Category Archives: કાવ્યપ્રકાર

કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન – અંકિત ત્રિવેદી

પ્રસ્તાવના : અંકિત ત્રિવેદી
સ્વરાંકન – સ્વર : આશિત દેસાઈ

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

– અંકિત ત્રિવેદી

હરે રામ રામ સીતા રામ રામ ધૂન

વ્હાલા માસીને ખૂબ યાદ અને શ્રધ્ધાંજલી સાથે…

સ્વર – મોરારીબાપુ

સ્વર – ?

હરે રામ રામ રામ સીતા રામ રામ રામ
હરે રામ રામ રામ સીતા રામ રામ રામ

સીતા રામ રામ રામ
સીતા રામ રામ રામ

(મોરારીબાપુનાં સ્વરની ઓડ્યો ફાઈલ માટે આભાર – www.moraribapu.org

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

ન લેજે વિસામો…. – વેણીભાઇ પુરોહિત

ગઇકાલે જ ટહુકોના વાચકમિત્ર શ્રી દિગંબરભાઇ સ્વાદિયા એ આ ગીત યાદ કરાવ્યું – એમણે કદાચ ગોપાલકાકાના બ્લોગ પર માણ્યું હશે – તો મને થયું – ટહુકોના બીજા મિત્રો માટે પણ અહીં જ લઇ આવું આ ગીત..! આનું સ્વરાંકન સાંભળ્યાનું મને યાદ નથી – કદાચ આશ્રમ ભજનાવલીમાં મળી આવે..! તમારી પાસે સ્વરાંકન હોય તો અમારી સાથે વહેંચશો? ત્યાં સુધી માણો આ મઝાનું ગીત – અને સાથે થોડી વાતો – સીધેસીધું ગોપાલકાકાના બ્લોગ પરથી કોપી-પેસ્ટ..! 🙂
******
થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો!
ને ઝૂઝ્જે એકલ બાંયે—હો માનવી! ન લેજે વિસામો!

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાના જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તુજ આફતનો ટેકરો,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :
ખંતે ખેડે એ બધાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે :
છોને આ આયખું હણાયે–
હો માનવી ! ન લેજે વિસામો !

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! ન લેજે વિસામો !
તારી હૈયા વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો !
ન લેજે વિસામો….
– વેણીભાઇ પુરોહિત

*************
આ કાવ્ય “વિસામો” પાછળ એક નાનકડો ઇતિહાસ છે. આપણા યુગની મહાન વિભૂતિ—મહાત્મા ગાંધી—ના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવું સ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રી મનુબહેન ગાંધી એ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે. એવાં ત્રણ અવતરણો આ રહ્યા:

“એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું. એમને આ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા:

’થાકે ન થાકે છ્તાંયે

હો માનવી!ન લે જે વિસામો ‘…(વિગેરે)…..

”આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું;અને એમણે તો આવાં આવાં કેટલાંયે ગીતોને જીવનમાં ઉતારી જીવન સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી:

’લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો’

”તેમ એમણે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢ—તડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લા શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.

”એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?

”પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો, પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા?’મને એક કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’.મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાનાઆગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમ કાયમને માટે છોડ્યો.”

(બા—બાપુની શીળી છાંયામાં)

“ હું (ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ; કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસન મળે છે ગુરુદેવના ‘એકલા ચલો’ના ભજનમાં અને પેલા ‘થાકે ન થાકે છ્તાંયે હો માનવી! ન લેજે વિસામો’માં. તેમાંય એક કડી તો બહુ ભારે છે કે:

‘ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધર તેને એકલો વિદારજે;

છોને આ આયખું હણાયે

હો માનવી ! ન લેજે વિસામો.”

(‘ભાવનગર સમાચાર’,તા.28/07/1951ના અંકમાંથી)

“નિયમ મુજબ 30મી એ (30મી જાન્યુઆરી, 1948) સવારના 3.30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા.એક બહેન પ્રાર્થના માટે ઊઠ્યા નહિ,તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જૌં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો છે.પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે. અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.’ અને કહ્યું કે આજે મારે પેલું “થાકે ન થાકે છતાંયે” ભજન સાંભળવું છે એટલે એ ગાજે”

”મેં એ ભજન ગાયું….. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !”

વેણીભાઇ પુરોહિત

જોડે રહેજો રાજ….

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ

તું તારા દિલનો દીવો થા ને…. – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – મહામનુ, માંગે શું ચિનગારી – યાદ છે? (યાદ હોય કે ના હોય, એકવાર ક્લિક કરીને ફરી સાંભળી લેવા જેવું છે 🙂 ) કંઇક એ જ ભાવવાળું આ કવિ શ્રી ભોગીલાલ ગાંધીનું કાવ્ય માણીએ – એ પણ અંકિત ત્રિવેદીના આસ્વાદ સાથે. (આભાર – ગુજરાત સમાચાર)

તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

***************************************************

આસ્વાદ – અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા

ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી હોતાં! અજવાળું તો આપણી અંદર પ્રગટવું જોઇએ. આ શરીર માટીનું કોડિયું જ છે. એને અજવાળાનું ખોળિયું બનાવતાં આવડવું જોઇએ. અજવાળું હાથઉછીનું નથી મળતું. વળી, એનો રંગ સુખમાં અને દુઃખમાં એક જ હોય છે! કવિ ભોગીલાલ ગાંધીનું આ કાવ્ય બાળપણમાં પ્રાર્થનામાં સમૂહમાં ગવાતું હતું ત્યારથી હાડકામાં કોતરાઈ ગયેલું છે. દીવો થવાનું તો કવિ કહે જ છે પણ દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.

બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતને ઘસીને ચંદનની જેમ કે પછી ફૂલોને નીચોવીને અત્તરની જેમ અંતરને સુગંધથી તરબતર રાખવાનું છે. સંઘર્ષ કરીશું તો સફળતાને વરીશું. જાતમહેનત જેટલી વફાદાર એટલી જ આપણી પ્રતિભા વઘુ ચેતનવંતી બનશે. આ બઘું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે. ‘પારકી આશ સદા નિરાશ’ – વાળી કહેવત એમનેમ નથી આવી. આપણે જાતે જ પગભર થવાનું છે. આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે. તપના તાપથી જીવનનો સંતાપ દૂર રહે છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. એ સફળતાનો મરજીવો છે.

ઓશિયાળા થઇને બીજાના સહારે જીવન જીવતા રહેવું એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતા શોધીને એને વળગીને જીવન વિતાવવું વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે. સાંત્વનાનું સફરનામું છે. જેને આંતરપ્રવાસ કરવો છે એવા યાત્રિકનો નકશો છે. કેટલીક કવિતાઓ કોઇપણ ઉંમરે, કોઇપણ સમયે આપણને નવા નવા અર્થો સાથે નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જે આપણને ફરીથી જીવવાનું જોમ અને હતાશામાંથી મુક્તિ આપે છે. આપણે મોટેભાગે બીજાને કારણે જ દુઃખી થઇએ છીએ. અને સુખી આપણે કારણે જ થતાં હોઇએ છીએ. જેમાં ભાગ પાડવાના છે તેમાં આપણે ભાગ નથી પાડતાં! અને જેમાં નથી પાડવાના એમાં દુઃખી થઇને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર આપણે નાનકડી સળીની જેમ પ્રગટતા શીખીને આપણી જાતને વફાદાર રહેવું પડશે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિતાને કવિ રણછોડની ઓળખાણ થાય છે. એમના પદનું જાણીતું મુખડું છે… એનાથી જીવનના હકારની કવિતાનો અંત કરું છું…

દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે…

ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ

p1240919-copy2
(પાનખરની કાયાપલટ… ચેરી બ્લોસમ… Photo by Urmi - 3/24/201 )

જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”

થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…

તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…

શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…

આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?

– ઊર્મિ (4/30/2012)

Ekla Chalo Re – રવિન્દ્રનાથ ટાગોર

આજે ૧૫મી ઑગસ્ટ ના દિવસે, સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ સાથે….ગુરુ રવિન્દ્રનાથ ટાગોરએ ૧૯૦૫ માં લખેલું આ બંગાળી દેશભક્તિ કાવ્ય.
The song exhorts the listener to continue his or her journey, despite abandonment or lack of support from others. The song is often quoted in the context of political or social change movements. Mahatma Gandhi, who was deeply influenced by this song, cited it as one his favorite songs.

અને હા, આ ગીતનું ગુજરાતી ભાવાનુવાદ, અને સ્વરાંકન આ પહેલા ટહુકો પર અહીં મૂક્યું છે – એ સાંભળવાનું ભૂલી નથી ગયા ને?

એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુ.-મહાદેવભાઇ દેસાઇ)

Jodi Tor Dak Shune Keu Na Ase Tobe Ekla Cholo Re

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

The following song is a Bengali phonemic transcription (courtesy – Ekla Chalo Re Wikipedia)

Jodi Tor Dak Soone Keu Na Asse
Tobe Ekla Chalo re
Ekla Chalo Ekla Chalo Ekla Chalore

Jodi Keu Katha Na Kai Ore Ore O Abhaga
Jodi Sabai Thake Mukh Firae Sabai Kare Bhay
Tabe Paran Khule
O Tui Mukh Fute Tor Maner Katha Ekla Balo re

Jodi Sabai Fire Jai Ore Ore O Abhaga
Jodi Gahan Pathe Jabar Kale Keu Feere Na Chay
Tobe Pather Kanta
O Tui Rakta Makha Charan Tale Ekla Dalo re

Jodi Alo Na Dhare Ore Ore O Abhaga
Jodi Jharr Badale Andhar Rate Duar Deay Ghare
Tobe Bajranale
Apaan Buker Panjar Jaliey Nieye Ekla Jalo re

The following is an English Translation of the Bengali original rendered by Rabindranath Tagore himself.

If they answer not to thy call walk alone.
If they are afraid and cower mutely facing the wall,
O thou unlucky one,
open thy mind and speak out alone.
If they turn away, and desert you when crossing the wilderness,
O thou unlucky one,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.
If they do not hold up the light when the night is troubled with storm,
O thou unlucky one,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

– રવિન્દ્રનાથ ટાગોર

સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા

સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું !

એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?

કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?

‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?

‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?

– હિતેન આનંદપરા
(સુ.દ.ના અંતિમ સંસ્કારના દિવસે લખાયેલો ઝુરાપો) ૧૧/૮/૨૦૧૨
રવિવાર, ૧૨/૮/૨૦૧૨ જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલું કાવ્ય.

જયારે અણધાર્યું કોઈ ગમી જાય – તુષાર શુકલ

indian_poster_ae17_l-sml

(જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે…)

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ