખાવ્યું છે. બચપણનું કૂદી પડવું અને સ્મરણના ધણનું દોડતું આવવું આ બે ક્રિયાની વરચે કાવ્યની પ્રક્રિયા છે.

મોજાંના આંધણની વાત પણ ગમે એવી છે. પાણીની થપથપાટમાં જળના સ્પર્શનો અનુભવ થાય છે. કવિ કયાંથી કયાં પહોંચી જાય છે. એમાં છલાંગ છે પણ કૂદાકૂદ નથી. શવાસનમાં પડેલા રજકણો જાણે યોગના આસન કરી રહ્યા હોય એવું લાગે છે. આ કવિની મૌલિકતા સ્પર્શે એવી છે. આઠે પ્રહર ઉત્સવ હોય ત્યારે જળ જાણે કે રંગીન વસ્ત્રો ધારણ કરે છે. સમગ્ર ગઝલમાં એક શેર તો નજર લાગે એવો છે. એ શેર જ ટાંકવો પડે.

‘અર્ધી ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો/લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.’

આપણા ભાષણખોર વકતાઓ મંચ મળ્યો નથી કે તૂટી પડયા નથી. ગઝલની ખૂબી એ છે કે એનો કેમેરા તળાવને કેન્દ્રમાં રાખીને આસપાસના અનેક પદાર્થોપર પડે છે. કયારેક પાત્રો પર પણ પડે છે. તળાવ હોય અને પનિહારીઓ ન હોય એ તો કેમ બને? પનિહારીઓ હોય અને પાંપણમાં પાણી વધારે છે કે તળાવમાં પાણી વધારે છે એની સમસ્યા હજી એકવીસમીમાં સદીમાં પણ પૂરેપૂરી ઉકેલાઈ નથી. જળ જળને ધોતાં હોય છે. પ્રદૂષણથી દૂર થતાં હોય છે. કદાચ ગામલોકમાં જેટલી સમજણ નથી એટલી જળતત્ત્વમાં છે. જળનું કામ જ સ્વરછ અને શુદ્ધ કરવાનું. વરસાદના ભાંભરાં જળ બૂમ પાડે છે એ કવિના કાન સિવાય અન્ય કોઈને સંભળાય એવું નથી.

એક શહેરમાં શુદ્ધીકરણની વાત આવે છે ત્યારે રામનારાયણ પાઠકની ચાર પંકિત યાદ આવે છે :

ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વત: સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પીવાય, ન્હવાય, જેમાં.

કવિની આ ગઝલની સાથે એક જળનું ગીત પણ જોઈએ:

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
કંપ્યું જળનું રેશમપોત
કિરણ તો ઝૂકયું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીઓ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

————

વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!

bamboo trees Pictures, Images and Photos

(વાંસના વન……..   Photo: http://photobucket.com/)

સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા