Category Archives: કાવ્યપ્રકાર

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે – અંકિત ત્રિવેદી

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે,
કાઢવો જો હોય તો રસ્તો નીકળે છે,

સ્હેજ જીવીને વિચારો આપણામાં,
હૂંફ આપોઆપ મળશેતાપણામાં;
ભાસ જોઈશે ગતિની તીવ્રતાનો,
એ જ આવીને મળે છેઆંગણામાં.
પગ પડે છે ત્યાં નવો થઈ સળવળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

હા, પડેલું એને વાંકુ એ જ રસ્તો,
બારી પાસે બેસી તાકું એ જ રસ્તો;
ક્યાંક ખાડા, ક્યાંક સમથળ, ક્યાંક ટૂંકો,
ક્યાંક લાંબો જોઈ થાકું એ જ રસ્તો.
આપણે વળીએ ન એ પાછો વળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

ચોતરફ ફરતો રહું છું એની ઉપર,
જે ભરે ભાંખોડિયા મારી જ અંદર;
એ જરસ્તાનેપૂછું છું ફાવશે ને?,
ડગ ભરે છે ગિરદીમાં રોજ જીવતર.
એ જ જગ્યાએ ફરી પાછો મળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

– અંકિત ત્રિવેદી

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો – ચંદ્રકાન્ત શેઠ

સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો ! તું આવે છે ? આવ !
ઊંડાણમાંથી દરિયો ઊછળ્યો! તું આવે છે ? આવ !

તારી પ્હેલાં ન્હોતાં વૃક્ષો,
ન્હોતાં વિહંગ – ગાન,
તું આવી ને તારી પાછળ
ઊમટ્યું આખું રાન !

પ્રાણે પ્રાણે પરિમલ પમર્યો ! તું આવે છે ? આવ !

તું મૂંગી તો દુનિયા મૂંગી,
મૂંગા બધા મુકામ !
તું રીઝે તો તારી સાથે ,
રમતા મારા રામ !

પળપળનાં ઝળહળતાં પુષ્પો ! તું આવે છે ? આવ !
ખાલીમાં પણ ખીલી ખુશબો ! તું આવે છે ? આવ !

– ચંદ્રકાન્ત શેઠ

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

કરી તાપણું શેક્યા શબ્દો – દિનેશ પંડ્યા

“આંગળીઓથી ઠેક્યા શબ્દો
ક૨ી તાપણું શેક્યા શબ્દો
સૂરાઝબોળી આડીઅવળી
વાતોથી આ બહેક્યા શબ્દો”

-દિનેશ પંડ્યા

આજે વાત કરવી છે કવિ શ્રી દિનેશ પંડ્યાના નવા કાવ્ય સંગ્રહ “કરી તાપણું શેક્યા શબ્દો” માના કવિને ગમતા ત્રણ પદો વિષે,

ઝાઝુ ઝીણું ક્યાં દળવું છે? એકમેકને ક્યાં મળવું છે? (પૃષ્ઠ ૬૫)
ઝાઝુ ઝીણુ ક્યાં દળવું છે ?
એકમેકને ક્યાં મળવું છે ?

લાક્ષાગૃહ ભાડે રાખ્યું છે,
ખાખ થવાથી ક્યાં ડરવું છે ?

ધૃતરાષ્ટ્રથી આંખ મળી છે,
શોણિત જોઈ ક્યાં છળવું છે ?

કરવત કાજે કાશી આવ્યા,
વહેરો, પાછા ક્યાં વળવું છે ?

પવનપાવડી પહેરી શ્વાસે,
હવે ચિતામાં ક્યાં બળવું છે ?
– દિનેશ પંડ્યા

ગામની યાદ (પૃષ્ઠ ૯૬)
તળાવનો ભીનો ઓવારો
સાંજ પડે ને યાદ આવે છે
જલમાં ક્રિડા કરતો તારો
સાંજ પડે ને યાદ આવે છે.

ધુમ્મસ જેવો છવાઈ જાતો
ચૂલાનો મીઠો ધુમાડો
ભાગોળે અંધારું ઓઢ્યું
સાંજ પડે ને યાદ આવે છે.

તમરાંનો તંબૂરો લઈને
ચીબરી ગજવે આ સીમાડો
ધજા ફરકતી ભગવી પેલી
સાંજ પડે ને યાદ આવે છે.

આછું અંધારું ઓઢેલી
ગલીઓમાં શોધું પડછાયો
દૂર દૂર ટમટમતો દીવો
સાંજ પડે ને યાદ આવે છે.
– દિનેશ પંડ્યા

તુનતુન તાર બજાયો સાધો! કૌન મલકસે આયો સાધો! (પૃષ્ઠ ૮૦)

તુન તુન તાર બજાયો સાર્ધો !
કૌન મલકસે આયો સાધો !
અગમ નીગમકી કો૨ી બાતેં,
મન કાહે ઉલઝાયો સાધો !

જ્ઞાની કો જબ સુન્યો ધ્યાનસે,
મનહી મન મલકાયો સાધો !
ઢાઈ અક્ષર પઢ્યો પ્રેમ કો,
નયનનકો છલકાયો. સાધો !

ખૂલી આંખકો અચ્છો–બૂરો,
બંધ કિયો, સબ ભાયો સાધો !
ગુરુ બચાયો ગોરખ બન કર,
બૂઝ્યો દીપ જલાયો સાધો !
– દિનેશ પંડ્યા

આવી બીજી અનેક સુંદર રચનાઓ વાંચવી હોય તો એમનો કાવ્ય સંગ્રહ મેળવી શકો છો.

પુસ્તક મેળવવા નું સરનામુ :
ધ્વનિ સંજય પટેલ
7/A મેઘદૂત બંગ્લોઝ
સરદાર એવેન્યૂ
વલ્લભ વિદ્યાનગર
388120
ફોન:9428660382

કવિનો ટૂંકમાં પરિચય :
દિનેશ પંડ્યા
B.A.(1962), M.A.(1964) ,Ph D(1987)
દાહોદની નવજીવન આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ૩૭ વર્ષના આધ્યાપનકાર્ય બાદ નિવૃત્તિ.

પુસ્તકો :

*જયન્ત પાઠક: વ્યક્તિત્વ અને વાંગ્મય (મહાનિબંધ)
*માય નૉઈઝ (હાસ્ય-કટાક્ષના લેખો)
*સ્માઈલ પ્લીઝ (હાસ્ય-કટાક્ષના લેખો : સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)
*બચુભાઈ બેસણાવાળા (હાસ્ય-કટાક્ષનીલઘુનવલ)
*તું પૂનમ હું બીજ (કાવ્યસંગ્રહ)
*કરી તાપણું શેક્યા શબ્દો (કાવ્યસંગ્રહ: પ્રાપ્તિસ્થાન:શબ્દલોક પ્રકાશન,1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ:380001)
*હું મારામાં રહું છું(કાવ્યસંગ્રહ:પ્રેસમાં)

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી – રાજેન્દ્ર શુક્લ

સ્વર : હરિશ્વંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી !
ક્યા હૈ મેરુ, ક્યા હૈ મંદર, ચેત મછંદર !

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા!
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા!
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા!
નજર સધી અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકઁવલ કી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઇ ભૈરવસૂર ગાયા, ગોરખ આયા!

એક ધરીમેં રુક્યો સાંસ કિ અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો બિજરી હલસી,
ઘિર આઇ ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હવે, અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

– રાજેન્દ્ર શુક્લ

આમ રોજે ઘેરાય, નહીં વરસે – તુષાર શુક્લ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય એવા
બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બેમાંથી કોઈ
મને લથબથ ભીંજ્યાના અભરખા;
એમ સમજાવ્યો સાનમાં ન સમજે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને?
ઓઢણીનું આછેરું ઈજન ન ઓળખો તો
લાજ્યું ન આવે કાંઈ અમને?
સાવ આઘે આઘેથી મને અડકે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

– તુષાર શુક્લ

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં – બોટાદકર

સ્વર : જાતુષ-બિહાગ-હરિશ્ચંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં,
સ્વયંભૂ સર્વાત્મા પ્રતિહર્દયમાં પૂજિત સદા;
રહ્યો વ્યાપી નિત્યે સકળ જડ ને ચેતન વિષે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

વસે ના વૈરાગ્યે, જપતપ થકી જે નવ જડે,
અનાયાસે આવી વિમળ ઉર ને સત્વરે વરે;
પ્રતાપે પૃથ્વીમાં સુરસદન સૌન્દર્ય વિચરે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

કટાક્ષે જોતાં જે વિષ થકી સુધાવર્ષણ કરે,
અને અગ્નીમાંયે શત શશીતણું શૈત્ય સરજે;
સ્મૃતિ જેની સ્હેજે દ્રઢ નરકનાં બંધન હણે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

– બોટાદકર

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી – હર્ષદ ચંદારાણા

સ્વર : ઉદય મઝુમદાર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
બાંધીએ ચાલો અહીં પગલાંની દેરી .

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
ને હવે એમાં તમે ઝુલ્ફો વિખેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
હાથ લાગી એક કલરવની કચેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
આંખ સામે તોય મારાં ગામઢશેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
એટલે બેઠો હવે શબ્દો વધેરી.

– હર્ષદ ચંદારાણા

તું જરાક જો તો, અલી ! – વિનોદ જોશી

સ્વર : હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

તું જરાક જો તો, અલી !
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી.

ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ,
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
હું હવા વગર હલબલી !

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ,
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી !

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ,
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
હું તળીયામાં છલછલી !

– વિનોદ જોશી