Category Archives: કાવ્યપ્રકાર

Your love is like a star…

મારું એક ખૂબ જ ગમતું ગીત…! અમુક ગીતો એવા હોય છે જે આખો દિવસ, ફરી ફરી સાંભળ્યા કરો તો યે એટલા જ પોતીકા લાગે.. એટલા જ મીઠ્ઠા લાગે, અને દર વખતે ચહેરા પર એક સ્મિત લઇ આવે.. (અને સાથે કોઇની યાદ પણ 🙂 ). આ ગીત એવા જ ગીતોમાંનું એક..!!

Singer : Falguni Pathak, Bombay Vikings

Music : Bombay Vikings

Your love is like a star, shining in my heart
Lighting up my life it’s true girl
Never felt this way before
I keep wanting it more and more
What would I be without you girl

You’ve shown me the love I’ve never seen
You’re like an angel from my sweetest dream
You’ve given me my world
I couldn’t find on my own girl
Now I know what love is

Meri saanson se tere pyaar ki khushboo aaye
Tere aane se mere dil pe nikhaar aa jaaye
Dil ko tune jo chhua
Aisa mehsoos hua
Jaise sehara mein bhi bhoole se
Ghataa chha jaaye

Tera mera pyaar sanam, vaada hai kabhi ho na kam
Ban ke dhadkan tu meri jaanum base dil mein mere

Oh my, my oh my
I don’t wanna hear you say goodbye
How much you mean to me
I realize, realize
Come near, baby come close
I’m not ever gonna let you go
How much you mean to me
Do you know

You’ve shown me the love I’ve never seen
You’re like an angel from my sweetest dream
You’ve given me my world
I couldn’t find on my own girl
Now I know what love is
Tera mera pyaar sanam, vaada hai kabhi ho na kam
Ban ke dhadkan tu meri jaanum base dil mein mere

જિન્દગી નામે ગઝલ – મુકુલ ચોક્સી

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
– કે વહી ગઈ દૂ…ર મારાથી નદી.

અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.

વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
તરફડે પંચાગમાં આખી સદી.

જિન્દગી નામે ગઝલ જન્મી શકે;
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.

– મુકુલ ચોક્સી

સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું… – અશોક ચાવડા ‘બેદિલ’

અમથી અમથી ઊભી રહી ને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ઘડીક થાતું ચાલી જાઉં ઉમ્બરની બહાર હું
ઘરનું પેલું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઇ મને રોકીને રાખે
અંદરથી કૈં બોલી

આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછા વાળું?
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

એક અરજ આ મારી ખાલી પોતે આવી
મારી અંદરનું અંધારું પીવો
સ્મરણોના અજવાળે મારું આખું યે ઘર
ઝગમગ ઝગમગ શાને કરને દીવો?

દીવો કરતા અંધારાને નામ લઇને તારું
હમણાં હમણાંથી હું ટાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ટાઢું ટબુકલું (બાળવાર્તા)

સૌ પ્રથમ તો સૌ બાળમિત્રોને (અને આપણા બધાની અંદરના બાળકને પણ 🙂 ) બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

અને આજે – for a change – એક બાળવાર્તા સાંભળીએ. આ વાર્તા મારા માટે એકદમ ખાસ છે, કારણ કે નાનપણમાં પપ્પા પાસે આ વાર્તા કેટલીયે વાર સાંભળી છે. (આ મારી one of the favourite વાર્તા હતી, બરાબર ને પપ્પા?). અને કેટલાય વર્ષો સુધી શિયાળામાં ઠંડી લાગે ત્યારે ટાઢું ટબુકલું ને યાદ કરતી.. આમ તો પપ્પાની વાર્તા થોડી અલગ હતી.. પણ ડોશીને ઠંડી લાગે અને એ બોલે કે ‘એ.. ટાઢું ટબુકલું આવ્યું…’ અને સિંહ ઉભ્ભી પૂંછડીએ ભાગ્યો… ત્યારે હું જે visualise કરતી, એ વિચારીને આજે પણ એટલી જ મઝા પડે છે..!

તો, વાર્તા કેવી લાગી?

પતવારને સલામ – શૂન્ય પાલનપુરી

સંગીત ઃ ??
સ્વર ઃ મન્ના ડે (?)

.

પતવારને સલામ, સિતારાને રામ-રામ
મઝધાર જઇ રહ્યો છું કિનારાને રામ-રામ

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નહીં
નિર્માલ્ય એવા પ્રેમ તિખારાને રામ-રામ

દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ

– શૂન્ય પાલનપુરી

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..

આમ તો 1-2 દિવસ મોડુ થઇ ગયું, પણ તુલસી-વિવાહ પ્રસંગે આ સુંદર ધૂન સાંભળીયે…

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : દીપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

.

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાવ કોના? પૂછ ના – ઉર્વીશ વસાવડા

(ગોદમાં ગિરનારની…. )

પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ

સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ

ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ

ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ

ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

આ પહેલા ફક્ત શબ્દો સાથે આવેલું આ રમેશ પારેખનું ગીત આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

બંધ સૌ થયા છે બજારો પણ – આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે –

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર –

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.



માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.