Category Archives: ગની દહીંવાલા

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

લઇને આવ્યો છું – ગની દહીંવાલા

હું છું ગઝલ-બુલબુલ…. (Red Wiskered Bulbul ~ સિપાહી બુલબુલ – Photo by Vivek Tailor: 27-04-2009)

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

– ગની દહીંવાલા

માર્ગ મળશે – ગની દહીંવાલા

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – હૈયા ને દરબાર

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાલા

તમે એ ડાળ છો – ગની દહીંવાલા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

સ્વર – ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત – ડો. ભરત પટેલ

તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.

દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !

ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !

મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.

‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.

– ગની દહીંવાલા

ખોટ વર્તાયા કરે – ગની દહીંવાલા

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક! ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે.

આપણે, હે જીવ! કાઠાં સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

-ગની દહીંવાલા

અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
********

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

(આભાર – લયસ્તરો.કોમ)

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

તમન્ના (બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું…) – ગની દહીંવાલા

સ્વર – ગાર્ગી વોરા
સ્વરાંકન – ડૉ. ભરત પટેલ
આલ્બમ – એક મેકના મન સુધી (ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન પસ્તુતિ)

.

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

– ગની દહીંવાલા/p>

ફૂલદાની – ગની દહીંવાલા

ગનીચાચાને આજે એમના જન્મદિવસે ફરી એકવાર યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..! અને માણીએ એમની આ મઝાની ગઝલ, ભરતભાઇના સ્વર-સ્વરાંકન સાથે..!

સ્વર – સંગીત : ડૉ. ભરત પટેલ

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

-ગની દહીંવાલા

(શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ)

લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા

આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.

(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)

સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય

.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

– ગની દહીંવાલા

——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર – લયસ્તરો )