Category Archives: ગઝલ

મનોજ પર્વ ૧૮ : દોસ્ત, અહીં થાવું છે અમર કોને…

આજના મનોજ પર્વમાં માણીએ મનોજભાઇની એક મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..! અને એ સાથે કવિ શ્રી મકરંદ મૂસળે એમના કવિ શ્રી મનોજ ખંડેરિયા સાથેના કંઇક સ્મરણો આપણી સાથે વહેંચે છે..!

કવિ શ્રી મકરંદ મૂસળેના શબ્દોમાં :

આ સાથે શ્રી મનોજ ખંડેરિયા સાથે ની મારી પહેલી મુલાકાત અહી મૂકી છે.

“કવિશ્રી મનોજ ખંડેરિયાસાથે મારી પહેલી મુલાકાત મુંબઈ આઈ.એન.ટી. ના મુશાયરામાં થઈ. 1997-98માં શ્રીદામુભાઈ ઝવેરીએ ‘ઈંડિયન નેશનલ થિયેટર’ દ્વારા એક સમયે મુંબઈમાચાલતી મુશાયરા પ્રવૃત્તિને પુનર્જિવિત કરી. દર 25મી જાન્યુઆરીએ યુવાન કવિઓનો મુશાયરો અનેદર 14મી ઑગષ્ટે પ્રસ્થાપિત કવિઓનો મુશાયરો થતો. એ સાલ 25મી જાન્યુઆરી ના મુશાયરામાંગાજેલા નવયુવાન કવિઓ વિવેક કાણે, હિતેન, મુકેશ અને મકરંદ મુસળે (એટલે મને) 14મી ઑગષ્ટ ના મુશાયરામાંસિનિયર કવિઓ સાથે મંચ પર બેસવાનો લાભ પ્રાપ્ત થયો. એનો રોમાંચ તો ખરો જ. મુશાયરો મુંબઈના‘બિરલા માતોશ્રી સભાગૃહ’ માં હતો. અને એ જ વર્ષે કવિ શ્રી મનોજખંડેરિયાને ‘કલાપી’ એવોર્ડ અર્પણ કરવામાંઆવ્યો. મંચ પરથી એ પ્રસંગના સાક્ષી બનવાનું સન્માન મળ્યું એનો ગર્વ આજીવન રહેશે. મનોજખંડેરિયાને મંચ પરથી ગઝલ રજું કરતા સાંભળવા એને હું એક લહાવો ગણું છું. કોઈ પણ જાતનોઅભિનય કે આડંબર કર્યા વિના માત્ર અને માત્ર શુધ્ધ ગઝલ રજુ કરી શ્રોતાઓના હ્રદય ની આરપારનીકળી જઈ શકાય છે એ શ્રી મનોજભાઈ પાસેથી શીખવા મળ્યું.

ત્યારબાદ 2005ની સાલનો ‘શયદા’ પુરસ્કાર આઈ.એન.ટી. તરફથી જ્યારે મને મળ્યો ત્યારે કવિશ્રી મનોજ ખંડેરિયા આ જગતના મંચ પર ન હતા. એ વખતે મુંબઈના ‘ભારતિય વિદ્યા ભવન’ ના મંચ પરથી કવિશ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાંજલિ આપતો આ શે’ર મેં અનેક મહાનુભાવો ની હાજરીમાં તરન્નુમમાં રજૂ કર્યો હતો.મત્લા અને શે’ર આ પ્રમાણે હતા…”

“ઝણઝણી ઊઠે હ્રદયના તાર કંઈ કે’વાય ના,
લાગવા માંડે સબંધો ભાર કંઈ કે’વાય ના
તું જુનાગઢને ત્યજી ક્યાં જઈ શક્યો ‘ખંડેરિયા’,
આ ઊભો એ તું જ, કે ગિરનાર કંઈ કે’વાય ના.

…….કવિશ્રી મનોજ ખંડેરિયા ને વંદન….

– મકરંદ મુસળે – વડોદરા – 5-07-2012

****

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

 

*************

Posted on August 20, 2007

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

————

( આભાર : ગુજરાતી-લેક્સિકોન ઉત્કર્ષ )

મનોજ પર્વ ૧૭ : ગઝલ મનોરંજન

ગઇકાલે આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાના મૃત્યુ વિષય પરના કેટલાક અદ્ભુત શેરનું સંકલન માણ્યું! અને એ જ કવિ જીવન વિષે આ મઝાનો શેર આપે છે –

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

આ ગઝલ ટહુકો પર પહેલા કવિ શ્રી ના અવાજમાં પઠન સાથે પ્રસ્તુત કરી હતી..! આ જે મનોજ પર્વ અંતર્ગત ફરી એકવાર આ ગઝલ માણીએ – આશિત દેસાઇના સ્વર-સ્વરાંકનના બોનસ સાથે..!

સ્વર-સ્વરાંકન : આશિત દેસાઇ

* * * * * * * * * * * * * * * * *
Previously posted on February 02, 2010

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

.

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે

સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે

આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે

કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

– મનોજ ખંડેરિયા

( અડાયું = ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું)

ગુંજન ગાંધીના શબ્દોમાં આ ગઝલના થોડા શેરનો આસ્વાદ :

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે…

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે…આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને ‘જીવવું’ કહીએ છે પણ..

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

હવે પછીનો અદભૂત શેર…વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ…આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર ‘જીવો’ છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..

આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે

મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે….પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..

આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે

અને છેલ્લો શેર…તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ ‘stage’ સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

જાય છે – રમેશ પારેખ

પક્ષી માફક હું ટહૂક્યો તો ..... Happy Family, Sequoia National Park (May 2012)

જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?

પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !

જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.

તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.

– રમેશ પારેખ

સીમ ભરીને ટહુકે રે અવસાદ સાંભળું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વરસે નવલખ ધારે રે વરસાદ સાંભળું,
ધસમસતી ઘુમ્મરીઓ ખાતી યાદ સાંભળું.

અન્દર બાહર સરખો રે ઉન્માદ સાંભળું,
જળરૂપે હા એ જ પરિચિત સાદ સાંભળું.

અમે રહી ગયા કોરા રે ફરિયાદ સાંભળું,
સપનાંનો જન્મો જૂનો અપવાદ સાંભળું.

એકલતાના આંગણનો સંવાદ સાંભળું,
થતો કડકાબન્ધ એ અનુવાદ સાંભળું.

સીમ ભરીને ટહુકે રે અવસાદ સાંભળું,
હતો તું થકી કદીક એ આહલાદ સાંભળું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કીડી સમી ક્ષણો…. – રાજેન્દ્ર શુકલ

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ આપે પહેલા એમના જ સ્વરમાં અહિં સાંભળી હશે. આજે ફરી એકવાર મોકો આપી દઉં આ ગઝલ સાંભળવાનો – કવિના પોતાના અવાજમાં, અને સાથે None Other Than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકનમાં..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે..... June 2, 2012 - San Francisco

********

Posted on November 9, 2007

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે ટહુકો પર કંઇક નવું…!! કવિના પોતાના સ્વરમાં એમની રચના… ઘણા વખતથી ઇચ્છા હતી, કે મારા જેવા ઘણાએ કવિ સંમેલનો વિષે સાંભળ્યું જ છે, એમને ઘરે બેઠા કવિ સંમેલનમાં લઇ જવા છે. તો એ કામની શરૂઆત આજથી. આખુ કવિ સંમેલન તો નહીં, પણ એની એક ઝલક તરીકે – કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ – એમના જ સ્વરમાં…

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

.

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે ?

– રાજેન્દ્ર શુકલ

અંજામ લઈને આવ મા – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા
સ્વર – ડો. ભાવના મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

છૂટી શકું તો બસ – વિવેક મનહર ટેલર

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ – Picture by Dr. Vivek Tailor)

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – ગુંજન ગાંધી

આવવાનું હોય તો હમણાં તરત એ આવશે,
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.

માપ પડછાયાનું દિનભર લઈ સીવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે ?

તું બરફ પીગળે નહીં ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો’ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.

આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દૃશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે ?

ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ?

– ગુંજન ગાંધી

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

સમજાય તો – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફક્ત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા