ગ્લૉબલ કવિતા : દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub


દરવાજો

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

घूंघट के पट खोल रे, तोहे पिया मिलेंगे।

ભીડ્યાં હો શક્યતાનાં ચસોચસ ભલેને દ્વાર,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

– કવિઓ આવું કહે ત્યારે બે ઘડી તો આપણને જુસ્સો ચડી જાય, નિરાશાઓ ખંખેરીને લક્ષ્ય તરફ દોટ મૂકવાની હામ પણ થાય, પરંતુ ક્યારેક એવો વિચાર પણ આવે કે શું આવું શક્ય બને ખરું? દરવાજો જ દીવાલ બની બેઠો હોય એવી આકરી પળે સંભાવનાની તિરાડ હાથ લાગે એ શક્ય બને ખરું? ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ કહીને આ વાતનો જવાબ આપી શકાય. કવિતાના કામણટુમણને બાજુએ રાખીએ તોય આપણે એટલું તો સમજીએ જ છીએ કે મોટામાં મોટી મુસીબત પણ ગૂંઠે કોઈક ને કોઈક ઉકેલ તો લઈને જ આવી હોય છે. એવું કોઈ તાળું બન્યું જ નથી, જેને ઉઘાડવાની ચાવી ઉપલબ્ધ ન હોય. પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના દરેક કૂટપ્રશ્નનો ઉત્તર મળે જ મળે. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે, બસ! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.
મિરોસ્લાફ હોલુપ. (ઉચ્ચાર: mɪrɔslaf ɦɔlʊp). કવિનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ હાલના ચેક રિપબ્લિક અને એ સમયના ચેકોસ્લોવેકિયામાં થયો હતો. વ્યવસાયે તબીબ-પેથોલોજીસ્ટ અને ઇમ્યૂનોલોજીસ્ટ. એમની કવિતાઓમાં એમના તબીબીવિજ્ઞાન-સંશોધન સતત અને એ હદે પ્રતિબિંબાય છે કે એને ‘બિલકુલ સમાંતર’ કવિતાઓનું બિરૂદ મળ્યું હતું. સીમસ હેનીએ એમની કવિતાઓને વસ્તુઓને યથાતથ નગ્નાવસ્થામાં, ચામડી નીચેની ખોપડી નહીં, પણ ખોપડી નીચેના મગજને ઉજાગર કરતી કવિતાઓ તરીકે ઓળખાવી હતી, જે સંબંધોના આકાર; રાજકારણ, ઇતિહાસ તથા વિજ્ઞાન; સ્નેહ અને નફરતના લયહિલ્લોળ; વિશ્વાસ, આશા, હિંસા અને કળાની ભરતી-ઓટ પર યથોચિત પ્રકાશ નાંખે છે. વીસમી સદીના વિશ્વના સૌથી નોંધપાત્ર કવિઓમાં એમની ગણના થાય છે. ૧૪ જુલાઈ, ૧૯૯૮ના રોજ પ્રાગ ખાતે નિધન.
પ્રસ્તુત રચના ‘દરવાજો’ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ મુક્તકાવ્ય કે અછાંદસ કાવ્ય છે. કવિતાના પાંચેય ભાગ અનિયત પંક્તિલંબાઈ અને સંખ્યાથી બન્યા છે. મૂળ ભાષાની રચનાના અભ્યાસના અભાવમાં અન્ય કોઈ ટિપ્પણી સંભવ નથી, પણ અનિયમિત પંક્તિલંબાઈ અને અપૂર્ણાન્વયના પરિણામે રચનાને પ્રવાહી ગતિ સાંપડે છે, જે દરવાજો ખોલી અજ્ઞાતમાં આગેકદમ કરવાના કેન્દ્રસ્થ કાવ્યભાવને ધ્વનિત કરવામાં સહાયભૂત છે. શીર્ષક રચનાનો કેન્દ્રસ્થ વિચાર તો રજૂ કરે જ છે, વિચારોત્તેજક પણ છે. દરવાજો શબ્દ બોલતાંની સાથે ભૌતિક દરવાજા સિવાય સંભાવનાઓ, નવીન તકો, નવા અનુભવો અને નૂતન ક્ષેત્રો સાથેના સાક્ષાત્કારની છબી નજર સામે તરવરવા માંડે છે. કાવ્યના શીર્ષક તરીકે વપરાયો હોવાથી દરવાજો એની પેલે પાર જે કંઈ હશે એના સંભવિત મહત્ત્વ અને/અથવા રહસ્યોદ્ઘાટન માટેનું પ્રતીક પણ બની રહે છે.
પાંચમાંથી ચાર બંધની શરૂઆત ‘જાઓ અને દરવાજો ઉઘાડો’થી થાય છે. ચોથા ભાગનો તો અંત પણ એનાથી જ થાય છે. વાતમાં સૂચનાનો સૂર પ્રધાન છે, અને વિનંતીનો ભાવ ગૌણ છે પણ પાંચ-પાંચવારની પુનરુક્તિના વિનંતી અથવા સૂચનનું આદેશમાં રૂપાંતરણ થાય છે. જો કે આ આદેશમાં સત્તાનો રણકો ઓછો અને આત્મીય આગ્રહ વધુ છે, કારણ કે એની હારોહાર જ કવિતામાં ‘કદાચ’ અને ‘ભલે’નો મૃદુ ધ્વનિ પણ રણકે છે. જોરમાં હડસેલ્યા પછી સ્પિંગવાળો દરવાજો આપોઆપ થોડો સમય કિચૂડ કિચૂડ અવાજ સાથે ખૂલ-બંધ થતો રહે એ દરમિયાન નજરે ચડી-ચડીને ગાયબ થઈ જતા પેલે પારના દૃશ્યને જોવાની તાલાવેલી વધતી જાય, એ જ રીતે એક જ સૂચના વારંવાર અપાતી હોવાના કારણે દરવાજા બહારની વસ્તુનો તાગ મેળવવા ભાવક વધુને વધુ આતુર બને છે. કારણ, જે દેખાય છે એના કરતાં જે નથી જોઈ શકાતું એના વિશેની ઉત્સુકતા કાયમ વધુ જ હોવાની. ગોચર કરતાં અગોચર જ આપણને વિશેષ આકર્ષે છે.
સરળતમ શબ્દાવલી અને સહજ ભાવાભિવ્યક્તિના કારણે રચના આમ તો સ્વયંસ્પષ્ટ છે, પણ હરદમ તોફાની સમુદ્ર ખેડવાના રોમાંચમાં રાચતું મન ક્યારેક શાંત તળાવમાં નૌકાવિહાર કરવાને પણ લલચાય એ ન્યાયે આજે સરળતા અને સહજતાને આસ્વાદવાનો ઉપક્રમ રાખીએ. કથકના સૂચનાદેશ પરથી એ વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે કે દરવાજો ઉઘાડવાનું કામ દુભર નથી. દરવાજે તાળાં માર્યાં હોય કે નકૂચો કટાઈને જામી ગયો હોય અથવા મિજાગરા જ કામ કરતાં ન હોય એવી કોઈ વિટંબના આ દરવાજો આપણને આપનાર નથી. દરવાજો આપણી નજર સમક્ષ જ છે, અને ઉઘડવાને તૈયાર જ છે. જરૂર છે આપણે આપણું સ્થાન ત્યજવાની અને દરવાજા તરફ ગતિ કરવાની. આખી વાત તૈયારી અને પ્રયત્ન ઉપર જ ટકી છે. જિંદગીનું પણ શું એવું જ નથી? જિંદગી તો રહસ્યસ્ફોટ કરવા તત્પર જ છે, આપણે ઊભા થઈને દરવાજા તરફ જઈ એને ઉઘાડવાની કોશિશ કરવાની છે, બસ.
સમગ્ર કાવ્યરચના એક જ ઘરેડમાં છે. ક્યાંય કોઈ નવીન વળવળાંક નથી. કવિએ ‘જાવ અને જઈને દરવાજો ઉઘાડો’ના વર્તુળાકાર વિચારના પરિઘમાં દરવાજાની પેલે પાર શું શું હોઈ શકે એ શક્યતાઓની યાદી જ માંડી છે. દરવાજા પાર આ હશે, અથવા પેલું હશેની નોંધપોથીથી વિશેષ આ રચનામાં કશું જ નથી એવું લાગવા માંડે ત્યાં તો રચના પૂરી પણ થઈ જાય છે, પણ કાવ્યાંતે જે હળવો ચમકાર અને ચમત્કાર અનુભવાય છે, એ જ આ રચનાની ખરી ઉપલબ્ધિ છે.
દરવાજો ખોલીએ તો બહાર કદાચ એકાદ ઝાડ નજરે ચડે, અથવા બનવાજોગ છે કે આખેઆખું જંગલ પણ સ્વાગત કરવા ઊભું હોય. કોઈ બગીચો અથવા કોઈ જાદુઈ નગરી પણ દરવાજો ખોલનારને હાથ લાગી શકે છે. ઝાડ, જંગલ, બગીચો અને જાદુઈ નગરી- આ તમામ વાસ્તવથી લઈને પરીજગત સુધીની એ અસંખ્ય સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે પેલા દ્વાર બહાર તમારી પ્રતીક્ષામાં હોઈ શકે છે. શક્ય છે કે બારણાંબહાર કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય. એવુંય બની શકે કે કોઈ ચહેરો દૃષ્ટિગોચર થાય અથવા અર્જુનને પક્ષીની આંખ દેખાઈ હતી એમ કેવળ કોઈ આંખ જ નજર આવે. બહાર કોઈ ચિત્રનું ચિત્ર દેખાય એય સંભવ છે. કૂતરો દ્વારની પેલી તરફની સજીવ અનુભૂતિનું પ્રતીક પણ છે જિંદગીનું પણ. એને અણધાર્યા આશ્ચર્યોના સાક્ષાત્કારનું ચિહ્ન પણ છે કારણ એ ખાંખાખોળા કરી રહ્યું છે. ઉત્ખનન વિના જીવનમાં કશું હાંસિલ થતું નથી. ખોદ્યા વિના કોઈ લોથલ કે ધોળાવીરા હાથ ન આવે. ખોદ્યા વિના તો જમીન પણ દાણા-પાણી ન આપે. અહીં પછીના રૂપકો જરા અટપટા છે, જાણે કવિ ઉત્તરોત્તર ગહન સ્તરોની શૃંખલા સર્જતા ન હોય! શબ્દાર્થના દ્વારની પેલી તરફ મહત્ત્વની પરતો ભાવકનો ઇંતેજાર કરે છે. ચહેરો અને આંખ તો માનવીય ઉપસ્થિતિ અને જિંદગીનો અણસારો આપે છે, પણ ‘ચિત્રનું ચિત્ર’ રૂપકોની સંકુલતાને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. રિપ્રેઝન્ટેશન અને રિફ્લેક્શનની વિચારધારાનું પ્રાકટ્ય અહીં અનુભવાય છે. પ્લેટોનો કલ્પ-સિદ્ધાંત અહીં યાદ આવે –દરેક વસ્તુ એના આદર્શ કલ્પની અનુકૃતિ માત્ર છે. પ્લેટોએ કળાને twice removed from reality તરીકે ઓળખાવતાં કહ્યું હતું, કે કળાકાર મૂળ વસ્તુની પ્રતિકૃતિની પ્રતિકૃતિ જ બનાવે છે.
ક્રમશઃ વધતી જતી રૂપકોની જટિલતા દરવાજા બહાર હાથ લગી શકનાર ખજાનાને બહુઆયામી અને વધુ સમૃદ્ધ બનાવે છે. સરળ ભાસતી કૃતિમાં ક્રમશઃ કલ્પનજાટિલ્ય વધતું જાય ત્યારે ભાવકને કવિતાના પ્રવાહમાં સડેડાટ વહી જવાના બદલે બે પળ થોભવાની અને વિચારવાની ફરજ પડે. અસામાન્ય અને અપ્રત્યાશિત રૂપકોની મદદથી કવિ પાઠકને ગહન કાવ્યાન્વેષણ માટે મજબૂર કરે છે. અજ્ઞાતની અનિશ્ચિતતા સ્વીકારવા પણ કવિ આપણને આ રીતે તૈયાર કરે છે.
દરવાજાની બહાર સંભવ છે કે ધુમ્મસ હોય. ધુમ્મસ દૃશ્યતા માટે બાધક છે. એ અનિશ્ચિતતા અને ભ્રમનું ઇંગિત છે. પણ કવિનો સધિયારો વિશેષ મહત્ત્વનો છે. કવિ કહે છે કે દરવાજો ખોલશો તો ધુમ્મસ વિખેરાઈ જશે. દ્વાર ઉઘાડવામાં આવે ત્યાં સુધી જ એનું અસ્તિત્ત્વ છે. આવા ધુમ્મસમાંથી કોણ પસાર નહીં થયું હોય? રસ્તો ન સૂઝે ત્યારે મૂંઝાઈને બેસી જવાના બદલે આગળ વધવામાં આવે તો ધુમ્મસને વિખેરાઈ જતાં વાર નથી લાગતી.
કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
દરવાજાની પેલે પાર હાથણી કળશ ઢોળવા ઊભી હોય એમ દર વખતે આશ્ચર્યલોક જ ભેટસોગાદ લઈને રાહ જોતું હોય એ જરૂરી નથી, ક્યારેક કાળુંભમ્મર અંધારું ટિક ટિક કરતું ડરાવતું સામે મળે એવુંય બની શકે. ક્યારેક ખોખલા પવન સાથે પણ ભેટો થઈ શકે અને કોઈવાર તો એવુંય બને કે દરવાજાની પેલી તરફ કંઈ જ ન હોય. આગળના બંધમાં જે રીતે મિરોસ્લાફે કલ્પનસંકુલતાના વળ ઉપર વળ ચડાવ્યે રાખ્યા હતા, એ જ વિધાથી શૂન્યતાને ચાક્ષુષ કરવા એ હવે આશાના વળ એક પછી એક ખોલતા જાય છે. અંધારું ડર અને અનિશ્ચિતતાનું પ્રતીક છે. ટિક ટિકનો અવાજ એમાં સમયનું પરિમાણ યાને ગતિ, અસ્થિરતા અને ક્ષણભંગુરતા પણ ઉમેરે છે. ડરનો સામનો કર્યા વિના સફળતાના દ્વાર ખૂલવાના નથી. પવન આમ તો ચૈતન્યનું પ્રતીક છે, પણ અહીં એ ખોખલો છે, જીવનહીન છે. શક્ય છે કે બારણાંની પેલી તરફ એકલતા, ખાલીપો અને નિર્હેતુકતાનો સામનો કરવાનો થાય અથવા તદ્દન શૂન્યાવકાશ પણ સાંપડે. ગમે તે થાય પણ આસનનો મોહ ત્યાગી ગતિમાન થઈ દરવાજો તો ઉઘાડવાનો જ છે એવો આદેશ ફરી દોહરાવીને કવિ સરવાળે તો આશા અને સાફલ્યપ્રાપ્તિ તરફ જ અંગૂલિનિર્દેશ કરે છે. અંતે, બહાર કંઈ નહીં તોય ઠંડી હવાનું એક ઝોકું તો હશે જ કહીને કવિ આપણને ડર, ખાલીપો અને એકલતા સાથે અનુકૂલન સાધી નિર્હેતુકતામાંથી હેતુ, નિરાશામાંથી આશા, અને અનિશ્ચિતતામાંથી નિશ્ચિતતા તરફ દોરી જતા દરવાજાને ખોલવાનું આમંત્રણ પાઠવી અટકે છે.
આ હતી કવિતામાં કવિએ જે પીરસ્યું છે એના અનુલક્ષમાં થોડી સ્થૂળ વાતો. આખી વાતને અલગ દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. આપણે સહુ પોતપોતાની જિંદગીના કમરામાં કેદ છીએ. મોટાભાગના લોકોને એમ લાગે છે કે જે જિંદગી એમને મળી છે, એના કરતાં વધુ બહેતર જિંદગી શક્ય હતી અથવા મળવી જોઈતી હતી. હતાશ અને હારેલો માણસ પોતાના ટૂંકા પ્રયત્નો તરફ જોવાના બદલે વિધાતાને દોષ દે છે. ‘પારકે ભાણે મોટો લાડુ’ની કહેવત મોટાભાગના લોકોના માથે બંધબેસતી પાઘડી જેવી યથાર્થ છે. सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है। (જાવેદ અખ્તર) મળેલી જિંદગીથી ખુશ લોકો ઓછા જ જોવા મળે છે, અને મળેલી જિંદગીને ઇચ્છેલી જિંદગીમાં પલોટનાર તો એથીય ઓછા જોવા મળે છે.
પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે.
ઇચ્છાનું પાત્ર કદી પૂરું ભરી શકાય જ નહીં એ વાત જે રીતે હકીકત છે એ જ રીતે અધૂરી ઇચ્છા જ જીવન માટેનું ચાલકબળ બની રહે છે એય સ્વીકારવું રહ્યું.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…
અધૂરી ઇચ્છા જીવવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડે છે. પણ ઇચ્છેલી જિંદગી પ્રાપ્ત કરવા માટે જ્યાં અટકી ગયા હોઈએ ત્યાંથી ઊભા થઈ આગળ વધી સંભાવનાઓનો દરવાજો ખોલવાની જિગર હોવી પણ અનિવાર્ય છે. કોઈ ધર્મગુરુ કે ઉદ્ધારક આવીને આપણને આપણી મરજી મુજબની જિંદગીના દરવાજા સુધી લઈ જવાનો નથી. સ્વર્ણમૃગ મેળવવું હોય તો ભગવાન રામે પણ દોડવું જ પડે છે. સ્વર્ણમૃગે કંઈ ‘હે પ્રભુ! સીતાની ઇચ્છાને આધીન થઈ હું આપના શરણે થાઉં છું’ કહીને રામને ભગવાન હોવાનું ડિસ્કાઉન્ટ નહોતું આપ્યું. મિરોસ્લાફની કવિતા પરથી આપણે પણ આ વાત ગાંઠે બાંધવાની છે. જીવનને નંદનવન બનાવવું હોય તો ઊઠીને દરવાજો ખોલવો જ પડશે અને જાતે જ ખોલવો પડશે.
વળી, આ દરવાજો બહાર તરફ જ ખૂલતો હોય એય જરૂરી નથી. કેટલાક દરવાજા અંદરની તરફ પણ ખૂલતા હોય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક વાર્તા બહુ જાણીતી છે. એક માણસ રોજ રાત્રે સ્વપ્નમાં પોતાને એક કમરામાં કેદ થઈ ગયેલો જુએ છે. કેદમાંથી છૂટવા એ રોજ કમરાનો દરવાજો ખોલવા મથે છે, ને રોજ નાકામ રહે છે. એક મનોવિજ્ઞાની એને સૂચન આપે છે કે હવે આ સપનું આવે ત્યારે દરવાજો બહાર તરફ ધકેલવાના બદલે અંદરની તરફ ખેંચી જોજે. સ્વપ્ન એટલે જાગૃત મનના વિચારોનું પ્રતિબિંબ. પેલા માણસે સ્વપ્નમાં ફરી પોતાને એ જ કમરામાં કેદ જોયો, પણ આ વખતે એણે દરવાજો અંદરની તરફ ખેંચ્યો. દરવાજો ખૂલી ગયો અને એ આઝાદ થઈ ગયો.
મિરોસ્લાફની કવિતામાં દિશાના બદલે દરવાજો ખોલવાની વાત પ્રમુખસ્થાને છે. પણ સજ્જ ભાવક સમજી શકશે કે આ દરવાજો સ્થૂળ હોય એ જરૂરી નથી. એ આપણી અંદરની તરફ ખૂલતો અમૂર્ત દરવાજો પણ હોઈ શકે. સ્વમાં ખૂલતો દરવાજો ખોવાઈ ગયેલી જાત સાથે આપણી પુનઃમુલાકાત કરાવી શકે છે. દુનિયાની દોડધામમાં આપણે સ્વયંને જ વિસારે પાડી દીધો છે. ખુદ તરફ ખૂલતા દરવાજાની બીજી તરફ તો ન જાણે કેવાં-કેવાં રહસ્યો આપણી પ્રતીક્ષામાં આતુરતાપૂર્વક બેઠાં હશે! આપણી ગહનતમ આવશ્યક્તાઓ અને ઉચ્ચતમ આકાંક્ષાઓને પ્રગટ કરતા દરવાજાને ખોલવા માટે ચાલો, ઊભા થઈ આગળ વધીએ. घूंघट के पट खोल रे तोहे पिया मिलेंगे।

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *