Category Archives: કાવ્યપ્રકાર

एक ही ख्वाब कइ बार देखा है मेंने… – गुलज़ार

‘કિનારા’ ની કેસેટ પહેલી વાર સાંભળી, ત્યારે જ આ ગીત સૌથી પહેલી વાર સાંભળ્યું. અને ત્યારે તો વગર દિવાળીએ બોનસ મળ્યાની લાગણી થયેલી. કારણકે ‘આંઘી’ અને ‘કિનારા’ની એ કેસેટ લીઘી હતી ‘તેરે બીના ઝિંદેગીસે…, તુમ આ ગયે હો…, નામ ગુમ જાયેગા…, ઇસ મોડસે જાતે હૈ.. વગેરે ગીતો સાંભળવા માટે.

ભુપિન્દર અને હેમા માલિનીના અવાજમાં આ ખરેખર ગીત છે કે વાતચીત, એવો સવાલ થાય.. અને ખરેખર થોડી વાર માં સાંભળવા પણ મળે.. ‘ચિઠ્ઠી હૈ યા કવિતા ? ‘

આમ તો આમાં કઇ ઘણી લાગણીસભર વાતો નથી, જે સામાન્ય રીતે આવા ઘીમા ગીતોમાં હોય છે. પરંતુ આ ગીતની છેલ્લી કડી, ‘જબ તુમ્હારા યે ખ્બાવ દેખા થા…’ એક સાથે ઘણું બધું કહી જાય છે.

(ek hi khwab kai baar dekha hai maine
tune saari main uras lee hai chabiyan ghar ki) – 2
aur chali aayi hai
bus yoon hi mera haath pakad kar
ek hi khwab kai baar dekha hai maine… Continue reading →

એક પ્રણયગીત

આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે,
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

સ્મરણની આ કેવી બલિહારી
જળ છલકછલક છલકે,
અલકમલકની અઢળક માયા
મંદ સુગંઘ મલકે.

સમંદરનાં જળ વાદળ થઇને ઝરમર ઝરમર ઝરે
આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે.

ચહેરો તારો સૂરજ જેવો
મહેક મોગરા જેવી,
રાતરાણીની સુગંધ હવામાં
રહે ઘૂંટાઇ એવી.

રાધા-શ્યામ તો એકમેકને આંસુ નિજનાં ધરે
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

પહાડો નો સાદ – Call of the Valley

વાદ્યસંગીતનો મારો શોખ મને ભાઇ તરફથી મળ્યો છે (બીજા ઘણા શોખની જેમ જ તો.. ). આમ તો ભાઇ પાસે સારો સંગ્રહ હતો, પણ એમના જન્મદિવસે એક વાર એમને આ Call of the Valley આપી હતી. શિવકુમાર શર્મા, હરીપ્રસાદ ચૌરસિયા, અને બ્રિજભૂષણ કાબરા જેવા દિગ્ગજો એક સાથે હોય, એટલે વાદ્યસંગીતના કોઇ પણ શોખીનને તરત ગમી જાય એવું સરસ આલ્બમ બને જ.

આ જે ટ્રેક અહીં મૂક્યો છે, એમાં સંતુર, તબલા અને વાંસળી એક સાથે સાંભળવાની ખરેખર મઝા આવે એવું છે. એક્દમ ધીમેથી, અને ફક્ત સિતાર(?) સાથે ચાલુ થતો આ ટ્રેક શરૂઆતમાં કદાચ બોરિંગ લાગે… પણ પછી જમણી બાજુ વાંસળી સંભળાય, અને જાણે સામે બેસીને પંડિત શિવકુમાર સંતુર વગાડે છે.

અને લગભગ અડધે પહોંચીને એવો તો સરસ વાંસળીનો અવાજ ગુંજે કે કાનુડાની વાંસળી યાદ આવી જાય.. જમણી બાજુ સંતુર, ડાબી બાજુ સિતાર, અને સામેથી તબલા અને વાંસળી… એક જ સુર પેલ્લા અલગ અલગ વાદ્ય પર સંભળાય, અને પછી બધા એક સાથે… વાહ.. લાજવાબ.

ગઝલ – હરિશચન્દ્ર જોશી

નાટકનો અંત છે હવે ક્ષણમાં જ મંચ પર
પડશે ત્યાં શ્વેત પટ પછી સઘળા ય રંગ પર

જીવનના સાર રૂપ જે પામે તે વહેંચતા
ફૂલોએ નામ કયાં લખ્યાં છે કોઇ ગંધ પર

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

બેસીને પાંખ પર સતત એ વ્યાપતું રહે
જાણે કે નભ નભી રહ્યું કોઇ વિહંગ પર

સંકેલી લે હરીશ, ચરણ, માર્ગ, શ્વાસ પણ
છેલ્લો પ્રવાસ થાય બીજાના જ સ્કંધ પર.

——-

મને આ પંક્તિઓનો અર્થ ના સમજાયો. મદદ કરશો ??

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : મનહર ઉધાસ

.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

( કવિ પરિચય )

સાંજ – પુષ્પા મહેતા (પારેખ)

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે

રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે

છુંદણાંમાં કોણ પીડા આપતું
એ વિચારે દર્દ ભાગી જાય છે

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં
રોમ સૌ ધરતીના જાગી જાય છે

હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે

રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે

ઊગે છે – કૃષ્ણ દવે

કોઇ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે,
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે!

કોઇ માળામાં નાનકડું ગાન ઊગે છે,
મને લાગે કે જંગલને કાન ઊગે છે!

મેં તો માન્યું જે મારું ખોવાઇ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઇ ગયું રે,
કોઇ હમણાં આવીને જરા ગાઇ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઇ ગયું રે,

કોઇ ધરતીનું લીલુંછમ ધ્યાન ઊગે છે,
મને લાગે મોંધેરા મહેમાન ઊગે છે!

મેં તો ટોચે જઇ દરવાજા ખોલી જોયા,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
મારા હોઠે હરખાઇ એને ગીતો ગણ્યાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,

પછી પથ્થરમાં ખળખળ તોફાન ઊગે છે,
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે!

નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

આજે શ્રી કૃષ્ણ દવે નો જન્મદિવસ.. એમના મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
————

સ્વરઃ મુકેશ અને લતા મંગેશકર
સંગીતઃ કલ્યાણજી આણંદજી

.

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

———–

ક્ષમા – ફિલ બોસ્મન્સ

આજે સવંતસરી, એટલે મિચ્છામી દુક્કડમ કહીને સૌની માફી માંગવાનો, અને મિચ્છામી દુક્કડમ કહેનારને દિલથી માફ કરી દેવાનો દિવસ. તો આજે કોઇ ગીત, ગઝલ કે કવિતા ના બદલે, થોડા સરળ શબ્દોમાં એક-બે વિચારો.

( અનુવાદ : રમેશ પુરોહિત )

કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે
પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે.
આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો
એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા.
હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું
અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે.
આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે
– સમજણ અને ક્ષમા.

હું ઘણા માણસોને જાણું છું
અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે
અને બરાબર પામી ગયો છું કે
કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું
પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે
અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે
પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી.
અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો
હજી લગી મારાથી અજાણ્યો છે.
આથી જીવનની રોજિંદી ઘટમાળમાં
વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું
ખૂબજ સ્વાભાવિક લાગે છે.
જો માણસ એટલું સમજે કે
બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
સાથે રહેવું શક્ય બને.
આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.

———

કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે.
રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર
રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી.
હા, હું એટલું જ સમજું છું કે
કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય
અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય.
તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે.
તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી.
તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે.
એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે.
આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે.
પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો;
તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે
અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી.
જિંદગીએ તમને પછડાટ આપી છે.
અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી
ક્યારે મુક્ત થાઉં.
પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે.
ક્ષમા !
ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે.
ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ
લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ
નિર્માણ કરે છે.
તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે.
સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે.
કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે.