Category Archives: કવિઓ

એવું પણ એક ઘર હો – જયશ્રી વિનુ મરચંટ | માધ્વી મહેતા | આલ્બમ – મળીએ તો કેવું સારું

આલ્બમ : મળીએ તો કેવું સારું
Produced in USA by www.aapnuaangnu.com
ગીત-૨: એવું પણ એક ઘર હો
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર-સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા

Lyrics:

એવું પણ એક ઘર હો,
જેની ફૂલો મઢેલી છત હો
સેજ સજાવી તારાની હું,
વાંચતી તારો જ ખત હો
… એવું પણ એક ઘર હો….!

આભ ઝળુંબે શમણાંનું
ને માથે સૂરજનું સત હો
પણ રહે અમાસી રાત સદા
બસ, એ જ એક શરત હો
… એવું પણ એક ઘર હો..!

સમયના પરપોટામાં ડૂબી
આપણ એવા તે મસ્ત હો
સંગે જીવવું ને સંગે મરવું,
આખો ભવ એક રમત હો
… એવું પણ એક ઘર હો..

ફૂલ દઈને મળીએ – જયશ્રી મર્ચન્ટ

સુંદર મજાના શબ્દો, સ્વરાંકન અને મીઠો કંઠ. માણો આ મજાનું ગીત.

કવયિત્રી : જયશ્રી મર્ચન્ટ
સ્વરકાર અને સંકલન : અસીમ મહેતા
સ્વર : આણલ અંજારિયા
આલબમ : મળીએ તો કેવું સારું

એકમેકને ચાલ હવે તો
ફૂલ દઈને મળીએ
એકમેકની સંગે
હળવાફૂલ થઈ ઝળહળિયે

કોણે જાણ્યો રાત પછીનો
તોર અહીં ઉષાનો?
આજે રાતે ભરવરસાદે
ચાલને સંગે પલળીએ

તારલા સંગે ગુલમ્હોરો
પછી દેશે આંખો મીંચી
ચાંદની પીતાંપીતાં સૂઈએ
સેજ ઢાળીને ફળિયે

કાલ હઈશું તું કે હું
વિખૂટા કે સંગાથે?
કાળના ફોડી પરપોટા
જઈએ સાગર તળિયે

એકમેકને ચાલ હવે તો
ફૂલ દઈને મળીએ
– જયશ્રી મર્ચન્ટ

ગ્લૉબલ કવિતા : દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub


દરવાજો

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

घूंघट के पट खोल रे, तोहे पिया मिलेंगे।

ભીડ્યાં હો શક્યતાનાં ચસોચસ ભલેને દ્વાર,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

– કવિઓ આવું કહે ત્યારે બે ઘડી તો આપણને જુસ્સો ચડી જાય, નિરાશાઓ ખંખેરીને લક્ષ્ય તરફ દોટ મૂકવાની હામ પણ થાય, પરંતુ ક્યારેક એવો વિચાર પણ આવે કે શું આવું શક્ય બને ખરું? દરવાજો જ દીવાલ બની બેઠો હોય એવી આકરી પળે સંભાવનાની તિરાડ હાથ લાગે એ શક્ય બને ખરું? ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ કહીને આ વાતનો જવાબ આપી શકાય. કવિતાના કામણટુમણને બાજુએ રાખીએ તોય આપણે એટલું તો સમજીએ જ છીએ કે મોટામાં મોટી મુસીબત પણ ગૂંઠે કોઈક ને કોઈક ઉકેલ તો લઈને જ આવી હોય છે. એવું કોઈ તાળું બન્યું જ નથી, જેને ઉઘાડવાની ચાવી ઉપલબ્ધ ન હોય. પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના દરેક કૂટપ્રશ્નનો ઉત્તર મળે જ મળે. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે, બસ! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.
મિરોસ્લાફ હોલુપ. (ઉચ્ચાર: mɪrɔslaf ɦɔlʊp). કવિનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ હાલના ચેક રિપબ્લિક અને એ સમયના ચેકોસ્લોવેકિયામાં થયો હતો. વ્યવસાયે તબીબ-પેથોલોજીસ્ટ અને ઇમ્યૂનોલોજીસ્ટ. એમની કવિતાઓમાં એમના તબીબીવિજ્ઞાન-સંશોધન સતત અને એ હદે પ્રતિબિંબાય છે કે એને ‘બિલકુલ સમાંતર’ કવિતાઓનું બિરૂદ મળ્યું હતું. સીમસ હેનીએ એમની કવિતાઓને વસ્તુઓને યથાતથ નગ્નાવસ્થામાં, ચામડી નીચેની ખોપડી નહીં, પણ ખોપડી નીચેના મગજને ઉજાગર કરતી કવિતાઓ તરીકે ઓળખાવી હતી, જે સંબંધોના આકાર; રાજકારણ, ઇતિહાસ તથા વિજ્ઞાન; સ્નેહ અને નફરતના લયહિલ્લોળ; વિશ્વાસ, આશા, હિંસા અને કળાની ભરતી-ઓટ પર યથોચિત પ્રકાશ નાંખે છે. વીસમી સદીના વિશ્વના સૌથી નોંધપાત્ર કવિઓમાં એમની ગણના થાય છે. ૧૪ જુલાઈ, ૧૯૯૮ના રોજ પ્રાગ ખાતે નિધન.
પ્રસ્તુત રચના ‘દરવાજો’ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ મુક્તકાવ્ય કે અછાંદસ કાવ્ય છે. કવિતાના પાંચેય ભાગ અનિયત પંક્તિલંબાઈ અને સંખ્યાથી બન્યા છે. મૂળ ભાષાની રચનાના અભ્યાસના અભાવમાં અન્ય કોઈ ટિપ્પણી સંભવ નથી, પણ અનિયમિત પંક્તિલંબાઈ અને અપૂર્ણાન્વયના પરિણામે રચનાને પ્રવાહી ગતિ સાંપડે છે, જે દરવાજો ખોલી અજ્ઞાતમાં આગેકદમ કરવાના કેન્દ્રસ્થ કાવ્યભાવને ધ્વનિત કરવામાં સહાયભૂત છે. શીર્ષક રચનાનો કેન્દ્રસ્થ વિચાર તો રજૂ કરે જ છે, વિચારોત્તેજક પણ છે. દરવાજો શબ્દ બોલતાંની સાથે ભૌતિક દરવાજા સિવાય સંભાવનાઓ, નવીન તકો, નવા અનુભવો અને નૂતન ક્ષેત્રો સાથેના સાક્ષાત્કારની છબી નજર સામે તરવરવા માંડે છે. કાવ્યના શીર્ષક તરીકે વપરાયો હોવાથી દરવાજો એની પેલે પાર જે કંઈ હશે એના સંભવિત મહત્ત્વ અને/અથવા રહસ્યોદ્ઘાટન માટેનું પ્રતીક પણ બની રહે છે.
પાંચમાંથી ચાર બંધની શરૂઆત ‘જાઓ અને દરવાજો ઉઘાડો’થી થાય છે. ચોથા ભાગનો તો અંત પણ એનાથી જ થાય છે. વાતમાં સૂચનાનો સૂર પ્રધાન છે, અને વિનંતીનો ભાવ ગૌણ છે પણ પાંચ-પાંચવારની પુનરુક્તિના વિનંતી અથવા સૂચનનું આદેશમાં રૂપાંતરણ થાય છે. જો કે આ આદેશમાં સત્તાનો રણકો ઓછો અને આત્મીય આગ્રહ વધુ છે, કારણ કે એની હારોહાર જ કવિતામાં ‘કદાચ’ અને ‘ભલે’નો મૃદુ ધ્વનિ પણ રણકે છે. જોરમાં હડસેલ્યા પછી સ્પિંગવાળો દરવાજો આપોઆપ થોડો સમય કિચૂડ કિચૂડ અવાજ સાથે ખૂલ-બંધ થતો રહે એ દરમિયાન નજરે ચડી-ચડીને ગાયબ થઈ જતા પેલે પારના દૃશ્યને જોવાની તાલાવેલી વધતી જાય, એ જ રીતે એક જ સૂચના વારંવાર અપાતી હોવાના કારણે દરવાજા બહારની વસ્તુનો તાગ મેળવવા ભાવક વધુને વધુ આતુર બને છે. કારણ, જે દેખાય છે એના કરતાં જે નથી જોઈ શકાતું એના વિશેની ઉત્સુકતા કાયમ વધુ જ હોવાની. ગોચર કરતાં અગોચર જ આપણને વિશેષ આકર્ષે છે.
સરળતમ શબ્દાવલી અને સહજ ભાવાભિવ્યક્તિના કારણે રચના આમ તો સ્વયંસ્પષ્ટ છે, પણ હરદમ તોફાની સમુદ્ર ખેડવાના રોમાંચમાં રાચતું મન ક્યારેક શાંત તળાવમાં નૌકાવિહાર કરવાને પણ લલચાય એ ન્યાયે આજે સરળતા અને સહજતાને આસ્વાદવાનો ઉપક્રમ રાખીએ. કથકના સૂચનાદેશ પરથી એ વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે કે દરવાજો ઉઘાડવાનું કામ દુભર નથી. દરવાજે તાળાં માર્યાં હોય કે નકૂચો કટાઈને જામી ગયો હોય અથવા મિજાગરા જ કામ કરતાં ન હોય એવી કોઈ વિટંબના આ દરવાજો આપણને આપનાર નથી. દરવાજો આપણી નજર સમક્ષ જ છે, અને ઉઘડવાને તૈયાર જ છે. જરૂર છે આપણે આપણું સ્થાન ત્યજવાની અને દરવાજા તરફ ગતિ કરવાની. આખી વાત તૈયારી અને પ્રયત્ન ઉપર જ ટકી છે. જિંદગીનું પણ શું એવું જ નથી? જિંદગી તો રહસ્યસ્ફોટ કરવા તત્પર જ છે, આપણે ઊભા થઈને દરવાજા તરફ જઈ એને ઉઘાડવાની કોશિશ કરવાની છે, બસ.
સમગ્ર કાવ્યરચના એક જ ઘરેડમાં છે. ક્યાંય કોઈ નવીન વળવળાંક નથી. કવિએ ‘જાવ અને જઈને દરવાજો ઉઘાડો’ના વર્તુળાકાર વિચારના પરિઘમાં દરવાજાની પેલે પાર શું શું હોઈ શકે એ શક્યતાઓની યાદી જ માંડી છે. દરવાજા પાર આ હશે, અથવા પેલું હશેની નોંધપોથીથી વિશેષ આ રચનામાં કશું જ નથી એવું લાગવા માંડે ત્યાં તો રચના પૂરી પણ થઈ જાય છે, પણ કાવ્યાંતે જે હળવો ચમકાર અને ચમત્કાર અનુભવાય છે, એ જ આ રચનાની ખરી ઉપલબ્ધિ છે.
દરવાજો ખોલીએ તો બહાર કદાચ એકાદ ઝાડ નજરે ચડે, અથવા બનવાજોગ છે કે આખેઆખું જંગલ પણ સ્વાગત કરવા ઊભું હોય. કોઈ બગીચો અથવા કોઈ જાદુઈ નગરી પણ દરવાજો ખોલનારને હાથ લાગી શકે છે. ઝાડ, જંગલ, બગીચો અને જાદુઈ નગરી- આ તમામ વાસ્તવથી લઈને પરીજગત સુધીની એ અસંખ્ય સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે પેલા દ્વાર બહાર તમારી પ્રતીક્ષામાં હોઈ શકે છે. શક્ય છે કે બારણાંબહાર કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય. એવુંય બની શકે કે કોઈ ચહેરો દૃષ્ટિગોચર થાય અથવા અર્જુનને પક્ષીની આંખ દેખાઈ હતી એમ કેવળ કોઈ આંખ જ નજર આવે. બહાર કોઈ ચિત્રનું ચિત્ર દેખાય એય સંભવ છે. કૂતરો દ્વારની પેલી તરફની સજીવ અનુભૂતિનું પ્રતીક પણ છે જિંદગીનું પણ. એને અણધાર્યા આશ્ચર્યોના સાક્ષાત્કારનું ચિહ્ન પણ છે કારણ એ ખાંખાખોળા કરી રહ્યું છે. ઉત્ખનન વિના જીવનમાં કશું હાંસિલ થતું નથી. ખોદ્યા વિના કોઈ લોથલ કે ધોળાવીરા હાથ ન આવે. ખોદ્યા વિના તો જમીન પણ દાણા-પાણી ન આપે. અહીં પછીના રૂપકો જરા અટપટા છે, જાણે કવિ ઉત્તરોત્તર ગહન સ્તરોની શૃંખલા સર્જતા ન હોય! શબ્દાર્થના દ્વારની પેલી તરફ મહત્ત્વની પરતો ભાવકનો ઇંતેજાર કરે છે. ચહેરો અને આંખ તો માનવીય ઉપસ્થિતિ અને જિંદગીનો અણસારો આપે છે, પણ ‘ચિત્રનું ચિત્ર’ રૂપકોની સંકુલતાને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. રિપ્રેઝન્ટેશન અને રિફ્લેક્શનની વિચારધારાનું પ્રાકટ્ય અહીં અનુભવાય છે. પ્લેટોનો કલ્પ-સિદ્ધાંત અહીં યાદ આવે –દરેક વસ્તુ એના આદર્શ કલ્પની અનુકૃતિ માત્ર છે. પ્લેટોએ કળાને twice removed from reality તરીકે ઓળખાવતાં કહ્યું હતું, કે કળાકાર મૂળ વસ્તુની પ્રતિકૃતિની પ્રતિકૃતિ જ બનાવે છે.
ક્રમશઃ વધતી જતી રૂપકોની જટિલતા દરવાજા બહાર હાથ લગી શકનાર ખજાનાને બહુઆયામી અને વધુ સમૃદ્ધ બનાવે છે. સરળ ભાસતી કૃતિમાં ક્રમશઃ કલ્પનજાટિલ્ય વધતું જાય ત્યારે ભાવકને કવિતાના પ્રવાહમાં સડેડાટ વહી જવાના બદલે બે પળ થોભવાની અને વિચારવાની ફરજ પડે. અસામાન્ય અને અપ્રત્યાશિત રૂપકોની મદદથી કવિ પાઠકને ગહન કાવ્યાન્વેષણ માટે મજબૂર કરે છે. અજ્ઞાતની અનિશ્ચિતતા સ્વીકારવા પણ કવિ આપણને આ રીતે તૈયાર કરે છે.
દરવાજાની બહાર સંભવ છે કે ધુમ્મસ હોય. ધુમ્મસ દૃશ્યતા માટે બાધક છે. એ અનિશ્ચિતતા અને ભ્રમનું ઇંગિત છે. પણ કવિનો સધિયારો વિશેષ મહત્ત્વનો છે. કવિ કહે છે કે દરવાજો ખોલશો તો ધુમ્મસ વિખેરાઈ જશે. દ્વાર ઉઘાડવામાં આવે ત્યાં સુધી જ એનું અસ્તિત્ત્વ છે. આવા ધુમ્મસમાંથી કોણ પસાર નહીં થયું હોય? રસ્તો ન સૂઝે ત્યારે મૂંઝાઈને બેસી જવાના બદલે આગળ વધવામાં આવે તો ધુમ્મસને વિખેરાઈ જતાં વાર નથી લાગતી.
કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
દરવાજાની પેલે પાર હાથણી કળશ ઢોળવા ઊભી હોય એમ દર વખતે આશ્ચર્યલોક જ ભેટસોગાદ લઈને રાહ જોતું હોય એ જરૂરી નથી, ક્યારેક કાળુંભમ્મર અંધારું ટિક ટિક કરતું ડરાવતું સામે મળે એવુંય બની શકે. ક્યારેક ખોખલા પવન સાથે પણ ભેટો થઈ શકે અને કોઈવાર તો એવુંય બને કે દરવાજાની પેલી તરફ કંઈ જ ન હોય. આગળના બંધમાં જે રીતે મિરોસ્લાફે કલ્પનસંકુલતાના વળ ઉપર વળ ચડાવ્યે રાખ્યા હતા, એ જ વિધાથી શૂન્યતાને ચાક્ષુષ કરવા એ હવે આશાના વળ એક પછી એક ખોલતા જાય છે. અંધારું ડર અને અનિશ્ચિતતાનું પ્રતીક છે. ટિક ટિકનો અવાજ એમાં સમયનું પરિમાણ યાને ગતિ, અસ્થિરતા અને ક્ષણભંગુરતા પણ ઉમેરે છે. ડરનો સામનો કર્યા વિના સફળતાના દ્વાર ખૂલવાના નથી. પવન આમ તો ચૈતન્યનું પ્રતીક છે, પણ અહીં એ ખોખલો છે, જીવનહીન છે. શક્ય છે કે બારણાંની પેલી તરફ એકલતા, ખાલીપો અને નિર્હેતુકતાનો સામનો કરવાનો થાય અથવા તદ્દન શૂન્યાવકાશ પણ સાંપડે. ગમે તે થાય પણ આસનનો મોહ ત્યાગી ગતિમાન થઈ દરવાજો તો ઉઘાડવાનો જ છે એવો આદેશ ફરી દોહરાવીને કવિ સરવાળે તો આશા અને સાફલ્યપ્રાપ્તિ તરફ જ અંગૂલિનિર્દેશ કરે છે. અંતે, બહાર કંઈ નહીં તોય ઠંડી હવાનું એક ઝોકું તો હશે જ કહીને કવિ આપણને ડર, ખાલીપો અને એકલતા સાથે અનુકૂલન સાધી નિર્હેતુકતામાંથી હેતુ, નિરાશામાંથી આશા, અને અનિશ્ચિતતામાંથી નિશ્ચિતતા તરફ દોરી જતા દરવાજાને ખોલવાનું આમંત્રણ પાઠવી અટકે છે.
આ હતી કવિતામાં કવિએ જે પીરસ્યું છે એના અનુલક્ષમાં થોડી સ્થૂળ વાતો. આખી વાતને અલગ દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. આપણે સહુ પોતપોતાની જિંદગીના કમરામાં કેદ છીએ. મોટાભાગના લોકોને એમ લાગે છે કે જે જિંદગી એમને મળી છે, એના કરતાં વધુ બહેતર જિંદગી શક્ય હતી અથવા મળવી જોઈતી હતી. હતાશ અને હારેલો માણસ પોતાના ટૂંકા પ્રયત્નો તરફ જોવાના બદલે વિધાતાને દોષ દે છે. ‘પારકે ભાણે મોટો લાડુ’ની કહેવત મોટાભાગના લોકોના માથે બંધબેસતી પાઘડી જેવી યથાર્થ છે. सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है। (જાવેદ અખ્તર) મળેલી જિંદગીથી ખુશ લોકો ઓછા જ જોવા મળે છે, અને મળેલી જિંદગીને ઇચ્છેલી જિંદગીમાં પલોટનાર તો એથીય ઓછા જોવા મળે છે.
પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે.
ઇચ્છાનું પાત્ર કદી પૂરું ભરી શકાય જ નહીં એ વાત જે રીતે હકીકત છે એ જ રીતે અધૂરી ઇચ્છા જ જીવન માટેનું ચાલકબળ બની રહે છે એય સ્વીકારવું રહ્યું.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…
અધૂરી ઇચ્છા જીવવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડે છે. પણ ઇચ્છેલી જિંદગી પ્રાપ્ત કરવા માટે જ્યાં અટકી ગયા હોઈએ ત્યાંથી ઊભા થઈ આગળ વધી સંભાવનાઓનો દરવાજો ખોલવાની જિગર હોવી પણ અનિવાર્ય છે. કોઈ ધર્મગુરુ કે ઉદ્ધારક આવીને આપણને આપણી મરજી મુજબની જિંદગીના દરવાજા સુધી લઈ જવાનો નથી. સ્વર્ણમૃગ મેળવવું હોય તો ભગવાન રામે પણ દોડવું જ પડે છે. સ્વર્ણમૃગે કંઈ ‘હે પ્રભુ! સીતાની ઇચ્છાને આધીન થઈ હું આપના શરણે થાઉં છું’ કહીને રામને ભગવાન હોવાનું ડિસ્કાઉન્ટ નહોતું આપ્યું. મિરોસ્લાફની કવિતા પરથી આપણે પણ આ વાત ગાંઠે બાંધવાની છે. જીવનને નંદનવન બનાવવું હોય તો ઊઠીને દરવાજો ખોલવો જ પડશે અને જાતે જ ખોલવો પડશે.
વળી, આ દરવાજો બહાર તરફ જ ખૂલતો હોય એય જરૂરી નથી. કેટલાક દરવાજા અંદરની તરફ પણ ખૂલતા હોય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક વાર્તા બહુ જાણીતી છે. એક માણસ રોજ રાત્રે સ્વપ્નમાં પોતાને એક કમરામાં કેદ થઈ ગયેલો જુએ છે. કેદમાંથી છૂટવા એ રોજ કમરાનો દરવાજો ખોલવા મથે છે, ને રોજ નાકામ રહે છે. એક મનોવિજ્ઞાની એને સૂચન આપે છે કે હવે આ સપનું આવે ત્યારે દરવાજો બહાર તરફ ધકેલવાના બદલે અંદરની તરફ ખેંચી જોજે. સ્વપ્ન એટલે જાગૃત મનના વિચારોનું પ્રતિબિંબ. પેલા માણસે સ્વપ્નમાં ફરી પોતાને એ જ કમરામાં કેદ જોયો, પણ આ વખતે એણે દરવાજો અંદરની તરફ ખેંચ્યો. દરવાજો ખૂલી ગયો અને એ આઝાદ થઈ ગયો.
મિરોસ્લાફની કવિતામાં દિશાના બદલે દરવાજો ખોલવાની વાત પ્રમુખસ્થાને છે. પણ સજ્જ ભાવક સમજી શકશે કે આ દરવાજો સ્થૂળ હોય એ જરૂરી નથી. એ આપણી અંદરની તરફ ખૂલતો અમૂર્ત દરવાજો પણ હોઈ શકે. સ્વમાં ખૂલતો દરવાજો ખોવાઈ ગયેલી જાત સાથે આપણી પુનઃમુલાકાત કરાવી શકે છે. દુનિયાની દોડધામમાં આપણે સ્વયંને જ વિસારે પાડી દીધો છે. ખુદ તરફ ખૂલતા દરવાજાની બીજી તરફ તો ન જાણે કેવાં-કેવાં રહસ્યો આપણી પ્રતીક્ષામાં આતુરતાપૂર્વક બેઠાં હશે! આપણી ગહનતમ આવશ્યક્તાઓ અને ઉચ્ચતમ આકાંક્ષાઓને પ્રગટ કરતા દરવાજાને ખોલવા માટે ચાલો, ઊભા થઈ આગળ વધીએ. घूंघट के पट खोल रे तोहे पिया मिलेंगे।

એકડ પાછળ બગડો ટીચર – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની આ નવી રચના માણો અને એમનાં સ્વરમાં સાંભળો 🙂
બાળ શિક્ષણના બદલાતાં જતાં યુગમાં ધ્રુવ ભટ્ટની આ રચના ચોક્કસથી સ્પર્શી જશે.

.

એકડ પાછળ બગડો ટીચર
એ જ અમારો ઝગડો ટીચર

શું થાશે જો પહેલો ચોગડ
પછી મૂકીએ ત્રગડો ટીચર

છગન મગન બે સાવ જુદાંને
સાથે ફોગટ રગડો ટીચર

પહેરાવો પણ એક સરીખાં
જરા-તરા તો બદલો ટીચર

કૂંડાંમાં ક્યાથી ભણવાનો
આખે આખો વગડો ટીચર

‘યસ ટીચર’ તો બોલી લીધું
જલદી ઘેરે તગડો ટીચર

કેવાં સુંદર ભાળ્યાં તમને
અમથાં શાને બગડો ટીચર
– ધ્રુવ ભટ્ટ

ગ્લૉબલ કવિતા : સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany


સાંત્વના

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)
બુદ્ધત્વ પામવા માટેની કૂંજી…

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. પણ ગર્ભનાળ કાપીને તબીબ માતા અને બાળકને શરીરથી તો અલગ કરી નાંખી શકે છે, પણ માતા અને બાળકને આજીવન જે અદૃશ્ય ગર્ભનાળ એકમેક સાથે જોડી રાખે છે એને કોઈ તબીબ કાપીને બે જણને અલગ કરી શકતો નથી. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોમાં ફસાઈ ગયેલા મનુષ્ય માટે ઘરની બારી અથવા ગેલેરી જ એવી અસ્ક્યામત છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે એની ગર્ભનાળનું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરની બારી જ હવા-ઉજાસ અને પડદા ખોલબંધથી આગળ વધીને પ્રકૃતિ તરફ મીટ માંડવાના કામમાં આવે છે. મા-બાળક વચ્ચેની અદૃશ્ય ગર્ભનાળ જેવી આ બારી સંવેદનશીલ મનુષ્યને કુદરત સાથે જોડેલો રાખે છે. બાકી આજના મોટાભાગના માણસો માટે તો-

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

આજે જે રચનાની માંડણી કરવી છે, એમાં પણ માનવી અને પ્રકૃતિ બેને અદૃશ્ય ગર્ભનાળથી જોડી રાખતી બારી જ કેન્દ્રસ્થાને છે. ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાનાં તો સતત ફરતાં રહે છે, પણ બારી ત્યાંની ત્યાં સ્થિર રહે છે. મકાનની બારીમાંથી બહાર રેલાતી નજર શું કહી રહી છે એ સાંભળવા જેવું છે, કારણ કે બારી જ ઘરબહારના ઝાડ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. અને કથકના વિચાર પણ કેવળ બારી બહારના દૃશ્યો પૂરતા સીમિત ન રહેતા સ્વથી સર્વ અને સર્વથી સ્વ સુધી વિસ્તરે છે.

ક્લેરિસા સ્કૉટ ડેલેની. ૧૯૦૧માં અમેરિકાના અલાબામા રાજ્યમાં જન્મ. આફ્રિકન-અમેરિકન કવયિત્રી, નિબંધકાર, શિક્ષક, અને હાર્લેમ રિનેસન્સ સાથે સંકળાયેલ સામાજીક કાર્યકર્તા. ઉત્સાહી રમતવીર પણ હતાં. તેઓ વેલેસ્લેમાં હોકીની રમત માટે યુનિવર્સિટીનો પત્ર મેળવનાર પ્રથમ અશ્વેત છાત્ર હતાં. કિડનીમાં ચેપ લાગવાના કારણે કેવળ છવ્વીસ વર્ષની વયે નિધન. નિબંધો અને નાટકોપરાંત એમની પાસેથી આપણને કેવળ ચાર જ કવિતાઓ મળી છે, જેમાંની એક તે આ. આ એક કવિતાની પંક્તિસંખ્યા એની બાકીની ત્રણેય કવિતાઓની પંક્તિઓના સરવાળા કરતાં વધારે છે. કુલ પંચ્યાસી જ પંક્તિઓની બનેલ ચાર જ કવિતાઓ લખી હોવા છતાં મૃત્યુના લગભગ સો વરસ પછી પણ એનું નામ ભૂલી જવાયું નથી. આ જ છે શબ્દની સાચી તાકાત. આ જ છે સર્જકની ખરી ઉપલબ્ધિ. આ જ છે મોટામાં મોટો પુરસ્કાર.

‘સાંત્વના’ કવિતા સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કાવ્ય –અછાંદસ રચના છે. પંક્તિઓની અનિયમિતતા કવિતાના ચિંતનશીલ અને સેંન્દ્રિય અનુભૂતિમાં યોગદાન આપતી અનુભવાય છે. અછાંદસ કાવ્યવિધા ઋતુઓની અપ્રત્યાશિત પ્રકૃતિ તથા કથકની લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં સહાયક તો બને જ છે, તદોપરાંત કઠોર કાવ્યમાળખાંના અભાવને લઈને રચનાને પ્રાકૃતિક પ્રવાહની અનુમતિ પણ મળતી પ્રતીત થાય છે.‘સાંત્વના’ શીર્ષક પરથી કવિતા વિશે અનુમાન થઈ શકતું નથી. એટલે શીર્ષકની વાત આપણે અંતે કરીશું.

કાવ્યારંભ ‘મારી બારી’થી થાય છે. આ શરૂઆત સાહજિક છે, કારણ કે માનવસ્વભાવના વર્તુળનું કેંદ્રબિંદુ જ ‘સ્વ’ છે. પણ છેતાળીસ પંક્તિની આ કવિતામાં ‘મારી’ શબ્દ બીજીવાર છેક તેંત્રીસમી પંક્તિના આરંભે આવે છે. આખી કવિતામાં બે જ વાર ‘My’ અને ‘I’ તથા એક જ વાર ‘Me’ પ્રયોજાયા છે. સરવાળે એ વાત ઊડીને આંખે વગે છે કે જે વાતની શરૂઆત જ ‘સ્વકીયતા’થી થઈ હતી, એમાં પછી ‘સ્વ’ ઓછો અને ‘સર્વ’ જ વધુ નજરે ચડે છે. ‘મારી’ બારીમાંનો ‘હુંકાર’ કેવળ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવા-વર્ણવવાની એક કૂંચી માત્ર હતી. કદાચ આ રચના આપણને આ કારણોસર પણ વધુ સ્પર્શી જાય છે. કથકના ઘરની બારી બહાર ઝાડીઓ તરફ ખુલે છે, જેમાંથી થોડી ડાળીઓ અને થોડું આકાશ નજરે પડતાં રહે છે. બારી સ્થિર છે પણ બહારની દુનિયા સતત બદલાતી રહે છે.આ બારી કથકની આંખ બની ગઈ છે. ‘નાની મારી આંખ, એ જોતી કાંક કાંક’ની જેમ બારીમાંથી દેખાતી આ નાનકડી દુનિયામાં એક પછી એક ઋતુઓ પસાર થતી દેખાય છે. કોમળ હરિયાળી ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે માર્ગ પ્રશસ્ત કરતી પણ નજરે ચડે છે.

બારી બહાર હવે ઋતુ બદલાઈ છે. પાનખર આવી ચૂકી છે. શરદ ઋતુના સૌમ્ય તડકામાં તરબોળ થતી નાજુક, સોનેરી પાંદડીઓ ક્યાંય સુધી ખરવું જ નથીના નિર્ધાર સાથે ટકી રહેતી નજરે ચડે છે. પાછળ વાદળ વિનાના ભૂરા સાફ આકાશને લઈને અસ્તિત્ત્વ માટેનો આ જંગ વધુ રમણીય લાગે છે, પણ પછી સાંજ સુધીમાં તો એ પાંદડાઓએ ડાળત્યાગ કરવો જ પડે છે. પાનખરમાં પાંદડાઓનું આ ખરું-ખરું થઈને અટકી-લટકી રહેવા અને પછી ખરી જવાની ઘટનામાં નાયિકાને એમની અનિચ્છા નજરે ચડે છે, જેમાં આપણને સર્જકહૃદયની ઋજુતા નજરે ચડે છે. ‘પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે’ (મુકેશ જોષી)

પાંદડાં ખરીનેય શેરીને સોનાથી મઢી દેવી ન હોય એમ જાજમ થઈને પથરાઈ જાય છે. અમેરિકાની પાનખર આપણે ત્યાં કરતાં ખૂબ અલગ હોય છે. ત્યાં પાનખરમાં પાંદડાંનો લીલો રંગ ખરતાં પહેલાં અલગ-અલગ રંગોમાં પરિણમે છે, પરિણામે ત્યાંના વૃક્ષોનું આખેઆખું કલેવર જ બદલાઈ જાય છે. અલગ-અલગ રંગોમાં ઢળી ગયેલ ઝાડવાંઓની ભાતીગળ સૃષ્ટિ નિહાળવા લોકો ખાસ આ સમયે ઉત્તરથી દક્ષિણ તરફની રોડ-ટ્રિપ કરતાં હોય છે. નાયિકાની બારીબહારનું ઝાડ સોનેરી થઈ ગયું છે, એટલે ખાલી થતી વેળાએ ‘ફાંટું ભરીને સોનું’ ઠાલવીને આખી શેરીને સોનાની બનાવી દે છે. ખાલી થતાં થતાંય અન્યને સભર કઈ રીતે કરી શકાય એ પ્રકૃતિ પાસેથી આપણે શીખવાનું છે.

પર્ણરહિત નગ્ન, ભૂખરી ડાળીઓ ડિસેમ્બરના ઠંડા આકાશ સામે ઝૂકી નથી જતી, પણ પાંદડા ખેરવી દીધા બાદ ભાર ઓછો ન થઈ ગયો હોય એમ ઊંચી ઊઠે છે. ક્યારેક આ ડાળીઓ ગુલાબ અને ધૂસર સમીસાંજ વચ્ચે જાળું ગૂંથતી હોય એવી દીસે છે. તો ક્યારેક વળી ભારઝલ્લી ઠંડી રાત ઊતરી આવે અને તારાઓ આકાશને ભૂરકી છાંટી દીધી હોય એમ આખું ભરી દે એ પહેલાંના ગાઢા ભૂરા આકાશમાં દૃશ્યમાન થતા અમાસ પછીના નવા શીર્ણ ચંદ્ર તથા શુક્રના તેજસ્વી તારા સન્મુખ સ્વયંને ઊંચે ઊઠાવતી હોવાનું મહેસૂસ થાય છે. બહુ ઓછી જગ્યામાં શિયાળાના ભૂરા આકાશના ઉપરાછાપરી એકસમાન ભાસતા ઉલ્લેખમાં કવયિત્રીની વયસહજ અપરિપક્વતા પણ છતી થતી અનુભવાય છે. કવિતા લખવાનો એમનો કુલ અનુભવ સો પંક્તિ જેટલો પણ નહોતો થઈ શક્યો એ અત્રે યાદ રહે.

શિયાળાના લાંબા વર્ણન પછી વસંત અને ઉનાળાની વાત બહુ ઓછી પંક્તિઓમાં આટોપી લઈ સર્જક બારી બહાર ફરતા રહેતા ઋતુચક્રને સંપૂર્ણ બનાવે છે. હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે, વસંત ઋતુનો ઠંડો પણ હળવો વરસાદ (યાદ રહે, આ અમેરિકાની વસંત છે!) એમને મૃદુતાથી સ્પર્શે છે પરંતુ ઉનાળાની તોફાની વાઝડીઓ તો આ ઝાડવાંઓને તોડી ન નાંખવાં હોય એમ ત્રાટકે છે. ઉનાળાના ઉશ્કેરણીભર્યા હુમલાથી ન તો આ ઝાડવાં પ્રકોપિત થાય છે, ન તો એ નમતું જોખીને તૂટી જાય છે, તેઓ તો બસ અડીખમ ટકી રહે છે, ઊભાં રહે છે. અગાઉ જે રીતે પાંદડાઓની ‘અનિચ્છા’ કવયિત્રીએ અનુભવી-અભિવ્યક્ત કરી હતી, એ જ રીતે અહીં ઝાડવાંઓને ક્રોધિત કરવા માંગતા ઉનાળાનું આલેખન કરીને ઝાડવાંઓના સ્વભાવની શક્યતાનું પણ સજીવીકરણ કર્યું છે. ઝાડ ગુસ્સો કરતાં નથી એ અલગ વાત છે, પણ આ બંને જગ્યાએ પ્રકૃતિ સાથે સર્જકની જે સમસંવેદનશીલતા પ્રગટ થાય છે એની નોંધ લેવી આવશ્યક બને છે.

સર્જકે બે ભાગ અલગ તારવ્યા ન હોવા છતાં અહીં આગળથી કવિતાનો બીજો ભાગ શરૂ થતો દેખાય છે. અહીં સુધીના નિતાંત ઋતુચક્રનિરૂપણ બાદ ફરી ‘મારી’ શબ્દ અતળનું ઊંડાણ ફેડીને પ્રગટ થાય છે. બારી બહાર મોસમના એકધારા બદલાવોને લઈને વૃક્ષોની અવસ્થામાં પણ જે બદલાવો આવ્યે રાખે છે એને જોયા કરતાં સર્જક કેવળ મૂક સાક્ષી નથી, એ સ્વયં પણ જાણે વૃક્ષ જ છે. પેલાં ઝાડવાંઓ બારીની એ તરફ, અને આ ઝાડવું બારીની આ તરફ. નાયિકાને સ્વયંની જિંદગી વિહ્વળ અનુભવાય છે. ક્યારેક એ બેચેની અનુભવે છે તો ક્યારેક ક્યારેક એક પીડા એના પર સવાર થઈ જાય છે. એક અસ્પષ્ટ પરંતુ ચોંકાવી દે એવો અસંતોષ પોતાના પર હાવી થઈ જતો હોવાનું તેણી અનુભવે છે. ઋતુઓની બારી બહારની કુદરત પરની અસર વિગતવાર આલેખ્યા બાદ પોતાની નિરાશ માનસિકતા વિશે પણ તેઓ ટૂંકાણમાં જ વાત કરે છે, અને કવિતાનો ત્રીજો અને અંતિમ ભાગ આરંભાય છે.

એક તરફ બારી બહાર બદલાતી ઋતુઓના મારને રોષિત થયા વિના ઝીલતાં અને ટકી રહેતાં વૃક્ષો છે, અને બીજી તરફ વ્યાકુળ દુઃખી જીવન. કિડનીની બિમારી અને ચેપના પરિણામે સર્જકે જે વેઠવું પડ્યું હશે એ કદાચ નાયિકાની મનોદશામાં પ્રતિબિંબિત થયું હોઈ શકે. પણ પોતાના હિસ્સાના આકાશ અને વૃક્ષો તથા બારીમાંથી સતત નજરે ચડતા રહેતા મોસમોના અવનવા તમાશાઓ બદલ એ પોતાની જાતને આભારી માને છે. આ સુંદરતા હૃદયની વિહ્વળતા, પીડા અને અસ્પષ્ટ અસંતોષને મિટાવી દે છે અને એક શાતા અનુભવાય છે. બારીબહારની કુદરત સતત પરિવર્તનશીલ તો છે જ, પણ આ પરિવર્તનમાં પણ એક શાશ્વત સ્થાયીપણું નિહિત છે જ. હેરક્લાઇટસ યાદ આવે: ‘જીવનમાં એકમાત્ર સ્થિરાંક પરિવર્તન છે.’ નદીમાં એકના એક પાણીમાં બીજીવાર પગ બોળી શકાતો નથી એ જેટલું સાચું એટલું જ સાચું નદી એની એ જ રહે છે એય છે. સંસારના તમામ પરિવર્તનોમાં એક સ્થિરતા અનુભવાય છે. આ તમામ બદલાવ અને કાયમીપણું એના નિમિત્તે થયે રાખતી ઉથલપાથલોમાંથી એક અર્થ ગ્રહણ કરે છે. અર્થાત્ કશું જ નિર્હેતુક કે અનર્થક નથી. આ હેતુ, આ અર્થ ઇન્દ્રિયગોચર હોય કે ઇન્દ્રિયેતર, એને સમજતાં શીખી જઈએ તો જીવનમાં કોઈ બેચેની કે કોઈ અસ્પષ્ટતા નહીં બચે. બચશે કેવળ અપૂર્વ અભેદ્ય શાંતતા, જ્યાં કોઈ પીડાને કોઈ સ્થાન નથી. ટૂંકમાં, પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું એ જ જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. અહીં આવ્યા પછી કવિતાના શીર્ષક ‘સાંત્વના’ તરફ પુનર્દૃષ્ટિ કરીએ. છે કશું કહેવાની આવશ્યકતા હવે? નહીં ને!

આ સાથે જ તુષાર શુક્લની એક અછાંદસ કવિતા ‘હીંચકો, કૉફી અને હું’ પણ માણવા જેવી છે. અહીં બારીનું સ્થાન બાલ્કનીમાંના હીંચકાએ લીધું છે. જુઓ-

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

ગ્લૉબલ કવિતા : મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત)

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

મૃત્યુ આજે મારી સન્મુખ છે

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


…કારણ કે અનુભૂતિ સ્થળ અને સમયથી પર હોય છે…

મૃત્યુ સજીવમાત્રના જીવનની આખરી પણ એકમેવ મંઝિલ છે. દરેકેદરેક શ્વાસ આપણને સુનિશ્ચિત ગતિએ મૃત્યુની નજીક લઈ જતો હોવા છતાં આપણે સહુ એ રીતે જીવીએ છીએ જાણે આપણે કદી મરવાના જ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંનો એક કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું તે આ જ. મોટાભાગના માણસોને મૃત્યુ ગલીના વળાંક ઉપર અણધાર્યું મળી જતું હોય છે, પણ મૃત્યુનો ‘નક્કર’ પૂર્વાભાસ થાય એવાય કેટલાક માણસ હોય છે, અને ગણ્યાગાંઠ્યા લોકો એવાય હોય છે જેઓ જાગૃતાવસ્થામાં મૃત્યુનો સાક્ષાત્કાર કરીને આંખ મીંચે છે. ટીબીની તૂટૂં-તૂટું થતી કરાડ પરથી મૃત્યુની ખીણમાં લટકી રહેલ રાવજી પટેલને પણ મૃત્યુનો પૂર્વાભાસ થયો હશે ત્યારે જ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી કાળજયી કૃતિનો જન્મ થયો હશે ને! આજે જે વિશિષ્ટ કવિતા આપણે માણવી છે, એ પણ આવા જ કોઈ પૂર્વાભાસ કે સાક્ષાત્કારની ફળશ્રુતિ જણાય છે.

રચના વિશિષ્ટ એટલા માટે છે કે આજથી ચારેક હજાર વર્ષ પહેલાં એ લખવામાં આવી છે. મધ્યકાલીન ઇજિપ્તના સમયના પેપાયરસ પર લખાયેલી જે કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ શકી છે, એમાંની એક તે ‘ડાયલોગ ઑફ અ મિઝાન્થ્રોપ વિથ હિઝ સૉલ’, જે હવે ‘ડિસ્પ્યુટ બિટ્વિન અ મેન એન્ડ હિઝ બા’ નામે ઓળખાય છે. આ પેપાયરસ મનની અવસ્થા વિશે વાત કરતા પુરાણતમ દસ્તાવેજોમાંનો એક છે. પ્રસ્તુત કાવ્ય આ કૃતિનો એક ભાગ છે.

ઇજિપ્ત. આ નામ કાને પડતાવેંત પિરામિડ આપણને દૃષ્ટિગોચર થવા માંડે છે. ઇજિપ્ત ગયા હોઈએ કે ન ગયા હોઈએ, પિરામિડની તસવીરો ન જોઈ હોય કે પિરામિડો વિશે સાંભળ્યું ન હોય એવા શિક્ષિત માણસ મળવા મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે પિરામિડો એ જે તે સમયના રાજાઓ અને સામંતોની કબર છે. હજારો વર્ષ પછી આજે પણ આ તોતિંગ કબરો તે સમયના લોકોની જીવન-મૃત્યુ વિશેની માન્યતાના પ્રતીક તરીકે આપણી વચ્ચે જીવી રહી છે. એ સમયના મિસ્રવાસીઓ માનતા હતા કે મૃત્યુ બાદ એમનું આધ્યાત્મિક શરીર (આત્મા) મરણોત્તર જીવન (આફ્ટર-લાઇફ)માં જીવતું રહે છે. જીવનકાળ દરમિયાન જેણે ‘યોગ્ય’ તૈયારીઓ કરી હોય, એવી વ્યક્તિને જ મૃત્યુપર્યંતના આ જીવનમાં પ્રવેશ મળવાની સંભાવના રહેતી. આ તૈયારીઓમાં યોગ્ય અંતિમક્રિયા માટે જરૂરી સાધનસામગ્રીની ખરીદી, શબ્તી (મરણોત્તર જીવનમાં કામ આવનાર સેવકો), તાવીજ વિ. તથા શબપેટી અને કબર વગેરેનો સમાવેશ થતો હતો. પિરામિડ પણ આવી જ પણ ગંજાવર કબરો જ છે, જેમાં જીવન પછીના જીવનમાં કામ આવે એવી તમામ વ્યવસ્થાઓ સાથે મૃતદેહોને સજાવી-ધજાવીને સાચવી રખાયા છે, જેથી પ્રેતલોકમાં રહ્યા બાદ શાશ્વત પુનર્જીવન પ્રાપ્ત થાય ત્યારે આત્માને કોઈ તકલીફ ન પડે. ઇજિપ્તનો સમાજ જીવનનો મોટો ભાગ મૃત્યુ પછીના જીવનની તૈયારીમાં જ વિતાવતો. પિરામિડ એની બોલતી સાબિતી છે.

जातस्य ही ध्रुवो मृत्युः એ સાચું પણ મૃત્યુનો ચહેરો કોઈએ જોયો નથી. મૃત્યુને મળીને કોઈ પરત ફરે તો મૃત્યુનો ચહેરો આપણને જોવા મળે, પણ ત્યાં સુધી તો આપણે મૃત્યુ વિશે કેવળ અટકળ જ કરી શકીએ. મોત સંસારનું એકમાત્ર અફર સત્ય હોવા છતાં મૃત્યુ ઘરના દરવાજે આવીને સાંકળ ખખડાવે ત્યારે ઊભા થઈને ચાલ, જઈએ એવું કહેવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હોય છે. શ્વાસની છેલ્લી કગાર પર લટકતા હોઈએ એ ક્ષણે પણ જિજિવિષા ભાગ્યે જ મરણ પામી હોય છે. એટલે જ લાંબું જીવવા માટે માણસ જીવનભરની જમાપૂંજી પણ દાવ પર લગાવી દેતા ખચકાતો નથી. જે હોય એ, પણ અકળ-અગમ્ય હોવાથી મૃત્યુ આપણને સૌથી વિશેષ આકર્ષે છે. હકીકતે એ કેવું હોય છે એ તો કોઈ જાણતું નથી, પણ એના વિશે ધારણા બાંધવામાં આપણે કોઈ કમી પણ રાખતા નથી. પ્રસ્તુત રચનામાં પણ જે-તે કવિએ મૃત્યુનો ચહેરો આકારવાની કોશિશ કરી છે. પણ આ કોશિશની સમાંતરે જ ચાર હજાર વર્ષ પહેલાંની સમાજવ્યવસ્થાની રૂપરેખા પણ કવિ આકારી બેઠા છે એ આપણે જોઈશું.

મૂળ કવિતા ઇજિપ્શન (મિસ્ર) ભાષામાં છે અને મૂળ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદો મળી આવે છે. પ્રારંભિક પંક્તિઓ તો મોટાભાગના અનુવાદોમાં એકસમાન નજરે ચડે છે, પણ અંતિમ પંક્તિઓની સંખ્યા અને અનુવાદિત વાક્યોમાં પણ તફાવત જોવા મળે છે. અમુક અનુવાદકોએ મૂળ ઇજિપ્શન ભાષા પણ રોમન લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરી છે, પણ એમાંય ફરક નજરે ચડે છે અને એકસમાન ભાસતી મિસ્ર લિપિનો અંગ્રેજી અનુવાદ આ સર્જકોએ અલગ કર્યો હોવાનું પ્રતીત થાય છે. સરવાળે, જો કે બહુ મોટો તફાવત નથી અને આપણે નજીવા વિગતદોષ કે દૃષ્ટિફેરનું પિષ્ટપેષણ કરવામાં સમય અને ઊર્જા વેડફીએ એના કરતાં ચાર સહસ્ત્રાબ્દીઓ પહેલાં કોઈકને થયેલ કાવ્યાનુભૂતિનો આનંદ ન ઊઠાવીએ? પૌરાણિક મિસ્ર સાહિત્યના જાણીતા અનુવાદક મિરિઅમ લિચથાઇમનો અંગ્રેજી અનુવાદ આધારભૂત ગણીને આગળ વધીએ. ‘એન્શન્ટ ઇજિપ્શન લિટચરેચર’ના ત્રણ ભાગોમાંના પ્રથમ ભાગ ‘ધ ઓલ્ડ એન્ડ મિડલ કિંગ્ડમ્સ’માંથી આ અનુવાદ સાંપડ્યો છે. ‘વર્લ્ડ પોએટ્રી’ નામના તેરસોથી વધુ પાનાંના દળદાર થોથામાં આ જ કવિતાનો ડબલ્યુ. એસ. મર્વિને કરેલ અનુવાદ પણ નોંધપાત્ર છે. મૂળ ભાષાની જાણકારીના અભાવે કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે વાત કરવી શક્ય નથી એટલે આપણે શુદ્ધ કાવ્યાનંદ તરફ જ આપણી વાતચીતનું સુકાન ફેરવીએ.

ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે. વળી, વિચારવું એટલું જ મનુષ્ય માટે કદી પર્યાપ્ત નહોતું. પોતાના વિચારોને પોતાની આગવી શૈલીમાં રજૂ કઈ રીતે કરી શકાય એ મથામણ પણ અનાદિકાળથી માનવમનમાં થતી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખંડની શરૂઆત ‘મૃત્યુ આજે મારી સન્મુખ છે’ એ પંક્તિથી જ થાય છે. પુનરાવર્તિત થયે રાખતી આ પંક્તિ ગીતના ધ્રુવપદની પણ યાદ અપાવે છે. સર્જકને કોઈ વાત ભાર મૂકીને કહેવી હોય ત્યારે એ પુનર્કથન કે પુનરોક્તિનો આવો કીમિયો પ્રયોજે એ કાવ્યવિધા આજે આપણને સહેજ પણ નવાઈ ન પમાડે, પણ આજથી ચાર સહસ્ત્રાબ્દીઓ પૂર્વે પણ મનુષ્યમન આવી કાવ્યતરતીબ વિશે વિચારતું હોય એ જાણીને તો અવશ્ય જ સાનંદાશ્ચર્ય અનુભવાય.

કવિ મૃત્યુને પોતાની સન્મુખ ઊભેલું જુએ છે, ત્યાંથી આ વાત શરૂ થાય છે. રચનાના છએ છ ખંડમાં વાત ફરી-ફરીને અહીંથી જ આરંભાય છે. મૃત્યુને માથે ઊભેલું જોઈને કવિને અલગ-અલગ પરિસ્થિતિઓ યાદ આવે છે. મૃત્યુ કવિને બીમાર માણસના સાજા થવા સમું લાગે છે. જિંદગી જાણે કે એક લાંબી બિમારી હતી અને મૃત્યુ જાણે કે એ બિમારીનો અંત છે. મૃત્યુ જાણે કે સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિનું બીજું નામ છે. માંદગીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરવાને મૃત્યુ સાથે સરખાવ્યા બાદ કવિ એક ડગલું આગળ વધીને કહે છે કે લાંબો સમય બિમારીને લઈને પથારીવશ રહ્યા બાદ ઘરબહાર પ્રકૃતિને ખોળે જવા મળે એ પણ મરણ સરીખું જ છે. લાંબો સમય ખાટલામાં પડી રહેનાર માણસ ચાર દીવાલોને જોઈ જોઈને કેવો કંટાળી જાય! પુનઃ નિરામયતા પ્રાપ્ત થતાં જ એ બહાર ખુલ્લામાં જવા નીકળી પડે છે. હવાફેરનો સાચો આનંદ તો આવી કેદ પછી જ સમજાય. જિંદગી કેવળ બિમારી નથી, પણ થકવી નાંખે એવી, એક જગ્યાએ બાંધી રાખે એવી બિમારી છે અને મરણ આ માંદગીમાંથી સાજા થઈ ખુલ્લી હવામાં શ્વાસ ભરવાનું બીજું નામ છે.

આવી જ એક પ્રાચીનતમ ઇજિપ્શન કવિતામાં ’જાત’ મૃત્યુને સ્વયં, શરીર અને મૃત્યુના સમુદાયની નિરંતરતાના અંત સ્વરૂપે જુએ છે. શરીર તૈયારી માટે સમય માંગે છે, પણ આત્મા પ્રેતલોક, મરણોત્તર જીવન અને શાશ્વતીને આભાસી અને નિરર્થક ગણે છે. સૌથી પુરાતન મહાકાવ્ય ‘ગિલ્ગામેશ’માં સિદુરી ગિલ્ગામેશને કહે છે કે, “ખુશમિજાજ દિવસોને અનુસરો. દુઃખને વિસારે પાડી દો. મૃત્યુ અંત છે, ત્યાંથી કોઈ વાપસી સંભવ નથી. કબરો ખંડેર બની જાય છે અને એના માલિકો હોય કે રસ્તામાં પડેલા ભિખારીઓ, બધાને ભૂલી જવામાં આવે છે. મરણોત્તર જીવનનું સ્વપ્ન વિશુદ્ધ ભ્રમણા છે.’

કવિ કહે છે કે, મૃત્યુ હીરાબોળની સુગંધ જેવું છે. હવાદાર દિવસે ચંદરવા નીચે આરામથી બેસવાનું સુખ એટલે મૃત્યુ. કમળના પુષ્પોની ખુશબૂ એટલે મૃત્યુ. નશાના કિનારે બેસવું એટલે મૃત્યુ. નશાના સમુદ્રમાં ગરકાવ થવું એમ કવિ નથી કહેતા. નશો તો ખરો પણ એના કિનારે રહેવાનું છે. કિનારે પગ ભીના કરી શકાય, ડૂબી ન શકાય. જીવનમાં ‘ધ રોડ લેસ ટેકન’ સાચો તફાવત સર્જવામાં કારણભૂત અવશ્ય બને, પણ મૃત્યુ તો એક બહુખેડી કેડી છે. કરોડો-અબજો માણસો આ રસ્તેથી પસાર થઈ ચૂક્યા હોવાથી આ રસ્તો ભૂલથીય ચૂકી જવાની સંભાવના રહેતી નથી. જીવન એક યુદ્ધ છે જાણે, અને આ યુદ્ધમાંથી માણસનું ઘર પરત ફરવું એ મૃત્યુ. ચાર હજાર વર્ષ પહેલાંની આ રચનામાં જે તે સમયની સમાજવ્યવસ્થામાં યુદ્ધની ઉપસ્થિતિ છતી થાય છે. રાજાઓ હતા, મતલબ રાજ્યો હતા અને રાજ્યો હતા, મતલબ યુદ્ધો પણ હતા. જીવન એટલે જાણે કે ગોરંભાયેલું આકાશ અને મૃત્યુ એટલે બધા જ વાદળ દૂર થઈ ગયા બાદનું નિરભ્ર સ્વચ્છ સાફ આકાશ. જે કંઈ ગૂંચવાડા છે, એ જીવનમાં જ છે. મૃત્યુમાં જે છે એ બધું સાફ છે. મૃત્યુના આકાશમાં વાડલના ડાઘાડૂઘીને કોઈ અવકાશ નથી. મરણોન્મુખ માણસ જ સમજી શકે કે આજીવન એ શું અવગણતો રહ્યો હતો. કારણ જીવ એકધારા સંતાપનું બીજું નામ છે, જ્યારે મરણની ગોદમાં માના ખોળા જેવી શાતા છે. વરસોથી કેદમાં સબડ્યા કરતો માણસ ઘર જોવાને તરસતો હોય એ તલસાટ એટલે મૃત્યુ. જીવન એટલે વરસોવરસની કેદ અને મૃત્યુ એટલે માણસનું પોતાનું ઘર. યુદ્ધની જેમ જ કેદનો ઉલ્લેખ જે તે સમયના સમાજ વિશે આપણને અછડતો ખ્યાલ આપે છે.

આમ તો આ છએ છે શ્લોકોને કોઈ ભાષ્યની આવશ્યકતા જ નથી. આખી વાત દીવા જેવી સ્પષ્ટ છે. કવિએ ન તો ભારઝલ્લી ભાષા પ્રયોજી છે, ન તો મગજમાં આંટી પડી જાય એવા રૂપક-પ્રતીકો વાપર્યાં છે. આવી સ્વયંસિદ્ધા રચનાને આપણે res ipsa loquitar (it speaks for itself) શ્રેણીમાં મૂકી શકીએ. પણ મૃત્યુની વિભાવના થોડો વિચાર માંગી લે એવી છે. જેન આસમાન ‘અ ડાયલોગ બિટવીન સેલ્ફ એન્ડ સૉલ’ લેખમાં ઇજિપ્તના લોકોના જીવન-મૃત્યુ વિશેનો થોડો અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ કહે છે કે, આ કવિતા ખ્રિસ્તી (યહૂદી?) માન્યતાને રજૂ કરે છે, જેવી કે મૃત્યુ પરમાત્મા પાસે પરત જવાની ક્રિયા છે, આપણે આ દુનિયામાં આગંતુક છીએ, આપણે બીજી દુનિયાના છીએ, અને મૃત્યુ પશ્ચાત્ આપણે એ દુનિયામાં પરત ફરીએ છીએ. જેનના કહેવા મુજબ મિસ્રવાસીઓ પોતાને આ દુનિયામાં કદી આગંતુક લેખાવતા નહોતા, ઊલટું, તેઓ આ જગત અને પોતાની વચ્ચે પ્રબળતમ નાતો હોવાનું અનુભવતા હતા. એ લોકો મૃત્યુની ઝંખનાને ઘોર પાપ ગણતા. અને આ કવિતામાં કહ્યું છે એમ મૃત્યુને બિમારીમાંથી સાજા થવા સાથે સરખાવવું, કેદમાંથી મળતી આઝાદી ગણવું કે જુદાઈ પછીના મિલનનું નામ આપવું નિંદ્ય કૃત્ય છે. જેનના આ વિચારો સાથે સહમત થઈએ તો આ કવિતા મૃત્યુ વિશેના વિચારો અંગે વિરોધાભાસોની નાનકડી શૃંખલા ગણી શકાય. જે હોય એ, પણ એક વાત સ્પષ્ટ સમજાય છે કે ચાર હજાર વર્ષ પહેલાનો માણસ પણ જીવન-મૃત્યુ વિશે એ જ રીતે વિચારતો હતો, જે રીતે આજનો માણસ વિચારે છે. ટૂંકમાં, જીવનની અનુભૂતિઓ અને સંવેદનો સમય અને કાળના મહોતાજ નથી હોતા. આ દેશ હોય કે પેલો દેશ હોય, આ સમય હોય કે પેલો સમય હોય, મનુષ્યમાત્રની મૂળભૂત અનુભૂતિઓ લગભગ એકસમાન જ રહી છે.

સૈરન્ધ્રી : ૦૨ : દ્રૌપદી, કર્ણ, કીચક અને કીચડ…

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’- ઉત્તરાર્ધ)
(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદીને યુગનાયિકા કહી શકાય. ‘સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય દ્રૌપદીના જીવનનો બહુ નાનો હિસ્સો છે, જેમાં કવિ આપણને યુગનાયિકાની ભીતરની સ્ત્રી સાથે મુખામુખ કરાવે છે. વળી, આ કવિતા આપણા સહુની લુપ્ત ઓળખની પીડાથી પણ આપણને અવગત કરે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ, ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આ ઓળખ-લુપ્તતાના કારણો અને નિવારણોના પૃથક્કરણની ગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતથી આ ‘સૈરન્ધ્રી’ થોડી અલગ છે. સ્વયંવર ટાણે એ કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી’ એવા કર્ણના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ વિનોદ જોશીની આ ‘સૈરન્ધ્રી’એ અનેક વમળ સર્જ્યાં. ખૂબ ઉહાપોહ થયો. પણ કર્ણ અને દ્રૌપદીનો સંબંધ કંઈ પહેલીવાર ચર્ચાની એરણે ચડ્યો નથી. આ બાબતે અનેક મતમતાંતર પ્રવર્તે છે. દરેક વાર્તાની પાસે પોતાનો પાયો છે, પણ કયો પાયો સાચો અને કયો ખોટો એ નક્કી કરવું સરળ નથી. આપણા હૃદયમાં જે સંસ્કરણ ઘર કરી ચૂક્યું હોય એ આપણા માટે સાચું. એક સંસ્કરણ મુજબ દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર હોવાથી ઇન્કાર્યો હતો, પણ વ્યાસરચિત મહાભારતમાં આ પ્રસંગ નથી. બીજા સ્રોત મુજબ ધ્રુષ્ટદ્યુમ્નએ આ પ્રશ્ન ઊઠાવ્યો હોવાથી દ્રૌપદીને એના માટે સહાનુભૂતિ જન્મી હતી. વિનોદ જોશીની સૈરન્ધ્રી આ કથાનકને સમાંતર છે. ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? જાંબુલ આખ્યાનમાં દ્રૌપદી કબૂલે છે કે એ કર્ણને પોતાના પતિ કરતાં વધુ ચાહે છે અને એને પરણવામાં એને બાધ નહોતો. યુદ્ધ સમયે એ કર્ણને પાંડવો તરફ આવવા આમંત્રે છે એ સમયે સ્વયંવર બાબતે દ્રૌપદી કર્ણની અને વસ્ત્રાહરણ સમયે છીનાળ કહેવા બદલ કર્ણ એની, એમ ઉભય પરસ્પરની માફી માંગે છે. તેલુગુ ભાષામાં કૃષ્ણ કર્ણને પાંડવો સાથે જોડાઈ જવાથી દ્રૌપદી એની પણ પત્ની ગણાશે એવી લાલચ આપતા વર્ણવાયા છે. કર્ણ કુંતીપુત્ર હોવાની જાણ થઈ ત્યારે દ્રૌપદીને એની સાથે લગ્ન ન થયાનો અફસોસ થયો એવી પણ કથા છે, કારણ કર્ણ સાથેના લગ્ન એને વસ્ત્રાહરણથી બચાવી શક્યા હોત. યજ્ઞસેની (પ્રતિભા રાય), મૃત્યુંજય (શિવાજી સાવંત), જયા (દેવદત્ત પટનાયક), પેલેસ ઑફ ઇલ્યુઝન્સ (ચિત્રા બેનર્જી), કર્ણ મહાકાવ્યકા અંતર્લોક (કશ્મીરા સિંહ) વગેરેના પુસ્તકોમાં પણ આ મુજબના વિવરણો મળે છે.

કળાનું મૂલ્યાંકન કળાની રીતે જ થવું ઘટે. મૂળ મહાભારત અને આપણા મહાભારતમાં પણ જમીન-આસમાનનો તફાવત છે. સમય સાથે આ તફાવત વળી વધતો જ જવાનો, કારણ, દરેક યુગ આ મહાકથાના અરીસામાં પોતાને શોધવાની કોશિશ કરવાનો જ. પરિણામે દરેક યુગની મહાકથા આગળની કથાથી ભિન્ન જ હોવાની. હજાર હોબાળા વચ્ચે પણ સાચી સમજ સાચી કવિતાને સાચી રીતે પોંખવામાં પાછી પાની નથી કરતી એનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સૈરન્ધ્રી’. સૈરન્ધ્રીની લોકપ્રિયતા ગુજરાતી ભાષાના સીમાડાઓ વળોટીને હિંદી, ઓડિયા, અંગ્રેજી, સંસ્કૃત, તેલુગુ, તમિલ, મૈથિલી અને કન્નડ ભાષાઓ સુધી પહોંચી છે અને ભારતીય સાહિત્ય અકાદમીએ એને સર્વશ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકના પારિતોષિકથી નવાજી છે એ જ એની યોગ્યતા સિદ્ધ કરે છે. પ્રબંધકાવ્ય લખવાનું સાહસ પોતે જ નાનુંસૂનું કામ નથી. અને એ કામ સુપેરે પાર પડે અને ઉમદા કાવ્ય સિદ્ધ થાય ત્યારે વાતનું મહત્ત્વ ઓર વધી જાય છે.

અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવ્યો અને દરવાજા ખોલ્યા વિના જ કુંતીએ ‘વહેંચી લો સમભાગ’ કહ્યું. પાંડવોએ પણ દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ ‘વસ્તુ’ને તો રોજની ચિંતા કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ આ ‘વસ્તુ’ જાણે છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા, વિનોદ જોશી ત્યાંથી આગળ વધીને આપણને ‘અસ્ક્યામત’ ગણી લેવાયેલ સૈરન્ધ્રીની ભીતરની સ્ત્રી સાથે મુલાકાત કરાવે છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે. દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચાલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂતમાં બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે પતિઓનો નિર્ણય સ્વીકારીને પટરાણી હોવા છતાં તેર વરસ તકલીફોના જંગલમાં ભટકનાર દ્રૌપદી ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડનાર હોવાથી ક્ષમા કરી શકતી નથી. જેઓ પોતાને દાસીરૂપે જોઈનેય લજ્જાતા નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવે છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરે છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’:

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

બે શબ્દો માલીપાના ખાલીપામાં ‘સૈરન્ધ્રી’ જે કહે છે, એ સરવા કાને સાંભળી શકવું એ નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને માણસ પોતાના નિજત્વને પામી લે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને. સૈરન્ધ્રી જે પળે મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ પળે એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બનીને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો ઘા કરીને કીચક નામના ‘પડછાયાનો અંત’ આણે છે. એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બાહ્ય ગણતરીઓ ભૂંસીને માણસ ભીતરના અજવાળાં ધારણ કરે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં એકાધિક રૂપોનો બોજ લઈને જીવે છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખીએ છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ સ્વયંના મંતવ્યોમાં જ રત રહે છે. કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને કેદ કરાઈ. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજે છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો,’ અને ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ થઈ પથરાયું છે. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ભીતરના અર્ક સાથે આપણને સન્મુખ કરાવ્યે રાખે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જુએ છે. પાંડવો હજીયે દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય! પત્નીના રક્ષણની ચિંતાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. ‘નરવી નિજતા ખોઈ’ બેઠેલાઓની વચ્ચે દ્રૌપદીને અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાની જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

પૂર્ણ કળાએ તપતા સૂર્યથી જાણે ચારે દિશાઓમાં આગ લાગી હતી. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ અને આકાશ નિરાધાર હતાં એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી હતી કે સૂર્ય કદી આથમી નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને સાકારવાનો છે. પાંચેક હજાર વર્ષ પહેલાં એક પુરુષે જે ઘટનાઓ આલેખી હતી, એના એક રજમાત્ર હિસ્સાને પાંચેક હજાર વર્ષ બાદ બીજો પુરુષ જે નજરિયાથી જોવાનો પુરુષાર્થ કરે છે, એમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ આસ્વાદ્ય છે.

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

સૈરન્ધ્રી : ૦૧ : અગ્નિકન્યા કે એક સ્ત્રી માત્ર?

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

મહાભારત અને રામાયણ – બંન્ને આપણાં કાળજયી મહાકાવ્યો પણ બંને વચ્ચે અસમાન-જમીન જેવડો ફરક. રામાયણના મોટાભાગના પાત્રો આપણી વચ્ચે જીવતા સામાન્ય મનુષ્યો જેવા હોઈ આપણી સાથે બેસીને ગોઠડી માંડતા હોય એવું અનુભવાય, પરંતુ મહાભારતના મોટાભાગના પાત્રો મહામાનવ- સુપરહ્યુમન. રામાયણ સાહજિક મર્યાદાઓનો ગ્રંથ છે, જ્યારે મહાભારત અતિ-અતિનો ગ્રંથ છે. ચાર-પાંચ હજાર વર્ષ પૂર્વેના આ બે મહાકાવ્યો સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યાં છે. વિનોદ જોશીનું ‘સૈરન્ધ્રી’ પણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.

વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ ભોરીંગડા (અમરેલી) ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ તરફથી વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષાની દેન મળી તો માતા લીલાવતીબેન લોકગીતોની તળ ભાષાના રક્તસંસ્કારનું નિમિત્ત બન્યાં. પાંચમા-છઠ્ઠા ધોરણમાં પ્રાસનિયોજના તો દસમા-અગિયારમા ધોરણમાં સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ હસ્તગત થઈ ગયું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે.

કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના નાનાવિધ પ્રકારોમાં ખેડાણ, પણ ગીત એમનો વિશેષ. ‘તુણ્ડિલતુણ્ડિકા’માં એ મધ્યયુગીન પદ્યવાર્તાનો નવોન્મેષ સાધે છે, તો ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં તેઓ પ્રબંધકાવ્યને આપણી વચ્ચે લઈ આવે છે. ‘મોરપિચ્છ’ નામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે. ગામઠી બોલીમાં સ્ત્રીઓના નાજુકતમ મનોભાવોને હળવે હાથે ઉઘાડવાની એમને હથોટી છે. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં મોખરાનું નામ. એમની કવિતાઓમાં સૌરાષ્ટ્રના ગામડાંઓ, રિવાજો, લોકો અને લોકબોલી સતત ધબકતાં જોવાં મળે છે. સુરેશ દલાલે કહ્યું હતું: ‘અહીં આપણને તળપદાં ગીતોનું એક નાનકડું તળાવ મળે છે. આ તળાવ “નિજમાં પરિતૃપ્ત” છે.’

સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. ‘પ્ર’ એટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને ‘બંધ’ એટલે બાંધણી. પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ. ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી વડે પ્રબંધકાવ્ય રચાય છે. સંસ્કૃત મહાકાવ્યની નાની પ્રતિકૃતિ જ ગણી લ્યો ને! વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસોનોય એમાં છોછ નથી. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં ‘રાસ’ અને ‘પ્રબંધ’ વચ્ચે ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્યસમયસૂરિ ‘વિમલ પ્રબંધ’માં પ્રારંભે ‘કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિ’ લખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને ‘રાસ’ કહે છે. પદ્મનાભના વિખ્યાત ‘કાન્હડદે પ્રબંધ’ (ઈ.સ. ૧૪૫૬) માટે ‘કાન્હડચરિત્ર’, ‘કાન્હડદેની ચુપઈ’, ‘કાન્હડદેનું પવાડઉ’ ‘શ્રી રાઉલ કાન્હડદે પાવડુ રાસ’ નામ પણ મળી આવે છે. પ્રબંધ જો કે ગદ્યમાં પણ મળી આવે છે, જેમ કે મેરૂતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણિ’ અને રાજશેખર સૂરિ રચિત ‘ચતુર્વિશતિ પ્રબંધ.’ ઈ.સ. ૧૧૮૫માં લખાયેલ શલીભદ્રસૂરિ લિખિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ને પ્રથમ પ્રબંધ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ઈ. સ. ૧૩૧૫માં અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ને પ્રથમ પ્રબંધ ગણાય છે.

મોરારીબાપુની નિશ્રામાં તલગાજરડામાં થતા સુંદરકાંડના સમૂહપાઠના પ્રતાપે કવિચિત્તમાં વમળાયા કરતા ચોપાઈ અને દોહરા સૈરન્ધ્રીની છંદસામગ્રી બન્યા છે. કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના અને પછી મુખ્ય કાવ્ય સાત સર્ગમાં વહેંચાયેલું છે. દરેક સર્ગમાં સાત ખંડ અને દરેક ખંડમાં આઠ ચોપાઈ અને બે દોહરા છે. આમ પ્રાર્થનાની વીસ પંક્તિઓ સાથે કુલ ૧૭૮૪ પંક્તિઓનું દીર્ઘકાવ્ય એટલે સૈરન્ધ્રી. સમગ્ર કાવ્યમાં અ-અ-બ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ પ્રયોજાયા છે, સિવાયકે સર્ગ પ્રથમ, ખંડ પ્રથમ, જેમાં બીજી-ચોથી પંક્તિ વચ્ચે જ પ્રાસ મેળવાયા છે. બની શકે કે કાવ્યારંભ આ રીતે કર્યા બાદ કવિને બે પ્રાસ વચ્ચે અંતર રાખવાના બદલે ચુસ્ત પ્રાસાવલિ વધુ માફક આવી હોય. પંક્તિએ પંક્તિએ પાણીના રેલાની જેમ આવ્યા કરતી વર્ણસગાઈ તથા આંતર્પ્રાસ પ્રાસાવલિથી સર્જાતા સંગીતને ઓર અનુરણનાત્મક બનાવે છે: ‘અણજાણ, અકલ્પિત… અવગુંઠિત ઓળખ’, ‘વિસંગત વેશ’, ‘અજંપ અંતરના અંધારે અકળ (છુપાયા) અંત’, ‘મઘમઘ મંજુલ સ્વેદ સવાયા, નેત્ર નિમીલિત ઘેન ગભીરાં’, ‘ચંચળ ચપળા ચારુ ચકોરી’ વિ. આ સિવાય અવારનવાર જોવા મળતો અંતર્પ્રાસ સોનામાં સુગંધ જેવો અનુભવાય છે: ક્ષતવિક્ષત, નિજતા-નિજને, છાક-છલકશે, અનંગ-સંગ-અંગ-રંગ, સુભગ-સુવક્ષા વિ. ઝડપભેર ભૂંસાતા જતા સુચારુ સંસ્કૃત શબ્દો અને શબ્દાવલિઓ પંક્તિએ-પંક્તિએ વિપુલમાત્રામાં અને અત્યંત સાહજીકતાથી પ્રયોજીને કવિએ ગુજરાતી ભાષાને જે રીતે કામે લગાડી છે એ આજની તારીખે તો દુર્લભ જ ગણી શકાય. શબ્દકોશ સાક્ષાત કવિતાનો અવતાર લે ત્યારે ‘સૈરન્ધ્રી’ જન્મે છે. દોઢ દાયકા સુધી કવિની ભીતર ઘૂંટાતું રહેલ સૈરન્ધ્રીનું પાત્ર આખરે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર કાગળ પર અવતરણ પામ્યું.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને વળી અજ્ઞાતવાસ. પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદીએ ભીમનું શરણું લીધું. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં એને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. આ મૂળ કથા અને વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં થોડું અંતર છે. કવિ કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો’ના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે.

કાવ્યારંભે કવિ સરસ્વતીને પ્રાર્થના કરી કહે છે કે વીજળીઓ કાપીને કલમ બનાવી છે ને ગુમાનની પાઘડીઓ પડખે મૂકી દીધી છે. કવિને આખા કાગળનોય અભરખો નથી, એક ખાલી ખૂણાની અને વૈખરીએ બાઝેલ લૂણો દૂર થાય એટલી જ સ્પૃહા છે. પ્રાર્થના તો લાંબી છે પણ આટલી સભાન તૈયારી હોય તો જ સર્જન ઉમદા થઈ શકે. કવિએ પોતે ક્યાંક લખ્યું છે: ‘કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાના કારણે તે હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.’ આ કાવ્ય ‘સ્ત્રીને’ અર્પણ કરાયું છે પણ તે પાછળ ‘કોઈ સભાન નારીવાદી અભિગમ નથી’ એ કવિએ સ્પષ્ટ કર્યું હોવા છતાં કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે કવિની સૈરન્ધ્રી એ મહાભારતની મહાનાયિકા અને અગ્નિકન્યા દ્રૌપદી ઓછી અને એક સામાન્ય સ્ત્રી વિશેષ છે, જેના મનોભાવો કવિકેમેરાનું પ્રમુખ ફૉકસ છે. શરૂઆત થાય છે:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. (૦૧-૦૧:૦૧)

શીર્ષક સ્પષ્ટ કરી દે છે કે આ નતમુખ વ્યગ્રચિત્ત સંમૂઢ યૌવના એટલે સૈરન્ધ્રી. ઓળખ ખોવાનું દુઃખ સૌથી મોટું દુઃખ છે. માણસ આજીવન ઓળખ બનાવવા મથે છે, જ્યારે અહીં તો મજબૂરવશ પોતાનો પરિચય લુપ્ત કરવાની ફરજ પડી છે. એટલે આ સાંજ વિવશ છે. પાંખમાં રાતનું અંધારું લઈ આવતો સાંજનો સમય આમેય ઉદાસીનો દ્યોતક છે. વળી, આકાશ પણ આધાર વિનાનું છે. પવન ન માત્ર સ્પંદરહિત છે, પાંડવોની જેમ જાણે અજ્ઞાતવાસમાં ન હોય એમ ગાયબ પણ છે. મૂઢ થઈ ગયેલ વ્યગ્ર ચિત્તે યૌવના મુખ નીચું કરીને ઊભી છે. માત્ર ચાર પંક્તિઓના લસરકાથી જ કવિએ પાંડવોના અજ્ઞાતવાસને તાદૃશ કરી બતાવ્યો છે. કવિના જ શબ્દોમાં, ‘સહુ કોઈ નિજતાથી વિખૂટા પડેલા છે. આંતરબાહ્ય બંને વ્યક્તિત્વનો મેળ પાડી ન શકાય અને સમાધાન કરવા છતાં બંને પીડતાં જ રહે તેવી દયનીય વિભીષિકાથી સહુ કોઈ ગ્રસ્ત છે તેવા અકાટ્ય વાસ્તવની ભોંય પર આ કાવ્યનાં મંડાણ છે.’ ઓળખ ન હોવા કરતાં હોય એ ગુમાવીને જીવવું વધું કપરું છે. ‘હસ્તિનાપુરની મહારાણી, એ તો કેવળ ભાસ’ હોવાની વાત સૈરન્ધ્રી સમજે છે. એને સ્ત્રીસહજ પ્રશ્ન પણ થાય છે કે ‘મહારાણીપદની અધિકારી તો પણ અનુચર કેમ?’ હોવા કરતાં ન હોવાનું દુઃખ વધુ સનાતન હોય છે.

કવિ વિનોદ જોશી આજની ગુજરાતી ભાષાના કાલિદાસ સમાન છે. પ્રકૃતિની સાથોસાથ અહીં સંભોગશૃંગાર પણ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી ગિરા ગુર્જરીને ભીંજવી રહ્યો છે. સુદેષ્ણા અને વિરાટ રાજાની કામકેલિ એનું પ્રથમ દૃષ્ટાંત છે. રાણીનું અંતઃપુર અને અંતર બંને અલબેલા સોહી રહ્યાં છે. ‘સાંધ્ય સમય’ અંગે ઓઢીને કામ સુદેષ્ણા સાથે ક્રીડે છે. એ ‘રસસભર વિલાસી’ વિરાટ ‘પ્રતિપળ કરશે સંગ સુહાસી’ વિચારીને સૈરન્ધ્રીને પોતાને મિલનરાત્રિ માટે શૃંગાર કરવા આદેશ દે છે. સુદેષ્ણા ‘પુલકિત ગાત્ર થકી મન મોહે’ છે. એના ‘કુસુમિત અંગ’માં ‘સકંપ સલૂણા’ જાગે છે અને ‘કિસલયકૂણાં’ સ્પંદનો ધબકે છે ત્યારે વરણાગી સાંજ વિલીન થઈ જાય છે ને ‘મુદિત રાત મલકીને જાગી’ જાસય છે. સંભોગવેળાએ સુદેષ્ણાએ ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું, ભાર્યારૂપ વિદારી નાંખ્યું’ છે. એણે સમજીને પોતાની રાણી તરીકેની ‘ઓળખ સકળ ફગાવી દીધી’ છે અને ‘માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ છે એટલે જ –

મલયજ મુકુરિત ઉષ્ણ પયોધર,
અધર કસુંબલ છીપ સહોદર;
અંગે અંગ લયાન્વિત ઝરણું,
સઘળું લાગ્યું સોનલવરણું. (૦૩-૦૩:૦૩)

રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ. (૦૩-૦૩:૦૪)

છાક છલકતા ઉત્સવવંતી’ સૈરન્ધ્રીનું ‘ચિત્ત વિચિત્રે વિચારે ચડતું’ દેખાય છે. સ્ત્રીસહજ એ પણ અનુભવે છે કે ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર, હું પણ પામું પુરુષ નિરંતર’. ‘સંગે પતિ પણ સંગ ન પામું’ અને ‘પાંચ પાંચ પતિ પણ એકાકી’થી વિકટ વેદના અવર કઈ હોઈ શકે? આભાસી પરિચય પહેરેલ આ ‘કેવળ દાસી’ પોતાને ‘પુરુષમાત્રની હું અધિકારી’ સમજતાં વિચારે છે:

ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી. (૦૧-૦૩:૦૬)

આવો અદભુત અને વિવેકપૂર્ણ સંભોગશૃંગાર આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે. સૈરન્ધ્રીના અપ્રતીમ સૌંદર્યને પણ કવિની કલમ અક્ષરોના ટાંચણાથી આકાર આપે છે. મણિલાલ પટેલે નોંધ્યું છે: ‘વિનોદ જોશીના ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી.’

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. કવિ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કીચકની શી વિસાત! તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’ એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે. એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને સૈરન્ધ્રીને થાય છે કે ‘સ્વતઃ કરી ભાર્યાથી છલના’ બૃહન્નલા બનેલ અર્જુન ‘મોહ્યો કંથ વિલોકી લલના.’ અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે.

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ વિશે વિગતવાર માહિતી આવતા અંકે…)

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

ગ્લૉબલ કવિતા : ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
All around us
the blossoms
flurry down
whispering,

Be patient
you have an ancient beauty.

Be patient,
you have an ancient beauty.

– Toi Derricotte (DARE-ah-cot)

ફુલ્લકુસુમિત

હું વાંકી વળી
મારા શ્વાસનું
ફુલ્લકુસુમિત વસંતના
શ્વાસ સાથે તાદાત્મ્ય સાધવા.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
માતાઓ પોતાના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગન કરતાં કરતાં,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષોની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક યુવતી
ચાદર બિછાવી પત્તા રમવાનું ટેબલ સજાવે છે,
ઉપર ગોઠવે છે મીણબત્તીઓ,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ ઉપર નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

ધીરજ ધર,
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…*

પળ અને જળ –બંને વહેતાં જ સારાં. પળ સ્થિર થઈ જાય તો જીવન પૂરું અને જળ સ્થિર થઈ જાય તો લીલ. બંનેનું વહેતાં રહેવું કુદરતી છે, પણ વહેવું જ જેની નિયતિ હોય એનેય ઝાલી રાખવું-અટકાવવું આપણને ગમે છે. એમ કરવાથી આપણામાં રહેલ શ્રેષ્ઠતાની જન્મજાત ભાવના પોષાય છે. કેમેરાનો આવિષ્કાર પણ આવી જ કોઈ ઝંખનામાંથી થયો હશે ને! વીતેલી કાલના ઓરડામાં મનફાવે ત્યારે પ્રવેશવા માટેનો પાસપોર્ટ એટલે ફોટોગ્રાફ. અસ્થાયીભાવ આપણને સ્થાયીભાવે ગમે છે. પરપોટો એટલે જ વધારે આકર્ષે છે કે ચળકતું લિસ્સુ મેઘધનુષ દેખાડીને એ પળમાં જ ફૂટી જવાનો છે. કળા કરતો મોર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પણ મોર ચોવીસે કલાક કળાની મુદ્રા ધારી રાખતો હોત તો શું આપણને એનું આકર્ષણ હોત ખરું? જે સ્થાયી છે, એ આકર્ષક રહેતું નથી. આકર્ષણ અસ્થાયીનું જ હોવાનું. પ્રકૃતિમાં એટલે જ એકેય તત્ત્વ સ્થિર નથી. જળથી લઈને વાદળ સુધી બધું જ પળેપળ નિતનવ્ય રૂપ ધારે છે. કોઈ બે સૂર્યોદય કે સૂર્યાસ્ત એકસમાન હોતા નથી. સ્થિર જણાતી ધરતી પણ ઋતુએ ઋતુએ નિતનવાં સ્વરૂપ ધરતી રહે છે, એટલે જ આપણી મુગ્ધતા બરકરાર રહે છે. અસ્થાયીપણાના સૌંદર્ય વિશેની ટોઇની એક કવિતા જોઈએ.

ટોઇ ડેરહકોટ. (જન્મસમયનું નામ: ટોઇનેટ વેબ્સ્ટર) અશ્વેત કવયિત્રી, શિક્ષિકા. ૧૨ એપ્રિલ, ૧૯૪૧ના રોજ મિશિગન, અમેરિકા ખાતે જન્મ. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક. આફ્રિકન-અમેરિકન કવિઓને પ્રોત્સાહિત કરવા માટે એમણે ‘કેવ કેનમ’ની સ્થાપના કરી. ટોઇની ભાષા અને રજૂઆતની ખાસિયત એની છેતરામણી સરળતા છે. એમની રચનાઓ એટલે આત્મકથનાત્મક લેન્સમાંથી થતું વિશ્વદર્શન. તેઓ ઇચ્છે છે કે એમની કવિતાઓ વિશ્વ સમક્ષ એક એવો સંદેશ મૂકે, જે વાસ્તવિક હોય, ન કે જે લોકોને સાંભળવો ગમે. પોતે આપેલ શિક્ષણ અને પોતાની કવિતા નિઃશંકપણે પરિવર્તનાર્થે જ હોવાની દૃઢ માન્યતા તેઓ ધરાવે છે. અશ્વેત હોવા ઉપરાંત સ્ત્રી હોવાને લઈને પોતાને થનાર અન્યાયોને તેઓ સ્વીકારે પણ છે અને અતિક્રમે પણ છે. આ બેવડી સામાજિક અસમાનતાના સ્વીકારમાંથી જ એમનો પ્રતિકાર પણ જન્મ્યો છે. ‘અ પ્લેસ ઇન ધ કન્ટ્રી’ કવિતામાં નાયિકાનો પરિવાર એક નવા ઘરની શોધમાં છે. કહે છે, ‘અમારું જૂનું ઘર વેચવામાં વરસ લાગી ગયું અને અંતે એક હબસીએ જ એ લીધું. એક મિત્રએ સમજાવ્યું, એકવાર એક ઘર અશ્વેત લોકોની માલિકીમાં હોય, તો તેઓ (દલાલો) એમને (અશ્વેતોને) જ એ બતાવશે. શું આપણે રાજકારણને નજરઅંદાજ કરી શકાય એવી કોઈ જગ્યાએ રહેવા માંગીએ છીએ?… શા માટે આ ઉજ્જવળ દેશની દરેક સડક નફરતના ઇતિહાસથી સુસજ્જ છે?’

કવિઉરમાં જે સંવેદન જાગ્યું હોય, એ જ સંવેદન ભાવકઉરમાં પણ યથાતથ જાગે એમાં કવિતાનું ખરું સાફલ્ય છે. પણ શબ્દો આ માટેનું એકમાત્ર સાધન છે, એમ કહીશું તો કળાના કસબીને અન્યાય થઈ શકે. કાન્તની ‘સાગર અને શશી’ રચનાની સફળતા કેવળ એની શબ્દાવલિને જ નહીં, ઝૂલણા છંદને પણ આભારી છે. એ જ રીતે રાવજીનું ‘કંકુના સૂરજ’ શોકગીત પણ લોકગીતના ઢાળને લઈને વધુ મર્મસ્પર્શી બન્યું છે. કંઈક અંશે એ રીતે પ્રસ્તુત રચનામાં સર્જકે કાવ્યાકારની મદદ લીધી જણાય છે. ચારેતરફ ફૂલોથી લચી પડતા વૃક્ષો તેમજ એની ખુશબૂને જેમ નિશ્ચિત આકારમાં બાંધી ન શકાય, એમ જ કવિએ આ કાવ્યને છંદોલયથી મુક્ત રાખ્યું છે. અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી પંક્તિઓની રચનાકૃતિ વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં મદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરાયો હોવાનું સમજાય છે. ‘ચેરી બ્લૉસમ્સ’ માટે આપણી ભાષામાં કોઈ નિયત સંજ્ઞા ન હોવાથી ‘ફુલ્લકુસુમિત’ શીર્ષક રાખવું મને ગમ્યું છે. આપણી ભાષાના વાચકો માટે આ એક શબ્દ જ આખું ચિત્ર ખડું કરી શકવા સમર્થ જણાય છે.

‘ચેરી બ્લૉસમ’ એટલે શોભાની ચેરીના સંખ્યાબંધ વૃક્ષો એકીસાથે અને આખેઆખા આછા ગુલાબી રંગના પુષ્પોથી ભરાઈ જવાની વાર્ષિક ઘટના. આજે તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના મોટાભાગના દેશોમાં આ વૃક્ષો જોવા મળે છે, પણ એનું સાચું કેંદ્રબિંદુ જાપાનમાં છે. સદીઓથી જાપાનમાં ચેરી બ્લૉસમનું અપાર સાંસ્કૃતિક અને સામાજીક મહત્ત્વ રહ્યું છે. આમ તો મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ એની ઋતુ, પણ હવામાન, ગ્લૉબલ વૉર્મિંગ, પ્રદુષણ વગેરેના કારણે આ સમય આગળ-પાછળ થઈ શકે છે. ઈસવીસનની આઠમી સદીમાં (અમુક સૂત્રો મુજબ તો છેક ત્રીજી સદીથી) જાપાનમાં નારા સમયકાળ દરમિયાન ચેરીના ફુલ્લકુસુમિત વૃક્ષો નીચે ભેગાં થઈને ચોખાનો દારૂ પીવાની પ્રથા શરૂ થઈ હતી. આ ઝાડ સકુરા કે ઉમે તરીકે ઓળખાતાં. અને આ પ્રથા હનામી કહેવાતી. સમય જતાં હનામી અને સકુરા સમાનાર્થી બની ગયા. મોટી માત્રામાં સામૂહિક ધોરણે ખીલવાની તેમની પ્રકૃતિના કારણે જાપાનમાં ચેરી બ્લૉસમ વાદળોનું પ્રતીક ગણાય છે. ફૂલોનું અપ્રતિમ સૌંદર્ય તથા ક્ષણભંગુરતાને લઈને તેઓ જીવનની નશ્વરતા ઉપરાંત નિયતિ તથા કર્મની કૃપાપૂર્ણ અને સહજ સ્વીકૃતિ કરતાં આપણને શીખવે છે. અલગ-અલગ દેશોમાં એનું અલગ-અલગ મહત્ત્વ છે. ૧૯૧૨માં જાપાને અમેરિકાને ચેરીના ત્રણ હજાર ઝાડ ભેટ આપ્યાં અને વૉશિંગ્ટન ડીસીથી એના અમેરિકાભરમાં ફેલાવાની શરૂઆત થઈ. આજે અડધી દુનિયાને એનું ઘેલું લાગ્યું છે.

ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવની કવિતા તો છે જ, પણ વધુ તો એ જીવનોત્સવની કવિતા છે.કવિતાની શરૂઆત ‘હું વાંકી વળી’થી થાય છે એ બહુ સૂચક છે. કુદરત સાથે શેક-હેન્ડ કરવા માટેની પહેલી શરત હુંની અકડ જતી કરવી અને બીજી શરત એની આગળ નમવું એ છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકા વળ્યાં છે. સમ ખાવા પૂરતુંય એકે પાંદડું નજરે ન ચડે એ રીતે આખાને આખા વૃક્ષો પર ફૂલોના ગુચ્છેગુચ્છાએ કબજો જમાવ્યો હોય એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. પોતાના શ્વાસમાં કવયિત્રી કેવળ ચેરી બ્લૉસમ્સની સુગંધ ભરવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી તો પોતાના શ્વાસમાં વસંતના શ્વાસને ભેળવી દેવા માંગે છે અને ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિને આસ્વાદવાની નહીં, પણ એની સાથે એકાકાર થઈ જવાની, ઓગળી જવાની છે. કવિને સુગંધ માણવા કરતાં તાદાત્મ્ય અનુભવવાની તમા વધારે છે. વાંકા વળવાની ક્રિયામાં રહેલ સમર્પણ વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વધુ સંપૂર્ણ અનુભવાય છે.

પક્ષીની આંખ જેવી પૂર્ણ એકરસતા જો કે હજી સાધી નથી શકાઈ. એટલે વસંતના શ્વાસ સાથે શ્વાસ ભેળવીને સમાધિસ્થ થવાના સ્થાને સર્જક આસપાસની ઘટનાઓ જોવી ચૂકતા નથી. એમનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે. એમાંય આ તો ફુલ્લકુસુમિત વસંત! ઋતુ મહોરે એ ટાંકણે આ સ્થળો પર્યટન સ્થળ બની રહે છે. પ્રકૃતિના આ રૂપ-રંગ-ગંધ માણવા લોકો વિશ્વના ખૂણેખૂણેથી અહીં આવે છે. એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હોવાના જ. બધી અનુભૂતિઓને આપણે સ્મરણપટ પર સાચવી શકતા નથી. યાદોની હાર્ડડિસ્ક અસંખ્ય ડેટા સાચવતી હોવા છતાં એનો બહુ મોટો ભાગ સતત ફૉર્મેટ થયે રાખે છે. મનુષ્ય પોતાની આ મર્યાદાઓથી માહિતગાર છે, એટલે એ આવી યાદગાર ક્ષણો કે સ્થળોને ચિરંજીવ બનાવવા પ્રયત્નશીલ રહે છે. ફોટોગ્રાફર્સ જે જે વ્યક્તિઓના ફોટા લઈ રહ્યા છે એમના વ્યક્તિચિત્રોના ઓથે સર્જક પોતાની વાત આપણી સાથે સહિયારે છે.

માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. વિરોધાભાસ ચૂકશો નહીં. માતાઓ મરજી મુજબ ગોઠવી શકે એવાં બાળક એટલે જિંદગીની ડાળ પરનું નવપલ્લવિત પર્ણ. અને ફોટો પાડવા માટે જેનો પૃષ્ઠભૂ તરીકે ઉપયોગ થાય છે એ વૃક્ષો એટલાં જૂનાં છે કે એમના વિશાળ થડ ગાંઠદાર બની ગયાં છે. જિંદગીના બે અંતિમોને અડખેપડખે કરીને કચકડે કંડારવાની માતાઓની આ સ્થૂળ ક્રીડામાં શાશ્વત અને નશ્વર- ઉભય એકસાથે દૃષ્ટિગોચર થાય છે. પરસ્પર આલિંગન કરી રહેલ એક યુગલ પસાર થનાર રાહદારીને આલિંગનબદ્ધ સ્થિતિમાં જ પોતાનો ફોટો પાડી આપવા કહે છે. હેતુ એ કે પ્રેમની આ ઉત્કટ પળ ફોટોગ્રાફ તરીકે ચિરંજીવી બની રહે. પ્રેમમાં ચસોચસ ભેટવું કોને ન ગમે? પણ મુશેક્ટાટ આલિંગનની સ્થિતિમાં શું આજીવન રહી શકાય ખરું? પ્રેમ ગમે એટલો બળવત્તર કેમ ન હોય, દરેક આલિંગન પર એક્સપાઇરી ડેટ લખેલી જ હોવાની. ચેરી બ્લૉસમ કાયમી નથી એમ આશ્લેષ પણ હંગામી જ હોવાનો. આલિંગનમાં સુખ છે, પણ એ એટલા માટે જ છે કે આલિંગનના છેદગણમાં આવી ગયા બાદ બંને પ્રેમીએ પોતાપોતાના હિસ્સાના વેન સર્કલમાં પરત ચાલ્યા જવું ફરજિયાત છે. ક્ષણિક છે માટે જ એ ક્ષણેક્ષણે કરવું ગમે છે. સ્થાયી બની જાય તો આલિંગનમાંથી મજા ઊડી જાય. વારંવાર વાગોળવા મળે એ હેતુસર અંતરંગ પળોમાંય આપણે આગંતુકોને પ્રવેશ આપવા માંડ્યા છીએ. ચુંબન-આલિંગન તો યુગલના જીવનની અંગતતમ બાબત કહેવાય, પણ મૉમેન્ટ્સ કેપ્ચર કરી લેવાના મોહમાં આપણે આપણા અંગતને જાહેરકરાર આપતાં અચકાતા નથી. લગ્નપ્રસંગે ફોટો લેવાનું ચૂકી જવાય તો ફોટોગ્રાફર્સ હસ્તમેળાપ પણ એકથી વધારે વાર કરાવે છે. જિંદગી તો રિટેકની સગવડ આપતી નથી, પણ આપણને જીવાતી જિંદગીનો રિટેક લેવાની કુટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં ફરી માણવાના લોભ પર અંકુશ મૂકી શકવાની અસમર્થતાને કારણે આપણે વર્તમાનને પૂર્ણતયા માણી શકવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ.

સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?
ઉપર બાઝી જશે જાળાં, ભલે ને એ જ રહેશે ફ્રેમ.

પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવવા કરતાં સાચવી રાખવાની કામના આજના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. બે હૈયાં વચ્ચેની દોસ્તી અને બે મનુષ્યો તથા પ્રકૃતિ વચ્ચેની દોસ્તી સાચવી રાખવા માટે આજના માનવીને ઉપકરણોની જરૂર પડે છે. આપણું હૈયું આપણી છાતીના પિંજરામાં ઓછું અને ગેજેટ્સની માયાજાળમાં વધારે ધબકે છે. આજે વાતવાતની રિલ બનાવવાનો જે જુવાળ જનમાનસમાં ફેલાયો છે એ એની જ સાબિતી છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? ટોઇનું બાળપણ ગરીબી અને સંઘર્ષભર્યું હતું. કુંવારી સગર્ભા સ્ત્રીઓ માટેના ઘરમાં રહેવાની ફરજ પણ પડી હતી. કુંવારી મા બનીને સંતાન સાથે તેઓ પિતૃગૃહે આવ્યા, ત્યારે જાણ થઈ કે એમનું સમગ્ર લખાણ એમના પિતાએ સળગાવી નાંખ્યું હતું. લખવું એમને માટે સદા પીડાજનક રહ્યું છે. પોતાની અંગતતમ વેદનાઓને સાર્વજનિક સ્વીકૃતિ માટે કાગળ પર કંડારવું પડકારરૂપ છે. પણ જે અંદરની તકલીફોને જોઈ શકે, એ જ બાહરી સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે. અંતર્દૃષ્ટિ ખુલી ન હોય એની બહિર્દૃષ્ટિ કુંઠિત જ હોવાની.

નજીકમાં જ બરાબર છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પત્તા રમવા માટેનું ટેબલ સજાવી રહી છે. ટેબલ પર ચાદર બિછાવી એ એના પર મીણબત્તીઓ, પિકનિક માટેની છાબ અને વાઇનની બોટલ ગોઠવે છે. વાત પિકનિકની છે એટલે અન્ય પરિવારજનો કે મિત્રમંડળના આગમનની અપેક્ષા અને પ્રતીક્ષા પણ ખરાં જ. અત્યારે એ એકલી જ છે પણ જે રીતે ઋતુ આવતાં જ આ વૃક્ષો ભરાઈ ગયાં છે એ જ રીતે સમય આવતાં જ એનું ટેબલ અને એનું હોવું –બંને ચેરી બ્લૉસમ બની રહેશે. પાસે જ એક પિતા પોતાના અપંગ પુત્રની વ્હીલચેરને પાછળની તરફ નમાવે છે, જેથી કરીને એ આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય. પોતે જે જોઈ-માણી શકે છે એનો આનંદ પોતાના આત્મીયજન ચૂકી ન જાય એ બાબતની દરકાર આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી. એક બીજો સંદર્ભેય અહીં ખૂલે છે. ભાવિ પેઢી પ્રકૃતિથી વિમુખ થતી જાય છે એને ફરી પ્રકૃતિ સાથે તાદાત્મય થતાં શીખવવાની વાત છે. પ્રકૃતિ સાથે એકત્વ ન અનુભવતી નવી પેઢીનું ભાવિ ધૂંધળુ છે એ વાત અપંગ બાળક અને વ્હીલચેરના પ્રતીક વડે સ-રસ કહેવાઈ છે. સમગ્ર કવિતાના પ્રવાહમાં ભળી જતી બે પંક્તિની એક નાનકડી અલાયદી કવિતાનો સંસ્પર્શ વર્તાય છે. માનવજીવનના સાવ નાનાં નાનાં પાસાંઓને સર્જકે નાનાં નાનાં વાક્યોમાં પણ અખિલાઈથી આલેખી બતાવ્યાં હોવાથી સાધારણ ભાસતી આ રચના હૃદયસ્પર્શી બની રહે છે.

સપાટાભેર ખરી રહેલ ઢગલાબંધ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે, એ મારફતે પ્રકૃતિ જાણે કવિના સવાલનો જવાબ દઈ રહી છે: ધીરજ ધર. તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે. આ બંને પંક્તિઓ કવિએ મુખ્ય હરોળથી અળગી તો મૂકી જ છે, પણ એને ઇટાલિક્સમાં લખીને આખી રચનાની સાપેક્ષે એનું મૂલ્યાંકન પણ સવિશેષ આંક્યું છે. એ સિવાય રચનામાં કેવળ આ બે જ પંક્તિઓ પુનરોક્તિ પણ પામી છે. આગળ ઇટાલિક્સનો પ્રયોગ સર્જકે સવાલ પૂછવા કર્યો હતો, આ વખતે કુદરતના પ્રત્યુત્તરને અધોરેખિત કરવા માટે કર્યો છે. કવિ સુંદર કવિતાની તલાશમાં છે. પ્રકૃતિ જવાબ આપે છે કે એ તો પુરાતન કાળથી તારી અંદર જ છે. કસ્તૂરી મૃગ યાદ આવ્યું ને?:

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને. (મનોજ ખંડેરિયા)

સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. ધીરજ ધરીને લીલપ પહેરીને વર્ષ આખું ઊભા રહેલ ઝાડ આજે ફુલ્લકુસુમિત થયાં છે અને ફૂલો સતત આપમેળે ખરી રહ્યાં છે, એ જ રીતે ધીરજ ધરીને પ્રતીક્ષા કરીશું તો કવિતાના પુષ્પો આપમેળે ખીલશે પણ ખરાં અને કાગળ પર ધીમેધીમે ખરશે પણ ખરાં. વાત જાતમાં ભરોસો રાખીને રાહ જોવાની છે. જોનારની દૃષ્ટિ પોતે પણ એક ઉત્તમ કવિતા છે. સરવાળે, જીવનની ક્ષણભંગુરતાનું આ મધુરું ગાન છે. જે આજે છે એ જવાનું છે, એને ભરપૂર માણી લઈએ. ભલે બે પળનું કેમ ન હોય, પણ જીવનને પૂરેપુરું ખીલીને પૂરેપૂરું માણીએ. ટોઇ કહે છે: ‘આપણે એ ચીજના કેદી છીએ જેને આપણે જાણતાં નથી, જેનો આપણે સ્વીકાર કરતાં નથી, જેને આપણે બહાર આણતાં નથી, જેના વિષયમાં આપણે સચેત નથી, જેને આપણે નકારીએ છીએ….’

(*શીર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)