Category Archives: ગઝલ

ઉતાવળ સવાલમાં – મરીઝ

મરીઝ સાહેબને એમની પૂણ્યતિથિના દિવસે આ એમની ખૂબ જ જાણીતી ગઝલ માણીને યાદ કરીએ..!

******

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ

આજે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના જન્મદિવસ. તો આપણા સૌ ના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!! 🙂

સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – આપણા legendary સ્વરકાર શ્રી અતુલ દેસાઇના સ્વર-સ્વરાંકન સાથે :

.

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!!

****

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

આજે ૧લી ઓક્ટોબર – કવિ શ્રી મણિલાલ દ્વિવેદીની પૂણ્યતિથિ..! અને હજુ ૨૬મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ પણ ગયો..! તો એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ અમર રચના..

*****

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી
(જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮)

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

આભાર – લયસ્તરો.કોમ

લાગશે કેવું તને? – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આજે ૩૦મી સપ્ટેમ્બર… પ્રખ્યાત કવિ-ગઝલકાર શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ નો જન્મદિવસ..! ચિનુકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે સાંભળીએ એમની આ ગઝલ – એમના જ શબ્દોમાં..!!

ગઝલ પઠન : ચિનુ મોદી ‘ઇર્શાદ’

પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?

આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાચશે
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?

પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને ?

આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને ?

નિત્યના અંધારનો ઇર્શાદ તું હિસ્સો થશે,
દ્રશ્યથી બાકાત બનશે, લાગશે કેવું તને ?

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

.

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

અડોઅડ – સોનલ પરીખ

(લૈ સમુદ્રો પ્હાડ વચમાં….. )

***

હું ને મારા વ્રણ અડોઅડ
આગ ને ઈંધણ અડોઅડ

સાથ કે જોડાણ ક્યાં છે ?
રાખનું વળગણ અડોઅડ

લૈ સમુદ્રો પ્હાડ વચમાં
બેસતાં બે જણ અડોઅડ

કોણ કોને કેમ ફળવું
તથ્ય ને તારણ અડોઅડ

હું મને મળવા ગઈ ત્યાં
કોકે લીધું પણ અડોઅડ

આપણા કૈં કેટલાં ‘પણ’
શક્યતાની ક્ષણ અડોઅડ

મૌનની કોમળ સમજ છે
વ્યર્થના ભાષણ અડોઅડ

– સોનલ પરીખ

***

(વ્રણ = ઘા; નારું)

પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા

નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો.

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને;
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો.

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.

तेरे जाने के बाद – ઊર્મિ

લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ લખવાની પ્રેરણા ઊર્મિને જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી છે.

અને આજે – વ્હાલી ઊર્મિના જન્મદિવસે આ ગઝલ આપણા સર્વ તરફથી ઊર્મિને… જન્મદિવસની અમિત શુભેચ્છાઓ સાથે.. 🙂

fall-season1-sml
(લીલોતરીની સૂકી સૂકી વિદાય…     7 નવેમ્બર 2008)

*

બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

*

સ્વર અને સ્વરાંકન – રિષભ મહેતા

.

સ્વર – ગાયત્રી મહેતા
સ્વરાંકન – રિષભ મહેતા

.

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

– ઊર્મિ (૬ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

– મુકુલ ચોકસી